Opinion Magazine
Number of visits: 9666863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે 

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2023

રમેશ ઓઝા

૨૧મી સદીમાં અચાનક વિકાસનો રથ થંભી ગયો છે. પ્રજાને હવે આપવા માટે કાંઈ જ નથી. નવી રોજગારી પેદા થતી નથી અને રળવાની ઉંમર ધરાવનારાઓની સંખ્યા વધી રહી છે. ઓછામાં પૂરું ટેકનોલોજીએ છલાંગ ભરી છે. ૨૦મી સદી સુધી માનવીના હાથો પાસેથી કામ છીનવી લેનારી મશીન આધારિત ટેકનોલોજી વિકસતી જતી હતી, પણ હવે ૨૧મી સદીમાં કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય (આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ – એ.આઈ.) ધરાવનારી ટેકનોલોજી આવી રહી છે જેણે હાથ સાથે માથાને પણ નવરું કરવાનું શરૂ કર્યું છે. જગત આખામાં બેકાર યુવાન યુવતીની સંખ્યા વધી રહી છે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જગત જ્વાળામુખીનાં મોઢાં પર આવીને બેઠું છે.

કરવું શું? કોઈની પાસે આપવા માટે કશું જ નથી, પણ પ્રજાને કશાકમાં વ્યસ્ત રાખવી જરૂરી છે. બે ઉપાય છે; એક, પ્રજાને અસ્મિતાઓનો અમલ પીવડાવો, કેફમાં રાખો, એકાદ દુ:શ્મન પકડાવી દો, પોરસાવો, ડરાવો અને રડાવો. બે, પ્રજાને સોશ્યલ મીડિયા પર વ્યસ્ત રાખો. પહેલાં લોકો દિવસના આઠ કલાક ઉત્પાદક પ્રવૃત્તિ માટે ખર્ચ કરતા હતા, અત્યારે દિવસના આઠ કલાક જે તે સ્ક્રીન સામે ખર્ચે છે જેને સ્ક્રીન ટાઈમ કહેવામાં આવે છે. આઠ કલાકના સ્ક્રીન ટાઈમમાં લોકો ઝેરનો સંગ્રહ કરવાનું અને ઝેર ઓકવાનું કામ કરે છે. આવો ભય અને લઘુતાગ્રંથિ ધરાવતી પ્રજા કોઈકની આંગળી પકડવા અને કોઈકના ખોળામાં બેસી જવા તત્પર હોય એ તો સ્વાભાવિક છે. આમ પણ માનવી સમૂહમાંથી વ્યક્તિ બન્યો અને તેને સ્વતંત્રતા તેમ જ માનવીય અધિકારો મળ્યા ત્યારથી ભયભીત છે. સ્વતંત્રતા એક જવાબદારી છે અને માનવીને તેનાથી ભાગવું છે. હમણાં કોઈકે લખ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે.

પ્રજાને ઉત્પાદક પ્રવૃત્તિમાં પરોવી રાખવી એ સહેલું કામ છે, પણ ફાલતુ ચીજોમાં પરોવી રાખવી એ અઘરું કામ છે. ઉત્પાદક પ્રવૃત્તિ તો માનવી પોતાની જાતે કરી લેશે કારણ કે તેમાં તેને લાભ દેખાય છે, ફાલતુ પ્રવૃત્તિમાં પરોવી રાખવા માટે જહેમત કરવી પડે છે. રોજ કહેવાતા દુ:શ્મનનું એક કહેવાતું કારસ્તાન સામે લાવવાનું. પછી તેને સાયબર સેલ અને પાળીતા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું, લોકો પર ભયની કેટલી અસર થઈ રહી છે એ માપતા રહેવાનું. જો ભયભીત કરવા માટે દુ:શ્મનનું કોઈ કારસ્તાન જલદી ન જડે તો પોરસાવવા માટે મહાનતાની સ્ટોરી વહેતી કરવાની. માનવચિત્તની ચક્કીમાં ચોવીસે કલાક દળણું ઓરતા રહેવાનું એ કોઈ મામૂલી કામ છે!

એ પ્રચંડ જહેમતનું કામ છે અને એ સાથે ખર્ચાળ પણ એટલું જ છે. એમાં પણ જે દેશોમાં લોકતંત્ર હતું અને છે એ દેશોમાં એ વધારે ખર્ચાળ છે કારણ કે ત્યાં પ્રજાની આંખ ખોલનારાઓ પણ છે. એવા લોકો છે જે ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ આવવા તૈયાર નથી અને બીજા લોકોને ક્લોરોફોર્મની અસર હેઠળ આવતા રોકે છે. એ મૂર્છિત થવા તૈયાર નથી અને બીજાને સચેત કરે છે. આવા લોકોનું જે તે બહાને દમન કરવાનું અને પ્રજા તેમની અસર હેઠળ ન આવે તેનું ધ્યાન રાખવાનું. પાછા સચેત કરનારાઓ વધારે બુદ્ધિશાળી અને વધારે કલ્પનાશક્તિ તેમ જ મૌલિકતા ધરાવે છે. કલ્પના કરો, આ આખું તંત્ર કેટલું ખર્ચાળ હશે! અને એમાંથી જન્મે છે ક્રોની કેપિટાલિઝમ, જેનો અનુભવ જગત આખાને થઈ રહ્યો છે. આજે જગતની અડધોઅડધ સંપત્તિ માત્ર એક ટકો પ્રજાના કબજામાં છે. એ એક ટકો શાસકોના આંગળિયાત છે અને આજના નવ-મૂડીવાદના યુગમાં શાસકો તેમનાં આંગળિયાત છે. અત્યારે જગતને ક્રોની કેપિટાલિસ્ટોની જગ્યાએ ક્રોની રુલર્સનો નવો અનુભવ થઈ રહ્યો છે.

આ ક્યાં સુધી ચાલશે અને ક્યાં જઇને અટકશે એ આપણે જાણતા નથી. એક. કુદરત રૂઠી છે. બે.  આરોગ્યનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે. ભારત મધુમેહની બીમારીની રાજધાની ગણાય છે. ત્રણ. રળવાની ઉંમર ધરાવતા હાથો પાસે કામ નથી અને ઉપરથી કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય નૈસર્ગિક  બુદ્ધિની જગ્યા લઈ રહી છે. ચાર. કુપ્રચાર દ્વારા માનવચિત્તને અભડાવવામાં આવી રહ્યું છે અને પ્રજાનું ઝેરીલું ચિત્ત ભવિષ્યમાં શું અનર્થો કરશે એની કલ્પના કરતાં પણ થરથરી જવાય છે અને પાંચ. એક ભયભીત, દાધારીંગી, લઘુતાગ્રંથિથી પીડિત પેઢી અસ્તિત્વમાં આવી રહી છે જે શેક્યો પાપડ પણ ભાંગી નહીં શકે ત્યાં પુરુષાર્થ શું કરવાની? અને એ પણ એવે વખતે જ્યારે સમાજ પરનું સંકટ અભૂતપૂર્વ છે. જગતે ક્યારે ય જોયું નથી એવું વિકટ સંકટ ક્ષિતિજે નજરે પડી રહ્યું છે અને આપણે નમાલી પ્રજા પેદા કરી રહ્યા છીએ.

આનાથી બચવાનો ઉપાય છે અને એ ઉપાય છે; ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ નહીં આવવાનો. ધરાર મૂર્છિત નહીં થવાનો. મળેલી વ્યક્તિગત સ્વતંત્રતા ધર્મ, દેશ, પ્રદેશ, જ્ઞાતિના ઠેકેદારો અને પરિવારમાં પરિવારહિતના ઠેકેદાર પુરુષને તાસક પર પાછી ધરી નહીં દેવાનો. સ્વતંત્રતાથી નહીં ડરવાનો અને બીજાની સ્વતંત્રતાનો આદર કરવાનો. જ્યારે સંકટ નજીક આવશે અને ખરાખરીની પળ આવશે ત્યારે આવી ખુમારી જેણે જાળવી રાખી હશે એ પાર નીકળી જશે અને નમાલાઓ ખપી જશે.

આ પત્થરની લકીર છે અને તેમાં કોઈ મીનમેખ થવાનો નથી. જગતના તમામ પ્રતાપી લોકો પર એક નજર કરી જુઓ. એમાં બે લક્ષણો સમાન જોવા મળશે. તેઓ સ્વતંત્ર હતા અને પુરુષાર્થી હતા.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 ઑક્ટોબર 2023

Loading

માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી : દર્શકનું દર્શન 

સોનલ પરીખ|Opinion - Literature|15 October 2023

‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક–બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મનુભાઈ પંચોળી ‘દર્શક’ એટલે માત્ર સાહિત્યપુરુષ નહીં, સાહિત્યે તો એમના જીવનનો ત્રીજો ભાગ જ રોક્યો છે. બાકીના દર્શક શિક્ષણપુરુષ અને પ્રજાપુરુષ છે. વિમલાતાઈએ ‘સદભિ: સંગ’ની પ્રસ્તાવનામાં દર્શકને વર્ણવ્યા છે : ‘પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ અને વર્તમાનના શિલ્પી.’ 29 ઑગસ્ટે દર્શકની પુણ્યતિથિ છે. વાત કરીએ દર્શકની અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં પ્રગટ થયેલા એમના દર્શનની.

મનુભાઈ પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા નવમા ધોરણથી શાળા છોડી, સત્યાગ્રહી બન્યા અને જેલમાં જઈ આવ્યા. નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થતાં એમની સંસ્થાઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ, આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ અને સણોસરાની લોકભારતીનાં સ્થાપના-સંચાલનમાં જોડાયા. વચ્ચે તળાજા પંથકનાં ગામોમાં લોકચેતના જાગ્રત કરવા મથામણ કરી.

દરમિયાન ભાવનગર રાજ્યના પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન, ગુજરાત વિધાનસભાના સભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા. શિક્ષણવિદ તરીકે ડેન્માર્કની તથા સાહિત્યકાર તરીકે ઇઝરાયલ, ઇંગ્લૅન્ડ-યુરોપ તથા અમેરિકાની યાત્રા કરી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘સૉક્રેટિસ’ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર જેવાં સન્માન મેળવ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષપદ શોભાવ્યાં.

આવા દર્શક વિશ્વઇતિહાસ, ધર્મતત્ત્વદર્શન, સાહિત્ય, રાજનીતિ, શિક્ષણશાસ્ત્ર, કૃષિવિદ્યા અને સમાજકારણના ઊંડા અભ્યાસી; પણ એમનું સર્જક-હાડ મધ્યકાલીન સંતપરંપરા, ગાંધીવિચાર, સૌંદર્યપ્રેમ અને જીવનરાગથી બંધાયેલું. કહેતા, ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ.’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાને આ શબ્દોના અજવાળામાં જોઈએ, તો જ એનું સાચું તેજ આપણી ઝાંખી આંખમાં ઊગે.

ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા પૂરી થતાં લગભગ ચાલીસ વર્ષ લાગ્યાં – ભાગ 1, 2 અને 3 અનુક્રમે 1952, 1058 અને 1985માં પ્રગટ થયા. વચ્ચે ‘સોક્રેટિસ’ લખાઈ. વાચકોવિવેચકોએ ખૂબ રસપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક, પ્રેમપૂર્વક આટલાં વર્ષ રાહ જોઈ અને નવલકથાને એવી તો વધાવી લીધી કે ત્રણે ભાગોની અનેક આવૃત્તિઓ થઈ. 1989માં આર.આર. શેઠે કરેલી ત્રણ ભાગની સંયુક્ત આવૃત્તિનાં પણ એક ડઝનથી વધારે પુનર્મુદ્રણ થયાં. 

પહેલા ભાગમાં સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધ ધર્મનો અભ્યાસ, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ છે. ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ ને કુદરતને ખોળે ખીલતાં પુષ્પો જેવી જ સુંદર, કોમળ અને સુગંધી સત્યકામ-રોહિણીની પ્રણયકથા વાચકને પુલકિત કરે છે.

બીજા ભાગમાં બૌદ્ધ ધર્મનો વિશેષ અભ્યાસ કરવા સત્યકામ યુરોપ જાય છે. પ્રથમ વિશ્વયુદ્ધે વેરેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની સાથે સંકળાતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે ઊથલપાથલથી ઘેરાયેલા યુરોપની કથની વર્ણવાઈ છે. ત્રીજા ભાગમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતનો પાત્રવિકાસ પણ આ ભાગમાં જ થયો છે.

ત્રીજા ભાગમાં વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોને વતન પહોંચાડવા માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, યહૂદી પ્રજાની વ્યથા, બીજા વિશ્વયુદ્ધમાં ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું તેમ જ કથાના અંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખાઈ છે. યુદ્ધનાં તાદ્દશ વર્ણનો વચ્ચે સ્થવિર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસા પણ નિરુપાઈ છે.

અંત સુખદ અને પ્રેમના-સેવાના કલ્યાણકારી વિકાસની શક્યતાઓ આપતો છે. કથા સુખાન્ત જણાય છે પણ જગતમાં વ્યાપેલા ઝેરની પ્રતીતિ આખી નવલકથામાં થતી રહી છે. રોહિણીની જેમ બહુ થોડા માણસો પોતાની પરવા કર્યા વિના સર્પદંશનું ઝેર ચૂસી શકે છે. આ જ રોહિણી અંતે ‘ધ્યાનમાં બહુ એકલું લાગતું હતું’ કહી સત્યકામને આલિંગે છે ત્યારે કેવી સહજ પ્રણયિની બની જાય છે!

અને સત્યકામ? એ કહે છે, ‘આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રજકણ જેવાં છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાં ય ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે ?’ અને લખે છે, ‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક-બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

પણ, લેખકને તો વિશ્વઇતિહાસના પ્રવાહો, યુદ્ધની વિભિષિકા અને વિવિધ ધર્મશ્રદ્ધાઓ બધું આવરી લેવું છે. રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે ‘વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે જોવામાં આવ્યો છે.’ વિશાળ ફલક પર પથરાયેલી હોવાથી વાર્તાપ્રવાહમાં અકસ્માતોનો અતિરેક અને શિથિલતા બન્ને પ્રવેશ્યાં છે, છતાં અત્યંત સુંદર ગદ્ય, જીવંત પાત્રો અને કુશળ વાર્તાકલા કૃતિની મહત્તા પ્રગટ કર્યા વિના રહેતાં નથી. યુદ્ધની ભયાનકતા, કીડીઓથી ખવાઈ ગયેલા કાર્લના હાડપિંજરનું અને યામાશિટાએ કરેલી હારાકીરીનાં વર્ણનો અદ્દભુત છે. લેખકે બે વિશ્વયુદ્ધોનાં સાક્ષી બનતાં પાત્રો દ્વારા માનવધર્મની, કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે. વાચકમાં મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષાનો ભાવ કેળવાતો આવે છે. મનના વિલય પછીની અવસ્થા – બ્રહ્મવિહાર વિશે સમજ કેળવાય છે. શાંતમતિ આહાર ઘટાડીને દેહ છોડવાના છે. કહે છે, ‘મરવાની પણ તૃષ્ણા નથી, સહેજે બધું થશે.’

કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પવિત્ર વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, ભારતના આશ્રમજીવન સાથે પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા, જર્મનોનો યહૂદીદ્વેષ, સત્યકામને મળતાં રેથન્યુ અને ક્રિશ્વાઈન જેવાં માનવતાપૂર્ણ પાત્રો, એમનાં મનોમંથનો, સંવાદો, પત્રો અને ડાયરીઓ રૂપે આવતાં વર્ણનો અને વિચારો – વાચકને જીવનનું એક બહુઆયામી ચિત્ર જોવા મળે છે.

કથાની પરિકલ્પના મનમાં આકાર લેતી હતી ત્યારથી જ દર્શક સ્પષ્ટ હતા કે વાચકને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે ને ક્યાં પહોંચાડવાનો છે. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ નવલકથા વેરાન કોતરોને જાતમહેનતે પલ્લવિત કરતા નિર્ગુણિયા સંતથી શરૂ થઈ, રાષ્ટ્ર અને જાતિના અભિમાનમાં અટવાયેલા યુરોપને આશ્વસ્ત કરી, મધ્ય પૂર્વમાં યહૂદીઓના જીવનસંગ્રામને સલામી આપી, મ્યાનમારની હજાર બુદ્ધની ગુફામાં સ્નાનશુદ્ધ થઈ કોરિયાના અવિસ્મરણીય ઘેરામાં પ્રવેશે છે.’

વિશ્વયુદ્ધની પરિસ્થિતિ આલેખતી વખતે તો દર્શકની વર્ણનશૈલી મહાકાવ્યને સ્પર્શે છે, પણ તેઓ જ્યારે યુદ્ધનું વર્ણન કરે છે ત્યારે તેમને આલેખવો તો હોય છે માનવીય મૂલ્યો માટેનો સંઘર્ષ. વાચકને પીડા, યાતના, ઘોર નિરાશા અને શ્રદ્ધાની કટોકટી સુધી લઈ જઈ, આ બધામાંથી પસાર કરાવીને દર્શક એવી પ્રતીતિ આપે છે કે વિશ્વનો કોઈપણ ખૂણો હોય, ‘માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહીંતર તેને મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે આપ્યા હોત.’

હા, માણસ યુદ્ધો માટે જન્મ્યો નથી – પ્રેમ માટે જન્મ્યો છે. અને પ્રેમનો તો અનંત અર્થવિસ્તાર છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઑગસ્ટ  2023

Loading

‘કાળી પેટી, કેસરી કામળી, પીંગળી આંખો’

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|15 October 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

મૂળે તો હાઈસ્કૂલનો વિદ્યાર્થી, પછી અધૂરે અભ્યાસે રાષ્ટ્રયુદ્ધમાં ઊતરેલો, જેલનું પંખીડું, જેલમાં વાંચ્યું હશે બીજાઓ કરતાં ઓછું, પણ પચાવ્યું હશે વધુ; નવા જ અગ્નિરસમાં એણે કલમ બોળેલ છે. લોકસેવાર્થી બનીને લોકજીવનમાં ઘૂમનારો, સાહિત્યનો મર્મગામી છતાં એકલી કલમનો ઉપાસી બનીને ‘ડિસ્પેપ્સિયા’ને નોતરવા ન ઇચ્છનાર, શારીરિક કરતાં ય માનસિક ‘ડિસ્પેપ્સિયા’થી વધુ સાવધાન – એ છે સાહિત્યનો પાકો પરિવ્રાજક, દેખાવે પણ સાધુ.

સંસાર-વ્યવહારમાં પુત્ર તરીકે આવી પડતી આર્થિક જવાબદારીને પહોંચી વળવું હોય ત્યારે જ એ પુસ્તક લખવા બેસે છે. આઠેક દિવસની અવિરત બેઠકે એ ૩૦૦ પાનાંની સારી એવી વાર્તા આપી શકે છે. તે પછી પાછો એ ચોરના માથાની જેમ ભટકવા ચાલે છે ને સર્જનનો મધપૂડો એના મનમાં ને મનમાં વિચાર-મધુએ પુરાતો રહે છે. આવા લાપરવાહ સાહિત્ય-બાદશાહો મને ગમે છે.

“એક વાત કહેવી હતી,” ઉઘાડા આકાશ નીચે એકાદશીના ચંદ્રોદયમાં ચત્તાપાટ પડીને એ શરૂ કરે છે – જાણે એ એક જ વાત કહી નાખવાની ઊર્મિ તેને અહીં લઈ આવી હતી. એ કહે છે પાળિયાદમાં પથરાયેલા વાઘરીઓના કૂબાની કથા : “વાઘરીઓનાં ટોળાં ધર્માદાનાં દાણા ને લૂગડાં, સાધન ને સામગ્રી લેવા આવતાં, વીંછીની પેઠે વળગતાં, કૂડિયાં ને કપટી આ વાઘરી-ટોળાંને જોઈને પાળિયાદના ભદ્ર લોકો અમને ચેતવતા હતા, કે ‘ભાઈ, આ લોકોને દેશો તો મહાપાપ લાગશે; એ તો ઢોર મારે છે, ગાયો મારે છે, ખેતરો લૂંટે છે, ચોરીઓ કરે છે, ખૂનો પણ કરે છે. જુઓ જઈ ફોજદાર સાહેબના દફતરમાંઃ જીવહિંસાના એ આચનારા વાઘરીઓ તાલેવાન છે, ઘેરે ગ્રામોફોન રાખે છે, આપશો ના એને, પાપ લાગશે’ વગેરે.

“સાંભળી સાંભળીને મેં ગઈ કાલે એ ચેતવનારને કહ્યું: ‘ચાલો, એ વાઘરી લોકોના પડાવ તો જોઈએ.’ અમે તેમના કૂબાઓમાં ગયા. ચાંદનીમાં જોયેલું એ દૃશ્ય છે: જાહોજલાલી તો ત્યાં નહોતી છતાં એ લોકોની લુચ્ચાઈ, દોંગાઈ, ઢોંગ વગેરે બધું જ પ્રત્યક્ષ હતું. જોતાં જોતાં અમે એક જુદા પડેલા કૂબા તરફ ગયા, ત્યાં દીઠેલ દૃશ્યે મારા પર ન ભૂંસાય તેવી છાપ પાડી છે.

“બે જ વર્ષની એક નાની છોકરીઃ ચાર વર્ષનો એક છોકરોઃ એક આઠ વર્ષની છોકરી ને અગિયાર વર્ષનો એક સૌથી મોટો છોકરો: ચાર બાળકોઃ એકાકીઃ મોડી રાતે ઉઘાડા આકાશમાં બેઠાં છે; તેમણે ચીંથરાં પહેરેલ છે, તે સિવાય તેમની પાસે કોઈ ઓઢણ કે ઢાંકણ નથી. ચાર વચ્ચે પાથરણું એક છેઃ એક સાદડી – જે બપોરે આ છોકરો ધર્માદાની ઑફિસેથી રગરગીને લઈ ગયેલો.

“મેં પૂછપરછ કરી તેમાંથી જાણવા મળ્યું કે મોટો 11 વર્ષનો છોકરો તો કોઈક પિત્રાઈ છે, સગો ભાઈ નથી. આ ત્રણેયને સાચવવા સાથે રહે છે. ત્રણ છોકરાંનો બાપ મરી ગયો છે. મા મૂકીને ભાગી ગઈ છે. આઠ વર્ષની છોકરી માગીભીખીને અથવા મહેનત-મજૂરી કરીને ભાંડુઓને ગુજારો પૂરે છે. સવારથી રાત સુધી એ રોટલો ૨ળવા જાય છે ત્યારે નાનામાં નાની બે વર્ષની છોકરીને એ કૂબાની અંદર એકલી બેસારી જાય છે. એને કોઈ પડોશી કૂબાવાળા એ બાજુ નીકળે તો વળી કાંઈક ખાવાનું કે પાણી આપી જાય; નહિતર એ બાળક એકાકી ને અન્નજળવિહોણું જ આઠ વર્ષની બહેન આવતાં સુધી બેઠું રહે.

‘આજે ખાવાનું મળ્યું નથી. અમે બે મોટેરાંએ એક પ્યાલો ચા લઈને બે વચ્ચે પીધેલ છે, તે ઉપર રાત કાઢશું.’ ”

આટલું દૃશ્ય જોઈને આવેલા આ સાહિત્યના પરિવ્રાજકે મારી પાસે આંસુ ન રેલાવ્યાં. એના મોંમાંથી હાહાકાર કે દયાપ્રે૨ક ઉદ્ગાર પણ નહોતો નીકળ્યો. એણે તો એની એ બાદશાહી છટાથી સૂતે સૂતે મને જે કહેવા માંડ્યું તે આ છેઃ

“એકાદ મહિનો આ લોકોના પડાવોમાં રહી શકાય તો તેમના વિશે એક એવી કથા આપી શકાય કે જેમાં આ વાઘરીઓ જેવા છે તેવા જ ચિતરાયઃ તેઓ ભલે ચોર, લૂંટારા, હિંસકો ને ખૂનીઓ આલેખાય. એ આલેખનમાં તેમનો જ ભાષાવ્યવહાર, જીવનવ્યવહાર, સામુદાયિક સંસાર-વ્યવહાર, જરીકે પોકળ કરુણતા કે દયાર્દ્રતાથી ખરડાયા વગર રજૂ થાય. એ ચોર-લૂંટારા ભલે ચિતરાય, પણ એમાંથી ન રહી જવું જોઈએ પેલી આઠ વર્ષની છોકરીવાળું તત્ત્વ : આઠ વરસની છોકરી! – વિચાર તો કરો – આઠ વરસની છોકરી એક કુટુંબની રોટી ૨ળનાર બની છે. આપણા ભદ્રલોકના સંસારની સાથે એ એક જ તત્ત્વ સરખામણીમાં મૂકો.

“મેં એ દૃશ્ય ભદ્ર લોકોની વારંવારની ચેતવણી પછી જોયું, તેમ રાતની ચાંદનીમાં જોયું; એટલે એણે મારા મનમાં ઊંડું સ્થાન લીધું છે. એ જીવનનો પૂરેપૂરો અભ્યાસ કરી એમાંથી એક કથા સર્જાવાય, જેમાં એક ‘રવિશંકર મહારાજ’ના પાત્રને ગૂંથી દેવાય. એ કામ તમે કે હું જો ન કરી શકીએ તો આંગળી ચીંધાડીને અન્યને સૂચવવા જેવું છે.”

મેં જવાબ વાળ્યો: “મને બીક એક જ છે કે આપણે એ આલેખનમાંથી કાં તો જૂઠાં આંસુ વહાવશું, કાં એક યા બીજા વાદનું પ્રતિપાદન કરવામાં એ વા૫૨શું, અથવા કલાના મરોડોમાં દોરવાઈ જઈ એને કલ્પનાના પોશાકો પહેરાવશું.”

“એ જ દુઃખ છે.” એણે કહ્યું: “નંદલાલબાબુએ એક વાર કહેલું કે નેવું ટકા જીવનનો અનુભવ જોઈએ ને દસ જ ટકા કલ્પના જોઈએ. આપણા કલાકારો ને સાહિત્યકારો નેવું ટકા કલ્પના અને દસ ટકા અનુભવનો કુમેળ કરે છે એટલે જ જીવનમાં જે બિલકુલ ન હોય એવા મરોડો એની કૃતિઓમાં આવી પડે છે.”

“આપણી પાસે આપણો ઇતિહાસ નથી, ઇતિહાસ નથી” એમ આપણે ફૂટ્યા કરીએ છીએ. એક જણ આપણને કહે છે કે આપણી પાસે ઇતિહાસ નથી. બીજા હજાર જણ એ પોપટ-વાણી ગોખે છે કે, હા ભાઈ, આપણે કેટલા બધા કંગાલ ને પ્રમાદી! આપણી પાસે ઇતિહાસ નથી!

“આ પણ એક કેવું તૂત ચાલ્યું છે તેનો ખયાલ મને હમણાં હું સ્વ. રમેશચંદ્ર દત્તનું ‘એન્શ્યન્ટ ઇંડિયા’ વાંચી રહેલ છું તેમાંથી મળ્યો. સ્વ. દત્ત એના પ્રવેશકમાં જ ‘આપણી પાસે ઇતિહાસ નથી’વાળી પોપટ-વાણીનો એક જ જવાબ આપે છે. અલ્યા ભાઈ, રાજાઓના વંશોનો, તેમનાં જન્મ, રાજ્યારોહણ અને મૃત્યુની સાલવારીનો કે એવો ઇતિહાસ કદાચ આપણી પાસે ઓછો હશે, પણ આપણાં આ રામાયણ મહાભારત વગેરે મહાકાવ્યો, આપણાં વેદો-પુરાણો ને આપણી આ ઘરઘરને ઉંબરે વહેતી લોકગાથાઓ, લોકકવિતાઓ ને લોકકથાઓ એ ઇતિહાસ નથી ત્યારે શું છે? સાચો ઇતિહાસ તો એ છે, કેમ કે એ એકાદ રાજ્યવ્યક્તિની પોકળ સાલવારીને નહિ, પણ આપણા આખા રાષ્ટ્રજીવનના વિકાસની ભૂમિકાઓની બારીકમાં બારીક ખૂબીઓ ને ખામીઓ બંનેથી ભરેલા પ્રામાણિક ને નિખાલસ ઇતિહાસને સંઘરે છે.’’

‘રઝળુ’ના આ કથનમાં રમેશચંદ્ર દત્તનો હવાલો હતો. પુરાતનથી ય પુરાતન, મધ્યયુગી અને તેથી યે વધુ નજીકના અર્વાચીન યુગના ગયા સૈકાના છેક છેલ્લા બોલાયેલા બોલ – આ સર્વમાં જે જે પડ્યું છે તેનો હું પ્રેમી, એટલે આ મુદ્દો મને બહુ જોરદાર લાગ્યો. ‘રઝળુ’ના એ થોડા જ શબ્દોએ મારી સામે ઇતિહાસ-સંશોધનનો દાવો કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કેટલાક નિબંધોની સ્મૃતિ ખડી કરી. મને લાગ્યું કે ‘સંશોધન’નું તત્ત્વ ભયાનક વિડંબનાની પરિસીમા પર પહોંચી ગયું છે. ‘સેલ્ફ-એવિડન્ટ’, સ્વયંપ્રતીત વાતોને પુરવાર કરવા માટે પણ કહેવાતાં ‘સંશોધનો’નો માર્ગ લેનારાઓ પંડિતો (“સ્કૉલર્સ”) ઠરે છે. એ પંડિતોની થીસિસ’માં પ્રજાજીવનના પ્રાણનો એકેય ધબકાર પેસી ન જાય, મૃતદેહનાં જ હાડકાં-પાંસળાં બતાવીને સંસ્કૃતિના ઇતિહાસનો હિસાબ મુકાય – એ બનેલ છે આજની ‘સ્કૉલરશિપ’ની કમબખ્ત હાલત.

છેલ્લી વાત મને આટલી કહીને આ બાદશાહ પાછો ગયોઃ

“આજે આપણા જુવાનો જે તે કચરાપટ્ટી વાંચે છે. નવીનતાનો એ વ્યામોહ છૂપા ઝે૨ જેવો છે. ૨મેશચંદ્ર દત્તનાં લખાણોનો તેજસ્વી વારસો કેટલી સહેલાઈથી ભુલાયો છે! શા માટે આપણા વિદ્યાભ્યાસીઓ રમેશચંદ્ર તરફ વળતા નથી? રમેશચંદ્રના ઇતિહાસને ‘ગઈ કાલનો’ ગણી ફેંકી દેનારાં આપણાં વિદ્યાલયો વિદ્યાને જ થાપ ખવરાવશે.”

“જેમની પાસે જીવન છે તેમની પાસે જીભ નથી, ને જીભવાળાઓ પાસે જીવન નથી.” એ શબ્દો પાળિયાદથી આવેલા એક પરિવ્રાજક સાહિત્યકારે લજ્જતથી કહ્યા.

“જીભવાળાઓ એટલે આપણે ભાષાસામર્થ્ય ને કલાલેખનની શક્તિ ધરાવતા કલમબાજો, ને જીવનવાળાઓ એટલે પેલાં વાઘરી ભાઈ–બહેનોનું કુટુંબ-મંડળ. જીભવાળાઓ જીવનની વચ્ચે જતા નથી એટલે કલમો અને પીંછીઓ જૂઠી રેખાઓ ને જૂઠા મરોડો ખેંચ્યે જાય છે.”

એમ કહીને એણે સાચી રેખાઓ જેમાં ખેંચાયેલી છે એવી ધૂમકેતુની ‘શાંત તેજ’- વાળી વાત અને પેલા ઊંટ ઉપર પોતાની ધર્મબહેનની કથા કહેતા કોળી સાંઢણી-સવારની વાત અત્યંત પ્રેમપૂર્વક સંભારી. રેલગાડીના ચાલતા ડબ્બાના એક ખાનામાં ઝોલાં ખાતે ખાતે વાતો કરતું ભંગી-કુટુંબ ધૂમકેતુએ ‘શાંત તેજ’માં બતાવ્યું છે. એ કુટુંબીઓની વચ્ચે, પ્રત્યેકના ટોણાને ચૂપચાપ ઝીલતી, લાજના ઘૂમટામાં બેઠેલી વહુ ‘શાંત તેજ’ની જ્યોતિર્મય મૂર્તિ છે. સૌ કહે છે, કે ‘આ નભાઈ વઉ તો ભૂલકણી જ રહી. આ વઉ તો બોતડ જ રહી’. આખરે એ વહુ જ સર્વની જીવનદાત્રી નીકળે છે. એવી જ આબાદ તરેહનું ચિત્ર પેલી વાઘરણ છોકરીનું કોણ આપી શકે?

જીવનનો સંપર્ક સાધવા જનારા જીભવાળાઓ.

એને માટે રઝળપાટનો ‘સ્પિરિટ’ જોઈએ. ધૂમકેતુના જીવનમાં રઝળપાટનો જ્યાં સુધી મોકળો પટ હતો ત્યાં સુધી એણે ઊંટની પીઠ પરથી પણ વાર્તા ઉતારી. પણ દરેક માણસ જીવનભર તો થોડો જ રઝળપાટ કરી શકે છે? ને રઝળપાટ બંધ પડી ગયા પછી પણ જીવન ક્યાં આપણા ઉંબરમાં છોળો નાખતું મટી જાય છે? મતલબની વાત તો એ છોળો નાખતા જીવન સાથેનો સંપર્ક પકડવાની છે.

આવી આવી વાતો કરીને એ ‘રઝળુ’એ મોડી રાતે પોતાની કાળી નાની ટ્રંક, કેસરી કામળી ને થેલી ઉપાડ્યાં. સ્ટેશને જઈને એ સૂઈ રહ્યો હશે.

[ઑગસ્ટ ૧૯૩૮ની કલમ-કિતાબ નોંધોમાંથી સંકલિત સામગ્રી અહીં ‘પરિભ્રમણ (નવસંસ્કરણ) ખંડ ૧’ના પૃ. ૧૬૭-૧૬૮, ૫૪૨-૫૪૫ પરથી સાભાર ઉતારી છે. ઝવેરચંદ મેઘાણી સરખા વરિષ્ઠ લેખકે, ત્યારે હજી તો ઊગીને ઊભા થતા ચોવીસેકના તરુણ સ્વાતંત્ર્યસૈનિક અને લેખક મનુભાઈ પંચોળીની આ અક્ષરછબી ક્યાં ય એમનું નામ લીધા વિના આલેખી છે. (પાળિયાદના ધરતીકંપના રાહતકાર્યમાંથી પાછા ફરતાં એ મેઘાણી કને રોકાયેલ હશે.) હજુ ‘દીપનિર્વાણ’ નવલકથા આવી નથી અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં ઓસાણ સરખાંયે નથી ત્યારે આગળ ચાલતાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતને સ્વાયત્ત સાહિત્ય અકાદમી સંપડાવનાર દર્શકનું આ વિશેષ ચિત્ર એમના એકસો દસમા વર્ષપ્રવેશ(૧૫-૧૦-૨૦૨૩)ના ઉપલક્ષ્યમાં રજૂ કરવા સારુ અહીં પરંપરાગત પ્રમુખીયથી પરહેજ કરવું મુનાસીબ માન્યું છે. ચમત્કૃતિના પ્રલોભનવશ મથાળે લેખકનામ ગોપવ્યું છે તે દરગુજર કરવા વિનંતી.  − પ્ર. ન. શા.]

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; ઑક્ટોબર 2023

Loading

...102030...943944945946...950960970...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved