Opinion Magazine
Number of visits: 9666082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગરીક ઝલક, ચચ્ચાર ખંડમાં ચાલેલ ઇતિહાસમંથનની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2023

1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને મુમુક્ષુ મોહનદાસ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે: ‘સ્વ’ની અને ‘સ્વરાજ’ની ખોજની એક રીતે એ સ્વાતિક્ષણો છે …

પ્રકાશ ન. શાહ

રાણી વિક્ટોરિયાના ઢંઢેરા(1 નવેમ્બર 1858)થી ‘ગદ્દર’ એ ક્રાંતિકારી પત્રના પ્રકાશન(1 નવેમ્બર 1913)ની અલપ ઝલપ જિકર કરી ન કરી, અને એ કાળખંડને ગુજરાત-ભારત છેડેથી એક વિશ્વ ઘટના રૂપે જુદેસર મૂકવા વિચારતો હતો ત્યાં તો જોઉં છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સરદાર જયંતીના વિરાટ આયોજન સાથે દેશના રાજવી પરિવારોનુંયે પોંખણું પાર પાડ્યું છે. થોડાં વરસ પર મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરામાં (હું ધારું છું, ગાયકવાડની પરોણાગતમાં) આવું એક રાજવી રાવણું મળ્યું હતું.

વસ્તુત: રાજવીઓનો ખાસો હિસ્સો એવો પણ હતો જેને સ્વરાજની ચળવળ પરત્વે અસુખ હતું અને સ્વરાજ પછી પણ કશુંક ખૂંચતું રહ્યું હશે. ભાગલા વખતે પાકિસ્તાન સાથે સીધા સંબંધની રીતે વિચારનારાં રજવાડાં પણ ક્યાં નહોતાં? 1857માં તમે ક્યાં હતા એ મુદ્દે સિંધિયા પરિવારને પણ, એમ તો, ટીકાસ્ત્ર ક્યાં વેઠવા નથી પડતાં? સયાજીરાવ ક્રાંતિકારીઓ પરત્વે સહાયકારી વલણ ધરાવતા હતા તો 1857 વખતે ગાયકવાડની વડોદરાએ સલામત અંતરનો રવૈયા લીધો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે.

રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું? એક તો દરબાર ગોપાળદાસનું સ્મરણ થઈ આવ્યું હતું. સ્વરાજની લડતમાં એમ એમની નાનીશી રિયાસત, ઢસા-રાયસાંકળી, જપ્ત થયેલી અને સ્વરાજ પછી પાછી મળી ત્યારે ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલીન થયેલું પહેલું રજવાડું પણ એ હતું. ગોપાળદાસ સ્વતંત્ર કોલમના બરની પ્રતિભા છે પણ એમનું એક વિશેષ અર્પણ તો અછડતુંયે સંભારી લઉં. ગુજરાતની, ઘણું કરીને ભારતની પણ પહેલી મોન્ટેસરી શાળા એમણે મોતીભાઈ અમીનના માર્ગદર્શનમાં વસોમાં શરૂ કરેલી. (મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં દરબાર સાહેબ આધારિત એક પાત્રનોયે પ્રવેશ કરાવ્યો છે.)

નાના-મોટા રાજવી પરિવારો પૈકી યદૃચ્છાવિહાર પેઠે થઈ આવેલું બીજું સ્મરણ રાજા મહેન્દ્ર પ્રતાપનું હતું. 1957-1962નાં વર્ષોમાં એ લોકસભા સાંસદ હતા ત્યારે અમદાવાદની લેસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં એમને જોવા-સાંભળવાનું બન્યું હતું. (એ વખતે ખબર નહોતી કે મથુરાની બેઠક પર એમની સામે હારી ગયેલાઓ પૈકી એક ભાવિ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા.) સાધારણપણે આપણે જંગે આઝાદીમાં દેશ બહાર સ્થપાયેલી સરકાર તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સંભારતા હોઈએ છીએ, પણ એ તો બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે, જ્યારે પહેલા વિશ્વયુદ્ધનાં વરસોમાં દેશ બહાર એવી સરકારની સ્થાપનાનું માન અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપને નામે ઇતિહાસજમે છે. એ પ્રમુખ અને મૌલવી બરકતુલ્લા વડા પ્રધાન એવી રચના હતી, અને મહેન્દ્ર પ્રતાપના સંપર્કો રૂસના લેનિનથી જર્મનીના કૈસર લગીના હતા.

સ્વરાજની ચળવળને આપણે વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે 19મી સદી ઉતરતે ગુજરાત-ભારત છેડેથી ત્રણ નામ લગભગ એકસાથે સામે આવે છે અને તે પણ એક જ અરસામાં. 1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને ગાંધીભાઈ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે.

જરી ઉતાવળે જિકર કરું આ ત્રણેની? દાદાભાઈ 1892માં લંડનના ફિન્સબરીમાંથી આમની સભામાં ગયા ત્યારે એમની જે અભ્યાસ-સેર ભારત છેડેથી ચાલુ હતી એને બ્રિટિશ મ્યુઝિયમની સમૃદ્ધ લાઈબ્રેરીના સેવને ખાસી સહાય કરી અને નવા સમયના વાહક તરીકે હિંદમાં બ્રિટનની હાજરી વસ્તુત: કઈ હદે આ દેશની શ્રી, સંપત્તિ અને સમૃદ્ધિને ઉશેટી જનારી છે એની દસ્તાવેજી વિગતો આગળ ચાલતાં ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ રૂપે વિશ્વસુલભ બની. (બાય ધ વે, આ ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે?’)

આર્થિક શોષણ ને દારુણ ગરીબીનું આ ચિત્ર બ્રિટિશ શાસન પર સાંસ્થાનિક ચકામા (ચંદ્રક નહીં) પેઠે ઊપસી રહ્યું હતું ત્યારે 1893માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદને તખતે વિવેકાનંદનો સિંહપ્રવેશ થયો. બીજી વિગતો છોડી દઈ અહીં એટલું જ સંભારું માત્ર કે આ વેદાન્તકેસરિયો સાંપ્રદાયિક જટાજૂટથી હઠી સર્વધર્મસાધક ગુરુની છાયામાં વ્યાપક ધર્મનું દરિદ્રનારાયણ રૂપ આગળ કર્યું. સાંસ્થાનિક શોષણ સામે આ નવધર્મચિંતન હતું.

1894 એ વરસ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના હિંદી ભાઈબહેનોના નાગરિક હક્કની લડાઈમાં બેરિસ્ટર ગાંધીભાઈ ડગ માંડી રહ્યા છે. એમને સારુ ઊંડી ધર્મખોજનો આ ગાળો છે જેમાં કવિ રાયચંદભાઈ(શ્રીમદ્ રાજચંદ્ર)ની સંપર્કહૂંફ ઉપરાંત આવી મળેલો અણચિંતવ્યો સધિયારો તોલ્સ્તોયના વાંચનનો હતો. ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ મૂળ રૂસીમાં 1893માં બહાર પડ્યું અને 1894માં તો અંગ્રેજીમાં અવતારી મુમુક્ષુ મોહનદાસના હાથમાં પડ્યું. ખ્રિસ્તી ધર્મ એ પ્રેમધર્મ છે અને પ્રેમને પ્રત્યક્ષ કૃતિમાં ઉતારવા સારુ રૂસના દુર્ભિક્ષગ્રસ્તોની સેવાનો સાદ સાંભળી તોલ્સ્તોય રાહતકાર્યમાં જોતરાય છે. દુર્ભિક્ષનો ભોગ બનેલાઓ જો ખ્રિસ્તી છે તો આ વસમા સમયમાં એમને શોષનારા શાહુકારો ય ખ્રિસ્તી છે, અને એ શાહુકારોની પૂંઠે અડીખમ સમર્થન આપનાર નામદાર ઝાર પણ ખ્રિસ્તી છે! પ્રેમધર્મના યાત્રીને આ જે ‘સાક્ષાત્કાર’ થયો તેણે સામાજિક તેમ જ રાજ્યવિષયક આલોચનાવિવેક એટલે કે ‘ક્રિટિક’ની અનિવાર્યતા સમજાવી. હિંદીવાનો સારુ લડી રહેલા ગાંધીને ધર્મખોજના જ એક દુર્નિવાર અંગ તરીકે શાસનમીમાંસાની જરૂરત પકડાઈ. પરંપરાગત ધર્મખોજની આ સંપ્રદાયમુક્ત નાગરિક સમુત્ક્રાંતિ આપણા સમયની એક મોટી વાત હતી અને છે.

ભારત, ઇગ્લેન્ડ, રશિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, આફ્રિકા- ચાર ખંડ ને પાંચ દેશમાં આ જે મંથન ચાલ્યું, એક રીતે એનું નવનીત લઈને ‘હિંદ સ્વરાજ’ આવ્યું.

વીસમી સદીનો પહેલો દસકો ઉતરતે એ અને ‘ગોરા’ બેઉ લગભગ એક જ અરસામાં.

આ સંબલ સામે શો છે આપણો હિસાબ?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023

Loading

રખડતાં કૂતરાઓ અંગે ગાંધીજીએ 100 વર્ષ પહેલાં ઉપાય સૂચવ્યો હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 November 2023

રાજ ગોસ્વામી

તાજેતરમાં, જે અમદાવાદમાં બિઝનેસમેન પરાગ દેસાઈનો રખડતા કૂતરાના કારણે જીવ ગયો, એ જ અમદાવાદમાં 100 વર્ષ પહેલાં, 1926માં, પણ રખડતાં ચોપગાં પ્રાણીઓનો આવો જ ત્રાસ હતો અને એ વખતના મિલ માલિક અંબાલાલ સારાભાઈએ એવાં 60 કૂતરાંને મારી નાખ્યાં હતાં. એક અહિંસા પ્રેમી ચુસ્ત હિંદુ હોવાના નાતે, અંબાલાલને આવી હિંસાથી પસ્તાવો થયો અને તેમણે પીડાનું સમાધાન કરવા માટે મહાત્મા ગાંધીનું શરણું લીધું. ગાંધીજીએ તેમના કૃત્યને ટેકો આપતાં કહ્યું હતું, “આમાં બીજું થઇ પણ શું શકે?”

અહિંસાના પૂજારીએ કૂતરાંને મારી નાખવાના કૃત્યને સમર્થન આપ્યું એટલે જીવદયા પ્રેમીઓમાં હોબાળો થયો. મહાત્માને કાગળો લખવામાં આવ્યાં અને તેમની ટીકા થઇ. મહાત્માએ તેના જવાબમાં, તેમના “યંગ ઇન્ડિયા” સામયિકમાં એક લેખ લખીને તેમનો મત વધુ સ્પષ્ટ કર્યો:

“જ્યારે રાજ્ય રખડતા કૂતરાઓની ચિંતા કરતું ન હોય, ન તો મહાજન કરતું હોય, અને જ્યારે કોઈ તેમની સંભાળ રાખવા તૈયાર ન હોય, તો પછી, અને જો એ સમાજ માટે જોખમી હોય, તો તેમને મારી નાખવા જોઈએ અને તેમને મરવાના વાંકે જીવવામાંથી રાહત આપવી જોઈએ.”

2015માં, સડકો પર રખડતાં ઢોરોના ત્રાસ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજી પરની સુનાવણી વેળા, વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ, “યંગ ઇન્ડિયા”માં છપાયેલો ગાંધીજીનો આ લેખ તેમની દલીલના સમર્થનમાં રજૂ કર્યો હતો.

ગાંધીજીએ આ મુદ્દે ચર્ચા કરતી વખતે લેખમાં કહ્યું હતું કે, “રખડતાં કૂતરાઓ સમાજની સંસ્કૃતિ અથવા કરુણાની નિશાની નથી; તેનાથી વિપરીત, તેઓ સડકો પર રખડે છે તે સમાજના લોકોની અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા બતાવે છે. કૂતરો એક વફાદાર સાથી છે. કૂતરાઓ અને ઘોડાઓની વફાદારીના અસંખ્ય ઉદાહરણો છે, અને તેનો અર્થ એ થયો કે આપણે તેમને સારી રીતે રાખવા જોઈએ અને તેમને રખડતા મુકવા ન જોઈએ. રખડતા કૂતરાઓનાં દૂષણને વધવા દઈને આપણે તેમના પ્રત્યેની જવાબદારીમાંથી છટકી ન જઈ શકીએ.”

કમનસીબે, સો વર્ષમાં રખડતા કૂતરાઓનું દૂષણ ભારતમાં સતત વધ્યું છે, એક સમાજ તરીકે આપણે અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા જ સેવી છે. વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂરી દુનિયામાં ભારતમાં રખડતા કૂતરાઓના સૌથી વધુ હુમલા થાય છે. મહાત્માએ સાચી વાત કરી હતી. કૂતરાઓ વફાદાર તો છે, પણ આપણે સો વર્ષ પછી તેની સંભાળ રાખવાનું શીખ્યા નથી. એક અંદાજ પ્રમાણે, ભારતમાં 1 કરોડ પાલતું કૂતરાઓ છે. તેની સામે, રખડતાં કૂતરાઓની સંખ્યા 6 કરોડ છે. આ સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.

પૂરી દુનિયામાં થઈને, હડકવાથી મરનારા લોકોની સંખ્યા ભારતમાં 36 પ્રતિશત છે. ભારતમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ આવા કૂતરાઓનો ભોગ બને છે. હમણાં માર્ચ મહિનામાં, હૈદરાબાદની એક સોસાઈટીમાં ચાર વર્ષના એક બાળકને કૂતરાઓએ ફાડી ખાધું તેનો વાઈરલ વીડિયો જોઇને લોકો ધ્રુજી ઉઠ્યા હતા. એપ્રિલ મહિનામાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં એક નિવૃત્ત ડોકટરને કૂતરાઓ ફાડી ખાધા હતા. મજાની (!) વાત એ છે કે ભારતમાં રખડતાં કૂતરાઓના મોટાભાગના હુમલાની ફરિયાદ પણ નોંધાતી નથી.

મોટાભાગના ભારતીયો માને છે કે તેમના વિસ્તારમાં રખડતા કૂતરાઓના હુમલા રોજના છે અને નગરપાલિકા કૂતરાં કરડવાથી બચવા માટે જરૂરી પગલાં લેતી નથી. ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ રખડતા કૂતરાઓ છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંખ્યામાં કૂતરાઓ કરડે છે. બિહાર સરકારે શોધી કાઢ્યું હતું કે રાજ્યમાં થતા રોગોનું સૌથી મોટું ત્રીજું કારણ રખડતાં કૂતરાઓનું કરડવું છે.

રખડતા કૂતરાઓના રક્ષણ માટે 2001માં બનાવવામાં આવેલા કાયદાના કારણે રખડતાં કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે. પશુ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થાના અભાવમાં ભારતમાં રખડતાં કૂતરાઓની વસ્તીનો વિસ્ફોટ થયો છે. થોડા મહિના પહેલાં, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈએ એક જનહિતની અરજી દાખલ કરતાં કહ્યું હતું કે રખડતાં કૂતરાઓના ત્રાસના કારણે શહેરના ઘણા લોકોનું વોકિંગ કરવાનું અઘરું થઇ ગયું છે. પરાગ દેસાઈનું મૃત્યુ તેનો જીવતો જાગતો દાખલો છે.

ભારતમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી જવાનું એક કારણ એ જ છે, જે 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીન સમયે હતું; કૂતરાઓને લઈને ધાર્મિક અને સામાજિક માન્યતાઓ. દેશના ઘણા સમુદાયોમાં કૂતરાઓને પવિત્ર માનવામાં આવે છે એટલે ન તો તેમનું વ્યંધીકરણ થાય છે કે ન તો તેમને પકડાવામાં આવે છે. અમુક વર્ગોમાં કૂતરાઓને ઘરમાં પાલતું બનાવવા પર પણ નિષેધ છે. ઉપરાંત, ભારતમાં જીવદયાની ભાવના પણ ઘણી તીવ્ર છે એટલે રખડતાં કૂતરાઓ સામે કોઈ કાર્યવાહી અઘરી થઇ જાય છે.

ગાંધીજીએ ત્યારે પણ કહ્યું હતું કે કૂતરાં રખડતાં રાખવાં એ “શરમ”ની વાત છે. ઉદાર માણસે તેની આવકમાંથી અમુક પૈસા કૂતરાઓની સંભાળ રાખતી સંસ્થાઓને આપવા જોઈએ, અથવા તેણે જાતે એક કે એકથી વધુ કૂતરાઓની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.

એમાં પણ એક સમસ્યા છે. ભારતમાં ગરીબી ઘણી છે. જ્યાં પરિવારજનોને ખવડાવા-પીવડાવાના વેંત ન હોય, ત્યાં ગરીબ લોકો કૂતરાઓ ને કેવી રીતે પાળે? દેશના શહેરોમાં ગરીબ વિસ્તારોમાં કૂતરાઓ સૌથી વધુ ભટકતાં જોવા મળે છે. તે જ સંબંધમાં, બીજી એક હકીકત એ પણ છે કે શહેરી વિસ્તારોની સોસાઈટીઓમાં રખડતાં કૂતરાઓ “ગાર્ડ”ની ફરજ બજાવતાં હોય છે. સોસાઈટીમાં રહેતાં લોકોમાં ચોરનો ડર ઘણો હોય છે અને તેમને એવું લાગે છે આસપાસમાં કૂતરાં હોય તો રાતે તે ચોરથી સુરક્ષિત રાખે છે.

મનુષ્યો અને કૂતરાઓનો સંબંધ સદીઓ જૂનો છે, પરંતુ એક વાત નોંધવા જેવી છે કે ભારતમાં શહેરીકરણની સાથે તેમનો ત્રાસ વધ્યો છે. કૂતરાઓની વસ્તીને નિયંત્રણમાં રાખવાની કોઈ વ્યવસ્થા નથી એટલે અને માણસોના ગામડાઓમાંથી શહેરમાં થતાં સ્થળાંતરમાં સાથે કૂતરાઓનું પણ આગમન થાય છે એટલે સડકો પર તેમની સંખ્યા વધી ગઈ છે. તેની સાથે સંબંધિત પ્રશ્ન કૂતરાઓના ખાવાનો છે. મોટાભાગે તે ખોરાકની તલાશમાં સડકો પર, ગલીઓમાં ફરતાં હોય છે અને એમાં જ મનુષ્યો સાથે સંઘર્ષમાં આવે છે.

કૂતરાઓ શાંત અને નિર્દોષ પ્રાણી છે એવી એક વ્યાપક માન્યતા ખોટી તો નથી જ, પરંતુ શહેરી વાતાવરણમાં રહીને કૂતરાઓના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે તે પણ હકીકત છે. કૂતરાઓની અને વાનરોની આક્રમકતા લગભગ એક સરખી જ છે. વાનરો પણ ખોરાકના અભાવમાં શહેરમાં આવીને હિંસક થઇ જાય છે. અમુક વેટેનરી નિષ્ણાતો એવું પણ માને છે કે રખડતાં કૂતરાઓને કાચું માંસ ખાઈને તેનો સ્વાદ જીભે લાગી ગયો હોય છે એટલે તે માણસો પર હુમલા કરે છે.

રખડતા કૂતરાઓનું શું કરવું તેને લઈને દેશમાં આજે પણ એક મત નથી. એક વર્ગ માને છે કે તેમને મારી નાખવા જોઈએ. બીજો વર્ગ એવી હિંસાના પક્ષમાં નથી અને સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ એવું માને છે. પરિણામે દેશની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં તેને લગતી ઘણી અરજીઓ થઇ છે.

મહાત્મા ગાંધીનો મત પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં મદદરૂપ બની શક્યો નથી એ જ બતાવે છે કે સમસ્યા કેટલી જટિલ છે. બાકી, જ્યાં સુધી નૈતિકતાનો પ્રશ્ન છે ત્યાં સુધી મહાત્માએ તેનો સરળ ઉપાય સૂચવ્યો હતો. પેલા લેખમાં તેમણે અંબાલાલ સારાભાઇના “પાપ”ના સંદર્ભમાં લખ્યું હતું, “જો તેઓ કૂતરાને મારે, તો તે પાપ કહેવાય. જો ન મારે, તો વધુ ગંભીર પાપ કહેવાય. એટલે, તેમણે ઓછું પાપ કરીને પોતને મોટા પાપમાંથી બચાવી લીધા છે. હડકાયા કૂતરાનો નાશ કરવો એ ઓછામાં ઓછી હિંસા છે.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિકક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગોપનીયતાનું ઉઘડાપણું: ચૂંટણી બોન્ડની માહિતી મતદાર સિવાય બધા પાસે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 November 2023

રાજ ગોસ્વામી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ, ચૂંટણી બોન્ડની કાનૂની માન્યતા સંબંધી કેસની એક મહત્ત્વની સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે, ત્રીજા દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીનાં રાજકીય ભંડોળ અંગે માહિતી માંગી છે.

કોર્ટે ચૂંટણી પંચને યાદ અપાવ્યું કે 2019માં એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન લેનારા તમામ રાજકીય પક્ષોની વિગતો ચૂંટણી પંચને આપવાની હતી. કોર્ટે પંચને પૂછ્યું હતું કે આ આદેશ છતાં 2019 પછી કોઈ ડેટા કેમ રજૂ કરવામાં આવ્યો નથી. પંચ હવે બેંકો અને રાજકીય પક્ષો પાસેથી ભંડોળનો ડેટા લેશે અને કોર્ટને આપશે.

આ કેસ આઠ વર્ષથી વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને બધાની નજર તેના પર છે કારણ કે આ કેસના પરિણામની 2024ની લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. ચૂંટણી બોન્ડ યોજના, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા 2017ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ બોન્ડ દ્વારા કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા કંપની રાજકીય પક્ષોને દાન કરી શકે છે. તે એક પ્રકારની પ્રોમિસરી નોટ છે જે કોઈપણ ભારતીય નાગરિક અથવા કંપની દ્વારા ખરીદી શકાય છે.

ચૂંટણી બોન્ડ યોજના માત્ર ચૂંટણી સુધારા અથવા રાજકીય ભંડોળ વિશે નથી. ભારતમાં રાજકીય પક્ષો અથવા સરકાર અને મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો દાયકાઓથી ચાલી રહ્યા છે. આ દૃષ્ટિકોણથી, ચૂંટણી બોન્ડ યોજના લોકશાહી પ્રણાલીની શુદ્ધતા અને પારદર્શિતા તેમ જ સરકાર અને રાજકીય પક્ષોની જવાબદારી સાથે સંબંધિત છે.

ચૂંટણી બોન્ડ સંબંધિત કેટલાક પ્રશ્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાગરિકોને ખબર નથી કે કોણ દાન કરી રહ્યું છે અને કયા પક્ષને તે મળી રહ્યું છે. દાતા અનામી છે અને દેશના નાગરિકો પણ અજાણ છે કે કયા પક્ષને તે અનામી વ્યક્તિ પાસેથી કેટલું દાન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકાર આ યોજનાને માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ લાવવા માંગતી નથી.

બીજો મુદ્દો એ છે કે અગાઉ વીસ હજારથી વધુનું દાન અને વ્યવહારોનો હિસાબ ચૂંટણી પંચ પાસે રાખવામાં આવતો હતો. ચૂંટણી પંચે આ વિગતો જાહેર પણ કરી છે. પરંતુ ચૂંટણી બોન્ડ યોજના પછી સ્થિતિ બદલાઈ ગઈ. હવે, કોઈને ખબર નથી કે કયા રાજકીય પક્ષને કેટલા પૈસા દાનમાં આપવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ લાવવા પાછળનું સૌથી મોટું કારણ પારદર્શિતા હોવાનું કહેવાય છે, પરંતુ જાન્યુઆરી 2018 થી, જે થઈ રહ્યું છે તે તેનાથી વિપરીત છે.

એ વાત સાચી છે કે જે પણ રાજકીય પક્ષ સત્તામાં હોય, તેને શરૂઆતથી વધુ દાન મળે છે, પરંતુ ચૂંટણી બોન્ડ્સે 2018થી સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. સત્તાધારી અને વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધ્યું છે. પારદર્શિતાની સાથે સાથે ભ્રષ્ટાચારનો પણ મુદ્દો છે. કાઁગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે ભા.જ.પ.ને ગુપ્ત રીતે મોટા કોર્પોરેટ જૂથો પાસેથી મોટા પાયે દાન મળે છે અને ચૂંટણી બોન્ડ લાવવા પાછળ ભા.જ.પ. સરકારનો ઇરાદો ચૂંટણી દાનમાં પારદર્શિતા લાવવાનો, ભ્રષ્ટાચાર અને કાળું નાણું સમાપ્ત કરવાનો હતો. જો કે, ભા.જ.પ. કહેતું આવ્યું છે કે કાઁગ્રેસ નથી ઇચ્છતી કે રાજકીય ભંડોળની વ્યવસ્થા પારદર્શક હોય અને તેથી જ તે તેનો વિરોધ કરે છે.

ચૂંટણી બોન્ડ યોજનાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ગોપનીયતાનો છે. એટલે કે, કયા પક્ષને આ યોજના દ્વારા કોની પાસેથી કેટલા પૈસા મળ્યા એની માહિતી જાહેર કરાતી નથી. યોજનાને 2017માં જ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, અને સુનાવણી 2019માં શરૂ થઈ હતી. એ પછી વિવિધ દલીલો વચ્ચે કેસ મુલતવી રહ્યો હતો. હવે તે અંતિમ સુનાવણી પર છે.

સુનાવણીના ત્રીજા દિવસે, ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજકારણીઓ અને રાજકીય પક્ષોને દાન આપતા દાતાઓની ગોપનીયતાની તરફેણમાં દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે નામો ગોપનીય હોવાથી દાતાઓ હેરાનગતિ કે વેર ભાવનાથી સલામત રહે છે.

જવાબમાં, મુખ્ય ન્યાયમૂર્તિએ આ દલીલમાં પંક્ચર પાડતા કહ્યું હતું કે આ યોજનામાં સમસ્યા એ છે કે તેમાં “સિલેક્ટિવ ગોપનીયતા” છે. તે સંપૂર્ણ ગોપનીય નથી, કારણ કે જેની પાસે તેનો પૂરો વહીવટ છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે કાનૂનનો અમલ કરાવતી એજન્સીઓને તો બધી ખબર છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સૌથી મોટો મુદ્દો એ હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષને કોણ અને કેટલું દાન આપે છે તેની લોકોને માહિતી હોવી જોઈએ કે નહીં. સરકારની એ દલીલને સ્વીકારવી અઘરી છે કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.

બેંચના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું, “આપણે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો જાહેર કેમ ન કરી શકીએ?” તેમણે કહ્યું કે આ પૈસા વિશે બધા જાણે છે, એકમાત્ર વ્યક્તિ જેને આ વિશે જાણ કરવામાં આવતી નથી તે મતદાર છે. ન્યાયમૂર્તિ ખન્ના સરકારની એ દલીલ સાથે અસંમત હતા કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.

સુનાવણી શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. તેણે ધ્યાન દોર્યું હતું કે ચૂંટણી બોન્ડની માહિતી મેળવવાનો અધિકાર “વાજબી પ્રતિબંધો” હેઠળ આવે છે. એટલે કે, જ્યારે જરૂર પડે ત્યારે તેની માહિતીને નકારી શકાય છે. 2 નવેમ્બરના રોજ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજમાં કેટલીક ‘ગંભીર ખામીઓ’ છે. આને ધ્યાનમાં રાખીને વધુ સારી યોજના બનાવી શકાય તેમ છે.

અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. 1 નવેમ્બરના રોજ, સી.જે.આઈ. ચંદ્રચુડે પૂછ્યું હતું કે શા માટે સત્તામાં રહેલી પાર્ટીને જ સૌથી વધુ દાન મળે છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ લોકો સુધી માહિતીના પ્રવાહને અવરોધી શકે છે.

આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ ત્યારથી રાજકીય પક્ષોને મળેલા દાનમાંથી અડધાથી વધુ દાન એકલા ભા.જ.પ.ને જ મળ્યું છે. ચૂંટણી બોન્ડની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવવાનું આ એક મુખ્ય કારણ છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજના કોર્પોરેટ ગૃહો પાસેથી લાંચ લેવાની એક રીત છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો વિશેની માહિતી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને ભૂષણે કહ્યું હતું કે જો નાગરિકોને ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર છે, તો તેમને ચોક્કસપણે એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષને કોણ ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પ્રત્યુત્તરમાં કહ્યું હતું, “કોર્પોરેટ સત્તાપક્ષને મોટું દાન આપે છે, અન્ય પક્ષોને નાનું. તેઓ સરકાર તરફથી ફાયદો લઇ રહ્યા છે. તેમને પાવરનો આનંદ મળે છે. આ પણ ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ છે. જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો આ યોજનાને તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. મત આપવાનો અધિકાર ગુપ્ત છે, પરંતુ રાજકીય દાતાઓની તો દરેકને ખબર હોવી જોઈએ.”

રાજકીય ભંડોળમાં કાળા નાણાંને નાબૂદ કરીને રાજકીય પક્ષો માટે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ભારતમાં ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે ટીકાકારોનું કહેવું છે કે ચૂંટણી બોન્ડની વિપરીત અસર થઈ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સહ-સ્થાપક જગદીપ છોકર કહે છે, “આ રીતે ચૂંટણી બોન્ડ શાસક પક્ષને અનુચિત લાભ આપે છે.”

બી.બી.સી. પર જારી એ.ડી.આર.ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 9,188 કરોડમાંથી એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કાઁગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા.

એ.ડી.આર.ના અહેવાલ મુજબ, નાણાંકીય વર્ષ 2017-18 અને નાણાંકીય વર્ષ 2021-22 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 743 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કોર્પોરેટ દાનમાં માત્ર 48 ટકાનો વધારો થયો છે.

આ પાંચ વર્ષમાંથી સૌથી વધુ 3,439 કરોડ રૂપિયા 2019-20(લોકસભાની ચૂંટણીના વર્ષ)માં ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યા હતા. તેવી જ રીતે, વર્ષ 2021-22 માં (જેમાં 11 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી) રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા લગભગ 2,664 કરોડ રૂપિયા મળ્યા હતા.

ફેબ્રુઆરી 2017માં, કેન્દ્રીય બજેટ ભાષણ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ યોજના જાહેર કરી વખતે ચિંતા વ્યક્ત કરી હતી કે, “આઝાદીના 70 વર્ષ પછી પણ દેશ રાજકીય પક્ષોને ભંડોળ આપવાની પારદર્શક પદ્ધતિ વિકસાવી શક્યો નથી, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે.”

વિડંબના એ છે કે આટલા ઉદ્દાત ઈરાદો હોવા છતાં આ યોજના હવે શંકા-કુશંકાઓનો વિષય બની ગઈ છે.

લાસ્ટ લાઈન:

“સમસ્યાનું સરકારી સમાધાન એ સમસ્યા જેટલું જ ખરાબ હોય છે.”

– મિલ્ટન ફ્રાઈડમેન, નોબેલ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી

——————————-

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 05 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...909910911912...920930940...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved