Opinion Magazine
Number of visits: 9457902
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પતિપરાયણ ચીની હિંદુ નારી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|30 July 2023

ચીનની આઝાદીના જંગમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય યુવાન ડૉકટરને શ્રદ્ઘાંજલિ આપતાં સામ્યવાદી ચિનના ક્રાંતિકારી પ્રમુખ માઓત્સે તુંગે શબ્દો ઉચ્ચાર્યા હતા :

“ચીનની સમગ્ર પ્રજાએ એક પ્રેમાળ મિત્રને ખોયો છે અને ચીનના લશ્કરે એક શકિતશાળી મદદકર્તા હાથ ગુમાવ્યો છે. આ યુવાન ડૉકટરનો આત્મા આપણા દેશના સીમાડાથી પર હતો.”

આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.

૧૯૩૯ના ફેબ્રુઆરી માસમાં ચીનને આઝાદી સંગ્રામમાં મદદ કરવા ભારતથી રવાના થયેલા પાંચ ભારતીય ડૉકટરોની ટુકડીમાં ડૉકટર દ્વારકાનાથ કોટનિસની પણ નિમણૂક થઈ. મહિનાઓ સુધી ખાવાપીવા કે આરામની દરકાર કર્યા વિના ડૉકટર કોટનિસ જાપાન સામે મરણિયા થઈને સરહદ પર લડતાંલડતાં ઘવાયેલા ચીની સૈનિકોની સતત સેવા કરતા રહ્યા. ડૉકટર કોટ્નિસના રાતદિવસના અથાક પરિશ્રમને પરિણામે હજારો ચિની સૈનિકોને જીવતદાન મળતાં આખરે યુદ્ઘમાં ચીનનો વિજય થયો.

ઈ.સ. ૧૯૪૧માં ચીને સેવાની કદરરૂપે ડૉકટર કોટનિસની આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હૉસ્પિટલના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરી. ડોકટર કોટનિસ આ પદ પર બહુ લાંબો સમય સેવા આપી શકયા નહિ. યુદ્ઘમાં શકિત બહારનો પરિશ્રમ કરતાં શરીરમાં નાનીમોટી ઘણી બીમારીઓ ઘર કરી ગઈ. ચીની પ્રજાની સેવા કરતાં ઈ.સ. ૧૯૪૨ની નવમી ડિસેમ્બરની એક સવારે આંચકી જેવી સામાન્ય બીમારીને કારણે ૩૨ વર્ષની ભરયુવાનીમાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

ડૉકટર કોટનિસની સેવાની કદર સમય સાથે ચીનના ઇતિહાસમાંથી વિલીન ન  થઈ જાય તે માટે ચીનની સામ્યવાદી સરકારે તેમના નામને આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હોસ્પિટલ સાથે સાંકળી લીધું. હૉસ્પિટલના પટાંગણમાં ડૉકટર કોટનિસની એક વિરાટ કદની પ્રતિમા મૂકવામાં આવી. ડૉકટર કોટનિસના લખેલા પત્રો, તેમના મનગમતાં પુસ્તકો, તેમની પેન, અંગત ડાયરી, તેમ જ તેમની જીવનજરૂરિયાત વપરાશી ચીજોને કાચની ફ્રેમમાં મઢીને હૉસ્પિટલના એક સંગ્રહસ્થાનમાં ગોઠવી દીઘી છે.

ઈ.સ. ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય બેથ્યુન હૉસ્પિટલને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે સરકારે તેની ઉજવણી ધામધૂમથી કરવાનું નકકી કર્યું. આ ઉત્સવની ઉજવણી માટે ચીને આખા વિશ્વમાંથી દરેક વિભાગના નિષ્ણાત ડૉકતરોને ભાગ લેવા આમંત્રિત કર્યા. બેથ્યુન હૉસ્પિટલનાં માનનીય ડોકટર કુમારી હાને અમેરિકામાં પેટના રોગોના નામાંકિત ડોકટર મિત્ર અશોક શાહને આ શુભ અવસરે તેમ જ નૂતન ચીનની યાત્રાએ પધારવા આમંત્રિત કર્યાં.

સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.

તે સાંજે હૉસ્પિટલના એક ઝગમગાટ વિશાળ ખંડમાં ઉજવણીરૂપે ભવ્ય ભોજનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભમાં ડોકટર અશોક શાહને શ્રીમતી કોટનિસ મળ્યાં. તેમણે બહુ જ વિવેક તેમ જ આદરભાવ સાથે નમ્રતાથી શ્રીમતી કોટનિસને પૂછયુંઃ “તમે ડોકટર કોટનિસને ક્યારે મળ્યાં હતાં અને કેવી રીતે પતિ-પત્નીના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા?”

શ્રીમતી કોટનિસે કહ્યું, હું અને ડોકટર કોટનિસ યુદ્ઘમાં એક મોરચે એક જ છાવણીમાં સાથે કામ કરતાં હતાં. તેઓ ડૉકટર હતા અને હું નર્સ હતી. અમારા બંનેનું કાર્ય તેમ જ ધ્યેય એક જ હતું, સેવા. આ એક જ સ્વપ્નને ખાતર અમે જિંદગીને વાસ્તવિકતામાં પલટાવી નાખી. અમારો પ્રેમ બહુ જ ટૂંકા ગાળામાં પ્રગટીને પતિ-પત્નીરૂપે પાંગર્યોં.

‘અમારા સુખી લગ્નજીવનથી અમારા ઘરે એક પુત્રનું પારણું બંધાયું. અમારું પ્રેમાળ હસતું કુટુંબ જોઈને કુદરતને અદેખાઈ આવી. અમારા પ્રેમની છેલ્લી નિશાની અમારો પુત્ર પણ ડોકટર કોટનિસના મૃત્યુના થોડાક મહિના બાદ મને એકલી રુદન કરતી મૂકીને ઈશ્વરને પ્યારો થઈ ગયો”.

ડૉકટર શાહે પૂછયું, “તમે ભર યુવાનીમાં વિધવા થયાં. જો તમે ધાર્યું હોત તો ચીની સંસ્કૃતિ પ્રમાણે અવશ્ય બીજાં લગ્ન કરી શકયાં હોત, ખરુને?”

શ્રીમતી કોટનિસે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે! ધારત તો હું અવશ્ય બીજાં લગ્ન કરી શકત. મને એક તો શું ઘણા ચીની યુવાનો પરણવા માટે તૈયાર થાત! પણ મને ફરી આવો ઈશ્વર જેવો પતિ તો ન જ મળત. મેં મારા મનમંદિરમાં આ એક ઈશ્વરની પ્રતિમાને સ્થાન આપી તેની પૂજામાં મારું જીવન સમર્પિત કરી દીધું હતું. જેની પૂજા અને ભકિતથી હું એક નહીં સાતસાત ભવ તરી ગઈ છું. ડોકટર કોટનિસને પરણ્યા બાદ મને જીવનમાં કોઈ અસંતોષ કે કોઈ ઈચ્છા રહી ન હતી. ઈશ્વરે મને જેટલો સમય ડૉકટર કોટનિસ જોડે જીવવા દીઘી તે મારા માટે અતિભવ્ય હતો.

“હું ડૉકટર કોટનિસને પરણી એટલે તમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંદુ થઈ ગઈ. તો પછી હિંદુ પત્ની કઈ રીતે બીજાં લગ્ન વિશે વિચાર પણ કરી શકે? હું તો જન્મોજન્મ શ્રીમતી કોટનિસ તરીકે જીવવાનું ઈશ્વર પાસે વરદાન માગી ચૂકી છું. હું શ્રીમતી કોટનિસ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છું. ડૉકટર કોટનિસ તેમના કર્મથી અમર થઈ ગયા .આવા અમર પુરુષની પત્ની શું કોઈ કાળે વિધવા હોઈ શકે ખરી?”                                                                           

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|30 July 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતે કાવ્યસર્જન, વિવેચન અને અંગ્રેજી સાહિત્યના અધ્યાપન ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં અનુવાદકાર્ય પણ કર્યું છે. તેમણે બંગાળી તેમ જ સંસ્કૃત, અને અંગ્રેજી સહિતની યુરોપીય ભાષાઓમાંથી એંશી જેટલી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદો કર્યા છે.

આ અનુવાદોમાંથી ઘણાખરા અત્યાર સુધી નિરંજન ભગતના પોતાના વિવેચન સંગ્રહોમાં, કેટલાંક સંપાદિત સંચયો તેમ જ સામયિકોમાં અને નવ અનુવાદો હસ્તપ્રતો સ્વરૂપે છૂટાછવાયા હતા.

હવે તે બધા ‘નિરંજન ભગતના અનુવાદો’ નામના સંતર્પક સંચયમાં પહેલી વખત એક સાથે, પદ્ધતિસર ગોઠવણી અને સંશોધનપૂર્ણ સંપાદકીય નોંધો સાથે પ્રગટ થઈ રહ્યા છે.

અનુવાદ સંચયની મહત્ત્વની ઉપલબ્ધિ એ છે કે તેમાં સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો The Vision of Vasavadatta નામે પેન્ગ્વિન પ્રકાશને 1972માં પ્રસિદ્ધ કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે. તે આટલાં વર્ષોમાં જવલ્લે જ કોઈ વાચક-અભ્યાસીએ જોયો હોય.

એ જ પ્રમાણે કેટલીક રચનાઓની – ભગત સાહેબના શાળા સમયથી વખણાયેલા ‘સુંદર’ અક્ષરોમાં લખાયેલી – હસ્તપ્રતો પણ અહીં પહેલી વાર જોવા મળે છે.તેમાં અંગ્રેજી કવિ લી હન્ટ, ફ્રેન્ચ કવિઓ બૉદલેર તેમ જ મલાર્મેની એક-એક, વ્હિકટર હ્યુગોની બે, અને રવીન્દ્રનાથની ચાર રચનાઓની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

ગ્રંથના સંપાદકો રાજેન્દ્ર પટેલ, રૂપલ મહેતા અને શૈલેષ પારેખ ભગત સાહેબના વ્યક્તિત્વ તેમ જ જ્ઞાનસાધનાનાં ચાહક અને તેમના સર્જનનાં અભ્યાસી છે. 

હસ્તપ્રતોના સુવાચ્ય પુનર્મુદ્રણ, કાગળની ગુણવત્તા, અવકાશ (સ્પેસ) અને એકંદર સુરુચિપૂર્ણ નિર્માણની દૃષ્ટિએ પણ 328 પાનાંનું મોટા કદનું આ પુસ્તક ગુણવત્તાપૂર્ણ છે.

અપૂર્વ આશરના સુંદર સૌમ્ય મુખપૃષ્ઠમાં ભગત સાહેબનાં લાક્ષણિક હાસ્ય અને ચશ્માં સથેની વેધક પણ સ્નેહભરી નજરને ઉપસાવતી આછેરી બોલકી છબિ અને સાત રંગના લસરકા છે.

ગ્રંથનું પ્રકાશન નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ નામે ભાષા-સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ હાથ  ધરનાર સંસ્થાએ કર્યું છે. તેનું લોકાર્પણ 18 મે 2023ના રોજ ભગત સાહેબની 93મી વર્ષગાંઠે વિવેચક રમણ સોનીને નિરંજન ભગત સ્મૃતિ પરિતોષિક પ્રદાન સમારંભની સાથે કરવામાં આવ્યું.

‘પ્રાસ્તાવિક’માં સંપાદકો નોંધે છે : ‘સિત્તેર વર્ષના સમયગાળામાં નિરંજન ભગત વિવિધ સાહિત્યોનો અનુવાદ કરતા રહ્યા. આ અનુવાદોની સૂચિ જોતાં તેમના સાહિત્યરસની વિશાળ ક્ષિતિજોનો ખ્યાલ આવે છે.

‘એક છેડે પ્રશિષ્ટ અને પ્રાચીન સંસ્કૃત પદ્યનાટ્ય; બીજે પ્રાચીન હિબ્રૂ / લૅટિન / અંગ્રેજી બાઈબલ અને ત્રીજે, આધુનિક અંગ્રેજી / સ્પૅનિશ / ફ્રેન્ચ / એલિયટ / મિસ્ત્રાલ / બૉદલેર; અને આ બધાની વચ્ચે બંગાળી રવીન્દ્રનાથ ‌‌‌– સહુની સાથે તાદાત્મ્ય અનુભવતા નિરંજન ભગતને આ બધામાં રસ હતો અને તેમને ગુજરાતની તેમ જ વિશ્વની સાહિત્યપ્રેમી જનતા સાથે તે રસ વહેંચવો હતો.’

સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યોનો સીધો સ્પૅનિશ ભાષામાંથી ગુજરાતી અનુવાદ ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર ઇશુદાસ ક્વેલીની મદદથી કર્યો છે. આ બે સાહિત્યપ્રેમીઓ વચ્ચેની બે વર્ષની અનુવાદ પ્રક્રિયાનું ભગત સાહેબે  ટૂંકું પણ રસાળ સ્વકથન સંપાદકોએ સમાવ્યું છે.

ફ્રેન્ચ ભાષામાં સ્વશિક્ષિત ભગત સાહેબ વ્હિક્ટર હ્યૂગો, બૉદલેર અને માલાર્મેની કવિતાઓને તેમ જ મિલાન કુન્દેરાના નવલકથા પરના દીર્ઘ લેખને મૂળ ફ્રેન્ચમાંથી ગુજરાતીમાં લાવ્યા છે.

રવીન્દ્રનાથના અનુવાદો પણ બંગાળીમાંથી સીધા ઊતરી આવ્યા છે. અમૃતા પ્રીતમની ચાર કવિતાઓની સ્રોત ભાષા હિન્દી કે અંગ્રેજી એવું પ્રશ્નચિહ્ન પુસ્તકના અનુક્રમમાં છે.

સંપાદકો બીજું રસપ્રદ નિરીક્ષણ પણ આપે છે : ‘નિરંજન ભગતના અનુવાદોની પ્રેરણા સ્વેચ્છામાં નહી, પણ અન્યની ઇચ્છામાં (કે મૈત્રીસભર વિનંતીમાં) રહેલી છે કે કોઈ પ્રસંગ નિમિત્તે ઊભી  થતી આવશ્યકતામાં રહેલી છે.’ જો કે આ વિધાનમાં જે દસેક કૃતિઓ અપવાદ છે તેના નામ  પણ સંપાદકોએ નોંધ્યાં છે.

જહૉન ઑફ ક્રૉસનો અનુવાદ સંતના અવસાનની ચોથી શતાબ્દી નિમિત્તે ડિસેમ્બર 1991માં ફાધર ક્વેલીએ કરેલા સહજ સૂચન માત્રથી થયો.

રવીન્દ્રનાથની સહુથી જાણીતી કવિતા ‘Where the mind is without fear…’નું બંગાળીમાંથી કરેલું ગેય અનુસર્જન અમદાવાદની રચના સ્કૂલના સંસ્થાપક પન્નાબહેન શ્રેણિકભાઈ લાલભાઈના અનુરોધથી થયું છે.

ટાગોરના નાટ્યકાવ્ય ‘ચિત્રાંગદા’ મૃણાલિની સારાભાઈની વિનંતીથી ગુજરાતીમાં આવ્યું. નિરંજને બાઇબલની ‘બુક ઑફ યોબ’નો અનુવાદ ‘સંપૂર્ણ બાઇબલ’ને ગુજરાતીમાં લાવનાર નગીનદાસ પારેખ અને ક્વેલીની ‘વિનંતીને માન આપીને’ કર્યો.

ઘણાં અનુવાદોનું નિમિત્ત વિવેચન લેખો છે. ભગત સાહેબના મૌલિક વિવેચન ગ્રંથોની ‘સ્વાધ્યાયલોક’ નામની શ્રેણીના નવમાંથી ત્રણ ખંડો પશ્ચિમના સાહિત્યો પરના છે. તેમાં કેટલાક લેખકો / કૃતિઓ પરના વિવેચન લેખના હિસ્સા તરીકે તેમની કાવ્યકૃતિઓનો અનુવાદ છે.

‘સ્વાધ્યાયલોક’ના અંગ્રેજી સાહિત્ય પરના ખંડમાં ટી.એસ. એલિયટની દીર્ઘ એકોક્તિ ‘લવ્હ સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રૂફ્રૉક’ તેમ જ ડબ્લ્યુ.બી. યેટસનું ઊર્મી કાવ્ય, અને ‘અમેરિકન સાહિત્ય’ ખંડમાંથી ડબ્લ્યુ.એચ. ઑડનની એક રચના અલબત્ત મૂળ ભાષામાંથી જ ગુજરાતીમાં આવ્યાં છે.

ગ્રીક, લૅટિન, જર્મન, સ્પૅનિશ અને ઇટાલિયન કવિઓ અનુક્રમે સાફો, વર્જિલ, ગઅટે, મિસ્ત્રાલ અને કાસ્પિમોદોની રચનાઓના અંગ્રેજી ભાષાંતર પરથી કરેલા અનુવાદ ‘યુરોપીય સાહિત્ય’ ખંડમાંથી મળે છે.

રૉબર્ટ ફ્રૉસ્ટની પાંચ રચનાઓ ‘કવિતા’ સામયિકમાં અને કુન્દેરાનો નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધ થયેલાં છે. ટાગોરના ચાર ગદ્ય લખાણોનો અનુવાદ ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ : Tagore in Ahmedabad’ નામના દ્વિભાષી પ્રકાશન માટે છે. કવિવરના દરેક લખાણ માટેનું સંપાદકોએ અહીં નોંધેલું નિમિત્ત ધ્યાનપાત્ર છે.

નિરંજન ભગતે ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો અનુવાદ મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો અને તે અમેરિકામાં ભજવાયો. આ અંગે સંપાદકોએ સંશોધનપૂર્ણ માહિતીલેખ આપ્યો છે. તેને અંતે લખ્યું છે :

‘1960ના દાયકામાં એક ગુજરાતી લેખકે કરેલા સંસ્કૃત નાટકના અંગ્રેજી અનુવાદ ઉપરથી ન્યૂયૉર્કમાં અમેરિકન કલાકારો નાટક ભજવે એ એક અગત્યની સાંસ્કૃતિક ઘટના અવશ્ય કહેવાય. તેમાં અનુવાદ અને અનુવાદકના યોગદાનની નોંધ સરખી પણ ન લેવાય એ અક્ષમ્ય ઉપેક્ષા ન કહેવાય ?

‘આ અનુવાદ અને તેની સાથે સંકળાયેલી અન્ય હકીકતો ગુજરાતી સાહિત્યિક વર્તુળોના ધ્યાનમાં આવ્યાં હોય એમ જણાતું નથી.’

‘નિરંજન ભગતનું છપાયેલું પ્રથમ કાવ્ય પોતાના જ ગુજરાતી કાવ્યનો અંગ્રેજી અનુવાદ છે’ એ હકીકત સંપાદકો દસ્તાવેજી આધાર સાથે સાબિત કરે છે. 

‘નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિનો આરંભ અનુવાદથી થયો હતો’ એવું બીજું ફલિત પણ સંપાદકોએ આપ્યું છે. તે આધારપૂર્ણ છે, છતાં તેમાં કવિ-અનુવાદક માટેના આદરમાંથી આવેલી દુરાકૃષ્ટતા જણાય છે.

આ સંપાદન મૂલ્યવાન તટસ્થ દસ્તાવેજીકરણ સ્વરૂપનું એ અર્થમાં છે કે તેમાં અત્યારે  જવલ્લે જ કોઈ કૌટુંબિક વારસદાર ધરાવનારા આપણા એક મૂર્ધન્ય સાહિત્યકારના સાક્ષરજીવનનું એક મહત્ત્વનું પાસું સચવાઈ ગયું છે.

સંપાદકોએ અનુવાદની ગુણવત્તા વિશેની ભાગ્યે જ કોઈ ટિપ્પ્ણી કરી છે. નિષ્ઠાપૂર્ણ સંપાદનની કેટલીક ગૌણ મર્યાદાઓ તેમ જ અનુવાદની એકંદર ગુણવત્તાની તટસ્થ સમીક્ષા અભ્યાસીઓ પાસે અપેક્ષિત છે.

ભગતસાહેબના અનુવાદ તેમ જ સંપાદનકાર્ય વિશે અંગ્રેજીમાં પણ વાંચવા મળે છે. તે શૈલેષ પારેખે લખેલા ખૂબ મહત્ત્વના મૉનોગ્રાફ Niranjan Bhagatનું  સાતમું પ્રકરણ છે.

આ મોનોગ્રાફ આપણા સમયના ગુજરાતના જ્ઞાની કવિ-વિવેચકના જીવન-કવન અને સર્જનકાળનો દુનિયાભરના વાચકોને સર્વગ્રાહી વિશદ પરિચય મળે તે પરિપ્રેક્ષ્યથી લખાયો છે.

ભગત સાહેબ પરનું આ પહેલવહેલું અંગ્રેજી પુસ્તક આ જ વર્ષે સાહિત્ય અકાદમી(દિલ્હી)એ પ્રસિદ્ધ કર્યું છે. તેની કેટલીક પ્રતો શૈલેષભાઈએ રસ ધરાવનાર વાચકો માટે ભેટ તરીકે સાહિત્ય પરિષદના સંકુલમાં આવેલા ‘ગ્રંથ વિહાર’ પુસ્તકભંડારમાં મૂકી હતી.

શૈલેષ પારેખે છેક 2006માં ભગત સાહેબના કાવ્યોનો અનુવાદ કર્યો છે, જે Niranajan Bhagat in English : Sixty Six Poems (ગુજરાતી સાહિત્ય પરિષદ, 2004) નામે પ્રસિદ્ધ થયો છે. તેના  પ્રકાશન અવસરે  23 જાન્યુઆરી 2005ના રોજ  ભગતસાહેબે એક વ્યાખ્યાન કર્યું હતું. 

એ અંગ્રેજી વ્યાખ્યાન વિશ્વસાહિત્યના સર્જકોની અનેક રીતે પડકારરૂપ કૃતિઓના અનુવાદો કરનાર નિરંજન ભગતે અનુવાદ વિશે સિદ્ધાંતચર્ચા તરીકે કરેલું સંભવત: એકમાત્ર જાહેર ઔપચારિક રેકૉર્ડેડ ઉચ્ચરણ છે. તેનો દરેક શબ્દ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક છે.

તે વ્યાખ્યાનના એક અંશનો અનુવાદ પુસ્તકના ચોથા અવરણ પર છે. અનુવાદક નિરંજન ભગત કહે છે :

‘… ઘણું ગુમાવવા છતાં અનુવાદને કારણે ઘણું મળે છે. અનુવાદ એક પડકાર પણ છે અને એક સમાધાન પણ છે … સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ સંપર્ક સાધવાનો, સત્ય કહેવાનો તેમ જ આનંદ, આતંક, વિજય અને વેદના વ્યક્ત કરવાનો છે.

‘તેથી જ દરેક ભાષાના સાહિત્યનો અનુવાદ બીજી બધી જ ભાષાઓમાં કરવો જ પડશે. જેમ વીસમી સદી  વિવેચનની સદી હતી તેમ એકવીસમી સદી અનુવાદની સદી હશે.’ 

‌‌‌‌‌‌—————–‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————————— 

પુસ્તકનાં  પ્રાપ્તિસ્થાન: 

– ગૂર્જર સાહિત્ય ભવન, 070-22144266, 22149260, મો. 9825268759 

– ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.500/- 

30 જુલાઈ 2023
[1000 શબ્દો] 
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા લેખનો ઉમેરણ સાથેની version]   
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અવિશ્વાસની વધતી ખાઈ : મણિપુરથી સંસદ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2023

રાજ ગોસ્વામી

બે મહિના પહેલાં, આપણે આ કોલમમાં લખ્યું હતું કે, “પૂર્વોત્તર રાજ્યો પ્રત્યે દેશના બાકી ભાગોમાં કેવી ઉપેક્ષા છે તેનું તાજું ઉદાહરણ મણિપુર છે. મણિપુરમાં સ્થાનિક જાતિઓ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઇ છે, પરંતુ તેમને મુખ્ય ધારાનાં મીડિયામાં તેના વિશે કશું જ વાંચવા નહીં મળે. મણિપુરમાં આદિવાસી સમૂહો વચ્ચે હિંસાનાં પગલે લશ્કરે ફ્લેગ માર્ચ કરી છે. ઇમ્ફાલ, ચુરચાંદપુર અને કોંગપોકપીમાં હિંસક ઘટનાઓ પછી રાજ્યના આઠ જિલ્લાઓમાં અચોક્કસમુદ્દતનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાના પગલે 4,000 લોકોએ લશ્કરી અને સરકારી છાવણીઓમાં આશ્રય લીધો છે.

ભારતીય મહિલા મુક્કેબાજ મેરી કોમે ગુરુવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણે વાગે ટ્વીટ કરીને વડા પ્રધાનની મદદ માગી હતી. તેણે લખ્યું હતું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” મેરીએ વડા પ્રધાન મોદી, વડા પ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને હિંસાની તસવીર પણ જોડી હતી.”

અગાઉ લખ્યું હતું તેમ, તાજેતરની ઉશ્કેરણીનું નવું કારણ મણિપુર હાઇકોર્ટનો એ ફેંસલો હતો, જેમાં તેણે બહુમતી (53 ટકા) મૈતેઈ સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ આપવા કહ્યું હતું. તેનાથી કૂકી લોકો અકળાયા હતા અને તેમની એક વિરોધ રેલીમાંથી હિંસાની શરૂઆત થઇ હતી. બંને સમુદાયો વચ્ચેના અવિશ્વાસનો મામલો 1960ના દાયકા જૂનો છે અને સમય સમય પર તેમની વચ્ચે હિંસા થતી રહી છે.

અલગ-અલગ સરકારોએ અલગ-અલગ રીતે આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ રાજકીય લાભ લેવાની વૃત્તિ કહો, અણઆવડત કહો, ઉત્તર-પૂર્વના પ્રદેશો તરફ બાકી ભારતની ઉદાસી કહો કે પછી આ ત્રણે બાબતોનો સરવાળો કહો, સરવાળે મણિપુર સળગતું જ રહ્યું છે અને વર્તમાન બિરેન સિંહની સરકારમાં એ આગમાં ઘી હોમાયું છે. આરોપો તો એવા થઇ રહ્યા છે કે બિરેન સિંહની સરકારે આ વખતે મૈતેઈ સમુદાયનો પક્ષ લઈને કૂકી સમાજના લોકોને નિશાન બનવા દીધા છે.

બીજી બાજુ, સરકારનો દાવો એવો છે કે કૂકી લોકો મોટા પ્રમાણમાં ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા છે (કૂકીઓનું મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ છે) અને પાડોશી મ્યાનમારમાંથી પણ ઘણા ઘુસણખોરો એમાં મદદ કરી રહ્યા છે. બિરેન સિંહની સરકારે ડ્રગ્સના ધંધા પર અને ઘુસણખોરી પર પંજો કસ્યો છે એટલે કૂકીઓને તે ગમ્યું નથી.

ગમે તે કારણ હોય, પણ મેરી કોમના મણિપુરની એ આગ ન ઠરી અને ઊલટાની એવી વકરી કે કૂકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને સાર્વજનિક રીતે તેમની સાથે બેઈજ્જતીના એક વીડિયો મારફતે એ આગની જાણકારી આખી દુનિયાને થઇ. ભારતની સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો અમારે કંઇક કરવું પડશે.

વડા પ્રધાન, જે છેલ્લા બે મહિનાથી મણિપુરના મુદ્દે મૌન હતા, તેમણે ચુપ્પી તોડવી પડી અને દેશના લોકોને કહેવું પડ્યું કે આ ઘટનાથી તેમને વ્યથા થઇ છે અને 140 કરોડ લોકોને શરમ અનુભવવી પડી છે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય તેમ નથી.

વિરોધ પક્ષો જ નહીં, નાગરિક સમાજના લોકો અને મણિપુરમાં ભા.જ.પ.ના જ નેતાઓએ પણ કહ્યું કે વડા પ્રધાને મણિપુરની હિંસામાં સમયસર પગલું ભરવામાં મોડું કરી દીધું છે. વીડિયો આવ્યા પછી મણિપુરની પોલીસે આ સ્ત્રીઓને નગ્ન કરનાર 7 લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્યાંના મૈતેઈ અને કૂકી સમાજ વચ્ચે વૈમનસ્ય અને અવિશ્વાસની જે ખાઈ પહોળી થઇ છે તે જલદી ભરાવાની નથી.

ઊલટાનું, મણિપુરની ઘટનાના પડઘા પૂરા ઉત્તર-પૂર્વમાં અને દિલ્હીની રાજનીતિમાં પડ્યા છે. નજીકના મિઝોરામમાંથી મૈઈતી સમુદાયના લોકોએ ઉચાળા ભરવાના શરૂ કર્યા છે. મણિપુરની હિંસાના પગલે મિઝોરામમાં ‘આદિવાસીઓ માટે ન્યાય’ની રેલીનું આયોજન થતાં, સોમવારે 1,000 મૈતેઈ લોકો આસામ જતા રહ્યા હતા. આસામ સરકારે સરહદ પર રાહત શિબિરો પણ સ્થાપી છે. બીજી તરફ, ઓલ આસામ મણિપુર સ્ટુડન્ટ એસોસીએશને મિઝો લોકોને આસામ ખાલી કરવાની ધમકી આપતાં દક્ષિણ આસામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શાંતિ માટે સુરક્ષા બળોના તમામ પ્રયાસો છતાં, 26મી તારીખે મ્યાનમાર સરહદે આવેલા એક ગામમાં 30 ખાલી ઘરોને સળગાવી દેવાંમાં આવ્યાં હતા. એ પહેલાં, સુરક્ષા બળોને લઇ જવા માટેની બે બસોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે ઘણી મહેનત કરી છે અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે, પરંતુ જાણકાર લોકો કહે છે કે મણિપુરની હિંસાને જો ડામવામાં ન આવી તો કર્યું કારવ્યું ધૂળમાં મળે તેમ છે.

વૈશ્વિક આતંકવાદ પર નજર રાખીને તેનાં સંભવિત જોખમો પર લોકોને અને સરકારોને સાવધ કરવાનું કામ કરતા અમેરિકા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપના 19 જૂનના એક અહેવાલ અનુસાર, મણિપુરના મૈતેઈ અને કૂકી સમુદાયના લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક અસંતોષને જો દૂર કરવામાં નહીં આવે, તો આતંકવાદની દૃષ્ટિએ ઉત્તર-પૂર્વ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બનેલું રહેશે.

અહેવાલ લખે છે, “એવી પૂરી શક્યતા છે કે મણિપુરની અશાંતિ પાડોશી રાજ્યોમાં ફેલાઈ જાય. અન્ય રાજ્યોમાં રહેતા નિરાશ્રિતો ખાવા-પીવા અને આશ્રયોમાં ભાગ પડાવશે અને એથી સ્થાનિક લોકોમાં નારાજગી વધશે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સૂચનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ધ્રુવીકરણ ઊભું થયું છે.”

મણિપુરે કેન્દ્રની રાજનીતિમાં પણ આકરું ધ્રુવીકરણ ઊભું કર્યું છે. 18મી જુલાઈએ શરૂ થયેલા સંસદના ચોમાસું સત્ર પર મણિપુર છવાયેલું રહ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી, આખું અઠવાડિયું કોઈ કામકાજ વગર જ પસાર થયું છે. વિરોધ પક્ષોના નવા સંગઠિત ‘ઇન્ડિયા’ મોરચાએ મણિપુર અંગે સંસદમાં ચર્ચાની અને વડા પ્રધાનના નિવેદનની માંગણી કરીને બંને ગૃહોને ઠપ્પ કરી દીધાં હતા. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં એકઠા થયેલાં વિપક્ષી નેતાઓએ નક્કી કર્યું હતું કે ગૃહમાં મણિપુરની ચર્ચા ન થાય અને વડા પ્રધાન નિવેદન ન કરે તો કોઈ કામકાજ થવા ન દેવું.

સરકાર (જો રાજસ્થાન અને બંગાળમાં સ્ત્રીઓ પર અત્યાચારની ચર્ચા પણ કરવામાં આવે તો) મણિપુર અંગે ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ વિરોધ પક્ષો વડા પ્રધાનનું નિવેદન માગી રહ્યા છે, જેના માટે સરકાર તૈયાર નહોતી. મણિપુરનો વીડિયો સામે આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ સખ્ત ટીપ્પણી કરી તે દિવસે સંસદમાં આવતાં પહેલાં, વડા પ્રધાને બહાર પત્રકારો સમક્ષ ઘટનાની ટીકા કરતુ નિવેદન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓની માંગ હતી કે વડા પ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. સરકાર આના માટે તૈયાર નહોતી.

છેવટે, 26 પક્ષોના ‘ઇન્ડિયા’ મોરચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું હતું. 543 સભ્યોના ગૃહમાં, ભા.જ.પ.ની આગેવાની હેઠળના એન.ડી.એ. મોરચા પાસે 330થી વધુ સભ્યો છે, ઇન્ડિયા પાસે 140ની આસપાસ છે અને 60 સભ્યો બંનેમાંથી એકે ય જૂથમાં નથી. દેખીતી રીતે જ, સરકાર આ પ્રસ્તાવ જીતી જવાની છે, પરંતુ વિપક્ષો માટે મુદ્દો એ નથી. તેમને તો મણિપુરના મુદ્દે સરકારને ઘેરવી છે અને એ બહાને ગૃહમાં વડા પ્રધાનનું મોઢું ખોલાવું છે.

સંસદીય લોકશાહીમાં, અવિશ્વાસના પ્રસ્તાવને વિપક્ષોનું હથિયાર કહેવાય છે. પ્રસ્તાવ મારફતે તે સરકારની નિષ્ફળતાની ગૃહમાં ચર્ચા કરે છે અને સરકારે તેનો જવાબ પણ આપવો પડે છે. 1999માં, અટલ બિહારી વાજપેઈની સરકાર એક મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ હતી, પરંતુ ગૃહમાં તેની જે વિસ્તૃત ચર્ચા થઇ હતી તે આજે પણ સંસદીય લોકશાહીના વિધાર્થીઓ માટે અગત્યનો પાઠ છે. 2018માં, આંધ્ર પ્રદેશના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, જે 199 મતોથી સરકાર જીતી ગઈ હતી.

તે વખતે, પ્રસ્તાવનો જવાબ આપતાં, વડા પ્રધાન મોદીએ કાઁગ્રેસને ટોણો માર્યો હતો, “તમે જરા વધુ મહેનત કરો એવી હું આશા કરું છું, જેથી 2023માં તમને ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અવસર મળે.”

કાઁન્ગ્રસે તો એના માટે શું મહેનત કરી હતી એ તો ખબર નથી, પણ મણિપુરની બિરેન સિંહની સરકારે તો ચોક્કસ એવી સ્થિતિ સર્જી છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જે અવિશ્વાસ પેદા થયો છે તે સંસદમાં પણ પહોંચ્યો છે.

લાસ્ટ લાઈન:

“માણસો બ્રિજ ઓછા અને દિવાલો વધુ બનાવે છે.”

— જોસેફ ફોર્ટ ન્યુટન, અમેરિકન ધર્મઉપદેશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...912913914915...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved