Opinion Magazine
Number of visits: 9457918
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક મહિલાનો ટંકાર

ઉમેશ સોલંકી|Poetry|24 July 2023

મારે વળાંક લેતી

ખળખળ કરતી નદી, નથી બનવું 

નથી બનવું ચંદ્રને ચોંટેલું ઉછીનું અજવાળું

ફૂલની કોમળતામાં હવે ખપવું નથી

ભમવું નથી હવે પવિત્રતાના અડકાદડકામાં

મોરપિચ્છને પણ આઘું રાખજો

થશે નહીં તો, એ ઘડીકમાં ભડકો

સંસ્કૃતિનું તો ન નામ જ લેતા

સદીઓ વીતી, પછી, ઠેઠ આજે જાણ્યું છે

ગરે છે મારા બે પગ વચ્ચે જે જગ્યા શોધી

એનું જ તો છે નામ સંસ્કૃતિ

ને ત્યારે, મારું પેટ શમે છે

એ બીજું શું છે, છે પ્રકૃતિ 

પણ સાંભળો,

સમાજના ઠેકેદારો, સાંભળો,

ધર્મના ધુરંધરો, સાંભળો,

રાષ્ટ્રના ફણીધરો, સાંભળો,

હવે, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ

સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ

હા, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ.

e.mail : umlomjs@gmail.com

Loading

આટલી ભયંકર તકરાર, છતાં અકબંધ મણિપુર સરકાર !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 July 2023

રવીન્દ્ર પારેખ

ત્રણ મહિના થવાના, પણ મણિપુરમાં શાંતિ નથી. આટલા સમયમાં 70 હજારથી વધુ લોકો ઘરબાર વગરના થયા છે. દોઢસોથી વધુ લોકોનાં મોત થયાં છે. આગ ચાંપવાના 5 હજારથી વધુ બનાવો બન્યા છે અને દુષ્કર્મની ઘટનાઓનો તો છેડો જ નથી જડતો. 6 હજારથી વધુ એફ.આઇ.આર. નોંધાઈ છે, તો એથી વધુ ધરપકડ થઈ છે. ટોળાંએ 200થી વધુ ચર્ચ અને 17 મંદિરો નષ્ટ કર્યાં છે કે તેને ક્ષતિઓ પહોંચાડી છે. મણિપુરના ગવર્નર અનસૂયા ઉકેઈએ કબૂલ કર્યું છે કે આટલી હિંસા તેમણે જિંદગીમાં જોઈ નથી, વિપક્ષોની માંગ છતાં નથી તો મુખ્ય મંત્રી બિરેન સિંહે રાજીનામું આપ્યું કે નથી તો રાષ્ટ્રપતિ શાસન લદાયું. 1993માં પણ મણિપુરમાં વંશીય હિંસાફાટી નીકળી હતી ને તે વખતના સી.એમ. દોરેન્દ્ર સિંહે સામેથી તત્કાલીન નરસિંહરાવ સરકારને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. અત્યારે 1993 કરતાં પરિસ્થિતિ વધુ વિકટ છે. બંધારણના ખંડ 18ની કલમ 356 મુજબ, બંધારણના સિદ્ધાંતોની અવગણના થતી હોય કે કલમ 365 મુજબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યના કાબૂ બહાર ગઈ હોય તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય. મણિપુરના મુખ્ય મંત્રી પોતે વડા પ્રધાન મોદીને કહેતાં હોય કે સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવાનો એક જ વીડિયો નથી, આવા તો સો છે, છતાં કેન્દ્ર સરકારને એમાં કશું અજુગતું લાગતું નથી તેનું આશ્ચર્ય છે.

આમ તો મણિપુરમાં મહિનાઓથી હિંસક બર્બરતા ફેલાયેલી છે, પણ 4 મેના, 19 જુલાઇએ વાઇરલ થયેલ એક વીડિયોએ દેશ-વિદેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. 3 મેને રોજ બે સ્ત્રીઓને જાહેરમાં નગ્ન ફેરવવામાં આવી અને તેમનાં અંગો જોડે બીભત્સ રમત રમવામાં આવી. તેમનાં પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ વીડિયો વહેલો પણ વાઇરલ થયો હોત, પણ મુખ્ય મંત્રીએ જ કહ્યું છે તેમ ઈન્ટરનેટ, એમણે રાજ્યમાં બંધ રાખ્યું હતું. ખુદ મણિપુરના રાજ્યપાલે રાજ્યમાં બનતી ઘટનાઓથી કેન્દ્રને વાકેફ કર્યું છે, છતાં કમાલ એ છે કે રાજ્ય અસુરક્ષિત છે ને મુખ્ય મંત્રી સુરક્ષિત છે. પીડિતાઓનો વીડિયો વાયરલ થયો ત્યારે પહેલી વખત વડા પ્રધાન સંસદની બહાર, દેશ આખો અપમાનિત થયાની તથા સંસ્કારી સમાજ શર્મસાર થયાની સંવેદના પ્રગટ કરે છે. એ સાથે જ સુપ્રીમકોર્ટના સી.જે.આઈ. ચંદ્રચૂડ પણ વીડિયો સંદર્ભે કેન્દ્ર સરકારને ચેતવણી આપે છે કે 28 જુલાઈ સુધીમાં સરકાર શું પગલાં ભરે છે તેની જાણ કરે અન્યથા સુપ્રીમ પોતે દખલ કરશે. સુપ્રીમે દખલ કરવી પડે એવી સ્થિતિ છે, છતાં સરકાર રાજનીતિનો મોકો છોડતી નથી. કોઈ રાજ્યમાં સ્ત્રીઓને નગ્ન ફેરવવાની સ્થિતિ આવી નથી, ત્યારે વડા પ્રધાન મણિપુરના વીડિયો અંગે દુ:ખ પ્રગટ કરવાની સાથોસાથ રાજસ્થાન અને છત્તીસગઢ અંગે ટિપ્પણી કરતાં કહે છે કે એ રાજ્યોમાં ય દુષ્કર્મની ઘટનાઓ બની છે. એ દુ:ખદ છે કે સૌથી ખરાબ સ્થિતિ મણિપુરની હોય, ત્યારે રાજસ્થાન અને છત્તીસગઢને આગળ કરીને મણિપુરની ઘટનાને મોળી કરવાનો પ્રયત્ન વડા પ્રધાન કરે છે, તે એટલે કે ત્યાં ભા.જ.પ.નું શાસન છે ને રાજસ્થાન ને છત્તીસગઢમાં કાઁગ્રેસનું શાસન છે. આ રાજ્યોની સરખામણી કરી મણિપુરની ઘટનાઓની ગંભીરતાને નજર અંદાજ કરવાનું, ત્યાંની સ્થિતિને વધુ વકરાવવાની મોકળાશ કરી આપનારું છે. ટૂંકમાં, કાઁગ્રેસી કે અન્ય રાજ્યોની તુલના કરીને તેને નીચું બતાવી, મણિપુર પર ગમે એટલો ઢાંકપિછોડો થાય તો પણ, ત્યાં જે હિંસા અને બર્બરતા રોજિંદી થઈ પડી છે, તે અભૂતપૂર્વ છે.

એક વાત સ્પષ્ટ છે કે મણિપુર હોય કે રાજસ્થાન કે છત્તીસગઢ, સ્ત્રીનું અપમાન કોઈ પણ દૃષ્ટિએ કે નીતિએ અસહ્ય જ બનવું જોઈએ ને એ અંગેની કાર્યવાહી નિરપેક્ષ રીતે ને ત્વરિત ગતિએ થવી જોઈએ. 4 મેની ઘટના 19 જુલાઈએ મીડિયામાં ફરતી થઈ ને વડા પ્રધાન 21મીએ સંવેદના પ્રગટ કરે ત્યારે પ્રશ્ન એ થાય કે મણિપુરના રાજ્યપાલે રાજ્યની સ્થિતિનો મોકલેલો અહેવાલ વડા પ્રધાન સુધી પહોંચ્યો જ નહીં હોય, શું? કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બબ્બે વખત મણિપુર જઇ આવ્યા હોય ને ત્યાં સર્વપક્ષોની મીટિંગ લીધી હોય, એ શું વડા પ્રધાનની જાણ બહાર હશે? કહેવાનું તો એ પણ થાય કે વંદે ભારતને લીલીઝંડી બતાવવાનું એકાદ વખત રેલવે મંત્રીને સોંપીને, વડા પ્રધાન એક આંટો મણિપુરનો પણ મારી આવ્યા હોત તો ત્યાંની પ્રજાને આશ્વસ્ત થવાનું બન્યું હોત ! મણિપુર, અમેરિકા કે ફ્રાંસ કરતાં પણ દૂર હતું કે ત્યાં સુધી પહોંચવાનું વડા પ્રધાનને મુશ્કેલ લાગ્યું? કદાચ વડા પ્રધાન એ વિશ્વાસે રહ્યા હશે કે ત્યાં તો ભા.જ.પ.નું શાસન છે તો મુખ્ય મંત્રી બિરેન સિંહ સાચવી લેશે. એ જુદી વાત છે કે બિરેન સિંહે જ સો વીડિયોની વાત કરીને વડા પ્રધાનને આઘાત આપ્યો. જો કે, કુકી મહિલાઓનો વાયરલ વીડિયો જોઈને કોઈ નિર્ણય પર ન આવવાનું મૈતેઈ સમુદાયનું કહેવું છે, કારણ મૈતેઈ સ્ત્રીઓએ પણ ઘણું વેઠ્યું છે.

જો કે, વાઇરલ વીડિયો સામે આવ્યા પછી સાતેક જણની ધરપકડ કરવામાં આવી છે. એ વીડિયોમાંની એક સ્ત્રીનો પતિ, સરહદ પર કારગિલ યુદ્ધ લડી ચૂકેલો નિવૃત્ત સૂબેદાર છે. એણે એ વાતે દુ:ખ પ્રગટ કર્યું કે દેશની સુરક્ષા કરનાર, તેની પત્નીની સુરક્ષા ન કરી શક્યો. જીવ બચાવવા એ બે સ્ત્રીઓ સંબંધીઓ સાથે ભાગી છૂટી ને થોબલ પોલીસને શરણે પહોંચી. પોલીસ તેમને પોલીસ મથકે લાવે તેનાં બે કિલોમીટર પહેલાં ટોળું ત્યાં પહોંચ્યું અને પોલીસના કબજામાંથી છોડાવીને સ્ત્રીઓને ખેંચી ગયું. એ પછી સ્ત્રીઓને મારી નાખવાની ધમકી આપીને નગ્ન થવાની ફરજ પાડવામાં આવી. આનો પિતા અને ભાઈએ વિરોધ કર્યો તો તે બંનેની હત્યા કરી દેવામાં આવી. એમાંની એક સ્ત્રીનું કહેવું છે કે પોલીસે તેમની મદદ કરવાને બદલે ટોળાંને હવાલે કરી દીધી. આ સંદર્ભે મુખ્ય મંત્રી બિરેન સિંહ તો દોષિતોને ફાંસીની સજાની ભલામણ કરે છે, પણ અત્યાર સુધી તો એ વાતો જ છે.

અહીં સવાલોનો સવાલ એ થાય કે મણિપુરમાં આટલી હિંસા વકરી કેમ? એને માટે મણિપુરની ભૌગોલિક સ્થિતિ જાણવી જરૂરી છે. 38 લાખની વસ્તીવાળા મણિપુરમાં મુખ્યત્વે મૈતેઈ, કુકી અને નાગા સમુદાય વસે છે. મૈતેઈ મોટે ભાગે હિન્દુ છે, જ્યારે નાગા – કુકી ખ્રિસ્તી છે. મૈતેઈ મણિપુરની રાજધાની ઇમ્ફાલની ખીણમાં વસે છે. મૈતેઈ 50 ટકાથી વધુ છે ને તે ખીણના 10 ટકા વિસ્તારમાં રહે છે, જ્યારે બાકીની પ્રજા રાજ્યના 90 ટકા પર્વતીય વિસ્તારોમાં રહે છે. કુકી અને નાગાને આદિવાસી હોવાને નાતે વિશેષ દરજ્જો મળ્યો છે. ‘લેન્ડ રિફોર્મ એક્ટ’ને કારણે મૈતેઈ સમુદાય કુકી વિસ્તારોમાં વસી શકતો નથી, જ્યારે કુકી-નાગા સમુદાયને ખીણ પ્રદેશમાં પ્રવેશવાની બંધી નથી. મૈતેઈની માંગ છે કે તેમને પણ આદિજાતિનો દરજ્જો આપવામાં આવે. તે માટે હાઇકોર્ટમાં અરજી પણ થઈ છે ને કોર્ટે રાજ્ય સરકારને ભલામણ પણ કરી છે કે મૈતેઈને અનુસૂચિત જનજાતિ – STમાં સમાવવામાં આવે. મૈતેઈ માને છે કે કુકીને તો મ્યાનમારથી અગાઉના રાજાઓએ યુદ્ધ લડવા બોલાવ્યા હતા, જે પછી અહીં જ સ્થાયી થયા. આ લોકોએ જંગલો કાપીને અફીણની ખેતી કરી છે. આ બધું છડેચોક ચાલે છે ને એને લીધે નાગા ને કૂકી વચ્ચે પણ સંઘર્ષ ચાલે છે ને એ બંનેને, મૈતેઈને અનામતનો લાભ મળે એનો વાંધો છે. વાંધો એટલે કે વિધાનસભાની 60 બેઠકોમાંથી 40માં મૈતેઈનું વર્ચસ્વ છે. આવામાં જો એને અનામતનો લાભ મળે તો કુકી-નાગાના અધિકારોમાં ભાગ પડે. આ મુદ્દે મણિપુરમાં સંઘર્ષ વધ્યો છે. ઇમ્ફાલથી 63 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલા ચુરાચાંદપુર જિલ્લાથી 28 એપ્રિલે અથડામણ શરૂ થઈ. 3 મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયને મૈતેઈ સમુદાયની વિરુદ્ધ ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી. આ કૂચે જાતિ સંઘર્ષનું રૂપ લીધું ને મૈતેઈ અને કુકી સામસામે આવી ગયા.

આમ જોઈએ તો આ બે સમુદાય વચ્ચેનો સંઘર્ષ છે, પણ તેનો છેડો સ્ત્રીઓનાં અપમાનથી આવે છે. બંને સમુદાયની સ્ત્રીઓ આમાં કેટલી જવાબદાર છે, તે તો નથી ખબર, પણ તેણે એવો જઘન્ય અપરાધ તો કર્યો જ નથી કે તેને નગ્ન કરીને તેને પરેડ કરાવવી પડે. વડા પ્રધાન અન્ય રાજ્યોની સ્ત્રીઓનાં અપમાનની યાદ અપાવે કે મૈતેઈ સમુદાયના લોકો તેમની સ્ત્રીઓએ પણ વેઠ્યું છે એની વાત કરે તો અમુક સ્ત્રીઓનું શોષણ ક્ષમ્ય છે એવો અર્થ ન જ થાય. કોઈ પણ જાતિ, ધર્મ કે કોમની સ્ત્રી હોય, તેનું કોઈ પણ રીતનું અપમાન કેવળ ને કેવળ અક્ષમ્ય છે અને તેની સજા તે અપમાન કરનારને મળવી જોઈએ એટલું જ અહીં કહેવાનું છે. આપણે બધાં જ સ્ત્રીનાં સન્માનની વાતો કરીએ છીએ ને સાથે જ અપમાન કરવામાં ય સંકોચ નથી અનુભવતા. આ આજનું નથી. પરાપૂર્વથી ચાલ્યું આવે છે.

શૂર્પણખાનું નાક વાઢીને તેનું અપમાન લક્ષ્મણે કર્યું, પણ રાવણે, લક્ષ્મણને આંગળી પણ અડાડ્યા વગર અપહરણ સીતાનું કર્યું. એ સીતાનું જેણે રાવણનું કૈં બગાડયું ન હતું. દ્યુત પાંડવો હાર્યા, પણ ચીરહરણ તેમનું ન થયું, એનો ભોગ દ્રૌપદી બની. આવાં તો કૈં ઉદાહરણો છે. પુરુષે, પુરુષ જોડે બદલો લેવો હોય તો તે, તેની સ્ત્રીનાં અપમાન દ્વારા લેવાતો હોય છે. એમાં કોઈ દેશ, કોઈ રાજ્ય, કોઈ જાતિ, કોઈ ધર્મ અપવાદ નથી, જ્યારે આ તો નાનું મણિપુર છે, એની સરકાર સ્ત્રીઓને નગ્ન ફેરવીને, ઢાંકપિછોડો તો પોતાનો કરે છે. આ લખાય છે ત્યાં સુધી તો સરકારનો વાળ પણ વાંકો નથી થયો, એ જ બતાવે છે કે સરકાર માત્રના ચાવવાના ને બતાવવાના જુદા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2023

Loading

ઊંચી મેડી મારા સંતની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|23 July 2023

અસ્મિતાપર્વ – ૧૭માં હાજરી આપવા અસ્મિતાપર્વની શરૂઆત થાય તે પહેલાની સાંજે જૂનાગઢથી હું મહુવા ગુરુકૂળમાં જઈ ચઢયો. ગુરુકૂળના આંગણમાં સાંજ ઢળતા સાહિત્યકારો અને શ્રોતાઓ પોતપોતાનું ટોળું બનાવી, ભોજનાલયના દ્વાર ખૂલવાની રાહ જોતા અલકમલકની વાતો કરતાં ઊભાં હતાં. હું પ્રથમ વાર અમેરિકાથી અસ્મિતાપર્વમાં અને આ ગુજરાતી સાહિત્યના જિંદગીના પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યો હતો. એટલે મારે તો મારું અસ્તિતવ જાળવી, મારે ખુદના એકલા ટોળામાં સાવ એકલું એક કોર કોઈ બોલાવે તો તેની સાથે બેસવાનું હતું. મને તો ત્યાં કોઈ ઓળખતું નહોતું. જેવી હરિ ઈચ્છા, કોઈક તો મળી જશે! આ વિચાર સાથે હું ગુરુકૂળના દ્વાર પાસેના એક પગથિયા પર એકલો બેઠો હતો. એવામાં થોડેક દૂરના એક ટોળાંમાંથી કોઈએ મને સાદ પાડ્યો, ‘મિત્ર, આવી મજાની ઝરમર વરસતી સાંજે દૂર સાવ એકલા કેમ બેઠા છો?, અહીં આવોને અમારી સાથે …. તમે પણ આ મલપતી મહેક ભીની સાંજની મજા માણી શકો છો! પ્રેમ ભર્યો મીઠો ટહુકો કાને પડતા ક્ષણવાર માટે તો મને મનમાં થયું કે મને આટલાં પ્રેમથી બરકી રહેલ આ વ્યક્તિ શું ખરેખર મને ઓળખતી હશે? હજી હું તેમની પાસે જઈ ચડું તે પહેલાં શ્વેત ઝભો અને શ્વેત લેંઘાધારી, કાળી ફ્રેમના ચશ્માંમાંથી નેહ નીતરતી આંખોવાળી, હોઠોમાં મરક મરક મલકતી વ્યક્તિ ઉષ્મા સાથે મારી પાસે આવી, મારો હાથ ઝાલીને મને મિત્રોનાં ટોળાં પાસે લઈ ગઈ.

મને પોતાનો પરિચય આપતા કહ્યું, મિત્ર, હું ભાવનગરથી આવું છું અને મારું નામ છે ગુણવંત ઉપાઘ્યાય. મેં મારો પરિચય આપતા કહ્યું, વડીલ બંઘું, હું અમેરિકાથી આવું છું. મારું નામ પ્રીતમ લખલાણી છે. મારી સાથે હસ્તઘૂનન કરતા, ગુણવંતભાઈ કહે કે મિત્ર, મેં તમારી કવિતા ‘કવિતા’માં અને બીજાં બે ચાર સામયિકોમાં વાંચી છે. પછી કહે કે મિત્ર, એક સાવ સાચી વાત કહું છું કે મેં તમારી કવિતા વાંચી ત્યારે મનમાં એમ હતું કે તમે સુરેશ દલાલની ઉંમરના હશો! પણ અત્યારે તમને જોઈને હું આભો જ બની ગયો. મને લાગે છે કે તમે તો મારા કરતાં પણ ઘણાં નાના હશો? કેટલાં વરસથી અમેરિકામાં છો?, “મને અમેરિકામાં ૩૪ વરસ થઈ ગયાં, કદાચ, ગુણવંતભાઈ, તમે મારા કરતાં નાના હશો?, મને કહે કોઈ શકયતા જ નથી, મેં કહ્યું, સાહેબ, મને ૬૨મું ચાલે છે, ગઈ કાલે સાંજે મેં હેમંત નાણાવટીને કહ્યું તો તે પણ માનવા તૈયાર નહોતા. મને કહે પ્રીતમભાઈ, તમે શરીરની કાળજી સારી રાખી છે, તમે તો બહુ ફિકરથી જિંદગીને જીવી નાંખી! મેં કહ્યું, વડીલ, સાચવવા કરતાં જીવવાનો આનંદ તો ક્યાં ય વધારે હોય છે. મિત્ર હું મારા શ્વેત વાળને કારણ છું તેના કરતાં વઘારે ઉંમરમાં દેખાવ છું. એટલે આપણે કોઈ વડીલ કે સાહેબ નહીં પણ આજથી ફકત એક મિત્ર.

ત્યાં જ ભોજનાલયનો દ્વાર ખુલ્યો અને હરિ હરનો સાદ પડે અને બાવા દોડે તેમ ટોળાંએ દોડ મૂકી. મને ગુણવંતભાઈ કહે, મિત્ર, આપણને કોઈ ઉતાવળ નથી. આપણે નિરાંતે જઈશું, બઘાંને જમી લેવા દો જમવાની બિલકુલ ચિંતા ના કરશો. બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. જમી કરી અમે ગુરુકૂળની લીલી લોનમાં આવ્યાં. લોનમાં ચારેકોર મિત્રો પોત પોતાનાં ટોળાં બનાવીને બેઠાં હતાં. અમે પણ એક ખૂણામાં ચાર પાંચ મિત્રોનું એક ટોળું બનાવી બેઠા ન બેઠા, એવામાં ગોઘરાથી ગઈ રાતે ભાવનગર ઘોઘમાર વરસાદમાં કવિસસંમેલનમા કાવ્ય પાઠ કરીને, ગુણવંતભાઈના ઘરે મહેમાન બનેલા કવિમિત્ર કુમાર જૈમિની શાસ્ત્રી અને વિનોદ ગાંઘી પણ આવી ચઢ્યા. તે મિત્રો સાથે અલક મલકની વાતોમાં પરોવાઈ ગયા.

ગઈ રાતે જૂનાગઢમાં હું મિત્ર સાથે મોડી રાત લગી જાગેલો અને વહેલી સવારે નીંદર ઊડી જતાં જાગી ગયેલ હોવાને કારણ મને વહેલી સાંજથી બગાસાં આવતાં હતાં. આ જોઈને જૈમિની શાસ્ત્રીએ કહ્યું મિત્ર, તમે અમારી વાતમાં બોર તો થતાં નથી ને? મેં કહ્યું, ના સાહેબ, ગઈ રાતે કારણ વગર જાગરણ થયું. વળી આજ સવારથી એક કપ ચા મળેલ નથી. બસ અત્યારે એકાદ કપ ચા મળી જાય તો હું ફ્રેશ થઈ જાઈશ. ગુણવંતભાઈ મને, કહે કે અત્યારે ગુરુકૂળમાં તો ચા મળવાની કોઈ શક્યતા નથી, પણ જો તમારે ખરેખર ચા પીવી જ હોય તો આપણે ચા માટે ગામમાં જવું પડશે! જૈમિની શાસ્ત્રી કહે, “પ્રીતમભાઈ, તમે અમારા મહેમાન કહેવાવ, ગમે તેમ અમે તમને ચા પીવડાવશું. ચાની ચિંતા તમે મારા પર છોડી દો.” ગુણવંતભાઈ કહે, જૈમિની, ચા પીવા તો ગામમાં જવું પડશે, ગામ કૈ નજીક નથી એકાદ દોઢ કિલોમીટર જેટલું તો દૂર, ખરું? જો તમે “કારની સગવડ કરો તો આપણે જઈએ,’ જૈમિનીભાઈ કહે, કારની સગવડ તો હું કરી દઉં છું તેમાં કયાં મોટી કોઈ ઘાડ પાડવાની છે? આમ કહી તે કારની સગવડ કરવા માટે ગોઠવાણા. થોડી વારમાં જૈમિની શાસ્ત્રીજી અજયસિંહ ચૌહણને લઈને આવ્યા, અને કહે કે મણિલાલ પટેલ નિરાંતે સૂઈ ગયા છે. તેની કારની ચાવી અજયસિંહ પાસે છે. અજયસિંહ આપણને ગામમા ચા પીવા માટે લઈ જશે. કારમાં અમે ઘેટાં પુરાય તેમ છ મિત્રો પુરાણા. એવામાં એક કવિ ક્યાંકથી હડી કાઢતો અમારી કાર પાસે આવ્યો, અને અજયસિંહને કહે કે દરવાજો ખોલો, મારે પણ ચા પીવા માટે આવવું છે. કારમાં જગ્યા હતી નહિં એટલે વિનોદ ગાંઘી કહે, કવિ તમે એમ કરો જૈમિનીભાઈના ખોળામાં બેસી જાવ, આ સાંભળીને શાસ્ત્રીજી કહે, વિનોદ તું કેમ ભૂલી જાય છે કે તું મારા ખોળામાં બેઠો છો. ત્યા એક લકડી કવિએ કોઈને પૂછયા વિના કારમાં પોતાની જાતને ઝંપલાવી દીઘી. ગુણવંતભાઈએ, કવિને ખોળામાં જાણે ગણપતિને સ્થાન દેતા હોય તે રીતે અમને હસતાં હસતાં કહ્યું, મિત્રો, સાંકડ મોક્ડ બેસી જાવને, ગામ ક્યાં દૂર છે?. કવિ મારી અને ગુણવંતભાઈની વચ્ચે ગોઠવાણા. એટલે મેં પૂછ્યું કવિ તમારું નામ શું છે? મને કહે સાહેબ, હું સોલીડ મહેતા છું અને સુરેન્દ્રનગરથી આવું છું.

અમે વાજતે ગાજતે મહુવા ગામના ચોકમાં પહોચ્યા, તો બે ચાર ચાની લારીઓ સાથોસાથ દસપંદર લારીઓ પેટ્રોમેક્ષના અજવાળે ખાવાની સામગ્રી લઈને ઊભી હતી. ચાની લારીઓ પેટ્રોમેક્ષ બુઝાવીને ઘરે જવાની તૈયારીમાં હતી. ગુણવંતભાઈએ ઘડિયાળમાં જોયું તો રાતના બાર વાગવા આવ્યા હતા. અમને ત્યાં આવેલ જોઈ અસ્મિતાપર્વમાં આવેલા બીજા પંદર વીસ ચાના રસિયા જે અમારી પહેલાં ત્યાં ચા પીવા માટે પહોચેલા, તે મિત્રોએ અમને જાણ કરી કે અમે કયારના અહીંયા ચા પીવા માટે આવ્યાં છીએ પણ બઘી ચાની લારી ઘરે જવાની તૈયારીમાં છે. ચાની તલપ તો અમને સમી સાંજથી લાગી છે. કોને કહેવાય, અને કરીએ પણ શું? કોઈ લારી વાળો ચા બનાવવા તૈયાર નથી.

ગુણવંતભાઈએ કહ્યું, મિત્રો, જરા ઘીરજ રાખો હું એકાદ ચાવાળા પાસે જઈને વાત કરું છું. ગુણવંતભાઈએ થોડેક દૂર ઊભેલા એક ચાવાળા પાસે જઈને કહ્યું, કે સાહેબ, ચા નહીં પીવડાવો? અમે અસ્મિતા પર્વમાં આવ્યા છીએ. બાપુના ગામમા આવીએ અને આમ ચા પીઘા વિનાના અમે અમારે ગામ પાછા ચાલ્યા જઈએ એ તો તમને ખરાબ લાગે અને બાપુ પણ આ વાત કોઈ પાસેથી સાંભળશે, તો તેમને પણ કેવું લાગશે? ચા વાળો કહે કે ભાઈ, તમારી વાત સાચી છે પણ અત્યારે ઘણું મોડું થઈ ગયું છે. એટલે  તમને ના પાડું છું. ગુણવતંભાઈ કહે કે દોસ્ત, તમારી વાત સાચી છે, દિવસ આખો આ આકરા ઉનાળામાં ચા બનાવીને તમે થાકી ગયા હશો પણ ખાસ અત્યારે અમારે તમારી રેકડી પર ચા પીવા આવવાનું કારણ પેલા સૂટબુટમાં દેખાતા સાહેબ છે. તે અમેરિકાથી ખાસ અસ્મિતા પર્વમાં આવેલ છે. તેમણે અમેરિકામાં કોઈ મિત્ર પાસે સાંભળ્યું હશે કે મહુવા જાવ ત્યારે તમે ત્યાં જલારામ રેકડીવાળા રસિકભાઈની ચા પીવાનું ભૂલતા નહીં. સાહેબ સમી સાંજથી રસિકભાઈની રેકડીએ ચા પીવા જઈએનું રટણ લઈને બેઠા હતા. સાહેબની ઈચ્છાને કારણ અમે અત્યારે અહિંયા ચા પીવા લાંબા થયા છીએ. સાહેબ પાછા કાલે ચાલ્યા જવાના છે, દોસ્ત અમે તો મહુવા પાછા આવશું ત્યારે તમારી રેકડીએ ચા પીવા આવશું પણ સાહેબ પાછા કયારે આવશે તે તો ભલા રામને ખબર?

રસિકભાઈ કહે કે અરે! ભલા માણસ પહેલાં ફાટવું હતું ને કે વાત આમ છે. સાહેબ તો આપણા મહેમાન કહેવાય. આપણા એવા ભાગ્ય કયાંથી કે છેક દૂર દેશથી મહેમાન આપણા ઘરે સામે ચડીને ચા પીવા આવે.  આમ કહી તેણે બંધ પડેલા સ્ટવમાં બે ચાર પંપ મારી સ્ટવ ચાલુ કરી, ઘોયેલ એક મોટી તપેલીમાં વીસ પચ્ચીસ કપ ચા મૂકી દીઘી. થોડી જ વારમાં રસિક્ભાઈના દસબાર વરસના છોકરાએ અમારા હાથમાં ચા’ના ભરેલા કપ મૂકી દીઘા. બીજા મિત્રો ચાના પૈસા રસિક્ભાઈના હાથમાં મૂકે તે પહેલાં ગુણવંતભાઈએ ઝભાના ખિસ્સામાંથી પાંચસોની એક નોટ કાઢી રસિકભાઈના હાથમાં પકડાવતા કહ્યું, કે આ બઘાં મિત્રોના પૈસા આમાંથી લઈ લેજો. હું અને બીજા મિત્રો આ દરિયા દિલી માણસની ઉદારતાને નિહાળતા ચાના મીઠા ઘૂંટડા લેવા માંડયાં.

ચાના મીઠા ઘૂંટડા લેતા ગુણવંતભાઈએ કહ્યું, તમે અહીંથી ભાવનગર જવાના છો? મે કહ્યું, હા સાહેબ,   ભાવનગરમાં મારા મિત્ર માય ડીયર જયુએ (જંયતીભાઈ ગોહેલે) અને પર્થિક પરમારે મારા એક બે કાર્યક્રમ ગોઠવેલ છે. બહુ સરસ, પણ તમારો ઉતારો કયાં છે? ખરું તો મિત્રોએ જયાં ગોઠવ્યું હશે ત્યાં આપણે જવાનું હશે! પણ અત્યારે મારી પાસે તેની કોઈ માહિતી નથી. ગુણવંતભાઈ કહે કે, મિત્ર એમ કરોને, તમે ખુશીથી મારે ઘરે પઘારો, મારું ઘર દ્વારકાઘીશનો મહેલ નથી, પણ આનંદ પ્રમોદ પ્રેમથી કરી શકીએ તેવી સુદામાની કુટિર છે. તમને મજા આવશે. આમે ય ઘરે હું સાવ અત્યારે એકલો છું. ચાર પાંચ છ દિવસ માટે બઘા ફરવા ગયા છે. આપણે ખાશું પીશું અને સાહિત્યની અવનવી વાતો કરી ગમતાનો ગુલાલ કરશું.

ગુણવંત ઉપાધ્યાય

હનુમાન જંયતીના લાડવા ને ભજિયાંનું અસ્મિતાપર્વનું છેલ્લું ભોજન કરી અમે ગુરુકૂળથી ભાવનગર તરફ  જવા કારમાં કવિ કમલ વોરા, વિરેન મહેતા અને ગીતાબહેન નાયક નીકળ્યાં. આ મિત્રો મને ભાવનગર ઉતારીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થવાના હતા કારણ કે તેમની છ વાગ્યાની અમદાવાદથી મુંબઈ જવાની ફલાઈટ હતી.

ચૈત્ર મહિનાની ખરે બપોરે કવિ ગુણવંત ઉપાધ્યાય ભાવનગર એરપોર્ટ માર્ગ પર તેના અપાર્ટમેન્ટની બહાર એક પાનવાળાની દુકાને મારી રાહ જોતા ઊભા હતા. જેવી અમારી કાર તેના અપાર્ટમેન્ટ પાસે આવીને ઊભી રહી, એટલે કવિએ દરવાજો ખોલી અંદર બેસેલા ત્રણે મિત્રોને આવકારતા ઘરે ચા પાણી પીવાનું આંમત્રણ આપતા કહ્યું, મને આ લાભ આપશો તો આંનદ થશે. મિત્રોને અમદાવાદ ઍરપોર્ટ પહોંચવાની ઉતાવળ હોવાથી બીજી કોઈવાર ચા પીવા નહીં, પણ જમવા જ આવીશું એમ કહી, કવિની રજા લઈ તેઓએ કારને અમદાવાદ તરફ હાંકી મૂકી.

મારી એક મોટી બેગ ગુણવંતભાઈએ પોતાના હાથમાં લઈ લીઘી અને બગલ થેલો ખભે નાખી મને કહે કે તમે મારી પાછળ ઘીમે ઘીમે ચાલ્યા આવો. આપણે છેક ચોથે માળે જવાનું છે. દાદરા ચઢતા સહેજ ઘ્યાન રાખ જો, જો ભૂલથી પણ પગ છટકયો તો સીઘા છેક નીચે, અમે ચોથે માળે તેમના ઘરે પહોંચ્યા ત્યારે મને સમજાણું કે તેમની વાત ખરેખર સાચી હતી. ગુણવંતભાઈએ મને કહ્યું કે દોસ્ત, ગિરનાર ચઢવો સરળ છે પણ આ ચોથે માળ તમે પહોંચશો, ત્યારે ખબર પડશે કે અમે કેમ દિવસમાં દસવાર આ પગથિયા ચઢ  ઉતર કરીને જતા હશું. હું જ્યારે  ચાર માળના પગથિયાં ચઢીને તેમના દ્વારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ દેશમાં સામાન્ય માણસનું જીવન કેટલું કપરું છે.

મેં મારી જિંદગીમાં આજ પ્રથમવાર જોયું કે કવિ અને સામાન્ય માણસની જિંદગીમાં પારાવાર યાતના અને મુશ્કેલી ભરી હોવા છતાં આ દેશમાં માણસ કેટલી ખુશી – આનંદ સાથે જીવે છે! મારી બેગ અને બગલ થેલાને એક ખૂણામાં મૂકતા કવિએ મને કહ્યું, તમે જરા નિરાંતે હિંચકે બેસો, એમ કહી  તેમના ઘરે મારું આગમન થાય તે પહેલાં લાવી રાખેલ બિસલેરીની એક બોટલમાંથી ગ્લાસમાં મને ઠડું પાણી આપી, કહે જરા આરામથી બેસો, એમ કહી બેડ રૂમમાંથી એક તકિયો લાવી, મને આપી, કહે તમે જરા હાથ પગ ઘોઈને ફ્રેશ થાવ એટલે હું ચા મૂકું છું.

કવિનું ઘર બહુ જ સામાન્ય હોવા છતા હું ક્ષણે ક્ષણે અનુભવતો હતો કે આ જ સુખનું સાચું સરનામું છે. કવિએ સરસ મજાની ચા સાથે ભાવનગરના ખાસ પ્રખ્યાત આખા ભરેલાં બટેટાનાં ભજિયાંનો મને ગરમા ગરમ નાસ્તો કરાવી, મારી સાથે અલકલમલકની વાતે વળગ્યા.

સમી સાંજે એક ભાઈ હાથમાં ગિટાર લઈને તેમના ઘરે આવી ચઢ્યા. તેમની સાથે મારો પરિચય કરાવતા કહે, આ ભાઈ છે ડૉ. ફિરદોસ દેખૈયા. તમે તેના દાદાના નામથી પરિચિત હશો. બેન્ડ માસ્તર માનનીય ગઝલકાર,’ હું માગું તો તારી ખુદાઈ દૂર નથી’ ગઝલના રચયિતા નાજીર દેખૈયાના પૌત્ર છે. ફિરદોસભાઈએ ગિટાર પર પોતે બનાવેલ તર્જ સાથે બેચાર ગઝલ પોતાના કંઠે સંભળાવી, મેં કહ્યું મજા આવી ગઈ. એટલે ગુણવંતભાઈએ મને પૂછયું, મિત્ર ભૂખ લાગી હશે, તો પછી ચાલો, આપણે જમવા જઈએ. મેં માથું ધુણાવી હાનો સંકેત કર્યો, એટલે કવિ બે મિનિટમાં તૈયાર થઈ ગયા. તેમણે અમને પૂછયું ગુજરાતી થાળી ખાશું કે પછી પંજાબી? અમે કહ્યું તમારી ઈચ્છા મુજબ તમને ગમતી રેસ્ટોરન્ટમાં આપણે જઈએ. તેમણે ગાડીને રંગોલી રેસ્ટોરન્ટ તરફ દોડાવતા મને કહ્યું હું હજી નવો શિખાવ ડ્રાઈવર છું. આજે બીજી વાર ગાડી રસ્તા પર દિવસમાં દોડાવુ છું, પણ બિલકુલ ચિંતા ન કરતા તમને કોઈ તકલીફ વિના રંગોલી પહોંચાડી દઈશ. અમે ત્રણે મિત્રોએ રંગોલીમાં ભૂખ હતી, તેના કરતાં વઘારે ખાઘું. રંગોલીનું મોટું બીલ હું ચૂકવું તે પહેલાં ગુણવંતભાઈએ વેઈટરના હાથમાં પાંચ છ પાંચસોની નોટ પકડાવી દીઘી. સવારે હજી હું ઊઠું અને તૈયાર થાઉં તે પહેલાં તેમણે ટેબલ પર જલેબી ફાંફડા સાથે ચાની તૈયારી તો કરી રાખી હતી અને નાવા માટે બાથરૂમ સાફ કરી મારા માટે નહાવા એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા સ્ટવ પર કવિએ મૂકી દીઘેલ.

આ પછી મારે ભાવનગર સાત આઠ વરસમાં પાંચ-છ વાર જવાનું બન્યું હશે. ઈશ્વરની ઈચ્છાથી કોઈને કોઈ કારણ મારે ગુણવંતભાઈના ઘરે બે ત્રણ વાર  ફરી મહેમાન થવાનું સદ્ભાગ્ય  સાંપડ્યું હતું. ગુણવંતભાઈનું ઘર તો પંખીનો માળો, આ માણસનો રોટલો અને ઓટલો એક સંતના ઘરની જેમ મોટો, ફકત કવિ જ નહિં તેમના ઘર્મપત્ની, દીકરો અને દીકરાની વહુ, ગુજરાતીનાં પ્રાઘ્યાપક ડો. જીતલ ઉપાઘ્યાયની તો વાત જ શું કરું?  ઉત્સાહનું લીલુ તોરણ! માણસ ભૂખ્યા, ઉંબરે માણસ મહેમાનનો દરવાજે ટકોરો સાંભળે અને આખું ઘર ઊમળકા ભેગું હડી કાઢતું મહેમાનને આવકારવા દોડી આવે નહીં તો ગુણવંતભાઈનું ઘર શેનું!

અમેરિકામાં હું ઘણાં મિત્રોના મહેલ જેવા મોટા મકાનોમાં મહેમાન થયો છું. પણ મેં કયારે ય કોઈ દિવસ તેમના મહેલોમાં ઘર જેવી લાગણી અનુભવી નથી. ગુણવતંભાઈના ઘરે ગયો છું ત્યારે પાછા ફરતા મનમાં થાય કે  આજ હું પંખીના માળેથી જીવતરના ટહુકાનો આંનદ લઈને પરદેશ પાછો ફરી રહ્યો છું. તેમનું ઘર ખરા અર્થમાં ઘર છે, કોઈ ઈંટ ચૂનાનું મકાન નહિં. એટલે જ તેમના ઘરેથી અમદાવાદ પાછા ફરતા મેં ઘર નામક એક કાવ્ય બસમાં લખ્યું હતું. તે કાવ્ય મેં ‘કુમાર’ની બુઘસભામાં ઘીરુભાઈ પરીખને વાંચવા આપ્યુ ત્યારે ઘીરુભાઈ, હર્ષદ ત્રિવેદી અને પ્રફુલ રાવળ કાવ્ય સાંભળીને ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. કાવ્ય અછાંદસ હોવાથી ઘીરુભાઈએ કુમારમાં નહીં પણ કવિલોકમાં પ્રગટ કર્યું હતું. કાવ્ય પ્રાગટ્યનું કારણ કવિ તમે અને તમારું ઘર નિમિત્ત બન્યા હતા. તેનો આનંદ હું શબ્દમાં કેમ પ્રગટ કરું? શું પ્રેમ લાગણી કે કવિતા શબ્દમાં પ્રગટ થઈ શકે ખરી?

કવિ, છેલ્લી વાર હું અને કવિ ડૉ. પરેશ સોંલકી તમારે ઘરે આવી ચઢેલા, ત્યારે આપણે સવારે જલેબી ફાંફડાના નાસ્તા સાથે ચા પીતા સાહિત્યની વાત કરતા બેઠા હતા, તમે મને એક બહુ જ સરસ ચિનુ મોદીનો શેર, સંભળાવ્યો હતો, “ક્રોઘ તો ઈશાદ મને પણ આવે છે, વાત મારી ના ગમે તો વાત ના કર”, અને પછી તમે મને કહ્યું હતું કે બીજીવાર તમે થોડો સમય લઈને ભાવનગર આવજો, આપણે બઘા સાથે ગોપનાથને દરિયે જશું. દિવસ આખો મોજ મજા અને સાહિત્યની વાતો કરી મોડી સાંજે પાછા ફરીશું પણ કવિ તમે મને ગોપનાથના દરિયાનું વચન આપી ચૂપચાપ કશું કીઘા વિના તમે કિરતારના ઘર તરફ ચાલી નીકળ્યા. ગુણવતંભાઈ, આ સંતાકૂક્ડી ના કહેવાય આ તો તમે અમને છેતરી ચાલ્યા ગયા …. એક અંચાઈથી બીજું શું હોઈ શકે ….. મારા પ્રિય કવિ!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...922923924925...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved