પરલોકવાદીઓને આપણું કહેવું એ છે કે આ પૃથ્વીથી બહાર ક્યાં ય અવકાશમાં આપણે કોઈ સ્વર્ગની ખોજ કરવી નથી. આ સમગ્ર પૃથ્વીને જ કાશી બનાવવી છે. મનુષ્ય કેવળ ચૈતન્ય નથી, તે શરીર પણ છે. તેહવામાં રહેતો નથી. બીજી ભૂમિકાવાળા જેઓ અર્થને પ્રાધાન્ય આપનારા સામ્યવાદીઓ છે તેને આપણે કહેવું છે કે કેવળઆ ર્થિક સમાનતા પ્રસ્થાપિત કરીને જ આપણે સમાધાન મેળવવાનું નથી. આપણે એક ડગલું આગળ ભરવું છે. મનુષ્ય કેવળ પાર્થિવ નથી, કેવળ માટીનું પૂતળું નથી. સાર્વત્રિક સંપન્નતા ન હોય તો આર્થિક સમાનતા ટકશે નહીં. સંભવ તો એ છે કે ફરીથી વિષમતાનાં બીજ અંકુરિત થવા લાગે. કેવળ સંપન્નતા પણ વિશુદ્ધ કલ્યાણકારી આંતરરાષ્ટ્રીયતાના વિકાસ માટે પર્યાપ્ત નથી. તે માટે દ્રવ્ય નિષ્ઠાથી વધુ તો માનવ નિષ્ઠાની જરૂર પડશે. આ માનવ નિષ્ઠા જ સામ્યયોગ છે. ગાંધીજી જ્યારે કહે છે કે ધાર્મિક, આર્થિક અથવા પ્રાદેશિક – આ બધા ભેદ કૃત્રિમ છે. માનવ માત્ર એક છે ત્યારે ગાંધીજીની આ ત્રીજી ભૂમિકા છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 08