Opinion Magazine
Number of visits: 9456147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વર – શેરાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|5 July 2025

ઈશ્વર વિશે એટલું બધું લખાયું, બોલાયું, ગવાયું, ભજવાયું છે કે, એમાં કશું નવું ઉમેરવાની આ જણની તો ક્ષમતા નથી જ. પણ માનીતી ગુજરાતી ગઝલો સાંભળતાં નીચેના બે શેર ઈશ્વર વિશે સાંભળ્યા :

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

                                            – અમૃત ‘ઘાયલ’

તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.

                                                    – બેફામ 

અને આ અવલોકનકારનાં આંગળાં સળવળી ઊઠ્યા – અને આ અવલોકન. આ વિચારો સાથે વાચકને સહમત થવાની સહેજ પણ જરૂર નથી. એટલી આશા જરૂર કે, તે આ સ્વૈરવિહાર મુક્ત મને માણે.

એ પરમ તત્ત્વનું નામ ગમે તે આપો; એને ભજવાની રીત, ઢંગ વગેરે ભલે અલગ હોય  હોય, પણ માનવજગતના કોઈ પણ હિસ્સાને ઈશ્વર વિના ચાલ્યું નથી. આ લખનારને હંમેશ એક વિચાર દોહરાયા કરે છે કે, સાવ પશુ જેવી સ્થિતિમાં રહેતા આદિ માનવને કઈ ઘડીએ અને શી રીતે ‘ઈશ્વર છે.’ – એવો વિચાર આવ્યો હશે? એ વિચાર વલોણામાંથી જ ‘ ઈશ્વરનો જન્મ’  એક વાર્તા રૂપે ઉદ્દભવ્યો હતો. આ રહ્યો :

https://gadyasoor.wordpress.com/2009/07/07/birth-of-god/

તેને કદી કોઈએ જોયો નથી, તેના વિશે જગતમાં સૌથી વધું લખાયું છે, તેના અનેક ચિત્રો અને શિલ્પો પણ બન્યાં છે – વિશ્વના દરેકે દરેક દેશમાં, વિશ્વની દરેકે દરેક જાતિમાં.

આવું કેમ છે? બહુ જ સાદાં અને સરળ કારણો છે. મનવાળા માનવીને હમ્મેશ જીવનની ક્ષણભંગુરતા, અનિશ્ચિતતા અને ભયો સતાવતા રહ્યા છે. આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક સર્વશક્તિવાળા અસ્તિત્વની હમ્મેશ ખેવના કરી છે, જે તેને વિદારી નાંખે તેવી વિટંબણાઓમાં સધિયારો આપે, રક્ષણ આપે, ઊગારે. વળી તેની તર્કસંગત વિચારસરણી વડે તે એ પણ જોઈ શકે છે કે, ‘કોઈ પણ ઘટના જો કારણ વિના ઘટતી નથી.’ – તો આટલું જટિલ જગત અને જીવન એની મેળે તો ન જ બન્યું હોય ને? આથી એણે એવા અસ્તિત્વની પરિકલ્પના કરી કે, બધાં સર્જનનો એક સર્જક હોય. તેણે એવી મહાન શક્તિ પણ ઈશ્વરમાં કલ્પી કે, જે નકારાત્મક તત્ત્વોને સંહારી, સત્ય અને શુભની સ્થાપના કરે.

આમ માણસ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો છે. તેનાં ચિત્રો, શિલ્પો બનાવતો રહ્યો છે. કોઈ તેને સાકાર કલ્પે છે – કોઈ નિરાકાર. પણ માણસને ઈશ્વર વિના ચાલ્યું નથી.

એમાં કશું ખોટું પણ નથી. નાસ્તિકો આ વાતને નહીં સ્વીકારે. પણ જીવનના સંઘર્ષોને પહોંચી વળવા આ માન્યતા થકી માણસને અસીમ બળ મળતું હોય તો તે ઘટિત છે જ. કોઈ પણ માન્યતા આપણને સક્રિય બનાવતી હોય, શક્તિમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાંગ ભરાવી શકતી હોય,  એકબીજાની સાથે પ્રેમભાવના અને ભ્રાતૃભાવ પ્રગટાવતી હોય તો તે ઈચ્છવા યોગ્ય જ ગણાવી જોઈએ.

માત્ર આટલે સુધી જ આ માન્યતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ પણ ઊભી થઈ છે. મેં ઈશ્વરની જે કલ્પના કરી હોય તે બીજા કોઈની કલ્પના કરતાં જુદી હોય તો તેનો ઈશ્વર અને મારો ઈશ્વર ટકરાય, બાખડે – અથવા તે ઈશ્વરો વતી અમે બે બાખડીએ! લોહી રેડાય, અને શક્તિમાન થવાની લાહ્યમાં હું અવ્વલ મંજીલ પણ પહોંચી જઉં! હજારો વર્ષોથી આવા લોહિયાળ સંઘર્ષો કરુણાના સાગર સમા ઈશ્વરના નામ પર થતા આવ્યા છે.

અરે! એક જ ધાર્મિક માન્યતામાં પણ ખટરાગ પેદા થયા. અને ફાંટા પડ્યા. જીસસ એક જ – પણ કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, પ્રેસ્બીટેરિયન, બેપ્ટીસ્ટ, સીરિયન વગેરે ફાંટાઓ જુદા જુદા. વૈષ્ણવ, શૈવ, શાક્ત, સ્વામીનારાયણ, રાધાસ્વામી… અરે સ્વામીનારાયણમાં ય અલગ અલગ ફિરકાઓ. ઈશ્વરને કેમ ભજવો તેના વિવાદ! મૂળ મુદ્દે ઈશ્વરના નામે ભેગી થતી અઢળક સમ્રુદ્ધિ, સત્તા, શક્તિ અને અનુયાયીઓની ફોજ પર આધિપત્યની મુઠ્ઠીભર વ્યક્તિઓની સ્વાર્થી લાલસાઓ.

બીજી એક આનાથી પણ વધુ હાનિકારક ખરાબી સર્જાઈ તે એ કે, હું ઈશ્વરની આરાધના કરું, એટલે મારું બધું ઉત્તરદાયિત્વ સમાપ્ત. હજાર હાથવાળો બાકીનું બધું સંભાળી લેશે! સાવ અકર્મણ્યતા. મહમ્મદ ગઝની સોમનાથ પર ચઢી આવ્યો, ત્યારે તેનો સામનો કરવાને બદલે, ભગવાન શંકર એને જેર કરી નાંખશે તે આશામાં તેને પૂજતા રહ્યા. સર્વ શક્તિમાન પ્રભુની કેટકેટલી મૂર્તિઓ પામર યવનોના આક્રમણને ખાળી ન શકી.

બીજા સંદર્ભમાં આ માન્યતાઓનો આગ્રહ એટલો બધો કે, તેના ગુરુઓ કહે તે સિવાય એક હરફ પણ ઉચ્ચારે તે પાપી. તેને માટે શિક્ષાઓ તૈયાર. સહેજ વિરોધી સૂર કાઢવા માટે ખ્રિસ્તી પાદરીઓએ બ્રુનોને જીવતો સળગાવી દીધો.

આ બધું એ પરમકૃપાળુ , દીનદયાળ, કરુણાના સાગરના નામે.

ભગવાનના પૂજન અને અર્ચનમાં મગ્ન આપણે ભગવાનને છપ્પન ભોગ ધરાવતા રહ્યા, સામૈયાઓ કરતા રહ્યા, અન્નકૂટો અને યજ્ઞો યોજતા રહ્યા. એ દરીદ્રનારાયણના મહાલયની પાછલી ભીંતે દરીદ્રતા કણસતી રહી. ભૂખ્યાંને રોટલો આપવાની માનવતા ભૂલાઈ. નાગાં પૂગાં માનવીઓનો તારણહાર મોંઘાદાટ રેશમી વાઘામાં મહાલી રહ્યો. જે મહેનતકશ માનવીઓ આખા સમાજની ગંદકી સાફ કરે, તેમને એ મહાલયમાં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની ઝૂંપડીનો દીવો બુઝાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમાં ઝળહળી રહ્યો.

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે
?

– કૃષ્ણ દવે

અને આ બધી અવઢવમાં ઈશ્વર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમાં આવી ગયો. જે સર્વ શક્તિમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મુક પ્રેક્ષક બની ગયો.

માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો!

શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો? ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનની અંદર એ તો મહાલે છે.

હું માનવી માનવ થાઉં તો ઘણું.

e.mail : surpad2017@gmail.com

Loading

પરિવર્તન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|5 July 2025

અજયભાઈ અને રમણભાઈ બંને મિત્રો હતા. એક જ શહેરમાં રહેતા હતા અને સાથે સાથે બંનેએ પોતાના બાપદાદાના ધંધાને સંભાળી લીધો હતો. બંને મિત્રો વારંવાર ફોન ઉપર વાત કરતા અને પ્રસંગોપાત રૂબરૂ મુલાકાત પણ કરતા. અજયભાઈ સ્વભાવે શાંત અને સરળ હતા. રમણભાઈ થોડાક સ્વમાની અને પોતાના સ્વમાન માટે વધારે પડતા આશાવાદી હતા. અજયભાઈને રમણભાઈ સાથે ઘણા વખતથી વાત થઈ નહોતી એટલે ફોન કર્યો કે રમણ આપણે ઘણા વખતથી મળ્યા નથી એટલે આપણે મળીએ. બંને મિત્રએ મળવાનું નક્કી કર્યું.

નક્કી થયા પ્રમાણે સાંજે બગીચામાં બંને મિત્રો ભેગા થયા. બંનેએ ઘણી વાતો કરી, જૂનાં સંસ્મરણોને વાગોળ્યાં, પણ રમણભાઈ જરા ચિંતામાં હોય એવું અજયભાઈને લાગ્યું, “રમણ તું કંઈક ચિંતામાં હોય એવું લાગે છે.” “ના, એવી કોઈ ચિંતા નથી પણ ઘરમાં થોડી ચણભણ ચાલે છે. આજના છોકરાઓને હવે આપણી વાત અને સલાહ નકામી લાગે છે, જાણે આપણને કાઈ ખબર જ પડતી નથી. પોતાના વિચાર પ્રમાણે વર્તન કરે છે. બાકી બધું બરોબર છે ચિંતાનું કોઈ કારણ નથી.” 

અજયભાઈને અને રમણભાઈને એક દીકરો અને દીકરી હતા. બંને એ દીકરીના અને દીકરાના લગ્ન કરી દીધા હતા. બંનેના દીકરાની વહુ સારી અને સંસ્કારી હતી. 

અજયભાઈ તેના કૌટુંબિક માહોલમાં સેટ થઈ ગયા હતા પણ રમણભાઈ સેટ થઈ શક્યા નહોતા. તે વિચારતા કે આપણને કોઈ વડીલ તરીકે નથી માન આપતું કે નથી કોઈ સાંભળતું. અજયભાઈ, રમણભાઈના સ્વભાવથી પરિચિત હતા એટલે અજયભાઈએ કહ્યું, “રમણ, તું થોડા દિવસ મારા ઘરે રહેવા આવ. આપણે સાથે રહ્યાને ઘણો સમય થયો છે સાથે રહેવાની મઝા આવશે.”

“હા, તારી વાત સાચી છે. હું નક્કી કરીને તને કહીશ.”

રમણભાઈએ તેમના પત્નીને વાત કરી. અજય થોડા દિવસ તેના ઘરે રહેવા જવા માટે કહે છે. દીકરા, વહુને પણ વાત કરી, તેમને પણ અજયકાકાને ત્યાં રહેવા જવાની સંમતિ આપી. રમણભાઈએ અજયભાઈને ફોનથી જાણ કરી. અજયભાઈએ તેના દીકરા અનીલ અને પુત્રવધૂ દીપાને વાત કરી. ઘરનો માહોલ આનંદમય થઈ ગયો. રમણભાઈ, અજયભાઈને ત્યાં રહેવા આવ્યા. અજયભાઈના દીકરા અને વહુએ રમણભાઈ અને તેમના પત્નીને સારી રીતે આવકારી અને પગે લાગ્યાં. 

અજયભાઈ કહે, “રમણ, તેં સારું કર્યું, મારી વાત માની. આપણને સાથે રહેવાનો લ્હાવો મળશે.” દીપાએ પૂછ્યું, “કાકા, ચા તમારા માટે કેવી બનાવું? પપ્પા તો ઓછી ખાંડની ચા પીવે છે. પપ્પાને ડાયાબીટિસ નથી પણ સાવચેતી માટે.” “જોયું રમણ, દીપા મારો કેટલો ખ્યાલ રાખે છે.” “હા, બેટા, કાકા માટે પણ એવી જ ચા બનાવજે.” રમણભાઈ વિચારમાં પડી ગયા. 

રીટા, વિજયે (રમણભાઈનો દીકરો પત્ની અને રમણભાઈની પુત્રવધૂ) પણ મહેમાન આવ્યા ત્યારે આમ જ પૂછ્યું હતું અને ત્યારે મેં કહ્યુ હતું, “ડાયાબીટિસ નથી તો શું! કેમ મોળી ચા પીવાની અને અત્યારથી એવી ચિંતા શું! કામ કરવાની?” “એ ય! રમણ, ક્યાં ખોવાઈ ગયો? દીપા ચા-નાસ્તો લાવી છે. આપણે તેની મહેનતને ન્યાય આપીએ.” દીપાએ અજયભાઈને પૂછ્યું, “પપ્પા, રાત્રે જમવામાં શુ બનાવું?” “બેટા, જે બનાવ તે, મને તો તારા હાથની બધી જ રસોઈ ભાવે છે.” “ના, પપ્પા તમને આખાં રીંગણાનું ભરેલું શાક બહુ ભાવે છે, તે બનાવીશ.” “કાકા, તમને અને કાકીને ભાવશે ને?” “જોયું રમણ, દીપાને પણ ભાવે છે પણ મારી દીકરી મારા નામે બનાવશે. હું પણ ખુશ, દીપા પણ ખુશ.” રમણભાઈ, અજયભાઈ અને દીપાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. રીટા સાથેની વાત યાદ આવી ગઈ કે રીટા જ્યારે પૂછતી ત્યારે હું સીધા જવાબ નહોતો આપતો. અને કહેતો ‘મને પૂછીને રસોઈ તો તમારી પસંદગીની જ બને છે. તો પૂછો છો શું કામ?’ અજયભાઈ, રમણભાઈની વારંવાર વિચારમાં પડી જવાની સ્થિતિને નિરખી રહ્યા હતા. અને વિચારતા કે રમણને કંઈક તો સમજાઈ રહ્યું છે. જરૂર તેના વર્તનમાં ફેરફાર થશે.

રમણભાઈ, અજયભાઈના ઘરમાં બનતા દરેક પ્રસંગને પોતાની રીતે મૂલવી તેમાં રહેલી હકારાત્મક બાબતને પોતાનામાં ઉતારી રહ્યા હતા. અને મનોમન સંઘર્ષ કરતા હતા. પંદર દિવસનો સમય તો જોતજોતામાં ક્યાં પસાર થઈ ગયો એ ખબર ન પડી. અજયભાઈએ એક વાતની નીંધ લીધી હતી કે રમણને અહીંયા રહેવા બોલાવ્યો એ ફાયદામાં રહેશે.

“અજય, અમને અહીયા આવ્યાને પંદર દિવસ થયા અને આ સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. હવે અમે ઘરે જઈએ. વિજય અને રીટા રાહ જોતાં હશે. અને તું વચન આપ કે જલદી તું મારે ત્યાં રહેવા આવીશ.”

અજયભાઈએ રહેવાનો આગ્રહ કર્યો પણ રમણભાઈએ વિજયને ફોન કરી ગાડી મંગાવી લીધી હતી. ભારે હૈયે બંને મિત્ર છૂટા પડ્યા. રમણભાઈને લાગ્યું કે તે કંઈક અહીંથી લઈને જાય છે. અજયભાઈને લાગ્યું કે મેં રમણને કંઈક સકારાત્મક આપ્યું. વિજયે ગાડી મોકલી હતી. અજયભાઈને આવજો કહીને ગાડીમાં ઘરે જવા નીકળ્યા. રમણભાઈએ રસ્તામાં ગાડીને એક સાડીવાળાની દુકાનને ઊભી રાખવા કહ્યું. રમણભાઈના પત્નીએ પૂછ્યું, “શું કામ છે?” “તું મારી સાથે દુકાનમાં ચાલ, અને રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કર.” “પણ રીટાને ગમશે?” “હા, ગમશે, માતા, પિતા જે ભેટ આપે એ છોકરાઓને ગમે જ.” રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કરી અને વિજય માટે સૂટનું કાપડ ખરીદ્યું. રમણભાઈની પત્ની પણ મનોમન ખુશ હતાં.

સાડીવાળાની બાજુમાં મીઠાઈની દુકાન હતી, ત્યાંથી રીટાને ભાવતી બંગાળી મીઠાઈ અને વિજયને ભાવતી મીઠાઈ ખરીદી ઘરે પહોંચ્યાં. વિજય અને રીટા રાહ જોતાં હતાં. બંને પગે લાગ્યાં. અજયકાકાના સમાચાર પૂછ્યા, “પપ્પા, ચા બનવું કે ઠંડું આપું?” “રીટા બેટા, વિજય, એ બધું પછી, પહેલાં મારી પાસે બેસો.” રીટાએ રમણભાઈના પત્ની (સાસુ) સામે જોયું. તેમણે આંખોથી હા દર્શાવી. “લે, બેટા, આ સાડી, અમે તારા માટે ખરીદી છે અને વિજય તારા માટે સૂટનું કાપડ ખરીદ્યું છે. અમારા બંને તરફથી ભેટ.”

રીટા, વિજયે એક બીજા સામે જોયું, હકારની સંમતિથી ભેટ લઈ અને બોક્સ ખોલ્યું. બંનેના ચહેરા ઉપર આનંદ છવાઇ ગયો અને ભાવવિભોર થઈ મમ્મી પપ્પાને ફરીથી પગે લાગ્યાં. રમણભાઈ અને તેની પત્ની પણ ભાવવિભાર થઈ ગયાં, ઘરમાં ખુશી, ખુશી છવાઈ ગઈ.

વિજય અને રીટાએ કહ્યું, “મમ્મી, પપ્પા, આપનો ખૂબ ખૂબ આભાર, અમને બંનેને આપની ભેટ બહુ જ ગમી.”

રમણભાઈને બહુ ગમ્યું કે પહેલી વખત ભેટ આપી અને બાળકોએ પસંદ કરી. રમણભાઈ પણ મનોમન બહુ જ ખુશ થયા. રમણભાઈ દરેક બાબતમાં ફેરફાર કરી પોતાની જાતને પરિવર્તિત કરતા ગયા અને ઘરનો માહોલ બદલાતો ગયો. એક સાંજે રમણભાઈ એમના પત્ની, વિજય અને રીટા દીવાનખંડમાં બેસીને વાતો કરતાં હતાં, ત્યારે વિજયે પૂછ્યું, “પપ્પા, તમારા આ પરિવર્તનનું રહસ્ય શું છે?” “કંઈ નહીં બેટા, હું એમ માનતો હતો કે પરિવર્તન નવી પેઢીમાં થવું જોઈએ. જૂની પેઢી પાસે અનુભવ, સમજણ અને સ્થિરતા હોય છે પણ હું મારી આ ધારણામાં ખોટો હતો, એ વાત મને અજયને ત્યાં સમજાણી કે નવી પેઢીને પરિવર્તિત કરવા માટે જૂની પેઢીએ પોતાની સમજણ, અનુભવ અને ઠાવકાઈથી નવી પેઢીને દોરવવી પડે અને સમયની માગને પણ ધ્યાનમાં રાખવી પડે. બસ આ બધું જ વિચારતો ગયો અને આજે પરિણામ આપણી / મારી સામે છે.” “હા! પપ્પા, તમારી વાત સાચી છે. નવી પેઢીએ પણ જૂની પેઢીના આચાર, વિચાર, માન, સ્વમાનને સ્વીકારવા અને અનુસરવા પડે. તો જ બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ઓછો થાય અને પુરાય.”

અજય આવવાનું કહેતો હતો, “ફોન કરું?” “ફોન ન કરતો હું જાતે જ આવી ગયો છું, સહકુટુંબ, મુદ્દલ અને વ્યાજ સાથે તારા પરિવર્તનને વસૂલવા માટે અને મૂલવવા માટે.” ને, આ વાક્ય સાથે દીવાનખંડ બધાંના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યું. ‘પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સર્વ પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. એ વાત કુદરત પાસેથી આપણે સ્વીકારવી અને શીખવી પડે કારણ કે કુદરત પોતે જ પરિવર્તનશીલ છે.’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

વચ્ચે એક તળાવ હતું

રાહી ડૂમરચીર [હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|5 July 2025

વચ્ચે એક તળાવ હતું
નદીની જેમ વહેતું હતું
હવે કોંકરીટના મહેલ છે વચ્ચે
જે પાણીની કબર પર ઉગ્યાં છે

અમસ્તુ જ નથી ગુમાવ્યું
શહેરોએ આંખોનું પાણી
ચોરાયેલી માટી નાખીને એને
સુકવી નાખ્યું છે
પ્રતીક્ષા કરી છે શહેરે
પ્રબળતાપૂર્વક

ત્યારથી બન્યા છે કિસ્સાઓ
તરસના
તરસે છે શહેર પાણી માટે
ઠેરઠેર ભટકી રહ્યાં છે શહેરવાસીઓ
આંખમાં પાણી માટે તલસાટ લઈને.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...90919293...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved