મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીનું આ વર્ષ છે એટલે તેમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં યાદ કરવા જોઈએ.
૧૨મી ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી નજીક ટંકારામાં તેમનો મૂળશંકરના નામે શૈવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે બ્રહ્મો સમાજની સ્થાપના માટેની ભૂમિકા બની ચુકી હતી અને ૧૮૨૮માં તેની સ્થાપના થઈ હતી. બ્રહ્મો સમાજ એમ માનતો હતો કે કોઈ ધર્મ ગ્રન્થ અને તેનાં વચન અંતિમ પ્રમાણ નથી. માનવીનો અંતરાત્મા અને વિવેક સર્વોપરી છે. બ્રહ્મો સમાજ અવતારમાં પણ નથી માનતો. બ્રહ્મો સમાજ અનેક ઈશ્વર અને મૂર્તિ પૂજાને પણ નકારતો હતો. બ્રહ્મો સમાજીઓ જ્ઞાતિ વ્યવસ્થાનો વિરોધ કરતા હતા. મૂળશંકર સમજણા થયા ત્યાં સુધીમાં બ્રહ્મો સમાજની દેશભરમાં ખ્યાતિ બની ચૂકી હતી અને એ રાહે થોડાઘણા ફેરફાર સાથે પ્રાર્થના સમાજ અને એવી બીજી સંસ્થાઓની સ્થાપના થવા લાગી હતી.
દયાનંદ સરસ્વતીનો જન્મ થયો એનાં ત્રીસેક વરસ પહેલાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના મૂળ વતની ઘનશ્યામ પાંડે ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. દયાનંદ સરસ્વતી પચીસ વરસના થયા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં જગ્યા બનાવવા લાગ્યો હતો.
દયાનંદ સરસ્વતી અસ્વસ્થ હતા. એક તરફ ઈશ્વરીય ગ્રન્થ એકેય નથી અને અંતરાત્મા તેમ જ વિવેક સર્વોપરી છે એમ માનનારા બ્રહ્મો સમાજીઓ અને બીજી તરફ એક માનવીને ઈશ્વરના અવતાર તરીકે જોવાની-સ્વીકારવાની અને એક નવો સંપ્રદાય આકાર લે એવી તજવીજ તેમને અકળાવતી હતી. આ રીતે હિંદુ પરધર્મીઓનો મુકાબલો કેવી રીતે કરે? હિંદુઓએ સંગઠિત થવા માટે કોઈક મોટું અવલંબન જોઈએ અને મન ફાવે તેને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીને અને નવા નવા સંપ્રદાય રચીને તેને વિભાજીત કરનારા નાનાંનાનાં અવલંબનોને દૂર કરવા જોઈએ. હિંદુઓ પાસે બધાને બાંધી રાખે એવું કોઈ મોટું ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ અને મન ફાવે ત્યારે નોખો ચોકો કરીને હિંદુઓને કમજોર કરનારી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.
દયાનંદ સરસ્વતી એમ પણ માનતા થયા હતા કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની તાકાત તેનાં સ્વરૂપમાં છે અને હિંદુ ધર્મની નબળાઈનું કારણ પણ તેનું સ્વરૂપ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો આખા જગતમાં ફેલાયેલા છે અને તેમનો ધાર્મિક ચહેરો એક સરખો છે. તેઓ ધાર્મિક ભાતૃભાવ ધરાવે છે, જ્યારે હિંદુ બીજા હિંદુ સાથે સંપ્રદાય અને પેટા સંપ્રદાયના નામે બાપે માર્યા વેર ધરાવે છે. ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વ્યવસ્થિત રીતે સંગઠિત ધર્મ છે અને તે સંગઠિત એટલા માટે છે કે તે માળખાબદ્ધ (સ્ટ્રકચર્ડ) છે. જો હિંદુઓએ સંગઠિત થવું હોય તો હિંદુ ધર્મને પણ માળખાકીય સ્વરૂપ આપવું જોઈએ. એ પછી જ હિંદુઓમાં અખંડ હિંદુ હોવાની ઓળખ પેદા થશે, તેની અંદર અસ્મિતાભાવ અને તેની સાથે અને તેને કારણે સંખ્યાભાવ પેદા થશે.
દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને ગુજરાતી અને સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા જાણતા નહોતા, એટલે તેમણે શરૂઆતમાં ગુજરાતમાં નવા વિચાર ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. તેઓ નિરાશ થઈને અને “ગુજરાતમાં પાખંડી પૂજાય” એવો ફિટકાર વરસાવીને ગુજરાત છોડીને જતા રહ્યા હતા. જે કારણે દયાનંદ સરસ્વતીને ગુજરાતી હોવા છતાં ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ ન મળ્યો, અદ્દલ એ જ કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ મળ્યો હતો. વાંચવું વિચારવું પ્રશ્ન કરવો કે શંકા કરવી એ સરેરાશ ગુજરાતીઓના પીંડમાં નથી. આ હું નથી કહેતો, દયાનંદ સરસ્વતીનું આવું ગુજરાતીઓ વિશેનું નિદાન છે.
ખેર, ૧૮૭૫માં દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. આગળ કહ્યું એમ આર્ય સમાજનો ઉદ્દેશ સાંપ્રદાયિક ભેદભાવ વિનાના અખંડ હિંદુને પેદા કરવાનો હતો. એ માટે તેઓ માળખા વિનાના હિંદુ ધર્મને ચોક્કસ પ્રકારે માળખાબદ્ધ કરવા માગતા હતા. તેમની અંદર અસ્મિતાભાન અને સંખ્યાભાન પેદા કરવા માગતા હતા. માટે તેમને હિંદુ રાષ્ટ્રવાદના પ્રથમ ઉદ્દગાતા તરીકે ઓળખાવવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવું હોય તો Pioneer of Hindu Nationalism. આધુનિક રાષ્ટ્રવાદ બહુમતી કોમ, તેની સંખ્યા અને અસ્મિતા પર આધારિત છે. ભારતે એક સર્વસમાવેશક અને સહિયારા એવા નરવા રાષ્ટ્રની રચના કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે એમ લાગે છે કે નરવાઇ કેટલાક હિંદુઓને પસંદ નથી. તેમને ગયા સપ્તાહના લેખમાં ગાંધીજીને ટાંકીને કહ્યું હતું એમ ઇન્ડિયન સ્લેટ (પાટી) નથી ખપતી, વેસ્ટર્ન સ્લેટ ખપે છે. બહુમતી રાષ્ટ્રવાદ આયાતી છે.
અહીં એક પ્રશ્ન થવો જોઈએ. જેને પાયોનિયર ઓફ હિંદુ નેશનાલીઝમ તરીકે ઓળખાવવામાં આવે છે એવી વ્યક્તિની દ્વિશતાબ્દી જેવી મોટી ઘટનાને રાષ્ટ્રીય સ્તરે કેમ ઉજવવામાં ન આવી? હિંદુ રાષ્ટ્રવાદીઓની કેન્દ્રમાં તેમ જ મહત્ત્વનાં રાજ્યોમાં સરકાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવું દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, પુષ્કળ સાધનો છે. તેઓ ધારત તો જેમ રામમંદિરની ઘટનાને જે રીતે ઉજવી એ રીતે સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી ઉજવી શક્યા હોત. દયાનંદ સરસ્વતીના અખંડ હિંદુની વાત ઘરેઘરે પહોંચાડી શક્યા હોત. એની જગ્યાએ વડા પ્રધાન ટંકારા જઈ આવ્યા અને એ પછી કાંઈ જ નહીં. હિંદુ રાષ્ટ્રવાદનું પાયારોપણ કરનાર વ્યક્તિનું બસ આટલું જ માનસન્માન? શા માટે?
કારણ છે હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવાનો સ્વામી દયાનંદ સરસ્વતીનો આગ્રહ અને એવા આગ્રહ માટેની ભાષા. સરેરાશ હિન્દુને એ માફક આવે એમ નથી. હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવા માટે દયાનંદ સરસ્વતીએ શું ઉપાય સૂચવ્યો હતો અને તેના પ્રચાર-પ્રસાર માટે શું કર્યું હતું એની વાત આવતા સપ્તાહે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 ફેબ્રુઆરી 2024