Opinion Magazine
Number of visits: 9457762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મિની સૌરાષ્ટ્ર’ની આ દાસ્તાંમાં સમાજકારણ, રાજકારણ, અર્થકારણની સામગ્રી પડેલી છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2023

સુપ્રતિષ્ઠ સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે પોતાના ગામ ‘રામપુર’ની વાત સમાજશાસ્ત્રીય કરતાં વધુ તો આર.કે. નારાયણની ઢબે માંડીને ક્યારેક નવી ભોં ભાંગી હતી એને લાયક ખાણદાણ આપણે ત્યાં પણ હોઈ શકે છે

પ્રકાશ ન. શાહ

લખવાનો ધક્કો તો પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીની સુરત-પાટી ત્રયીમાંથી પસાર થતાં લાગેલો છે. પણ એમાં પ્રવેશી શકું તે પહેલાં જળબંબોળ જૂનાગઢ વિશે સાંભળું છું અને મહાલક્ષ્મી શેરીના કોઈક ઢોળાવ પરની ‘ભટ્ટ ખડકી’ ખાબકી આવી સહસા ચિત્તનો કબજો લે છે. એમાં વાંક ને જવાબદારી અલબત્ત યોગેશ વૈદ્યના હૃદ્ય કવિક્રમની છે. એમણે આ ખાનદાન, દુનિયાદારી અર્થમાં સુખી નયે હોય એવા નિવાસઝુમખાને એકદમ જ આત્મીય બનાવી દીધેલ છે. શા હાલ હશે એના આ પૂર વચાળે, એવું જો કે વિચારવું જરૂરી નથી; કેમ કે બે’ક દાયકા પરના ભૂકંપ સાથે અહીં ‘ભયની મારી હજાર ભીંતો ભડકી’ અને પેઢાનપેઢી જ્યાં જીવ્યાં તે સૃષ્ટિ સંકેલાઈ ગઈ છે. ક્યારેક ‘ઓરસિયા પર શ્લોક પ્રસરતો દાદા ચંદન ઘસતા / ઘરના નાના ખૂણે કેટલા ઈશ્વર આવી વસતા’ એ સૃષ્ટિએ હવે ક્યાંક બીજે હોવાનું છે – અને કવિ પરિવાર અન્યત્ર સ્થાયી થઈ પોતાની રીતે જીવન માણતો પણ હશે સ્તો. (બાકી, ‘ભટ્ટ ખડકી’માં રહ્યા ત્યારે તો પિંજર જેવું ખુલ્લું રહી ગયું હોય પણ પંખી એમાંથી ઊડી જવા ન ઈચ્છે એમ રહેવું કોઠે પડી ગયું હતું.)

યોગેશ વૈદ્યના કાવ્યલોકમાં સરી જવાનો અથ‌વા પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના વારાથી સુપ્રતિષ્ઠ ‘ડેઝર્ટેડ વિલેજ’ જે ઘસાતાં ગામડાંની યાદ લઈ આવે છે એમાં અટવાઈ જવાનો ખયાલ તો ક્યાંથી હોય? જીવન અંતે તો ગતિ અને સ્થિતિનું કાવ્ય છે અને ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી. ઈતિહાસમરમી ઈ.એચ. કાર વખતોવખત કહેતા કે મનુષ્યજાતિની નિયતિ એક નાવિક જેવી છે. છોડેલા કિનારાનાં ભવ્ય ખંડેરો કે ખખડી ગયેલા ખાનદાન ખોરડાં ભણી મોં ઠેરવી બેસવાનું બેમતલબ છે. વસ્તુત: આપણી નૌકા જે અખાતમાં પ્રવેશી છે તે તરફ જ નજર નોંધી બંદરશોધ ચલાવવાની છે. કહ્યું ને, ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી … તો, રાધાના નામ પેઠે કાળજે ધરી કે મોરપીંછ પેઠે મસ્તકે ધરી વ્રજ મેલી ક્યાંક પૂગવું રહે છે જ્યાં દ્વાર ખુલ્લાં હોય કે ખોલી શકીએ.

વિશ્વવાર્તાની જેમ લાંબી પ્રસ્તાવના કીધી પણ તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે સ્થળાંતરિતોના દસકા જેવા આયોજન કરવા લાગ્યા છીએ. ભારત એટલે ગામડાં એમ આપણે કહેતાં આવ્યાં એ કંઈ ખોટું નથી. પણ વીતેલા દસકાઓમાં શહેરીકરણનો સપાટો જોઈએ તો તરતનાં વરસોમાં અધઝાઝેરું ગુજરાત ગ્રામીણ નહીં પણ શહેરી હશે.

નાનુભાઈ વાનાણી

ચોપડે ચડ્યા વગરની વણનોંધી, કથિત પરપ્રાંતીય શ્રમશક્તિ, કુદરતી આપત્તિ પછી ખુદ ગુજરાતમાં કેટલી એમ જ અલોપ થઈ જતી હશે, ન જાને! ખાંડવવન દહન વિનાનું ઈન્દ્રપ્રસ્થ કલ્પવું એ ખરે જ એક મહાભારત કામ રહ્યું છે.

વધુ વહી જતો લાગું તે પહેલાં અટકું અને નાનુભાઈની ત્રયી નિમિત્તે બે’ક વાતો કરું. સુરતના વરાછા, કતારગામ, અમરોલી અને મોટા વરાછા વિસ્તાર છેલ્લાં સાઠ વરસમાં ‘મિની સૌરાષ્ટ્ર’ લેખે ઉભર્યાં છે. સૌરાષ્ટ્રના ચૂંટણીજંગમાં સુરતની સામેલગીરી ને સુરતમાં સૌરાષ્ટ્રની સામેલગીરી તે લક્ષમાં લઈએ તો ‘સુરતમાં સૌરાષ્ટ્રની ‘સૂરત’ તરત સમજાશે. સચોટ કહ્યું છે કે નાનુભાઈએ પ્રસ્તાવનામાં કે અહીં સાહસ ને સંઘર્ષ તે અમારો ‘વીર’ રસ છે; અમારા શરૂઆતના સમયે અને અભણ, ગંદા, ઘસીય, ગોવિંદા, રોકેટ કહેવાઈ હાંસીપાત્ર બન્યા તે ‘હાસ્ય’ રસ છે; અમારી સખાવતો તે ‘વાત્સલ્ય’ રસ છે, ગેરકાયદે બાંધકામોનું ઘોર જંગલ તે ‘બીભત્સ’ રસ છે; અકલ્પનીય આર્થિક વિકાસ તે ‘અદ્દભુત’ રસ છે; શરૂઆતના દિવસોમાં અમારા પરિણીત યુવાનોએ અહીં અને એમની પત્નીઓએ વતનમાં રહી જે વિયોગ સહન કર્યો તે વિરહનો ‘શૃંગાર’ રસ છે; વિચલિત થયા વગર વધતા રહેવું તે અમારો ‘શાંત’ રસ છે, અને પૈસાની ભક્તિ તે અમારો ‘ભક્તિ’ રસ છે.

પુરુષાર્થ, પરમાર્થ અને સ્વાર્થની આ મહાભારત કથા છે. બીજી પાસ, નાનુભાઈએ ‘વાંચે તે જાણે’ એવી ટૅગ-ટિપ્પણ સાથે સુરતની આર્થિક ક્રાંતિનું ‘રહસ્ય’ ખોલવાનીયે કોશિશ કરી છે. અને આ બધું કરતી વખતે ને કરતે છતે સૌરાષ્ટ્રના પોતાના મૂળ વતનગામ ‘પાટી’નુંયે ચિત્ર ગામની ખુદની આત્મકથની રૂપે આપ્યું છે. વતનભૂમિ અને કર્મભૂમિ બેઉને પૂરા હૃદયથી વરેલી શખ્સિયતની કલમે સાંપડેલી સામગ્રી વિશે વધુ નહીં કહેતાં આટલે જ અટકીશું.

એક રાજકીય કાર્યકર તરીકે નાનુભાઈએ પક્ષીય માળખા બહાર ઊઠીને કરેલી આ ચિત્રણા નિશ્ચયે સરાહનીય છે. એમાં વતનભૂમિ ને કર્મભૂમિ વચ્ચે સમજપૂર્વકનો સહૃદય લગાવ છે, તો નવી જગ્યાએ બનતા દાયિત્વની ખબર પણ છે. પોતે જ પક્ષ સાથે છે એને અંગે પણ એમનો દાયિત્વબોધ કેવોક હશે તે વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે વિજય છતાં મતોની ઘટેલી ટકાવારી વિશેની એમની ચિંતામાં વરતાય છે. કાર્યકર આધારિત અને વિચારધારા આધારિત પાર્ટીમાંથી આપણે મોદી આધારિત પાર્ટીમાં તો નથી ફેરવાઈ ગયા ને. સત્યમેવ જયતેને બદલે જો જીતા વહી સિકંદર, એવું તો નથી ને, આ પ્રકારના પ્રશ્નો એમણે એક જાહેર મુલાકાતમાં ઉઠાવ્યા હતા તેનું આ ક્ષણે સ્મરણ થાય છે.

ભારતમાં સમાજશાસ્ત્રની નવી ભોં ભાંગનાર તરીકે એમ.એન. શ્રીનિવાસ અને એમણે માંડેલી પોતાના ગામની દાસ્તાં ‘રામપુર’ આદરભેર સંભારાય છે. ‘રામપુર’ની લેખનધારી શાસ્ત્રીય નહીં એટલી આર.કે. નારાયણની કલમે ચાલી આવતી વાર્તાની તરેહની છે. નાનુભાઈની આ સામગ્રી સુરતથી સુપરિચિત સમાજશાસ્ત્રીઓની આપણી શૃંખલા પૈકી ઘનશ્યામ શાહ, વિદ્યુત જોશી, ગૌરાંગ જાની કોઈક તપાસી એને પલટાતા સમાજના પાઠ્યપુસ્તક તરીકે કેમ ન જોગવી આપે વારુ? નાગરિકતાના શિક્ષણની એ અચ્છી હાથપોથી પણ બની રહેશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023

Loading

ક્રાંતિકારી સર્જકઃ ડૉ. કિશોર કાળે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|1 August 2023

‘કોલ્હાટયાંચ પોર’ પુસ્તકના મુખપૃષ્ઠ પર લેખકનું નામ કિશોર શાંતાબાઈ કાલે વાંચતાં જરા આશ્ચર્ય અનુભવ્યું. સામાન્ય રીતે ભારતમાં પ્રણાલિકા એવી છે કે નામની પાછળ પિતાનું નામ લખવું. પરંતુ આ પુસ્તકના લેખકે પોતાના નામ પાછળ માતાનું નામ લખ્યું હતું! લેખકે પોતાના નામ પાછળ માતાનું નામ કેમ રાખ્યું હશે? તે બાબત જાણવાની મારી ઉત્કંઠા વઘી જતાં બીજાં પુસ્તકોને બાજુ પર મૂકી ‘કોલ્હાટયાંચ પોર’ને વાંચવા મશગૂલ થઈ ગયો.

લેખક કિશોર કાળેનું સંપૂર્ણ બાળપણ અને થનગનતી યુવાની પિતાની છત્રછાયા વિના માતાને ખોળે દુઃખદર્દમાં વીત્યાં હતાં. સંસ્કારી શબ્દમાં કહીએ તો તેમની માતા શાંતાબાઈ કાળે નર્તકી હતી અને કઠોર વાસ્તવિક શબ્દમાં કહીએ તો એમનું સમસ્ત જીવન વેશ્યાના જીવનથી કોઈ રીતે ઊતરતું નથી. આવા વાતાવરણમાં ઊછરેલા કિશોર કાળે M.B.B.S. થયા અને દયાસભર ડૉકટર પણ થયા.

કિશોર કાળેની માતા શાંતાબાઈ મહારાષ્ટ્ર્ની કોલ્હાટી નામની દલિત કોમની દીકરી છે. વર્તમાનમાં આ જાતિ મહારાષ્ટ્રના સોલાપુર અને લાતુર જિલ્લાની અતરાફમાં વિશેષ કરીને જોવા મળે છે. કમનસીબ વાત તો એ છે કે આ જાતિની સ્ત્રીઓ જે સંતાનોને જન્મ આપે છે તેને કદી પિતાનું નામ મળતું નથી.

લેખક કિશોર કાળે હ્રદય પર પથ્થર મૂકીને લખે છે કે કોલ્હાટી જાતિમાં યુવતીનું જીવન અત્યંત કરુણ છે. કુટુંબની સ્ત્રીઓને આ ધંઘામાં ધકેલી પુરુષવર્ગ આખું જીવન એશઆરામમાં વિતાવે છે. કોલ્હાટી પુરુષ કદી પણ નથી ઈચ્છતો કે તેના પરિવારની સ્ત્રીઓ ભણીગણીને હોંશિયાર બની મનગમતા વ્યવસાયમાં જોડાય.

કોલ્હાટી જાતિની કન્યા સોળ કે સત્તર વર્ષની યુવતી બને એટલે સમાજના રિવાજ મુજબ કન્યાને નવવધૂની જેમ શણગારી દેવદાસી સમી તેની ચિરા ઉતારવાની વિધિ કરવામાં આવે છે. ચિરા ઉતારવા માટે કન્યાની ઉંમર પ્રમાણે ગામની જે કોઇ વ્યકિત તેની કિંમત યુવતીના ઘરવાળાને ચુકવી આપે તે વ્યકિત કન્યા સાથે શારીરિક જાતીય સંબંધ બાંધવાનો અબાધિત અધિકાર પ્રાપ્ત કરે છે.

ડૉ. કિશોર કાળેની માતા શાંતાબાઈને પણ પોતાની યુવાનવયે સમાજની આ ભૂંડી પ્રથામાંથી પસાર થવું પડયું હતું! લેખક કિશોર કાળે લખે છે કે મારી માતા કેટલી લાચાર હતી કે પોતાના પરિવારને પાલવવા માટે જાલિમ સમાજના ઘોર અને કઠોર અપમાનને સહન કરી ઘૂંટડેઘૂંટડે વિષપાન કરતી જીવતી રહી.

ડૉ.કિશોર કાળે સખત શબ્દોમાં સમાજની આ પ્રથાને ધિક્કારતા તેમ જ પોતાના માતા સમી અનેક માતાઓએ આપેલ બલિદાનોનું તિલક પોતાના કપાળે કરતાં કહે છે કે કોઈ પણ બાળક પાછળ પિતાના નામને બદલે માતાનું નામ જ સમાજે લખવું જોઈએ, કારણ કે બાળકના જીવનઘડતરમાં તેના પિતા કરતાં તેની માતાને ફાળો વિશેષ હોય છે.

સમાજ પ્રત્યે આક્રોશ દર્શાવતા એ લખે છે કે ફકત કોલ્હાટી સમાજની જ સ્ત્રી રાતભર નથી નાચતી, પરંતુ પોતાને ઉજળિયાત ગણાવતા સમાજની સ્ત્રીઓ પણ નાચતી હોય છે. મારી માતા શાંતાબાઈ તો નવ ગજની સાડીમાં પોતના દેહને ઢાંકીને પગમાં બબ્બે કિલોનાં વજનદાર ઝાંઝર બાંધીને પુરુષોનું મનોરંજન કરતી ત્યારે તેના પરિવારને બે ટંકનું ભોજન મળતું.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ભારતમાં અંગ્રેજોએ અંગ્રેજી શાસનની સર્વોપરિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, અંગ્રેજોની નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2023

અસ્મિતા, સંખ્યા અને સત્તા એ ત્રણ ભેગાં થયાં કે વિનાશ નિશ્ચિત માનવો

રમેશ ઓઝા

સંસ્કારનું સંવર્ધન કરવામાં આવે તો એ વિકસે અને નીચતાને સંરક્ષણ આપવામાં આવે તો એ વકરે. ના આ કોઈ બાપુનું કે મોટીવેશન ગુરુનું તાળીઓ પડાવવા માટેનું અને પછી તેને ભૂલી જઇને જેમ જીવતા હતા એમ જીવનારાઓ માટેનું કથન નથી. આ ઇતિહાસસિદ્ધ હકીકત છે. થોડું વિવેચન કરી જોઈએ. 

આ સંસારમાં બન્ને પ્રકારના માણસો હોય છે. કેટલાક ભલા તો કેટલાક નીચ. એક જ માણસમાં સંજોગોપાત બન્ને ચીજનાં દર્શન થાય છે અને ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ કે આ માણસ આવો હતો? અથવા આ માણસ આવું પણ કરી શકે? સાંખ્યદર્શનમાં માનવીને ત્રણ ગુણમાં વિભાજીત કરવામાં આવ્યો છે. સત્, રજસ અને તમસ. દરેક વ્યક્તિમાં વધતાઓછા પ્રમાણમાં આ ત્રણેય ગુણ હોય છે, પણ એમાં જે ગુણ વધારે હોય એને પ્રધાન ગુણ માનવામાં આવે છે. વળી સાંખ્યકારે એમ પણ કહ્યું છે કે માણસ ધારે તો ગુણાનુપાતને એટલે કે ગુણોના પ્રમાણને વધારી ઘટાડી શકે. તામસિક માણસ સાત્ત્વિક બની શકે. એટલા માટે પાતાંજલિ ઋષિએ યોગશાસ્ત્ર વિકસાવ્યું. સાંખ્ય અને યોગનું યુગ્મ છે. યોગશાસ્ત્ર કસરત કરવા માટે નથી, ચિત્તનું શોધન કરવા માટે છે. અહીંથી યોગની વાત શરૂ થાય છે, એમ કહ્યા પછી યોગસૂત્રનું પહેલું સૂત્ર છે : योग: चित्तवृत्ति निरोध: ચિત્તની વૃત્તિઓને જે અવરોધે, એક જગ્યાએ સ્થિર કરે એ યોગ. યોગનો ધંધો કરનારાઓએ તેને કસરતમાં ફેરવી નાખ્યો છે.

સતનું, સંસ્કારનું સિંચન કરવામાં આપણી જાતનું અને સકળ માનવસંસારનું કલ્યાણ છે એમ ઋષિમુનિઓ કહી ગયા છે અને અનુભવે આપણે જાણીએ પણ છીએ પણ નીચતા? સાંખ્યકાર કહે છે એમ ત્રણેય ગુણના પ્રમાણને વધારી-ઘટાડી શકાય છે અને એ રીતે નીચતાનાં પ્રમાણને પણ વધારી-ઘટાડી શકાય. બહુ સરળ છે. મહર્ષિ પતંજલિએ સતની સાધના કરવામાં જે જે ચીજને અવરોધરૂપ, કશાય અને ત્યાજ્ય કહી છે તેને અપનાવવામાં આવે અને તેનું ચિંતન કરી કરીને તેને ઘનીભૂત કરવામાં આવે. અને તમને કદાચ જાણ હશે કે પતંજલિએ જેને ત્યાજ્ય કહી છે એવા કશાયોમાં એમાં એક અસ્મિતા પણ છે. “હું” અને “અમે”નો એક એવો સાંકડો પરિઘ રચવામાં આવે અને તેને એટલો ઘનીભૂત કરવામાં આવે કે એમાં વિવેક પ્રવેશી જ ન શકે. બસ વાત પૂરી. અસ્મિતાનો કિલ્લો બંધાઈ ગયો. અને હા, કશાયનો એક અર્થ રંગ પણ થાય છે. પતંજલિ ચડેલા રંગને ઉતારવાની અને ઉજળા કરવાની વાત કરે છે તો સામે છેડે અસ્મિતાના કિલ્લા રચનારાઓ રંગ ચડાવે છે. એટલો રંગ ચડાવે, એટલો રંગ ચડાવે કે મૂળ ચહેરો શોધ્યો ન જડે.

થોડા દિવસ પહેલાં મને મારી દીકરીએ પૂછ્યું કે હું મારા દીકરાનું નામ રૂમી રાખવા માગું છું.  ૧૩મી સદીનો બહુ મોટો પર્શિયન કવિ હતો, સૂફી પરંપરા તેનાથી શરૂ થઈ હતી એમ માનવામાં આવે છે, માનવતાવાદી પણ હતો તો તમારો શો અભિપ્રાય છે? મેં તેને કહ્યું કે રૂમી ઇસ્લામની સર્વોપરિતામાં છેક સુધી માનતો રહ્યો અને એ મને સ્વીકાર્ય નથી. જે સર્વોપરિતાનો દાવો કરે એનાથી દૂર રહેવું. આ જગતમાં કોઈ ધર્મ, પ્રજા, દેશ, સંસ્કૃતિ, ભાષા સર્વોપરિ નથી. દરેકમાં કશુંક વિશેષ છે અને દરેકમાં કશુંક ખૂટે છે. માટે સર્વોપરિતાનો દાવો કરનારાઓના પડછાયાથી પણ દૂર રહેવું. એ હિંસાનું, અશાંતિનું અને અરાજકતાનું કારણ છે.

આજે સ્થિતિ એવી છે કે પતંજલિને કસરતમાં ફેરવી નાખીને હિંદુ અસ્મિતાવાદીઓ ધંધો કરે છે અને અબજોપતિ થઈ ગયા છે. પતંજલિને એવી રીતે માફકસર(એપ્રોપ્રિયેશન)ના બનાવી નાખવામાં આવ્યા છે જે રીતે ગાંધીજીને સ્વચ્છતામાં માફકસરના બનાવવામાં આવ્યા છે. પતંજલિ અને ગાંધીને માફકસરના બનાવ્યા પછી તેમણે કહ્યું એનાથી વિપરીત માર્ગ અપનાવીને અસ્મિતાના રંગ ચડાવી શકાય છે. ગોદી મીડિયા ચોવીસે કલાક આ કામ કરે છે. આ સિવાય અસ્મિતાને નામે ખાસ પ્રજાવિશેષને બહેકાવવાની આખી એક યંત્રણા પણ વિકસાવવામાં આવી છે.

આટલા વિવેચન પછી સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે નીચતાનો પણ એક ખપ છે અને અત્યારના સંસદીય રાજકારણમાં એનો વધારે ખપ છે અને માટે તેને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. મૂંગા રહીને, આંખ આડા કાન કરીને, છૂટોદોર આપીને, કાયદાના પાલનમાં ભેદભાવ કરીને, વગેરે. અને લોકો આમાં પોતાનાં ઐશ્વર્યનો અથવા પોતે સર્વોપરિ હોવાનો અહેસાસ અનુભવે છે. અંગ્રેજી વાક્યપ્રયોગ કરીએ તો આ ફેટલ એટ્રેક્શન છે. કિંમત એ લોકો નહીં ચૂકવે જે નીચતાને પોષે છે, એને સંરક્ષણ પૂરું પાડીને રાજકીય લાભ લે છે, કિંમત એ લોકો પણ નહીં ચૂકવે જે નીચતા આચરે છે, કિંમત એ લોકો ચૂકવશે જે નીચતામાં ઐશ્વર્યનો કે સર્વોપરિતાનો જૂઠો અનુભવ કરે છે. જેની સામે નીચતા આચરવામાં આવે છે એ તેનો તાત્કાલિક અનુભવ કરશે અને જે ખોટો અહેસાસ અનુભવે છે એ ભવિષ્યમાં તેનો અનુભવ કરશે.

એક પ્રશ્ન હું વારંવાર પૂછતો રહું છું અને આજે ફરી પૂછું છું. જગતમાં એવો એક દેશ બતાવો જે આ માર્ગે સંપન્ન થયો હોય. એક દેશ, વધારે નહીં માત્ર એક દેશ. સાંપ્રત સમય છોડો, હજારો વરસનો ઇતિહાસ ખંખોળી જુઓ અને એવો એક દેશ કે રિયાસત બતાવો જે સંપન્ન થયાં હોય. એક પણ નહીં મળે, ગેરંટી. અસ્મિતા, સંખ્યા અને સત્તા એ ત્રણ ભેગાં થયાં કે વિનાશ નિશ્ચિત માનવો. મહર્ષિ પતંજલિ મૂર્ખ નહોતા. તેમણે દૂરનું વિચારીને અસ્મિતાનો સમાવેશ કશાયમાં કર્યો છે.

અહીં અંગ્રેજો પાસેથી ધડો લેવા જેવો છે. તેમણે ભારતમાં અંગ્રેજી શાસનની સર્વોપરિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, અંગ્રેજોની નહીં. પોર્ચુગીઝો તેમનાં કરતાં પહેલાં ભારતમાં આવ્યા હતા, ભારતનાં પ્રદેશો પણ કબજે કર્યા હતા, પરંતુ તેમણે તેમની વાંશિક અને ધાર્મિક સર્વોપરિતા લાદી હતી અને તેને કારણે તેમનો અંગ્રેજો સામે પરાજય થયો હતો. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની પ્રજા શાસકોની અને તેના ભાયાતોની દાદાગીરી વિનાના ખરા અર્થમાં કાયદાના શાસન માટે તરસે છે. એ સમયે સ્થિતિ એવી હતી કે જ્યારે કોઈ ભારતીય રિયાસતનો અંગ્રેજો સામે પરાજય થતો હતો ત્યારે લોકો રાજી થતા હતા. કવિ દલપતરામની “હરખ હવે તું હિન્દુસ્તાન” કવિતા વાંચી જાવ. ૧૮૧૮ની સાલમાં પૂનામાં પેશ્વાઓનો પરાજય થયો અને અંગ્રેજ શાસન લાગુ થયું ત્યારે બહુજન સમાજના લોકોએ દિવાળી ઉજવે એમ દીવા કર્યા હતા. મહારાષ્ટ્રમાં ‘ઘાસીરામ કોતવાલ’ અને ગુજરાતીમાં ‘મોરબીની વાણીયાણ’ જેવી ઘટનાઓ લોકસાહિત્ય કે લોકસંસ્કૃતિનો હિસ્સો બની છે એના પરથી કલ્પના કરો કે શાસનનું સ્વરૂપ કેવું હશે!

કોઈ નીચ અંગ્રેજનાં ચારિત્ર્યને લઈને આવી કોઈ કૃતિ જોવા મળે છે? મારા જોવામાં તો નથી આવી. ઇસ્ટ ઇન્ડિયા કંપની તેના અફસરોને સત્તાવારપણે કહેતી હતી કે ભારતમાં ભ્રષ્ટાચાર કરીને જેટલા રૂપિયા કમાવા હોય એટલા કમાઈ શકો છો, પણ સત્તાના મદમાં નીચતા અને અત્યાચારની એક પણ ઘટના નહીં બનવી જોઈએ. માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભ્રષ્ટાચારના પર્યાય તરીકે ઓળખાય છે, સામર્થ્યહિન સામે નીચતાના પર્યાય તરીકે નહીં.

Loading

...102030...909910911912...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved