ગયા અઠવાડિયે દેશ આખામાં જાણે કે ઈડરિયો ગઢ જીત્યા હોય, એવો દેશભક્તિનો નશો ચઢેલો કે ચઢાવેલો ઠેર ઠેર દેખાતો હતો. ટીવીના પડદે, ટીવી સૂત્રધારો જાણે કે પોતે જ સેનાપતિ હોય એમ બૂમબરાડા પાડી યુદ્ધનાં નગારાં ઠોકી રહ્યા હતા. હાથમાં ત્રિરંગા ઝંડા ફરકાવતા ને પેટ્રોલના ધુમાડે મોટર સાયકલો પરની શહેરી યુવાનોની રેલીઓ જોવા મળતી હતી અને ત્યારે આ અવાજમાં જેની લગીરે તતૂડી સંભળાતી ન હતી, એવા કરોડો ગ્રામીણ મજૂરોનો મહિનાઓથી ચાલી રહેલા નિર્ધનતા સામેનો જંગ જારી હતો.
અને એ રોજગાર હક્ક-અધિકાર માટેના યુદ્ધના એક હિસ્સા તરીકે તેમણે દેશભરના જુદા જુદા દસ રાજ્યોમાં 150 જેટલાં પોલીસ સ્ટેશનો પર દેશના વડાપ્રધાનને જ ખુદ મુખ્ય જવાબદાર ગણી તેમની સામે કલમ 116 અને 420 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો.
અલબત્ત, મોટાભાગના પોલીસસ્ટેશનોએ આ પોલીસ ફરિયાદ નોંધવાની જ ના પાડી દીધી. કેટલાક પોલીસ સ્ટેશનોએ ફરિયાદ લઇ તેની જાણવા જોગ નોંધ કરીએ છીએ એમ કહી ફરિયાદ કરવા આવનાર ગ્રામીણ મજૂરોને રવાના કરી દીધા.
મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના [THE MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE ACT 2005] અંતર્ગત શ્રમકાર્ય કરાવ્યા બાદ પંદર દિવસમાં તેનું ચૂકવણું મજૂરને કરી દેવાનો નિયમ છે, પરંતુ કેટલાક રાજ્યોમાં તો ગયા ઓક્ટોબ થી ચુકવણું થયું નથી અને આ વર્ષે પણ બજેટમાં જે નાણાં મંજૂર થયા છે તે બાકીના ચૂકવણામાં જ ખતમ થઇ જાય એમ છે, એટલે થાકી હારીને આ મનરેગા યોજનામાં મજૂરી કામ કરનારાં દેશનાં 11,85,25,626 જેટલાં ગ્રામમજૂરો વતી નરેગા સંઘર્ષ મોરચાએ છેવટે પોલીસ સ્ટેશનોમાં આ એફ.આઈ.આર. દાખલ કરાવવાનો કાર્યક્રમ આપ્યો.
દેશભક્તિને યુદ્ધના ઉન્માદ સાથે, દેશનો એકમાત્ર જીવનમરણનો સવાલ આતંકવાદ હોય એમ માની ટીવી ચેનલો, છાપાંઓ અને સોશ્યલ મીડિયામાં પણ દેશના બેટંક ભોજન માટે મથામણ કરતાં આ કરોડો ગ્રામીણ મજૂરોની સમસ્યાઓને વાચા આપવાનો ખાસ પ્રયત્ન થયેલો જોવા મળ્યો નહીં.
ગ્રામીણ મજૂરોની આ લડાઇને, જેમાં કરોડો મજૂરોના હિત સંકળાયેલા છે, જીવતર જોડાયેલું છે તેને ટીવીના પડદે મહત્ત્વના સમાચાર તરીકે દેખાડવાનું મહત્ત્વ કોઈને લાગ્યું નહીં, તે પણ આપણા દેશનાં મીડિયા મહદ્દ અંશે કોર્પોરેટગૃહોના ખિસ્સામાં છે તેની કમાલ જ ગણાશે.
ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, મનરેગા યોજના, લોકશાહી વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં ‘રાઈટ ટુ વર્ક’ એટલે કે દરેક પુખ્ત વયની વ્યક્તિને કામ મેળવવાનો અધિકાર છે અર્થાત્ દરેક વ્યક્તિને રોજગારી આપવાની જવાબદારી સરકારે સ્વીકારી અને તે અંગેનો કાયદો પણ 2005માં બનાવવામાં આવ્યો અને તેનાં અમલીકરણ માટે આ મનરેગા યોજના બનાવવામાં આવી અને 2008 સુધીમાં તો દેશમાં તમામ રાજ્યોમાં તેનો અમલ શરૂ કરાયો.
દેશનાં દરેક પરિવારને સામાજિક સલામતી મળી રહે તે આ યોજનાનો આદર્શ છે. અને તેને લઈને જ દેશમાં જરૂરી એવાં કામો ખાસ કરીને રોડ કેનાલ, તળાવ, કૂવા, પાણીસંચય, દુકાળ રાહત અને પુરનિયંત્રણનાં કામો ઊભાં કરી ઘરથી પાંચ કિલોમીટરનાં અંતરમાં જ વર્ષના 100 દિવસ રોજગાર મળી રહે તેવું આ યોજનાનું ધ્યેય છે.
ગયા વર્ષની વાત કરીએ તો,2018-19માં 11.85 કરોડ વ્યક્તિઓને રોજગાર અપાયો એટલે કે 234.29 કરોડ માનવદિવસની મજૂરી ઉત્પન્ન થઈ, 4.98 કરોડ પરિવારો યોજનાથી લાભાન્વિત થયાં. અને ખાસ તો આ રોજગારીનાં કામોથી ચાર કરોડથી વધુ અસ્ક્યામતો ઊભી થઈ.
રોજગાર યોજનાની વિશાળતાની દૃષ્ટિએ આ દુનિયાની સૌથી મોટી રોજગારીની યોજના, સામાજિક સલામતીની યોજના ગણાય છે.
આપણાં દેશમાં આમ પણ મોંઘવારી અને મહદ્દ અંશે કુદરત આધારિત ખેતી હોવાનાં કારણે, પિયતની પણ અપુરતી સુવિધાઓ હોવાને લીધે કૃષિપાકો ધાર્યાં પ્રમાણમાં થતાં નથી અને આંતરરાષ્ટ્રીય બજારો અને દલાલોનું વર્ચસ્વ હોવાથી સમયસર યોગ્ય મૂલ્ય મળતું નથી, અને ક્યારેક ખેતી બોજારૂપ યા દેવાંનાં ભાર હેઠળ ખેડૂતોને દબાઈ દેનારી બની રહે છે. અને આવાં સમયે આવી ખેતીની મજૂરી પર નભતાં જમીન વિહોણા ખેતમજૂરો અને સીમાંત ખેડૂતો માટે આ રોજગાર ગેરંટી યોજના કુટુંબના ભરણપોષણ માટે મહત્ત્વની બની રહે છે.
અત્યારે આપણાં ગુજરાતમાં 312 રૂપિયા રોજ લઘુત્તમ વેતન છે અને આ રોજગાર યોજના હેઠળ તેનાં કરતાં ઓછાં એટલે કે 179.35 રૂપિયા રોજ ચૂકવાય છે.
આ એક ના ગમે તેવી મજૂરવિરોધી નીતિ હોવાં છતાં, જ્યારે કોઈ જ રોજગાર ના હોય ત્યારે દેશભરના કરોડો કામદારો માટે બે ટંક માંડ માંડ રોટલા ભેગા થવા માટે ય આ યોજના આશિર્વાદ રૂપ છે.
વળી, આપણા મજૂર કાયદાઓના અમલ પણ એટલાં ઢીલાં છે કે મોટા સમૃદ્ધ ખેડૂતો જ્યાં ખેતમજૂરો પાસે ખેતી કરાવે છે ત્યાં બારેમાસ રોજગારી તો આપતાં જ નથી, પરંતુ લઘુત્તમ વેતનથી ય ઘણી ઓછી રોજગારી ચૂકવે છે તે પણ વાસ્તવિકતા છે.
આ રોજગાર ગેરંટી યોજના હેઠળ દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિને કામ આપવાની સરકારની જવાબદારી હોવાને કારણે જો ખેડૂત પુરતો રોજ ના આપે તો તેના માટે મનરેગા યોજનાના કામમાં જવાનો વિકલ્પ ખૂલ્લો રહે છે, જેને લઈ મજૂરોની અછત સર્જાતા તેનાં કરતાં ઊંચા નાણાં-રોજ ચૂકવવાની ખેડૂતોને ફરજ પડે છે. અને ખેતમજૂરને એ રીતે પોતાનો હક્ક મળે છે.
મનરેગા યોજનાને કારણે ખેતમજૂરોની તંગી ઊભી થાય છે, મજૂરી મોંઘી પડે છે એવી બૂમરાણ પણ સુખી સમૃદ્ધ ખેડૂતો ઘણી જગ્યાએ કરી રહ્યા છે અને આ રોજગાર યોજનાને ઢીલી પાડવા, ઘોંચમાં નાંખવા મથામણ કરતાં હોય છે તે પણ કડવી વાસ્તવિકતા છે જ.
અને આ સંદર્ભે જોઈએ તો આ યોજનાએ છેલ્લાં દસ વર્ષમાં, દેશના ગ્રામીણ વિસ્તારોમાં, રોજીરોટી માટે સ્થળાંતર કર્યાં વિના જ, પોતાનાં ગામમાં જ ગરીબો માટે એક આશ્વાસન રૂપ, સધિયારો પૂરો પાડનાર બની રહી છે.
પણ અફસોસની વાત એ છે કે આવડી મોટી, આ દેશની આમજનતા માટેની યોજનામાં જે રૂપિયા ખર્ચાય છે તેમાં કાપ મૂકી; દેશના સમૃદ્ધો ને વધુ સમૃદ્ધ કરવા માટેની જાણે કે છૂપી પેંતરાબાજી રચાતી હોય એવું લાગી રહ્યું છે.
આ યોજના શરૂ થયાં પછી તરત જ જે કોઈ સરકાર હોય, જે કોઈ પક્ષની સરકાર હોય તેણે પૂરેપૂરી રીતે આ યોજનાનો અમલ થાય તે માટેની વફાદારી-નિષ્ઠા બતાવી નથી.
અને ખાસ તો 2014થી જ્યારે એન.ડી.એ.ની સરકાર આવી તેણે તો આવતાં જ આ યોજના પુનર્વિચાર માંગી લે છે એમ કહ્યું. આ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર છે એમ જણાવી તેને ઢીલી પાડવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો.
પણ છેવટે ગ્રામીણ ગરીબોનો વિશ્વાસ સત્તાધારીઓ માટે ટકી રહે એવા આશયથી આ યોજનાને જેમતેમ ચાલુ રાખવામાં આવી છે તે આપણે જોઈએ છીએ.
યોજનાનો અમલ તો ચાલુ રાખ્યો પરંતુ તે માટેની બજેટ ફાળવણી, જેમ આરોગ્ય અને શિક્ષણમાં ઘટાડી તેમ મનરેગાની પણ ઉત્તરોત્તર ઘટાડી નાંખી.
એક અભ્યાસ પ્રમાણે આ યોજનાના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આ યોજના માટે વર્ષે 80 હજાર કરોડ રૂપિયા જોઈએ.
આટલું બજેટ તો ક્યારે ય ફાળવવામાં આવતું નથી, પરંતુ ગયાં નાણાકીય વર્ષમાં એટલે કે 2018-19 માટે 61,084 કરોડ રૂપિયા ફાળવાયા હતા. જે નાણાં તો ગયા ડિસેમ્બરમાં જ ખતમ થઇ ગયા!
પછીના ત્રણ મહિના એટલે કે માર્ચ સુધી ઠન ઠન ગોપાલ !
અને હવે આ વર્ષે તો ગયા વરસ કરતાં ય ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. માત્ર 60,000 કરોડ રૂપિયા!
હવે કરોડો મજૂરોના બાકી નાણાં ક્યાંથી ચૂકવાશે ?
સુપ્રીમ કોર્ટના એક આદેશ પ્રમાણે તો નિયમ પ્રમાણે પંદર દિવસમાં મજૂરને પૈસા ન ચૂકવાય તો સરકારે મજૂરને દંડ આપવો પડે !
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં એક અભ્યાસ મુજબ તો મનરેગા માટે ફાળવાયેલા ફંડનાં 80% નાણા તો વર્ષ નાં ચાર જ મહિના વપરાય એટલાં હોય છે. બાકીના આઠ મહિનાનું ચુકવણું કરી શકાય એમ હોતું જ નથી!
હવે પ્રશ્ન થાય કે શું ચૂકવણા ઠેલ્યા કરી આ રોજગાર યોજનામાંથી જ લોકોની છેવટે હતાશ થઈને બાદબાકી થઇ જાય એવું સરકાર ઈચ્છે છે ? કે ‘રાઈટ ટુ વર્ક’ કાયદો હોવાં છતાં ય તેને અવગણી આ યોજનાને તડકે મૂકી કાયદાનો ભંગ કરવાનું ઈચ્છે છે ?
આ વર્ષે તો દેશના 16% વિસ્તારમાં ભીષણ દુકાળ છે જ. અને હજી હમણાં જ પ્રગટ થયેલા આઈ.આઈ.ટી. ગાંધીનગરના નિષ્ણાતોના અહેવાલ મુજબ દેશમાં 47% હિસ્સામાં દુકાળની સ્થિતિ છે. જળાશયોનાં અને ભૂગર્ભ જળસ્તરો ચિંતાજનક રીતે ખૂબ જ ઓછાં છે. આગામી દિવસો દેશની આમ જનતા માટે વિકટ બની રહેનાર છે.
પાકિસ્તાન સામે શોર્યનાં ગાણાં ગાઈ ઉજવણા કરતા, લાખો રૂપિયાનાં ફટાકડા ને આતશબાજીની ચમકદમક શહેરોમાં ચાલી રહી છે ત્યારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પાણી અને રોજગારીની ભારે કટોકટી છે.
અને આ ઉનાળો આકરો નીવડશે તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાશે. એક બાજુ ખેતરમાં કામ નહીં હોય અને બીજી તરફ મનરેગા યોજનામાં રોડ રસ્તા, નહેર કે કૂવા તળાવ ઊંડા કરવાનાં કામ ચાલતાં હશે પણ તેનાં નાણાં પંદર દિવસમાં ચૂકવાશે નહીં, નાણાં નથી એમ સરકાર ગાઈ વગાડીને કહેશે ને બીજી બાજુ ધનવાનોને ઢગલાબંધ લોનો અપાતી રહેશે, હજારો કરોડોનાં પૂતળાં બનતાં રહેશે ..!
આ તે કેવી ગરીબ વિરોધી સરકારી નીતિ ?
સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 03 માર્ચ 2019
https://www.facebook.com/manishi.jani/posts/2330950453590780