જીહા, અમીનાબહેન આદમ ઘોડીવાળા ખાકે સુપર્દ થયાં. મરહૂમ થયાં. આપણી વચ્ચેથી રુખસત લીધી.
અમીનાબહેન વલ્લભ વિદ્યાનગર ત્રણેક દાયકા રહ્યાં હશે. આદમ માસ્તર કહેતાં અધ્યાપક આદમ ઘોડીવાળાના આણંદ અને વિદ્યાનગરના જુદા જુદા રહેઠાણોને બહુ જલ્દીથી ઘર બનાવી દેનાર અમીનાબહેનના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો મારા સહિત અદમભાઈના મોટી સંખ્યાના મિત્ર વર્તુળને વધારે ઓછો પણ અચ્છો પરિચય. પતિના બહુર્મુખી વ્યક્તિત્વની સાથે / સમાંતરે ઊભી રહી શકે તેવી એમની પોતાની છબી. એ પોતે આંતરમુખી; ઓછાબોલાં. પરંતુ એમના આવકારના, આદરભાવથી બોલાતા ભરૂચની બોલશાવાળા બોલનું વ્હાલ આપણને અડે. ભીંજવે. વાને ઘઉંવર્ણા અદમના કરતાં અમીનાબહેન ઠીક ઠીક ગોરાં. ઈંગ્લેન્ડ વસવાટ પછી તો યુરોપિયન બોર્ન મુસ્લિમ વુમન લાગે. અદમની શૈક્ષણિક અને સાહિત્યિક ઊંચાઈને આંબી શકે તેવું એમનું એકેડેમીક ક્વૉલિફિકેશન કદાચ ન હતું પરંતુ ઘઉંની કણેક જેવા ઉજળા વાનમાં આપણા અદમથી તેઓ ચડિયાતાં લાગે. ઊંચાઇમાં તો અદમભાઇનાં સમોવડિયાં. પતિના અતિવ્યસ્ત અધ્યાપકીય તથા જાહેર જીવન માટેની જરૂરી મોકળાશ એમણે જે કરી આપેલી તે … તથા, અદમના બચરવાળ પરિવારને જે રીતે ઉછેર્યો/જાળવ્યો/ પરણાવ્યો તેમાં તથા, તમામના શાદી-બ્યાહના મામલે અમીનાબાનુની કોઠાસૂઝથી સ્કૉલર કવિ અધ્યાપકને ઘણી મોટી રાહત થયેલી. અહીં અને ત્યાં ઈંગ્લેન્ડમાં પણ ઘરબહાર ઝાઝું રહેતા અદમભાઇના ઘરપરિવાર કે સંતાનો અને અન્ય સર્વે નિર્ણાયક વ્યવહારો પર અમીનાબહેનની સહી જોઇ શકાય. ગુજરાતી ભરૂચની મુસ્લિમ તહેજીબ છેક લગી તેમનામાં જળવાઈ રહેલી. તેઓ અદમભાઇની જેમ ભલે અમારે ત્યાં આવ્યાં ગયાં નથી, પરંતુ જ્યારે અમે એમને મળતા ત્યારે એ; અનસૂયા કે ગોપીબહેન કે ગીતાબહેન અને અમારાં સંતાનોને યાદ કરતાં.
દિવસની પાંચે પાંચ નમાજ બિનચૂક અદા કરનાર અમીનાબહેન જેટલાં મજહબી હતાં, એટલાં એમના સગાં વહાલાં માટે એમના અનુભવી અભિપ્રાયોને ન અવગણી શકાય તેવાં કોઠાસૂઝવાળાં હતાં. અમારા જેવા અદમભાઇના બિન- મુસ્લિમ મિત્રો માટે એમનો મીઠો આવકાર એક સંભારણું બની રહેશે હવે. અદમભાઇના કારણે અમારો – મારો અને ચતુર પટેલનો – ૧૯૯૫ની સાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ ભલે શક્ય બન્યો, પરંતુ સફળ અને સાર્થક થયો અમીનાબહેનને કારણે. અમને બંને મિત્રોને એમણે, ઈંગ્લેન્ડના એમના બોલ્ટનના એક બેડરૂમના નાના હાઉસમાં જે રીતે સમાવી લીધેલા તે… ત્યાંના કલ્ચર પ્રમાણે ત્યાંના નિવાસીઓને માટે અગવડભર્યુ ગણાય. મિત્રો, બોલ્ટનમાં અમીના બહેનના ઘરે જેટલા દિવસ; ટુકડે ટુકડે એ પ્રવાસના ત્રીસેક દિવસમાં અમારા ચ્હા – નાસ્તા કે વેજિટેરિયન ખાનપાન માટે, ખાસ તો સબ્જી કહેતાં શાકભાજી માટે હું અને ચતુરભાઇ આટલાં વર્ષો પછી એ તો ખાસ કહીશું કે, એમણે અમને માફક આવે એવી રસોઈ અને સબ્જી તો બનાવી જ હોય પરંતુ એ રીપીટ પણ ન થાય તેની કાળજી રાખી હતી. જુદું જુદું અવનવું શાક એ ગમે ત્યાંથી શોધી કે મંગાવી લાવે. અદમભાઇ વહેલી સવારે એમની સ્કૂલે જાય અને બપોરે આવે ત્યાં સુધી અમારી સાથે શરૂઆતમાં ખપ પૂરતી વાત કરતાં અમીનાબહેન પાછળથી ખુલાસી અને મૉકળાપણે વાત કરતાં. તેમને ત્યાંથી નીકળતી વખતે અમે તેમને : તમને અમે ઘણી તકલીફ આપી એવું કહેતાં રોકી; ઊલટાના તમને બંનેને તો હજુ ય છ મહિના રખાય …" એવી માર્મિક વાત અગાઉ આવી ગયેલા એમના મહેમાનોએ કરાવેલા જરા અલગ અનુભવોના અનુસંધાને ત્યારે કહ્યું હતું.
અમે ઇંગ્લેન્ડ જઇ આવ્યા પછી, આપણા મૂર્ધન્ય કવિ હરીશ મિનાશ્રુ ઈંગ્લેન્ડ ગયેલા. અમીનાબહેને એમની સાથે અનસૂયા માટે સરસ મજાનું રૂપકડું લેડીઝ ઘડિયાળ મોકલેલું, જે આજે ય સાચો ટાઇમ બતાવવાની સાથે અમીનાબહેનની યાદ પણ અપાવે છે. કોઇને એ ઓછાબોલાં અવશ્ય લાગે પરંતુ બધું સઘળું એમની જાણકારીમાં હોય; નજર બહાર કશું ન હોય. અદમભાઇ અગર ઉત્તમ કવિ અધ્યાપક છે તો, અમીનાબહેન ઉત્તમ ગૃહિણી હતાં એ બાબત અદમભાઇ સહિત સહુ સ્વીકારશે.
એક પાક સાફ મજહબી ગુજરાતી મુસ્લિમ મહિલાને એમનો ખુદા એમને રાબીઆની પંગત સંગતમાં બેસાડે એવાં અમીનાબાનુ સદા સ્મરણમાં રહેશે.
સૌજન્ય : અશોકપુરી ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 11 સપ્ટેમ્બર 2021