આખા દેશની પ્રજા માટે એક સરખો કાયદો હોય અને એક જ ભાષામાં રાજકીય/સામાજિક વ્યવહાર ચાલતો હોય અર્થાત્ એક રાષ્ટ્રભાષા હોય એ બન્ને કલ્પનાઓ મનભાવક છે. આ બન્ને કલ્પનાઓ દેશમાં પહેલીવાર આજકાલના રાષ્ટ્રવાદી દેશભક્તો કરી રહ્યા છે અને કૉન્ગ્રેસ તેનો વિરોધ કરતી હતી એમ જો તમે માનતા હોય તો એ તમારું અજ્ઞાન છે. આ બન્ને કલ્પનાઓ પહેલીવાર છેક ૧૯મી સદીમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારે જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભારતની દરેક કોમ માટે એક સરખા કાયદા હોય તેનો વિરોધ ઇસ્લામીસ્ટોએ, હિન્દુત્વવાદીઓએ અને વિવિધ ધર્મોના બીજા ઠેકેદારોએ કર્યો હતો. હકીકતમાં ૧૮૫૭માં જે વિદ્રોહ થયો એની પાછળનાં કેટલાંક કારણોમાં મુખ્ય કારણ અંગ્રેજો દ્વારા ભારતની ધાર્મિક/સામાજિક બાબતોમાં કરવામાં આવતી દખલગીરી હતું. અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો, તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવા પર પ્રતિબંધ મૂક્યો વગેરે. સૈનિકોને આપવામાં આવતી એનફિલ્ડ રાયફલના ગુન્દામાં ગોમાંસ કે ડુક્કરનું માંસ વાપરવામાં આવે છે અને એ રીતે અંગ્રેજો હિંદુઓ અને મુસલમાનોને વટલાવી રહ્યા છે વગેરે પ્રકારની માન્યતાઓ ત્યારે દ્રઢ થઈ હતી. આ ઉપરાંત હિન્દુઓને અને મુસલમાનોને એમ લાગતું હતું કે તેમનો ધર્મ સંપૂર્ણ છે એટલે તેમાં કોઈ સુધારાઓની જરૂર જ નથી. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બે કામ પડતાં મૂક્યાં: એક તો રિયાસતોને ખાલસા કરવાનું બંધ કર્યું અને બીજું દરેક કોમમાં સામાજિક સુધારાઓ કરવાનું બંધ કર્યું.
૧૮૫૭નો વિદ્રોહ આઝાદી માટેનો હતો અને એ પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ હતું એ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ઉમેરેલો દેશપ્રેમ છે. એ અંગ્રેજો કહે છે એમ એ સિપાઈઓનો સાવ બળવો પણ નહોતો અને રાષ્ટ્રવાદી ઇતિહાસકારો કહે છે એમ પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ પણ નહોતું. એ વિદ્રોહ હતો જેના મૂળમાં મુખ્યત્વે ધર્મપ્રેમ અને કાંઈક અંશે દેશપ્રેમ હતો. આપણી આજની ચર્ચાનો મુદ્દો આ નથી એટલે એ વાત જવા દઈએ.
હા, એટલું નક્કી કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો જે સામાજિક સુધારાઓ આજ સુધી નથી થયા એમાંના મોટાભાગના ત્યારે થઈ ગયા હોત. અંગ્રેજોએ કોઈના મત માગવા જવાનું નહોતું એટલે કોઈના અનુનયની જરૂર નહોતી. જો ૧૮૫૭નો વિદ્રોહ ન થયો હોત તો દેશભરમાં દરેક પ્રજા માટે એકસરખા કાયદા હોય એ માટેની અનુકૂળ ભૂમિ પણ બની ગઈ હોત અને ત્રીજું જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો ભારતમાતાના શરીર પર રિયાસતોના નામનાં જે ૫૫૬ ગુમડાં ટકી રહ્યા એનો અંત આવી ગયો હોત. એ સ્થિતિમાં સૌથી મોટો લાભ ગુજરાતને અને સૌરાષ્ટ્રને થયો હોત. ભારતની કુલ ૫૫૬ રિયાસતોમાંથી અડધી ગુજરાતમાં હતી અને એકલા સૌરાષ્ટ્રમાં ૨૨૨ હતી. ગુજરાતીઓના માનસ પર હજુ પણ મધ્યકાલીન મૂલ્ય વ્યવસ્થાના જે જાળાં બાઝેલાં છે એ ૧૮૫૭ના વિદ્રોહના પરિણામે ટકી ગયેલી રિયાસતોનું પરિણામ છે. રિયાસતોના કારણે આધુનિકતા ગુજરાતમાં સમયસર અને મોટા પ્રમાણમાં પ્રવેશી શકી નહોતી. અહીં આપણે એ ચર્ચા પણ પડતી મૂકીએ.
સમગ્ર ભારતની પ્રજા માટે એક ભાષા હોય એનો પણ ૧૯મી સદીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલો સવાલ તો એ હતો કે કઈ ભાષા? આજે આપણે જેને હિન્દી ભાષા તરીકે ઓળખાવીએ છીએ એ ખડી બોલી ત્યારે વિકસાવવામાં આવી રહી હતી અને વિકસાવવાની એ પ્રક્રિયા સામે જ ઉત્તર ભારતમાં કેટલાક લોકો વિરોધ કરતા હતા. શા માટે ખડી બોલી ખાતર અમારે અમારી અવધી ભાષાને હોમી દેવી જેમાં તુલસીદાસે રામચરિતમાનસ લખ્યું છે? આવો સવાલ ભોજપુરી, મૈથિલી અને બીજી ભાષાવાળાઓ પણ કરતા હતા. બીજું સંસ્કૃત, અરબી અને પર્શિયનના મિશ્રણથી બનેલી હિન્દુસ્તાની ભાષા દેશભરમાં વત્તાઓછા પ્રમાણમાં ચાલતી હતી, જે હિંદુ-મુસ્લિમ અને ઉત્તર-દક્ષિણ એમ મહદ્દઅંશે સ્વીકાર્ય પણ હતી. સ્વીકાર્ય હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર હિન્દી ભાષા વિકસાવવામાં આવતી હતી જેનો પ્રાદેશિક ભાષાવાળાઓ, મુસલમાનો અને દક્ષિણ ભારતીયો વિરોધ કરતા હતા. ખડી બોલી વિકસાવવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમ દ્વેષ હતું અને એટલા માટે હિન્દી ભાષાને સંસ્કૃતપ્રચુર કરવામાં આવી હતી જેના પરિણામે દક્ષિણ ભારતે તેનો અસ્વીકાર કર્યો હતો. તેમને એમ લાગ્યું હતું કે દક્ષિણની દ્રવિડ સંસ્કૃિત પર ઉત્તરની આર્ય સંસ્કૃિત લાદવામાં આવી રહી છે.
તો વાતનો સાર એટલો કે આખા દેશની તમામ પ્રજા માટે એક સરખા કાયદા હોય અને એક જ ભાષા હોય એની તજવીજ ૧૯મી સદીથી થવા લાગી હતી, પરંતુ ૧૮૫૭ના વિદ્રોહના કારણે અને મુખ્યત્વે ભારતીય પ્રજાની અંદરના આંતરિક વિખવાદના કારણે સમંતિ બની શકી નહોતી. સંભાવના એવી ખરી કે જો મિશ્રિત ભાષા હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર શુદ્ધ હિન્દીનો આગ્રહ રાખવામાં ન આવ્યો હોત, તો કદાચ હિન્દુસ્તાની રાષ્ટ્રભાષા બની શકી હોત. બે બિલાડીઓની લડાઈમાં વાંદરો રોટલી ખાઈ ગયો એમ અંગ્રેજી ભાષા અત્યારે જે રાજ કરે છે એવું ન બન્યું હોત. આજે હિન્દી ભાષા સત્તાવાર ભાષા છે, રાષ્ટ્રભાષા નથી અને એ પણ અંગ્રેજીની સામે ઓરમાયું સ્થાન ધરાવે છે.
પચરંગી સમાજમાં બહુમતી પ્રજા સંખ્યાના જોરે દુરાગ્રહ રાખે તો આવું થાય. સંખ્યા દરેક બાબતે નિર્ણાયક નીવડે છે એવું નથી હોતું. વધુમાં વધુ તમે સત્તા કબજે કરો, કાયદો ઘડી કાઢો પણ તેને સ્વીકૃત કેવી રીતે કરાવો? પ્રજા જ્યાં સુધી કોઈ ચીજ સ્વીકારે નહીં ત્યાં સુધી તે સ્વીકાર્ય ન બને. આપણી કાયદાપોથીમાં ઘણા એવા કાયદા છે જે માત્ર અસ્તિત્વ ધરાવે છે, પ્રજાકીય સ્વીકૃતિ નથી ધરાવતા. સત્તાવાર રાજભાષા હિન્દી આનું ઉદાહરણ છે. એક દેશ એક ભાષાનું કાસળ નીકળી ગયું એને માટે ઉત્તર ભારતના ભદ્ર વર્ગના હિંદુ અસ્મિતાના ઠેકેદારો જવાબદાર છે. અસ્મિતાઓના દુરાગ્રહોના કારણે આપણે બસ ચૂકી ગયા.
ત્યારે આપણે ભલે બસ ચૂકી ગયા, પણ દેશહિતમાં તેને પકડવી તો જોઈએ જ. તો પછી વિકલ્પ શું છે? એક દેશ એક કાયદાની દિશામાં કાયદા પંચે ૩૧મી ઓગસ્ટે ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’ નામનો એક પેપર દેશની જનતા સમક્ષ ચર્ચા માટે રજૂ કર્યો છે. આહ્વાન રાષ્ટ્રીય ચર્ચાનું છે એટલે આપણે પણ તે વિષે ચર્ચા કરવી જોઈએ જે આવતીકાલે કરીશું.
એક વાત ગાંઠે બાંધી લો: રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચૂકી જવાનો વારો આવે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 સપ્ટેમ્બર 2018