Opinion Magazine
Number of visits: 9457986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્રની જનતા હાથમાં જૂતું લઈને ચાર રસ્તા પર ઊભી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 July 2023

રાજ ગોસ્વામી

એક મકાન માલિકે તેના બે માળના ઘરમાંથી ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડૂઆત એક કારખાનામાં સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો. 4 વાગે કામ પર જાય અને રાતે 12 વાગે પાછો આવે.

રોજ રાતે એ થાકીને આવે અને કમરામાં પેસતાં વેંત ખાટલામાં ફસડાઈ પડીને પગમાંથી જૂતાં કાઢીને ધડામ કરતાં ખૂણામાં ફેંકે.

બરાબર એ જ કમરા નીચે આવેલા કમરામાં માલિક સૂઈ જાય. ભાડૂઆત રોજ રાતે ધડામ કરતાં એક પછી એક જૂતાં ફેંકે એ સાથે તેના અવાજથી ગભરાઈને ઊંઘમાંથી ઊઠી જાય.

આવું થોડા દિવસ ચાલ્યું પછી માલિક પરેશાન થઇ ગયો. એક દિવસ ભાડૂઆત કામ પર જવા નીચે ઉતાર્યો એટલે માલિકે રોકીને કહ્યું કે, “ભ’ઈ સાબ, રાતે ઘરમાં આવો ત્યારે જૂતાંને કાઢીને ધીમેથી મૂકતા હો તો સારું, તમે એને ધડાધડ ફેંકો છો એમાં મારી ઊંઘ ઉડી જાય છે.”

ભાડૂઆતને ભૂલ સમજાઈ. તેણે કહ્યું ધ્યાન રાખીશ.

એ રાતે એ પાછો આવ્યો, ત્યારે હંમેશની જેમ થાકીને લોથ થઇ ગયો હતો. ફેકટરીમાં મશીન પર કામ કરીને દમ નીકળી ગયો હતો.

અંદર આવીને એ ખાટલામાં ફસડાઈ ગયો અને જૂતાંની દોરી છોડીને એક જૂતું ધડામ કરતું ખૂણામાં ફેંક્યું.

અચનાક તેને મકાન માલિકે કહેલી વાત યાદ આવી. તેને અફસોસ થયો અને બીજું જૂતું ઉપાડીને હળવેકથી ખૂણામાં મૂકી દીધું.

બીજા દિવસે તે કામ પર જવા નીકળ્યો એટલે મકાન માલિકે રોક્યો, “રાતે તમે ભારે કરી!”

ભાડૂઆતે માફી માંગી અને કહ્યું કે ભૂલમાં જૂતું ફેંકાઈ ગયું હતું.

માલિકે કહ્યું, “ભલા માણસ, એક જૂતાંનો અવાજ આવ્યો પછી હું ‘હમણાં બીજું જૂતું પડશે, હમણાં બીજું જૂતું પડશે’ની ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી ના શક્યો. ફેંકી દેવું હતું ને!”

°°°

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પછી જે ઉથલપાથલ થઇ છે તેના કેન્દ્રમાં આ જોક છે. જૂન 2022માં, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવિસે, સત્તારૂઢ મહાવિકાસ આઘાડી સરકારના ભાગીદાર શિવસેનામાં ઊભી તિરાડ પાડીને એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવી દીધી, ત્યારથી એક તેમની વચ્ચે ખટરાગભર્યા લગનની શરૂઆત થઇ હતી.

આ સગવડિયાં લગનનો ટૂંકા ગાળોનો ઉદેશ્ય સત્તા મેળવવાનો હતો, પરંતુ લાંબા ગાળાનો ઉદેશ્ય ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવાનો હતો, જેથી મતદારો પાસે એ વિકલ્પ જ ન બચે. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા પાછળનો મુખ્ય હેતુ ઈર્ષ્યા કે દુ:શ્મની નથી હોતો (કહેવત છે ને કે રાજકારણમાં કોઈ ન તો કાયમી દોસ્ત છે, ન કાયમી દુ:શ્મન), પરંતુ ચૂંટણી વખતે મતદારોના વિકલ્પને સીમિત કરવાનો હોય છે.

મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વ્હાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય, તો બે વિકલ્પ છે : ‘એક્સ’ જો ‘વ્હાય’ સાથે ભળી જાય, તો ‘એક્સ’ અને ‘વ્હાય’ના મતો એક થઇ જાય, અથવા, ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય, તો બધા મતો આપોઆપ ‘વ્હાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કરતા રહ્યા હતા કે શિવસેનાએ આઘાડી ગઠબંધન છોડીને ભા.જ.પ. સાથે જતા રહેવું જોઈએ, પણ ઉદ્ધવે ભા.જ.પ. સાથે વૈચારિક અંતર કેળવી લીધું હતું એટલે શિંદે અને ફડણવિસે બીજો વિકલ્પ અમલમાં મુક્યો; શિંદે શિવસેનાના વિધાનસભ્યો અને સિમ્બોલ સાથે ઉચાળા ભરીને ભા.જ.પ.ના બેન્ડવેગનમાં બેસી જાય તો કેવું?

વિધાનસભાની ચાર દીવાલો વચ્ચે તો થયું એવું, પરંતુ જમીન પર, એટલે કે મહારાષ્ટ્રમાં ઠાકરે સેના પ્રત્યે પ્રતિબદ્ધ મતદારોમાં તેની ઝાઝી અસર ન પડી. ભા.જ.પ.ને એકનાથ શિંદેની વફાદારી તો મળી, પરંતુ મતદારોનો પ્રેમ મળ્યો નથી. ભા.જ.પ.નો આંતરિક સર્વે કહે છે કે શિંદેએ પાટલી બદલી તેનાથી મતદારોમાં તેમના માટે નારાજગી અને ઠાકરે માટે સહાનુભૂતિ વધી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવ સેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પછી ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદે સેના અને ભા.જ.પ.ને ભરોસો નથી કે મતદારો મતદાન મથકમાં તેમની પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીએ લઈને છે. 15 મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને તેના પર બહુમતી મતદારોનો સ્ટેમ્પ વાગવો બીજો.

ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે પેલા મકાન માલિક જેવી છે. શિંદે અને ફડણવિસે સત્તાનું એક જૂતું તો કબજે કરી લીધું છે, પરંતુ ચૂંટણીમાં મતોનું બીજું જૂતું હાથમાં આવશે કે માથામાં વાગશે, તેની ચિંતામાં તેમને ઊંઘ નથી આવતી.

મહાવિકાસ આઘાડી ગઠબંધનની ત્રીજી હિસ્સેદાર, શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી સાથે. શિવસેનાવાળી જ કરવા પાછળ આ ચિંતા મુખ્ય કારણ છે. શિંદે – ફડણવિસ સત્તાના એવા સિંહ પર બેસી ગયા છે જેના પરથી ઉતરવું કોઈ કાળે પોષાય તેમ નથી (અને આ ક્ષણે ચૂંટણી યોજાય તો ઉથલી જવાના પૂરા ચાન્સ છે). તેમના માટે અગામી ચૂંટણી જીતવી અત્યંત અનિવાર્ય છે.

તેના માટે ઉદ્ધવ સેના, એન.સી.પી. અને કાઁગ્રેસ નબળા પડે તે જરૂરી છે. એમાં અડધું કામ શિંદેએ કર્યું હતું. કાઁગ્રેસને તોડવી એટલા માટે અઘરી છે કે વૈચારિક રીતે તે એકદમ છેડા પર છે અને તેના વિધાનસભ્યો જો ભા.જ.પ. સાથે જાય, તો તેમના મતવિસ્તારમાં તેમની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઇ જાય. તેના પ્રમાણમાં, એન.સી.પી.માં બળવો કરવો સરળ હતો, કારણ કે પવારના ઘરમાં જ (દીકરી સુપ્રિયા સુલે અને ભત્રીજા અજિત પાવર વચ્ચે) પાવર-સ્ટ્રગલ ચાલે છે.

2019માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી આ જ અજિત પવાર ભા.જ.પ.ના ટેકાથી 80 કલાક માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા (મંગળવારે એ પાંચમીવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા). તે વખતે સિનિયર પવારની કુનેહથી તે પાછા પાર્ટીમાં આવી ગયા હતા, પરંતુ તે દિવસથી આંતરિક ખટપટ વધી ગઈ હતી. ‘શોલે’માં સંજીવ કુમાર જય-વીરુને કહે છે તેમ, ભા.જ.પ. માટે હથોડો મારવા માટે એન.સી.પી.નું લોઢું ગરમ હતું.

એન.સી.પી.ના જે નવ નેતાઓએ શિંદે – ફડણવિસની સરકારમાં શપથ લીધા છે, તેમાંથી ઓછામાં ઓછા 4 – અજિત પવાર, છગન ભુજબળ, અદિતિ ટટકરે અને હસન મુશરિફ – સામે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું દૃઢપણે મનાય છે કે ઈ.ડી. વિરોધ પક્ષના નેતાઓ સામે તપાસ જ એટલા માટે કરે છે જેથી તેમને નબળા પાડી શકાય. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

વિડંબના જુઓ કે, એન.સી.પી.ના આ નેતાઓ એક તરફ વિધાનસભામાં શપથ લઇ રહ્યા હતા, તે જ વખતે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં કોર્ટને ઈ.ડી.ની શક્તિ પર લગામ કસવાની અપીલ કરી રહ્યા હતા. રિયલ્ટી ગ્રુપ એમ.3.એમ.ના ડાયરેક્ટરોની ધરપકડોને લઈને દલીલો કરતાં સાલ્વેએ કહ્યું હતું કે, “મની લોન્ડરિંગના કેસોની તપાસ કરવા માટે ઈ.ડી. પાસે અમાપ શક્તિઓ છે. તેને જો નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ દેશમાં કોઈ સલામત નથી.”

શરદ પવારે જ્યારે વડા પ્રધાન મોદીના એક બયાનને ટાંકીએ ટોણો માર્યો તે આ જ વિડંબનાને દર્શાવતો હતો. તેમણે કહ્યું હતું, “બે દિવસ પહેલાં વડા પ્રધાન એન.સી.પી. અંગે બોલ્યા હતા … તેમણે કહ્યું હતું કે એન.સી.પી. પતી ગયેલી પાર્ટી છે. તેમણે સિંચાઈ કૌભાંડ અને ભ્રષ્ટ્રાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા સાથીઓએ શપથ લીધા છે. એના પરથી સ્પષ્ટ છે તેમનાં પાપ ધોવાઇ ગયાં છે. હું વડા પ્રધાનનો અભાર માનું છું.”

મહારાષ્ટ્રના રાજકારણમાં આ અંતિમ અધ્યાય નથી. ચૂંટણી સુધી હજુ ઘણાં જૂતાંના અવાજ આવવાના છે. 

લાસ્ટ લાઈન :

રાજકારણમાં નૈતિકતા નથી જોવાતી, ફાયદો જોવાય છે. એક બદમાશ પણ એટલા માટે જ આપણા કામનો હોઈ શકે કારણ કે એ બદમાશ છે.

— વ્લાદિમીર લેનિન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અપાઈ ન જાય તેની સરકાર ભારે કાળજી રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 July 2023

રવીન્દ્ર પારેખ

સારી વાત એ બની કે બોર્ડમાં 58 શાળાઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સો ટકા પરિણામ લાવી અને તેનું યોગ્ય રીતે જ શિક્ષણ રાજ્ય મંત્રી દ્વારા અભિવાદન થયું. શિક્ષણ રાજ્ય મંત્રીએ એ પણ નોંધ્યું કે ઈંગ્લેંડમાં પહેલી શાળા સ્થપાઈ ત્યારે ભારતમાં 7,200 ગુરુકૂળ કાર્યરત હતાં, જે વેદોક્ત પદ્ધતિથી જ્ઞાન આપતાં હતાં. એ પદ્ધતિ અને ગુરુકૂળનું પછી શું થયું, તે તો એમણે ન કહ્યું, પણ ત્રણ મહત્ત્વની જાહેરાત એમણે કરી કે નજીકના દિવસોમાં જ 25,000 શિક્ષકોની નિમણૂક થશે અને 16,000 ઓરડા બનશે તથા એક પણ સરકારી સ્કૂલ બંધ નહીં થાય તેની કાળજી રખાશે. એ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી, અન્ય વહીવટી અધિકારીઓ, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. જો એ એમ જ છૂટા ન પડ્યા હોય તો એમને મંત્રીશ્રીની વાતો અંગે વિચારવાનું થયું હશે.

શિક્ષકોની વાત કરીએ તો 2017થી શિક્ષકોની ભરતી થઈ નથી. 30,000 જેટલા કાયમી શિક્ષકો 6 વર્ષથી નિમણૂક પામ્યા નથી ને તેને વિકલ્પે વિદ્યાસહાયકો, પ્રવાસી શિક્ષકોથી કામ કઢાયું છે. એમાં પણ આ વર્ષે પ્રવાસી શિક્ષકોને મંજૂરી મળી નથી. તે એટલે કે એ બિનતાલીમી છે. આટલાં વર્ષો એનાથી ચાલ્યું ને હવે જ્ઞાન થયું કે ન ચાલે એટલે અત્યારે તો ગાડું ઘોંચમાં પડ્યું છે. બિનતાલીમી મંત્રીઓ જો ચાલતા હોય તો બિનતાલીમી શિક્ષકો પણ ચાલે એવી માન્યતાથી પ્રેરાઇને કદાચ, પ્રવાસી શિક્ષકો ચાલ્યા હોય એમ બને. બીજું, કારણ એ પણ ખરું કે બિનતાલીમીથી જ જો કારભાર ચાલે એમ હોય તો બી.એડ્. કોલેજો પણ નિરર્થક પુરવાર થાય. બને કે તાલીમ આપતી શૈક્ષણિક સંસ્થાઓને તાળાં ન લાગે એટલે કદાચ પ્રવાસી શિક્ષકોનો એકડો કાઢી નંખાયો હોય. એ જે હોય તે, પણ શિક્ષકોની ઘટ છે તે છે જ ! એ ઘટ નિમણૂકો વગર પુરાવાની નથી એ સ્પષ્ટ છે.

રહી વાત સ્કૂલો બંધ થવાની, તો વધારે દૂર ન જઈએ તો 22 ફેબ્રુઆરી, 2023ના સમાચાર છે કે રાજ્યમાં 2,600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયાં છે. સાચું તો એ છે કે શાળાઓ બંધ થવાનું તો વર્ષોથી ચાલ્યું આવે છે ને તેમાં સરકાર તરફથી જ ખાનગીકરણને અપાયેલું પ્રોત્સાહન કેન્દ્રમાં છે. એ  તો ખાનગી સ્કૂલોની વધતી સંખ્યા પરથી પણ સમજી શકાય એમ છે. આ સ્થિતિ રાજ્યની જ છે એવું નથી, દેશભરની શાળાઓને આ વાત લાગુ પડે છે. કોરોનાને નામે ભલે ચરી ખાઈએ, પણ તે પહેલાં પણ આ જ સ્થિતિ હતી. 2018-‘19માં દેશભરમાં 51,108 સ્કૂલો બંધ થઈ હતી અને ખાનગી શાળાઓમાં 3.6 ટકાનો વધારો થયો હતો, એટલે કે તેની સંખ્યા 3,25,760થી વધીને 3,37,499 થઈ હતી, એટલે કે 11,739નો વધારો. વારુ, જે સ્કૂલો ચાલે છે, તેની દશા કેવી છે? વરસેક પરની વાત કરીએ તો ગુજરાતમાં 700 શાળાઓ એવી છે જે 1 જ શિક્ષકથી ચાલે છે. સારું છે કે સમ ખાવા પૂરતો એકાદ શિક્ષક તો છે ! એવા દિવસો આવે તો નવાઈ નહીં કે એક પણ શિક્ષક ન હોય એવી શાળાને સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે !

હકીકત એ છે કે આખો દેશ દેખાડા પર અને શાસકીય અખાડાઓ પર ચાલે છે. તમામ ધર્મો-અધર્મો, જાતિ-જ્ઞાતિઓ, પક્ષો- વિપક્ષો શક્તિ પ્રદર્શનમાં રાચે છે. એમાંથી શિક્ષણ પણ બાકાત નથી. એને ડેટાનું એવું ભૂત વળગ્યું છે કે ડેટા એ જ શિક્ષણ થઈ પડ્યું છે. એ ખબર નથી પડતી કે એક વિદ્યાર્થીની નામ-ઠામની વિગતો ઉપરાંત એવી તે કેવી વિગતો ખડકવાની થાય છે કે શિક્ષકો ભણાવવાનું બાજુ પર મૂકીને વિદ્યાર્થી દીઠ 65-70 કોલમો ભરવામાંથી જ ઊંચા ન આવે? શિક્ષકો કે આચાર્યોનો બચાવ નથી અહીં, એમાં ઘણાં શિક્ષણમાં કરકસર કરનારા ને પગારમાં કશું જતું ન કરનારા મતલબીઓ પણ છે જ, પણ જે શિક્ષક છે ને ભણાવવામાં રસ હતો એટલે શિક્ષક થયા છે, તે આ અણધારી કારકૂનીથી ડઘાઈ જાય એમ બને. એને વર્ગ શિક્ષણમાં રસ છે, એ ત્યાં કેટલું કામ કરે છે તેની તપાસ DEO કે શિક્ષણ સમિતિના અધ્યક્ષે કરવી જોઈએ. ડેટા મહત્ત્વનો છે, એની ના નથી, પણ શિક્ષણ પણ મહત્ત્વનું છે, એ વાતનું આખા શિક્ષણ વિભાગને વિસ્મરણ થયું છે તે દુ:ખદ છે.

સુરતની 529 શાળાઓએ ધોરણ 1ના વિદ્યાર્થીઓની માહિતી પૂરી ન પાડી તેથી DEOએ 7 દિવસમાં માહિતી પૂરી પાડવાનો પરિપત્ર કર્યો છે ને સાથે જ ધોરણ 2થી 8માં અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોય તો તેની પણ વિગતો માંગી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ખાનગી, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં માહિતી અપલોડ કરવા આ બધું જરૂરી હશે, એની ના નથી, પણ એની તપાસ કોણ કરશે કે જે તે શાળામાં શિક્ષકો પૂરતા છે, અન્ય સુવિધાઓ પૂરતી માત્રામાં છે કે એ કેવળ સત્તાની જોહુકમીનો જ શિકાર છે? દર વર્ષે સ્કૂલો શરૂ થઈ જાય છે ને દર વર્ષે શિક્ષકોની ઘટની બૂમ ઊઠે જ છે. તેમાં વળી આ વખતે તો પ્રવાસી શિક્ષકોની પણ મંજૂરી નથી, આચાર્યો, શિક્ષકો વગર કેટલું ને કેવું ચલાવશે, એ જાણે શિક્ષણ વિભાગનો પ્રશ્ન જ ન હોય એમ લાગે છે. આ વખતે ડેટા પૂરો પાડવાની કામગીરી શરૂઆતથી જ એવી વધી છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનો બોજ જ એટલો છે કે શિક્ષકે ભણાવવાનું પણ હોય છે એ વાત જ વિસારે પાડી દેવાઈ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે જોઈતી માહિતી જ એક સમયે પૂરતી ગણાતી હતી, તેને બદલે કોઈ ગુનેગારની વિગતો પોલીસ ભેગી કરતી હોય તેવી ઝીણી ઝીણી વિગતો પૂરી પાડવામાં, આ વિગતોની ગુપ્તતા કેટલી જળવાતી હશે તે પ્રશ્ન જ છે. ઓછી વિગતોથી ત્યારે સ્કૂલો બહુ નુકસાનમાં રહી હોય એવું ય નથી બન્યું ને આટલી વિગતો પછી હવે સ્કૂલો અને વાલી-વિદ્યાર્થીઓ વધુ સલામત હોય એવું પણ નથી. પોર્ટલમાં અપાતી વિગતોમાં બેન્ક ડિટેલ્સ પણ આપવાની થાય છે. એ વિગતો લીક થાય તો સંભવિત જોખમ સામે રક્ષણની કોઈ ખાતરી ખરી કે કેમ તે નથી ખબર. આટલી વિગતો ભેગી કર્યાં પછી એનું શું થાય છે એની પણ કોઈ માહિતી નથી, તો પ્રશ્ન એ થાય કે વાલી વિગતો આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બટાકા કે ટામેટાં ચોરાઈ જતાં હોય તો આવી વિગતોનો દુરુપયોગ નહીં જ થાય એવું નથી.

શિક્ષણ સમિતિ અને આખો શિક્ષણ વિભાગ જે રીતે અંગ્રેજીના મોહમાં ગુજરાતીની અવગણના કરે છે તે માતૃભાષાને અપમાનિત કરનારું છે. કોઈ એક ગ્રૂપે, નગર પ્રથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જઈને, 44 જેટલી સ્કૂલોનાં ચારેક હજાર બાળકોને, પહેલાં પગથિયાથી જ અંગ્રેજી-હિન્દી શીખવાનું પુસ્તક વિના મૂલ્યે આપ્યું ને તેને સમિતિના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓએ આવકાર્યું, પણ એ ગ્રૂપે એ ભાષાની સાથે ગુજરાતી પણ ઉમેર્યું હોત તો ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે તે અધિકારીઓને પણ યાદ આવ્યું હોત. ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં કોઈ ગુજરાતીનું પુસ્તક ન વહેંચે તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને વિકલ્પે અંગ્રેજી અને હિન્દી શિખવવાનું ગૌરવ લેવાય ને એનો ત્યાં ઉપસ્થિત ગુજરાતીઓને આઘાત ન લાગે એ કેવળ ને કેવળ શરમજનક છે. ભાષા અંગેની આટલી નિર્લજ્જતા ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. અંગ્રેજી અને હિન્દીનો રજમાત્ર વાંધો નથી, એ અપાય તેનો આનંદ જ હોય, પણ ગુજરાતમાં ગુજરાતીને યાદ ન કરાય એ અપમાનથી ય વધારે અપમાન છે, ખાસ તો ત્યારે કે એ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત અને મૌન હોય. આ એટલે કહેવાનું થાય છે, કારણ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયાનું નોંધાયું છે.

ટૂંકમાં, અરાજકતા શિક્ષણ ક્ષેત્રનું અવિભાજ્ય અંગ છે. આ ક્ષેત્રમાં શિક્ષકો પાસેથી ભણાવવાને બદલે શિક્ષણેતર કામો લેવાય છે, પરિણામે, બધી સામગ્રી છતાં, વિદ્યાર્થીઓ લગભગ ભણ્યા વગર પરત થાય છે. આવામાં નવી શિક્ષણ નીતિ અદ્ભુત હોય તો પણ તેનો અર્થ નથી, કારણ, પ્રશ્ન તેનાં અમલીકરણનો છે. ગમે એટલું ઉત્તમ બીજ જો કોળવાનું જ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. નવી શિક્ષણનીતિનું પણ એવું જ છે. તે યોગ્ય હાથો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ. એ હાથો જો ડેટા ભરવામાં જ વ્યસ્ત હોય તો ઉતમ નીતિ પણ પોથીમાં જ રહે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2023

Loading

ઉત્સવઘેલો માણસ હરીશ પટેલ …..

પ્રીતમ લખલાણી|Diaspora - Features|9 July 2023

પ્રીતમ લખલાણી

છેલ્લા બે કલાકથી ગૃહના એક ખૂણામાં એક ખુરશી પર બે પગ ચઢાવીને નિરાંતે સભાની કાર્યવાહી નિહાળી રહેલ એક ત્રીસ-બત્રીસ વર્ષના યુવાને ઊભા થઈ પોતાની અસલ સુરતી ભાષામાં પોતાનો અંગત અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું,”મિત્રો, જો ભૂલથી આ નાના માણસથી કંઈ સાચુંખોટું બોલાઈ જાય તો, મહેરબાની કરીને મને માફ કરી દેજો.” પછી પોતાની ઓળખાણ આપતાં કહ્યું, “થોડા વખત પહેલાં હું ઓહાયોથી રોચેસ્ટરમાં સ્થાયી થયો છું. વ્યવસાયે હું એક નાની સરખી ત્રીસ રૂમની મોટેલ ચલાવું છું.” આટલું કહી તેણે ખોંખારો ખાઈને પોતાના મનહ્રદયની પછેડી ખોલી વાતને આગળ દોહરાવી. “છેલ્લા બે કલાકથી આપ સર્વ મિત્રોને આપણાં બાળકોને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે વિશેની ચર્ચા તમે હોંશેહોંશે અંગ્રેજીમાં કરી તેનું મને આશ્ચર્ય થાય છે! ખરેખર આ સભામાં કોઈ એકાદ ઘોળિયો કે પછી આફ્રિકન અમેરિકન આ ઘડીએ અહીં હાજર નથી. આપણે ગુજરાતના અને ભારતના જુદા જુદા પ્રાંતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા સંપૂર્ણ ગુજરાતીઓ છીએ! એમ છતાં આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલવાને બદલે આપણાં પોયરા-પોયરીને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે બાબતની ચર્ચા-વિચારણા આપણે કેટલા ગૌરવથી અંગ્રેજીમાં કરી રહ્યા છીએ, તેનું મને હૈયે અપાર દુઃખ થાય છે. મારે મનની વ્યથા સાથે તમને કહેવું પડે છે કે આપણે બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તે પહેલાં આપણે બઘાએ ગુજરાતી ભાષા શીખવાની ખૂબ જ આવશ્યકતા છે એવું મને લાગે છે!”

જો તમારે આવું ખોટું-સાચું, ભાગ્યું-તૂટયું અંગ્રેજી બોલી, બાળકોને ગુજરાતી કઈ રીતે શીખવવું તે બાબતની ચર્ચા કરીને તમારે તમારો ખોટો સમય બગાડવો હોય તો તમે ખુશીથી બગાડો, મારી પાસે આ બાબત માટે બિલકુલ ફાલતુ સમય નથી. હું તો ચાલ્યો. તમને ગુજરાતીના વર્ગ ખોલવા માટે મારા તરફથી જે કંઈ મદદની જરૂર હોય, તો તમે મને ગમે ત્યારે ફોન કરીને ખુશી સાથે જણાવી શકો છો.

આ માતૃભાષાપ્રેમી, ખુશમિજાજ, ઉત્સાહપ્રેમી, યુવાન એ બીજું કોઈ નહીં પણ જેમને ફકત રોચેસ્ટર શહેરમાં વસતા ગુજરાતી પરિવારો જ નહીં પણ રોચેસ્ટર શહેરને પોતાનું વતન બનાવવા ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી આવેલા ભારતીયો, જેમને હરિના શ્રી હરિ “હરિકલ્પન” તરીકે ઓળખે છે તે નવસારી જિલ્લામાં આવેલા સાતમ ટોળી ગામના અસલ ખેડૂતપુત્ર હરીશ નાથુભાઈ પટેલ …..

સ્નેહભીના વરસતા વાદળ સમી ઝરમર ઝરમર વરસતી વહાલસોઈ નેહનિતરતી આંખ, વાને જરા શ્યામવર્ણના આ પટેલ યુવાનના માથે જુગતરામ જોષીની બાળવાર્તાના બાળ નાયક અડુકિયા ને દડુકિયાના જેવા એકમેકથી જુગલબંઘી કરતા પવનમાં ફરફર ઉડતા એ-ચાર વાળ. મલક મલક થતા હોઠો પર ઝીણું ઝીણું હસતી તલવાર કટ મૂછ. ઈશ્વરકૃપાથી ખાઘેપીઘે આ સુખી જીવ તનથી જરા ભરાવદાર તો ખરો જ! પણ આ પટેલ મર્દ જો હજારોનાં ટોળાંમાં ઊભા હોય તો? તેની સુરતી બોલીને કારણે આપણા કાન દૂરથી પામી જાય કે ત્યાં આગળ હરીશ પટેલ ઊભા લાગે છે.

આ પટેલ માણસનું દિલ તો દિલાવર છે. તેમનું મનહ્રદય ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્મળ  છે. આ પ્રેમઘેલો માણસ સંબંધ નામના ગણિતથી બહુ જ દૂર ભાગે છે. તેમને ભાગાકાર અને બાદબાકીથી સખત ચીડ છે. તેમને મન મૈત્રી, ઘનદોલતની હવેલીથી ઘણી ઊંચી છે. આ માણસે ખરેખર આખી જિંદગી મૈત્રી અને સંબંઘ પાછળ ચંદનની જેમ ઘસાઈ જવામાં આનંદ માન્યો છે. હ્રદયમનથી જો આપણે હરીશ પટેલ વિશે ફકત બે શબ્દોમાં જ કહેવું હોય તો બસ આટલું જ કહી શકીએ કે, “આ પટેલ માણસ ગણિતના આઠના આંકડા જેવો નહીં પણ નવના આંકડા સમો સંપૂર્ણ  છે.

જલારામ બાપામાં અપાર શ્રદ્ઘા, ભકિત અને વિશ્વાસ ઘરાવતા આ પટેલે જીવનમાં રોટલા અને ઓટલાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. તેમના ઘરનો રોટલો અને ઓટલો બહુ જ મોટો છે. જો તમે અમેરિકા જેવા દેશમાં પણ તેના ઘરે ફોન કર્યા વગર દિવસે તો શું પણ કાળી રાતે જઈ ચઢો અને તેમના ઘરનો દરવાજો ખખડાવશો તો તમે એક બાબતનું આશ્ચર્ય અનુભવશો! તેમના ઘરનો દરવાજો ખોલનાર હરીશ પટેલ કે કલ્પનાબહેન નહીં પણ કોઈ મહેમાન જ હશે તેમનું ઘર બારે માસ મહેમાનોથી છલકે છે. તેમનું ઘર તો હરિ મંદિર છે. તેમને મન દુઃખી માણસ તેમનો ઈશ્વર છે.

હરીશ પટેલ કોઈ એવી વ્યકિત નથી કે તેને કોઈ લૉટરી લાગી હોય અને રાતોરાત ઘનવાન થઈ ગયા હોય. આ પટેલે અમેરિકામાં પોતાને તેમ જ પરિવારને સ્થાપિત કરવા રાતદિવસ લોહીપસીનો એક કરી એક સમૃદ્ઘ સામ્રાજય ઊભું કર્યું છે આજે પણ મોટલમાં માણસો હાજર હોય કે ન હોય મોટલનું નાનુંમોટુ કામ ખંત પ્રેમથી વહેલી સવારથી મોડી સાંજ લગી કરતા હોય છે. આ માણસ જ્યારે પણ કોઈને મદદ કરે છે ત્યારે હંમેશાં એક વાતનો ખ્યાલ અચૂક રાખે છે કે આપણે કોઈને જમણા હાથે કરેલ મદદ આપણા ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ. જ્યારે પણ તે પોતાના તરફથી કોઈ વ્યકિત કે સંસ્થાને મદદ કરે છે ત્યારે તેમના તરફથી એક શરત હોય છે કે તમે મારું કે મારા પરિવારના નામનો કયાં ય ઉલ્લેખ ન કરવાના હો તો જ હું તમને મારું યોગદાન આપીશ.

એક જમાનામાં અમારા રોચેસ્ટર ગામમાં અઢળક ગુજરાતી પરિવારો હતા. સમય સંજોગને કારણે આજે અહીં બે-ચાર મોટી નામાંકિત કંપનીમાં વ્યવસાયની તક ઓછી થતાં દિવસે દવસે ગુજરાતી પરિવારો ઓછા થતા ગયા. છતાં હરીશ પટેલ જેવા બે-ચાર સંસ્કૃતિપ્રિય મિત્રોને કારણે પણ આજે વર્તમાનમાં અમારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મો પહેલાંની જેમ જ ઘમઘોકાર થતા રહે છે. ખાસ કરીને જો અમારે ગુજરાતી કવિ સંમેલન કે કોઈ સાહિત્યનો કે પછી સુગમ સંગીતનો કાર્યક્રમ કરવો હોય અને જો હરીશ પટેલ તરફથી બસ એક વાર મને ‘હા”નો સંકેત મળી જાય પછી મારે આગળ-પાછળનો કંઈ પણ વિચાર કર્યા વગર બેઘડક કાર્યક્રમ કરી નાખવાનો! સાથોસાથ હરીશ પટેલ કહેશે કે કવિ, હવે કોઈ ચિંતા કર્યા વગર કોઈ પાસે ડૉલર માગવા ન જશો. મિત્રો, ડૉલર તો આપવાના હશે તો જ આપશે, પણ તમને કારણ વગરની લાખ શિખામણ આપ્યા વગર નહીં રહે.”

૨૦૦૩ના સપ્ટેમ્બર માસમાં ભારતથી કવિ સુરેશ દલાલ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી કાવ્ય વાચન તેમ જ પુસ્તક પ્રદર્શન નિમિતે રોચેસ્ટર પઘારેલા. એક સાંજે કાર્યક્રમ બાદ હરીશ પટેલે આ ત્રણે મહેમાન મિત્રો સાથે મને પણ તેમના ઘરે બીજા દિવસની બપોરે ભોજન માટે આમંત્રિત કરેલો.

ઈશ્વરની ઈચ્છા શી હશે? તે તો ભલા ઈશ્વર સિવાય બીજું તો કોણ જાણી શકે? હરીશ પટેલનાં ઘર્મપત્ની કલ્પના બહેન સમી સાંજથી ઉત્સાહ સાથે અમારા માટે ભોજન બનાવવામાં ગૂંથાયેલ હતાં. બીજા દિવસની બપોરે અમે ચાર જણા તેમને જણાવેલા સમય મુજબ તેમના ઘરે ભોજન માટે ગયા ત્યારે હરીશભાઈ અને કલ્પનાબહેનને બહુ જ થાકેલા જોઈ સુરેશભાઈએ તેમને પૂછયું, “પટેલ, અત્યારે તમે કેમ બહુ જ થાકેલા લાગો છો?” હરીશ પટેલે બહુ જ સંકોચ સાથે અમને જણાવ્યું કે,”ગઈ કાલે સાંજે તમારા કાર્યક્રમમાંથી ઘરે આવ્યો ત્યારે મારી નાની દીકરી ઉર્વિએ મને ફરિયાદ કરી કે ડેડી મને પેટમાં સખત દુઃખે છે. અમે જરા ય સમય બગાડયા વિના તે જ ઘડીએ તેને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉકટરોએ નિદાન કરી અમને જણાવ્યું કે અમારે તાત્કાલિક સમય બગાડ્યા વિના હમણાં જ તેના એપેન્ડિકસનું ઑપરેશન કરવું  પડશે. ઉર્વિનું ઑપરેશન મોડી રાત્રે કરવું પડ્યું. અમારે બંનેએ આખી રાત હૉસ્પિટલમાં તેની પાસે રહેવાનું થયું. આ કારણે જરા નિંદર કે આરામ નહીં થયો હોવાથી ચહેરા પર સહેજ થાક વરતાય છે. બાકી ખાસ કંઈ વાત નથી.

સુરેશભાઈએ એ જ વખતે હરીશ પટેલને કહ્યું,”અરે! પટેલ, આવું ઓચિંતું બન્યું તો તમારે અમને ફોન કરીને જણાવી દેવું હતું. અમે સમજી શકીએ છીએ કે તમારી દીકરીની તબિયત ઓચિંતી બગડી ગઈ અને તમારે હોસ્પિટલમાં દોડવું પડયું. ભોજન બહુ મહત્ત્વનું ન હતું. દીકરીની તબિયતનું પહેલાં જોવાનું હોય. જો તમે આ કારણે ભોજન રદ્દ કર્યું હોત તો અમને જરા ય ખોટું ન લાગત!”

હરીશભાઈ, પોતાના અસલ મિજાજમાં બોલ્યા, “કવિશ્રી. તમારો મારા પ્રત્યે જે આદર ભાવ છે તે બદલ હું તમારો આભાર વ્યકત કરું છું. અરે ભલા માણસ, આટલી નાની અમથી વાતથી આપણે ગભરાઈ જઈએ તો તે કેમ ચાલે? સુખદુઃખ કંઈ આપણને એકને જ આવે છે એવું થોડું છે. તે તો હર કોઈને આવે છે. તેની એવી શી ચિંતા કરવાની? પછી હસતાંહસતાં બંને પતિપત્ની બોલ્યાં, ‘અરે!સુરેશભાઈ, તમારા જેવા મિત્રો કયાં રોજ અમારે ઘરે પઘારે છે. અમારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારે પગલે અમારું ઘર આજે પાવન થઈ ગયું. તમારા આશીર્વાદે મારી દીકરી આજે સાંજે ઘરે પણ આવી જશે!”

હરીશ પટેલે રોચેસ્ટર ગામમાં મૈત્રીની એક લીલી વાડી ઊભી કરી છે. રોચેસ્ટરનો ગુજરાતી માત્ર સમાજ જ નહીં પરંતુ દરેક ભારતીય તેમને મન તેમનો એક પરિવાર છે. જો હરીશ પટેલને કોઈ મિત્રના દુઃખ-દર્દની વાત કયાંકથી તેમના કાને પડી જાય તો આ માણસને મિત્ર આવીને તેમની પાસે મનની વાત કરે તે પહેલાં તો આ બાબતની જાણ કોઈને કર્યા વગર મિત્રના દુઃખદર્દમાં મદદ રૂપ થવા પહોંચી જશે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...943944945946...950960970...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved