રાજકારણમાં વંશવાદનો ફેલાવો એ ભારતીય લોકશાહીનો અંતરંગ વિરોધાભાસ છે.
જ્યારે ખાસ કરીને નેહરુ-ગાંધીપરિવારનું ફરજંદ ભારતના રાજકારણમાં ઝંપલાવે છે, ત્યારે રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષાને નવો પ્રાણવાયુ મળે છે. પૂર્વ ઉત્તરપ્રદેશના કૉંગ્રેસનાં મહાસચિવ પદે પ્રિયંકા ગાંધી વાડ્રાની નિમણૂક સામે વડા પ્રધાન સહિત ભારતીય જનતા પાર્ટી (બી.જે.પી.)ના સભ્યો દ્વારા તાજેતરમાં રજૂ કરેલો હાઉ એમાં અપવાદ નથી. વિશેષાધિકૃત કૌટુંબિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિનો રાજકારણમાં પ્રવેશ એ આવા વાદવિવાદને જીવંત રાખે છે. ભા.જ.પ.ના પક્ષ પ્રવક્તા લોકશાહીના હાર્દને હણતી રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષા સામે રક્ષણની વાત કરે છે, પરંતુ તેના લોકશાહી માટે ખતરારૂપ એવી પોતાની રાજકીય વંશવાદની પ્રથા વિરોધાભાસ રૂપે જાળવી રાખે છે. આમ, વંશવાદી રાજકીય પક્ષ હોવા માટે કૉંગ્રેસ પાર્ટીની ટીકા કરતી વખતે, ભા.જ.પ. આપણને એ નથી જણાવતો કે શા માટે તેમની પોતાની રાજવંશની રાજનીતિની પ્રૅકટિસ પહેલાં કરતાં ગુણાત્મક રીતે ઉત્તમ છે.
ભા.જ.પ.નો આ પ્રતિભાવ પાખંડ હોવાની સાથે ઝટકો આપનારો પણ છે. તે વંશીય મહત્ત્વાકાંક્ષાના રાજકીયકરણ સમાનતા અને ન્યાયના દ્વિ-સિદ્ધાંતો માટે લોકશાહીની સમાનતાવાદી સામગ્રીને ગહન બનાવવાની ભૂમિકા ભજવે છે અને તેનાં નકારાત્મક પરિણામો ગણાવતી નથી.
લોકહિત ધરાવતા કે પ્રબુદ્ધ લોકો કે જે લોકશાહીનો અવકાશ મેળવીને જાતિ, ધર્મ, જાતિ અથવા પરિવાર પર આધાર રાખ્યા વગર લોકહિતનાં અદ્દભુત કાર્યો કરે છે. તેમના થકી લોકશાહી, વ્યક્તિનું રૂઢિચુસ્તમાંથી ઉદારમતવાદી વ્યક્તિમાં રૂપાંતર કરે છે. અને તે પક્ષના કાર્યકર્તાઓ સહિત સંપત્તિ, રાજકીય સંપર્કો અને માનવ – સંસાધનોનું સંચિત પરિણામ છે. આવી સ્વાયત્ત વ્યક્તિઓ માટે, કુટુંબનું રક્ષણ બોજ બની જાય છે, કારણ કે તે તેમને જે વાસ્તવિક લોકશાહી પ્રથા તરીકે માનવામાં આવે છે, તેવી સ્વ-સમજથી નકારે છે. વિરોધીની ટીકા કરવા માટે રાજવંશનો ઉપયોગ કરવાનું ગૂઢ રાજકારણ, અન્યથા સંભવિત રૂપે સક્ષમ વ્યક્તિને-પરિવારને પાછળ છોડી દેવાની અને રાજકારણમાં એક વાસ્તવિક પ્રતિસ્પર્ધક તરીકે બનાવવાની છૂટ આપતું નથી.
સમકાલીન ચૂંટણીની રાજનીતિમાં, તે વિશેષાધિકૃત પરિવારો છે, જે સફળ રાજકારણીઓ તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયા છે. આવા પરિવાર ચૂંટણી લોકશાહીમાં નિર્ણયો લેવા અને નિર્ણયો લેતી સંસ્થાઓનું નિયમન કરવાનો અધિકાર ભોગવે છે. આવા પરિવારો પદની વહેંચણી ઉપર નિયંત્રણ રાખે છે, ખાસ કરીને ચાલુ સમયગાળામાં અને ચૂંટણી દરમિયાન. આવા પરિવારો પક્ષના ધારાસભ્યો પર વાસ્તવિક સત્તાનો ઉપયોગ કરીને સંપૂર્ણ નિયંત્રણનો આનંદ માણે છે. તેઓ તે ધારાસભ્યોને શિસ્તમાં રાખે છે અને જેઓ તેમનાં સૂચનોને અનુસરતા નથી, તેમના સ્થાને અન્ય ધારાસભ્યોને પક્ષમાં અથવા જાહેર સંસ્થાઓમાં ટોચની સ્થિતિમાં નિયુક્ત કરે છે.
આનુવંશિક રીતે, આવા વિશેષાધિકારનો ઉપયોગ જેમ બિલિયર્ડ ખેલાડીઓ બૉલને ગોઠવવા માટે લાકડીનો ઉપયોગ કરે છે, તેમ થાય છે. પાવર મુક્તપણે ઊભરતો નથી; પણ તે પરિવાર દ્વારા પરિવાર માટે વ્યક્ત વફાદારીના બદલામાં આપવામાં આવેલા વળતર તરીકે વિતરિત કરવામાં આવે છે. તે સામંતવાદનો એક નવો ચહેરો છે, કમનસીબે તેને અનુસરતા એવા લોકો છે જે સમાનતાવાદી લોકશાહીની સાચી ભાવનાનો ભોગ બનેલાને અનુસરે છે. આમ, કેટલાક દલિત અને આદિવાસી પરિવારોએ રાજવંશીય મહત્ત્વકાંક્ષા વિકસાવી છે, અને તેમના પોતાના પરિવારોમાંથી અનુગામીની ભરતી કરી છે.
કેટલાક દલિત અને આદિવાસી પરિવારો પરિવારને દાખલા રૂપે ધ્યાનમાં લઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે રાજકીય શક્તિની વંશીય સંસ્થા લગભગ નિયમિત પૅટર્ન બની રહી છે, અને તે શાસન બનવાની ધમકી આપી રહ્યું છે, રાજશાસન બનવાની. આ શાસનનાં મૂળ પૂર્વ-લોકશાહી સમાજોમાં છે. આવા સમાજોમાં, વારસા દ્વારા ઉત્તરાધિકાર શાસન હતું, શાસકનો પહેલેથી નિર્ણય લેવાઈ જતો હતો અને અનુયાયીઓની વફાદારી દ્વારા નિર્ણય કાયદેસર કરવામાં આવતો હતો. ચૂંટણી લોકશાહીમાં કુટુંબ દ્વારા નિયમન કરાયેલ રાજકીય ઉત્તરાધિકારનું અસ્તિત્વ પહેલાંના શાસકની જેવું જ છે.
ત્યારે ચૂંટણીના સ્થળે લોકશાહીકરણ કરવા માટે કેવી રીતે સ્થાયી પરિવારની પકડ ઓછી થઈ શકે? આ ધ્યેય હાંસલ કરવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો સ્થાનિક સ્તરે સ્વશાસનમાં મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે અને તે પારિવારિક પકડને દૂર કરવા તરફ એક પગલું છે. પરંતુ, રાજવંશીય પરિવારો રાજકારણ પર તેમની પકડ ફરીથી સ્થાપિત કરવા માટેના માર્ગો શોધી કાઢે છે. લોકશાહીના એરિસ્ટોટેલિયન નૈતિક સિદ્ધાંત – "હું શાસન કરીશ અને બદલામાં શાસન મેળવીશ" – પણ આ મહિલાઓના પરિવારને તરછોડાયેલા લોકોની તરફેણમાં મૂકતું નથી. તેના બદલે, આવા પરિવારોએ વંશના સિદ્ધાંત "અમારો પરિવાર શાસન કરશે અને રાજ ચાલુ રાખશે કે અન્ય કોઈ દ્વારા શાસન કરવાનો ઇન્કાર કરશે.”ને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આ નિરાશાજનક પરિસ્થિતિમાં સમાનતા અને ન્યાયના દ્વિ-લોકશાહી સિદ્ધાંતોની પુનઃસ્થાપનની ખાતરી કરે અને પોતાના અંતરાત્મા પર શાસન કરે અને રાજવંશના શાસનને મંદ પાડે, તે પ્રકારે સામાન્ય મતદારોએ તેમના ચુકાદની સત્તા મેળવવા અને ઉપયોગ કરવાની જરૂર છે.
સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 04