[એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. મેં એક લઘુકથા લખી, ‘નિરીક્ષક’ને મોકલી. 26 જુલાઈ,1981 ના અંકમાં પ્રગટ થઈ હતી. પોલીસ સર્વિસમાં જોડાયો તેના 9 વર્ષ પહેલા. ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’માં 3 એપ્રિલ, 1983ના રોજ હિન્દીમાં અને ‘ચાંદની’, હાસ્યાંકમાં 1 એપ્રિલ, 1984 માં પ્રસિદ્ધ થઈ હતી. ચાલો માણીએ.]
અદાલતે સરકારને દોષિત ઠરાવી. ઘટના આમ બનેલી :
એક સરકારી ફાર્મ હતું. તેમાં એક દૂઝણી ગાય હતી. ગાય માટે ઘાસચારો ખૂટી ગયો.
ઉપરી અધિકારીઓને અનેક પત્રો લખ્યા છતાંય જવાબ ન મળ્યો, ત્યારે ફાર્મ સંચાલકે સંબંધિત પ્રધાનને લખ્યું : “ધાસચારા માટે અમુક રકમ મંજૂર કરશો. વરસાદના અભાવે ઘાસચારો ખૂટી ગયો છે…”
પ્રધાનનો જવાબ આવ્યો : “ઘાસચારા માટે આ અગાઉ મોટી રકમ ફાળવી હતી. હવે કંઈ થઈ શકે તેમ નથી. ગાય જેટલું દૂધ આપે છે તે બધું ગાયને પાઈ દેવું અને એ રીતે થોડા દિવસ ચલાવો.”
થોડા દિવસ પછી સંચાલકે ફરીવાર પ્રધાનને પત્ર લખ્યો : “ગાય મરવા પડી છે, ઘાસચારાની સગવડતા તાત્કાલિક કરવા વિનંતી.”
પ્રધાને લખ્યું : “ગાય મરવા પડી છે, મરી તો નથી ગઈને? ખુશ હશો, ખુશ છું.”
છેવટે, સંચાલકે ગાયને ફાર્મમાંથી તગેડી મૂકી અને પ્રધાનને લખી નાંખ્યું કે ગાય મરી ગઈ છે.
એક દિવસ ગાય બાજુના ખેતરમાં ઘૂસી ગઈ અને ખેતરને તારાજ કરી નાંખ્યું. ખેતરના માલિકે ફરિયાદ કરી.
અદાલતે ફરિયાદીને પૂછ્યું : “સરકારી ગાય તો મરી ચૂકી છે. તમારો ઘાસચારો જે ગાય ચરી ગઈ એ સરકારી ગાય હતી-એમ કહેવાનું કોઈ કારણ તમારી પાસે છે?”
“હા, સાહેબ. એ ગાય ખૂબ ઝડપથી ખાતી હતી; અકરાંતિયાની જેમ જ. ઝડપથી અને મોટા પ્રમાણમાં ખાઈ શકે એ સરકારી જ હોય !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર