આજે ધૂળેટી. કાલે બધાંએ ઘરની બહાર પણ હોળી કરી, ખરું? આમ તો કેટલાંક કુટુંબોમાં હોળી બારમાસી તહેવાર છે. એમાં મોટે ભાગે પતિ, હોળીનું નાળિયેર બનતો હોય છે. પતી જાય તે પતિ – એ આ સમયની નવી વ્યાખ્યા છે. આજે હસવું છે. બધું ભૂલીને ગમ્મત કરવી છે. હું સ્કૂલમાં હતો ત્યારે સાહેબ પૂછતા – હોળી રંગોનો તહેવાર છે તો બીજા દિવસને રંગોત્સવ કહેવાને બદલે લોકો ધૂળેટી કેમ કહે છે? ત્યારે તો અક્કલ ન ચાલેલી, જો કે, આજે ય ચાલે જ છે એવું નથી, પણ એટલું સમજાય છે કે ધૂળ ઊડવાને કારણે તહેવારનું નામ ધૂળેટી પડ્યું હશે, પણ આપણે તો રંગ ઉડાડીએ છીએ, તો ધૂળેટી કેમ? ધૂળેટીએ કોઈ ધૂળ ઉડાડતું હોય એવું સંભળાયું તો નથી. બરસાનાની હોળી વખણાય છે. વખણાય છે એટલે કે એને લઠમાર હોળી પણ કહે છે. નંદગાંવથી રાધાના ગામ બરસાના યુવકો આવે છે ને અહીંની યુવતીઓ રંગની સાથે યુવકો પર લાઠીઓ પણ વરસાવે છે. કદાચ ત્યારથી જ પુરુષો વગર લાઠીએ જ જિંદગીભર કોઈને કોઈ કારણે ટીપાતા રહે છે. અહીં પણ ધૂળ સાથે ધૂળેટીનો અર્થ સમજાતો નથી.
એને માટે કદાચ પ્રહલાદની સ્ટોરી જાણવી – સમજવી પડે. વાત એમ છે કે નવરાશના વખતમાં અસુરોનો નાશ કરવા ભગવાન અવતાર લેતા હતા. નાશ થઈ શકે એટલે અસુરોને જન્માવતા પણ હતા ને જન્મે પછી તેને પાપ કરવાનો પૂરતો સ્કોપ પણ આપતા હતા. અસુર પાસે પાપનો પૂરતો સ્ટોક થઈ જતો, મતલબ કે પાપનો ઘડો ભરાઈ જતો, તો ભગવાન અવતાર લેતા ને અસુરની બત્તી ગુલ કરી દેતા હતા. હવે અસુર તો ખાસ રહ્યાં નથી, પણ સસુર તો છે જ ને તે એટલા થઈ છે કે બધાને ભગવાન પહોંચી વળે એમ નથી એટલે તેમણે અવતાર લેવાનું હાલ તુરત મોકૂફ રાખ્યું છે. પ્રહલાદની સ્ટોરી એવી છે કે તે ભગવાનનો ભક્ત હતો ને તેના એકના એક ફાધર હિરણ્યકશ્યપુને તે બહુ ગમતું ન હતું. સ્વાભાવિક છે કે ન જ ગમે. દાખલા તરીકે હું ભૂસું વેચતો હોઉં ને મારો દીકરો બાજુવાળાને ત્યાંથી પેટીસ લાવીને ખાય તો ભેજું ફટકે કે નહીં? ફાધર હિરણ્યકશ્યપુ(ટૂંકમાં, એચકે)નું પણ ફટક્યું. તેણે ચોખ્ખું કહી દીધું – નામ દેવું જ હોય તો મારું દે. અહીંનો રાજા કે મંત્રી જે ગણે તે હું જ છું. પ્રજાની રાજા મંતરે તે તો સમજી શકાય, આ તો દીકરો થઈને બાપની જ મેથી મારે છે. કોઈ ભારતીય કાશ્મીરમાં રહીને પાકિસ્તાનની આરતી ઉતારે તો ચાલે? ના ચાલે. ખાય મારું ને ખોદે પણ મારું? ધીસ ઈઝ નોટ ફેર. હવે પછી ભગવાન બગવાનનું નામ દીધું તો તારાં સ્પેરપાર્ટ્સ ઢીલાં કરી નાખીશ. સ્કૂલમાં તો ભણાવેલું કે માતાપિતાનું કહેલું કરવું, પણ પ્રહલાદ જરા અડિયલ હતો. મનફાવે તેમ જ કરતો. તેને ભગવાન દેખાતો ન હતો, પણ તેનું નામ તે દેતો હતો ને એચકે, છાતી પર બેઠેલો હતો, તો તેને ઇગ્નોર કરતો હતો ! એચકે, આઈ મીન હિરણ્યકશ્યપુને તો એમ જ હતું કે મારી ટેરિટરીનો તો હું જ ભગવાન, ત્યાં પોતાનો જ સન પ્રહલાદ આમ ડિસ્કાર્ડ કરે તે તો સાલું ટોલરેટ જ કેમ થાય? આમે ય એચકે પિત્તળ ખોપરીનો તો હતો જ, તેણે ભાડૂતી ગુંડાઓ બોલાવીને હુકમ કર્યો કે ફેંકો સાલાને પહાડ પરથી ! ગુંડાઓ ‘ફેંકું’ હતા, પણ ફેંકે એમ ન હતા, કારણ એ બધા ફિલ્મી હતા એ સાદા દાદરા પણ ચડી શકતા નહતા. આ લલ્લુઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય ને ગ્રાઉન્ડ ફ્લોર પર જ જવું હોય તો પણ લિફ્ટ વાપરે એવા હતા, તે પહાડ પર ચડે ને પ્રહલાદને ફેંકે એ વાતમાં માલ ન હતો. એ ઉપર ચડે, તો પ્રહલાદને નીચે ફેંકે ને ! એટલે નાદાન છોકરું છે એમ માનીને પ્રહલાદને લીફ્ટમાં નીચે ઉતાર્યો ને ડિકલેર કરી દીધું કે પ્રહલાદને ફેંકી દીધો છે. રાજાએ પણ માની લીધું કે પ્રહલાદ ગયો. પણ એ તો હસતો રમતો બર્ગર ઝાપટતો મહેલમાં આવ્યો. એચકે હર્ટ તો બહુ થયો, પણ સગો દીકરો હતો એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો.
બીજી તરફ પ્રહલાદ જાણતો હતો કે ફાધર આજે નહીં તો કાલે, પોતાની (પાન-કાર્ડ) સોપારી આપીને જ રહેશે એટલે ભગવાન વિષ્ણુને વીડિયો કોલ કર્યો, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બોલ્યા – કેમ ડિસ્ટર્બ કર્યો? પ્રહલાદ બોલ્યો – પ્રભુ, તમે તો ફાધરનો નેચર જાણો છો. તમારો પ્રોપેગેન્ડા કરું છું તો એ દાંતિયા કરે છે. હા, એનું નામ દઉં તો રાજપાટ મળે એમ છે.’
– ખબરદાર ! – ભગવાને ત્રાડ નાખી – એવું કૈં કર્યું છે તો જાનથી જશે.
ફાધર પણ એ જ કહે છે – જાનથી જશે, પછી ભગવાને સુધારો કર્યો – જાનથી જશે એટલે કે તારી જાન નહીં નીકળે. એક વાત સમજી લે કે કૈં પણ થઈ જાય, તારે પાર્ટી બદલવાની નથી. લે, આ પદ્મ ઉર્ફે કમળ ! લઈ જા ને તેની ભારતમાં સ્થાપના કર. ચારે બાજુ ‘કમલમ .. કમલ મ…’ થઈ રહેવું જોઈએ. પ્રહલાદ પ્રસન્ન થઈને બોલ્યો – તમે આપેલા ‘પદ્મ’ પુરસ્કારથી હું પ્રસન્ન થયો છું. ભગવાને એનું માથું પરાણે ઝુકાવીને આશિષ આપતા કહ્યું – ચિંતા ન કર. તારા ફાધરનો ઘડો લાડવો હું જ કરીશ. શું છે કે એ, માણસથી કે પશુથી મરે એમ નથી. એટલે મારે નર અને સિંહનો સરવાળો કરીને નરસિંહ અવતાર ધારણ કરવો પડશે ને તારા ફાધરનો ખેલ ખતમ કરવો પડશે.
પ્રહલાદ નાનો હતો તો ય તેને એટલી સમજ તો પડતી જ હતી કે એક ફાધરને મારવા નર અને સિંહનો ટોટલ મારવાની જરૂર નથી, એ કામ તો એકાદ મિસાઈલથી પણ થઈ શકે, પણ સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય. એટલે રિડાયરેક્ટ થયેલી ટપાલ જેવો પ્રહલાદ મહેલ તરફ ફર્યો ને તેણે જોરશોરથી ભગવાનનું નામ દેવા માંડ્યું.
આ બાજુ એચકે જીવ પર આવી ગયો હતો – કમલમ કમલમ – સાંભળીને. તેણે નક્કી કર્યું કે સિસ્ટર આલ્કોહોલિક, સોરી, વર્કોહોલિક, અગેન સોરી, હોલિકાને આમંત્રણ આપવું ને તેણે ટેકટફૂલી એક ફંક્શન એરેન્જ કર્યું, જેમાં હોલિકાના ખોળામાં પ્રહલાદ બેસે ને ફરતે આગ પ્રગટે તેવું પ્લાનિંગ કરવું. ઇન્ટેન્શન એ હ કે એમાં પ્રહલાદનો ધુમાડો થઈ જાય ને હોલિકા બચી જાય. બચી કેમ જાય? તો કે, તેને વર હોય કે ન હોય, પણ વરદાન હતું કે અગ્નિ તેની રાખ નહીં પાડી શકે. જો કે, પ્રહલાદ નાનો હતો, પણ અક્કલનો બુઠ્ઠો ન હતો કે ફોઇ કહે ને એ હોળીનું નાળિયેર બને. એટલે તેની ફોઈએ તેને ઊંઘની ગોળીઓ આપી દીધી ને એવા ઊંઘતા પ્રહલાદને લઈને તે ચકલે બેઠી. ધારો કે એ જાગી જાય તો પણ એટલો ઘોંઘાટ ઢોલનગારા વગાડીને થવાનો હતો કે તેની ચીસાચીસ કોઈને સંભળાય જ નહીં ! આવું પ્લાન કર્યું એચકેએ.
જે ‘કમળ’પૂજામાં માનતા હતા તે ભક્તો નારાજ હતા. પ્રહલાદ જેવો પદ્મપ્રિય, ભડકો થઈ જાય તે તો ચાલે જ કેમ? પણ ‘પંજો’ એચકેનો હતો ને બચવાનો ચાન્સ ન હતો એટલે પદ્મપ્રિય ભક્તોએ તે દિવસે ધાણીચણા ફાકીને દિવસ કાઢ્યો. રાત્રે હોળી પ્રગટી. હોલિકાનું વરદાન, ઘોડું દશેરાએ જ ન દોડે તેમ, છેલ્લી ઘડીએ જ ફેલ ગયું ને દાઝ બળી તે બરાડવા લાગી, પણ ઢોલનગારાના ઘોંઘાટમાં કૈં સંભળાયું નહીં ને સવારે પ્રહલાદને હેમખેમ જોતાં ભક્તોએ આનંદથી ગુલાલ ઉડાડ્યો ને હોલિકા બળી મરી. એથી દુ:ખી થઈને અસુરોએ ધૂળ ઉડાડી. બસ ! ત્યારથી ધૂળેટી ઉજવાય છે. અસુરો રહ્યા નથી એટલે ધૂળ ઊડતી નથી, પણ ભક્તો રહ્યા છે એટલે રંગો ઊડે છે, એ ખરું કે આસુરી વૃત્તિવાળા હજી ધૂળ ખંખેરતા જ રહે છે. ઘણાંની ધૂળ ખંખેરાતી હોવાને કારણે પણ ધૂળેટી ઉજવાતી હોય તો નવાઈ નહીં. ખરેખર તો આ રંગનો ઉત્સવ છે. કુદરત પણ કેસૂડાં, ગુલમહોર, કરેણનાં રંગો ખિલવીને રંગો ઉછાળે છે તો માણસો રંગ ઉછાળે તેમાં નવાઈ નથી. રંગો પણ એવા કે કેમિકલ ચોપડાય, કલર પણ એટલો પાકો કે ચામડી નીકળે, પણ રંગ ના જાય. રંગ જાય તો પૈસા પાછા – એવી જાહેરાત પણ થાય છે તો રંગ છાંટતાં પહેલાં જ પાણી બચાવવાનો ઉપદેશ પણ અપાવા લાગે છે.
આ વખતે તો કોરોના ફ્રી રંગો છંટાશે. ઘણાના ચહેરા ડામર જેવા થશે. એમાં ઘણાં ઓળખાય જ નહીં એવા પાકા કલરવાળા થઈ જાય તો પણ નવાઈ નહીં ! મમ્મી એની દીકરીને ઘરે ખેંચી જાય ને ડાચું ધુએ પછી ખબર પડે કે દીકરી તો બાજુવાળાની ધોવાઈ ગઈ છે, તો સામેવાળી દીકરો બદલાવવા આવે એવું પણ બને. આ પાછું દીકરા-દીકરી પૂરતું સીમિત નથી રહેતું. દિયરને રંગ્યો છે એવા વહેમમાં ભાભી દિયરને ઘરમાં ખેંચી લાવે છે તો ખબર પડે છે કે દિયરને બદલે ઘરવાળો જ ખોટા સિક્કા જેવો પાછો આવ્યો છે. એવું જ ઘરવાળીને ખેંચી લાવ્યો છે એવા વહેમમાં ધણી બાજુવાળી ભાભીને જ લઈ આવે એમ પણ બને. પછી પસ્તાતો હોય તેમ કહે કે સોરી, ભાભી, મને એમ કે વાઈફને લાવ્યો છું, પણ આ તો બફાટ થઈ ગયો. અને ભાભી ગુલાલ ચોપડતાં કહે કે મને નથી લાગતું કે મેં કોઈ ભૂલ કરી છે, મને તો ખબર છે કે હું કયાં ખેંચાઈ રહી છું, તો?
– તો જે રંગો ઊડે તે બહાર દેખાય, એવું લાગે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2022