મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ સાચા ધર્મો છે અને એ બધા જ ધર્મો ક્ષતિગ્રસ્ત પણ છે. આ કથન ખૂબ અર્થગંભીર છે. દરેક ધર્મના ઝનૂની લોકો એમ માને છે કે તેમનો ધર્મ જ સાચો, શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે અને બાકીના બધા ધર્મો અધૂરા છે. જો દરેકે દરેક ધર્મનો અનુયાયી આમ માનવા લાગે તો જગતનું શું થાય? સહઅસ્તિત્વ અશક્ય થઈ જાય. માટે ગાંધીજીએ કહ્યું છે કે બધા ધર્મો સાચા છે.
તેમણે આવું બધાને રાજી રાખીને વિવિધ ધર્માનુયાયીઓ વચ્ચે સહઅસ્તિત્વ આસાન કરવા માટે નથી કહ્યું. ચાલાકી નહોતી. તું પણ સાચો અને તું પણ સાચો એવો ઈરાદો નહોતો. ગાંધીજી એમ માનતા હતા કે દરેક ધર્મના પ્રવક્તા વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તેઓ પવિત્ર હતા, સાધક હતા અને સિદ્ધ હતા એ માની લેવામાં પણ વાંધો ન હોવો જોઈએ. એ મહાનુભાવોએ પોતાના યુગને પારખ્યો હતો, પ્રજાની જરૂરિયાત સમજી લીધી હતી અને દીર્ઘકાલ સુધી ઉપયોગી થાય એવાં સૂચનો કર્યા હતાં અને એ રીતે પોતાનું પ્રામાણિક જીવન જીવ્યા હતા. તેઓ તેમના યુગના અને તેમના સમાજના પેગંબર હતા. આ અર્થમાં દરેક ધર્મ સાચા છે.
આ સાથે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત પણ છે. જો ધર્મો ઈશ્વરે રચ્યા હોત તો જગતમાં આટલા બધા ધર્મો ન હોત. આખા જગતની પ્રજા ઈશ્વરની પ્રજા છે એટલે એક સરખો ધર્મ દરેક લોકો માટે હોવો જોઈતો હતો. બીજું ધર્મોમાં વધારો ઘટાડો ન થતો હોત. અત્યારે તો દર સદીમાં એકાદ ધર્મ કે સંપ્રદાય ઉમેરાય છે. કોઈ ચોક્કસ ધર્મ જો સંપૂર્ણ હોત તો તેમાં સંપ્રદાયના અને પેટા સંપ્રદાયના વિભાજનો ન થયાં હોત. જગતમાં ભાગ્યે જ કોઈ ધર્મ હશે જેમાં વિભાજન ન થયાં હોય. ધર્મમાં કે ધર્માચરણ કરાવનારાઓમાં કોઈક ખામી જોઈ અથવા પોતાનો નોખો ચૂલો માંડવામાં કોઈ સ્વાર્થ જોયો એટલે તો વિભાજીત થઈને અલગ પડ્યા ને? દરેક ધર્મના આદેશ સ્થળ અને કાળ દ્વારા મર્યાદિત છે. એ વાત ખરી કે કેટલાંક કથનો સનાતન સત્ય સમાન હોય છે, પણ દરેક નથી હોતાં. જેને આપણે પયગંબર કહીએ કે અવતાર પુરુષ કહીએ તેના યુગમાં જે કથન પ્રાસંગિક હોય એ અન્ય સ્થળે, અન્ય સમાજમાં, અન્ય યુગમાં પ્રાસંગિક ન પણ હોય. જો ચિરંતન પ્રાસંગિકતા સનાતન સત્ય છે તો સ્થળ-કાળની અપ્રાસંગિકતા પણ સનાતન સત્ય છે.
માટે જ ગાંધીજીએ કહ્યું છે કે જગતના બધા જ ધર્મો સાચા છે, પણ કોઈ ધર્મ ખામીરહિત સંપૂર્ણ નથી. જેવી શ્રેષ્ઠ અને સંપૂર્ણ હોવાની વાત આવી કે પ્રતિવાદ શરૂ થાય અને પ્રતિવાદ કરવા માટે બીજા ધર્મોમાંની ખામી વીણીવીણીને બતાવવામાં આવે. અન્ય ધર્મના ધર્માનુયાયીના આચરણની ખામી ધર્મ ઉપર આરોપવામાં આવે અને પોતાનાં ધર્મનાં શ્રેષ્ઠ વચનોનો આશરો લઈને પોતે પાપાચરણ કરતા હોય તો પણ પોતાને દોષમુક્ત કરવામાં આવે. અનુયાયીઓનું આ મિથ્યાભિમાન અને પાખંડ ધર્મને લજવે છે.
જો દરેક વ્યક્તિ એમ સ્વીકારી લે કે દરેક ધર્મમાં કોઈક એવી ચીજ કહેવાઈ છે જે સનાતન સત્ય સમાન છે; જે દરેક યુગમાં, દરેક સ્થળે દરેક સમાજને ઉપયોગી થાય એમ છે. આ સાથે એમ પણ સ્વીકારી લે કે મારા ધર્મ સહિત જગતના દરેક ધર્મમાં એવું કાંઈક જોવા મળે છે જે મૂળભૂત માનવીયતાની વિરુદ્ધ છે એટલે ત્યાજ્ય છે. હું ધર્મની નિંદા નહીં કરું, પણ જે શોભનીય નથી એનો બચાવ પણ નહીં કરું. કેટલી સરળ વાત, પણ કેટલી અઘરી પડે છે નહીં!
ગાંધીજીને ટાંકીને આટલી પૂર્વભૂમિકા એટલા માટે બાંધવી પડી છે કે હિંદુઓને ઈસ્લામ અને મુસલમાનો માટે પૂર્વગ્રહ છે. તેઓ કાંઈ પણ જાણ્યા વિના બધું જ જાણે છે અને શરમાયા વિના નિંદે છે. મુસલમાનો એમ માને છે કે માત્ર તેમનો ધર્મ સાચો છે, સંપૂર્ણ છે અને શ્રેષ્ઠ છે. તેઓ ઈસ્લામમાં સ્થળ-કાળની મર્યાદા સ્વીકારવા તૈયાર નથી. ખિલાફત આંદોલન વખતે ગાંધીજી જે મૌલાના શૌકતઅલીને પોતાના ભાઈ તરીકે ઓળખાવતા હતા અને દેશભરમાં સાથે ફેરવતા હતા એ મૌલાના શૌકતઅલીએ જ્યારે ગાંધીજી સાથે વાંકું પડ્યું ત્યારે કહ્યું હતું કે ગાંધીજી કરતાં બળાત્કારી મુસલમાન શ્રેષ્ઠ છે કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર છે. ગાંધીજીએ ભારતીય પ્રજાને ધર્મને મુલવવાની ધર્મની જે એરણ આપી છે એ પ્રાસંગિક છે. ગાંધીજીને એની જરૂરિયાત વર્તાઈ હતી એ આપણને પણ વર્તાવી જોઈએ.
*****
ભારતમાં જ્યાં સુધી ઇસ્લામ ધર્મ નહોતો આવ્યો ત્યાં સુધી હિંદુઓએ આની ખાસ ચિંતા કરવાની જરૂર નહોતી. જે કોઈ વિદેશથી આવતા હતા એ હિંદુ ખરલમા વટાઈને હિંદુ થઈ જતા હતા. આનું કારણ એ હતું કે તેઓ જે કોઈ ઈશ્વરી શ્રદ્ધા લઈને આવતા હતા એ તેમની પોતીકી- સામાજિક – પરંપરાગત શ્રદ્ધા હતી; કોઈ ચોકઠાબંધ ધર્મ નહોતો જેને આપણે અંગ્રેજીમાં ઓર્ગેનાઈઝ્ડ રિલીજિયન કહીએ છીએ. આમ હિંદુ ખરલ સામે હજુ સુધી પડકાર પેદા નહોતો થયો જે ઇસ્લામના આગમન સાથે થયો હતો.
આમ છતાં ય ખરલે કોઈક રસ્તો કાઢ્યો હોત, પરંતુ ભારતનાં દુર્ભાગ્ય કે ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ “શુદ્ધ ઈસ્લામ” નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ “શુદ્ધ મુસલમાન” નહોતા. આ બે વાત સમજી લેવાની જરૂર છે.
ઈસ્લામના પેગંબર મહમ્મદનો જન્મ અરબસ્તાનમાં ઈ.સ. ૫૭૦ની સાલમાં થયો હતો. તેઓ વેપાર કરતા હતા અને ધર્મ કે આધ્યાત્મિકતા સાથે તેમનો દૂર દૂરનો પણ સંબંધ નહોતો. એક દિવસ તેઓ મીનાના પર્વત પર ગયા ત્યારે તેમને ગેબી અવાજ સંભળાયો. મહમ્મદ સાહેબ ડરી ગયા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ડરવાની જરૂર નથી. આ અલ્લાહનો પ્રજા માટેનો સંદેશ છે જે તારે લોકો સુધી પહોંચાડવાનો છે. એ પછી ૨૩ વરસ સુધી તેમને પયગામ મળતા રહ્યા જેમાંથી ૧૩ વરસ તેઓ મક્કામાં હતા અને ૧૦ વર્ષ મદીનામાં હતા.
મુસલમાનો મહમ્મદ સાહેબને પેગંબર, નબી અને રસૂલ તરીકે ઓળખાવે છે. પેગંબરનો અર્થ થાય છે ઈશ્વરનો સંદેશ (પયગામ) લાવનાર. માનવ-ઉપયોગી પરમ જ્ઞાન સંભળાવનારને નબી કહેવામાં આવે છે. નબી એવો દૂત છે જે ઈશ્વર પાસેથી પરમ જ્ઞાન મેળવીને લોકો સુધી પહોંચાડે છે. રસૂલનો અર્થ પણ દૂત જ થાય છે. આમ લગભગ એક જ અર્થના ત્રણ વિશેષણો મહમ્મદ માટે વપરાય છે.
‘લા ઇલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ’ એ ઈસ્લામનો મૂળમંત્ર છે જેનો અર્થ થાય છે ‘અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી અને મહમ્મદ તેના રસૂલ છે.’ આમ સાચા મુસલમાને અલ્લાહનો અને તેના રસૂલ તરીકે મહમ્મદનો પણ સ્વીકાર કરવાનો. એ પછી મુસલમાનોને પાંચ મૂળભૂત શિક્ષા આપવામાં આવી છે. ૧. કલમો પઢવો અર્થાત્ ‘લા ઇલાહ… વાળા મૂળમંત્રનો પાઠ કરવો. ૨. દિવસમાં પાંચ વાર નમાજ પઢવી એટલે કે પ્રાર્થના કરવી. ૩. વરસમાં એક વાર રમઝાનના મહિનામાં રોજા રાખવા. રમઝાન મહિનો પસંદ કરવાનું કારણ એ હતું કે એ મહિનામાં કુરાનની પહેલી આયાત ઉતરી હતી. ૪. દરેક મુસલમાને પોતાની વાર્ષિક આવકનો ચાલીસમો હિસ્સો (અઢી ટકા) દાન માટે કાઢવો. ૫. બને એટલી વાર મક્કા અને મદીનાની હજ કરવી.
આના પરથી જોઈ શકશો કે જગતનો સરલતમ ધર્મ હોય તો એ ઇસ્લામ ધર્મ છે અને ઇસ્લામના ઝડપી ફેલાવાનું આ રહસ્ય છે. દર્શનની કાથાકૂટ એમાં બહુ ઓછી છે. વ્યવહારધર્મ છે. બીજું ખુદા અને બંદા વચ્ચે કોઈ વચેટિયો નથી. કર્મકાંડના કોઈ આડંબર નથી અને પુરોહિતોની પૈસા વિના ભેદી ન શકાય એવી જમાત નથી. હિંદુ ધર્મમાં જેમ અધિકારભેદની વણઝાર છે એનો ઇસ્લામમાં સદંતર અભાવ છે. મુસલમાન એટલે મુસલમાન, એ સિવાયની બીજી કોઈ ઓળખ નહીં. એટલે ઇસ્સ્લામને જગતનો સૌથી વધુ સમાનતા આધારિત સમાજવાદી ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્લામનો જે ઝડપી ફેલાવો થયો એનું કારણ આ સરળતા છે, તલવાર નથી. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝડપી ફેલાવો થયો એનું કારણ પણ સામાન્ય માણસને આદરપૂર્વકનું સ્થાન આપનારી અને બાથમાં લેનારી સરળતા હતું.
ઈસ્લામમાં મૂર્તિપૂજા સામે સખત નિષેધ છે. આનું કારણ એ છે કે ઈસ્લામના પ્રાદુર્ભાવ પહેલા આરબો અનેક દેવ-દેવીઓને પૂજતા હતા અને તેના આધારે આપસમાં ઝઘડતા પણ હતા. આરબો હિંસક અને બર્બર હતા અને તેને ઉત્તેજન આપનારું એક કારણ દેવ-દેવીઓ માટેનો પક્ષપાત હતો. ખૂદ મહમ્મદને દેવ-દેવીઓ માટે લોહી રેડનારા આરબોથી જાન બચાવવા મક્કાથી મદીનાની હિજરત કરવી પડી હતી. વળી પૂજામાત્ર અધિકારભેદ પેદા કરે છે. ઉપરાંત આડંબર અને વચેટિયા તો પેદા કરે જ છે. દરેકને એક સરખો દરજ્જો આપનાર, ઈશ્વરપ્રાપ્તિનો દરેકને એક સરખો અધિકારી સમજનાર, જગતનો સૌથી વધુ સમાજવાદી ધર્મ, જગતનો સૌથી સરલતમ ધર્મ; મૂતિપૂજાને કારણે ઝનૂનનો, આડંબરનો તેમ જ વચેટિયોનો શિકાર ન બની જાય એ માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
પણ માણસ તો આખરે માણસ છે. તે સરસ કૃતિને બગાડે નહીં તો માણસ નહીં. એટલે ગાંધીજીએ કહ્યું છે કે દરેક ધર્મ સાચા છે અને દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે. કેટલીક ખામી મૂળમાં જ છે અને એ પછી તેમાં ખામીઓ ઉમેરાતી ગઈ. એટલી હદે ઉમેરાતી ગઈ કે દરેક ધર્મના મસીહા જો પાછા આવે તો તે તેનો અત્યારનો ધર્મ જોઈને કહે કે આ મારો ધર્મ નથી! ઈસ્લામની બાબતમાં પણ એવું જ બન્યું છે. આમ ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ મહમ્મદપ્રેરિત શુદ્ધ ઈસ્લામ નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ મહમ્મદને અભિપ્રેત એવા સાચા મુસલમાન નહોતા. એમાં ઉમેરાઈ હિંદુઓની ટીપીકલ ઉદાસીનતા અને ઓળખ મેળવવાની તસદી પણ લીધા વિના પૂર્વગ્રહો બાંધવાની મનોવૃત્તિ.
04 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 સપ્ટેમ્બર 2019