હમણાં તો હાલ એ છે કે ભારત તો કૉંગ્રેસમુક્ત થતાં થશે, ભાજપ કૉંગ્રેસયુક્ત થવાની પ્રક્રિયામાં છે
બજેટ સત્ર વચ્ચેના વિરામમાં ખાસી ચાલુ ચર્ચાનો અવકાશ છે, ઉત્તર પ્રદેશ અને બીજી વિધાનસભાઓના ચૂંટણી જંગમાંથી આવેલા મુદ્દા પણ લાજિમ છે. પણ આજે એ બધાથી કંઈક હટીને (કદાચ, રેઈનકોટભેર સ્નાન કરવાની રીતે!) થોડીક વાતો દીનદયાલ ઉપાધ્યાયને વિશે અને મિશે કરવી છે. 1968માં આજની તારીખે એ ગયા હતા તે કેલેન્ડર યોગ ખપ પૂરતો સંભારી શકાય; પણ તત્કાળ ધક્કો (જેની સીધી ચર્ચામાં જવાનો ખયાલ નથી તેવા) ચાલુ ચૂંટણી જંગની એક વિગતથી લાગેલો છે. ઉત્તર પ્રદેશમાં બાગી જે ભાજપી ઉમેદવારો, સત્તાવાર ઉમેદવારોની સામે ઊભા થયા છે તે આજકાલ ભાજપના સામ્પ્રત શતાબ્દી પુરુષ શા દીનદયાલ ઉપાધ્યાયને ટાંકીને પોતાનો પ્રચાર ચલાવી રહ્યા છે.
‘અોર્ગેનાઇઝર’ અઠવાડિકમાં કેટલોક સમય દીનદયાલ ‘પોલિટિકલ ડાયરી’ નિયમિત લખતા હતા. એનો એક સંચય દાયકાઓ પૂર્વે સમ્પૂર્ણાનંદની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો હતો. હવે તો જો કે દીનદયાલ ઉપાધ્યાયની સમગ્ર ગ્રંથાવલી સુલભ થઈ રહી છે એમાં આ ડાયરી સહિતનું ઘણુંબધું સ્વાભાવિક જ હશે. પણ દીનદયાલ ઉપાધ્યાયે એમની એ ડાયરીમાં કરેલી નોંધ આ બાગી ઉમેદવારો આજકાલ પ્રસારિત કરી રહ્યા છે કે માત્ર સારો પક્ષ જોઈને જ મત ન આપશો. ઉમેદવાર પણ જોશો. જો પક્ષે ભળતા હેતુસર અગર ગોથું ખાઈને કોઈ ગેરલાયક ઉમેદવારને ટિકિટ આપી હોય તો અેને મત નહીં આપીને પક્ષની ભૂલ સુધારી લેશો. દેખીતી રીતે જ, જ્યારે જનસંઘ/ભાજપ પોતાને નકરા ઇલેક્શન એન્જિન તરીકે નહીં જોતા હોય તે કાળની આ વાત છે. હમણાં તો હાલ એ છે કે ભારત તો કૉંગ્રેસમુક્ત થતાં થશે, ભાજપ કૉંગ્રેસયુક્ત થવાની પ્રક્રિયામાં છે.
ભાજપ, અમારી પાસે ય એક દર્શન છે એવા જોસ્સાથી જ્યારેત્યારે સ્વાભાવિક જ દીનદયાલ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદને આગળ કરે છે. રાજસ્થાનમાં અંત્યોદય યોજના સાથે, આપણે ત્યાં પણ એવા કોઈ ઉપક્રમ સાથે (કમનસીબે નલિયા કેસમાં તો અભદ્ર વહેવારના બિલ્લા તરીકે ય) આ નામ લેવાતું રહ્યું છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પણ સત્તાવાર ઉલ્લેખ જોવા મળે છે. અહીં એકાત્મ માનવવાદની લાંબી ચર્ચામાં નહીં જતા સંક્ષેપમાં એટલું જ કહીશું કે માણસ એ માત્ર આર્થિક પ્રાણી નથી, પરંતુ ધર્મ-અર્થ-કામ-મોક્ષ એમ ચતુર્વિધ પુરુષાર્થને વરેલું એક સમગ્ર અગર તો એકાત્મ (ઇન્ટિગ્રલ) અસ્તિત્વ છે એ એમનું મુખ્ય પ્રતિપાદન છે. સાધારણપણે (હિંદુ) રાષ્ટ્રવાદમાં પોતાની ઓળખપરખ જોતા સંઘ પરિવારને હજુ એ પ્રશ્ન કદાચ થયો જ નથી જણાતો કે દીનદયાલે જાણ્યેઅજાણ્યે આ એક કેવી ઉથલપાથલ (કૂ) કરી નાખી કે રાષ્ટ્ર, રાષ્ટ્રના અતિગાનને બદલે વિમર્શને માનવકેન્દ્રી વળાંક આપી દીધો!
મધોક કહેતા કે દીનદયાલ એકાત્મ એ પ્રયોગ અરવિંદના ‘ઇન્ટિગ્રલ’ યોગમાંથી લઈ આવ્યા, અને માનવવાદ કહેતા હ્યુમેનિઝમ રૉય પાસેથી. ગમે તેમ પણ, આપણે સારુ મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્ર, રાષ્ટ્ર કરતાં માનવ પર જવાની જરૂર પરિવારના એક અગ્રચિંતકને ઓછીવત્તી જણાઈ કે સમજાઈ. દીનદયાલ ઉપાધ્યાયની આ રજૂઆતમાં પરિવારજોગ એક કૅચ કે ગુગલીની પણ સગવડ હતી, કારણ ‘એકતા’ પ્રકારના પ્રયોગો આ પરિવારનું ખાસંખાસ ખેંચાણ રહેલું છે – ‘એકાત્મક’ (યુનિટરી) શાસનથી લઈને ‘એક ચાલકાનુવર્તીત્વ’ આ સંદર્ભમાં તરત સાંભરે છે.પણ દીનદયાલની મુશ્કેલી, કંઈક મજ્જાગત વારસાગત તો કંઈક વ્યૂહાત્મક, એ હતી કે અેમણે ‘રાષ્ટ્ર’મંત્ર સાથે આનો મેળ બેસાડવાનો હતો. એટલે એક રાષ્ટ્ર તરીકે ભારતની જે વિશેષતા છે તે મેં ‘એકાત્મ માનવ’રૂપે બહાર આણી છે એવું એમનું કહેવું રહ્યું જે અનિવાર્ય પણ હતું. રાષ્ટ્રનું અતિગાન વ્યાખ્યાગત રીતે કોઈક તબક્કે માનવવ્યક્તિને ગ્રસી જઈ શકે છે એ મુદ્દા પર સીધું નિશાન લેવાની દીનદયાલને કાં તો રગ નહોતી કે તૈયારી નહોતી.
રાષ્ટ્ર નામની અમૂર્ત ખયાલાતમાં સજીવારોપણની આ પ્રક્રિયામાં, સંઘ પરિવારને (જેમ આ લખનાર સહિત બીજા અનેકને) પ્રિય ગીતાકારનાં એ વચનોનો વિવેક નથી રહેતો કે ઈશ્વરની વિભૂતિ એક નથી, અનેક છે. રાષ્ટ્ર નામનો એકમેવ વિભૂતિવાદ (કહો કે ઘોર એકેશ્વરવાદ) તેના પર હાવી થઈ જાય છે. નમો જ્યારે ‘નેશન ફર્સ્ટ’ની તરજ પર કે ટ્રમ્પ નાઝીપ્રેમી એવિયેટર લિંડબર્ગની તરજ પર ‘અમેરિકા ફર્સ્ટ’ બોલે છે ત્યારે લોકશાહી વ્યક્તિમત્તાના હ્રાસની પ્રક્રિયા ઓર અંકે થાય છે. જેમ ગોળવલકરે રાતવરત લગભગ એકી બેઠકે (એટલે કે બિલકુલ ટૂંકા ગાળામાં) ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ લખ્યાની વાયકા છે તેમ દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રનિર્માણની સંઘસંસ્કારદૃષ્ટિએ સપાટાબંધ બે ચરિત્રો આલેખ્યાં છે – ચંદ્રગુપ્ત અને શંકરાચાર્યનાં.
ચંદ્રગુપ્તની મુખ્ય ઓળખ સામ્રાજ્ય બાંધનાર તરીકેની છે. (મગધનું સામ્રાજ્ય ગણરાજ્યોને ગ્રસી જઈ વિકસ્યું હતું.) શંકરાચાર્યે અદ્વૈતની પ્રતિષ્ઠા જરૂર કરી, પણ એક તબક્કે બૌદ્ધમતને અહીં અવકાશ ન રહે એવી ભોંય પણ બની. આ બધાં ઇતિહાસઉખાણાં ધોરણસર, નવેસર, જુદેસર છોડાવવાં અને સમજવા જેવાં છે. અહીં ન તો ચંદ્રગુપ્તની ઇતિહાસભૂમિકાના ખંડનનો ખયાલ છે, ન તો જેવાં ને તેવાં ગણરાજ્યોની પુન:પ્રતિષ્ઠા કે મંડનનો ખ્યાલ છે. માત્ર, એટલું જ એક સમજવા સમજાવવાનો ને ચીંધી બતાવવાનો ખયાલ છે કે એકતા, એકાત્મતા, એકચાલકતા આદિ વાનાં ‘નેશન ફર્સ્ટ’ના વરખ તળે તમને ને મને ક્યાં ખેંચી જઈ શકે છે. નોટબંધી નજરબંધી એની એક તાજેતરની વાનગી છે. જેનો મીઠો ડંખ હજુ તમને અને મને આરપાર જોવાની સુધબુધ આપતો નથી.
છતાં, દીનદયાલ ઉપાધ્યાયનાં જે જમા પાસાં હતાં, એક લોકસંગ્રાહક તરીકે એની જરૂર કદર કરીએ. 1967ના બિનકૉંગ્રેસવાદના તો લોહિયાની સાથે એ એક સ્થપતિ પણ હતા. તે વખતે જેમાં જનસંઘ અને સામ્યવાદીઓ બંને હોય એવી ટૂંકજીવી બિનકાૅંગ્રેસી રાજ્ય સરકારો પણ શક્ય બની હતી. (વિશ્વનાથ પ્રતાપસિંહની ટૂંકજીવી સરકાર એક સાથે ભાજપ અને સીપીએમ બંનેના બહારી સરકારથી ચાલી હતી એ યાદ છે?) લોહિયા અને દીનદયાલમાં એવી એક લવચીકતા પણ હતી કે બંને જે રીતે બિનકૉંગ્રેસવાદની ભૂમિકાએ પહોંચ્યા તેમ કાૅંગ્રેસ સાથે મળીને બીજા કોઈ બિનપક્ષવાદનુંયે લૉજિક જોઈ શકે; કેમ કે એસ્ટાબ્લિશમેન્ટની વ્યાખ્યામાં રાજકીય રીતે પ્રત્યક્ષ મુદ્દો કોણ સત્તા પર છે તેની સામેના વૈકલ્પિક ગઠનનો છે.
દીનદયાલનાં આર્થિક પ્રતિપાદનોમાં જ્યાં ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદ એકત્ર થાય છે એવા સંગમમુદ્દાઓ તરત સામે આવે છે. જનસંઘના રાજસ્થાન એકમમાંથી જાગીરદારી ધારાસભ્યોને એમના પ્રતિગામી વલણ માટે દીનદયાલ બરતરફ કરી શકતા હતા. ભાજપના આજના કોર્પોરેટી સંધાન સાથે એ ભાગ્યે જ સંમત થઈ શકે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની જે નીતિ ભાજપની છે એનું પ્રતિપાદન એકાત્મ માનવવાદને ધોરણે શક્ય નથી. આજની ભાજપ સરકાર અંગે, નીતિવિષયક ટીકા કરતી ખાસી સામગ્રી તમને દીનદયાલ ગ્રંથાવલીમાંથી મળી શકે – પણ સરકાર જેનું નામ તે કંઈ વાંચવા બંધાયેલ મંડળી તો નથી.
સૌજન્ય : ‘ભાજપનું ઇલેક્શન-એન્જિન’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2017