Opinion Magazine
Number of visits: 9663638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહૃદયતાનું ઋણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 October 2025

નરેશ અને રમેશ બંને બહુ જ સારા મિત્ર હતા. એક જ સ્કૂલ અને એક જ કલાસમાં સાથે અભ્યાસ કરતા હતા. નરેશના પિતાજી કાપડની દુકાનમાં મેનેજર હતા અને આર્થિક સ્થિતિ સામાન્ય હતી. જ્યારે રમેશના પિતા શ્રીમંત અને ખાધે પીધે ખૂબ સુખી હતા. પણ નરેશ અને રમેશની મિત્રતામાં અમીરી, ગરીબી જેવું કંઈ નહોતું. નરેશને અભ્યાસમાં કોઈ પણ જાતની મદદ જેવી કે ટ્યૂશન ક્લાસ, પ્રાઇવેટ ટ્યૂશન જેવી સગવડ નહોતી. જ્યારે રમેશને બધી જ સગવડ મળવા છતાં અભ્યાસમાં સારો હોવા છતાં નરેશથી ઓછા માર્ક્સ આવતા પણ આ બાબતે બંને મિત્રો વચ્ચે ન તો ઈર્ષા હતી, ન કોઈ ભેદભાવ હતો. બંને મિત્રોની મિત્રતા શુદ્ધ અને સાચી હતી.

એક દિવસ નરેશે, રમેશને કહ્યું, “રમેશ આપણો સાથ હવે હાઈસ્કૂલ સુધીનો છે. મારે તો આગળ અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બનવું છે પણ મારા પપ્પા હવે આગળ અભ્યાસ નહીં કરાવી શકે એમ કહેતા હતા.” ત્યારે તો રમેશે કાઈ જવાબ ન આપ્યો.

રમેશે ઘરે આવી તેના પપ્પાને વાત કરી અને પૂછ્યું, “પપ્પા, તમે સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી છો, સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોને અભ્યાસ માટે આર્થિક મદદ કરે છે તો નરેશને કાંઈ મદદ મળી શકે.” રમેશના પપ્પા ભાનુપ્રસાદ પંડ્યા, સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને આગળ પડતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા. 

“રમેશ બેટા, સેવા ટ્રસ્ટ ઘણા લોકોને મદદ કરે છે એટલે મદદની રકમ પણ મર્યાદિત હોય છે.” પછી આગળ વાત ન કરી. રમેશ નારાજ થયો એ એમણે જોયું. પણ કાંઈ કહ્યું નહીં.

બીજે દિવસે ભાનુપ્રસાદ મુખ્ય ટ્રસ્ટીને મળ્યા અને વાત કરી. મુખ્ય ટ્રસ્ટીએ કહ્યું, “વાત તો તમારી યોગ્ય છે. પણ આપણી આર્થિક મર્યાદાઓ છે એ તમે જાણો છો.” એટલે ભાનુપ્રસાદે કહ્યું, “નરેશના અભ્યાસનો તમામ ખર્ચ હું આપીશ પણ તે સેવા ટ્રસ્ટના નામે તમે આપશો અને મારી મદદની વાત ફક્ત તમારી અને મારી વચ્ચે જ રહેશે. કારણ કે નરેશ આ વાત જાણે અને હીણપણની લાગણી અનુભવે એવું હું નથી ઇચ્છતો. તમે મને વચન આપો.” મુખ્ય ટ્રસ્ટી ભાનુપ્રસાદની વાત સાંભળી ભાવવિભોર થઈ ગયા અને કહ્યું, “માણસ ધારે તો ગુપ્ત રીતે મદદ પણ કરી શકે છે. તમારી વાત મને માન્ય છે.”

મુખ્ય ટ્રસ્ટીએ નરેશને વાત કરી. નરેશ ખુશ ખુશ થઈ ગયો કે ક્યારે તે આ ખુશખબર રમેશને આપે. “રમેશ, મને સેવા ટ્રસ્ટ તરફથી મારે જ્યાં સુધી આગળ અભ્યાસ કરવો હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ મળશે.” રમેશ, સાંભળી ખુશ થયો પણ વિચારમાં પડી ગયો કે પપ્પાએ ત્યારે કેમ જવાબ નહીં આપ્યો હોય. પછી વિચાર્યું, ચાલો મારી સાથે નરેશનું સપનું પણ પૂર્ણ થશે.

નરેશ અભ્યાસમાં ખૂબ જ સારો હોવાથી સારા ગ્રેડથી સોફ્ટવેર એન્જિનિયર બની ગયો અને કેમ્પસ સિલેકશનમાં સારી કંપનીમાં ઉચ્ચ પગારે શહેરમાં નોકરી પણ મળી ગઈ. નરેશને વિદેશમાં સારા પગારની જોબ મળતી હતી પણ તેણે દેશમાં રહી દેશનું અને સ્વજનોનું ઋણ ચૂકવવાનું નક્કી કરી પોતાનાં શહેરમાં જ મળતી જોબ સ્વીકારી લીધી. રમેશ પણ એમ.ડી. ડોકટર બની શહેરમાં હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. બંને મિત્રો એક જ શહેરમાં પણ પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત હતા. રૂબરૂ મુલાકાત બહુ ઓછી થતી પણ ફોન ઉપર વાતચિત થતી રહેતી.

નરેશે પૂરી રીતે વ્યવસ્થિત થઈ ગયા પછી વિચાર્યું કે મારે મુખ્ય ટ્રસ્ટીશ્રીનો આભાર માનવો પડે. સેવા ટ્રસ્ટની મદદથી જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. મુખ્ય ટ્રસ્ટીને વંદન કરી કહ્યું, “મારે તમારો ખૂબ ખૂબ આભાર માનવો પડે. તમારી મદદ અને સહકારથી જ આજે મારું સ્વપ્ન પૂરું થયું છે.” 

“નરેશ, હું તો માત્ર નિમિત્ત છું. મેં તો મારી ફરજ બજાવી છે.”

 “તો પછી મને એ કહો કે એ માનવ રૂપી દેવતા કોણ છે? જેણે મારા સ્વપ્નને સાકાર કરવામાં આટલી મોટી મદદ કરી.”

 “એ હું તને નહીં કહી શકું! મેં તેને વચન આપ્યું છે.”

“તો એ દેવતાનું ઋણ ચૂકવવા માટે તમારે વચનભંગ કરવો પડશે અને મને પૂરી વાત કરાવી પડશે. નહીંતર મારા મનને ચેન નહિ પડે.” નરેશના અતિ આગ્રહથી ટ્રસ્ટીશ્રીએ નામ આપ્યું, “એ બીજું કોઈ નહીં પણ તારા મિત્ર રમેશના પપ્પા ભાનુપ્રશાદ પંડ્યા છે. તને હીણપત ના લાગે એટલે તને અને રમેશને ખબર ન પડે તે રીતે તારા અભ્યાસની બધી વ્યવસ્થા ગોઠવી હતી.”

નરેશને ભાનુપ્રસાદ ઉપર માન હતું તેના કરતાં પણ વધુ માન થઈ ગયું. નરેશે, રમેશને ફોન કર્યો, “રમેશ આજે મારે તારા પપ્પાને મળવા આવવું છે. બીજી કોઈ વાત ન કરી.” 

“તું મારી હોસ્પિટલ આવી જા આપણે ઘરે સાથે જઈશું.”

નરેશે, ભાનુપ્રસાદ માટે શાલ, પુષ્પ ગુચ્છ, અને ભાવતી મીઠાઈ ખરીદી. “નરેશ શું છે આ બધું?”

 “કંઈ નહીં, ઘણાં વર્ષ પછી હું તારા પપ્પાને મળું છું એટલે તેને વંદન કરી આશીર્વાદ લેવા છે. તેના આશીર્વાદથી તો આજે અહીં સુધી પહોંચ્યો છું ને મારાં સ્વપ્નો સાકાર કર્યા છે.” રમેશને કંઈ સમજાયું નહિ પણ તેણે નરેશને આગળ કંઈ ન પૂછ્યું.

“નરેશ, તારી નોકરી કેમ ચાલે છે?”

 “આપના આશીર્વાદથી બધું જ બરોબર ચાલે છે.” 

“રમેશ, તારી હોસ્પિટલનું નામ પસંદ કર્યું?”

 “ના, પપ્પા હોસ્પિટલ માટે યોગ્ય નામ શોધી રહ્યો છું.”

નરેશ, ઊભો થયો, ભાનુપ્રસાદને વંદન કરી શાલ ઓઢાડી, ચરણમાં પુષ્પ ગુચ્છ, મીઠાઈ મૂકી ચોધાર આસુંએ પગ પખાળતો રડી પડ્યો. રમેશ આશ્ચર્યમુગ્ધ થઈ ગયો.

 “નરેશ, શું છે આ બધું?”

 “રમેશ મને કાંઈ પૂછમાં, મને આ માનવ રૂપી દેવતાના પગને ધોઈને ચરણામૃત લેવા દે. આ દેવતાએ મારું સ્વપ્ન સાકાર કરી મારી જિંદગી બનાવી છે.”

ભાનુપ્રસાદે, નરેશને ઊભો કરી પાસે બેસાડી, નરેશ અને રમેશને બધી વાત કરી અને કહ્યું, “મેં કંઈ જ નથી કર્યું, ઉપરવાળાએ સોંપેલ કામ કર્યું છે. અને મારે તમને બંનેને એટલી જ વાત કહેવી છે કે તમે પણ આ રસ્તે ચાલજો અને વિચારજો. સમાજના ઉત્થાનમાં શક્ય એટલો ફાળો આપજો.”

“પપ્પા, આજે મને મારી જાત ઉપર ગૌરવ છે કે હું ભાનુપ્રસાદ પંડ્યાનો પુત્ર છું અને ડોકટર રમેશ પંડ્યા કરતાં મને ભાનુપ્રસાદ પંડ્યાના પુત્ર તરીકે ઓળખ આપવી વધારે ગમશે. બીજું મને મારી હોસ્પિટલનું નામ પણ મળી ગયું જે હશે, ‘ભાનુપ્રસાદ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ’ જ્યાં ગરીબ અને જરૂરિયાત વાળા દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.”

“રમેશ, મારું એક સૂચન છે. મને સારી જોબ મળી છે. પગાર પણ સારો છે. તારી હોસ્પિટલ પણ સારી ચાલે છે તો આપણી આવકમાંથી અમુક ભાગ કાઢી એક ટ્રસ્ટ બનાવીએ જેનું નામ તે કહ્યું તેમ “ભાનુપ્રસાદ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ” હશે અને તે શૈક્ષણિક હેતુ માટે અને હોસ્પિટલના ખર્ચમાં જરૂરિયાતમંદને આર્થિક મદદ કરશે. જેનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.”

 “હા, નરેશ, હું તારી સાથે સહમત છું અને ભંડોળમાં મોટો હિસ્સો હું આપીશ.”

ભાનુપ્રસાદ આ સાંભળી ઊભા થયા બંનેનાં માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તમે તમારા નેક ઇરાદામાં સફળ થાઓ. ત્રણેયના મુખ ઉપર નેક કામ અને સફળતાની ખુશી છલકતી હતી. ભાનુપ્રસાદ પંડ્યા વધારે ખુશ હતા કે વાવ્યા કરતાં અનેક ગણું ઊગી નીકળ્યું હતું. સત્કર્મનું હંમેશાં સારું ફળ મળે જ છે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ વાવેલું સતકર્મ ક્યારે ય વ્યર્થ જતું નથી. 

ભાવનગર
e.mail : Nkt7848gmail.com

Loading

સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 October 2025

રવીન્દ્ર પારેખ

એ પ્રમાણિકતા છે કે રીઢાપણું, તે સરકાર જાણે, પણ જરા ય સંકોચ વગર, રાજ્યમાં કે કેન્દ્રમાં શિક્ષણ વિભાગ, શિક્ષણની અને શિક્ષકોની સ્થિતિ જાહેર કરતો રહે છે. એમાં સંભવિત પગલાંની વાતો પણ હોય છે. એ પ્રમાણે કંઇ થાય કે ન થાય, તો ય શિક્ષણ વિભાગ, વખતોવખત સંભવિત પગલાંની જાહેરાત તો કરે જ છે. નવી શિક્ષણ નીતિ 2020માં લાગુ થઈ. એ નીતિ ઓછામાં ઓછા શિક્ષકો દ્વારા કેવી રીતે લાગુ થાય તેના પૂરતાં ફાંફાં માર્યા પછી પણ, અખતરા કરવામાંથી શિક્ષણ વિભાગ ઊંચો નથી આવતો.

એ કરુણતા છે કે શિક્ષણ નીતર્યું થતું જ નથી. રોજ જ તેને અખતરાઓથી એવું ડહોળવામાં આવે છે કે કાદવ જ હાથમાં આવે. જરા કંઇ થાય છે કે સમિતિઓ રચાઈ જાય છે, સૂચનો મંગાવી લેવાય છે, પણ પછી? ફરી સમિતિ રચાય છે ને આગલી સમિતિનો ઉલાળિયો કરી નાખવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ લાગુ થઈ પછી કેટલી સમિતિઓ રચવામાં આવી તેની તપાસ થવી જોઈએ. બને કે તેની વળી એક તપાસ સમિતિ રચાય. ટૂંકમાં, કામ ખાસ થતું નથી, પણ કામનો દેખાડો ખાસો થાય છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિનિયમોમાં સુધારા કરવા 5 ફેબ્રુઆરી, 2025ને રોજ, બોર્ડ ચેરમેનના અધ્યક્ષ સ્થાને 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી. આ અહેવાલ તૈયાર કરવા ત્રણ માસનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન શિક્ષણ સાથે સંકળાયેલાઓ પાસેથી 22 એપ્રિલ સુધીમાં સૂચનો માંગવામાં આવ્યાં, જે મોકલી અપાયાં, પણ ઓક્ટોબર પૂરો થવાનો, અહેવાલ આવ્યો નથી. વળી કોઈ સમિતિ નીમાય ને અહેવાલ આવે એમ બને.

નવી શિક્ષણ નીતિ 2020માં ઠોકી તો પડાઈ, પણ તેને લાગુ કરવામાં પડશે તેવા દેવાશે – એ રીત કામે લગાડાઈ. અંડર ગ્રેજ્યુએશનનાં પાંચમાં સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ વર્ક ફરજિયાત છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ એ વિમાસણમાં છે કે ખરેખર કરવાનું શું છે? ઇન્ટર્નશિપ કરવાની છે કે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે? આ અંગેનું કોઈ માર્ગદર્શન નથી, એટલે અધ્યાપકો ને વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. ખરેખર તો જે તે યુનિવર્સિટીએ સંબંધિત ઈન્ડસ્ટ્રીઝ સાથે ટાઈઅપ કરીને ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરવી જોઈએ, પણ પાંચમું સેમેસ્ટર શરૂ થઇ ગયું હોવા છતાં, એવી કોઈ વ્યવસ્થા થયાનું જાણમાં નથી. બને કે  પાંચમું સેમેસ્ટર પૂરું થાય પછી માર્ગદર્શન આવે.

સુરતના મજૂરા ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ત્રણેક વર્ષથી અધ્યાપક ને લેબ આસિસ્ટન્ટ જ નથી. હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં ૩ ડિવિઝનના 225 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ ફેકલ્ટી કાયમી છે, બાકીનું વિઝિટિંગ ફેક્લ્ટીઓથી ચાલે છે. ખરેખર તો ડિવિઝન દીઠ 9 અધ્યાપકો હોવા જોઈએ, પણ નથી. આખા દેશમાં આ બધું આંગળાં ચાટીને પેટ ભરવાની ગંદી નીતિને કારણે છે. બધે જ સ્ટાફ વગર કામ લેવાની દાનતને કારણે આંધળે બહેરું જ કૂટાતું રહે છે.

ગુજરાતની વાત કરીએ તો 2,936 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. આ સંખ્યા ગયે વર્ષે 2,462 હતી, તેમાં 474નો વધારો થયો છે. એમાં ગુજરાત જ મોખરે છે, એવું નથી, કેન્દ્રનું શિક્ષણ મંત્રાલય પણ એટલું જ સક્રિય છે. 2023-’24માં 1,10,971 સ્કૂલો એવી હતી જે એક જ શિક્ષકથી ચાલતી હતી ને તેમાં એક બે નહીં, ૩૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ, એ એક એક શિક્ષક પાસે ભણતા હતા. સમજી શકાય એવું છે કે એ એક શિક્ષક શું ભણાવતો હશે ને વિદ્યાર્થીઓ શું ભણતા હશે. એમાં શિક્ષકને ડેટા મોકલવાની, પરિપત્રોના જવાબો મોકલવાની કે રસીકરણની કે ચૂંટણીની વધારાની કામગીરીઓ હોય તે નફામાં ! હવેનો શિક્ષક સરકારી કામગીરીઓ માટે જ હોય તેમ, ભણાવવું ઈતર પ્રવૃત્તિમાં ખપે એમ બને.

સરકાર એ અખતરો કરતી હોય તો આશ્ચર્ય ન થાય કે સ્કૂલ એક જ શિક્ષકથી ચાલતી હોય તો સંસદ પણ સાંસદો વગર ચાલે કે કેમ?

ગળે ન ઊતરે તો પણ એ સાચું છે કે દેશમાં એક બે નહીં, આઠ હજારથી વધુ સ્કૂલો એવી છે, જેમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી ને વિદ્યાર્થી વગરની એ આઠ હજાર સ્કૂલોમાં 20,817 શિક્ષકો ફરજ પર છે. આ આંકડાઓ શિક્ષણ મંત્રાલયના ડેટામાંથી જ છે. તો, આ સ્થિતિ છે. એક તરફ એટલી કંજૂસાઈ છે કે ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે લાખથી વધુ સ્કૂલોમાં સમ ખાવા પૂરતો એક શિક્ષક છે ને બીજી તરફ એટલું અંધેર છે કે એક પણ વિદ્યાર્થી નથી એવી 8,000 સ્કૂલોમાં 20,817 શિક્ષકો નોકરી કરે છે. આમ એક શિક્ષક નીમતા સરકારને પરસેવો પડી જાય છે ને વીસ હજારથી વધુ શિક્ષકો, વગર વિદ્યાર્થીએ પગાર પાડે તો, તેનો વાંધો પડતો નથી. એનો સાદો અર્થ એ છે કે સરકારને લશ્કર ક્યાં લડે છે તેની કંઇ જ ખબર નથી. એક તરફ આખું કોળું દાળમાં જાય તો ચાલે, પણ શિક્ષકો નીમવાના હોય તો તે કામચલાઉથી કામ કાઢે છે.

સાચું તો એ છે કે વિદ્યાર્થીઓ પ્રાયોરિટીમાં છેલ્લે ય નથી. શિક્ષકો બીજી જવાબદારીઓ નિભાવવામાં, વર્ગમાં જ પહોંચતા ન હોય ને વિદ્યાર્થીઓ લડી-ઝઘડીને કે ગપાટીને ઘરે પાછા ફરતા હોય, ત્યાં ભણવામાં કોનું મન લાગે તે સમજી શકાય એવું છે. ઘરમાં માબાપ ઝઘડતાં હોય, સ્કૂલમાં શિક્ષણને નામે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની રાજકીય રમતો ચાલતી હોય ને તેમાં પોતાની ભૂમિકા મહેમાનોની સરભરા કરવાથી વિશેષ ન હોય, તો વિદ્યાર્થી હતાશાનો ભોગ બને ને આત્મહત્યા કરે એ શક્ય છે. એક અહેવાલ મુજબ 2023માં 13,892 કેસ વિદ્યાર્થીઓની આત્મહત્યાના નોંધાયા હતા. આ આંકડો, 2013થી દસેક વર્ષમાં થયેલ આત્મહત્યામાં 65 ટકાનો વધારો સૂચવે છે. આને શિક્ષણનું જ પરિણામ કેમ ન ગણવું? સ્કૂલોમાં શૈક્ષણિક દબાણ, પરિણામોની ઊંચી ટકાવારી, આર્થિક મુશ્કેલીઓ, સ્કૂલોમાં વધતું હિંસાનું પ્રમાણ, જાતિ આધારિત ભેદભાવ …. આ બધું વિદ્યાર્થી પર અસર કરે જ છે ને એક દિવસ એ પણ લટકી જઈને કે ઇમારતો પરથી કૂદીને જીવન ટુંકાવે છે.

વેલ, કામચલાઉનું તૂત એટલા માટે કે કોઈને કાયમી રાખવા ન પડે. કામચલાઉ હોય તો ગમે ત્યારે બરખાસ્ત કરી શકાય ને કાયમી હોય તો તેને નિવૃત્તિના લાભો-પેન્શન … વગેરે આપવાં પડે. એ શરમજનક છે કે શિક્ષકને પેન્શન વગેરે લાભો આપવા પડે એટલે કાયમી શિક્ષકોની ભરતી કરતાં સરકાર અચકાય છે, બીજી તરફ પાંચ વર્ષની ટર્મ પૂરી કરે તો કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદનું પેન્શન શરૂ થઇ જાય છે. આ પેન્શન મેળવવામાં તેનું શિક્ષણ મહત્ત્વનું નથી. તે અભણ હોય તો ય પેન્શનમાં વાંધો નથી આવતો, બીજી તરફ માસ્તર પીએચ.ડી. થયો હોય તો પણ, તેણે ફિક્સ પગારમાં જ પરિવારનું પોષણ કરવાનું આવે છે. આ યોગ્ય છે?

ગમે તેટલી ઉદારતાથી જોઈએ તો પણ, ‘એકને ગોળ અને એકને ખોળ’ની આ રીત સરકારની ભેદભાવ ભરેલી નીતિની જ સૂચક છે. આ સ્થિતિ ઘણાં રાજ્યોની છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો યુનિવર્સિટીઓમાં ને કોલેજોમાં 11,000 અધ્યાપકોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આમ થવાનાં મૂળમાં રાજ્યપાલ અને કુલાધિપતિની ઉદાસીનતા કેન્દ્રમાં છે. વળી જે પણ નિવૃત્ત થાય છે, તેની જગ્યા ખાલી જ રહે છે. ખાલીપણાનો આ રોગ રાજકીય નથી, રાષ્ટ્રીય છે. આ ઘટ શિક્ષકો પૂરતી જ મર્યાદિત નથી, તે બેન્કોમાં, સરકારી કચેરીઓમાં, હોસ્પિટલોમાં, કોલેજો, યુનિવર્સિટીઓમાં એમ અનેક જગ્યાએ અનુભવાય છે. કમાલ છે ને કે શિક્ષિત બેકારીની વચ્ચે, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદોની સંખ્યા વધતી આવે છે ને નોકરી ન હોવાને કારણે યુવાધન હતાશા ને અકુદરતી મૃત્યુનો શિકાર બને છે. વસ્તી વધારવાનું ઉત્તેજન અપાય છે, પણ વસ્તી વધે તો તેની વ્યવસ્થા કરવાનું કૌવત સરકારમાં નથી. આખો કારભાર હોતી હૈ, ચલતી હૈ ને જે થાય તે જોયું જશે – એ પ્રકારનો છે. આ માનસિકતા, બહારથી ગમે એટલો સારો દેખાતો હોય તો પણ, આ દેશને ખોખલો કરી રહી છે.

દેશ વિકાસ કરી રહ્યો હશે, એની ના નથી, પણ શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી, એટલું સ્પષ્ટ છે કે આખા દેશમાં શિક્ષણની પથારી ફરી ગઈ છે. શિક્ષણ જ દાવ પર લાગ્યું હોય ત્યાં, વિકાસ કે રકાસ વચ્ચે કેટલો ફરક રહે તે કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑક્ટોબર 2025

Loading

ખરાબ સ્ત્રી

કવયિત્રી : પૂનમ તુષામડ [હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|30 October 2025

એ લાજ નથી કાઢતી
પુરુષો સાથે વાત કરે છે
હસ્તધૂનન કરે છે
નથી શરમાતી કે સંકોચ અનુભવતી
મુક્ત હાસ્ય કરે છે
તર્ક કરે છે
નાના મોટા બધાંની આંખો સાથે આંખ મેળવી
પુરુષો સાથે કામ કરે છે
મુક્ત મને ચર્ચા કરે છે
સ્ત્રી-પુરુષ સંબંધો પર, એઇડ્સ પર,
ગર્ભાવસ્થામાં ઊભી થનારી મુશ્કેલીઓ પર
રસ્તા, બસ, ટ્રેનમાં
તાકતી, લપાતી, કુંઠિત મુખવાળી
આકૃતિઓને પાઠ ભણાવવા
રહે છે એ તત્પર
મારા પાડોશીઓની નજરમાં એ સ્ત્રી ખરાબ છે….

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...94959697...100110120...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved