આજે કૃષ્ણાષ્ટમી ! આમ તો દર શ્રાવણ વદ આઠમે આખું જગત કૃષ્ણ જન્મોત્સવ ઊજવે છે. આ ઉત્સવનો અંત નથી. અંત હોત તો અત્યાર સુધીમાં કૃષ્ણ ભુલાઈ ગયા હોત, પણ એવું થયું નથી. એક સંશોધન મુજબ કૃષ્ણનો જન્મ 18/21 જુલાઇ, ઈ.પૂ. 3228ને રોજ થયો હોવાનું કહેવાય છે. આટલી ચોકસાઇ એ સમયની કોઈ વિભૂતિ માટે નથી જણાઈ. કૃષ્ણને લગભગ સાડા પાંચ હજાર વર્ષ થયાં. એની અગાઉ ઘણાં મહાનુભાવો થયા ને પછી પણ થયા, પણ કૃષ્ણ જેટલી પ્રસ્તુતતા કોઇની જણાતી નથી. એ એક જ ભગવાન એવો છે, જે મનુષ્ય પણ એટલો જ છે. રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે, તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. રામ તુંકાર ન ખમે, પણ કૃષ્ણને તુંકારી શકાય. એને શિશુપાલ જેવા પણ 99 ગાળો દઈ શકે ને એ સાંભળી પણ લે, પણ પછી એ નહીં, સુદર્શન બોલે છે. એ જ કૃષ્ણ ગાંધારીનો શાપ માથે ચડાવે, ત્યારે થાય કે વિશ્વરૂપ દર્શાવનાર કૃષ્ણનો પ્રતિકાર કેમ નથી? જે સુદર્શન શિશુપાલને હણે છે એ સુદર્શન ગાંધારી પર ધસતું નથી. કેમ? એક બે નહીં, સો પુત્રોનો યુદ્ધમાં નાશ થયો હોય એ માતાની અસહ્ય પીડા અભિશાપ નહીં તો શું આશીર્વાદ આપે? કૃષ્ણે એ માતૃપીડા અનુભવી એટલે ગાંધારીનો શાપ માથે ચડાવ્યો. કૃષ્ણ એટલે જ વિરોધાભાસ ! મામાના રાજમાં જ જન્મ કારાગારમાં થાય છે. જન્મતાંની સાથે જ માતૃવિરહ નસીબે આવ્યો. સગી મા પારકી થઈ અને પારકી મા સગીથીયે વિશેષ થઈ. પાલક માતપિતાનો એ રીતે કૃષ્ણે મહિમા કર્યો.
કૃષ્ણનું મેથડ ઇન મેડનેસ જેવું ઘણું છે. લાગે એવું કે મટકી ફોડીને કૃષ્ણ ગોપીઓને પજવે છે, પણ જરા ઊંડે ઊતરીએ તો સમજાય કે ગોકુળનાં દૂધદહીં મથુરા ભરાતાં અટકાવવા મટુકીઓ ફોડી, તે એટલે પણ કે ગોપાલનનો સર્વાંગી વિકાસ ગામમાં જ થાય. આજે ગામમાં દૂધ મળતું નથી ને ડેરીઓમાં દૂધ ભરાય છે એવી સ્થિતિ ન આવે એટલે ગામનું દૂધ ગામમાં રાખવાની કોશિશ કૃષ્ણે કરી. અસુરોનો સંહાર બાળલીલામાં ખપે એવો સહજ બાલ્યકાળ કૃષ્ણનો રહ્યો. ગોપીઓનાં ચીર હર્યાં, તો દ્રૌપદીનાં પૂર્યાં પણ ! રાધાને અપરંપાર પ્રેમ કર્યો ને મથુરા જવાનું થયું તો અનાસક્તિ પણ એટલી જ પ્રગટી. વાંસની વાંસળી કરી, હોઠે રાખી, એટલી નજીક તો રાધા પણ રહી નથી. રાધાના વિરહમાં વાંસળી તોડી, તો એ જ આંગળીએ સુદર્શન પણ ધારણ કર્યું. જે વખતે જે જરૂરી હતું તે વખતે તે જ કૃષ્ણે કર્યું. રુક્મિણી, સત્યભામા જેવી 16,108 રાણીઓ કરી, પણ પ્રેમનો મહિમા વિયોગથી જ શક્ય છે તે રાધાની ધારા મનમાં રાખીને સિદ્ધ કર્યું. કૃષ્ણ કરતાં રાધા આગળ રહી ને જેટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, એટલાં કૃષ્ણ-રુક્મિણીનાં નથી. લગ્ન વગરનો કોઈ સંબંધ મંદિરોમાં આટલો સ્થપાયો હોય એવું આ એક જ ઉદાહરણ જગતમાં છે. એવું જ સખ્ય સુદામા સાથેનું પણ ખરું. સુદામાનું કદાચ એક જ મંદિર પોરબંદરમાં છે. સુદામાની પોટલી ખૂલે છે તે સાથે જ તેનું દારિદ્રય પણ દૂર થતું આવે છે. કૈં ન આપીને કૃષ્ણે સુદામાને બધું જ આપ્યું.
કૃષ્ણ અકળ છે ને સકળ પણ ! ગોકુળ છોડ્યું, રાધા છોડી, મથુરા છોડ્યું, પછી કૃષ્ણ ત્યાં જણાતા નથી. એ આગળ જ ગયા છે, ગયા ત્યાં, ફરી ગયા નથી. એમણે U-TURN લીધો જ નહીં ! ત્રણ વખત વિરાટનાં દર્શન એમણે માટી ખાઈને જશોદાને, વિષ્ટિ વખતે દુર્યોધનને અને ગીતા ઉપદેશતી વખતે અર્જુનને કરાવ્યાં છે. એ સિવાય કૃષ્ણ સામાન્ય મનુષ્યની જેમ જ વર્ત્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાનો આગ્રહ રાખ્યો, એવો આગ્રહ બીજો એક મોહન, યુગો પહેલાં રાખી ચૂક્યો હતો. એકને ગોળી વાગી, એકને તીર, એ સાથે જ યુગો બદલાયા.
પાંડવોની માતા કુન્તા, કૃષ્ણની ફોઇ છે, એટલા ઉલ્લેખ સિવાય કૃષ્ણ, દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધ વખતે, બલરામ સાથે જ દેખાય છે. પાંડવો અહીં બ્રાહ્મણ વેશે છે. મત્સ્યવેધ કરનાર અર્જુનની પણ ઓળખ છતી થઈ નથી. પાંચે ભાઈઓ દ્રૌપદી માટે ઉત્સુક છે એ જાણતા કૃષ્ણ, પાંડવો વચ્ચેનો સંપ જળવાઈ રહે એ માટે, દ્રૌપદીને પાંચે પાંડવોની પત્ની બનાવે છે. બહુપત્નીત્વની સામે બહુપતિત્વનું ઉદાહરણ એ સમયમાં તો ખરું જ, આજે પણ સાહસ જ છે. એ પછી મહાપ્રસ્થાન પર્વને બાદ કરતાં કૃષ્ણ દરેક પર્વમાં પાંડવોનાં શુભચિંતક અને રક્ષક તરીકે મોખરે છે. વનવાસમાં કૃષ્ણ જણાતાં નથી, પણ મનવાસમાં તો તે સઘળે છે. પાંડવોને ખાંડવવન અને ખાંડવપ્રસ્થ અપાવવામાં કૃષ્ણની અહમ ભૂમિકા છે. ભાગવતના કૃષ્ણ કરતાં મહાભારતના કૃષ્ણ વધુ પુખ્ત છે. મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કૃષ્ણે લીધી, પણ ભીષ્મને મારવા રથચક્ર લઈને ભીષ્મની સામે પણ એ જ ધસે છે. કમાલ તો જુઓ કે પોતે શસ્ત્ર ઉઠાવવાથી દૂર રહે છે ને અર્જુન શસ્ત્ર છોડે છે, તો તેને શસ્ત્ર ઉઠાવવા ગીતા ઉપદેશે છે. ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેનાર કર્ણને એ જ કૃષ્ણ દ્રૌપદીની લાલચ પણ આપે છે. કર્ણનાં જન્મનું રહસ્ય ખૂલે છે ને કર્ણ સૌથી મોટો પાંડવ છે એ જાહેર થાય છે તો એને પાંડવોનાં પક્ષમાં આવી જવાનું કહેવાય છે ને કર્ણ એમ કરે તો દ્રૌપદી આપોઆપ જ એની પત્ની બને. એ જુદી વાત છે કે કર્ણ એ લાલચને નકારે છે, પણ કર્ણને ફોસલાવવાનો પ્રયત્ન કૃષ્ણ કરી તો જુએ જ છે.
એ જ કૃષ્ણ યુદ્ધની જે પીડા વેઠે છે, એનો જોટો જડે એમ નથી. દ્રૌપદી યુદ્ધનાં પરિણામ વિષે કૃષ્ણને પૂછે છે કે પાંડવોમાં કોણ કોણ બચશે? તો, કૃષ્ણ પાંચ ભાઈઓ સિવાય કોઈ નહીં બચે એવું કહે છે. દ્રૌપદી પોતાનાં પુત્રો પણ નહીં બચે એ જાણીને અસહ્ય પીડા અનુભવે છે, કૃષ્ણ તો સર્વજ્ઞ છે, એટલે વેઠે પણ સર્વનું જ છે. અભિમન્યુને ચીરતાં શસ્ત્રથી પોતે વીંધાયાનું અનુભવે છે. આ બધું જ જોવાનું આવ્યું પોતાનાં કોઈ જ વાંક વગર ! પોતે તો સારથિ માત્ર હતા, પણ તે અર્જુનનાં જ હતાં એવું ક્યાં હતું? એ તો જગત નિયંતા છે, એ કોઇની પીડાથી કઇ રીતે મુક્ત રહી શકે? કૃષ્ણ પાંડવોને વિજયી બનાવે છે, પણ યાદવોનો સર્વનાશ થતો રોકી શકતા નથી. સાત્યકિ પાંડવોને પક્ષે રહી લડે છે, તો કૃતવર્મા ને ભોજ જેવા કૌરવોને પક્ષે રહી લડે છે. બલરામ તટસ્થ રહે છે. આમ યાદવ કુળ એક જૂથ લાગે છે, પણ અંદરોઅંદરનાં મિથ્યાભિમાન, ખટપટ, આડંબર, વાણીવિલાસને લીધે આખાયે કુળનો સર્વનાશ થાય છે. કોઈ પણ કુળ કે પક્ષની નિયતિ કોઈ પણ કાળમાં આ જ હોય છે. આમાં અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણની પ્રાપ્તિ શી હતી? કુરુક્ષેત્રમાંથી એને તો કૈં જ મળવાનું ન હતું, ન વિજય, ન પરાજય, છતાં અર્જુન સાથેનું મૈત્રીકૃત્ય કૃષ્ણે મન મૂકીને નિભાવ્યું. એમાં યાદવકુળ છિન્નભિન્ન થવાનાં બીજ પણ રોપાયાં ને અંતે કુળ ખતમ થઈને જ રહ્યું. એની પીડાથી છૂટવા વૃક્ષ નીચે વિરામ શોધ્યો તો પારધીનું તીર પગને વીંધતું આવ્યું. પગમાં તીર વાગે તો સાધારણ મનુષ્ય પણ ન મરે, પણ કૃષ્ણ અસાધારણ હતાં એટલે મૃત્યુ સાધારણ સ્વીકાર્યું.
કૃષ્ણ વિષે મને કદી ધરવ થતો નથી. જેટલું જાણું છું એનાથી વધુ જાણવાની ઈચ્છા ઘટતી નથી. આપણે કૃષ્ણને ભગવાન માનીએ છીએ. પણ, મને તો એ એક સાથે વડીલ અને મિત્ર-બંને લાગે છે. એની સાથે ઝઘડી શકાય, આંખોમાં આંખો નાખીને વાત થઈ શકે. આવી છૂટ બીજો કોઈ ભગવાન આપતો નથી. એને વિષે વિચારું છું તો થાય છે કે એ ભગવાન કઇ રીતે છે? સામાન્ય માણસ કરે એવાં વધ, છળકપટ, મજાક-મશ્કરી, તોફાન, શત્રુવટ… જેવું બધું જ કર્યું છે. કૃષ્ણ એટલે જ કર્તવ્ય. પણ કર્તવ્ય એટલે કૃષ્ણ એવું દરેક વખતે નથી. કેવળ કર્મ કરનાર મનુષ્ય ભગવાન નથી, તો કૃષ્ણ કઇ રીતે ભગવાન છે? છે? છે, હજાર વાર છે, કારણ કે એક પણ કપટ એણે પોતાને માટે નથી કર્યું. આપણાં કપટમાં સ્વાર્થ છે, એનાં કપટમાં નથી. એક પણ કપટ અસત્ય કે અધર્મનાં સમર્થનમાં એણે નથી કર્યું, તો એ ભગવાન ન હોય તો શું હોય?
જો કૃષ્ણ ધર્મને પક્ષે સતત રહ્યા હોય, તો આજે ધર્મને પક્ષે ઘણું ખૂટે છે, તો ક્યાં છે એ? કેમ નથી સંભળાતો એ શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય….’ આજે તો સગા બાપ કરતાં દીકરાને મોટી ઉંમરનો બતાવવામાં કોઈને સંકોચ નથી કે ધર્મ કરતાં સંપ્રદાયનો મહિમા વધુ અંકાતો હોય, તો ધર્મનાં રક્ષણ માટે અગાઉ હતી તેથી વધુ જરૂર કૃષ્ણની આજે છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2023