Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેલમાં ભણતર

Gandhiana|28 June 2025

મનુબહેન ગાંધી

આગાખાન મહેલ, 10-4-1943

આજથી બાપુજીએ સહુથી પહેલાં કરાંચીમાં હું ભણતી તે શાળામાં પાઠ્યપુસ્તક તરીકે ચાલતી ચોપડીઓ પોતાના અભ્યાસાર્થે વાંચી જવાની શરૂઆત કરી. અને એ રીતે ભૂમિતિ અને ઇતિહાસ-ભૂગોળ તથા ગુજરાતી વ્યાકરણની ચોપડીઓ, વાંચવી શરૂ કરી. પોતાનું વાંચવાનું છોડીને મારાં પાઠયપુસ્તક ઉપરથી મને કઈ રીતે ભણાવવી એ વિચારથી બહુ જ ધ્યાન રાખીને, જ્યાં જ્યાં નોંધ કરવી ઘટે ત્યાં ત્યાં પેન્સિલ વડે નોંધ ટપકાવી લીધી અને બપોરના મને ભૂમિતિના અને ત્રિરાશિના બે-ત્રણ દાખલા લખાવ્યા. તે દાખલા બીજે દહાડે કરી લાવવાના હતા. મારી પાસે ભૂમિતિની નોટબુક ન હતી, તેથી મેં અમારા સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ પાસે મંગાવી; તે દોઢ રૂપિયાની આવી. એ નોટબુક લઈને હું સીધી બાપુજી પાસે ગઈ અને એમને બતાવી. તેમણે મને પહેલો જ સવાલ પૂછયો : ‘કેટલાની આવી?’

બાપુ કહે, ‘જા, પૂછીને મને ખબર આપ કે કેમ મળી.’

કટેલીસાહેબ તો બાપુના સ્વભાવને જાણતા હતા, તેથી મને કહે, ‘બાપુજીને કાંઈ કહેવાની જરૂર નથી.’

મેં કહ્યું. ‘એક તો મેં એમને પૂછ્યા વગર મંગાવી, ને હવે જો બતાવું નહીં અને તેમાં લેસન કરી જાઉં તો મારી ધૂળ જ કાઢી નાખે ને?’ એટલે એમણે બિલ મારા હાથમાં મૂક્યું.

દોઢ રૂપિયાનું બિલ જોઈને બાપુજી મને કહે : ‘તું એમ માનતી હશે કે ક્યાં આપણા પૈસા ખરચાય છે ? અંગ્રેજ સરકારના ખરચાય છે. અને વળી આપણને આટલી બધી સગવડ મળી છે, માટે ગમે તે ચીજો મંગાવવામાં વાંધો નથી. પણ એ તારી મોટી ભૂલ છે. એ પૈસા અંગ્રેજ સરકાર ક્યાંથી લાવી ? આપણા જ પૈસા ખરચાય છે. એ તો આપણે જ આપણને બેવકૂફ બનાવીએ છીએ. અને તે ઉપરાંત મોટી કુટેવ તો એ પડે છે, કે અમુક સગવડ મળી માટે તેને ઉડાવવી કે દુરુપયોગ કરવો. સારું થયું કે તેં નોટબુક મને બતાવ્યા વગર ન વાપરી. એટલો મારો ડર લાગ્યો ખરો. તારે અત્યારે શાળાના નિયમો કયાં પાળવા પડે છે કે આવી પાકા પૂંઠાની ભૂમિતિની નોટબુક જોઈએ ? આપણી પાસે કોરાં તારીખિયાંઓ ઘણાં પડયાં છે. તેની પાછળનાં પાનાં સાવ કોરાં છે. તેની અંદર તારે દાખલા કરવાના. આ નોટબુક પાછી આપી દેવી.’

એ નોટબુક પાછી આપવા કટેલીસાહેબને મેં આપી. એ કહે, ‘બાપુજી પણ જુલમ કરે છે. હું મારી પાસે રાખી મૂકીશ. તારે જોઈએ ત્યારે લઈ જજે.’ 

પણ બે વાગ્યા એટલે કટેલીસાહેબ ટપાલ તથા છાપાં આપવા બાપુજી પાસે આવ્યા, ત્યારે બાપુજીએ એમને પૂછયું,  ‘કેમ, મનુ નોટબુક આપી ગઈ ? ‘

એમણે કહ્યું, ‘હા આપી ગઈ, પણ બિચારીને વાપરવા દોને ? એને પછી સાચવવી હોય તો કામ લાગે ને ?’

બાપુજી કહે, ‘તમે એને બગાડવા માગતા લાગો છો. જો એને સાચવવા જેટલી દરકાર હશે તો આ તારીખિયાં નહીં સચવાય એમ તમે માનો છો ? એ તો પાછી જ જવી જોઈએ. અને રોકડો દોઢ રૂપિયો લાવ્યા કે નહીં તેની મને ખબર આપજો, જો કે સાંજે હું જમાદારને પૂછીશ.’

સાંજ પડી. બાપુ અને અમે બધાં બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું. ‘તું સમજી ને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (1) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (2) અને જોઈએ તે કરતાં વધુ કોઈ ૫ણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો (3) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એને ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (4) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું ) એટલે આવાં તારીખિયાં કોઇને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયો ને ?’

આ વાત ચાલતી હતી ત્યાં જમાદાર સાહેબ આવ્યા અને રોકડો દોઢ રૂપિયો પાછો લાવ્યાની ખુશ ખબર આપી ગયા. 

[‘બા-બાપુની શીળી છાયામાં’]
28 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 347

Loading

માણસ, આજે (૨૮) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|28 June 2025

સુમન શાહ

આજે માણસ એકને નહીં પણ અનેકને એક રીતે નહીં પણ અનેકશ: અનુભવી રહ્યો છે. બહુમુખી અને બહુવચનીય સમયમાં જીવી રહ્યો છે. એ પ્રવર્તમાન યુગસ્પન્દન વિશે વિચારવું જરૂરી છે. 

જુઓ, માણસોને હવે બધી વસ્તુઓ સરખે સરખી લાગે છે. ગૉળ-ખૉળનો ભેદ નથી રહ્યો. સારું-નરસું લીલું-સૂકું નિરર્થક-સાર્થક સાચ-જૂઠ ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ બધું બરાબર છે એ ભાવ વિકસી રહ્યો છે. એ ભાવ ભેદકતાનાશક હોત તો આવકાર્ય ગણાત, પણ આ તો વિશિષ્ટતાનાશક છે. નીવડેલા સાહિત્યકાર અને નવોદિત સાહિત્યકાર વચ્ચે ભેદ ન કરીએ, ન જ કરીએ, પણ નીવડેલાની સૃષ્ટિની સાહિત્યિક ગુણવત્તાને મામુલી લેખીએ એ સામાન્યીકરણ સારી વાત નથી. કોઈક સાહિત્યકાર રોજ સવારે ગુજરાતી ભાષા-સાહિત્યના પરિદૃશ્ય વિશે ચિન્તા વ્યક્ત કરતો હોય એને જગન્નાથની અવસ્થામાં પોઢેલા સાહિત્યકારની સુખનિદ્રા સાથે ન સરખાવાય.

વિશિષ્ટતાનાશ અને સૌ-સરખાવાદ બહુ ઝડપથી પ્રસરી રહ્યા છે. એ કશી નીરસતા નથી પણ દરેકને વિશિષ્ટ નહીં પણ બધાને સામાન્ય ગણનારો અવળા મોઢે વિકસી રહેલો આવિષ્કાર છે. એનાં અનેક કારણો છે : મોટું કારણ તો માહિતીની ભરપૂરતા. hiper-normalization. એ ભરપૂરતામાં ખરા-ખોટાની જાળવણી ન પણ થતી હોય, એમાં સમીક્ષાત્મક વિશ્લેષણ પણ ન થતું હોય – કોણ કરે? 

એટલે, વિજ્ઞાન જેને sensory overload કહે છે એ પ્રભવે છે. માહિતીએ જનમાવેલા વિવિધ ઇન્દ્રિયબોધોના – sensory inputsના – ચિત્ત અર્થ કરવા જાય, એને પ્રક્રિયામાં ઢાળવા મથે, પણ એક સાથે શી રીતે વૅંઢારી શકે? જુઓ ને, માણસ નિરાંતે 

શ્રેયા ઘોષાલને સાંભળતો હોય પણ વાહનોનું ભૉંભૉં-ચીચી, જોડે કૂતરાંનું ભસંભસા, વળી અમિતાભ બચ્ચન, વળી રાજકારણીઓ, અને વળી ભાડૂતી પત્રકારોએ મચાવેલો ઘૉંઘાટ! ભાષિક કે બિનભાષિક બધા જ સંકેતો અને પ્રકાશ ટોળાં ગન્ધ-દુર્ગન્ધ કે સામે ઘેર શેકાતો શીરો – એ સૌ, માણસના મગજને તાકીને બેઠાં હોય છે.

આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલ મીડિયા અતિશયિત બહુવચનીય વાતાવરણ છે. દૃષ્ટિબિન્દુઓ કે માત્ર બિન્દુઓ, કાવતરાં કે કાવતરાંખોર વાતો, સુબોધીનાં કે અબુધનાં મન્તવ્યો, ચાલુ રાજકારણ વિશેના સાચા કે ખોટા બળાપા, વગેરે બધું જ સોશ્યલ ગણાય છે, એટલું જ નહીં, સાથે સાથે હોય છે. ડાહ્યા જનો કહેતા હોય છે કે વિવેક વાપરવાનો. એ ખરું પણ રજનીશની રીલ જોડે જાતીય પ્રદર્શન કરતી યુવતીની રીલ ડોકાય ત્યારે વિવેક બચારો ચૂપ થઈ જવાનો. કેટલા બધા લોકો સ્વસ્થ સુખી સમૃદ્ધ જીવન જીવવા વિશેના બોધ પીરસે છે – મને તો થાય, જાણે મને જીવન જીવતાં આવડતું જ નથી! તીવ્ર સમીક્ષા અર્પે એ નિપુણતાના ભરપૂર અભાવમાં આ દિશાહીન બહુવચનવાદ વકરી રહ્યો છે. 

સાહિત્યવિષયક કે જીવનવિષયક સાચો કે ખોટો વિચાર, ખરું કે ખોટું મન્તવ્ય કે કોઈપણ બાબત, એના નાણાકીય કે માનસિક ક્રયવિક્રય માટે ઊંચામાં ઊંચો અવાજ ઊભો કરી આપતાં સંખ્યાબંધ પ્લૅટફૉર્મ્સ, અને AI જેવી અતિ વિકસિત ટૅક્નોલૉજિનાં ઉપકરણોનો આ બહુવચનવાદના વિકાસમાં મોટો ફાળો છે. 

હવે નમ્બર્સનો મહિમા છે. મને મળેલા likesના Kથી હું ઊંચેરો બુદ્ધિવાન લાગું છું. મારા Facebook friends અને followersના આંકડાથી મારી મહાનતા નક્કી થાય છે. હું અનેક લોકોને એકઠા કરી શકું, મોટી મોટી સભાઓ ગજવી શકું, લોકને નચવી શકું, તો એ મારી રાજકીય કુનેહ ગણાય છે. રાજકારણે રાજનીતિનો અર્થ ભૂંસી નાખ્યો છે.

હવે રીયલનું સ્થાન વર્ચ્યુઅલે લીધું છે એમ ન કહો; એમ કહો કે વર્ચ્યુઅલ એના પ્રભાવે કરીને રીયલ લાગે છે. બૉદ્રિલાર્ડે simulacra વિભાવના વડે જણાવેલું કે મૂળ વિનાની નકલો થશે; પણ તેઓ હોત તો કહેત કે હવે તો નકલો જ મૂળ છે. AIએ સરજેલા personas, ચમકદમક સાથે રજૂ કરાતાં રાજનેતાઓનાં કે ઉદ્યોગપતિઓનાં વ્યક્તિ-ચિત્રો, સિનેમા ઍક્ટર્સ, અને રમતવીરોની યશગાથાઓને કારણે એક ચડિયાતા સમાજનું નિર્માણ થયું છે. પરિણામે, દેખીતી રીતે પણ અન્ય સામાજિક વર્ગો – અઢળક પ્રજાજનો – ડઘાયેલા અને રાંક દીસે છે.

એટલે વિચારણીય મુદ્દા ખૂણે હડસેલાઇ ગયા છે : લોકશાસન છે તો એ કયા વેશે છે, સર્વોચ્ચ છે તો એના નિર્ણયોની સમીક્ષા ક્યાં છે? ચાલુ યુદ્ધોમાં વિશ્વમાં રોજ મનુષ્યો મરે છે. દીવાળીની હવાઇઓની જેમ સામસામે જીવલેણ મિસાઇલો છોડાઇ રહી છે. એ તે કેવા પ્રકારની રાજનીતિનું ફળ છે? વગેરે વિશે બૌદ્ધિકો ભાગ્યે જ બોલે છે. 

કોઈપણ સિસ્ટમના સિદ્ધાન્તોનું મૂલ્ય ન જળવાતું હોય ત્યારે એ સિસ્ટમનું બીજું રૂપ પ્રગટી ચૂક્યું હોય છે, એ દેખાવું જોઇએ, પણ જવલ્લે જ દેખાય છે. હું એ કહેવા માગું છું કે લોકશાહીના ઝભ્ભા હેઠળ વિકસી રહેલી આપખુદશાહી દેખાય છે -? રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રકલ્યાણને નામે યુદ્ધો લગી પ્હૉંચી ગયેલા geopoliticsની અમાનુષી ચાલ પરખાય છે?

પણ હવે યુદ્ધો આપણને સદવા માંડ્યાં છે. લોકો બોલતા હોય છે – એ તો ચાલ્યા કરે, આપણે શું! કુદરતી આફતો કોરોના પછી સામાન્ય લાગવા માંડી છે. રોજિંદા જીવનની આ નવ્ય ગતિ કોઈપણ કટોકટીનું સામાન્યીકરણ કરી આપશે. પણ એ સાથે નૉંધવું જોઈશે કે સંવેદનશીલતા પ્રેમ કે કરુણા જેવી મનુષ્યજીવનની ચાલકનિયામક ચીજોને જડતા વળગવા લાગી છે. એટલે પછી, આ પરિદૃશ્ય સામે પ્રકોપ અનુકમ્પા કે આમૂળ ક્રાન્તિ માટેનું બળ માણસ ક્યાંથી લાવવાનો’તો?  

આ નવ્ય ઉચ્ચાવચતાયુક્ત ઑર્ડર અને રીયલ પર વર્ચ્યુઅલની સરસાઈને બહુવચનવાદ નષ્ટ નહીં કરી શકે બલકે એનાં અવનવાં રૂપો સરજી આપશે.

ખરો સવાલ એ છે કે માણસના વાસ્તવિક અનુભવનું શું -? એક આશા છે, સાહિત્ય અને અન્ય કલાઓ. એ દિશાએથી એક વિધાયક બહુવચનવાદી સમાજનું તેમ જ યુગસ્પન્દનનું સર્જન કે એથી સંતુલન અશક્ય નથી. કેમ કે કલાઓ વર્ગો કે જૂથોને નહીં પરન્તુ ધરતી પરનાં સૌ મનુષ્યોને જોડે છે. એને સરહદો રાજકારણ કે પ્રગતિશીલ ટૅક્નોલૉજિ હરાવી શકતાં નથી.  

પણ સાહિત્યકારો અને કલાકારો જ હારી ગયા હશે, તો?

= = = 

(270625USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમૃતા પ્રીતમ : સમયને પાછળ રાખીને ચાલતી ભારતીય લેખિકા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2025

રવીન્દ્ર પારેખ

વિદેશમાં સિમોન-દ-બોવારેએ ‘સેકન્ડ સેક્સ’ દ્વારા સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતાનો સંકેત આપ્યો. એ ખરું કે સ્ત્રી બીજા નંબરની નાગરિક જ રહી છે ને એમાં આજ સુધી બહુ ફરક નથી પડ્યો. એવો ઊહાપોહ ભારતમાં કોઈ એક લેખિકાએ જગાવ્યો હોય, તો તે પંજાબની અમૃતા પ્રીતમે –

બ્રિટનના ગુજરાંવાલામાં 31 ઓગસ્ટ, 1919માં જન્મેલી અમૃતા, રાજ બીબી અને નંદની દીકરી બની. રાજ બીબી ગુજરાતની હતી. પિતા નંદ, દયાળજીના ડેરામાં ‘બાલકા સાધુ’ તરીકે જાણીતા હતા. એમની કવિતા સાંભળતાં રાજ બીબી ખેંચાઈ ને દયાળજીએ નંદને કહ્યું કે ‘જોગ’ તારે માટે નથી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. અમૃતા મોટી થતી ગઈ તેમ તેમ પિતા નંદના ધાર્મિક પ્રભાવની બહાર હઠપૂર્વક રહેતી થઈ. તે સ્વપ્નશીલ હતી, તો કલ્પનાશીલ પણ ખરી. તેનું મોટા ભાગનું સર્જન એક પ્રકારના અભિનિવેશનું પરિણામ છે.

અમૃતાએ ‘રસીદી ટિકટ’ આત્મકથા પંજાબીમાં લખી. તે પછી તેનો હિન્દી, ગુજરાતીમાં પણ અનુવાદ થયો. અમૃતા અને ખુશવંતસિંહ મિત્રો હતા. આત્મકથા સંદર્ભે તેમણે અમૃતાને ટકોર કરેલી કે તારે આત્મકથામાં વધારે તો શું કહેવાનું હોય ! એ તો રેવન્યૂ સ્ટેમ્પ જેટલી જગ્યામાં પણ આવી જાય. એ પરથી આત્મકથાનું નામ રેવન્યૂ સ્ટેમ્પ / રસીદી ટિકટ રખાયું. આત્મકથા પત્ર, ડાયરી સ્વરૂપે, તો ક્યાંક કાવ્ય અને તેના અનુવાદ તરીકે પણ ગતિ સાધે છે. અનુવાદ પંજાબીનુમા હિન્દીમાં છે એટલે પંજાબીની છાંટ વર્તાય છે. તેનું ગદ્ય સોંસરું, વેધક અને કાવ્યાત્મક છે.

સાહિર લુધિયાન્વી અને અમૃતા પ્રીતમ

અમૃતાએ કવિતાઓ, વાર્તાઓ, નવલકથા, નિબંધ … નાં સોએક પુસ્તકો લખ્યાં ને ઘણાંના હિન્દી, અંગ્રેજી, ગુજરાતીમાં અનુવાદો પણ થયા. તેની નવલકથા, ’પિંજર’ પરથી એવોર્ડ વિનિંગ ફિલ્મ બની. એ ઉપરાંત ‘ડાકુ’, ‘કાદંબરી’ જેવી ફિલ્મો પણ તેની કૃતિઓ પરથી બની છે. તેનો વિરોધ પંજાબમાં વધારે થયો, પણ પંજાબની બહાર તે વખણાઈ, વંચાઈ વધારે. આ જીવ જન્મજાત અજંપ જ રહ્યો. એ સમયના પંજાબમાં ધર્મ અને હિંસાનો એવો પ્રભાવ હતો કે તેની બહાર વિચારનાર-વર્તનારને માથે માછલાં જ ધોવાતાં. તેણે આસપાસના જગતના એટલા પ્રતિબંધો, નકાર ને વિરોધ અનુભવ્યા કે શ્વાસોમાં આગ લાગી જતી. જાણનાર તો ટીકા કરતાં જ, પણ ન જાણનાર પણ કરતાં. સ્ત્રીઓની સ્થિતિનો તેણે લેખનથી એવો પડઘો પાડ્યો કે દેશ આખામાં સંભળાયો.

તેનાં સર્જનથી તે વિવાદોમાં રહી જ, પણ વધુ ચર્ચામાં તો તે પ્રેમ અને લગ્નને મામલે રહી. ઘણા કવિઓ, અફસરો તેનાં તરફ ખેંચાયા. લાહોર રેડિયોના એક અફસરે તો તેને ત્યાં સુધી કહ્યું કે મેં તમને થોડાં વર્ષ પર જોયા હોતે, તો હું મુસલમાનથી શીખ થઈ ગયો હોત કે તમે શીખથી મુસલમાન થઈ ગયાં હોત ! એક સાપ્તાહિકના સંપાદકે તો એમ કહ્યું કે ભાગલા ને અપમૃત્યુ એટલે થયાં કે અમૃતાએ તેમની મૈત્રી નકારી. ભાગલા વિષે અમૃતાએ લખ્યું છે કે તેણે લાશો જોઈ હતી ને લાશો જેવા માણસો જોયા હતા. એ કત્લેઆમ પરથી જ તેણે હીરને માટે લખનાર વારિસ શાહને કવિતામાં પૂછ્યું કે પંજાબની એક દીકરી રડી તો લાંબી દાસ્તાન લખી, આજે લાખો દીકરીઓ રડી રહી છે, તો કબરમાંથી બોલો ને જુઓ કે ચિનાબ લોહીથી છલકાઈ ઊઠી છે.

અમૃતાનાં લગ્ન તો થયાં, સંતાનો પણ થયાં, પણ લગ્ન ટક્યાં નહીં. તે પછી એક શાયર ને હિન્દી ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવીનો અમૃતાની જિંદગીમાં પ્રવેશ થયો. સાહિર અને અમૃતા એકબીજાના પરિચયમાં ભાગલા પહેલાંથી હતાં. સાહિર પહેલીવાર ઘરે આવે છે તો અમૃતા કહે છે, ‘ મેરી દહલીજોં ને પહલી બાર ઇસકે કદમ છુએ ..’ સાહિરને મળવામાં ઘણીવાર તો મહિનાઓ વીતી જતા ને કોઈ વાર આવી ચડતો તો લાગતું, ‘મારી કાળી રાતો પણ સપનાનાં કદમો નીચે ચાંદની બિછાવી’ રહી છે. એકવાર સાહિર તેની નઝમ વાંચવા આપે છે, તે વાંચીને કાગળ અમૃતા પાછો આપે છે, તો સાહિર કહે છે, ‘હું આ પાછો લઈ જવા નથી લાવ્યો.’ અમૃતાને લાગે છે કે એ રાત્રે તારાઓ તેનાં હૃદયની જેમ ધડકતા હતા ને પછી જ્યારે પણ નઝમ લખતી તો થતું કે તે સાહિરને પત્ર લખે છે.

એક પુસ્તકનાં ટાઇટલ નિમિત્તે, ઇમરોઝનો પ્રવેશ થાય છે – અમૃતાની જિંદગીમાં. ઇમરોઝ ચિત્રકાર હતો તેણે કેનવાસમાં જ નહીં, અમૃતાની જિંદગીમાં પણ સજીવ રંગો ભર્યા. અમૃતાનાં અનેક ચિત્રો એવી રીતે કર્યા કે ચિત્રો જ ઘર થઈ ઊઠ્યાં ! અમૃતા તો 31 ઓક્ટોબર, 2005ને રોજ ગુજરી ગઈ, પણ ઇમરોઝ માટે એ વધારે સજીવ થઈ ઊઠી. ઇમરોઝનું મૃત્યુ 97 વર્ષની વયે થયું, પણ અમૃતા મૃત્યુ પામી છે, એવું ઇમરોઝને પોતાનાં મૃત્યુ સુધી લાગ્યું જ નહીં, તે એ હદે કે અમૃતા લખતી હતી, તો તે ગઈ પછી ઇમરોઝે લખવાનું શરૂ કર્યું. ચિત્રકાર, કવિ પણ થયો. તે છેવટ સુધી અમૃતાનું એક્સટેન્શન જ બની રહ્યો. આમ તો પોતાને, અન્યને સમર્પિત કરવાનું અઘરું છે, પણ પ્રેમમાં એ કેટલું સરળ હોઈ શકે, તેનું ઇમરોઝથી મોટું ઉદાહરણ જડતું નથી.

અમૃતાનાં જીવનમાં સાહિર અને ઇમરોઝ પ્રવેશ્યા, તો અમૃતા પણ તેમની જિંદગીમાં શબ્દો ને રંગો થઈને પ્રવેશી. બંનેનાં જીવનમાં અમૃતકાળ થઈને જ રહી અમૃતા ! ત્રણે ધરતી પર રહ્યાં, પણ આકાશથી ઓછું તેમને કૈં પરવડ્યું જ નહીં ! અમૃતા રહી ઇમરોઝ સાથે, પણ સાહિરનુ રટણ તો રહ્યું જ, તે ત્યાં સુધી કે પાછલી સીટ પર બેઠેલી અમૃતા આંગળી વડે ઇમરોઝની પીઠ પર નામ સાહિરનું લખતી. જો કે, સાહિરના પ્રેમમાં એસ્થેટિક ડિસ્ટન્સ હંમેશ રહ્યું. સાહિરનું વલણ ગીતોમાં, ‘ચલો એક બાર ફિરસે, અજનબી બન જાયે હમ દોનો …’, કે ‘તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમ કો, મેરી બાત ઓર હૈ, મૈંને તો મુહબ્બત કી હૈ ..’ જેવું રહ્યું. સાહિરનું માનવું એ રહ્યું, ’વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા ..’

– ને સાહિરનું હોવું ‘એક ખૂબ સૂરત મોડ’ પર જ રહ્યું.

અમૃતા પ્રીતમ – ઈમરોઝ

આમ તો અમૃતા, સાહિર ને ઇમરોઝ વચ્ચે સીધો સંવાદ ઓછો જ રહ્યો છે. સાહિરે કવિતા દ્વારા અમૃતાને જેટલું કહ્યું છે, એટલું સીધું બહુ કહ્યું નથી. અમૃતાએ જ સાહિર માટે લખ્યું છે, ‘યહ ખામોશી કા હસીન રિશ્તા થા.’ એ ખામોશીને કારણે જ અમૃતા લખીને જેટલી વ્યક્ત થઈ છે, એટલી સાહિર સામે થઈ નથી. સાહિરના મૃત્યુના સમાચાર અમૃતાને મળે છે, તો પહેલી એશિયન રાઇટર્સ કોન્ફરન્સનો એક પ્રસંગ તેને યાદ આવે છે. કોન્ફરન્સ માટે બધાંને બેજ આપવામાં આવેલા. સાહિરે પોતાનો બેજ અમૃતાને લગાવ્યો ને અમૃતનો પોતે લગાવ્યો. ઘણાંએ કહ્યું પણ કે બેજ બદલાઈ ગયો છે, પણ બંનેએ બેજ ધરાર ન જ બદલ્યો. એ બેજ પરથી મૃત્યુ પોતાને બદલે સાહિરને તો નહીં લઈ ગયું હોય ને એવો અફસોસ અમૃતાને થયો. કૈંક અંશે ઇમરોઝનું ઉચ્ચરિત શબ્દોમાં અભિવ્યક્ત થવાનું ઓછું જ રહ્યું છે. બીજી ઘણી વાતો થાય છે, પણ લાગણી તો રંગોમાં ને પછી કવિતામાં જ વ્યક્ત થાય છે. અભિવ્યક્તિ ત્રણેની ઘણું ખરું અવ્યક્તિ સામે જ રહી છે. એ વિચિત્ર લાગે, પણ એ જ આ ત્રણેને અપૂર્વતા પણ બક્ષે છે.

અમૃતા તો ગદ્ય અને પદ્ય બંનેમાં સક્રિય છે, પણ સર્જકને સર્જન ધારીએ એટલું સરળ હોતું નથી. તેણે એક નવલકથા લખી ‘યાત્રી’. તેનું એક પાત્ર તે ‘સુન્દરાં’. બિલકુલ કાલ્પનિક. વાસ્તવ જીવન સાથે કોઈ સંબંધ નહીં. ક્લ્પનામાંથી સીધી જ પાનાંઓ પર ઊતરી. આ નોવેલ ઇમરોઝને સંભળાવતી વખતે સુન્દરાંનો ઉલ્લેખ આવતાં જ અમૃતાને એક ટીસ ઊઠી ! એમ લાગ્યું જાણે અમૃતા પોતાની નાડી તપાસી રહી છે.

સાધારણ રીતે એવું બનતું હોય છે કે સર્જકનાં પાત્રો હૃદય કે ચિત્તમાં ઘડાઈને કાગળો પર અવતરતાં હોય છે, પણ સુન્દરાંની બાબતમાં ઊલટું થયું. તે કાગળોમાંથી ઊઠીને મન-મસ્તિષ્ક પર છવાઈ ગઈ. એકદમ લાગ્યું કે આ સુન્દરાં ‘હું’ છું. અચેતન મનથી રચાયેલું પાત્ર ચેનતવંતું થઈ ઊઠ્યું. એવું એ જ નવલકથામાં એક મહંતનું પાત્ર અમૃતાએ સર્જ્યું ને વર્ષો પછી એ વાંચ્યું તો લાગ્યું કે પાત્ર પિતા થઈ ઊઠ્યું છે ! પાત્રો કલ્પનામાં મળ્યાં હોય ને નવલકથામાં સજીવ થઈ ઊઠે, હાડમાંસના અનુભવાય કે ક્યારેક વાસ્તવિક જીવનમાંથી ઉપાડાયેલું પાત્ર કલ્પનામાં વિહરવા લાગે છે. એવું બને છે કે કોઈ કાલ્પનિક પાત્રનો વ્યવહાર નવલકથામાં થઈ ચૂક્યો હોય ને એવો જ વ્યવહાર કોઈ વાસ્તવિક પાત્ર અજાણતાં જ કરે ત્યારે સવાલ થાય કે જે ઘણું વહેલું થઈ ચૂક્યું છે, તે વ્યવહાર જગતમાં શક્ય કોણ કરે છે? સર્જન પ્રક્રિયા એટલી જટિલ છે કે તે સાચાખોટામાં પડતી નથી, તે તો સર્જે છે ને તેનું અસ્તિત્વ એવું કલાત્મક રૂપ ધારણ કરે છે કે દરેકને તે પોતીકું લાગવા માંડે છે. એટલે જ તો ફિલ્મનું પાત્ર આપણું સગું નથી, પણ તે હસે છે તો આપણે ખુશ થઈએ છીએ ને રડે છે, તો આંખો ભીની થઈ જાય છે.

અમૃતા પ્રીતમને દેશ-વિદેશમાં જ્ઞાનપીઠ, પદ્મ પુરસ્કારથી માંડીને અનેક માન-સન્માન મળ્યાં, અનેક ડેલિગેશનમાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કર્યું. આટલું સન્માન ભારતમાં ને ભારતની બહાર કોઈ લેખિકાને મળ્યાનું જાણમાં નથી. આટલા વિરોધ અને આટલા વખાણનું આનાથી ઊજળું ઉદાહરણ જડવું મુશ્કેલ છે. અમૃતા,અ-મૃતા છે તે એ નથી ત્યારે પણ સાચું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જૂન 2025

Loading

...102030...979899100...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved