Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકોની સૌ પ્રથમ ફરજ અધિકારોનું રક્ષણ કરવાની છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 September 2025

બુધન થિયેટર, ગ્રામીણ શિક્ષા કેન્દ્ર, જનસાહસ, મુસ્કાન અને ભાષા એમ પાંચ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલ ત્રણ દિવસના પ્રશિક્ષણ કાર્યક્રમમાં શનિવારે હાજરી આપી. તેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવેલા ૪૫ જેટલા વિચરતી અને વિમુક્ત જાતિઓના કાર્યકર્તાઓ સમક્ષ અઢી કલાકના પ્રવચન અને પ્રશ્નોત્તરી દરમ્યાન ચર્ચવામાં આવેલા મુખ્ય મુદ્દા : 

(૧) રાજ્ય નામની સંસ્થા મનુષ્યોએ પોતાના અધિકારોના રક્ષણ માટે સ્થાપી પણ એ જ નાગરિકોના અધિકારોને છીનવી લેવાની કાર્યવાહી કરે છે, કાયદા ઘડે છે, નિયમો બનાવે છે. એની સામે અવાજ ઉઠાવવો એ કર્તવ્ય છે. 

(૨) આપણે બંધારણ ઘડીને આપણા માટે એ ભારત બનાવ્યું કે જે ઇતિહાસમાં કદી હતું જ નહીં. આ ભારત બનાવવાનો ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનો છે. એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ કે નહીં તેનું મૂલ્યાંકન સતત કરતા રહેવું જોઈએ. 

(૩) બંધારણમાં જ આપણે નક્કી કર્યું છે કે ભારતમાં તાનાશાહી કે રાજાશાહી નહીં હોય. આજે ભારતમાં લોકશાહીમાં જ રાજાશાહી સ્થાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. 

(૪) સત્તાનો સ્વભાવ છે કે એ બીજાને પોતાને તાબે રાખે. એવું ન થાય માટે જ બંધારણમાં નાગરિકોના અધિકારો લખેલા છે. એ અધિકારોનું રક્ષણ કરવાનું  કામ આપણે શું કરવાનું છે. 

(૫) નાગરિકોનું સૌ પ્રથમ કર્તવ્ય છે કે તેઓ પોતાના અધિકારોનું રક્ષણ કરે. નાગરિકોની બીજી બધી જ ફરજો પછી આવે છે. 

(૬) કોઈ પણ સત્તાધીશ લાંબો સમય રહે તો તેનામાં તાનાશાહ બનવાનું વલણ આપોઆપ ઊભું થાય છે. ભારતમાં ભલે સંસદીય લોકશાહી હોય, પણ કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ બે મુદ્દત કે દસ વર્ષથી વધુ સમય હોદ્દા પર ન રહે તેવો કાયદો થવો જોઈએ. 

(૭) આર્થિક અસમાનતા ઘટે તે જોવાની જવાબદારી સરકારની છે. એ બંધારણમાં પ્રકરણ-૪માં લખવામાં આવ્યું છે. અસમાનતા પોતે જ અન્યાય છે. ધનિકો પર વધુ કરવેરા નાખીને ગરીબોનું ભલું કરવું એ રાજ્યનો ધર્મ છે. 

(૮) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો એક અગત્યનો ભાગ છે. એ સ્વતંત્રતા રહે નહીં તો લોકશાહી રહી નથી એમ સમજવું જોઈએ. આ સ્વતંત્રતા આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ એટલે એ જન્મજાત છે. એ બંધારણે આપી નથી, પણ બંધારણે સ્વીકારી છે, એ બંધારણમાં લખવામાં આવી છે. 

તા.૦૭-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સવાલ ન પૂછી શકે એ ભક્ત અને જવાબ ન આપી શકે એ ધર્મ બંને અધૂરા 

સોનલ પરીખ|Opinion - Opinion|8 September 2025

ભક્તિ જ્યારે અંધભક્તિ બની જાય ત્યારે ધર્મક્ષેત્રમાં પાખંડ, શોષણ અને રાજકારણ પ્રવેશે છે. સમાજ અને રાષ્ટ્ર એની બહુ ભારે કિંમત ચૂકવે છે. એવે વખતે કોઈ સુધારક, કોઈ બહાદુર સત્યપ્રેમી જાગે છે, અનાચારને પડકારે છે અને સમાજની આંખો ખોલે છે. ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી આવા હતા … 

આ મહિનાની 27 તારીખે એક મહાપુરુષની ચિરવિદાયને 150 ઉપરાંત વર્ષ થાય છે. એમનું નામ કરસનદાસ મૂળજી. ‘એ કોણ?’ એવો સવાલ વાચકમિત્રોના મનમાં ન ઊઠે એમ ઈચ્છું, પણ કદાચ ઊઠતો હોય તો 2023માં પ્રગટ થયેલી સૌરભ શાહ લિખિત નવલકથા ‘મહારાજ’ અને એના પરથી બનેલી ‘મહારાજ’ ફિલ્મની યાદ અપાવું. એ બંને જેના પર આધારિત છે એ હતો મહારાજ લાયબલ કેસ. બ્રિટિશશાસિત મુંબઇમાં 1862માં જાન્યુઆરીથી એપ્રિલ ચાલેલા આ કેસના ફરિયાદી હતા વૈષ્ણવ હવેલીના જાદુનાથજી મહારાજ. આરોપી હતા નીડર પત્રકાર કરસનદાસ મૂળજી. કેસ ત્રણ મહિના ચાલ્યો હતો. ચુકાદો આપતા જજ આર્નોલ્ડે કહ્યું હતું કે ‘અમારી સામે મુકાયેલો સવાલ કોઈ ધર્મ અંગેનો નહીં, પણ નીતિમત્તા અંગેનો છે. નીતિમત્તાની દૃષ્ટિએ જે ખોટું કે ખરાબ હોય તે ધર્મની દૃષ્ટિએ સાચું કે સારું હોઈ શકે નહીં.’

ભક્તિ જ્યારે અંધભક્તિ બની જાય ત્યારે ધર્મક્ષેત્રમાં પાખંડ, શોષણ અને રાજકારણ પ્રવેશે છે. સમાજ અને રાષ્ટ્ર એની બહુ ભારે કિંમત ચૂકવે છે. એવે વખતે કોઈ સુધારક, કોઈ બહાદુર સત્યપ્રેમી જાગે છે, અનાચારને પડકારે છે અને સમાજની આંખો ખોલે છે. ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી આવા હતા. 

કરસનદાસ મૂળજી 1832માં મહુવા પાસેના વડાળ ગામે જન્મ્યા, મોસાળમાં ઊછર્યા અને મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા. 1854માં કવિ નર્મદાશંકર – જેમનો આજે જન્મદિન છે – તે કૉલેજના પ્રથમ વર્ષમાં, કરસનદાસ બીજા વર્ષમાં તથા મહીપતરામ રૂપરામ ત્રીજા વર્ષમાં ભણતા હતા. આ ત્રણે અને સ્વામી દયાનંદ, દુર્ગારામ મહેતા, અને નવલરામ જેવા સામાજિક સુધારણાના મશાલધારીઓ એક જ દાયકામાં જન્મેલા.

કરસનદાસ 1851માં સ્થપાયેલી ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ના આરંભથી સભ્ય હતા. ઑગસ્ટ 1852માં તેમણે આ સભા સમક્ષ ‘દેશાટણ વિશે નિબંધ’ વાંચ્યો. બીજે વરસે તે પ્રસિદ્ધ થયો. તેમાં તેમણે હિંદુ જ્ઞાતિઓના આગેવાનોને વિલાયત જનારાઓને નાત બહાર ન મૂકવા વિનંતી કરી હતી. પણ લેખનનો ખરો આરંભ દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફતાર’થી થયો હતો; જેના તેઓ 1860થી 1862 દરમિયાન અધિપતિ પણ રહ્યા હતા. ‘રાસ્ત ગોફ્તાર’માં કરસનદાસનો પહેલો લેખ ‘બાપદાદાઓની ચાલ’ (એટલે કે, જૂના વખતથી ચાલ્યા આવતા રિવાજ) વિશેનો હતો. તેમાં વીસ વર્ષના કરસનદાસે ‘મારા પ્યારા દેશીઓ’ને ઉલ્લેખીને કહ્યું છે કે ‘આપણી ખરાબ રૂઢિ કાઢીએ અને અંગ્રેજોની સારી રૂઢિ દાખલ કરીએ તો તેમાં અંગ્રેજોની નકલ કરી છે, એવું ન ગણાય.’ ‘વિધવાપુનર્લગ્ન’ વિષય પર યોજાયેલી નિબંધ હરીફાઈમાં જોડાવાને કારણે કરસનદાસને ઘરમાંથી નીકળી જવું પડ્યું. 1855માં કરસનદાસે પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કર્યું. 1857માં કેખુશરૂ કાબરાજીએ ગુજરાતી ભાષામાં પહેલું સ્ત્રીઓનું સામયિક ‘સ્ત્રીબોધ’ શરૂ કર્યું. કરસનદાસ તેના સહસ્થાપક અને બે વર્ષ સુધી તંત્રી પણ હતા. 

અંગ્રેજ સરકારનો સૂર્ય ત્યારે મધ્યાહ્ને અને દેશ સાંસ્કૃતિક પતનની ધારે. નિરક્ષરતા, જાતિપ્રથા, ભેદભાવ આભડછેટ, બાળલગ્ન, વિધવાવિવાહ નિષેધ, જ્ઞાતિ બહિષ્કૃતિ, સ્ત્રીઓ પર અત્યાચાર, ધર્મના નામે થતા પાખંડ, શોષણ, અંધશ્રદ્ધા, વહેમ ટોચ પર હતાં. જો કે દરેક સમાજમાં થોડા બૌદ્ધિકો આ બધા સામે વિરોધનો સૂર ઉઠાવતા રહેતા. ‘રાસ્ત ગોફ્તાર’ તથા ‘સત્યપ્રકાશ’ના લેખો દ્વારા કરસનદાસ મૂળજીએ જનજાગૃતિની જે ઝુંબેશ આદરી અને ચારેબાજુ વ્યાપેલાં દૂષણો સામે જે રીતે રીતસરનું રણશિંગું ફૂંક્યું એ જોતાં એમને ‘વીર યોદ્ધા’ કહેવા પડે. 

એ વખતે વલ્લભ સંપ્રદાયના મહારાજોની નીતિમત્તા ઘટવા માંડી હતી. પોતાના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ લઈને ધર્મગુરુઓ ખૂબ સંપત્તિ ભેગી કરતા. ભક્તો મહારાજોની ત્યાં સુધી ગુલામી કરતા કે પોતાની દીકરીઓ, બહેનો, પત્નીઓ મહારાજોને અર્પણ કરતા. કરસનદાસ આ બધા વિરુદ્ધ લખતા રહેતા. મહારાજો પહેલા તો પોતાની સત્તા, સંપત્તિ અને સર્વાધિકાર પર મુસ્તાક રહ્યા, પણ કરસનદાસના લેખોની અસર ભક્તો પર પડતી જોઈ તેઓ અકળાયા અને જુદી જુદી રીતે કરસનદાસને પાછો પાડવા, ડરાવવા-ધમકાવવા અને લાલચ આપવા પ્રયત્ન કરવા લાગ્યા. કરસનદાસ ગભરાય તેવો ન હતો. કેટલાક મિત્રો તેને જાહેર અને ગુપ્ત ટેકો આપતા. કેટલાક ભાટિયાઓએ પોતાના ઘરની સ્ત્રીઓ મહારાજોથી દૂર રહે તેવો ‘બંદોબસ્ત’ કર્યો હતો. 

1860માં કરસનદાસનો જાણીતો લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ પ્રગટ થયો અને જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા 50,000નો બદનક્ષીનો દાવો માંડ્યો (ત્યારે સોનાનો ભાવ 18 રૂપિયે તોલો હતો.) તેનો અહેવાલ ‘મહારાજ લાયબલ કેસ’ નામે પ્રગટ થયો છે. આ કેસમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા. કોર્ટે તેમને ખર્ચ પેટે જદુનાથજી પાસેથી રૂપિયા 11,500 અપાવ્યા. ‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું.

મહારાજ લાયબલ કેસ જીત્યા પછી કરસનદાસે કેટલોક સમય ‘મુંબઈ બજાર’ નામનું સાપ્તાહિક ચલાવ્યું. શૅર-સટ્ટામાં પડ્યા, ખુવાર થયા, ફરી ઊભા થયા. થોડો વખત તેમની જ્ઞાતિના સુધારક શેઠ કરસનદાસ માધવદાસની ભાગીદારીમાં ચિનાઈ કાપડનો વેપાર કર્યો. કરસનદાસ માધવદાસે ઇંગ્લૅન્ડમાં પોતાની પેઢી ખોલી હતી, તેનો વહીવટ સંભાળવા તેમણે કરસનદાસ મૂળજીને 1863માં ઇંગ્લૅન્ડ મોકલ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી તેમને ઇંગ્લૅન્ડના વડા પ્રધાનની મુલાકાતે લઈ ગયા હતા. મુંબઈ પાછા ફર્યા કે તરત કપોળ વાણિયાની નાતે તેમને નાતબહાર મૂક્યા. કરસનદાસ અણનમ રહ્યા. આજીવન પ્રાયશ્ચિત્ત ન કર્યું. 

1867માં કરસનદાસ રાજકોટમાં કાઠિયાવાડ પૉલિટિકલ એજન્ટના મદદનીશ નિયુક્ત થયા. સૌરાષ્ટ્રનાં શહેરોમાં ફરીને સુધારા પર ભાષણો આપ્યાં, રાજકોટમાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું વિજ્ઞાન તથા હુન્નરનું માસિક શરૂ કર્યું.  ત્રણ વર્ષ પછી તેમની બદલી લીંબડી થઈ. તે સમયે તેમને અર્પણ થયેલાં માનપત્રો ઉપરથી જાણવા મળે છે કે રાજકોટમાં પુસ્તકાલય, શાકમાર્કેટ તથા અનાજ માર્કેટ બંધાવવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. 1870માં તેમણે પોતાના 1852થી 1860 સુધીના લેખોમાંથી પસંદ કરીને ‘નિબંધમાળા’નો પ્રથમ ભાગ પ્રગટ કર્યો. આ ગ્રંથ ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્ત્વનો દસ્તાવેજ છે.

1871માં તેમણે ગુજરાતની ઉચ્ચ જ્ઞાતિની વિધવા ધનકોરબાઈ અને માધવદાસનું લગ્ન કરાવ્યું. તેમણે આશરે 10,000 શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ ‘ધ પૉકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્ષનરી’, ‘નીતિસંગ્રહ’, ‘નીતિવચન’, ‘સંસારસુખ’, ‘મહારાજોનો ઇતિહાસ’, ‘વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો’, ‘કુટુંબમિત્ર’, ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ વગેરે ગ્રંથો આપ્યા છે. 28મી ઑગસ્ટ 1871માં માત્ર 39 વર્ષની ઉંમરે તેમણે ચિરવિદાય લીધી. 

કરસનદાસ વિશેનું સૌથી પહેલું ચરિત્ર, તેમના અવસાનનાં છ વર્ષ પછી, સમકાલીન સુધારક મહીપતરામ નીલકંઠે લખ્યું : ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’. કરસનદાસનું બીજું અને વિગતવાર ચરિત્ર અંગ્રેજીમાં બી.એન. મોતીવાલાએ 1932માં આવેલી કરસનદાસની જન્મશતાબ્દી નિમિત્તે લખ્યું – ‘કરસનદાસ મૂળજી : એ બાયોગ્રાફિકલ સ્ટડી’. આ બંને ચરિત્રોમાં કરસનદાસ ત્રણ વાર પરણ્યા હતા એ ઉલ્લેખ છે પણ નામ  માત્ર પહેલાં પત્ની વાલીબાઈનું જ મળે છે. મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે કરસનદાસ મૂળજીની સાર્ધ શતાબ્દિ નિમિત્તે તેમના જીવન વિશે એક પુસ્તિકા તૈયાર કરી છે. ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયાએ કરસનદાસ મૂળજીના પરિવારની ભાળ મેળવી છે, રસ ધરાવનારાઓ ઈન્ટરનેટ પરથી જાણી શકશે.

1926માં ‘પોલ કેસ’ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષ કરનાર હીરાલાલ મંગળદાસ ‘પ્રવાસી પાગલ’ની વિગતો છે. તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. હતું. તેમની સામે કુલ 14 કેસો થયા હતા.

શ્રદ્ધા જ્યારે અંધ બને છે ત્યારે માણસની વિવેકશક્તિ છીનવાઈ જાય છે. ‘મહારાજ’ ફિલ્મમાં એક સમજદાર વડીલ કરસનદાસ સાથેના એક સરસ સંવાદમાં કહે છે કે ‘સવાલ ન પૂછી શકે એ ભક્ત અધૂરો અને જવાબ ન આપી શકે એ ધર્મ!’ અને ઉમેરે છે, ‘સવાલ પૂછશે એને ભોગવવું તો પડશે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઑગસ્ટ  2025

Loading

3 BHK : સામાન્ય લાગતી અસામાન્ય ફિલ્મ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 September 2025

રવીન્દ્ર પારેખ

શાંતિ ટોકિઝની ફિલ્મ 3BHK U-TUBE પર જોઈ. એક લીટીની વાર્તા એવી છે કે ફિલ્મની શરૂઆતમાં મધ્યમવર્ગનું એક કુટુંબ ઘર શોધે છે અને અંતે મળે છે. આ વાત મધ્યમવર્ગનાં કુટુંબની વાત બને એ રીતે ફિલ્મમાં મુકાઈ છે. આપણે ફિલ્મ નહીં, પણ આસપાસનું કુટુંબ જોતાં હોઈએ, એમ એક કુટુંબ બતાવાયું છે. સાધારણ રીતે દરેક કુટુંબને પોતાનું એક ઘર હોય એવું સપનું હોય છે, પણ મધ્યમવર્ગનાં કુટુંબ માટે એ સહેલું નથી. બાર સાંધો ને તેર તૂટે-એવી સ્થિતિમાં ઘર ખરીદવાનું દૂર જ ઠેલાતું રહે છે.

૨૦૦૬માં ફિલ્મ શરૂ થાય છે. વાસુદેવ તેની પત્ની શાંતિ અને દીકરા-દીકરી સાથે એક ઘર ખાલી કરીને, બીજા મકાનમાં રહેવાં આવે છે. આ ઘર અગાઉનાં ઘર કરતાં પણ નાનું છે ને કોઈને જ પસંદ નથી પડતું. ભાડાનાં ઘર બદલાતાં રહે છે, પણ ઘરનાં ઘરનું સપનું અધૂરું જ રહે છે. દીકરી આરતી, વાસુને કહે પણ છે કે ઘર લો તો એવું લેજો કે એક રૂમ મારો હોય, એક ભાઈ પ્રભુનો ને એક પાપા-મમ્મીનો હોય. વાસુની ઈચ્છા તો એવી પણ છે કે એ ઘરની બહાર ‘વાસુદેવન્‌’ની નેઈમ પ્લેટ લાગેલી હોય !

વાસુ, પ્રભુને ખાનગી સ્કૂલમાં એટલે ભણાવે છે કે તેનું ભવિષ્ય ઊજળું બને, પણ તે ભણવામાં નબળો છે, જ્યારે આરતી હોંશિયાર છે. ભાઈ સારી સ્કૂલમાં ભણી શકે, એટલે તે સરકારી સ્કૂલમાં ભણે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ સાથે છે. તેને બધું જ સારું લાગે છે. તે સતત એડજસ્ટ કરતી રહે છે. વાસુદેવ એક કંપનીમાં કામ કરે છે. તેણે તેના નાના ભાઈને સારી સ્થિતિમાં મૂક્યો છે, પણ તે મદદમાં નથી આવતો. તે એટલું કરે છે કે લગ્ન ન કરવા માંગતી આરતીને ધનાઢ્ય કુટુંબમાં પરણાવી આપે છે, જ્યાં તે જરા ય સુખી નથી. એ ઘરને પૈસાનો એટલો ઘમંડ છે કે તે આરતીને નોકરાણીની જેમ રાખે છે. પતિ તેને ચાહતો નથી, પણ મા બનાવી શકે છે. એક દિવસ પતિને માથે બાટલી ફોડીને તે પિતા પાસે આવી રહે છે.

વાસુએ સાડાસાત લાખ ઘરને માટે ભેગા કર્યા છે, પણ ઘર ખરીદવા તે ઓછા પડે છે. હવે પંદર લાખ હોય તો ફ્લેટ મળે એમ છે. વાસુને પંદર લાખ ભેગા કરતાં વર્ષો નીકળી જાય છે ને ત્યારે ભાવ ૨૫ લાખ ચાલે છે. જે કંપનીમાં તે કામ કરે છે, ત્યાં ટેકનોલોજીની જાણકારી ન હોવાને લીધે તેણે નોકરી છોડવી પડે છે. તેણે શીખવાના પ્રયત્નો કર્યા, ઓવર ટાઈમ કર્યો, એમાં માઈલ્ડ હાર્ટ એટેક પણ આવી ગયો. ઘર માટે રાખેલી બચત સર્જરીમાં ખર્ચાઈ ગઈ. પત્ની, દીકરી પણ ઘરમાં સ્નેક્સ બનાવીને ટેકો કરવા મથે છે, પણ ઘર તો દૂર જ રહે છે.

વાસુ, પ્રભુને કહે છે, ‘ મારાથી થાય તે હું કરું છું, પણ તારું ભવિષ્ય તારા હાથમાં છે.’ જો કે, પ્રભુ ભણવામાં નિષ્ફળ રહે છે. સ્કૂલમાં તેના જેવી જ નિષ્ફળ ઐશ્વર્યા સાથે તેની મૈત્રી થાય છે. તે થોડા વખતમાં જ એકાએક અલોપ થઇ જાય છે. પ્રભુ તપાસ કરે છે, પણ મળતી નથી. પ્રભુને મિકેનિકલ એન્જિનિયરિંગમાં રસ હતો, પણ ભળતું જ ભણવાનું આવતાં નિરાશ થાય છે. કોલેજમાં તેને તેના જેવો જ નિષ્ફળ મિત્ર મળે છે. પહેલે દિવસે બન્ને પહેલી બેંચ પર બેસે છે, પણ સમજ ન પડવાથી ધીરે ધીરે છેલ્લી બેંચ પર બેસતા થાય છે.

પિતાની જેમ જ પ્રભુ સતત નિષ્ફળ રહે છે, પણ બન્ને પ્રયત્નો છોડતા નથી. અનેક ઈન્ટરવ્યૂ પછી પણ નોકરી મળતી નથી. એક ઈન્ટરવ્યૂમાં તો એ સીધું પૂછી જ લે છે, ‘મને રિજેક્ટ કર્યો છે ને !’  જવાબ મળે છે – હા. કારણ તેણે જે જવાબો આપ્યા તે ગોખેલા છે, તેમાં સમજ નથી. તેને બદલે તેનો મિત્ર પસંદગી પામ્યો છે. એ મિત્રની મદદથી જ એને પણ નોકરી મળે છે, પણ ત્યાં એ ટકતો નથી, કારણ ત્યાં કોપી-પેસ્ટનો જ મહિમા છે.

એક દિવસ વાસુ, પ્રભુને તેનાં લગ્નની વાત કરવા ઘરે બોલાવે છે. ઇન્કમટેક્સ ઓફિસરની એકની એક ક્રોધી, દીકરી સાથે પ્રભુની અનિચ્છા છતાં, એન્ગેજમેન્ટ નક્કી થાય છે. એન્ગેજમેન્ટ માટે કપડાંની ખરીદી કરવા એક સ્ટોરમાં પ્રભુ ને તેનું ઘર પહોંચે છે. અહીં સેલ્સ ગર્લ તરીકે ઐશ્વર્યા જોવા મળે છે ને બન્ને એકબીજાને ઘણે વખતે જોતાં વિચલિત થઈ જાય છે. બન્ને એકલાં મળે છે ને રાતોરાત પરણવાનું નક્કી કરે છે.

આ વાતે વાસુ એટલો આઘાત પામે છે કે વાત કરવાનું બંધ કરી દે છે, એટલું જ નહીં, ઐશ્વર્યાને પણ પુત્રવધૂ તરીકે નકારે છે. શાંતિ પહેલી વખત મિજાજ ગુમાવીને પૂછે છે કે અમીર વહુનાં ન આવવાથી એટલે તો નારાજ નથી ને કે તેને નિમિત્તે ફ્લેટ મળવાનો હતો ! દીકરાનાં લગ્ન નિમિત્તે પણ ઘર થાય, એવું વાસુના મનમાં તો હતું જ ! બધેથી નિરાશ થતાં, વાસુ પાછો આવે છે ને પિતા સામે કબૂલ કરે છે કે તે બધામાં જ નિષ્ફળ રહ્યો છે, પણ હવે તે પોતાની રીતે આગળ વધશે ને એવી સ્થિતિ આવે છે કે પ્રભુ-આરતીના સંયુક્ત પ્રયત્નથી પોતાનો ૩BHK ફ્લેટ ખરીદે છે. ગૃહપ્રવેશની વિધિમાં આવેલા મહેમાનો વચ્ચે ફિલ્મ પૂરી થાય છે ….

ફિલ્મ બહુ કલાત્મક કે ટેકનિકલી પરફેક્ટ છે, એવું નથી. આમ તો એ સાઉથની હિન્દી ડબ્ડ મૂવી છે. વિષય પણ નવો નથી. એવું પણ નથી કે તેમાં અણધાર્યા વળાંકો છે, એટલે ઉત્તેજનાને લીધે ફિલ્મ જોવાનું કોઈ કારણ રહે. આમ અન્ય ફિલ્મોની જે મર્યાદા બને એ બાબતો આ ફિલ્મની વિશેષતા બને છે. બધું જ ધારણા મુજબ બને છે, પણ જ્યારે બને છે, ત્યારે તે પાત્રોની ધારણા વિરુદ્ધ હોય છે. ઘર માટે બચાવેલા પૈસા બીજે જ વપરાતા રહે એવું ધારી શકાય, પણ પિતાના બચાવેલા પૈસા તેના જ ઓપરેશનમાં ઘૂસી જશે, એ પાત્રોની ધારણા બહાર છે, એ જ રીતે બચાવેલા પૈસા આરતીનાં લગ્નમાં જશે, એવી પણ પાત્રોની ધારણા નથી. બધું જ ધારેલું બનતું હોવાથી ફિલ્મની ગતિ કોઈને ધીમી લાગે, પણ તેની ખૂબી એ છે કે ફિલ્મ છોડી દેવાનું મન થતું નથી, તે તેનાં હૃદયસ્પર્શી દૃશ્યોને કારણે –

એક દૃશ્યમાં પ્રભુ નોકરી છોડીને, હાઉસિંગ લોન નકારીને, ઘરે આવીને ભાંગી પડે છે. તેણે એ નોકરી નથી કરવી. પિતા કહે છે, ‘ થોડા એડજસ્ટ કર લો, બેટા, ભવિષ્ય અચ્છા હો જાયેગા !’

પ્રભુ કહે છે, ‘પાપા, પ્લીઝ ! હર વક્ત વહી બાત ! એડજસ્ટ કર લો, ફ્યુચર અચ્છા હોગા ! એડજસ્ટ કર લો, ફ્યુચર અચ્છા હોગા ! બચપન સે સુન રહા હૂં ! પતા નહીં, વો ફ્યુચર કબ આયેગા?’

હકીકત એ છે કે સાધારણ માણસો ભવિષ્ય સારું કરવા જતાં વર્તમાનમાં જીવતાં જ નથી. એ ભવિષ્ય પણ ભવિષ્યમાં જ આવે છે, કારણ ફ્લેટ લેવાય છે ત્યારે સમય ૨૦૨૭નો ચાલે છે.

બીજું એક દૃશ્ય છે, જેમાં પ્રભુ ખરીદેલો ફ્લેટ બતાવવા માતાપિતાને ફ્લેટમાં લઇ આવે છે. તે જુએ છે કે એક રૂમ આરતીનો છે, એક પ્રભુનો અને એક પોતાનો છે. આરતીની નાનકી, સોનેરી કપડામાં વીંટેલું કંઇ લઈ આવે છે. વાસુ તે ખોલે છે, તો એમાં ‘વાસુદેવન એન્ડ ફેમિલી’ નામની લાકડાની નેઈમ પ્લેટ છે. વાસુ અને આખું કુટુંબ ભાવ વિભોર થઇ ઊઠે છે. આવાં તો ઘણાં દૃશ્યો છે. એમાં કંઇ ઝડઝમક નથી, કોઈ ગ્લેમર નથી. કરુણતા એ છે કે સાદું જીવવાનું છે, તે ય જીવાતું નથી ને સાચું તો જીવાતું જ નથી ! એ જીવવામાં જીવવાનું પૂરું થઈ જાય છે … પણ નિષ્ફળતાઓ વટાવ્યા પછી એક સૂર્ય એવો ઊગે છે જે તમામ અંધકારને ખસેડતો સફળતાનું કિરણ ફોડે છે ….

પ્રોડ્યુસર અરુણ વિશ્વની અને રાઈટર-ડિરેક્ટર શ્રી ગણેશની આ ફિલ્મ છે. ફિલ્મ તમામ કુટુંબોને અર્પણ કરાઈ છે. દક્ષિણના કલાકારો સિદ્ધાર્થ, સુપ્રીમ સ્ટાર સરથકુમાર, દેવયાની, મીઠા રઘુનાથ, ચૈત્રા, યોગી બાબુ…ના અભિનયથી ઓપતી આ ફિલ્મમાં સૌએ કેવળ સાહજિક અભિનય કર્યો છે. અભિનય એવો કે અભિનય લાગે નહીં ! ઘણી વાર ગવાતું એક ગીત ગવાય છે, ‘સપને સારે સચ હોંગે એક દિન …!’ બધાં ગીતો બેકગ્રાઉન્ડમાં સૂચક રીતે ગવાય છે. ગીતો રીતેશ વાક્લેનાં છે અને તે એલ.કે. લક્ષ્મીકાંત અને સ્તુતિ સિંહાએ ગાયાં છે. એડિટિંગ ગણેશ શિવાનું છે. સંગીત અમૃત રામનાથનું છે. ફોટોગ્રાફી દિનેશ કૃષ્ણન બી. અને જિતિન સ્ટેનિસ્લોસની છે. બહુ કલાત્મક નથી, પણ વાસ્તવિકતાના ગાઢા રંગો તે બરાબર ભરે છે ….

એકંદરે આ ઘર વગરનાંની, ઘર ઘરની ફિલ્મ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 સપ્ટેમ્બર 2025

Loading

...102030...9899100101...110120130...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved