Opinion Magazine
Number of visits: 9456260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘તમારાં દુઃખ મને અસહ્ય નથી લાગતાં’

----|Gandhiana, Opinion - Opinion|2 July 2025

રળિયાતબહેન

ગાંધીજીના વ્યક્તિત્વનાં બધાં જ પાસાં તેમના પત્રોમાં પ્રગટે છે. એ ઔપચારિક તો છે જ નહીં તેથી એમનો પત્ર વાંચતો વાચક સહજ નિકટતા અનુભવવાનો. લાગણીનું સંયત છતાં તદ્દન ખુલ્લું સ્વરૂપ પત્રોમાં જોવા મળે છે. આશીર્વાદ માગનારને ય જરૂર પડ્યે એમણે ઠપકો આપ્યા છે અને મદદ માગનાર સ્વજનને આશ્વાસન આપ્યા વિના જ વાજબી સલાહ આપી છે. એમનાં મોટાં બહેન મોંઘવારીને લીધે આર્થિક મુશ્કેલી અનુભવતાં હતાં. વધારે પૈસા મોકલવાની વ્યવસ્થા અંગે એમણે ગાંધીજીને લખેલું. ‘પૂજ્ય બહેન’ સંબોધન કરીને 1918ના ફેબ્રુઆરીની અગિયારમી તારીખે ગાંધીજીએ એમને આપેલો ઉત્તર આ પ્રમાણે છે :

“તમને કાગળ તો નથી લખતો, ૫ણ તમારી મૂર્તિ મારી પાસેથી એક ઘડીભર દૂર રહી નથી. તમે મારી પાસે નથી એથી જે ઘા મને વાગેલો છે તે ઘા કદી રુઝાઈ જ ન શકે એવો છે. એ તમે જ રૂઝવી શકો. તમે મારી પાસે હો તો તમારો ચહેરો જોઈને બાની કાંઈક યાદી તો આવે જ. તેથી પણ તમે મને દૂર રાખ્યો છે. તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે. મારી બહેન પણ મારા કામમાં મને મદદ કરી રહ્યાં છે એમ અભિમાનપૂર્વક કહેવાને અવસર તમે નથી જ આપતાં. હું કાગળ લખું તોયે મારી બળતરા જ બતાવી શકું અને આમાં જેમ મારું છું તેમ મહેણાં જ મારી શકું. તેથીયે કાગળ લખવામાં ઢીલ કરું છું. હું જાણું છું કે અત્યારે મોંઘવારી છે, પણ તમને વધારે પૈસા હું ક્યાંથી આપું ? મારે મિત્રના પૈસા દેવાના. હું કયે મોઢે પૈસા માગું ? એ પણ પૂછે, ‘તારી બહેન તો તારી સાથે જ હોવાં જોઈએ.’ એનો જવાબ હું શું આપું ? જગત મને અભડાયેલો નથી માનતું. પણ તમારી પાસે તો હું અભડાયેલો છું. આવી દશામાં હું એક જ વસ્તુ તમને કહી શકું છું. તમે જે અગવડો ભોગવી રહો છો એથી વધારે સગવડ ભોગવીને હું રહેતો નથી. તેથી તમારાં દુ:ખ મને અસહ્ય નથી લાગતાં. તમે દળણું દળીને ખૂટતા પૈસા મેળવો છો તેમાં મને કશીયે શરમ નથી લાગતી. હું તો એટલું માગું છું કે તમને જરાયે દયાની લાગણી હોય તો તમે અહીં આવીને મારા સાથે વસો, મારા કામમાં ભાગ લો. એમ કરશો તો અત્યારે તો તમને ભાઈ નથી એમ લાગતું હશે તે દશા મટી જશે અને એકને બદલે ઘણા ભાઈઓને જોશો. અને ઘણાં બાળકોની તમે મા બનીને બેસશો. આ શુદ્ધ વૈષ્ણવ ધર્મ છે. એ તમને ન વસે ત્યાં સુધી આપણે વિયોગ-દુ:ખ સહન કરવાનું જ રહ્યું.”

– મહાદેવભાઈની ડાયરી, ભાગ ૪, પૃ. ૨૬

એક જ ફકરાના આ પત્રમાં ગાંધીજી કેટકેટલી બાબતોને સ્પર્શે છે ? આરંભનાં બે વાક્ય વાંચતાં એમ લાગશે કે આ પત્ર ગાંધીજીની અંગત લાગણી વિશે છે. બહેનનો ચહેરો જોઈને બાની યાદ આવે એ કથનમાં ગાંધીજી પોતે જ આશિષ ઝંખતા લાગશે.. અનેક નિગ્રહોમાં ય સતત જીવતા સ્નેહનું સ્વરૂપ પરખાશે. સ્નેહની પ્રતીતિની જ ભૂમિકાએ બહેનની મદદના પોતે હકદાર છે એમ ગાંધીજી સૂચવી દે છે. પછી એમને પૈસા મોકલવા અંગે પોતાની મૂંઝવણ એ જણાવે છે. એ મૂંઝવણ પણ નથી, સ્પષ્ટ અને સકારણ એવો નિર્ણય છે – વ્યાપક સંદર્ભમાં લેવાયેલો નિર્ણય. અસ્પૃશ્યતા તજીને બહેન આશ્રમમાં આવી રહે એ ઈષ્ટ સ્થિતિ ન સર્જાય તો એનો ગાંધીજીને કંઈક અસંતોષ જરૂર છે, વસવસો નથી. બહેન આશ્રમમાં આવીને રહે તો તેથી એમની અગવડો સગવડોમાં ફેરવાઈ જવાની નથી. અગવડોમાં ગાંધીજીને દુ:ખ દેખાતું નથી, એટલે સુધી કે બહેન દળણાં દળીને ખૂટતા પૈસા મેળવે એ ગાંધીજી જેવા ભાઈ માટે શરમજનક નથી. હા, ગાંધીજી જેવા ભાઈ માટે ज એ શરમજનક નથી.

આ પ્રકારના જે પત્રો અપરિગ્રહી ગાંધીજીએ પોતાનાં કુટુંબીજનોને લખ્યા છે એમાં વાંચી શકાય એમ છે કે સંબંધ છોડ્યા વિના ઘર છોડવાનું એમનું પગલું અભિનિષ્ક્રમણની યાદ આપે એવું છે. બહેન આશ્રમમાં આવીને રહે તો એમનો કુટુંબભાવ વિસ્તરે અને એ જ સાચો વૈષ્ણવ ધર્મ છે એમ કહ્યા પછી પત્ર પૂરો થાય તે પહેલાં લાગણીનો સ્પર્શ ફરી અનુભવાય છે.

પત્રમાં એકેય વાક્ય વધારાનું નથી. કોઈક વાક્ય તદ્દન અરૂઢ પણ લાગશે : ‘તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે.’ આ વાક્ય પહેલી વાર લખાયું હોય એવો ભાસ થશે. ‘બંધ ન જ રહી શકે’ એ શબ્દો વિશેષણનું કામ આપે છે, પણ એનો એક શબ્દમાં વિકલ્પ વિચારી જુઓ, બળ અદૃશ્ય થઈ જશે.

ગાંધીજીના શબ્દમાં સૌંદર્ય છે, કારણ કે બળ છે, કારણ કે શબ્દ પોતે પણ કાર્ય છે.

(‘નિરીક્ષક’, 20 જુલાઈ 1969 અંકમાંથી)
02 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 351

Loading

મુદ્દો સ્વીકૃત વંદે માતરમ્‌ની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 July 2025

1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

વર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદ્દભાવના પર્વ યોજતાં : ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે. આરીફ મોહમ્મદ ખાન આ ક્ષણે યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદ્દભાવના સત્રમાં એમણે વંદે માતરમ્‌ના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે. 

અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે. છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે.

એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. સયાજીરાવના વિશ્વાસ ને સન્માનપૂર્વક એમનું વડોદરા કોલેજમાં ને જાહેર જીવનમાં ચોક્કસ સ્થાન હતું. જો કે, દેશની બદલાતી હવામાં હવે એ સાંકડે હોદ્દે રહી શકે એમ નહોતા. 1905માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો. 

વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ(ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો : ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ્‌’માં હતાં. બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, 1875માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે : યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ્‌’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા.

1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!

‘વંદે માતરમ્‌’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જો કે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે. ત્રણે નારામાં સન બયાલીસના ‘ક્વિટ ઇન્ડિયા’ સહિત દેશના પલટાતા રાજકારણની તરાહ ને તાસીરના (ખરું જોતાં મિજાજના) પડછંદા પડતા રહ્યા છે.

અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ્‌’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. અહીં એકંદરે બરકરાર એવી જિકર સાભિપ્રાય ને સહેતુક કરી છે. એક તબક્કે ‘વંદે માતરમ્‌’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ્‌’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સનાતનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે.

અરવિંદે ‘વંદે માતરમ્‌’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. તમે જુઓ, ‘વંદે માતરમ્‌’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને.

જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ. જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો.

આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમ્‌ની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ્‌ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’ (સ્મરણ રહે, નેતાજીની આઝાદ હિંદ સરકારે સ્વીકારેલ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’નું હિંદુસ્તાની અનુરણન હતું.)

સમેટું ન સમેટું ત્યાં વળી આરીફ મોહમ્મદ ખાનને બોલતા સાંભળું છું : ‘તસ્લીમાત, માં, તસ્લીમાત …’ (એ વખતે હજુ મને એ.આર. રહેમાનનો ‘માં તુઝે સલામ’નો પરિચય થયો ન હતો.)

બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક 1874માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું … બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય … જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી … કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’

મુદ્દો, સ્વીકૃત વંદે માતરમ્‌ની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, એની અપીલે હુલસ્યાં જે હૈયાં અને કીધાં જાન કુરબાન, એમની કદરબૂજનો છે. સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે. 

રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે … નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2025

Loading

આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 June 2025

નમસ્કાર, સાહેબ !

રવીન્દ્ર પારેખ

મુખ્ય મંત્રી હતા ત્યારે તમને રૂબરૂ અને પત્રથી મળવાનું થયું હતું, તેનું મને સુખદ સ્મરણ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નર્મદ જે ભાષામાં લખતો હતો તે ગુજરાતીનો વિભાગ જ ન હતો, પણ આપણા પ્રયત્નથી 2012માં તે વિભાગ થયો ને અત્યારે તે સક્રિય છે તેનો આનંદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેને રાષ્ટ્રભાષાની ઓળખ મળી છે ને જે દેવલોકની ભાષા ગણાઈ છે, તે હિન્દી અને સંસ્કૃતનો વિભાગ નર્મદ યુનિવર્સિટીમાં નથી. હવે તો ગુજરાતનો શિક્ષણ વિભાગ અરાજકતાનું બીજું નામ છે, એ સ્થિતિમાં હિન્દી કે સંસ્કૃતનો વિભાગ નર્મદ યુનિવર્સિટીમાં થાય તે અશક્યવત છે, છતાં, મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે અંગત રસ લઈને હિન્દી કે સંસ્કૃતનો વિભાગ શરૂ કરાવો તો આ યુનિવર્સિટી ભાષા બાબતે સમૃદ્ધ બને.

