આજે પરિણામો કોનાં પક્ષે કેવાં આવશે એ આપણે જાણતા નથી, પરંતુ સાત સંભવનાઓ છે અને તેને આધારે ભારતીય રાજકારણ કેવો વળાંક લેશે એ નક્કી થશે.
એક. જેમ ૨૦૧૪માં બન્યું હતું એમ નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે પાછા વડા પ્રધાન બને.
બે. બી.જે.પી.ને ૨૨૫ની આસપાસ બેઠકો મળે તો નરેન્દ્ર મોદી થોડીક વધુ વિસ્તારિત એન.ડી.એ.ની સરકાર રચે, જે ટેકનિકલી મોરચા સરકાર હોવા છતાં બી.જે.પી.ની લઘુમતી સરકાર વધુ હશે.
ત્રણ. બી.જે.પી.ને ૨૦૦ની અંદર બેઠકો મળે જેમાં બી.જે.પી.ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ હોય અને એ ખરા અર્થમાં મોરચા સરકાર હોય જે રીતે ૧૯૯૯-૨૦૦૪નાં વર્ષોમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.
ચાર. બી.જે.પી. ૧૫૦ બેઠકો સુધી નીચે આવી જાય અને વિરોધ પક્ષો મળીને સરકાર રચે જેને કૉન્ગ્રેસ અંદર જોડાઈને અથવા બહારથી ટેકો આપે. ઘણે ભાગે કૉન્ગ્રેસ સરકારમાં જોડાય એવી શક્યતા વધુ છે.
પાંચ. બી.જે.પી.ને બે-તૃતીયાંશ બેઠકો મળે.
છ. કૉન્ગ્રેસ મોરચા સરકારમાં વડા પ્રધાનપદનો દાવો કરી શકે એટલી, એટલે કે ૧૭૫ની આસપાસ બેઠકો મેળવે. એક રીતે જૂના યુ.પી.એ.નું પુનર્જીવન થાય અને
સાત. બી.જે.પી.નો શરમજનક કહી શકાય એવો કારમો પરાજય થાય.
આ સાત સંભવનાઓમાંથી છેલ્લી ત્રણ સંભાવનાઓ લગભગ અશક્યવત્ લાગે છે, પરંતુ જો પાંચમી સંભાવના, એટલે કે બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળી તો લખી રાખજો, નરેન્દ્ર મોદીની સરકાર બંધારણ ઉપર હાથ નાખશે. સેક્યુલર લોકતાંત્રિક ભારત સામે અસ્તિત્વનું સંકટ પેદા થશે. હું નરેન્દ્ર મોદીને, બી.જે.પી.ને અને સંઘપરિવારને શંકાનો લાભ આપવામાં માનતો નથી. સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં તેમની નિષ્ઠા નથી. જો એમ બનશે તો ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવા માટેનો વરસો જૂનો છૂપાવેલો એજન્ડા બહાર આવશે અને લાગુ પણ થશે. સૌથી વધુ કસોટી સર્વોચ્ચ અદાલતની થશે. બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળે એવી શક્યતા નથી જ નથી, પણ આ યુગમાં છાતી ઠોકીને કહેવું મુશ્કેલ છે.
આમ છેલ્લી સંભાવનાઓ ભલે અહીં નોંધી છે, પરંતુ સંભવ નથી લાગતી. શક્યતા ચાર છે અને તેનાં શું પરિણામો આવી શકે એની અહીં આપણે ચર્ચા કરવી છે.
જો સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બનશે તો ભારતનાં બીજાં પાંચ વરસ વેડફાશે જે રીતે ૨૦૧૪-૨૦૧૯નાં પાંચ વરસ વેડફાયાં છે. તેમની પાસે હિન્દુત્વનો એજન્ડા છે, આત્મરતિની આવડત છે; શાસનનો કોઈ એજન્ડા નથી અને આવડત તો જરા ય નથી એ વીતેલાં પાંચ વરસોએ બતાવી આપ્યું છે. એ દરમિયાન સ્વતંત્ર મીડિયાનું અને સ્વતંત્ર અવાજોનું ગળું ઘોંટવામાં આવશે અને લોકશાહી સંસ્થાઓને નિર્બળ બનાવવામાં આવશે. ટૂંકમાં લોકતંત્રનું કલેવર હશે પણ એમાં લોકતંત્રનો આત્મા નહીં હોય.
નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદવાળી બી.જે.પી.ની લઘુમતી સરકાર જો રચાશે તો એ નરેન્દ્ર મોદીની આ પહેલાની પહેલી મુદ્દતની સરકાર કરતાં વધુ અસરકારક અને પરિણામકારી નીવડશે. છેલ્લાં વર્ષોમાં જોવા મળ્યું છે કે સૌથી સરસ કામ લઘુમતી સરકાર કરે છે, બીજા ક્રમે સારું કામ મોરચા સરકાર કરે છે અને સૌથી નબળો દેખાવ બહુમતી સરકારનો હોય છે. પી.વી. નરસિહ રાવની સરકાર લઘુમતી સરકાર હતી અને તેને પરિણામે ભારતમાં આર્થિક ક્રાંતિ થઈ હતી. એ પછી બીજા ક્રમે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહની મોરચા સરકારોને મૂકવી જોઈએ જેણે પણ ઘણી સરસ કામગીરી બજાવી હતી. આની સામે રાજીવ ગાંધીની અને નરેન્દ્ર મોદીની બહુમતી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. આમ નરેન્દ્ર મોદીની લઘુમતી સરકાર રચાશે તો તેમની પહેલી મુદ્દત કરતાં ઘણું સારું કામ કરશે, પરંતુ તેની કામગીરી નરસિંહ રાવની સરકાર જેવી તો નહીં જ હોય; કારણ કે નરેન્દ્ર મોદી કોઈ પણ બાબતે પી.વી. નરસિંહ રાવ જેટલી આવડત ધરાવતા નથી. આને કારણે ઉત્તમ તક મળે તો પણ એ જોઈએ એવું પરિણામ આપવાની નથી.
જો બી.જે.પી.ને બસો કરતાં ઓછી બેઠકો મળે અને બૃહદ્દ એન.ડી.એ. સાથે નરેન્દ્ર મોદી સિવાય બી.જે.પી.ના બીજા કોઈ નેતા(મોટા ભાગે નીતિન ગડકરી અથવા રાજનાથ સિંહ)ના વડા પ્રધાનપદવાળી એન.ડી.એ.ની સરકાર રચાય તો મને એમ લાગે છે કે એ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. એક તો સરકાર ટકાવવા કુણા પડીને શાસન કરવું પડશે. હિન્દુત્વનો એજન્ડા હાંસિયામાં ધકેલાઈ જશે અથવા વાજપેયી સરકાર વખતે બન્યું હતું એમ પાછલે બારણેથી બની શકે એટલો હળવો હિંદુ એજન્ડા લાગુ કરવામાં આવશે. બી.જે.પી.ને ૧૮૦થી ૨૦૦ વચ્ચે બેઠકો મળી હશે એટલે મોટા ભાગે તે મુદ્દત પૂરી કરશે અને દેશને સ્થિર સરકાર મળશે. સ્થિરની સ્થિર અને પરસ્પર અંકુશયુક્ત શાસન આજના યુગમાં ઉત્તમ વિકલ્પ છે એમ છેલ્લા સાડા ત્રણ દાયકાનો અનુભવ કહે છે.
જો બી.જે.પી. સરકાર રચી શકવાની સ્થિતિમાં નહીં હોય અને વિરોધ પક્ષો મળીને સરકાર રચશે તો ત્રણ પ્રશ્નો અગત્યના હશે. પહેલો પ્રશ્ન એ કે કૉન્ગ્રેસ સરકારમાં જોડાશે કે નહીં? જો કૉન્ગ્રેસ જોડાય – અને તેવી શક્યતા ઘણી વધુ છે – તો જ મોરચા સરકાર સ્થિર શાસન આપી શકે. બીજો પ્રશ્ન એ છે કે વડા પ્રધાન કોણ બનશે? શરદ પવાર જેવી કોઈ પીઢ વ્યક્તિ વડા પ્રધાન બને તો જ આપસી હુંસાતુંસીને મેનેજ કરી શકે. જો કે એક સમયે સોનિયા ગાંધી વડા પ્રધાન બને તેનો વિરોધ કરી ચૂકેલા અને કૉન્ગ્રેસમાંથી બહાર પડેલા પવારને સોનિયા ગાંધી માફ કરશે કે કેમ એ એક સવાલ છે. ત્રીજો સવાલ એ છે કે એ પછી પણ મોરચા સરકાર મુદ્દત પૂરી કરી શકશે કે કેમ?
આજ સુધી આવો પ્રયોગ સફળ નથી થયો. કૉન્ગ્રેસ અને બી.જે.પી. નામના બે મુખ્ય પક્ષના નેતૃત્વમાં રચાયેલા મોરચા(અનુક્રમે યુ.પી.એ. અને એન.ડી.એ.)ઓએ સ્થિર અને સફળ શાસન આપ્યું છે, પરંતુ આ બે મુખ્ય પક્ષોના નેતૃત્વ વિનાની મોરચા સરકાર આજ સુધી સફળ નથી નીવડી. એક પણ નહીં. કેન્દ્રમાં પણ નહીં અને રાજ્યોમાં પણ નહીં. એટલે જ જો ત્રીજા મોરચાની સરકાર રચાય તો કૉન્ગ્રેસનું સરકારની અંદર હોવું જરૂરી છે. જો કે કૉન્ગ્રેસ સરકારમાં હોય એ પછી પણ મોરચા સરકાર મુદ્દત પૂરી કરશે જ એની કોઈ ખાતરી નથી.
તો સંભવનાઓ સાત છે. છેલ્લી ત્રણ સંભાવના સાચી પડે એવી શક્યતા નહીંવત્ છે. રહી પહેલી ચાર એમાં અત્યારની સ્થિતિ જોતા ત્રીજો વિકલ્પ દેશહિતમાં શ્રેષ્ઠ હશે.
22 મે 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 મે 2019