પૂજ્ય બાપુ,
તમને પત્ર લખવાની કલ્પના જેટલો રોમાંચ આપે છે, તેટલો જ સંકોચ મનને રોકી રહ્યો છે અને છતાં આજે તમારી સાથે વાત કરવી જ છે એ નિશ્ચય સાથે આ પત્ર.
બાપુ, તમને પ્રત્યક્ષ નથી મળી અને છતાં મારાં જીવનમાં નાનપણથી જ વણાઈ ગયા છો. તેનું કારણ કે નાનપણમાં સહુએ ખાદી જ પહેરવી એવો નિયમ બાપુજી(દાદા)એ રાખેલો. ઉપરાંત મારે દર ત્રણ મહિને પુસ્તકથી ભરેલો લાકડાંનો કબાટ એકલા હાથે જ સાફ કરવાનો, ઉંમરના 10માં વર્ષથી લીધેલ આ જવાબદારી 24 વર્ષની થઈ ત્યાં સુધી દાદાના ઘરે નિભાવી. પણ એને કારણે ચોપડીઓને પૂઠાં ચઢાવતાં – ચઢાવતાં, એ વંચાતી ગઈ અને તમારે પરિચય કેળવાતો ગયો. બાપુજી તમારા રંગે રંગાયેલા એટલે મોટાં ભાગનાં પુસ્તકો તમારા. આ ઉપરાંત પંડિત નેહરુ વિષે, કાકાસાહેબનાં, ફાધર વાલેસનાં, એવાં બીજાં પુસ્તકોથી કબાટ ખીચોખીચ ભરેલો હતો. ‘ચક્રમ’ અને ‘રમકડું’ અને બીજી ઘણી બધી વાર્તાઓ પણ મળતી. આ બધાનો ફાયદો એ થયો કે પુસ્તક જીવનમાં જોડીદાર બન્યાં.
મને તમારી સૌથી વધુ ગમી ગયેલી વાત કે ‘આત્માના અવાજને અનુસરવું’. અને ત્યારે નાનપણમાં એ વાક્યનો અર્થ બહુ નહોતી સમજી એટલે મારી મમ્મીને એ વાક્ય કહીને બહુ પજવતી. પણ બાપુ તમે જીવન ઘડતરનો ભાગ આયાસ વિના જ બની ગયા. સાચું કહું તો તમે મને સાહસિક બનાવી. કોઈ સાથે ઊભું ન પણ હોય, કોઈ સાથે પણ ન હોય ત્યારે પણ સત્ય સાથે ઊભા રહેતા તમે શીખવ્યું, બાપુ. અન્યાય માટે જાત ભોગે પણ લડતા શીખી છું. મૂલ્ય માટે ઊભી રહેતા શીખી છું. હા, એક પ્રશ્ન મૂંઝવે છે કે જ્યારે મારી લડત અન્યાય સામે હોય ત્યારે મોટાભાગના લોકો મારી સામે આશ્ચર્ય અને કુતૂહલતાથી જુએ છે, ત્યારે ક્ષણ માટે મને સમજાતું નથી, કે કેમ આટલી સહજ વાત અસહજ લાગે છે. પણ પછી પાછી પેલી આત્માને અનુસરવાની વાત મને બચાવી લે છે. બસ, આ આત્મા તમે કહ્યો છે એવો, છેલ્લે સુધી શુદ્ધ રહે તેમ ઈચ્છું છું અને તેવા આશીર્વાદ સદાકાળ આપજો.
આજે પણ ઘણીવાર ‘સત્યની શોધ’ કરતી વખતે મૂંઝવણ અનુભવાય છે અને ઘોંઘાટ વચ્ચે ખોટો રસ્તો પકડાઈ જશે એવો ડર પણ લાગે છે. આવા ‘ડર’નો સામનો કઈ રીતે કરવો તે હજી નથી સમજાતું, ત્યારે ફરી પાછી આત્માને અનુસરવાની વાત યાદ કરી લઉં છું. હા, જેમ તમને ‘રામ મંત્ર’ મળ્યો હતો તેવો મને ‘બાપુ મંત્ર’ મળ્યો, પણ આ પત્રનો ઉત્તર આપતી વખતે તમે જ જો આનો ઉકેલ આપો તો કેવું સારું !
બાપુ, તમે કેવા નસીબદાર છો કે તમારા મોટાભાગના અનુયાયીઓ તમારી હાકલ મુજબ દેશની સ્વતંત્રતા બાદ ભારતના ગામડે જઈ વસ્યા અને શિક્ષણના, સુધારાના, વિકાસ માટે અનેક પ્રયોગો કરતા રહ્યા. બાપુ, આજે એ લોકોની ઉંમર પણ 80ને વટાવી ગઈ છે. આ બધામાં બાપુ તમે મને મળ્યા છો. એ લોકોની આસપાસ મને તમારી ચેતનાનો અનુભવ થાય છે. તેમની આંખમાં, વાતમાં ભળી જાઉં એટલે બાપુ, તમારી સાથે જ હોઉં એવું લાગે છે. આ તરલાબહેન વેડછીમાં, ‘નાનીમા’ બારડોલીમાં, રમેશભાઈ કચ્છમાં કેટલું ય કામ કરે છે, જી.જી.એ મુંબઈમાં રહીને કેટલું કર્યું. મુંબઈના માલતી ઝવેરીએ પણ દામુભાઈ સાથે કેટલું કામ કર્યું. પણ બાપુ, પ્રશ્ન વર્તમાનનો છે. અત્યારે આ સમય કેમ આટલો વિખાઈ ગયો છે ?
‘સ્વ-અર્થે’ માત્ર અર્થને પ્રાધાન્ય આપવાનુ શિક્ષણ આજે પ્રસરી રહ્યું છે. શિક્ષણને કેળવણી નહીં, પણ ‘નોકરીનું સાધન’ માત્ર બનાવ્યું છે અને તેમાં કૌશલ, સદાચાર, નૈતિકતા અને એવું બધું જ હાંસિયામાં ચાલ્યું ગયું છે. કેટલાક પ્રયોગો ચાલે છે, એની ના નહીં, પણ તેનાં વહેણ સુકાઈ રહ્યાં છે. શિક્ષણમાં પ્રવેશેલી આ અરાજક્તા તમને ન જ ગમે. ગ્રેજ્યુએટ થયેલ 20 વર્ષનો યુવાન કે યુવતી જ્યારે આત્મવિશ્વાસ સાથે બોલતા અચકાય ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે, અર્થ માટે નૈતિકતાને કોરણે મૂકાઈ છે અને બાપુ, તમે આના માટે શું સૂચન કરત એ સતત વિચારું છું. સર્જનાત્મક વિચાર, સાહસ, નૈતિકતા, પ્રેમ આ શબ્દોએ વિદાય લીધી છે અને લઈ રહ્યા છે. યુવાનના મનમાં ભૌતિકતાસભર જીવનનાં સ્વપ્ન છે, દરેક વ્યક્તિ બધી સુવિધા પોતાના ઘરમાં ઈચ્છે છે, મારું જીમ, સ્વીમીંગ પુલ, ઘરમાં થિયેટર, ઘરમાં જ પોતાના પ્લાન્ટ સાથે ગાર્ડન વગેરે. સામૂહિક સગવડનું નિર્માણ અને એની જાળવણીની સામૂહિક જવાબદારી જેવા વિચારો નાગરિકશાસ્ત્રમાં શીખવવાનું વિસરાઈ ગયું છે. તમને ખબર છે તમારા મુંબઈના ‘મણિભવન’નાં ઘરે તમને શોધવા હું આવી હતી, પણ ત્યારે તમે મુંબઈ શહેરે આડાઅવળી ઊભી કરેલી ઈમારતો, સ્કાયબ્રીજ અને રેલવે બ્રીજ અને ખરાબ કરી નાખેલ સમુદ્ર અંગે પ્રજાને સમજાવવા અને વિકાસનો અર્થ સમજાવતા હતા. તેના અવળા પરિણામની ચેતવણી આપતા હતા. તમારું મન વ્યથિત હતું, મનુષ્ય જીવનને સ્વાવલંબી કરવાની વાત તમે ફરી ફરી સમજાવીને થાક્યા હતા, પણ તમે હાર્યા નહોતા જ. તમે આવી શક્તિનો વારસો અમને આપ્યો છે. પણ અમે તેને અત્યારે તો લાયબ્રેરીમા પૂરી દીધો છે. તમે જ કહો કે હવે શું કરવું. અમે ક્યાં ય ચૂક્યા છીએ અને કદાચ સદા ઉદાર રહ્યા જ છો અને અમારે મન પિતા, એટલે અત્યારે તો તમારા વિચાર વારસાને અનુસરવાની માત્ર શક્તિ નહીં પણ સાથે માર્ગ દેખાડો તેમ ઈચ્છું છું.
તમારી વાણીને ફરી સમજવાનો, જીવંત કરવાનો આ સમય છે. સહુ ફરી – ફરી ત્યાં જાય. તમારા જે અનેક અંશો આ પૃથ્વી પર વિસ્તર્યા છે, તેમની પાસે હું જાઉં અને તમને મળું ત્યારે તમારું સાહસ, શક્તિ અને સત્ય મને મળે, એવા આશીર્વાદ આપજો, બાપુ.
તમને સમજવામાં પ્રયત્નશીલ
સેજલ
10 ઑક્ટોબર, 2023
સૌજન્ય : “પ્રબુદ્ધ જીવન”; ઑક્ટોબર 2023; પૃ. 15-16