વડા પ્રધાન કહે છે કે કોવીડ સંકટ બહુ મોટું સંકટ છે અને દેશે તેની સામે યુદ્ધ કરવાનું છે. કોઈ મૂરખ હશે એ જ વડા પ્રધાનની વાત સાથે સંમત નહીં થાય. પણ સવાલ એ છે કે જો મહામારી સામે યુદ્ધે ચડવાનું છે તો એ કોણે ચડવાનું છે? અત્યારે જ દેશમાં કોરોના વાઈરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યા છે? ભક્તોને વિનંતી કે દિમાગ જરાક ખુલ્લું રાખે. તમારી આસપાસ કોરોના સામે કોણ લડાઈ લડી રહ્યું છે?
એ છે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, અન્ય અર્ધ-તબીબી સેવકો, રુગ્ણાલયોના વ્યવસ્થાપકો, ક્વોરેન્ટાઈનના કર્મચારીઓ, દરદીઓને ભોજન પહોંચાડનારાઓ, સફાઈ કામદારો, સુધારાઈના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જાહેર આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓના કર્મશીલો, બસ-એમ્બ્યુલન્સ અને તાત્કાલિક સેવાના ડ્રાઈવરો, પોલીસો અને દવાની દુકાનના માલિકો અને કર્મચારીઓ. હવે જીવના જોખમે આ જે લોકો કામ કરી રહ્યાં છે એ ક્યાં કામ કરી રહ્યાં છે? કોના કહેવાથી કામ કરી રહ્યાં છે અને કોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યાં છે? જરા વિચારશો તો યુદ્ધનું સ્વરૂપ કેવું છે અને યુદ્ધ લડતા લડવીરો કોણ છે એનો ખ્યાલ આવશે.
યુદ્ધ જમીન ઉપર લડાઈ રહ્યું છે, લોકોની વચ્ચે અને દેશભરમાં. અંગ્રેજીમાં કહીએ તો માઈક્રો લેવલે. આ કોઈ દિલ્હીમાં બેસીને લડવાની લડાઈ નથી કે નથી સરહદે લડવાની લડાઈ. આ તો દેશની તસુએ તસુ ભૂમિ ઉપર લડાતી લડાઈ છે. અને જે લોકો લડી રહ્યા છે એ સ્થાનિક સત્તાવાળાઓના કહેવાથી લડી રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ લડી રહ્યા છે. તો વાતનો સાર એ કે મહામારીના સંકટ સામે દેશભરમાં લડત ચાલી રહી છે અને સાવ જમીનીસ્તરે લડાઈ રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, સુધરાઈ અને પંચાયતના સ્તરે.
તો કેન્દ્ર સરકાર શું કરે છે? તેની આમાં શું ભૂમિકા છે અથવા હોઈ શકે? તેની ભૂમિકા છે; માત્ર અને માત્ર માર્ગદર્શનની અને મદદનીશની. કેન્દ્ર સરકારની આરોગ્યસંસ્થાઓ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી વગેરે) જમીન ઉપર લડનારાઓનું માર્ગદર્શન કરતી રહે એ જોવાની. રાજ્યો-રાજ્યો વચ્ચે સહકાર વધે એ જોવાની. આનાથી વધારે કોઈ મોટી ભૂમિકા કેન્દ્ર સરકારની હોઈ શકે નહીં. આ અભિપ્રાય નથી, આપણો દોઢ મહિનાનો અનુભવ છે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો પણ આનાથી વધુ કાંઈ કરી શકે નહીં.
ભારતનાં બંધારણમાં વિષયવિભાગણી કરવામાં આવી છે. આ કામ કેન્દ્ર જોશે, આ કામ રાજ્યો જોશે અને આ કામ બંને મળીને જોશે. આમાં આરોગ્યનો વિષય રાજ્યોને સોંપવામાં આવ્યો છે, કારણ કે બંધારણ ઘડનારાઓને ખબર હતી કે અડાજણના આરોગ્યકેન્દ્રનું સંચાલન દિલ્હીથી કરવામાં આવે તો અડાજણનો ક્યારે ય ઉદ્ધાર ન થાય.
હવે બે સવાલ :
૧. જો આ કોરોના સામેનું યુદ્ધ છે તો પી.એમ. કૅરમાં જમા થયેલા ફંડમાંથી રાજ્યોને પૈસા કેમ આપવામાં નથી આવતા? ખરું પૂછો તો લડાઈ રાજ્યસ્તરીય છે એટલે પૈસા મુખ્ય પ્રધાનોના રાહત ફંડમાં જમા થવા જોઈતા હતા, વડા પ્રધાને આમાં માર્ગદર્શન અને મદદ સિવાય શું કરવાનું છે? જે લડાઈ લડતું હોય એને પૈસા મળવા જોઈએ કે માર્ગદર્શકને? પાછું વડા પ્રધાન રાહત નિધિ ૧૯૪૮થી અસ્તિત્વમાં છે તો અલગથી ફંડની જરૂર શું પડી? પી.એમ. કૅર શા માટે એનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી અને કોઈ કરી શકે એમ પણ નથી. કેન્દ્ર સરકાર ધારે તો પણ સીધો ખર્ચો કોઈ જગ્યાએ કરી શકે એમ નથી, સિવાય કે નરેન્દ્ર મોદીએ કોરોનાનો સામનો કેવી રીતે કર્યો એના ગુણગાન ગાનારી જાહેરખબરો પાછળ. કોરોના પતવા દો, પી.એમ. કૅરનું ફંડ વપરાતું જોવા મળશે.
૨. મહારાષ્ટ્રના રાજ્યપાલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉપલા ગૃહમાં નિયુક્ત શું કામ નથી કરતા? એક મહિનાથી રાજ્ય સરકાર ઠરાવ કરીને વિનવે છે છતાં રાજ્યપાલ સાંભળતા જ નથી. હવે ત્રણ અઠવાડિયા બચ્યા છે ત્યારે રાજ્યપાલે વિધાનપરિષદની ચૂંટણી યોજવાનું ચૂંટણીપંચને કહ્યું છે. આ સમય ચૂંટણી યોજવાનો છે કે વડા પ્રધાન કહે છે એમ યુદ્ધ લડવાનો? બંધારણ મુજબ મુખ્ય પ્રધાને મુખ્ય પ્રધાન બન્યા પછી છ મહિનામાં રાજ્યના બેમાંથી એક ગૃહના સભ્ય હોય એ જરૂરી છે અને ઉદ્ધવના છ મહિના પૂરા થઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં શિવસેનાના વિરોધીઓ પણ ઉદ્ધવની કામગીરી અને માણસાઈ જોઇને છક થઈ ગયા છે.
જ્યારે ભક્તોનો તાળીઓનો ગુંજારવ બંધ થઈ જશે અને પાળેલા શ્વાનોનું કોરસગાન શાંત થઈ જશે ત્યારે ઇતિહાસ વડા પ્રધાનને કઈ રીતે મૂલવશે એ યાદ રાખવું જરૂરી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 મે 2020