આપણને કશાક શરણની જરૂર હોય છે. શરણ સાહિત્ય આપી શકે છે – એ તો શરણોનું શરણ છે
અરુન્ધતી રૉય, હાર્લેમ-વ્યાખ્યાન વખતે
સાહિત્યના સ્થાન વિશે અરુન્ધતી રૉય
તાજેતરમાં અરુન્ધતી રૉયે (1963 – ) ‘પેન અમેરિકા’-ના નિમન્ત્રણથી ‘આર્થર મિલર ફ્રીડમ ટુ રાઈટ લૅક્ચર’ અન્વયે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન ‘પેન વર્લ્ડ વૉઇસિસ ફેસ્ટિવલ’-ના ભાગ રૂપે ન્યૂયૉર્ક સિટી-હાર્લેમમાં ઍપોલો થીએટરમાં યોજાયું હતું.
એમણે કહ્યું કે સમુદ્રો તપી રહ્યા છે ને આઈસ કૅપ્સ પીગળી રહી છે (કહેવાય ‘કૅપ’, પણ એ પચાસ હજાર કિલોમીટર ધરતી પર છવાયેલા હિમ અને બરફના પથારા હોય છે). કહ્યું કે પૃથ્વી પરના જીવનને ધારણ કરી રહેલી પારસ્પરિક જાળને – વેબ ઑફ ઈન્ટરડીપેન્ડન્સને – નેસ્તનાબૂદ કરવાને આપણે ત્વરાથી ધસી રહ્યા છીએ. કહ્યું કે આપણી દુર્જેય બુદ્ધિશક્તિ મનુષ્ય અને મશીન વચ્ચેની સીમાઓનો લોપ કરવાની દોરવણીઓ આપી રહી છે. આ ગ્રહને અને તેની પ્રજાતિરૂપ મનુષ્યને જોડવાને આપણે સમર્થ છીએ, પણ આપણો દુર્જેય અહંકાર એમ થવા નથી દેતો. કહ્યું કે કલાને સ્થાને આપણું હવે ઑલ્ગોરિધમ્સથી -પ્રૉબ્લેમોના ઉકેલો આપતી, ખાસ તો, કમ્પ્યૂટરની ગણક-પ્રક્રિયાઓથી- નભે છે.
એમણે જણાવ્યું, આવા સમયે આપણને ‘અજ્ઞાત’ તરફ લઇ જનારા નેતાઓ મળ્યા છે ! અરુન્ધતીએ વ્હાઈટ હાઉસના વ્હાઈટ સુપ્રામેસિસ્ટ્સનો -અમુક વંશ, જાતીયતા કે જૂથની સર્વોપરિતાની વકીલાત કરનારા, સર્વોપરિતાના રખેવાળોનો- નિર્દેશ ખાસ કરેલો. ચીનના નવ્ય સામ્રાજ્યવાદને પણ યાદ કરેલો. એમણે કહ્યું કે આપણામાંના ઘણા જનો સ્વપ્ન સેવે છે કે ‘અન્ય વિશ્વ શક્ય છે’, આ લોકો પણ એ જ સેવે છે. પણ એમને માટે એ સ્વપ્ન છે, આપણા માટે, દુ:સ્વપ્ન !
અરુન્ધતીએ કહ્યું કે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અત્યારલગીની ભૂલોમાં એ મોટામાં મોટી ભૂલ હશે. આપણે આવા ભવિષ્ય તરફ ધકેલાઇ રહ્યા છીએ ત્યારે વીજપ્રપાત જેવા આક્રમક થઇને મુરખામીઓ આદરી રહ્યા છીએ -ફેસબુકનાં ‘લાઈક્સ’ -ફાસિસ્ટ્સ આગેકૂચપ્રદર્શનો – જૂઠખચિત ન્યૂઝકૂપ્સ … લાગે છે કે ધનોતપનોત નીકળી જવાનું છે …
કઠિન અને અસહિષ્ણુતાભર્યા સમયમાંથી આપણે એકદમની ઝડપથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે અરુન્ધતીને પ્રશ્ન થયો છે કે એવા દારુણ સમયમાં સાહિત્યનું સ્થાન શું છે. માનમરતબો કે મૂલ્ય શું છે? એ નક્કી કરે છે કોણ? એમણે કબૂલ્યું છે કે આ સવાલોનો કોઇ એક સમુપકારક ઉત્તર નથી મળવાનો. એમને પ્રશ્ન થયો છે -એવા સમયે અને ભારત જેવા દેશમાં લેખક હોવું એટલે શું? ઉત્તરમાં એમણે લેખક તરીકેના પોતાના જાતઅનુભવની ખટમીઠી કહાની આ વ્યાખ્યાનમાં ભરપૂર વીગતો આપીને કરી છે.
અરુન્ધતીએ જણાવ્યું કે અમુક વખત પછી હું ‘પોલિટિકલ-ઍક્ટિવિસ્ટ’ કહેવાવા લાગી હતી. સંકેત એ હતો કે મારાં સર્જનાત્મક લેખનો – ફિક્શન – પોલિટિકલ નથી અને મારા નિબન્ધો, લેખો, એટલે કે નૉન-ફિક્શન, સાહિત્યિક નથી !
એમણે દર્શાવ્યું હતું કે સાહિત્ય એવી વસ્તુ છે જે ગૂંચવાડાભરી બાબતોને સરળ અને સાદી રીતે કહી જાણે છે. એ શક્તિ એમણે સર્જનોમાં જોઇ છે. બૂકર-વિનર ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિન્ગ્સ’ (1997) પછી એમણે બીજી નવલકથા ‘ધ મિનિસ્ટ્રી ઑફ હૅપિનેસ’ (2017) આપી છે. ક્યારેક કહેલું, પોતાનો પહેલો પ્યાર સર્જન છે. છતાં એમણે અસરકારક એટલાં બધાં બિનસર્જનાત્મક લેખનો કર્યાં છે, આપણને થાય, વર્તમાનમાં ભાગ્યેજ કોઇ સ્ત્રી-લેખકે કર્યાં હશે. લાગે કે એ સર્જનેતર લેખનો એમનો ભલેને બીજો પ્યાર હોય, પણ પ્યાર છે. છેલ્લા બે દાયકાના એવા લેખોનું પુસ્તક છે, ‘માય સેડિશિયસ હાર્ટ’ (2019), જેમાં અરુન્ધતીએ ન્યાય, અધિકારો અને સ્વાતન્ત્ર્ય માટે તાર સ્વરે વિદ્રોહ પોકાર્યો છે.
કહે કે મારા જાતઅનુભવે મને શીખવ્યું છે કે સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. કેટલીક રીતે એ સ્થાન ડામાડોળ હોય છે, ગમે ત્યારે ઊલળી પડે, પણ એ સ્થાન અ-નાશ્ય છે, એનો નાશ નથી કરી શકાતો. એ જો નષ્ટભ્રષ્ટ થયું હોય, તો આપણે લેખકો એને નવેસર રચી શકીએ છીએ. શા માટે કરીએ છીએ એવું? એટલા માટે કે આપણને કશાક શરણની જરૂર હોય છે. અરુન્ધતીએ કહ્યું કે આપણને એવું શરણ સાહિત્ય આપી શકે છે, સાહિત્ય શરણોનું શરણ છે.
હું આને એક મહાનુભાવ લેખકવ્યક્તિ તરફથી મળેલું મૂલ્યવાન વિધાન ગણું છું. એ એમની સર્જક અને કર્મશીલ બન્ને વ્યક્તિતાઓથી સંભવેલું નવનીત છે. એનું જેટલું સ્વાગત કરીએ અને મૂલ્ય આંકીએ, ઓછું કહેવાય.
આપણે ત્યાં સર્જક વ્યક્તિને અને કર્મશીલ વ્યક્તિને સામસામે મૂકવાનો બૂરો ચાલ છે. કેટલાક સર્જકો કર્મશીલોને નથી ગણતા, કેટલાક કર્મશીલો સર્જકોને નથી ગણતા. જ્યારે ત્રીજાઓ, સર્જકોને કર્મશીલ થવા અને કર્મશીલોને સર્જક થવા અવારનવાર પરોણાઘૉંચ કરતા રહે છે. જાણે શી યે મોટી સાહિત્યસેવા કરતા હોય !
અરુન્ધતીના વ્યાખ્યાનમાં રજૂ થયેલી બાબતો ઓછી વિવાદાસ્પદ નથી પણ એમાં ઝળહળતું કોઇ સત્ય હોય તો, વિદ્રોહ છે. રાજસત્તાઓની હાજરીમાં નિરન્તરના અન્યાયો જે થાય છે, પ્રજાઓ જે ભોગવે છે, એની વ્યથા સર્જકજીવોને હમેશાં સતાવતી હોય છે. અરુન્ધતીનો વ્યાખ્યાનસૂર એ વ્યથાથી ઘણો રંજિત રહ્યો છે.
આપણે ગુજરાતી સાહિત્યકારો વ્યથિત નથી એમ નથી પણ આપણી વ્યથા નાનકડું મીંદડું લાગે છે. આપણે સર્જન સિવાયનાં લેખનોમાં નથી પડતા. નિબન્ધલેખન પ્રકૃતિગાન માટે કરીએ છીએ. આત્મકથા જાતહિસાબ માટે લખીએ છીએ. મનુષ્યજીવનને સતાવતા કૂટપ્રશ્નોને વિષય તરીકે નથી અપનાવતા : હન્ગર-પ્રોજેક્ટ, ન્યૂક્લીયર વૉરફૅર, ક્લાઇમેટ ચેન્જ, રેસિઝમ, અપાર્થેઇડ, ઍનર્જી ક્રાઇસિસ, સોનિક પૉલ્યૂશન કે ટૅરરિઝમ જેવા જાગતિક પ્રશ્નો : આપણને આપણા નથી લાગતા. રાજકારણને, માત્ર નીરખવા-ચર્ચવાનું આવડે છે. અને તેમાંયે રાષ્ટ્રના રાજકારણને સ્પર્શીએ એટલા રાજ્યનાને નહીં અને આન્તરરાષ્ટ્રીયને તો જર્રાય નહીં. નારી-શોષણ અને દલિત-વ્યથા માટે સમાજને ઢંઢોળવાનું સૌથી વધારે ફાવે છે. આપણી વ્યથાનું વર્તુળ વિસ્તરતું નથી. પરિઘની બહાર જવું આપણને પરવડતું નથી.
બીજું, આપણા બધાની કારકિર્દીઓ વિદ્રોહસૂરે નહીં પણ મમ્મટ-કથિત યશ:પ્રયોજને ઘડાતી ચાલે છે. રાષ્ટ્રીય કક્ષાના ઍવૉર્ડઝ મળે પછી ઈતિસિદ્ધમ્ ! કેટલાક તો રણજિતરામ મળે પછી ઠરી જાય. બાકીનાઓ આને આદર્શ ધ્યેય ગણીને દિલોદિમાગથી મથતા રહે. આ કશી ફરિયાદો નથી. દરેકને પોતાનું સપનું સ્વેચ્છાએ અને શક્તિમતિએ આકારવાનો અધિકાર છે.
સવાલ એટલો જ છે કે આપણાથી યશ પાસે કેમ અટકી પડાય છે? તારસ્વર કેમ નથી પ્રગટતો? ઠાવકાઇ જ કેમ? સાહિત્યકાર પ્રતિભાવન્ત ન પણ હોય પણ એની પાસે વ્યુત્પત્તિ -દુનિયાને વિશેનું જ્ઞાન- તો હોઇ શકે કે નહીં? આને પણ પ્રતિબદ્ધતા કે સમયપ્રસ્તુતતા જેવા ચવાયેલા મુદ્દા સાથે ન જોડવા વિનન્તી, કેમકે એમાં પણ ચર્ચાચર્ચી પછી બન્ને પક્ષવાળા દે-તાલી કરતા પોતપોતાના ઘર ભણી નીસરી જતા હોય છે.
ભૂતકાળમાં એક સાહિત્યકારમિત્રે એવો દયાર્દ્ર સૂર રેલાવેલો કે -ભાઇ ! મને ગુજરાતીમાં એકાદ રિલ્કે આપો ! સાર્ત્ર આપો ! પણ, હું, આપણે ત્યાં કેમ એકેય અરુંધતી નથી એવી મૃદુલકણ્ઠ સૂરાવલી છેડનારો નથી. મતલબ, આ કોઇ ચીલાચાલુ રોકકળ નથી. આ તો લેખક તરીકેના મારા અને તમારા જાતઅનુભવને તપાસવાની વાત છે. ચોપાસની પરિસ્થિતિ નીરખીને એકબીજાને પૂછવાની વાત છે કે ગમતીલી દીવાલોની બહાર જોતાં આપણને શું અથવા કોણ રોકે છે…
= = =
પ્રગટ : 'સાહિત્ય સાહિત્ય' નામક લેખકની કટાર,'નવગુજરાત સમય", 08 જૂન 2019