નવમી ઓગસ્ટના હિંદ છોડો ચળવળ દિવસથી ભારતીય જનતા પક્ષે રાજનીતિમાંથી પરિવારવાદ હઠાવવાનું અભિયાન છેડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી દિને લાલકિલ્લાની રાંગેથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજકારણમાં વંશવાદ અને પારિવારિક રાજકીય પક્ષોને લોકતંત્ર સામેનો ખતરો ગણાવ્યા હતા.
ભારતના રાજકારણમાં પરિવારવાદની દીર્ઘ પરંપરા છે. આઝાદી પૂર્વે પિતા મોતીલાલ નહેરુ પછી ભલે સ્વબળે અને ખુદની પ્રતિભાના જોરે પુત્ર જવાહરલાલ નહેરુ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા હતા. પરંતુ પરિવારવાદના આલોચકો છેક ત્યાં તેનાં મૂળિયાં જુએ છે. રાજનીતિમાં પરિવારવાદની ચર્ચા ગાંધી નહેરુ પરિવારના ઉલ્લેખ વિના અને પરિવારવાદને વકરાવવામાં કાઁગ્રેસની અહમ ભૂમિકા વિના થઈ શકતી નથી. જો કે આજે બી.જે.પી. સહિતના અને ડાબેરી પક્ષો સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષો એક યા બીજી રીતે પરિવારવાદના પોષક અને પારિવારિક પક્ષોના સાથી તથા સમર્થક રહ્યા છે.
કોઈ એવી વ્યક્તિ રાજનીતિમાં પ્રવેશે જેના પરિવારનો કોઈ સભ્ય રાજનીતિમાં હોય, પૂર્વે ચૂંટણી જીત્યા હોય કે હાલમાં કોઈ પદ પર હોય, ટૂંકમાં રાજકીય કુટુંબના બ્રેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિનો રાજકારણ પ્રવેશ એટલે વંશવાદ. ભારતમાં પરિવારનો એક સભ્ય મંત્રી હોય કે મોટો નેતા હોય તો તેના ખાનદાનને રાજનીતિ કે સત્તા વારસામાં મળે છે. ગાંધી-નહેરુ કુટુંબ પાંચ પેઢીથી, હરિયાણાનું દેવીલાલ-ચૌટાલા ફેમિલી ચાર પેઢીથી, કર્ણાટકના દેવેગૌડા, મહારાષ્ટ્રના ઠાકરે, પંજાબના બાદલ વગેરે પરિવારોની ત્રીજી પેઢી રાજકારણમાં સક્રિય છે. ઘણા બધા રાજકીય ઘરાનાની બીજી પેઢી પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરી રહી છે !
હવે તો ભારતીય રાજનીતિએ વંશવાદના ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે કોઈ પક્ષમાં પરિવારને બદલે આખો પક્ષ જ પરિવારનો બનેલો હોય છે. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંઘ યાદવના બૃહદ્દ પરિવારના વીસેક સભ્યો એમ.પી., એમ.એલ.એ થઈ ગયા છે. એટલે ઘણા તેને સમાજવાદીને બદલે પરિવારવાદી પાર્ટી કહે છે. લાલુ પ્રસાદ યાદવની આર.જે.ડી., ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, કરુણાનિધિની દ્ર.મુ.ક., શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચો, શરદ પવારની એન.સી.પી., પ્રકાશસિંઘ બાદલની શિરોમણિ અકાલી દલ અને બીજી એવી ખાનદાની પાર્ટીઓ દેશમાં ડઝનબંધ છે અને નવી બનતી રહે છે.
ભારતની લોકસભામાં રાજકીય પરિવારમાંથી આવતા સભ્યોની સંખ્યા વધતી જાય છે. ૨૦૦૯માં લોકસભાના કુલ સભ્યોમાં ૯.૫ ટકા રાજકીય કુટુંબની પૃષ્ઠભૂ ધરાવતા હતા. જે ૨૦૧૪માં ઘટીને ૮.૬ ટકા થયા હતા, પરંતુ ૨૦૧૯માં તે ત્રણ ગણા વધીને ૩૦ ટકા થયા હતા. વર્તમાન લોકસભાના ૫૪૨માંથી ૧૬૨ સાંસદો રાજકીય ખાનદાનોમાંથી આવે છે. તેમાં કાઁગ્રેસના ૩૧.૧૯ ટકા અને ભા.જ.પ.ના ૨૨.૦૨ ટકા છે. ૨૦૧૯માં સૌથી વધુ ૬૨ ટકા રાજકીય પરિવારના લોકસભા સભ્યો પંજાબમાંથી ચૂંટાયા હતા. તે પછીના ક્રમે બિહાર ૪૩ ટકા, મહારાષ્ટ્ર ૪૨ ટકા, કર્ણાટક ૩૯ ટકા, તમિલનાડુ ૩૭ ટકા, આંધ્ર ૩૬ ટકા, તેલંગણા ૩૫ ટકા, ઓડિશા ૩૩ ટકા અને રાજસ્થાન ૩૨ ટકા છે. દેશના લગભગ બધા જ રાજ્યોમાં રાજકીય વંશવાદ પ્રસરેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિહ ચૌધરી, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાના કુટુંબીજનો (પત્ની અને સંતાનો) રાજનીતિમાં વંશવાદના દૃષ્ટાંતો છે.
આઝાદી પછી રાજાઓના રજવાડાની સાથે રાજાશાહી નાબૂદ થઈ હતી અને દેશે લોકતંત્ર તરફ મક્કમ ડગ માંડ્યા છે. પરંતુ રાજકીય વંશવાદરૂપે નવી રાજાશાહી ઊભી થઈ છે. આમ તો તેઓ લોકશાહી પ્રક્રિયાને અનુસરીને, બાકાયદા ચૂંટણી લડીને, ચૂંટાય છે. પરંતુ લોકોના તેમને ચૂંટવાના અને દિનબદિન રાજનીતિમાં પરિવારવાદમાં વધારો થવાના કારણો શું હોઈ શકે તે વિચારણીય છે. ભારતીયોમાંથી વ્યક્તિપૂજા અને સામંતી માનસિકતા હજુ ગઈ નથી. તેનો લાભ રાજકીય પરિવારોને મળે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી તેની જીતની શક્યતાના આધારે કરે છે. તેમાં પારિવારિક પાર્ટીઓના કુટુંબીજનો અને રાજકીય પરિવારોની પસંદગી થવી સહજ બની જાય છે. રાજકીય પક્ષો જીતની શક્યતાના આધારે મહિલાઓને ઉમેદવારો બનાવવામાં ઉદાસીન રહે છે. પરંતુ પારિવારિક પાર્ટીઓનાં મહિલા ઉમેદવારો તેમાં અપવાદ હોય છે. હાલની લોકસભાના સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ, દ્રવિડ મુનેત્ર કડગમ, અકાલી દળ અને એન.સી.પી.નાં મહિલા સાંસદો રાજકીય પરિવારનાં જ છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોમાં, ભારતીય જનતા પક્ષે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૨૨ ટકા ટિકિટો રાજકીય પરિવારના સભ્યોને આપી હતી તેમાંથી ૨૫ ટકા વિજયી થયા હતા. કાઁગ્રેસે ૩૧ ટકા ટિકિટો રાજકીય ખાનદાનોને આપી હતી. તે પૈકી ૪૪ ટકા ચૂંટાયા હતા. એટલે વિજ્યનું ગણિત અને મતદારોનો ઝૂકાવ પરિવારવાદની વિરુદ્ધમાં જોવા મળ્યો નથી.
રાજનીતિમાં વંશવાદને લોકતંત્ર માટે એટલે ખતરો માનવામાં આવે છે કે તેમના માટે રાષ્ટ્રહિત કરતાં કુટુંબનું હિત મોટું હોય છે. રાજનીતિ તેમના માટે સેવા નહીં પણ વ્યાપાર છે. ભારતમાં આમે ય રાજનીતિ લાભદાયક પારિવારિક વ્યવસાય બની ગયો છે ત્યારે પરિવારવાદી રાજનીતિ અને પારિવારિક પક્ષો લોકતંત્રના હિતમાં નથી. આ પ્રકારનો પરિવારવાદ સમાન તક, યોગ્યતા, ક્ષમતા અને પ્રતિભાને તો હણે છે તે વ્યક્તિપૂજા, ખુશામત અને દરબારી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે. મતદારોનાં દુ:ખ-દર્દ, આકાંક્ષાને સમજે એવા જમીન સાથે જોડાયેલા કાર્યકરોની ઉપેક્ષા થાય અને દરબારી ઉમેદવારો લદાય તો તે પક્ષ અને દેશના હિતમાં નથી. રાજકીય ખાનદાનના ઉમેદવારોને કારણે મતદારો માટે પસંદગી મર્યાદિત બની જાય છે. તો પરિવારના જોરે ફરી ચૂંટાવાની ખાતરી હોઈ આવા પ્રતિનિધિઓ મતવિસ્તારના કામો કરવામાં ઉદાસીન કે અંડર-પરફોર્મર હોય છે. વળી પારિવારિક પક્ષોમાં તો પરિવારનું આધિપત્ય જ નહીં તમામ નિર્ણયોમાં એકાધિકાર હોય છે.
વંશવાદ કે પરિવારવાદ ભારતીયોના ડી.એન.એ.નું અભિન્ન અંગ છે. આપણે ત્યાં ગમે તે પસંદગીમાં વ્યક્તિના ગુણોને બદલે ‘ઘરની વ્યક્તિ પહેલી’નો માપદંડ ચાલે છે. એટલે ના માત્ર રાજકારણમાં ઉદ્યોગ-ધંધા, શિક્ષણ–રોજગાર, સ્પોર્ટ્સ અને ફિલ્મોમાં પણ નેપોટિઝમ કે વંશવાદની બોલબાલા છે. રાજનીતિમાંથી પરિવારવાદ દૂર કરવા માટે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી હોવી ખૂબ જ જરૂરી છે. બહુજન સમાજ પાર્ટી અને શિવસેનાને ચૂંટણી પંચની તાકીદ પછી તેમણે સંગઠનની ઉપરછલ્લી ચૂંટણીઓ યોજી હતી. કાઁગ્રેસમાં વડા પ્રધાન જ પક્ષ પ્રમુખ હોય તેવી વણલખી પરંપરા હતી. ગાંધી-નહેરુ ખાનદાન વડા પ્રધાન પદથી દૂર રહ્યું ત્યારે પણ પક્ષની કમાન તો તેના હાથમાં જ રહી હતી. રાજકીય પક્ષો માટે રાજનીતિમાં પરિવારવાદ કોઈ સૈદ્ધાંતિક મુદ્દો નથી પણ ચૂંટણી મુદ્દો છે. હાલના કેન્દ્રના સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષના નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સભ્યો રાજનાથ સિંઘ, પીયૂષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર વગેરે પોતે કે તેમના સંતાનો વંશવાદના ઉદાહરણો હોવા છતાં ભા.જ.પ. વંશવાદથી સાવ મુક્ત પાર્ટી હોવાનો દેખાવ કરવામાં સફળ રહે છે તે ભારતીય રાજનીતિની બલિહારી છે.
e.mail : maheriyachandu@gmail.com