‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’માં ગાંધીજીએ તેમનો જન્મ “સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે” (પૃષ્ઠ-૩) થયાનું લખ્યું છે. તેમણે જન્મસ્થળ “પોરબંદર અથવા સુદામાપુરી” જણાવ્યું છે. નેશનલ હોલિ ડે તરીકે સરકારી રાહે ગાંધીજીનો જન્મ દિવસ બીજી ઑકટોબરે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હવે તો તેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઘોષિત કર્યો છે. પરંતુ ગાંધીજી આત્મકથામાં તેમના જન્મ દિવસ તરીકે ઈસુ વરસના અંગ્રેજી મહિનાની બીજી તારીખને બદલે વિક્રમ સંવત પ્રમાણેના દેશી મહિનાની તિથિને પ્રાથમિકતા આપે છે એટલું જ નહીં જન્મસ્થળ પોરબંદરની સુદામાપુરી તરીકે ઓળખ લખવાનું પણ ચુકતા નથી.
ગાંધીજીના પિતા દિવાન હતા, પરંતુ તેમના માતાપિતાએ તેમના કોઈ સંતાનોનો જન્મ દિવસ કદી મનાવ્યો નહોતો. ગાંધીજીના લેખનમાં તેઓ જન્મ દિવસની ઉજવણી પ્રત્યે ઉદાસીન હોવાની છાપ જરૂર ઉઠે છે, પરંતુ વધુ ખણખોદ કરતાં જણાય છે કે જન્મ દિવસની ઉજવણી બાબતે તેમના વિચાર અને આચાર સંમિશ્ર હતા. બીજી ઑકટોબર ૧૯૧૯ના તેમના જન્મની સુવર્ણ જયંતીનો સમારોહ મહિલા સંગઠન ભગિની સમાજે મુંબઈમાં ઉજવ્યો તેમાં તેઓ હાજર હતા અને રૂ.૨૦,૧૦૦ની થેલી અર્પણ થઈ હતી તે સ્વીકારી હતી. તેમની હયાતીમાં તેમના વિરોધ છતાં તેમના જન્મ દિને તેમનાં પૂતળાં મૂકાયાં હતા અને તસ્વીરોના અનાવરણ થયાં હતા. સાથીઓ અને નેતાઓને જન્મ દિનની શુભેચ્છા પાઠવવાનો શિષ્ટાચાર તેઓ અચૂક પાળતા હતા. આજે નેતાઓ ટ્વીટ કરીને જન્મ દિવસની શુભેચ્છા આપે છે. ગાંધીજી ઘણી વાર આ કાર્ય કેબલ મારફત કરતાં હતા. આ કેબલ તેમણે રાણી વિકટોરિયા અને કિંગ એડવર્ડ સાતમાને પણ કર્યા હતા ! કેટલાકના જન્મ દિન સમારોહની તેમણે અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષગાંઠે જેલમાં અને દેશબહાર પણ રહ્યા છે. જો કે તેમણે અવારનવાર “મને મારા જન્મ દિનની ઉજવણીમાં કોઈ રસ નથી. કોઈ પણ બીજા દિવસ જેટલો જ આ દિવસ પણ સારો કે ખરાબ હોઈ શકે છે. જન્મ દિન ખરેખર તો જિંદગીનો એક દિવસ ઓછો થયાના દુ:ખનો દિવસ છે”, તેમ પણ લખ્યું છે.
જન્મ દિન પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા સેવતા મહાત્મા ગાંધી ૧૯૨૩માં ભાદરવા વદ બારસના તેમના જન્મ દિનને ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવા અપીલ કરે તે ન માન્યામાં આવે તેવું છે. પણ આ હકીકત છે. અને તેનું કારણ રેંટિયા કે ચરખા પ્રત્યેનો તેમનો અનન્ય લગાવ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો નેતા હશે જેણે ગાંધીજીની જેમ ઉત્પાદનના સાધનને ચળવળનું હથિયાર બનાવ્યું હોય !
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના ખાદી કે હાથવણાટનાં કાપડને બદલે આધુનિક યંત્રોથી બ્રિટનની મિલોમાં તૈયાર થયેલાં સસ્તાં કાપડથી ભારતના બજારો ભરી દીધા હતા. તેને કારણે હાથવણાટની પરંપરા અને બજાર બંને નષ્ટ થયા હતા. એટલે તેનું પુનનિર્માણ ગામને બેઠા કરશે અને ગરીબી ભાંગશે તે બાબતથી ભલીભાંતી વાકેફ મોહનદાસ ગાંધીના દિલોદિમાગમાં તેમણે સાળ કે રેંટિયો જોયા નહોતા કે તેની વચ્ચેનો ભેદ બરાબર જાણતા નહોતા ત્યારથી છવાયેલા હતા. એટલે જ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’માં તેમણે રેંટિયાનો વિચાર મૂક્યો હતો.
અમદાવાદના કોચરબ અને સાબરમતી આશ્રમમાં રેંટિયો અને સાળ પહોંચે અને ખાદી જન્મે તે માટે ગાંધીજી આતુર હતા. મગનલાલ ગાંધીને તેમણે હાથવણાટનું કામ શિખવા મદ્રાસ મોકલ્યા હતા અને લાઠીથી રામજીભાઈ બઢિયાને આશ્રમ તેડાવ્યા હતા. ગાંધીજીએ રેંટિયો શોધી કાઢવાનું કામ ‘મહાસાહસી મહિલા’ ગંગાબહેન મજમુદારને સોંપ્યું હતું અને ગંગાબહેને ગાંધીજીના શબ્દોમાં, ‘દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયોની શોધમાં સારી પેઠે ભટક્યા પછી’ ગાયકવાડના વિજાપુર(હાલના મહેસાણા જિલ્લાનું તાલુકા મથક)માંથી મેડે ચડાવી દીધેલો રેંટિયો શોધી કાઢ્યાનું ગાંધીજીએ આત્મકથાના ‘મળ્યો’ શીર્ષક હેઠળના પ્રકરણમાં લખ્યું છે. (પૃષ્ઠ-૪૭૫)
હસ્તચાલિત સાધન રેંટિયાથી રૂની પૂણીમાંથી કાંતીને સૂતર તૈયાર કરવાનું હોય છે. તે પછી સાળ પર વણાટ થાય અને ખાદીનું કાપડ જન્મે. અંગ્રેજોએ તેમની જે સામ્રાજ્યવાદી વિચારસરણી હેઠળ ભારતને આર્થિક રીતે ભાંગી નાંખ્યું હતું તેની સામેનો ગાંધી પ્રતિકાર રેંટિયો હતો. ચંપારણમાં અને બીજે ગાંધીએ મહિલાઓની કંગાલિયત નજરે જોઈ હતી. તેમની ગરીબી ફેડવાનું સાધન રેંટિયો હતું અને સ્વરાજનું પ્રતીક પણ. આર્થિક આત્મનિર્ભરતાના મજબૂત ઓજારરૂપ ચરખાને ગાંધીજીએ દેશની એકતા, અહિંસા અને સ્વરાજના શક્તિશાળી હથિયાર તરીકે પ્રયોજ્યો હતો.
જવાહરલાલ નહેરુ ખાદીને સ્વરાજનો પોશાક કહેતા હતા. મહાસભાએ (કાઁગ્રેસે) ખાદી અને રેંટિયાને અપનાવવા ઠરાવો કર્યા હતા. ગાંધીજીના રચનાત્મક કામોમાં તે સામેલ હતા. હિંદુસ્તાનના દરેક ઘરે ચરખાનું સંગીત ગૂંજે એવી મહાત્મા ગાંધીની ખ્વાહિશ હતી. ૧૯૨૧માં કાઁગ્રેસ મહાસમિતિએ વીસ લાખ નવા ચરખા બનાવવા અને તેનો આખા દેશમાં ફેલાવો કરવાનું નક્કી કર્યું હતું. ૧૯૨૫માં અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના થઈ હતી. દરેક લોક રોજ અડધો કલાક કાંતે તો સ્વરાજ ઢુકડું છે તેવો ગાંધીજીનો સંદેશ હતો. તે પ્રમાણે અમલ પણ થઈ રહ્યો હતો. છેક ડિસેમ્બર ૧૯૨૬થી ગાંધીજીએ વાતો કરતાં કરતાં કાંતવાનું ચાલુ રાખવાની ટેવ પાડી હતી.
એટલે ગાંધીજી તેમના જન્મ દિવસ સાથે રેંટિયાને જોડે તે સહજ હતું. જો કે સર્વસત્તાધીશ મનાતા ગાંધીની ‘રેંટિયા બારસ’ મનાવવાની અપીલ છેક દસ વરસે અમલી બની હતી. ચંદુલાલ ભગુલાલ દલાલ સંગૃહિત ‘ગાંધીજીની દિનવારી’માં ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ ના દિવસ અંગે લખ્યું છે. “આજે તિથિ મુજબ ગાંધીજીની વર્ષગાંઠ. આ દિવસ ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવાનું ઘણે ભાગે આજથી શરૂ થયું“ (પૃષ્ઠ ૩૫૭). ગાંધીજીએ પોતાની વર્ષગાંઠને ઘણા ગજના સૂતર કાંતવાના અવસરમાં બદલી નાંખ્યો હતો. મગનલાલ ગાંધીએ બીજી ઓકટોબર અને ભાદરવા વદ બારસના દિવસોને સાંકળીને ખાદી સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું. ખાદીનું વેચાણ અને ઉત્પાદન વધારવાનો આ ઉજવણીનો હેતુ હતો. આ સંદર્ભમાં, ‘મને મારા જન્મદિવસનું આ પ્રમાણે શોષણ થાય તે મંજૂર છે’ તેમ ગાંધીજીએ કહ્યું હતું.
રેંટિયા કે ખાદીથી સ્વરાજ મળે તે ઘણા દેશા નેતાઓને એ સમયે પણ સ્વીકાર્ય નહોતું. સપ્ટેમ્બર ૧૯૨૫ના ‘મોર્ડન રિવ્યુ’માં પ્રગટ કવિ રવિન્દ્રનાથ ટાગોરનો લેખ ‘રેંટિયાનો સંપ્રદાય’ અને ૫ નવેમ્બર ૧૯૨૫ના ‘યંગ ઈન્ડિયા’માં ‘ કવિ અને ચરખો’ મથાળે ગાંધીજી આપેલો જવાબ આ સંદર્ભે નોંધપાત્ર છે.
આજની એકાણુમી રેંટિયા બારસે સ્વરાજ, ખાદી, એકતા, ભાઈચારો અને રેંટિયાની હાલત વિશે વિચારતાં આઝાદી પછીનો પહેલો અને જિંદગીનો છેલ્લો (ચુમોતેરમો) જન્મ દિન ગાંધીજીએ દિલ્હીમાં મનાવ્યો હતો તે સાંભરે છે. બીજી ઓકટોબર ૧૯૪૭ના જન્મ પર્વે ગાંધીજીને જન્મદિનની મુબારકબાદી આપવા આવેલાને ભાગલા પછીના કોમી રમખાણો ખાસ નોઆખલી અને દિલ્હીની સ્થિતિ સંદર્ભે ગાંધીજીએ કંઈક એ મતલબનું કહેલું કે આજની સ્થિતિ જોઈને લાંબુ જીવવાની હવે મને કોઈ ઈચ્છા નથી. તમારા જન્મદિનના અભિનંદનને ખરખરો કહેવો મને વધુ યોગ્ય લાગે છે. ૧૧મી ઓકટોબર ૧૯૪૭ એટલે ભાદરવા વદ બારસ, જીવિત ગાંધીજીની છેલ્લી રેંટિયા બારસના દિવસે, તેમણે જન્મ દિવસ ઉજવવાને બદલે ઉપવાસ કર્યો હતો ! સરકારી રાહે મનાવાતા આઝાદીના અમૃતકાળ અને ગાંધી સપ્તાહના વર્તમાન દિવસોમાં ગાંધી હયાત હોત તો એમનો પ્રતિભાવ શું આના કરતાં લગીરે જુદો હોત ?
e.mail : maheriyachandu@gmail.com