અત્યારે પ્રવેશોત્સવની મોસમ છે. એ પ્રવેશોત્સવ ઓછો અને ‘વેશો’ત્સવ વધારે છે. ઠેર ઠેર પ્રવેશોત્સવનો દેખાડો થાય છે. એમાં જીવ નથી. જે બાળકો માટે એ થાય છે, એ મોટે ભાગે પડદા પાછળ રહે છે અને ખરેખર તો એ નેતાઓ, રાજકારણીઓ, અધિકારીઓનો પ્રવેશોત્સવ જ બની રહે છે. આ ઉત્સવ આચારનું નહીં, પણ પ્રચારનું નિમિત્ત બની ગયો છે. તમે પ્રવેશોત્સવની 2003માં શરૂઆત કરાવી, તેનો હેતુ તો શાળામાં નામાંકન વધે ને એ નેતાઓના ઉત્સવ પ્રવેશથી શક્ય પણ હતું, પણ પછી હેતુફેર થયો ને એ શિક્ષણનો ઓછો ને નેતાઓનો ઉત્સવ જ બની ગયો. આ નેતાઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોય તો ય ધૂળ નાખી, પણ એવું પણ ખાસ નથી. બીજું, કે પ્રવેશોત્સવમાં શિક્ષણ શાસ્ત્રીઓ, પત્રકારો, લેખકો, કલાકારોને પણ સાથે રખાય તો પ્રવેશોત્સવની શોભા વધે, પણ એવું ય જોવા મળતું નથી. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સાહિત્ય, સંગીત અને કલાનુ શિક્ષણ પામે જ છે, તો રાજકારણીઓની સાથે એ પણ હોય તે અપેક્ષિત છે.

પ્રવેશોત્સવમાં પણ બે પ્રકારના પ્રતિભાવો મળે છે. જેમ કે, નેતાઓ પ્રવેશોત્સવ કરાવે છે, તો તેમાં શિક્ષણ અને સરકારનાં ગુણગાન ગવાતાં હોય છે, તો બીજી તરફ વાલીઓ, શિક્ષકોનો અસંતોષ પણ સપાટી પર આવી જાય છે. કોઈ મંત્રી હોય તો તે પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઓળખાવે છે ને એ જ રીતે ક્યાંક ધારાસભ્યો, રાજકીય નેતાઓ પ્રવેશોત્સવનું ઉજવણું કરતાં હોય છે, પણ એ પછી સ્કૂલો રામભરોસે ચાલતી હોય છે. ભાગ્યે જ કોઈ નેતા કે મંત્રી એ સ્કૂલની ચિંતા કરતાં હોય છે. શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ એમની કદમબોશી કરી રહે છે કે પ્રવેશોત્સવ પૂરો થઈ જાય છે. સ્કૂલોમાં શિક્ષકો છે કે પૂરતા વર્ગો છે એની વાત લગભગ થતી નથી. 2017થી શિક્ષકોની અછત ચાલી આવે છે, પણ તેનો  ઉકેલ આવતો નથી. આખો શિક્ષણ વિભાગ ફિક્સ પગારે થોડી ઘણી ભરતી કરે છે, પણ કાયમી શિક્ષકોની ભરતી લગભગ થતી નથી. જાહેરાતો થતી રહે છે, પણ શિક્ષકો વર્ગમાં દેખાતા નથી. આચાર્યો કારકૂન થઈને રહી ગયા છે, જે ડેટા પૂરો પાડવામાંથી કે પરિપત્રોના જવાબો આપવામાંથી જ ઊંચા નથી આવતા. એ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો ચૂંટણી, રસીકરણ જેવાં કામોમાં રોકી રખાતા હોય તો સવાલ એ છે કે શિક્ષક વર્ગમાં ભણાવે ક્યારે? આ સ્થિતિ હોય ત્યારે શિક્ષણ નીતિ જૂની હોય કે નવી, શો ફરક પડે છે?

સરકારી શાળાઓમાં 12,000 શિક્ષકો ને 700 આચાર્યોની ઘટ હોય, કેટલી ય સ્કૂલો એક જ શિક્ષકથી ચાલતી હોય કે કેટલીક સ્કૂલોમાં વર્ગો જ ન હોય કે પતરાંના શેડમાં કે ઝાડ નીચે સ્કૂલ ચાલતી હોય ત્યાં ભણતર કેવુંક હશે તે સમજી શકાય એવું છે. ગુજરાતમાં જ 1,600 સ્કૂલો એવી છે, જ્યાં એકથી બીજો શિક્ષક નથી. 1,456 સ્કૂલો એવી છે જેને પૂરતા વર્ગો નથી. હળવદનાં કેદારિયામાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે કુલ ત્રણ જ રૂમ છે. ડોળાસા નજીકના લેરકા ગામે પ્રવેશોત્સવ વખતે જ છતના પોપડા  ખરી પડતાં બે બાળકીઓને ઈજા થઈ. છત તાજી જ રીપેર કરાઈ હતી ને સ્કૂલ તો 10 જ વર્ષ જૂની છે, છતાં આ થયું એનો અર્થ જ એ કે હોજરી બીજા કોઇની જ ભરાઈ છે.

તાજી વિગતો મુજબ દેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે ને સૌથી ઓછા શિક્ષકો પણ ગુજરાતમાં જ છે. શિક્ષકો, સાધનોની અછતને પગલે ભચાઉ, દયાપરની શાળામાં પ્રવેશોત્સવનો જ બહિષ્કાર કરવામાં આવ્યો. આ મામલે વાલીઓ પણ ઉશ્કેરાયા ને પ્રવેશોત્સવમાં એક પણ વિદ્યાર્થીને શાળાએ ન મોકલીને વિરોધ કરવામાં આવ્યો. એ પરથી પણ સરકારે સમજી લેવાનું રહે કે આવા તાયફાથી લાંબું ચાલવાનું નથી. સાચું તો એ છે કે ભણતર બાજુ પર રહી ગયું છે ને ઈતર પ્રવૃત્તિઓ જ વધી પડી છે. તાપી જિલ્લાની પેલાડબુહારીની એક સ્કૂલમાં ધોરણ 8નાં વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં બાદબાકીના દાખલા કલેકટરે પૂછ્યા, તો તે ન આવડ્યા. સાહેબે તો દાખલા શીખવ્યા, પણ શિક્ષકોને ઠપકાર્યા પણ ખરા. વિદ્યાર્થીઓ કે શિક્ષકો જવાબદાર હશે, પણ હકીકત એ છે કે વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવી શકે એ વાતાવરણ કે મોકળાશ જ ન હોય, તો ઉત્તમ પરિણામોની આશા રાખવાનું કારણ જ કયું બચે છે?

સુરતના લિંબાયતમાં સરકારી કોલેજ શરૂ કરવાની જાહેરાત થઈ. હવે કોલેજ શરૂ કરવા જમીન, મકાન ને અન્ય સગવડો જોઈએ, પણ સરકારને એવું છે કે કોલેજ તો જમીન મકાન વગર પણ શરૂ થઈ શકે. સારું છે કે વિધાનસભાનું મકાન વિધાનસભા માટે છે, નહીં તો વગર મકાને વિધાનસભા ચલાવવાનો રેકોર્ડ સરકારને નામે ચડે. લિંબાયત કોલેજ પણ સ્કૂલો ખાલી કરાવીને ચલાવવાની વાત છે. એમાં ભોગ તો સ્કૂલના વિદ્યાર્થીઓનો લેવાઈ રહ્યો છે. કોલેજ હવે સુમન સ્કૂલમાં ચાલે છે ને સ્કૂલના 8,000 વિદ્યાર્થીઓને ભણાવવાનો સવાલ તો ઊભો જ છે. કોલેજને મકાન તો શું, બેન્ચ પણ સ્કૂલોની લેવી પડી હોય, તો સવાલ એ થાય કે ગુજરાત એટલું બધું હાથે પગે આવી ગયું છે કે તેણે આવી હાલતમાં કોલેજ, સ્કૂલો ચલાવવી પડે?

નવી શિક્ષણ નીતિ, 2020 મોટે ઉપાડે દાખલ તો કરી દેવાઈ, પણ તે લાગુ કરવા માટેની પાયાની વ્યવસ્થા ન હોય, તો એ નીતિ નથી, અનીતિ છે. બંધારણે દેશના 6થી 14 વર્ષનાં બાળકોને મફત શિક્ષણનો અધિકાર આપેલો છે, પણ હજારો બાળકો શિક્ષણથી વંચિત રહે એ સ્થિતિ છે. પૂરતી સાધન સામગ્રીના અભાવમાં આ જ ઉંમરનાં બાળકો શિક્ષણ મેળવી શકતાં નથી કે અડધેથી ભણવાનું છોડી દે છે. સરકારી સ્કૂલોમાં અભાવ અને ખાનગી સ્કૂલોમાં ‘ભાવ’ની વચ્ચે શિક્ષણ અટવાઈ ગયું છે. હકીકત એ છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યાનું આપણે કૂટીએ છીએ, પણ 2023-2024માં સરકારી શાળાઓમાં પ્રવેશ 1.30 લાખ ઘટ્યા છે ને ખાનગી સ્કૂલોમાં 1.20 લાખ વધ્યા છે. રોકડી વાત તો એ છે કે 33 લાખથી વધુ બાળકો શાળાએ જ જવા પામ્યાં નથી. એક તરફ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધ્યાની વાતો કરીએ છીએ, પણ પાયાના શિક્ષણને મામલે આપણે ‘પ્રાથમિક’ કક્ષાએ જ રહી ગયા છીએ. ગુજરાતના શિક્ષણ વિભાગની ભારોભાર ઉદાસીનતાનું જ આ પરિણામ છે.

ગુજરાતની ભયાનક ઉદાસીનતાનો બીજો નમૂનો તે વાતો અને જાહેરાતો કરીને થોડા વખત પછી ફરી એ જ વાતો ને જાહેરાતો સાવ અજાણ હોય તેમ કરવાનો છે. તાજેતરમાં જ એવી જાહેરાત થઈ કે કંપનીઓને જે ટેલન્ટ જોઈએ તે હવે સ્કૂલ લેવલથી જ તૈયાર કરાશે. સ્કૂલો સ્વતંત્રતા પહેલાં પણ હતી. કંપનીઓ પણ આજે આવી એવું નથી, તો ટેલન્ટ તૈયાર કરવાનું હવે સૂઝે છે, આટલાં વર્ષની આઝાદી પછી? આવાં નાટકો અનેક સ્તરે ચાલે છે. શિક્ષકો આવી રહ્યા છે, આવી રહ્યા છે, એનું તૂત વર્ષોથી ચાલે છે, પણ જાહેરાતોથી વાત આગળ વધતી નથી. રાજ્ય સરકારો નિષ્ફળતાઓ ઢાંકવા રૂપાળાં નામોથી કામ કાઢે છે. મધ્ય પ્રદેશમાં બેરોજગારો માટે રોજગારી તો ઊભી ન કરી શકાઈ, પણ તેને માટે ‘આકાંક્ષી’ જેવો શબ્દ શોધવામાં આવ્યો. તે એટલે કે બેરોજગારોને સારું લાગે. બેરોજગારો સાથેની આ ગંદી મજાક છે. બેરોજગારને બદલે કોઈ ‘આકાંક્ષી’ કહે તેથી બેરોજગારી નાબૂદ થઈ જાય એમ છે? છેલ્લાં બે વર્ષમાં બેરોજગારોની સંખ્યા માત્ર મધ્ય પ્રદેશમાં જ 29 લાખ પર પહોંચી છે, તે ‘આકાંક્ષી’નું સ્ટિકર લગાવવાથી ઘટે એમ છે? શતરંજી નીચે કચરો સંતાડવાથી કચરો તો કચરો જ રહે છે, તે સરકારને સમજાવવું પડે એ દારુણ દરિદ્રતાનો નમૂનો છે.

આદરણીય મોદી સાહેબ, ગુજરાતનું શિક્ષણ ખાડે નહીં, પણ અખાડે ગયું છે ને તેને માટે આખેઆખો શિક્ષણ વિભાગ નખશિખ જવાબદાર છે. પ્રજાને પાળેલી રાખવાનું કે ભક્ત બનાવી રાખવાનું કોઈ ષડયંત્ર ન હોય તો તમામ સ્તરે તળિયાઝાટક ફેરફારની જરૂર છે. એક સમયે ગુજરાત શિક્ષણને મામલે દેશ આખા માટે અનુકરણીય હતું, તે આજે અન્ય રાજ્યોની અનુકરણ કરવા જેવી સ્થિતિમાં પણ નથી તે દુ:ખદ છે. 

વધારે શું કહું? કુશળ હશો. આભાર સહ –

રવીન્દ્ર પારેખનાં વંદન

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જૂન 2025

Loading

...102030...94959697...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved