Opinion Magazine
Number of visits: 9560478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એ જ એમ.ટી.બી.નો નિત્ય આચાર્ય !’ : શિક્ષકદિને કુંજવિહારી મહેતાને અંજલિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 September 2023

‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે  પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ  કરવાની કોશિષ કરી છે.

v  પદ-પ્રતિષ્ઠાની વચ્ચે પણ મહેતા સાહેબ સાવ અદના જનોને મદદ કરતા. અણીને પડખે તેઓ જેમની મદદે ઊભા રહ્યા હોય, જેમને સામે ચાલીને મદદ કરી હોય તેવા લોકોમાં અધ્યાપકો કે વંચિત વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા કેટલાક પણ છે : એક વિધવા મજૂરણનો દીકરો, સારવારના અભાવે તરફડી રહેલું બાળક, તેમને ટેકે શરબતની લારી ઊભી કરી શકતા એક મુસ્લિમ વૃદ્ધ, તેમની પાસે દર મહિને હાથખરચી મેળવતો એક ઘરડા ગરીબ પિતા, કૉલેજમાં દાણા વેચતો એક ડોસો અને એની પત્ની, સ્વજનને અચાનક ગુમાવનારા કૉલેજના કર્મચારીઓના બેબાકળા બનેલા પરિવાર.

v  કૉલેજ અને સંસ્થા મહેતાસાહેબનો આત્મા હતા. એક વખત રાત્રે બે વાગ્યે ફોન આવ્યો કે કૉલેજના પ્રાંગણમાં ખૂન થયું છે. આચાર્યશ્રી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કૅમ્પસ પર પહોંચી ગયા.

v  નવનિર્માણ આંદોલનની ચરમસીમાએ પ્રિન્સિપાલ કુંજવિહારીભાઈએ વિદ્યાર્થીઓને પકડવા આવેલી પોલીસને અનેક દબાણો હોવા છતાં કૉલેજમાં પ્રવેશવા ન જ દીધી. સંચાલકોએ પણ તેમની પર પોલીસને આવવા દેવા દબાણ કર્યું હતું, પણ તેની સામે તેઓ રાજીનામું આપવા તૈયાર થયા. ત્યાર બાદ સરકારના વિરોધમાં વિદ્યાર્થીઓએ કાઢેલા સરઘસને શહેરમાં લાદવામાં આવેલી 144ની કલમનો ભંગ કરીને નેતૃત્વ પૂરું પાડ્યું.

v  એમ.ટી.બી.માં ત્રીસ વર્ષ અંગ્રેજીનું અધ્યાપન કરનાર વી.એસ. નવલકર મહેતા સાહેબના કૉલેજના આચાર્ય તરીકેના વિદાય સમારંભના પ્રસંગનો માહોલ વર્ણવે છે. તેમને એ પ્રસંગ શકુંતલા વિદાય જેવો કરુણ લાગે છે. લેખિકા પશ્ચિમના સાહિત્યના સંદર્ભખચિત અંગ્રેજી લેખમાં મહેતા સાહેબ પર પ્રશંસાનો વર્ષાવ કરે છે. ‘human god’, ‘symbol of love, kindness and generosity’, ‘impetuous and obstinate child’, ‘admiral who steered his ship safely successfully’, ‘a crusader with a mission’, ‘a karmayogi’. 

v  માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મહેતા સાહેબને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પણ ઝીણાભાઈ દરજીને ‘સરકારની નીતિની નિંદા કરે એવી વ્યક્તિ’ ખપે તેમ ન હતી, અને સાહેબ તો ‘ગુજરાત મિત્ર’ની તેમની લોકપ્રિય કૉલમમાં સત્તાવાળાની ટીકા કરવા માટે જાણીતા હતા. આ મતલબની વાત ચન્દ્રકાન્ત પંડ્યા અને રવીન્દ્ર પારેખના લેખોમાં મળે છે. 

v  મહેતા સાહેબ સુરતમાં ચાલતી રૅશનાલિસ્ટ પ્રવૃત્તિનું સમર્થન તેમના લેખોમાં કરતા. તેમણે સુરતમાં સત્યશોધક સભા ચાલુ કરાવી હતી. વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા મહેતાસાહેબે સુરતમાં યોજાવામાં આવનારા એક મોટા ખર્ચાળ યજ્ઞની સામે તેમની કૉલમમાં વિરોધ નોંધાવેલો. 

v  રમણ પાઠક અને સરોજબહેનને મહેતા સાહેબે પોતાની સાથે કોઈ નિકટતા ન હોવા છતાં ઘણી મદદ કરી હતી. રમણભાઈ લખે છે : ‘ગેરકાયદેસર જણાતાં કામ કાયદેસર રીતે, કેવી રીતે પાર પાડવા એ મહેતા સાહેબને બરાબર આવડે. ખરેખર તેઓ એવા અતિકુશળ વહીવટકર્તા તો હતા જ.’  

v  મહેતા સાહેબે ‘ગુજરાત મિત્ર’માં દર મંગળવારે ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ નામની કટાર બે-એક દાયકા સુધી લખી. તેની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરીને ‘મિત્ર’ના તંત્રી ભગવતીકુમાર શર્મા આ મતલબનું લખે છે : ‘આ કટાર પર મહેતા સાહેબની વિચાર સમૃદ્ધિ ઉપરાંત તેમના વ્યક્તિત્વની દૃઢ મુદ્રા અંકિત થયેલી હતી. શું  હતું તેમના વ્યક્તિત્વમાં ? – સ્પષ્ટભાષિતા, તડફડ વૃત્તિ, સ્ટ્રેઈટફૉર્વર્ડનેસ, પારદર્શિતા. તેઓ સાફસુથરું સંઘેડાઉતાર ગદ્ય લખતા જે તેમના વિચારોનું અસરકારક વાહન બને. જેનો શબ્દશ: ધાક હોય એવી મારા જોવા-વાંચવામાં આવેલી એકમાત્ર કટાર હતી, અને એ એમની.

v  શરીફાબહેન વીજળીવાળાએ એમ.ટી.બી.કોલેજમાં મહેતા સાહેબના સંસ્થા-મંત્રી તરીકેની કાર્યક્ષમતા અને નિસબતના અનુભવો વર્ણવ્યાં છે. કૉલેજમાં મહિલા અધ્યાપકોએ પહેરવાનાં વસ્ત્રો અંગે સાહેબે પ્રગતિશીલ અભિગમ કેવી વ્યૂહરચનાથી જાહેર કર્યો તેનો કિસ્સો પણ તેમણે નોંધ્યો છે. લેખના અંત ભાગ તરફ જતાં શરીફાબહેન લખે છે : ‘એક કુશળ વહીવટકર્તા કેવો હોય એવું કોઈને જાણવું હોય તો એમણે મહેતા સાહેબની કામ કરવાની રીત, એમનું સૌમ્ય અભિજાત વર્તન વગેરે વિશે ઝીણવટથી અભ્યાસ કરવો પડે. કારણ કે હવે આવા માણસો દીવો લઈને શોધીએ તો ય જડતાં નથી. આજે છે કોઈ એવા શિક્ષણવિદ જેનું બધા સાંભળે? જે સરકારને રોકી-ટોકી શકે ? … સાહેબ, તમારા જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસોનો દુષ્કાળ કેમ પડ્યો? એક વાત કહું મહેતા સાહેબ … ગયાં પચીસ વર્ષમાં અનેક વાર મને લાગ્યું છે કે તમે હોત તો સુરત શહેરે મને મોઢા પર ઘર આપવાની ના ન જ પાડી હોત … એટલે તો આદર  હતો  આ શહેરને તમારા પ્રત્યે … પણ …’

v  હિંમાશીબહેન શેલત મહેતા સાહેબના આચાર્યકાળનો વિદ્યાસંસ્કાર વૈભવ અનુભવી ચૂક્યા છે. તેઓ ‘એક પ્રાણવાન, ઊર્જાસભર વ્યક્તિત્વ’ શીર્ષકવાળા સુંદર લેખમાં લખે છે : ‘આટલી સજ્જ અને સક્ષમ વ્યક્તિ અજાતશત્રુ હોય તો આશ્ચર્ય. દ્વેષભાવથી એમની પીઠ પાછળ ઘસાતું બોલનારા અને ખતરનાક રમતો રમનારા નહોતાં એમ નહીં, પણ સ્વચ્છ અને નિર્ભિક ચિત્ત ધરાવનારા મહેતા સાહેબ સામે પ્રવાહે તરનાર હતા, અને એમ કરવામાં કેવી અને કેટલી તાકાત જરૂરી છે એની એમને પૂરી જાણ હતી. એમની સમાજિક પ્રતિબદ્ધતા અને એમના સંસ્થા સમર્પણ ભાવને એમના આલોચકોએ પણ કબૂલવો પડે એવું વાતાવરણ એ સર્જી શકેલા. સ્પષ્ટવક્તા પણ અઢળક સ્નેહાદરને પાત્ર હોઈ શકે એનું જ્વલંત ઉદાહરણ તે મહેતા સાહેબ. કૉલેજ પ્રાંગણમાં જેમનો પગ પડે કે આમન્યા જાળવવાનું આપોઆપ બને એવો કડપ ધરાવતા આ ગુરુને ચાહનારાં ત્યારે અનેક અને આજે ય અનેક.’ 

v  સિતાંશુ યશશ્ચન્દ્ર ‘કુંજવિહારીભાઈની પ્રભાવશાળી,ઊંચી અને શિલ્પસદૃશ છબિ’ને યાદ કરે છે. તેઓ લખે છે : ‘આજે ય એવા મહેતાસાહેબને મળવાનું દિલ થાય. આ અરસપરસના હાસ્યાસ્પદ હડસેલાઓના આ સમયમાં અટપટાવહેણની આરપાર તરી જવું હોય, તો એમની એમ.ટી.બી.ના પરિસરમાં જઈ, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, મસ્તક ઉન્નત રાખી થોડી વાર ઊભા રહેવું. ત્યાં જ ક્યાંકથી આવી, એવો જ એક જણ તમને મળવા જરૂર આવશે – એ જ કુંજવિહારી, એ જ મહેતા સાહેબ, એ જ એમ.ટી.બી.નો નિત્ય આચાર્ય !’ 

————————————

●પુસ્તક સૌજન્ય : ડૉ. સ્વાતિ મહેતા 

● પ્રકાશક : આચાર્ય કે.સી. મહેતા શતાબ્દી પર્વ સમિતિ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એમ.ટી.બી. આર્ટસ કૉલેજ, અઠવા લાઇન્સ, સુરત 395 001

[900 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં ઇલાબહેન ભટ્ટ અમદાવાદથી વિશ્વમાં પ્રકાશ્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 September 2023

અખિલ હિંદ મહિલા પરિષદ તરેહની મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા ચળવળને અસંગઠિત શ્રમિકો થકી નવેસર વ્યાખ્યાયિત કરવામાં એ ઇતિહાસનિમિત્ત બન્યાં

ઇલા રમેશ ભટ્ટ, ‘સેવા’નાં ઈલાબહેન સ્તો, આપણી વચ્ચે હોત તો આવતીકાલે નેવું વરસ પૂરાં કરી એકાણુંમે પ્રકાશતાં હોત. એ નેવુંમે ગયાં, નવેમ્બર 2022માં એમનું દીર્ઘાયુ એ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ભરતી ઘટના હતી. છેલ્લાં થોડાં વરસ એ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ રહ્યાં. એ ગાળામાં એમની હેડીનું ભાગ્યે જ કોઈ ગુજરાતમાં હશે જે આ પદે હોઈ શકે. એક રીતે એમની એ કારુણિકા બની રહી. જો કે, હું આ પ્રયોગ ચીલેચલુ છાપાંગત નહીં કરતાં ગ્રીક ટ્રેજેડીના અર્થમાં, કરુણભવ્ય એ અર્થમાં કરવો ઈચ્છું. ક્યારેક વિદ્યાપીઠ વિશે વાત કરવાની બનશે ત્યારે એની ચર્ચા કરવાની કોશિશ જરૂર કરીશ. પણ હમણાં તો વ્યાપક ફલક પર એક યશસ્વી જીવન નિમિત્તે થોડીએક વાતો કરવા ઈચ્છું છું.

ઇલાબહેન મૂળે સુરતનાં. દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં. બને કે ચંદ્રવદન મહેતાએ પંડે જે ઇલાઓનાં નામ પાડ્યાં લેખાય છે તે પૈકીનાં એક એ પણ હોય. ગમે તેમ પણ, ક્યારેક નીલકંઠ ને દિવેટિયા પરિવારોનું સુરત-અમદાવાદ આવવું-જવું, વસવું-સેવવું, ગુજરાતમાં સંસાર સુધારાની હિલચાલનું એક અરુણું પ્રકરણ હતું તેમ વીસમી સદીનું છેલ્લું ચરણ પણ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થયેલાં ઇલા ભટ્ટ, ઇલા વર્મા (પાઠક), કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ-સુરભિ શેઠ વગેરે થકી આપણા નજીકના ઇતિહાસનું એક સલૂણું પ્રકરણ છે. (સુરભિબહેન થોડો વખત નર્મદ સાહિત્ય સભાના સહમંત્રી હતાં એવો ખ્યાલ છે. હમણાં જ એ પુત્ર અમિત-સ્થાપક નિયામક, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના-ને ત્યાં વિદેહ થયાં.)

ઇલાબહેનને મિષે વાત કરતે કરતે ઝીણી-ઝીણી વિગતોમાં નહીં જતાં બેત્રણ બહોળાં નિરીક્ષણો કરું. સંસારસુધારાની અને સ્વરાજની ચળવળો પછીનાં સ્વાતંત્ર્યોત્તર- એમાં પણ કટોકટી આસપાસ અને તે પછીનાં આ વરસો છે. સ્વરાજનિર્માણની પહેલી પચીસી પસાર થઈ ન થઈ અને બીજી પચીસી બેસતે દેશ સ્વરાજની બીજી લડાઈની પરિસ્થિતિમાં મુકાઈ ગયો. નાગરિક સ્વાધીનતા અને મૂળભૂત અધિકારોની પ્રતિષ્ઠાપૂર્વક લોકશાહીના પુન:સંસ્થાપનનો, 1975-77નો એ ગાળો વિશ્વસ્તરે પણ આંતરરાષ્ટ્રીય નારીવરસ સહિતના નોંધપાત્ર ઘટનાક્રમનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ દિવસ અને રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ ક્રાન્તિ દિવસ (બેઉ પાંચમી જૂને) મનાવા શરૂ થયા તે પણ આ જ અરસામાં.

આ સઘળું નકરો જોગાનુજોગ નહોતો. કટોકરી ઊઠી એ અરસામાં કોઈકે, ઘણું કરીને ડેવિડ સેલ્બોર્ને લખ્યું હતું કે કટોકરી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે. લોકશાહીનું પુન: પ્રતિષ્ઠાપન (રિસ્ટોરેશન) થયું એ સાચું, પણ એથી જે સુવિધા મળી એમાં સ્વરાજના વ્યાપક અર્થમાં કેટકેટલાં સ્તરે લડવાનું હતું અને છે. સ્વરાજ સૌને અનુભવાય, જેમ ‘સહિત’ને તેમ રહિત દલિત વંચિત સૌને, જેમ પુરુષને તેમ સ્ત્રીને, માલિકને તેમ શ્રમિકને – આ તો એક સતત ચાલતી પ્રક્રિયા, લડાઈ કહો તો લડાઈ છે.

નીલકંઠ-દિવેટિયા સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં શું બન્યું? જરી સબૂરીથી વિચારીએ. પહેલી સંક્રાન્તિમાં, લિબરલ પરિવારોના મવાળ કાઁગ્રેસકારણમાંથી ગાંધીનું રાજકારણ આવ્યું. અખિલ હિંદ મહિલા પરિષદ પ્રકારની સર્જનાત્મક ને સંસ્થાકીય હિલચાલનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો (જેણે હમણેના દાયકાઓમાં સેક્સ વર્કર ક્ષેત્રે નવોન્મેષ દાખવ્યો છે.) ક્યારેક ‘પુરુષસમોવડી સ્ત્રી’ની રીતે વાત થતી હતી તેમાંથી આપણે જેમ પુરુષ તેમ સ્ત્રી પણ એક વ્યક્તિ છે અને એનું મૂલ્યાંકન પુરુષ સાપેક્ષ ધોરણે સીમિત નહીં રહેતાં, સ્વત:સિદ્ધ વ્યક્તિને નાતે થવું જોઈએ એ સમજે નાંગર્યાં છીએ. નવી નારીનું જે પ્રતિમાન અને પ્રતિરૂપ આપણી સમજ અને સંવેદનાને સંકોરતું સામે આવવા કરે છે તે ધોરણે આગલી મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા પ્રવૃત્તિ પણ નવેસર વ્યાખ્યાયિત થઈ રહી છે. સિવણગૂંથણ, વડીપાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ મધ્યમવર્ગી વંડી ઠેકીને શ્રમિક સુખ-દુ:ખ સાથે જોડાવું અને તેમ કરતે કરતે પૂરા કદની વ્યક્તિ અને પૂરા કદના નાગરિક થવાની મજલ બેઉ પક્ષે હોવી તે યુગપડકાર છે. શરૂ શરૂમાં મજૂર મહાજનના પ્રત્યક્ષ અંગભાગી રૂપે અને આગળ ચાલતાં સ્વતંત્ર રૂપે ઇલાબહેનના નેતૃત્વમાં ને યોજકત્વમાં ‘સેવા’નો ઉદ્દભવ ને વિકાસ આ રીતે જોવા જેવા છે.

‘સેવા’ વિશે ઘણું લખાયું છે એટલે નજીકના ઇતિહાસ ને નજીકનાં વલણોની આટલી પિછવાઈએ અટકી થોડું ઇલાબહેનનાં વ્યક્તિત્વ વિશે કહું? એમની જાહેર કામગીરી અને એના ઉંબર તેમ આરંભ ગાળામાં અમારો નિકટ પરિચય રહ્યો. 1973માં પર્લ બક ગયાં ત્યારે મેં આનંદાશ્ચર્ય જાણ્યું કે હજુ ફેબ્રુઆરી સુધી એમની ને પર્લ બક વચ્ચે પત્રવહેવાર હતો, જે ક્યારેક ‘ગુડ અર્થ’ વાંચ્યા પછી શરૂ થયો હતો. સંઘર્ષ, સ્વાધ્યાય ને સહૃદયતા એમના જીવનમાં સાથેલગાં રહ્યાં. ‘78-’79ના અરસામાં એ હું ધારું છું, નવસારીની ગાર્ડા કોલેજમાં ‘નારીનાં પ્રતિરૂપ’ વિશે યુનિવર્સિટી વ્યાખ્યાન આપવાનાં હતાં ત્યારે થયેલી ચર્ચા સાંભરે છે.

સેવાનો વિકાસ, મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ, રાજ્યસભામાં નિયુક્તિ, પદ્મ સન્માન, આ બધી રુટિની હારડાશાઈ વિગતોમાં નહીં જતાં અંતમાં એટલું જ કહીશું – અધૂકડી તો અધૂકડી – આ કટારનોંધમાં, કે એકંદરે બિનપક્ષીય રહ્યાં છતાં પાછલા દાયકાઓમાં એમને શાસન તરફથી જે ભીંસનો અનુભવ થયો એમાં જો શાસકીય અસંસ્કારિતા સાફ છે તો ભલે પક્ષસંધાન વગરનીચે નાગરિક-રાજકીય અભિજ્ઞતા પણ સંમાર્જન માગે છે … હમણાં તો એ વિરલ વ્યક્તિતા ને નેતૃતાને માનવંદના!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 સપ્ટેમ્બર 2023

Loading

શ્રાવણની વિવિધ મહેક

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|5 September 2023

(૧)  

શ્રાવણનો આ સરતો મહિનો ….

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,

       ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો ….

વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,

       નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો, 

શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની ગાયો….. 

       લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,

ઉજાગરાએ માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,

       ગોતીગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો ……

ખોટી મટકી, માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,

       નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો, 

શોધીશોધી થાકી આંખો, ના દેખાય જશોદાનો જાયો ….. 

       ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,

છાને પગલે આવીઆવી, સ્પર્શી લે જગનો વાંસો, 

       ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દા’ડો, પણ ક્યાં છે સૌનો કાનો,

       શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો ….

•

(૨)  

કૃષ્ણ–રાધાઃ પ્રેમ–સંવાદઃ

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?

પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી?

“અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને  હા, ખેલત હું હોળી!”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના?

“અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના?”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?

“અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર!!”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!

••

(૩) 

નથી હું મીરાં કે નથી હું રાધા 

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ, તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઈ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં!
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઈમેઈલમાં,
વેબકેમ મંદિરનાં ખોલી દઈશ બારણાં,
આરતી ઉતારીને લઈશ ઓવારણાં.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને  ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના …….

•••

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરૂ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્ત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

(૪)  

દેવકીનું દર્દ …

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
કાયા તો ઝીલે લઈ ભીતરમાં ભાર,
ના સહેવાતો કેમે એ ક્રૂર કારાવાસ.
આભલું છલકીને હલકું થઈ જાય,
વાદળુંય વરસીને હળવું થઈ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય …..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાતસાત નવજાત હોમીને સેવ્યો,
નવનવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝું, દેવકીને આજ,
વાંક વિણ, વેર વિણ, પીધાં મેં વખ,
ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય ….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

••••

(૫) 

ક્યાં?

વાંસળીના સૂર ક્યાં.

લાગણીના પૂર ક્યાં ?

આવી જન્માષ્ટમી પણ,

પ્રીતમાં ચક્ચૂર ક્યાં ?

ગાવડી, ગોકુળ ને

ગોપીનાં નૂપુર ક્યાં ?

શ્યામ શોધે રાધિકા,

માખણ ભરપૂર ક્યાં?

અવતરે તો કૃષ્ણ પણ

લોકને જ જરૂર ક્યાં ?

ઉત્સવો આ યંત્ર સમ

માનવીના નૂર ક્યાં ?

e.mail : Ddhruva1948@yahoo.com

Loading

...102030...959960961962...970980990...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved