Opinion Magazine
Number of visits: 9458035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.જે.પી.ના મીડિયા સેલનો પનો વિદેશમાં ટૂંકો પડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2023

રમેશ ઓઝા

નવ વરસ સુધી ખુદ્દાર પત્રકારોથી ભાગ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. સાધારણ રીતે અમેરિકાની મુલાકાતે આવેલા મહેમાન નેતા અમેરિકન પ્રમુખની મુલાકાત લે એ પછી વ્હાઈટ હાઉસમાં બન્ને નેતાઓ ઊભા ઊભા સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા હોય છે. આ રિવાજ છે અને તમે આવા દૃશ્યો જોયાં હશે. જે દેશની અને તેના નેતાની એવી કોઈ મોટી પ્રતિષ્ઠા નથી એવા નેતાઓ પણ પત્રકારોનો સામનો કરે છે, પણ આપણા વડા પ્રધાન ભાગતા ફરે છે. ભારતમાં જેને “પપ્પુ” તરીકે ઓળખવામાં આવે છે એ રાહુલ ગાંધી આત્મવિશ્વાસપૂર્વક પત્રકારોનો સામનો કરે છે, પણ ૫૬ ઈંચની છાતીના ધણી નરેન્દ્ર મોદી કોઈને કોઈ રીતે ખુદ્દાર પત્રકારોથી ભાગવામાં સફળ થતા હતા, પણ આ વખતે સપડાઈ ગયા.

વાત એમ છે કે ગોદી મીડિયા ભારતમાં અને વિદેશમાં ગમે એટલું શીર્ષાસન કરે, પણ નરેન્દ્ર મોદીની છબી વિદેશમાં ખરડાઈ ચૂકી છે. ભારતના વર્તમાન સત્તાધીશો હિંદુ કોમવાદી છે, લઘુમતી વિરોધી છે, ખાસ કરીને મુસલમાનોને સતાવવામાં આવે છે, મુસલમાનોનાં મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, તેઓ ભારતને માથાભારે હિંદુ બહુમતી રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે, લોકતંત્રનું અને નાગરિકોની આઝાદીનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે, સંસદને ચાલવા દેવામાં આવતી નથી, લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર કબજો કરવામાં આવ્યો છે વગેરે વગેરે. જગત આ જાણે છે અને એવું તો ક્યારે ય બનતું નથી કે લોકો ચહેરાની એક બાજુ જાણે અને બીજી બાજુથી સાવ અજાણ રહે. ખાસ કરીને ત્યારે જ્યારે ચહેરાની એક બાજુ અબજો રૂપિયા ખર્ચીને અને મીડિયાને ખરીદીને પ્રોજેક્ટ કરવામાં આવતી હોય.

જે પત્રકારોને અને વિચારનારા નાગરિકોને ખરીદી કે ડરાવી શકાયા નથી તેઓ બોલે છે. વિદેશી એલચી કચેરીઓ અને પત્રકારો ભારતમાં શું બની રહ્યું છે એના અહેવાલો પોતાના દેશમાં મોકલતા હોય છે. નાગરિક અધિકારોની સ્થિતિ અને કાયદાનાં રાજ ઉપર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દર વર્ષે તેનાં રીપોર્ટ તૈયાર કરે છે અને તેમાં ભારત તેની રેન્ક ગુમાવી રહ્યું છે. ભારતની જેમ વિદેશોમાં વસતા અનિવાસી ભારતીયો વચ્ચે ઊભી તિરાડ પડી છે. ‘હિન્દુઝ ફોર સેક્યુલર ઇન્ડિયા’ જેવાં વિદેશમાં રચાયેલાં અનેક પ્લેટફોર્મ્સ ભારતમાં લોકતંત્ર બચાવવા માટે કામ કરે છે. ભારતની જેમ કોમવાદી હિંદુઓ વિદેશોમાં પણ વસે છે, પરંતુ ત્યાં તેઓ લઘુમતીમાં હોવાથી એક હદથી વધારે હડકાયા થઈ શકતા નથી, જ્યારે સેક્યુલર હિંદુઓ સ્થાનિક પ્રજાનો વિશ્વાસ ધરાવે છે અને ભારતમાં લોકતંત્ર તેમ જ નાગરિક અધિકારોની રક્ષા માટે નેટવર્ક રચાય છે. જે હિંદુઓ વિદેશમાં હડકાયા થાય છે એ લોકો વિદેશમાં ભારતની અને નરેન્દ્ર મોદીની છબીને વધારે ધૂમિલ કરે છે. આ સિવાય ઈન્ટરનેટને કારણે પ્રત્યાયન આસાન થઈ ગયું છે. બી.જે.પી.ના મીડિયા સેલનો પનો વિદેશમાં ટૂંકો પડે છે.

કામ તુર્કીના ઓરડેગન જેવાં કરીએ અને જગતમાં જવાહરલાલ નેહરુનો થતો હતો એવો જયજયકાર થાય એવાં સપનાં જોઈએ એવું બને ખરું? નેહરુનો થતો હતો એવો જયજયકાર નેહરુના માર્ગે જ થાય, ઓરડેગનના માર્ગે ન થાય. આ બેવકૂફ પણ સમજી શકે એવું સાદું સત્ય છે. પણ આપણા સત્તાધારી એમ માને છે કે પૈસા હોય અને આંખનું મટકું પણ માર્યા વિના જૂઠ અને આત્મશ્લાઘા કરવાની ત્રેવડ હોય તો કશું જ અશક્ય નથી.

સત્ય છુપાવ્યું છુપાતું નથી. સત્યનો આ સ્વભાવ છે. અંતે એ જ થયું જે એક દિવસ થવાનું હતું. નવ વરસ ભાગ્યા પછી અને અમેરિકાની સડકો ઉપર મોદી મોદી કરાવ્યા પછી વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. વાત એમ હતી કે અમેરિકાના ૮૮ જેટલા સેનેટરોએ અમેરિકન પ્રમુખ બાયડનને પત્ર લખ્યો હતો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં તમને મળવા આવે ત્યારે તમારે ભારતમાં લોકતંત્ર અને નાગરિક અધિકારોનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે એ પ્રશ્ન ઉપસ્થિતિ કરવો, એટલું જ નહીં લોકતંત્ર ઉપર એક લેસન પણ આપવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સલાહના સૂરમાં નરેન્દ્ર મોદીને ઠપકો આપવો. એ પત્રની વિગતો અમેરિકન અખબારોમાં અને જગતભરના મીડિયામાં પ્રકાશિત થઈ.

અને હા, બરાકને તો તમે ઓળખતા જ હશો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાને પ્રોટોકોલ મુજબ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા તરીકે સંબોધવાની જગ્યાએ પ્રોટોકોલ તોડીને માત્ર તેમના પહેલા નામથી બરાક તરીકે ઓળખાવ્યા હતા. બરાક ઓબામા હેબતાઈ ગયા હતા. માત્ર પહેલા નામથી એ લોકો સંબોધે જે પ્રેમી હોય કે સ્નેહી હોય અથવા જીગરજાન મિત્ર હોય. નરેન્દ્ર મોદી એમ કહેવા માગતા હતા કે બરાક તો મારો ગોઠિયો છે, અમેરિકન પ્રમુખ તો બાદ મેં. તો બરાકે નરેન્દ્ર મોદી હજુ અમેરિકામાં હતા ત્યારે સી.એન.એન.ને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “જો મારે મી. મોદીને (મી. મોદી, નરેન્દ્ર નથી કહેતા) મળવાનું થાય તો હું તેમને સલાહ આપું કે લઘુમતી કોમનું જાતિનિકંદન (તેમણે અંગ્રેજી શબ્દ એથનિક ક્લીન્ઝીંગ વાપર્યો છે) કાઢવામાં આવશે તો તેના પરિણામસ્વરૂપે ભારતના ટુકડા થશે અને એ ઉપરાંત એવી પ્રવૃત્તિ બહુમતી હિંદુઓના હિતમાં પણ નહીં હોય.” તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રમુખ બાયડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન ભારતમાં લોકતંત્રનો પ્રશ્ન ઉપસ્થિતિ કરવો જોઈએ.

આ અમેરિકા છે જ્યાં ટ્રમ્પ જેવા બેશરમ તાનાશાહને પણ ભારે પડી ગયું હતું. બાયડન ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા, સેનેટરો, અમેરિકન નાગરિકો, અખબારી ઊહાપોહ અને સેક્યુલર અનિવાસી ભારતીયોની ભાવનાને ઉવેખી ન શકે. હવે અમેરિકન પ્રમુખ સલાહના સૂરમાં નરેન્દ્ર મોદીને ઠપકો આપે તો એ વધારે ખરાબ દેખાય. આ સિવાય અમેરિકાને ચીન સામે ભારતનો ખપ છે એટલે બાયડન પણ આવું નહોતા ઈચ્છતા. મારું એવું અનુમાન છે કે વ્હાઈટ હાઉસમાં લોકતંત્ર અંગેના પત્રકારના સવાલનો સામનો કરવાનો વચલો રસ્તો કાઢવામાં આવ્યો હોવો જોઈએ. પત્રકાર હજુ તો સવાલ પૂછવાનું શરૂ કરે છે ત્યાં વડા પ્રધાનના ચહેરા ઉપર ટેન્શન આવી ગયું હતું અને ચહેરો તરડાઇ ગયો હતો. જો આવી ગોઠવણ ન થઈ હોત તો પ્રોમ્પ્ટર પર જવાબ તૈયાર ન હોત. તમે પોતે જોઈ જુઓ, વડા પ્રધાને પ્રશ્નનો સીધો જવાબ આપવાની જગ્યાએ ભારતની મહાનતા અને લોકતંત્ર ઉપર ભાષણ આપ્યું હતું.

અને એ પછી શું થયું? ભારતમાં ટ્રોલીંગ કરનારી ભાડૂતી ટોળકીએ નરેન્દ્ર મોદીને અઘરો સવાલ પૂછનારી પત્રકાર સબરીના સિદ્દીકીનું ટ્રોલીંગ કરવાનું શરૂ કર્યું. ભાષા તો એ જ જે તમે જાણો છો. આ જોઇને અમેરિકન સરકારે આવી પ્રવૃત્તિની આકરી નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં શું કહેવામાં આવ્યું એ તમે મૂળ અંગ્રેજીમાં જ વાંચી લો. “It is unacceptable, and we absolutely condemn any harassment of any journalists anywhere under any circumstances.” અને પછી આગળ કહે છે: “It was antithetical to the very principles of democracy that were on display last week during the state visit.”

જેવું વાવો એવું લણો. કહેવત ખોટી નથી. છબી ઉજાળવા માટે અબજો રૂપિયાનું નેટવર્ક ઊભું કર્યા પછી પણ અને ગોદી મીડિયાની ચોવીસે કલાકની ખિદમત પછી પણ સાચી વાત બહાર આવી ગઈ. વગર પૈસે અને વગર નેટવર્કે. જવાહરલાલ નેહરુના વખતનું ભારત આજ કરતાં ક્યાં ય પાછળ હતું. પણ એ છતાં ય ભારતની અને નેહરુની જગતમાં ગણના થતી હતી, કારણ કે ભારત તેનાં સમૃદ્ધ વારસા દ્વારા પ્રતિષ્ઠા ધરાવતું હતું અને જવાહરલાલ નેહરુ એ વારસાના પ્રવક્તા તરીકે.

શું હતો એ વારસો? ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે (જુનિયર) ભારતના વારસાને એક વાક્યમાં ઓળખાવ્યો છે : “માણસ બનીને સાથે કેમ જીવાય એ શીખવું હોય તો ભારત જાવ. ભારત સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની ભૂમિ છે.”

જ્યોર્જ બુશના આ શબ્દો બે દાયકા પહેલાના છે. બે દાયકામાં આટલો ફરક?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2023

Loading

વિજય ભટ્ટના નરસિંહ મહેતામાં ગાંધીદર્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 June 2023

રાજ ગોસ્વામી

પહેલી ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? લગભગ તમામ સ્રોત પ્રમાણે, ગુજરાતના પ્રખ્યાત સંત ભજનિક નરસિંહ મહેતાના બાયોપિક સાથે બોલતી ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઇ હતી. નાનુભાઈ વકીલ (1904-1980) નામના નિર્દેશકે ‘નરસિંહ મહેતા’ નામની ફિલ્મ બનાવી હતી. તે 9મી એપ્રિલ 1932ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી (પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ ‘લિલુડી ધરતી’ 1968માં આવી હતી).

મૂળ વલસાડના, નાનુભાઈ વકીલે લગભગ 55 ફિલ્મો બનાવી હતી. તેમની પહેલી ફિલ્મ ‘મૃગનૈની’ 1929માં અને અંતિમ ફિલ્મ ‘ઈદ કા ચાંદ’ 1964માં આવી હતી. મુંબઈમાં કાયદાનું ભણેલા નાનુભાઈએ શારદા ફિલ્મ નામની કંપનીમાં દૃશ્યો લખવાના કામમાંથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. ‘નરસિંહ મહેતા’ તેમણે સાગર મૂવીટોનના બેનર તળે બનાવી હતી.

ફિલ્મો સમાજમાંથી પ્રેરણા લે છે તે વાત સાચી છે. 40 અને 50ના દશકમાં હિન્દી અને અન્ય ભાષી ફિલ્મોમાં સંતોનો વિષય લોકપ્રિય હતો. જેમ કે, 1935માં હિન્દી અને મરાઠીમાં (મહારાષ્ટ્રના સંત એકનાથ પર) ‘ધર્માત્મા,’ 1936માં મરાઠીમાં ‘સંત તુકારામ,’ 1941માં હિન્દી-મરાઠીમાં ‘સંત ધ્યાનેશ્વર,’ 1964માં હિન્દીમાં ‘સંત જ્ઞાનેશ્વર’ વગેરે.

એવું કહેવાય છે કે નાનુભાઈએ મહાત્મા ગાંધીના પ્રભાવમાં આવીને ગુજરાતીમાં ‘નરસિંહ મહેતા’ બનાવી હતી. એટલા માટે તેમાં ભજનો પર જોર વધુ હતું, નહીં કે નરસિંહએ કરેલા ચમત્કારો પર (આ ફિલ્મમાં જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળે સેટ્સ બનાવ્યા હતા). તેમાં માસ્ટર મનહર નામના હિરોએ મહેતાનો, ઉમાકાંત દેસાઈએ કૃષ્ણનો અને ખાતૂને કુંવરબાઈની ભૂમિકા કરી હતી. આ ફિલ્મ ના ચાલી.

એટલે આઠ વર્ષ પછી, 1940માં, બીજા એક મશહૂર ગુજરાતી નિર્માતા-નિર્દેશક વિજય ભટ્ટે, તેમની પ્રકાશ પિક્ચર્સ ફિલ્મ કંપની માટે, ભજનિક નરસિંહ મહેતાના જીવન પર ફિલ્મ (‘નરસી ભગત’) બનાવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભજનોને બદલે ચમત્કારો પર ધ્યાન આપ્યું હતું. ‘નરસી ભગત’ ફિલ્મ ચાલી. નરસિંહ મહેતા પર કુલ ત્રણ ફિલ્મો બની છે. એક તો નાનાભાઈની, બીજી વિજય ભટ્ટની ‘નરસી ભગત’ અને એ બંને પહેલાં 1920માં ‘નરસિંહ મહેતા’ નામની એક મૂંગી ગુજરાતી ફિલ્મ આવી હતી. એટલે તેનો વિષય ‘સંત ફિલ્મો’ માટે ઉપયુક્ત હતો.

આ વિજય ભટ્ટ એટલે જેમણે ‘રામ રાજ્ય’ (જે ગાંધીજીએ જોઈ હતી), બૈજુ બાવરા, ગુંજ ઊઠી શહેનાઈ અને હિમાલય કી ગોદ મેં બનાવી હતી તે. ગુજરાતના પાલીતાણામાં રેલવે ગાર્ડની નોકરી કરતા જનેશ્વર ભટ્ટના દીકરા વ્રજલાલ ભટ્ટ એટલે વિજય ભટ્ટ. તેમના ભાઈ સાથે એ મુંબઈ આવેલા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટરમીડિયેટ કાર્યપ પછી બેસ્ટ બસ સર્વિસમાં ઈલેક્ટ્રીશિયન તરીકે જોડાયા હતા. શોખથી ગુજરાતી નાટકો લખતા હતા. એમાં તે પહેલી બોલતી હિન્દી ફિલ્મ ‘આલમ આરા’ના નિર્માતા-નિર્દેશક અરદેશર ઈરાનીની આંખે ચઢ્યા અને એ રીતે હિન્દી ફિલ્મોમાં તેમની કારકિર્દી શરૂ થઇ.

વિજય ભટ્ટના જીવન અને કામને સમર્પિત વેબસાઈટ ‘વિજયભટ્ટ ડોટ ઇન’માં આપેલી માહિતી અનુસાર નરસિંહ મહેતા પર ફિલ્મ બનાવાનું સૂચન મહાત્મા ગાંધી તરફથી આવ્યું હતું, જેમનું ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાંધીજીનું પ્રિય હતું. વલસાડમાં વિજય ભટ્ટ અને એમના મિત્રો ગાંધીજીને મળવા ગયા હતા. એમાં ગાંધીજી એ પૂછ્યું હતું કે શું કામ કરો છો ત્યારે ભટ્ટે કહ્યું હતું કે ફિલ્મો બનાવું છું. “નરસી મહેતા પર ફિલ્મ બનાવાનું ક્યારે ય વિચાર્યું છે?” ગાંધીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો. “બાપુજી, બનાવા પ્રયાસ કરું,” ભટ્ટે જવાબ આપ્યો હતો.

તેમની પ્રકાશ પિક્ચર્સ ત્યારે જામેલી કંપની હતી અને તેમની ‘સંત તુકારામ’ ફિલ્મ સારી એવી લોકપ્રિય થઇ હતી. ભટ્ટે નરસિંહ મહેતા પર હિન્દી-ગુજરાતીમાં ફિલ્મ બનાવાનું નક્કી કર્યું. તેમાં મુખ્ય ભૂમિકા માટે મરાઠી રંગભૂમિના અભિનેતા વિષ્ણુપંત પાગનીસ(1892-1943)ને લીધા હતા. પાગનીસ સંત વિદુર, સંત તુલસીદાસ અને સંત તુકારામની ભૂમિકા કરીને ‘સંત અભિનેતા’ તરીકે જાણીતા થયા હતા. નરસિંહ મહેતાનાં પત્ની માણેકબાઈની ભૂમિકામાં દુર્ગા ખોટે હતાં.

નરસી ભગત કે ભક્ત નરસૈયો જેવા લોકપ્રિય નામથી આપણે જેને ઓળખીએ છીએ તે ગુજરાતી ભાષાના આદિકવિ કે ભક્તકવિ નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલાં ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયાં અને ચરિત્રકાવ્યો રચીને ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું છે.

૧૫મી સદીમાં ભારતમાં જે ભક્તિ અંદોલનની શરૂઆતમાં નરસિંહ મહેતાએ ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા હતા. ઉચ્ચ નગર જ્ઞાતિમાં જન્મ્યા હોવા છતાં તે લોકોમાં સૌ હરિના જન છે તેવું સમજણ આપતા હતા અને એટલે જ ગાંધીજીના સામાજિક વિચારોમાં મહેતાનું સ્થાન ઊંચું છે. અસ્પૃશ્યો માટે ગાંધીજીએ ‘હરિજન’ શબ્દ પ્રયોજ્યો હતો તેની પ્રેરણા નરસિંહ મહેતા હતા.

ફિલ્મમાં, ભાવનગર પાસેના તળાજા ગામના બેરોજગાર અને કૃષ્ણપ્રેમી નરસિંહ મહેતાને તેમની પત્ની માણેકબાઈ, પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા સાથે તેમના ભાઈ (બંસીધર) અને ભાભી(ઝવેરબાઈ મહેતી)ને ત્યાં રહેતાં બતાવ્યા હતા. એક રાતે તેઓ કોઈ ગરીબ દુ:ખિયારાને મદદ કરવા ઘર બહાર જાય છે, ત્યારે ભાભી કાયમ માટે તેમનો દરવાજો બંધ કરી દે છે.

નરસિંહ નજીકના શિવ મંદિરમાં આશરો લે છે અને સાત દિવસ સુધી ખાવા-પીવાનું છોડીને તપસ્યા કરે છે. તેમના તપથી ખુશ થઇને શિવજી તેમને ગોલોક(સ્વર્ગ)માં કૃષ્ણ પાસે મોકલે છે. ત્યાં ગોપીઓ અને ગોપીઓ સાથે નૃત્ય કરવાનું નરસિંહનું સ્વપ્ન પૂરું થાય છે. પૃથ્વી પર આવીને તે અસ્પૃશ્યો વચ્ચે કૃષ્ણનો સંદેશો લોકોને આપે છે. એ કહે છે, ‘ભાઈઓ ડરશો નહીં, તમે મારા જેવા જ છો, હું તમારી વચ્ચે સમાનતા અને ડહાપણનો સંદેશ લઈને આવ્યો છું.’ એ કપાળ પર ‘વૈષ્ણવ’ લખીને ગામમાં ફરે છે અને લોકોના ઉપહાસનો ભોગ બને છે. એ ધરમશાળામાં આશરો લે છે અને કૃષ્ણ પર વિશ્વાસ રાખીને કુંવરબાઈના મામેરાની તૈયારી કરે છે.

લોકોને આ વાર્તા પસંદ આવી હતી અને એ અમુક ઠેકાણે તો સિલ્વર જ્યુબિલી (25 સપ્તાહ) ઉજવી હતી. કરાચી અને લાહોરથી પ્રગટ થતા ટ્રેડ પેપર ‘ધ ફિલ્મોત્સવ એન્યુઅલ’માં એક રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ફિલ્મ સોનાનો ખજાનો છે અને દરેક સ્ટેશન પર ધૂમ ધંધો કરી રહી છે.’

વિજય ભટ્ટે ફિલ્મમાં માનવજાતના કલ્યાણના ગાંધીવાદી વિચારને નરસિંહના સંતત્વ સાથે જોડ્યો હતો. ભગવાનની ભક્તિ માણસોની ભક્તિથી અલગ નથી એ એનો કેન્દ્રીય વિચાર હતો. વિજય ભટ્ટે નરસિંહ મહેતાને અમુક ઘટનાઓ અને દેખાવમાં ગાંધીજી જેવા રજૂ કર્યા હતા. કમનસીબે, ફિલ્મ માટે પ્રેરણારૂપ મહાત્મા ગાંધી આ ફિલ્મ જોઈ શક્યા નહોતા. જો કે વિજય ભટ્ટે 1943માં તેમની બીજી ફિલ્મ ‘રામરાજ્ય’નો વિશેષ શો જુહુમાં ગાંધીજી માટે યોજ્યો હતો.

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ” 28 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વલીવિરહ

સંકલન – સુરેશ જાની|Opinion - Opinion|28 June 2023

જન્મ –જુલાઈ 1941, કાણોદર, પાલનપુર પાસે  : અવસાન : 23 જૂન 2023, અમદાવાદ

વલીભાઈ માટે ‘હતા’ શબ્દ વાપરતાં જીવડો ચૂંથાય છે. પણ ….

કાણોદર, અમદાવાદ જ નહીં પણ દુબાઈમાં; અમેરિકામાં હ્યુસ્ટન અને એલનટાઉનમાં; કેનેડામાં ટોરોન્ટો અને વાનકુવરમાં; ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, સિડની અને ટાઉન્સવિલેમાં ફેલાઈને સમૃદ્ધ થયેલા ‘મુસા’ કુટુંબના મોભી આદરણીય વલીભાઈ મુસા જન્નત નશીન થયા છે.

માત્ર મુસા કુટુમ્બના જ નહીં આ લખનારના પણ તેઓ મોટાભાઈ સમાન હતા. અનેક બ્લોગર-સર્જકોના મિત્ર અને હિતેશ્રીને આ લખનારે ‘હાહાકાર’નું લાડકું બિરૂદ આપ્યું હતું. (હાસ્ય હાઇકુ કાર).

‘વેબ ગુર્જરી’ના તંત્રીમંડળમાં પણ તેઓ આરંભકાળથી સંકળાયેલા હતા, અને છેવટ સુધી નિયમિત પ્રદાન કરતા રહ્યા હતા.

હળવા મિજાજના પણ ગુજરાતી ભાષા શાસ્ત્રના ઊંડા અભ્યાસુ તેમ જ બહુ ઉચ્ચ કક્ષાના લેખક એવા વલીભાઈના ઘણા બધા પ્રિય વિષયોમાંનો એક ‘ગાલિબ’ની રચનાઓનું રસદર્શન હતો.

પાકા મુસ્લિમ હોવા છતાં તેઓ ધર્મ નિરપેક્ષ અને માનવધર્મને વરેલા હતા અને કાણોદર ગામના અગ્રગણ્ય નાગરિક અને દાનવીર હતા. 

***********************

પ્રિય બ્લોગર મિત્ર સ્વ. પુરૂષોત્તમ દાવડાએ વર્ષો પહેલાં લખેલ આ પરિચય એમના જીવન પર ચપટીક પ્રકાશ પાડે છે –

વલીભાઈનો જન્મ ૧૯૪૧માં આવેલા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતાં, પણ એમણે પોતાના બધા બાળકોને સારું શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલનો પણ સમાવેશ થઈ જાય છે.

વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tellની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે. વલીભાઈ ૧૯૫૯માં મેટ્રિક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસિલિટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિદ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.  ૨૦૦૭માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales”ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજ સુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.

ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યાં કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજિક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદ્દભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

વલીભાઈ કહે છે, “વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છું. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલાં વર્ષો સુધી મારું સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદ્દભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

આજે વલીભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃત્તિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે –

“એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,
થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

બસ, વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”

વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગશે.

– પી કે. દાવડા

મિત્રાંજલિ

ધરતી પર એક સિતારો ટમટમીને દૃષ્ટિથી ઓઝલ થયો.
અનેક આંખોમાં પ્રેમનું તેજ આંજી ગયો.

– રેખા સિંધલ

અફસોસ, વલીભાઈ વયા ગયા
બસ ખુદા પાસે ચાલ્યા ગયા
હવે તો સંયમ કેળવવો આપણે
આંખો અશ્રુભીની કરતા ગયા

– કાસમ અબ્બાસ કાલાવડવાળા

સર્વમિત્ર-શા,
સાહિત્યપ્રેમી,
જિંદાદિલ વલીદા!
અમ હ્રદયે
સદા રહેશો!

– હરીશ દવે

Absolutely shocking and unbelievable news. At a personal level. I had spent some quality time with Valibhai and his family twice. Such genuine, affectionate and perfect gentleman is truly hard to find on the earth. I join you all in praying for the eternal peace to the departed friend. May God bless his soul. Amin, Sumamin.

– Narendra Phanse

અરે! આમ અચાનક? આવી ઉતાવળ? નજીકના ભૂતકાળમાં એમની વાર્તા – ‘શુભસ્ય શીઘ્રમ’ વાંચવામાં આવી હતી. વલીભાઈના આત્માને શાંતિ હો, એવી પ્રાર્થના.

– રાજુલ કૌશિક

તમે શું ગયા, મહેફિલમાંથી રોશની ગાયબ. હાઈકુના હાઈ કમાન્ડર જેવી વલીભાઈની ખોટ જરૂર સાલશે. ૐ શાંતિ શાંતિ શાંતિ.

– પ્રવીણા કડકિયા

શ્રી વલીભાઈના અવસાનના સમાચાર વાંચી દિલગીરી થઈ છે. શ્રી વલીભાઈની જાણકારી ઈન્ટરનેટ પર જુદા ગુજરાતી બ્લોગો પર તેમનાં લેખો વાંચી તેમનો પરિચય થયો હતો. ગુજરાતી ભાષામાં તેમનું ચોગદાન તેમનાં વાંચકો લાંબા સમય સુધી યાદ કરશે.

– પ્રભુલાલ ભારદિયા

શ્રી વલીભાઈ મુસાની સર્જકતાની સૌરભ ઝીલવા અમે સદ્દભાગી થયા છે. સાહિત્ય વિશે ચિંતન મનન કરવાની પ્રેરણા એમના સાથેના વિચાર વિમર્શે મળી છે અને મારી સર્જકતાની ગુણવત્તા માટે સભાન કર્યા છે. તેમની વિવેચન કલમ પ્રસાદીનો આ લેખ દ્વારા સાહિત્યનો એક આગવો પરિચય મને માણવા મળ્યો.

– રમેશ પટેલ (આકાશદીપ)

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...957958959960...970980990...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved