આમ છતાં બહુમતી કાશ્મીરીઓ ઇચ્છે છે કે તેમને સંપૂર્ણ સાચું લોકતંત્ર અને વિકાસની તક આપવામાં આવે તો તેઓ ભારતમાં રહેવા માગે છે. વારંવારના વિશ્વાસઘાત છતાં તેઓ ભારતમાં રહેવાનું પસંદ કરે છે એ તેમની મજબૂરી કે નબળાઈ છે એમ નહીં માનતા. તેઓ કાશ્મીરી ઇસ્લામને બચાવવા માગે છે જે કશ્મીરિયતની ખાસ ઓળખનો સ્રોત છે. ક્યારેક તો કોઈ પ્રશ્નને જેનો પ્રશ્ન હોય એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવાનો કે નહીં?
૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ત્યાંની પ્રજાને વિશ્વાસમાં લઈને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. તેમણે તેમની ખાસ શૈલીમાં કહ્યું હતું કે ન ગાલી સે ન ગોલી સે, કશ્મીર કી સમસ્યા સુલઝેગી ગલે લગાને સે. મૂળમાં આ જુમલો જમ્મુ અને કાશ્મીરના દિવંગત મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદનો હતો. ન ગાલી સે ન ગોલી સે, કશ્મીર કા મસલા મિટેગા બોલી સે. મુફ્તીસાહેબના જુમલામાં વધારે સારો પ્રાસાનુપ્રાસ છે, પરંતુ ઉદ્ધરણનો હવાલો મુફ્તીસાહેબને ન આપવો પડે એટલા માટે વડા પ્રધાને એમાં થોડો ફરક કરી નાખ્યો હતો. ગમેતેમ વડા પ્રધાને જે કહ્યું છે એ આવકાર્ય ઘટના છે અને એનું આ લખનાર સહિત દેશભરમાં લોકોએ સ્વાગત કર્યું છે. ત્યાં સુધી કે જમ્મુ અને કાશ્મીરના બે મુખ્ય નેતા; અનુક્રમે મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીએ અને વિરોધ પક્ષના નેતા ઓમર અબદુલ્લાએ પણ સ્વાગત કર્યું છે.
સવાલ એ છે કે વડા પ્રધાન અને ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન વાતચીત દ્વારા ઉકેલવાની બાબતે ગંભીર અને એના કરતાં પણ આગળ પ્રામાણિક છે? અત્યાર સુધીનું ભારત સરકારનું વલણ જોતાં ભરોસો બેસતો નથી. આંખનું મટકું પણ માર્યા વિના જુઠ્ઠું અને વિરોધાભાસી વિધાન કરવાની ક્ષમતા આપણા વડા પ્રધાન ધરાવે છે. રાજકારણમાં જૂઠ, ઢોંગ અને વિસંવાદ એ કોઈ નવી વાત નથી; પરંતુ વર્તમાન વડા પ્રધાને એમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. ગયા વરસે બુરહાન વાની સાથેના એન્કાઉન્ટર અને એમાં થયેલા વાનીના મોત પછીથી કાશ્મીરની ખીણમાં લોકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભારત સરકારે ધરાર લોકોને શાંત પાડવાનો કે વાતચીત કરવાનો પ્રયાસ નથી કર્યો. શરૂઆતમાં કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નના ઉકેલ વિશે અલગ-અલગ અભિપ્રાય ધરાવનારા તમામ લોકો સાથે વાતચીત કરશે. કશ્મીરિયત અને ઇન્સાનિયતના દાયરામાં રહીને દરેક સાથે વાતચીત કરવા ભારત સરકાર તૈયાર છે. વડા પ્રધાને તેમના પોતાના ગૃહપ્રધાનને શ્રીનગર જઈને કશ્મીરિયત અને ઇન્સાનિયતના દાયરામાં વાતચીત કરવાની છૂટ નથી આપી. જેમ ચીનના પ્રશ્ને સુષમા સ્વરાજ ભાગ્યે જ બોલે છે એમ કાશ્મીરના પ્રશ્ને રાજનાથ સિંહ ભાગ્યે જ બોલે છે.
વડા પ્રધાને હજી એક મોટો ધક્કો સંસદીય સમિતિને આપ્યો હતો. BJPના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાના અધ્યક્ષપદમાં સંસદસભ્યોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીર ગયું હતું. ત્યાં એણે રાજનાથ સિંહે કહ્યું હતું એમ કાશ્મીરના પ્રશ્નના ઉકેલ બાબતે જુદા-જુદા અભિપ્રાય ધરાવનારા દરેક જણ સાથે વાતચીત કરી હતી. યશવંત સિંહાની સંસદીય સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના લોકોમાં ઉકેલ બાબતે મતભેદ હોવા છતાં તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા આતુર છે. પ્રતિનિધિમંડળના અહેવાલ મુજબ તમામ વિચારધારાના કાશ્મીરીઓ ત્રાસવાદના વિરોધી છે અને તેઓ સાચું લોકતંત્ર અને શાંતિ સાથે વિકાસ ઇચ્છે છે. સંસદીય સમિતિએ છ મહિના પહેલાં વડા પ્રધાનને એનો અહેવાલ મોકલ્યો છે, પરંતુ વડા પ્રધાને એ વિશે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે સંસદીય સમિતિ વતી યશવંત સિંહાએ કાશ્મીર વિશે વાતચીત કરવા માટે સમય માગ્યો હતો જે આજે છ મહિના થવા છતાં આપવામાં નથી આવ્યો. અટલ બિહારી વાજપેયીની કૅબિનેટના સિનિયર મોસ્ટ પ્રધાનોમાંના એક અને BJPના સિનિયર નેતાને જો કાશ્મીર જેવા મહત્ત્વના પ્રશ્ને વાતચીત કરવા માટે સમય ન આપવામાં આવતો હોય તો એનો અર્થ એટલો જ થાય કે વડા પ્રધાન કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની બાબતે ગંભીર નથી.
ગયા મહિને મેં કાશ્મીરની ખીણ અને લદ્દાખનો પ્રવાસ કર્યો ત્યારે પણ આવો જ અનુભવ થયો હતો. કાશ્મીરના લોકો વાતચીત કરવા માટે આતુર છે. જેટલા લોકો સાથે મેં વાતચીત કરી એમાંથી બે સૂર પ્રગટ થતા હતા. એક, પાકિસ્તાન સાથે જોડાવાનો તો પ્રશ્ન જ નથી અને બે, આઝાદ કાશ્મીર દરેક કાશ્મીરીને જોઈએ છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે આઝાદીનો વિકલ્પ વ્યવહારુ નથી. કાશ્મીરને આઝાદી મળી પણ જાય તો પણ કાશ્મીર આઝાદી ટકાવી શકે એમ નથી. આમ સરેરાશ કાશ્મીરી બે વિકલ્પના હિમાયતી છે. એક સ્વાયત્તતા અને બીજો વિકલ્પ સાચું ટકોરાબંધ લોકતંત્ર. તેમની ફરિયાદ એ છે કે ભારત સરકાર વાતચીત કરવા જ તૈયાર નથી અને અત્યારની કેન્દ્ર સરકાર કાશ્મીરની ખીણને સળગતી રાખીને બાકીના ભારતમાં રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને હિન્દુત્વના નામે રાજકીય લાભ લેવા માગે છે. કાશ્મીર એ હિન્દુત્વની હોળીનું નારિયેળ છે.
આ સ્થિતિમાં વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરીઓ સાથે ગળે મળીને, પ્રેમ કરીને વાતચીત દ્વારા પ્રશ્ન ઉકેલશે. એક અહેવાલ એવો પણ છે કે તેઓ BJPના ચાર નેતાઓને પોતાના પ્રતિનિધિ તરીકે કાશ્મીર મોકલવાના છે. જે નામ આપવામાં આવી રહ્યાં છે એમાંનું એક પણ નામ જાણીતું નથી. આમ પણ BJPમાં મુસલમાનો બહુ ઓછા છે અને બીજું, કાશ્મીરના લોકો સાથે સંવાદસેતુ સાધવા માટે કોઈનું મુસલમાન હોવું જરૂરી નથી. આ પહેલાં ડૉ. મનમોહન સિંહની સરકારે કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા અને મન જાણવા સંવાદસેતુ તરીકે ત્રણ જણને કાશ્મીર મોકલ્યા હતા જેનું નેતૃત્વ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ તંત્રી દિલીપ પાડગાવકરે કર્યું હતું અને બીજા બે સભ્યોમાં જાણીતાં સમાજવિજ્ઞાની રાધા કુમાર અને કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ઇન્ફર્મેશન કમિશનર એમ. એમ. અન્સારીનો સમાવેશ થતો હતો. એમ. એમ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ કારણ હતું.
આમ કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા માટે કોઈનું મુસલમાન હોવું જરૂરી નથી અને એમાં સૌથી મોટું કારણ એ છે કે કાશ્મીરી ઇસ્લામનો ચહેરો જ અલગ છે. તેઓ તો ઊલટું ભારત સરકાર સાથે વાતચીત કરીને અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલીને કાશ્મીરી ઇસ્લામનો ચહેરો બચાવી રાખવા માગે છે. એક કાશ્મીરી મુસલમાને મને કહ્યું હતું કે જો કાશ્મીરની ખીણમાં અશાંતિ ચાલુ રહી તો વહાબી-સલ્ફી ઇસ્લામ અમને ગ્રસી જશે અને એની શરૂઆત થઈ ગઈ છે. કાશ્મીરની ખીણમાં અહલે હદીસનો પ્રભાવ વધી રહ્યો છે અને સમજદાર કાશ્મીરી મુસલમાનો એનાથી બચવા માગે છે. દેશની સરહદે અને ચીન તેમ જ પાકિસ્તાનની પાડોશમાં વહાબી-સલ્ફી ઇસ્લામનું પ્રભાવી વર્ચસ્વ હોય એ દેશના હિતમાં નથી. જ્યારે પાકિસ્તાનના મુસલમાનો તેમનો પરંપરાગત ઉદારમતવાદી ઇસ્લામ જાળવી રાખવા માગતા હોય ત્યારે ભારત સરકારે અને દેશપ્રેમીઓએ એમાં તેમને મદદ કરવાની હોય કે તેમની ઉપેક્ષા કરીને તેમને ત્રાસવાદીઓને મૂળભૂતવાદીઓને પ્રેરણા આપનારા ઇસ્લામિક ફિરકા તરફ ધકેલવા જોઈએ. આમ વાતચીત મહત્ત્વની છે એમાં કોઈનું મુસલમાન હોવું મહત્ત્વનું નથી.
વડા પ્રધાન પર ભરોસો નહીં બેસવાનું એક બીજું કારણ પણ છે. વડા પ્રધાન જ્યારે લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા હતા એના બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઍટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે સરકાર બંધારણના આર્ટિકલ ૩૫(અ)ને બંધારણના આર્ટિકલ ૩૬૮ના પ્રકાશમાં રિવ્યુ કરવામાં આવે એની સામે સરકારને વાંધો નથી. આ અત્યાર સુધીના કેન્દ્ર સરકારના વલણની વિરુદ્ધ તો છે જ, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ પહેલાં જેટલી વાર આ આર્ટિકલ વિશે ચુકાદા આપ્યા છે એની વિરુદ્ધ પણ છે. આ રજૂઆત પણ સાબિત કરે છે કે કાશ્મીરીઓને ગળે લગાડવાની વાત એક ઢોંગ માત્ર છે.
બંધારણનો આર્ટિકલ ૩૫(અ) શું છે એનો લાંબોલચક ઇતિહાસ છે. આઝાદી પછી રિયાસતોનું વિલીનીકરણ થતું હતું ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજવીએ વિલીનીકરણનો નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો. તેમનો ઇરાદો જમ્મુ અને કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવાનો હતો. સ્વતંત્ર કાશ્મીરમાં તો જમ્મુ અને કાશ્મીરના એ સમયના સર્વોચ્ચ નેતા શેખ અબદુલ્લાને પણ રસ હતો, પરંતુ તેમને રાજાશાહીની જગ્યાએ લોકશાહી જોઈતી હતી. શેખ અબદુલ્લાના મનમાં બે વિકલ્પ હતા; જો શક્ય હોય તો સ્વતંત્ર પણ લોકતાંત્રિક કાશ્મીર અને જો એ શક્ય ન હોય તો ભારત અંતર્ગત કાશ્મીર. આમ લોકતંત્ર તેમના માટે પ્રાથમિકતા ધરાવતું હતું. રાજા હરિસિંહ માટે સ્વતંત્ર રિયાસત પ્રાથમિકતા ધરાવતી હતી.
રાજા નિર્ણય લેતા નહોતા અને એ દરમ્યાન પાકિસ્તાને કાશ્મીરને હડપી જવા ઉત્તર કાશ્મીર અને ખીણ પર હુમલો કર્યો. હવે રાજા પાસે ભારતમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. રાજાએ ભારતમાં જોડાવાને લગતી સંધિ પર સહી કરી તો આપી, પરંતુ એમાં બહુ મોડું થઈ ગયું હતું. જેમ બીજી રિયાસતોનું ભારતમાં બે સંધિઓ દ્વારા સંપૂર્ણ વિલીનીકરણ થઈ શક્યું હતું એમ જમ્મુ અને કાશ્મીરનું વિલીનીકરણ ન થઈ શક્યું. પહેલી સંધિ ભારતમાં વિલીન થવાના ઇરાદાને લગતી હતી અને બીજી સંધિ ભારતમાં વિલીન થવાની શરતોને લગતી હતી. બીજી સંધિ થાય એ પહેલાં જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન બે દેશ વચ્ચેના કજિયાનો અને યુનાઇટેડ નેશન્સની લવાદીનો બની ગયો.
હવે સવાલ એ આવ્યો કે કાશ્મીર સાથેના ભારતના સંબંધનું સ્વરૂપ કેવું હશે? આના ઉત્તરરૂપે અધૂરા વિલીનીકરણને વ્યવહારુ બનાવવા માટે બંધારણમાં પાછળથી આર્ટિકલ ૩૭૦નો ઉમેરો કરવામાં આવ્યો હતો. એ આર્ટિકલ મુજબ સંરક્ષણ, વિદેશવ્યવહાર અને સંદેશવ્યવહારને છોડીને બાકીના પ્રશ્ને નિર્ણય લેવાનો અને કાયદાઓ ઘડવાનો અધિકાર જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાનો હશે અને ભારત સરકાર જો જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડે એવા કાયદા ઘડવા માગતી હશે તો એને જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા અથવા વિધાનસભા માન્યતા આપશે. આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીરને અધૂરા વિલીનીકરણને કારણે કેટલીક સ્વાયત્તતા મળી હતી. એ આપવામાં નહોતી આવી, પરિસ્થિતિને કારણે મળી હતી.
હવે સવાલ આવ્યો નાગરિકત્વનો. જમ્મુ અને કાશ્મીરની પ્રજા કોની નાગરિક ગણાય, ભારતની કે જમ્મુ અને કાશ્મીરની? અધૂરા વિલીનીકરણને કારણે ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડનારા આર્ટિકલ ૩૭૦ હેઠળ ૧૯૫૪માં રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા કોણ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહીશ (અર્થાત્ નાગરિક) છે અને કોણ જમ્મુ અને કાશ્મીરમાં રહેવાનો તેમ જ સંપત્તિ ખરીદવાનો અબાધિત અધિકાર ધરાવે છે એ નક્કી કરી શકે છે જેને ભારત સરકાર બંધારણમાં આમેજ કરશે. આર્ટિકલ ૩૫(અ) આનું પરિણામ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને ભારતીય જનસંઘને આર્ટિકલ ૩૭૦ સામે પહેલેથી વાંધો છે અને એને તેઓ ખતમ કરવા માગે છે. તેમને એટલું સમજાતું નથી કે આર્ટિકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડી રાખનાર બંધારણીય નાળ છે. એ તોડી નાખવામાં આવે તો વિલીનીકરણની થવી જોઈતી બીજી સાર્વગ્રાહી સંધિના અભાવમાં જમ્મુ અને કાશ્મીર આપોઅપ સ્વતંત્ર થઈ જાય. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનું સંપૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫(અ) વિના ચાલે એમ નથી અને સંપૂર્ણ વિલીનીકરણ અત્યારે દ્વિપક્ષી ઝઘડાની ગૂંચવાયેલી સ્થિતિમાં શક્ય નથી.
૧૯૫૨ પછીથી સ્વાર્થ સર્યા પછી ભારત સરકારે ધીરે-ધીરે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતાની અવગણના કરવા માંડી હતી. આર્ટિકલ ૩૭૦ની જોગવાઈઓની ધાર બુઠ્ઠી કરવા માંડી હતી. એક સમયે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન વડા પ્રધાન તરીકે ઓળખાતા હતા એ ઓળખ ખતમ કરી નાખવામાં આવી હતી. નેહરુએ તેમના મિત્ર શેખ અબદુલ્લાને મુખ્ય પ્રધાનપદેથી બરતરફ કરીને જેલમાં પૂર્યા હતા. કાશ્મીરના લોકોને એ વિશ્વાસઘાત લાગતો હતો તો ભારત સરકાર માટે એ દેશહિતની મુત્સદ્દી હતી. આમ કાશ્મીરની પ્રજા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો સાત દાયકા લાંબો ઇતિહાસ છે. ભારતીય જનસંઘે દેશહિતની મુત્સદ્દીના નામે કાશ્મીરીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડીમાં જો નેહરુને સાથ આપ્યો હોત તો પણ ઇતિહાસ જુદો હોત.
આમ છતાં બહુમતી કાશ્મીરીઓ ઇચ્છે છે કે તેમને સંપૂર્ણ સાચું લોકતંત્ર અને વિકાસની તક આપવામાં આવે તો તેઓ ભારતમાં રહેવા માગે છે. વારંવારના વિશ્વાસઘાત છતાં તેઓ ભારતમાં રહેવાનું પસંદ કરે છે એ તેમની મજબૂરી કે નબળાઈ છે એમ નહીં માનતા. તેઓ કાશ્મીરી ઇસ્લામને બચાવવા માગે છે જે કશ્મીરિયતની ખાસ ઓળખનો સ્રોત છે.
ક્યારેક તો કોઈ પ્રશ્નને જેનો પ્રશ્ન હોય એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવાનો કે નહીં?
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉગસ્ટ 2017