ભારતની પ્રજાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ બહુમતી આપીને સત્તા સોંપી એ કોંગ્રેસના ઉકરડા ફેંદવા માટે નહીં, પણ સાફ કરવા માટે. તેમણે એવો વાયદો પણ કર્યો હતો અને લોકોએ તેના પર ભરોસો કર્યો હતો. હવે સત્તામાં આવ્યે ચાર વરસ વીતી ગયા છે, દેશ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યોની અને એ પછી સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે જમા બાજુ લગભગ કોરી છે. સો ટકા મૌલિક નિર્ણય નોટબંધી માટે જશ માગતા શરમ આવે છે, એટલે તેને ડરાવનારાં સપનાંની માફક ભુલવાડી દેવામાં આવે છે. હવે તો ભક્તો પણ તેનો ઉલ્લેખ કરતા નથી. જી.એસ.ટી.ની બાબતે આપણા દ્રષ્ટિસંપન્ન વડા પ્રધાનને છેક વરસે રહીને બ્રહ્મજ્ઞાન થયું કે મર્સિડીઝ અને દૂધ ઉપર એક સરખો કર ન લેવાય. જુમલાઓ હવે લોકોને અપીલ કરતા નથી અને શબ્દોની ગોઠવણી કરીને દિવસો કપાતા નથી. સાયબર સેલમાંથી પ્રગટ થતી વિકાસની મીઠી કલ્પનાઓ પેઈડમાંથી અનપેઈડ ઓર્બિટમાં પ્રવેશતાની સાથે જ મુરઝાઈ જાય છે.
તો પછી ચૂંટણી જીતવી કઈ રીતે? એક જ વિકલ્પ બચે છે; વિરોધીઓને બદનામ કરો. ૨૦૧૪માં કોંગ્રેસની અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી, રાહુલ ગાંધીનો તો અપમાન કરવા માટે નામોલ્લેખ પણ કરવામાં નહોતો આવતો અને તેની જગ્યાએ રાજકુમાર, શાહજાદા, બાળક વગેરે શબ્દોથી ઠેકડી ઉડાડવામાં આવતી હતી. વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને એ સમયના ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને મૌની સિંહ તરીકે ઓળખાવવામાં આવતા હતા. ટૂંકમાં ચૂંટણીનો માહોલ એવો હતો કે કોંગ્રેસ શાસન કરવાની લાયકાત ધરાવતી નથી, રાહુલ ગાંધી મંદબુદ્ધિ બાળક છે અને મારી પાસે (નરેન્દ્ર મોદી પાસે) વિચારપૂર્વકનો રોડ મેપ છે. દેશને શેની જરૂર છે અને ક્યાં સુધારા કરવા જોઈએ એની મને ખબર છે. કેટલાક સુધારા કરવા માટે નિ:સ્વાર્થભાવ અને હિંમતની જરૂર છે અને એ પણ હું ધરાવું છું, વગેરે વગેરે.
મતદાતાઓએ ભરોસો મૂક્યો હતો અને બી.જે.પી. કોમવાદી પક્ષ હોવા છતાં તેને સ્પષ્ટ બહુમતી આપી હતી. હવે મતદાતાને અને નરેન્દ્ર મોદીને એમ બન્નેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે કે ૨૦૧૪નું પુનરાવર્તન થવાનું નથી. ૨૦૧૪માં જે ૩૧ ટકા મતદાતાઓએ બી.જે.પી.ને મત આપ્યો હતો તેમાંના મોટાભાગનાની આંખ ઊઘડી ગઈ છે કે ૨૦૧૪માં તેઓ છેતરાયા હતા. વડા પ્રધાનને પણ સમજાઈ ગયું છે કે મતદાતાની નજરમાં હવે તેઓ બાથમાં લેવા જ પડે એવો દેખીતો વિકલ્પ નથી, પણ મતદાતા બીજા વિકલ્પની ખોજમાં છે. આ સ્થિતિમાં શું કરવું તેનો જવાબ તેમની પાસે છે. વિકલ્પોનો અતીત શોધી શોધીને બદનામ કરો. એટલી હદે બદનામ કરો કે અંતે તેઓ પોતે (નરેન્દ્ર મોદી) જ વિકલ્પ તરીકે પાછળ બચે.
ટૂંકમાં ૨૦૧૪માં ઉકરડા સાફ કરવાના વચનો આપવામાં આવ્યા છે અને અત્યારે ઉકરડા ફેંદવામાં આવી રહ્યા છે. ઉકરડા તો હતા ત્યાંના ત્યાં જ છે. શું કામ ઉકરડા સાફ કરવામાં નથી આવતા, એવો પ્રશ્ન જો મનમાં ઉપસ્થિત થતો હોય તો અહીં જ જવાબ જાણી લો. આપણા માટે જે ઉકરડા છે એ શાસકો માટે સત્તા સુધી પહોંચવાની અને ટકી રહેવા માટેની સીડી અને અભયદાન બન્ને છે. આપણા માટે જે ઉકરડો છે એ શાસકો માટે સોનું પકવે છે. ૧૯૭૦ના દાયકાથી દેશ ચાતક પક્ષીની જેમ કોઈ ભડવીરની રાહ જોઈ રહ્યો છે, જે ઉકરડા સાફ કરી આપે, પણ હજુ સુધી એવો કોઈ નેતા મળ્યો નથી.
એમાં કોઈ શંકા નથી કે કૉન્ગ્રેસે અનેક પાપ કર્યા છે, જેની સજા અત્યારે તે ભોગવી રહી છે. કૉન્ગ્રેસે કરેલા પાપોમાં ચાર પાપ મુખ્ય છે. એક, દરેક લોકતાંત્રિક અને બંધારણીય સંસ્થાને કમજોર કરવાનું પાપ. બીજું, રાજકીય સભ્યતા અને નૈતિકતાની લક્ષ્મણરેખાઓને ઓળંગવાનું પાપ. હવે પછી નોંધવામાં આવનારા બે પાપ પહેલા બે પાપોનું જ પરિણામ છે. ત્રીજું પાપ હતું ઇમરજન્સી અને ચોથું પાપ હતું ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં સીખોનો કરવામાં આવેલો નરસંહાર. આ સિવાય બીજા અનેક પાપ ગણાવી શકાય, પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો એ છે કે એ દરેક પાપ પહેલા બે પાપનું પરિણામ હતું. જે ઉકરડા જમા થયા છે, હજુ થઈ રહ્યા છે અને સાફ કરવામાં નથી આવતા, એ પહેલા બે પાપોનું પરિણામ છે. પહેલા બે પાપ આજ પણ અસ્તિત્વ ધરાવે છે. આજે તો સ્થિતિ એવી છે કે એ બે પાપ એકલી કૉન્ગ્રેસના નથી રહ્યા, પરંતુ ભારતીય રાજકારણના બની ગયા છે. દરેક પક્ષ એ પાપ કરે છે.
જવાહરલાલ નેહરુ વિદ્વાન હતા, દ્રષ્ટા હતા, ગાંધીજીના ચેલા હતા, આઝાદીની લડતનો વારસો ધરાવતા હતા અને સૌથી મહત્ત્વની વાત તો એ કે તેમની સામે રાજકીય પડકારો નહોતા એટલે તેમણે લોકતાંત્રિક મૂલ્યોનું જતન કર્યું હતું. લોકતાંત્રિક સંસ્થાઓનું પોષણ કર્યું હતું. સુરક્ષિત હોવાના કારણે તેમને લક્ષ્મણરેખાઓ ઓળંગવી નહોતી પડી. ઇન્દિરા ગાંધી સામે પહેલાં કૉન્ગ્રેસની અંદર સિનિયર કૉન્ગ્રેસીઓ દ્વારા અને એ પછી ભેગા થયેલા વિરોધ પક્ષો દ્વારા પડકારો પેદા થયા હતા. ઇન્દિરા ગાંધીએ સત્તામાં તેમ જ રાજકીય રીતે ટકી રહેવા માટે નૈતિકતાની લક્ષ્મણરેખા ઓળંગી હતી અને લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડી હતી. ૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમરજન્સી આનું કલંકિત પરિણામ હતું.
બે મુદ્દા અહીં ચકાસવા જોઈએ. એક, શું થયું હતું ઇમરજન્સીમાં?
ઇમરજન્સીમાં વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા કે જેથી સરકારની વિરુદ્ધ કોઈ ન બોલે. સંસદમાં હવે કોઈ પ્રશ્ન પૂછે એવું બચ્યું નહોતું. બીજું, ઇમરજન્સીમાં અખબારોનું સ્વાતંત્ર્ય રૂંધવામાં આવ્યું હતું. ત્રીજું, ઇમરજન્સી પહેલાંથી જ ન્યાયતંત્રની કમર તોડવાનું શરૂ થયું હતું અને ચાર, સરકારી ખર્ચે ઇન્દિરા ગાંધીની અને ઇમરજન્સીના ફાયદાઓની વાહવાહ કરવામાં આવતી હતી.
આજે આનાથી શું અલગ થઈ રહ્યું છે? ત્યારે અખબારો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તો આજે મીડિયાને ખરીદવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. બે-ચાર અપવાદ છોડીને ત્યારે મીડિયા ડરી ગયા હતા, તો આજે બે-ચાર મીડિયાને છોડીને બાકીના ડર સાથે વેચાઈ પણ ગયા છે. ત્યારે વિપક્ષી સંસદસભ્યોને જેલમાં ધકેલી દઈને સંસદને બિનઅસરકારક બનાવવામાં આવી હતી, તો આજે સંસદના સત્ર ટૂંકાવીને અને સંસદ ચાલવા નહીં દઈને બિનઅસરકારક બનાવવામાં આવે છે. ત્યારે જે સ્થિતિ ન્યાયતંત્રની હતી એના કરતાં આજે ન્યાયતંત્ર વધારે નિર્બળ અને ગુલામ છે. ત્યારે સરકારી ખર્ચે જેટલી વાહવાહ કરવામાં આવતી હતી, એના કરતાં આજે અનેકગણી વાહવાહ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વતંત્ર વિચારકો, સાહિત્યકારો, સર્જકો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા જે આજે પણ બની રહ્યું છે. એટલે તો આજની સ્થિતિને અઘોષિત ઇમરજન્સી તરીકે ઓળખવામાં આવે છે.
બીજો મુદ્દો એ છે કે કૉન્ગ્રેસે ઘણા પાપ કર્યા છે એની ના નહીં, પણ કૉન્ગ્રેસના ખાતામાં શરમાવું પડે એવી બુઝદિલી નથી. આને કારણે બી.જે.પી. ઇમરજન્સીની યાદ ન અપાવે એમાં ફાયદો છે. તમને ખ્યાલ છે? ઇમરજન્સી લાગુ કરવામાં આવી એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે જેલમાંથી ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમણે ઇમરજન્સીને આવકારી હતી અને ઇન્દિરા ગાંધીના ૨૦ મુદ્દાના કાર્યક્રમનાં વખાણ કરીને ઓફર કરી હતી કે જો અમને જેલમાંથી છોડવામાં આવશે, તો સંઘના સ્વયંસેવકો ૨૦ મુદ્દાના કાર્યક્રમના પ્રચારનું કામ ઉપાડી લેશે. જો કોઈ ભક્તો ખાતરી કરવા માગતા હોય, તો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ તેમના પુસ્તકમાં દેવરસનો પત્ર ટાંક્યો છે.
કૉન્ગ્રેસના પાપની સાથે આપણી બુઝદિલી પણ પ્રગટ થાય છે. વડા પ્રધાને જરાક નફા-તોટાનો હિસાબ માંડવો જોઈએ. જો કે ગણતરી એવી પણ હોય કે બુઝદિલી ક્યાં જગતથી અજાણી છે. આઝાદીના આંદોલનથી અત્યાર સુધીના ઇતિહાસમાં એ પ્રગટ થઈ ગઈ છે.
સૌજન્ય : ‘કારણ તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2018