Opinion Magazine
Number of visits: 9457767
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ……. હરીન્દ્ર દવે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|26 July 2023

“હલ્લો, કોણ? કૈલાસભાઈ!”

“બોલ દોસ્ત! શું હુક્કમ છે!”

“આ વરસે મારે મારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન આપણા પ્રિય કવિ માઘવ દવે પાસે કરાવવું છે.”

આ માઘવ દવે છે કોણ? અને એનાથી કૈલાસ પંડિત અપરિચિત! કવિ હરીન્દ્ર દવેને હું વહાલમાં માઘવ દવે કહું છું. હરીન્દ્રભાઈને શા માટે માઘવ દવે કહું છું તે મારે ફોડ પાડીને કૈલાસભાઈને સમજાવવું ન પડ્યું.

“આ વરસે તું તારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન હરીન્દ્રભાઈ પાસે કરાવે એ બહુ જ ખુશીની વાત છે! પણ આમાં તને મારી ક્યાં જરૂર પડી!”

“કૈલાસભાઈ, વ્યક્તિગત રીતે હરીન્દ્રભાઈને હું ઓળખતો નથી. એટલા મોટા ગજાના સર્જકને કઈ રીતે મળી શકું? જો તમે મારી સાથે આવો અને હરીન્દ્રભાઈને મારા વતી વિનંતી કરો તો કદાચ કામ પળવારમાં પતી જશે!

“અરે! સાંભળ, તારે કોઈ ઓળખાણની જરૂર નથી. હરીન્દ્રભાઈ એક પ્રેમની મૂર્તિ છે અને તેનું કાર્યાલય એક મંદિર છે. તેમને મળવા તારે કોઈ પૂજારી કે વચ્ચેના દલાલની જરૂર નથી કદાચ હું સાથે હોઉં કે ન હોંઉં તને કશો ફરક પડવાનો નથી. જેટલું વહાલ હરીન્દ્રભાઈ મને કરશે એટલો જ પ્રેમ એ તને કરશે.”

“કૈલાસભાઈને સાથે આવવા માટે ફોન પર મેં જીદ ચાલુ રાખી એટલે તેમણે મને કહ્યું, સારું આપણે કાલે સાંજે જવાનું નક્કી રાખીએ.”

બીજે દિવસે ઝરમર વરસતી સાંજે અમે તેમના ‘જનશક્તિ’ કાર્યાલયમાં જઈ ચઢ્યા. હરીન્દ્રભાઈ ચોપડાનાં થોથાં તેમ જ ફાઈલોના ઢગલાં વચ્ચે કામમાં પરોવાયેલાં હતા.

કૈલાસભાઈએ ટેબલ પર ટકોરો માર્યો. હરીન્દ્રભાઈએ ફાઈલમાંથી નજર ઊંચી કરી.

“અરે! કૈલાસ …. તું … આવ દોસ્ત!

આવ … અને જાણે હું તેમને કોઈ અંગત પરિચિત મિત્ર ન હોઉં એટલા જ આદરભાવથી કેમ છો? એમ મને પૂછતા તેમણે કહ્યું, ‘જો તમને જરા વાંઘો ન હોય તો પેલી ખુરસીને જરા નજદીક ખેંચી લ્યો.”

થોડીક હળવી વાતચીત બાદ મેં હરીન્દ્રભાઈને કહ્યું, “ખાસ આજ તમને મળવા આવવાનું કારણ આ વરસે મારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન તમારા હસ્તક કરાવવાની અમારી ઈચ્છા છે!”

“બે હાથ જોડતા તેઓ નમ્ર ભાવે બોલ્યા, “આપણ મહામુંબઇમાં ઘણા વિદ્વાન સાહિત્યકારો છે. આમ કારણ વિના અમથા તમે મને ક્યાં ચણાના ઝાડે ચઢાવો છે!?”

…. અને એ જ વખતે કૈલાસ પંડિતે માઘવ દવે વાળી વાત છેડી!

નાના બાળકની જેમ ખિલખિલાટ હસતા હરીન્દ્રભાઈ બોલ્યા, માઘવને પામવા કરતાં તો તેને શોઘવામાં વઘારે મજા છે. એ જો આપણને એક વાર મળી જાય તો પછી માઘવ પ્રત્યે જે એક પ્રેમનું અદ્ભુત રહસ્ય છે તે પૂર્ણ થઈ જાય મારી દૃષ્ટિએ માઘવના મિલન કરતાં તેના વિરહમાં ઝઝૂમવામાં જ આનંદ છે.” આમ કહી, મેજ પર પડેલ ડાયરીમાં નજર નાખતાં મારું ભાવભીનું આમંત્રણ સ્વીકારતાં એમણે નક્કી કરેલ તારીખમાં સમય સ્થળની વિગત ટપકાવી લીઘી.

૧૯૯૩માં હું અમેરિકાથી સાતઆઠ અઠવાડિયાં માટે મુંબઈ ગયો હતો. એપ્રિલ મહિનાની એક ઘોમઘખતી બપોરે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આંટાફેરા કરતા હું અને કૈલાસ પંડિત કવિ હરીન્દ્ર દવેના ‘જન્મભૂમિ’ કાર્યાલયમાં જઇ ચઢ્યા. ચાપાણી અને વાતોના ગપાટા મારતા કૈલાસભાઈને અચાનક કંઈક યાદ આવી ગયું. વાતને વચ્ચેથી અટકાવીને પૂછી નાખ્યું, “તમને સુખનવર શ્રેણીના બે સેટ મળી ગયાને?”

“હા, મળી ગયા. લગભગ છએક મહિના થયા હશે!” પણ કૈલાસ તને ખોટું ન લાગે તો એક વાત કહું, મને સુખનવર શ્રેણી અઘૂરી લાગી!”

“તમે કઈ રીતે તેને અઘૂરી ગણો છો? બહુ જ મહેનત મુશ્કેલીથી અમે વીસ ઉત્તમ કક્ષાના ગઝલકારોને તારવીને પ્રગટ કર્યા છે!”

“કૈલાસ, તું આ વાત અંગત તારા મન પર ન લઈશ … આ તો મારો ખુદનો અભિપ્રાય છે! કદાચ હું સાચો ન પણ હોઉં. જ્યાં લગી આ શ્રેણીમાં રાજેન્દ્ર શુકલ, મુકુલ ચોકસી, રઈશ મનીઆર કે પછી, જયેન્દ્ર શેખડીવાલા, જેવા યુવાન ગઝલકારોનો સમાવેશ ન થયો હોય ત્યાં સુઘી મારી દૃષ્ટિએ આ સુખનવર શ્રેણી અઘૂરી જ ગણાય”.

“હરીન્દ્રભાઈ, તમારી આ વાતને હું માનું છું પણ અમારે સમયની ગણતરી કરીને પ્રગટ કરવાના ફકત આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉત્તમ ગઝલકારો! એટલે અમે આ શ્રેણીમાં દરેક ગઝલકારને સ્થાન નથી આપી શક્યા!”

“કૈલાસ, જો તમારે આ શ્રેણીમાં ફકત ગણતરી કરીને જ ગઝલકારોને સ્થાન આપવાનું હતું તો પછી તમારે મને આ શ્રેણીમાંથી બાકાત રાખવો હતો. મારા બદલે રાજેન્દ્ર શુકલ કે બીજા કોઈ સારા યુવાન કવિમિત્રને સ્થાન આપવું હતું.”

કૈલાસભાઈએ પોતાના અસલ તોફાની મિજાજ પ્રમાણે વળતો જવાબ આપતાં જણાવ્યું, “હરીન્દ્રભાઈ, તમારી જેમ બીજા કોઈ કવિમિત્ર અચૂક ટકોર કરત કે આ સુખનવર શ્રેણી હરીન્દ્ર દવે વિના અઘૂરી છે!”

હરીન્દ્રભાઈએ પોતાના સ્વભાવ પ્રમાણે હસતાં હસતાં પરાજય સ્વીકારતાં કહ્યું કે “આ જગતને કૈલાસ, આપણે કોઈ પણ રીતે ન પહોંચી શકીએ! ચાલ દોસ્ત! આ ઘડીયે બઘું ભૂલી જઈએ અને ચા પીએ. હવે તો તું ખુશને!”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

તિલક પુણ્યતિથિએ મોદી-પવાર એકમંચ હશે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 July 2023

લોકમાન્ય તિલક

જન્મ : 23 જુલાઈ, 1856 — મૃત્યુ : 1 ઓગસ્ટ, 1920

એક તો, તિલકથી આગળ જવું (અને વળી ગાંધી–આંબેડકર પછીના ભારતમાં હોવું) તે શું, એની તિલક સમારોહમાં મળી રહેલી આ પ્રતિભાઓને ગમ હશે? ન જાને

પહેલી ઓગસ્ટના લોકમાન્ય તિલક પુણ્ય પર્વે મહારાષ્ટ્ર બલકે દેશ સમસ્ત જોગ એક જોણું સરજાશે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ શ્રેષ્ઠી શરદ પવાર એકમંચ હશે. ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની પરંપરામાં નરેન્દ્ર મોદી પણ હવે ‘નાગરિકો વચ્ચે દેશભક્તિની ભાવના જાગૃત કરનાર સર્વોચ્ચ નેતૃત્વ’ લેખે પોંખાશે. લોકમાન્ય તિલક પુરસ્કાર તરીકે ઓળખાતા આ સન્માનના કર્તાહર્તાઓ તિલક પરિવારના જ છે. તેમનું કહેવું છે કે ‘લોકમાન્ય તિલકે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું સ્પષ્ટ આવાહન કર્યું એને એક કદમ આગળ વધારી મોદીએ સમાજના સૌથી કમજોર અને બહિષ્કૃત સભ્યોની સાથે સાથે ગરીબ લોકો માટે સુરાજ્ય નિશ્ચિત કરવાનું કામ કર્યું છે.’ (ઉદ્ધવ ઠાકરે જેનું નામ, એમણે સૂચિત અવસર અંગે અદ્દલ લોકમાન્યની ‘કેસરી’ શૈલીમાં ટિપ્પણી કરી છે : હ્યાંચા ડોક ઠિકાવનાર આહે કા? – આમના ભેજાનું ઠેકાણું છે કે નહીં?)

તિલક પરિવારે લોકમાન્યથી આગળ જતી કામગીરીની જે ટિપ્પણી કરી છે એની ચર્ચામાં આ ક્ષણે નહીં જતાં એટલું જ કહીશું કે એમની આ ટિપ્પણીમાંથી લોકમાન્યના બહુપ્રતિભા એટલા જ એકનિષ્ઠ જીવનકાર્યમાં રહેલી મર્યાદા સોડાય છે – મર્યાદા તે પોતે આંકેલ રેખાના સંદર્ભમાં તેમ ઊણપના અર્થમાં પણ.

તિલકના ચાહકો અને ભાવકોની સ્વાભાવિક જ મોટી સંખ્યા રહી છે. કાકા કાલેલકરે ‘બાપુની ઝાંખી’માં સાબરમતી આશ્રમની શરૂઆતનાં વર્ષોનો એક સરસ પ્રસંગ સંભાર્યો છે: મોડી રાતે તારેજડ્યા આકાશ તળે ખાટલો ઢાળી કશીક ચર્ચા કરતાં કરતાં બાપુએ કહ્યું કે અત્યારે કોઈ નહીં તો તિલક મહારાજ તો દેશની ચિંતા કરતા જાગતા હશે.

વસ્તુત: 1920માં ગાંધીજીએ લોકમાન્યની અર્થીને ખભો આપ્યો એમાં કેવળ બાહ્ય વિવેક જ નહોતો, ઇતિહાસનો એ ખભાપલટો પણ હતો. આ પહેલાં પણ હું કદાચ એસ.એમ. જોષીને ટાંકી ચૂક્યો છું. એસ.એમે. વાત વાતમાં કહ્યું કે તિલક અને સાવરકર અમ મહારાષ્ટ્રી તરુણોનું કુલદૈવત હતા. સ્વતંત્રતા સારુ સાહસ ને પરાક્રમ અમારામાં એમણે જગવ્યાં. પણ ગાંધીજી આવ્યા અને અમને સહસા સમજાયું કે સ્વતંત્રતાનો ખરો ને પૂરો માયનો સમતા વગર બે-મતલબ છે.

જરા જુદી રીતે કહીએ તો રાજકીય મુદ્દા પર ભાર મૂકતા લોકમાન્ય સામાજિક સુધારાને બાજુએ રાખીને ચાલતા. જરી વિસ્મયકારકપણે આ લખનારને એ મુદ્દો ગાંધીજીના ચંપારણ દિવસોના સહકારી અવંતિકાબાઈ ગોખલેના ગાંધીચરિત્રની લોકમાન્યે લખેલી પ્રસ્તાવનામાંથી સમજાયો હતો. સામાજિક કામ વગર રાજકીય કામ અધૂરું કહેવાય એમ કહેવામાં આવે છે, પણ મહાત્મા ગાંધીની વિશેષતા જેમ એમના ચારિત્ર્યમાં છે તેમ દક્ષિણ આફ્રિકાના હિંદીજનોને ન્યાય મળે તે માટે રાજકીય લડત આપવામાં અને એ સંદર્ભમાં સત્યાગ્રહનું ઓજાર વિકસાવવામાં છે, એવું પ્રતિપાદન તિલકે આ પ્રસ્તાવનામાં કર્યું છે.

બેશક, ગાંધીજીને વ્યાપકપણે ને વિગતે સમજનારના લક્ષ્યમાં એ વાત આવ્યા વગર ન જ રહે કે સમતાની (અને એ દૃષ્ટિએ સમાજ સુધારાની) લડાઈ ગાંધીના દેશકારણ સાથે અવિનાભાવ સંકળાયેલી હતી.

તિલક પરિવારની હાલની ત્રીજી-ચોથી પેઢીને ખરું જોતાં લોકમાન્યના ખુદના જીવનકાર્યમાંથી આ મર્યાદા સમજાઈ શકે એમ છે. લોકમાન્યના ચાહકોને (કેટલીક વાર એમને અને મહાત્માને સામસામે મૂકનારાઓને) ઇતિહાસવસ્તુ તરીકે બાલ ગંગાધર તિલકના નાના પુત્ર શ્રીધરપંતના નાના જીવનનો મોટો સંદેશ ખબર હોવી જોઈએ. શિવાજી ઉત્સવના યોજક તિલકને ‘શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી’ એવો સનાતની નિર્ણય સ્વીકાર્ય હતો. દસ વરસની છોકરી જોડે ધણીપણાનો હક ભોગવાય અને તે મરણશરણ થાય એવી અનવસ્થા ટાળવા જ્યારે સંમતિવયના કાયદાની હિલચાલ થઈ ત્યારે તિલકે સરકારી હસ્તક્ષેપના મુદ્દે એનાથી કિનારો કર્યો હતો. એમના પુત્ર શ્રીધરને આ બધું સોરવાતું નહોતું. આંબેડકરે જ્યારે ઉદારમતિ સવર્ણોને સાંકળીને સમાજ સમતા સંઘની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શ્રીધરે પરિવારના પરિસરમાં (ગાયકવાડ વાડો જે પછીથી કેસરી વાડા તરીકે પણ ઓળખાતો, એમાં) મહાર સમુદાય – હજી ‘દલિત’ સંજ્ઞા વ્યાપક નહોતી બની – સહિત સર્વજનભોજન યોજ્યું હતું. પિતા નહોતા અને ‘કેસરી’ ધર્મને નામે રૂઢિદાસ્યની ધ્વજા ફરકાવતું, એમાં શ્રીધરને પ્રવેશ નહોતો. અંતે એણે સામે ચાલીને મોત વહોર્યું – કલેક્ટર, પરિવાર અને આંબેડકર જોગ પત્ર પાઠવીને કહ્યું: ‘હું મારા બહિષ્કૃત બાંધવોની ફરિયાદ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને નિવેદિત કરવા જઉં છું.’ વળી ઉમેર્યું : ‘એકાદ ગરીબ અપરિચિત ખેડુને ત્યાં મારો પુનર્જન્મ થાઓ એવી આશા સેવું છું.’

સંઘ પરિવારના મહારાષ્ટ્રના અગ્રબૌદ્ધિક સરખા રમેશ પતંગેએ લખેલ ‘હું, મનુ અને સંઘ’ ગુજરાતીમાં કિશોર મકવાણાના અનુવાદમાં સુલભ છે. પતંગેની કેફિયત અને રજૂઆતમાં રામ મંદિર યાત્રા છતાં હિંદુત્વ રાજનીતિમાં કંઈક ખૂટે છે એની સહૃદય માંડણી છે. આ ખૂટતી પૂર્તિ વાસ્તે એમણે રામ મંદિર યાત્રાને સમાંતર મહારાષ્ટ્રમાં ફૂલે-આંબેડકર યાત્રા યોજી હતી. એ અલબત્ત એક પ્રશસ્ય ઉપક્રમ હતો. પણ હિંદુત્વ રાજનીતિ અંતર્ગત રાજવટનું દુર્દૈવ વાસ્તવ સમજવું હોય તો પચીસ પચીસ વરસના સળંગ શાસન પછીના ગુજરાતમાં સમઢિયાળા હાજરાહજૂર છે. અને એમ તો, થાનગઢ અને ઉના સરખાં દૂઝતાં જખમ પણ ક્યાં નથી?

તિલકથી આગળ જવું (અને ગાંધી-આંબેડકર પછીના ભારતમાં હોવું) તે શું, એની તિલક સમારોહમાં મંચે મહાલતી આ પ્રતિભાઓને પાધરી ખબર હશે? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 જુલાઈ 2023

Loading

શુક્લસાહેબ 

s, સુરેન્દ્ર ભીમાણી|Opinion - Photo Stories, Opinion - Short Stories|25 July 2023

માતુશ્રી દયાગૌરી તુલસીદાસ શાળાના અગિયારમા ધોરણમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી અને ઇતિહાસના શિક્ષક કેશવલાલ શુક્લ આજે પણ વર્ગ પૂરો થયા પછી એ જ ઉત્સાહથી વિદ્યાર્થીઓ સાથે લોબીમાં વાત કરી રહ્યા હતા.

ત્યાંથી પસાર થતા પ્રિન્સિપાલ સાહેબે એમની તરફ જોઈને સ્મિત કર્યું, અને વિદ્યાર્થીઓ સાથેની વાત પૂરી થતાં એમને મળી જવાનું કહ્યું.

પ્રિન્સિપાલની ઓફિસમાં શુક્લસાહેબ હસતે ચહેરે દાખલ થયા. એમની રાહ જોઈને બેઠેલા પ્રિન્સિપાલ સાહેબે એમને કહ્યું, “ગઈ કાલની ટ્રસ્ટીઓની મીટિંગમાં તમારી અહીંની લાંબી કારકિર્દીનો ઉલ્લેખ માનભેર થયો હતો.”

સાંભળીને શુક્લસાહેબ ખુશ થયા અને સ્વગત બોલતા હોય તેમ કહેવા માંડ્યું, “મારું જીવન જ આ શાળાને હું સમર્પિત કરી ચૂક્યો છું, અને હજી મારાં બાકીનાં વર્ષો પણ એ જ રીતે પસાર કરવાની મારી નેમ છે.”

એમને આગળ બોલતા અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે એક પરબીડિયું એમને આપ્યું અને કહ્યું, “ગઈ કાલની મીટિંગમાં તમારે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ દસ્તાવેજ પર સહી કરીને કાલે મને આપી દેજો તો હું તે ટ્રસ્ટીઓને પહોંચતો કરીશ.

શુક્લસાહેબે ઉત્સાહપૂર્વક કહ્યું, “હા, એ તો વર્ષોવર્ષ થાય છે તેમ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ જ છે ને? સહી કરીને હું લેતો આવીશ, અને હા, મારા કામની કદર કરીને મારી નોકરી ચાલુ રહેવા દેવા બદલ ટ્રસ્ટીઓનો ઘણો આભાર. મારા વતી જરૂરથી એમને કહેજો. મેં આ ચાળીસ વર્ષોમાં વિદ્યાર્થીઓની કેટલી પેઢી ભણાવી છે તેનો તો તમને ખ્યાલ હશે જ. અને બંદા તો હજીયે તૈયાર જ છે.”

શુક્લસાહેબ એમની ધૂનમાં હજી આગળ બોલવા જતા હતા, ત્યાં એમને અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે કહ્યું, “કેશવલાલ, જરા પરબીડિયું ખોલીને ટ્રસ્ટીઓનો કાગળ હમણાં જ વાંચી લો ને. આ … … કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ નથી.”

પણ શુક્લસાહેબના ઉત્સાહનો કેફ હજી ઊતર્યો નહોતો. એમને વધારે ભ્રમમાં ન રાખતાં પ્રિન્સિપાલ સાહેબે ચોખવટ કરી : “કેશવલાલ, જુઓ. તમે ઘણાં વર્ષો આ શાળાને તમારી સેવા આપી. ટ્રસ્ટીઓ એની કદર તો કરે છે જ, પણ સાથે એમણે એવું પણ નક્કી કર્યું છે કે તમારી જગ્યાએ હવે કોઈ યુવાન વ્યક્તિને લેવી. નવી આવતી પેઢીઓ માટે હવે નવા લોહીની જરૂર છે.”

આ સાંભળીને ચોંકી ગયેલા શુક્લસાહેબે પરબીડિયું ખોલીને કાગળ કાઢ્યો અને વાંચ્યો. વાંચતાં જ મોં વીલું થઈ ગયું. કાંઈ કહેવાના હોશ ન રહ્યા. ત્યાં પ્રિન્સિપાલ સાહેબે સાંત્વન આપતાં કહ્યું, “તમારી આટલી લાંબી સેવા નકામી નથી ગઈ. આ દસ્તાવેજમાં છે તે મુજબ તમને સારું એવું પેન્શન મળશે અને તમારા રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, જેમાં તમારે કુલ ભાડાનો મામૂલી ભાગ જ આપવાનો રહેશે. હમણાંની ટર્મ પૂરી થતાં તમારી અહીંની કારકિર્દી પણ પૂરી થશે.”

પ્રિન્સિપાલની ઓફિસમાં ઉત્સાહભેર આવેલા શુક્લસાહેબ દસ્તાવેજ પર સહી કરીને ઉદાસ ચહેરે ત્યાંથી નીકળ્યા. તેઓ અવિવાહીત હતા, અને શાળાની નજીકના, ટ્રસ્ટીઓએ આપેલા ક્વાર્ટરમાં રહેતા હતા. રસોઈ અને ઘરકામ માટે એમને ત્યાં રમાબહેન હતાં. ઘરે આવ્યા તો એમની રાહ જોઈને બેઠેલાં રમાબહેને કહ્યું, “સાહેબ, થાળી તૈયાર કરીને ક્યારની ઢાંકી રાખી છે. ગરમ કરું ને? ખાવા બેસો છો ને?” રમાબહેનની સામે જોયા વગર સાહેબે કહ્યું, “ના, આજે મને ભૂખ નથી. હું જમીશ નહીં.”

રમાબહેન ગયાં એટલે કેશવલાલ એમની ટેબલ પાસેની ખુરશી પર બેઠા અને વિચારમાં ગરકાવ થઈ ગયા. વર્ગની ચાર દીવાલો અને તેમાંના વિદ્યાર્થીઓ જ જેમનું જીવન હતા એવા કેશવલાલ ક્યાં ય સુધી સૂનમૂન બેસી રહ્યા. આ રીતે અચાનક નોકરી ગયાનો આંચકો જીરવવો એમના માટે બહુ કપરું કામ હતું.

કદિ ન અનુભવેલો ઘોર નિરાશાનો ભાવ એમને ઘેરી વળ્યો. એક જ વિચાર એમને આવતો રહ્યો કે શાળાને અર્પેલાં એમનાં બધાં વર્ષો નકામા ગયા છે, અને એમનું જીવન કોઈના કામમાં આવ્યું નથી.

નિરાશા સામે સારી એવી વાર ઝઝૂમ્યા પછી છેવટે એમણે ટેબલનું ખાનું ખોલ્યું. ખાનાના એક ખૂણે, બધાથી છાની રીતે આણી રાખેલી પિસ્તોલ કાઢી અને પોતાના લમણા પાસે ધરી. પિસ્તોલ થોડીક વાર એમ જ રાખી અને ઘોડો દબાવ્યો નહીં. ત્યાર બાદ પિસ્તોલ ખિસ્સામાં રાખીને બહાર કમ્પાઉન્ડમાં ગયા. ત્યાર સુધીમાં રાત પડી ગઈ હતી.

કેશવલાલ ફરતા ફરતા એક બાંકડા પર બેઠા. ત્યાં સામે કેટલાંક પૂતળાં હતાં, અને દરેકની નીચે કેટલીક જીવનપ્રેરક કાવ્યકંડિકાઓ કોતરેલી હતી. બાંકડા પર થોડી વાર બેઠા અને વ્યગ્રતા કાંઈક શમી. ઉપરાંત, ત્યાં કોતરેલી કાવ્યકંડિકાઓએ પણ એમના મનમાં કશોક પ્રકાશ પાડ્યો હોય એવું લાગ્યું. પણ પેલો મૂંઝારો અને નિરાશા સાવ ગયા નહોતા.

કેશવલાલ ફરી શાળાના મકાનમાં આવ્યા અને એમના વર્ગમાં ગયા. એમની ખુરશી પર બેસીને ફરી કાંઈક વિચારવા લાગ્યા. ત્યાં તો કૌતુક થયું. વર્ગમાંના ખાલી બાંકડા પર ધીમે ધીમે કરીને એક પછી એક વિદ્યાર્થીઓ બેઠેલા દેખાવા માંડ્યા. કૌતુક ખાસ તો એ વાતનું હતું કે આ બધા ય વિદ્યાર્થીઓ દાયકાઓ પહેલાં એમના હાથ નીચે ભણી ગયા હતા, અને એ બધા ય દિવંગત હતા.

કેશવલાલનું આ આશ્ચર્ય હજી શમ્યું ન શમ્યું ત્યાં તો એક પછી એક વિદ્યાર્થીઓએ ઊભા થઈને એમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. એકે કહ્યું, “સાહેબ હું નરહરિ પંડ્યા. તમારું શીખવેલું કાવ્ય ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’ હજી ય મારા કાનમાં ગૂંજે છે, અને તેને મારો જીવનમંત્ર બનાવી માનવસેવાના કામમાં જ મેં મારું જીવન વિતાવ્યું. ‘માનવસંઘ પરિવાર’ની સ્થાપના કરી. આજે એ ફૂલ્યું-ફાલ્યું છે, અને માનવસેવાના કાર્યમાં પ્રવૃત્ત છે. આ તમારા શિક્ષણનું જ પરિણામ છે.”

બીજા વિદ્યાર્થીએ કહ્યું, “સાહેબ, હું સુરેશ ધાનક. ઇતિહાસના શિક્ષકો તો ઘણા ય છે, પણ તમારી પાસેથી જે રીતે પ્રેરણા પામતાં ઇતિહાસના પાઠો ભણ્યા, અને સમ્રાટ અશોક અને રાજા રામમોહન રાય સરખા મહાન પુરુષોનો પરિચય તમે જે રીતે કરાવ્યો તે મારા મનમાં સોંસરવો ઊતરી ગયો, અને તેમને મારા પ્રેરણાસ્રોત બનાવીને મેં મારા જીવનનો માર્ગ કંડાર્યો. ‘મહાત્મા ગાંધી પ્રેરણાગ્રામ’થી તો આપણે સૌ પરિચિત છીએ જ. તમારા આશીર્વાદથી મેં તે શરૂ કર્યું, અને મારા પછીના સેવકો આજે તે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.”

“સાહેબ, હું નવનીત પાઠક. તમે શીખવેલું ગુજરાતી વ્યાકરણ મેં આત્મસાત કર્યું, મારો ભાષાનો પ્રેમ પાંગર્યો, અને મેં શરૂ કરેલું ભરૂચનું ‘નૂતન આદર્શ વિદ્યાલય’ આજે ગુજરાતીના અભ્યાસ માટે પંકાઈ ગયું છે તે તમારા શિક્ષણ અને મૂક આશિષનું જ પરિણામ છે.”

“સાહેબ, હું દેવેન્દ્ર મજીઠિયા …”  “હું આનંદ લોઢા …”  “હું વિનય દેસાઈ …” અને એમ એક પછી એક વિદ્યાર્થીઓએ શુક્લસાહેબના શિક્ષણનાં સિંચનથી એમનું જીવન કેવું પ્રેરિત થયું હતું એની વાતો કરી.

વિદ્યાર્થીઓનાં આ વક્તવ્યો પૂરા થયાં, તેઓ સંતોષપૂર્ણ સ્મિત સાથે બાંકડા પર બેઠા, અને ધીમે ધીમે કરીને અદૃશ્ય થયા. વર્ગ પાછો હતો એવો ને એવો ખાલી થયો.

સાનંદાશ્ચર્યના ભાવ સાથે શુક્લસાહેબ ત્યાંથી ઊઠ્યા, એમના ઘરે પાછા આવ્યા અને રમાબહેનને કહ્યું, “મારું ભાણું ગરમ કરજો, હોં. હું જમવા આવું છું.”

e.maill : surendrabhimani@gmail.com

Loading

...102030...919920921922...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved