Opinion Magazine
Number of visits: 9456094
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી જીવતા હોત તો

આચાર્ય જીવતરામ કૃપલાણી [અનુવાદ- ગોવિંદરાવ ભાગવત]|Gandhiana|6 July 2025

પ્રૉફેસર અને મહાત્મા ! કૃપાલાણી અને ગાંધીજી

ગાંધીજી જીવતા હોત તો હિંદુસ્તાનની અત્યારની પરિસ્થિતિમાં તેમણે શું કર્યું હોત? આવો પ્રશ્ન જો કે કેવળ ચર્ચા પૂરતો જ છે; છતાં તેમણે શું કર્યું હોત તેની કલ્પના કરવી કઠણ નથી. કારણ કે ગાંધીજીની હત્યા થઈ તે પૂર્વે આઠ માસ દરમિયાન સ્વરાજ સરકારનું શાસન ચાલતું હતું. તે સમયે આપણા દેશના જાહેર જીવનમાં જે પ્રવાહો વહેતા હતા અને જેમણે છેવટે આપણને અત્યારની મુશ્કેલ સ્થિતિમાં આણી મૂક્યા તે જેઓ જોતા હતા તેમને તો સ્પષ્ટ દેખાતા હતા. આ સંદર્ભમાં જેઓને વિશેષ વિગતે જાણવું હોય તેઓ કાઁગ્રેસનું પ્રમુખપદ – જેને તે સમયે રાષ્ટ્રપતિપદ કહેતા – તે છોડતી વખતે મેં જે નિવેદન કર્યું હતું તે વાંચી શકે છે. આ નિવેદન ગાંધીજી પોતે જોઈ ગયા હતા અને તેમણે નિવેદનના મૂળ ભાવમાં ફેરફાર કર્યા વિના તેમાં થોડાં સૂચનો અને સુધારા સૂચવ્યાં હતાં.

તે દિવસોમાં કાઁગ્રેસની નેતાગીરી જે રાહ અપનાવતી હતી તેની સાથે ગાંધીજી સમરસ નહોતા એ વાત તો જાણીતી છે. હિંદુસ્તાનનો વિચ્છેદ જે પાછળથી ભાગલા કહેવાયો તેની તેઓ વિરુદ્ધ હતા. એક પરોઢિયે તેમના મુખમાંથી આ અંગે જે ઉદ્ગારો નીકળ્યા હતા તે તેમના ચરિત્રકારે નોંધી રાખ્યા છે.

તેમના શબ્દો આ હતા :

“આજે હું મને એકલો પડી ગયેલો જોઉં છું. સરદાર અને જવાહરલાલ પણ માને છે કે પરિસ્થિતિનો મારો ક્યાસ ખોટો છે. અને જો ભાગલાનો સ્વીકાર કરવામાં આવે તો દેશમાં સુલેહશાંતિ અવશ્ય સ્થપાશે. તેમને લાગે છે કે ઉંમરની સાથે મારી બુદ્ધિ પણ લથડી ગઈ છે.

તેમ છતાં હું કાઁગ્રેસ અને બ્રિટિશ પ્રજાનો સાચો અને વફાદાર મિત્ર છું એ મારે સાબિત કરી આપવું હોય તે મને જે લાગે છે તે મારે કહેવું જોઈએ … … મને સ્પષ્ટ દેખાય છે કે આપણે આ બાબતને ખોટી જ રીતે ઉકેલવા માંડીએ છીએ. આની પૂરી અસર આજે તરત આપણે ન અનુભવી શકીએ પણ હું સ્પષ્ટ જોઈ શકું છું કે આવી રીતે મેળવેલ સ્વાતંત્ર્યનું ભાવિ અંધકારમય જ થવાનું છે. 

… કદાચ એમ પણ હોય કે તેઓ બધા ખરા છે અને હું એકલો જ અંધારામાં બાથોડિયાં મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો નહિ હોઉં. પણ જે આફતનો મને ભય છે તે જો હિંદુસ્તાન ઉપર ઊતરી આવે તો … એના ખ્યાલથી આ બુઢ્ઢાના આત્માને કેટલી વેદનામાંથી પસાર થવું પડ્યું હતું તે ભારતની ભાવિ પ્રજા તો જાણે. હિંદુસ્તાનના વિચ્છેદમાં ગાંધીજીનો પણ હાથ હતો એવું કોઈ ન કહે. પણ આજે તો દરેક જણને હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય લેવાની અધીરાઈ થઈ છે. અને તેથી કોઈ ઉપાય છે નહીં!”

તો પછી પ્રશ્ન એ ઊઠે છે કે કાઁગ્રેસની વર્કિંગ કમિટીએ ભાગલાનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે લોકોને તેમની સામે ઉશ્કેર્યા કેમ નહિ અથવા તો તેમણે કાઁગ્રેસની મહાસમિતિને કાઁગ્રેસના નેતાઓની સલાહ પ્રમાણે ચાલવા કેમ કહ્યું ?

તે કાળે દેશના ભાગલાનો સામનો કરવા બાબત તેમને પૂછવામાં આવ્યું હતું અને તેમનો જવાબ આ હતોઃ “જો મારી પાસે સમય હોત તો તે કર્યા વિના હું કેવી રીતે રહેત ? પણ જ્યાં સુધી હું બીજી નેતાગીરી ઊભી કરી લોકો સમક્ષ ન મૂકી શકું ત્યાં સુધી કાઁગ્રેસની અત્યારની નેતાગીરીને હું ન પડકારી શકું કે લોકોનાં મનમાં તેને વિશે જે શ્રદ્ધા છે તે ન ખંડિત કરી શકું. આવી નવી નેતાગીરી જમાવવાનો મારી પાસે સમય નથી. આવી પરિસ્થિતિમાં અત્યારની નેતાગીરીને નબળી પાડવી ખોટું કહેવાય. અને તેથી મારે આ કડવો ઘૂંટડો ગળ્યે જ છૂટકો.”

°°°

(2)

ગાંધીજી એક મહાન સંગઠનકાર હતા. તેમણે કોઈ પ્રવૃત્તિ એવી નહોતી ઉપાડી કે જે પાર પાડવા તેમણે સંગઠન ઊભું ન કર્યું હોય. ભાગલાનો સામનો કરવા તુરતા-તુરત આવું કોઈ સંગઠન ઊભું કરવાની શક્યતા તેમને લાગતી નહોતી. તેમ છતાં આ નવી સરકારનાં જે કાર્યો દેશનાં શ્રેષ્ઠ હિતનાં ન હોય તેમની સામે લોકમત કેળવવા કંઈક કરવાનું તેઓ વિચારી રહ્યા હતા. આ માટે કોઈ સંગઠન ઊભું કરવાનો વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો હતો.

એક દિવસ મારાં પત્ની શ્રીમતી સુચેતાજી તેમને મળવા ગયાં ત્યારે તેમણે મારે વિશે પૂછતાછ કરી. હું મુંબઈ ગયો છું એવું તેમને કહેવામાં આવ્યું. તેમણે તેને કહ્યું : “પ્રોફેસર (મને તે એ નામથી બોલાવતા) છૂટા રહે એમ હું ઇચ્છું છું. મારે તેમનું કામ છે.” આ ઉપરથી તે અને હું એવું સમજ્યાં કે સરકારનાં જે કામો તેમને ખોટાં લાગતાં હોય તેનો પ્રતિકાર કરવા તેઓ એક મંડળ રચવાનું વિચારી રહ્યા હતા.

તે દિવસોની તેમની પ્રાર્થના સભાઓમાં તેઓ સરકારની એક બાબતમાં સતત ટીકા કરતા. યુદ્ધસમયની રેશનિંગની પ્રથાને છોડી ન દેતા તે ચાલુ રાખવાની સરકારની ખચકાતી નીતિની તેઓ વારંવાર ટીકા કરતા. મને શંકા નથી કે જો તેઓ થોડાં વધુ વર્ષ જીવ્યા હોત તો સરકારની જે નીતિઓ તેમને ખોટી અને ભૂલભરેલી લાગતી હતી તેમની સામે લોકમત કેળવવા તેમણે એક સંગઠન અવશ્ય ઊભું કર્યું હોત. સ્વાતંત્ર્ય મેળવવા માટે અને મેળવ્યા પછી તે ટકાવવા માટે તેમણે લોકો સમક્ષ પરદેશી રાજ્ય સામે લડવા માટે જેમ સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું હતું તેમ જ રચનાત્મક કાર્યક્રમ પણ મૂક્યો હતો; જેનો હેતુ તેમના કહેવા મુજબ હિંદુસ્તાનની આત્મશુદ્ધિનો હતો.

તેઓ માનતા હતા કે શુદ્ધિ પામેલું હિંદુસ્તાન જ સાચા અર્થમાં સ્વતંત્ર હિંદુસ્તાન થશે. 

એ જાણીતી વાત છે કે તે સમયે તેમનું સર્વ ધ્યાન હિંદુ-મુસ્લિમ એકતામાં કેન્દ્રિત થયું હતું. આ માટે તેઓ પાકિસ્તાનની મુલાકાતે જવાનું પણ વિચારતા હતા પણ એક ક્રૂર હત્યારાના હાથે તેમની જીવાદોરી એકાએક કપાઈ ગઈ. 

રચનાત્મક કાર્યક્રમના બીજા મુદ્દાઓ પણ તેમના સતત ખ્યાલમાં હતા.

હિંદી કે પરદેશી કુશાસન યા જુલમ વચ્ચે ગાંધીજી કોઈ ભેદ કરતા નહોતા. જેમનો એક જ ધર્મમાં સમાવેશ થતો હતો તેવા લાખો લોકો પ્રત્યે અસ્પૃશ્યતા દ્વારા આચરાતી ક્રૂરતા કે અવમાનના એ કંઈ પરદેશીઓનું નહીં પણ આપણું જ પાપકૃત્ય હતું. એ જાણીતી વાત છે કે ગાંધીજીને અંગ્રેજો સાથે કોઈ ઝગડો નહોતો; પાણ તેમણે હિંદુસ્તાનમાં જે શાસનપદ્ધતિ દાખલ કરી હતી તેની સાથે ઝઘડો હતો. આપણે અંગ્રેજોને કાઢ્યા પણ તેમની આ શાસનપદ્ધતિ જીવતી રાખી.

એમના અત્યંત સ્નેહપાત્ર જવાહરલાલનો પણ એમણે જરૂર પડ્યે સામનો કર્યો હોત. સર્વન્ટ્સ ઑવ ઇંડિયા સોસાયટીવાળા શ્રીનિવાસ શાસ્ત્રી પ્રત્યે તેમ જ તેના બીજા સભ્યો પ્રત્યે તેમને આવો જ સ્નેહભાવ હતો. પણ જ્યારે તેમને લાગ્યું કે તેમની પ્રવૃત્તિઓ પાછળ હેતુ ગમે તે હોય છતાં તે દેશની સેવાને બદલે તેને નુકસાન કરતી હતી, ત્યારે તેમણે તેમનો વિરોધ કર્યો હતો. સ્વરાજ આવ્યા પછી શાસનકર્તા આ લોકો મારા સ્વાતંત્ર્ય સંગ્રામના સાથીઓ હતા એવો વ્યક્તિનિષ્ઠ ખ્યાલ તેમની નીતિરીતિનો વિરોધ કરવા જતાં તેમને સ્પર્શ્યો ન હોત. તેમના મનમાંનો સર્વોપરી ખ્યાલ એક જ હતો, અને તે દેશની સેવા.

મને એ વિશે લગારે શંકા નથી કે તેઓ આજે જીવતા હોત તો જે સડાએ દેશને અત્યારની વિફળતા કે હતાશાના ગર્તમાં ધકેલ્યો છે તેને તો તેમણે રોક્યો જ હોત.

05-06 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 354/5

Loading

ચલ મન મુંબઈ નગરી—296

દીપક મહેતા|Opinion - Opinion|5 July 2025

જ્યારે ઘણી યુવતીઓએ લિપસ્ટિક લગાડેલા હોઠની છાપવાળા રૂમાલ નાણાવટી પર ફેંકીને શુભેચ્છા પ્રગટ કરી      

‘નાણાવટી ગન લે લો, નાણાવટી ગન, દો રૂપયે મેં. તીન ગોલી મેં સામનેવાલા ખતમ.’

‘આહુજા ટોવેલ લે લો દો રૂપયે મેં આહુજા ટોવેલ. મરને કે બાદ ભી નિકલેગા નહિ.’

૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે ગ્રેટર બોમ્બેના સેશન્સ જજની ફ્લોરા ફાઉન્ટન નજીક આવેલી કોર્ટની બહાર ફેરિયાઓ ગન અને ટુવાલ વેચવા માટે આ રીતે બૂમો પાડી રહ્યા હતા. અને કોર્ટની બહાર ભેગા થયેલા લોકોનાં ટોળાં ભાવ-તાલ કરાવ્યા વગર ગન કે ટુવાલ ખરીદી લેતાં હતાં. એ ટોળાંમાં યુવાન સ્ત્રીઓ પણ સારી એવી સંખ્યામાં હતી. તેમાંની ઘણી સ્ત્રીઓ આજે ત્રણ-ચાર હાથ રૂમાલ સાથે લઈને આવી હતી. તેમણે ડાર્ક લાલ રંગની લિપ સ્ટિક લગાડી હતી. અને પોતાના હોઠોની છાપ એ રૂમાલો પર લીધી હતી. કોર્ટની બહાર કડક પોલીસ બંદોબસ્ત હતો. આઝાદીની લડત વખતે કેટલાક કેસ ચાલતા ત્યારે લોકોનાં ટોળાં અદાલતોની બહાર ભેગાં થતાં. પણ આજે હતા તેટલા લોકો તો અગાઉ ક્યારે ય જોવા મળ્યા નહોતા.

અદાલતનું મકાન

સવારે બરાબર ૧૦ ને ૫૫ મિનિટે ઇન્ડિયન નેવીની મોટ્ટી સફેદ કાર આવીને કોર્ટના દરવાજા પાસે ઊભી રહી. ૩૭ વરસના કાવસ નાણાવટીની બાજુમાં નેવી કમાન્ડર એમ.બી. સેમ્યુઅલ પ્રોવોસ્ટ માર્શલ બેઠા હતા. પાછલી સીટ પર નેવીના બે ઓફિસર અને નેવીના હથિયારધારી પોલીસ બેઠા હતા. મોટર ઊભી રહ્યા પછી ડ્રાઈવરે બારણું ખોલ્યું એટલે ૩૭ વરસના, છ ફૂટ ઊંચા કમાન્ડર કાવસ નાણાવટી નીચે ઊતર્યા. અગાઉની લડાઈઓ દરમ્યાન બતાવેલ બહાદુરી માટે મળેલા સાત-સાત ચંદ્રક તેમની છાતી પર શોભતા હતા. ચાલતા હતા ટટ્ટાર ચાલે, પણ આંખો નીચી ઢળેલી હતી. તેમને આવતા જોઈને કેટલા ય લોકોએ ‘નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો કર્યા. ઘણી યુવતીઓએ પોતાના હોઠની છાપવાળા હાથ રૂમાલ નાણાવટી પર ફેંકીને પોતાની શુભેચ્છાઓ પ્રગટ કરી. 

ત્રીજે માળે આવેલો જજ મહેતાનો કોર્ટ રૂમ, એ વખતનાં છાપાંનો મનગમતો શબ્દ વાપરીને કહીએ તો ‘હકડેઠઠ’ ભરાઈ ગયો હતો. છાપાના ખબરપત્રીઓ તો હોય જ, પણ કેટલાક આગળ પડતા વકીલો હાજર હતા, કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર હતા, અને બહાર કોરિડોરમાં પણ માણસો ઊભરાતા હતા. તેમાં પારસીઓ અને સિંધીઓની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. જેમને કોરિડોરમાં જગ્યા ન મળી તે નીચે કમ્પાઉંડમાં ઊભા હતા અને જેમને ત્યાં પણ જગ્યા ન મળી તે રસ્તા પર ઊભા હતા. 

જજ રતિલાલ ભાઈચંદ મહેતા

જજ રતિલાલ ભાઈચંદ મહેતા આવ્યા. તેઓ મૂળ પાલનપુરના વતની. વકીલ પિતા ભાઈચંદભાઈ ઝૂમચંદભાઈના એ સૌથી નાના દીકરા. તેમના મોટા ભાઈ મણિલાલ મહેતા ૧૯૪૭ સુધી પાલનપુરના દેશી રાજ્યના દીવાન હતા. રતિલાલભાઈએ એલ.એલ.બી.ની પરીક્ષા મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી ૧૯૨૪માં ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી. ૧૯૨૭થી તેમણે બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૪૮માં તેમની નિમણૂક બોમ્બે સિટી સિવિલ કોર્ટના એક જજ તરીકે થઈ અને ૧૯૫૭માં તેઓ સેશન્સ કોર્ટ ઓફ બોમ્બેના પ્રિન્સિપલ જજ બન્યા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યોની સ્થાપના થઈ ત્યારે જજ રતિલાલ મહેતાએ અમદાવાદ જવાનું પસંદ કર્યું. નવી સ્થપાયેલી ગુજરાત હાઈકોર્ટના પહેલવહેલા ન્યાયાધીશોમાંના એક હતા જસ્ટીસ રતિલાલ મહેતા. ૧૯૬૫ના જાન્યુઆરીની પાંચમી તારીખે તેમનું અવસાન થયું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની એલ.એલ.એમ.ની પરીક્ષામાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીને ‘ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ આર.બી. મહેતા ગોલ્ડ મેડલ’ આપવામાં આવે છે.  

હવે પાછા જઈએ ૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખની એ સવારે. કોર્ટની કારવાઈ શરૂ થઈ. સૌથી પહેલાં કોર્ટના રજિસ્ટ્રાર ડી.આર. નાડકર્ણીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૩ હેઠળ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલ આરોપ વાંચી સંભળાવ્યો. યુનિવર્સલ મોટર્સના માલિક પ્રેમ આહુજાનું મૃત્યુ નીપજાવવાનો આરોપ નાણાવટી પર મૂકવામાં આવ્યો. જજ મહેતાએ કાવસ નાણાવટીને પૂછ્યું: ‘આ આરોપ તમે સ્વીકારો છો?’ ‘ના, નામદાર. મેં આવો કોઈ ગુનો કર્યો નથી. એટલે મારી આપને અરજ છે કે મારા ઉપર ખટલો ચલાવવામાં આવે.’ એટલે પછી જ્યુરીના નવ સભ્યો કોર્ટ રૂમમાં દાખલ થયા અને પોતપોતાની જગ્યાએ બેઠા. એ પછી પબ્લિક પ્રોસિક્યૂટર સી.એમ. ત્રિવેદીએ કેસની શરૂઆત કરતાં કહ્યું: ‘અહીં આરોપીના કઠેડામાં ઊભા છે તે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન નેવીના સૌથી વધુ બાહોશ અફસરોમાંના એક હોવાનું મનાય છે. અને જેમનું ખૂન થયું હોવાનું કહેવાય છે એ પ્રેમ આહુજા મુંબઈના એક જાણીતા વેપારી હતા. તેમનો ધંધો મોટર વેચવાનો હતો.’ લગભગ ૬૦ મિનિટ ચાલેલા ભાષણમાં ત્રિવેદીએ આ કેસની વિગતો જણાવી હતી. પછી જ્યુરીના સભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે કોઈના પણ તરફ પક્ષપાત કે દુશ્મનાવટ રાખ્યા વગર, તમારી સામે જે હકીકતો રજૂ થાય તેને આધારે જ શુદ્ધ બુદ્ધિથી અને નિષ્પક્ષપાત રહીને તમારો નિર્ણય બાંધશો એવી મને આશા છે. સદોષ મનુષ્યવધ અને ખૂન વચ્ચેના કાનૂની તફાવતની તેમણે ચર્ચા કરી. જો આ કિસ્સો ખૂનનો હોય તો એ ખૂન કરવા પાછળ કયાં કારણો હતાં એની સાથે કાયદાને કે અદાલતને કશો સંબંધ નથી. પછી પબ્લિક પ્રોસિક્યૂટર ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું કે આ ખટલામાં હું કુલ સત્તર સાક્ષીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવા વિનંતી કરું છું. 

પ્રેમ આહુજા

કોર્ટની મંજૂરી મળતાં કાનૂની દૃષ્ટિએ જરૂરી એવી પોલીસના એક-બે અફસરોની પૂછપરછ કર્યા બાદ મરનાર પ્રેમ આહુજાની બહેન મિસ મામી આહુજાને સાક્ષી તરીકે બોલાવવામાં આવી. તેણીએ અદાલતને જણાવ્યું કે ૧૯૫૯ના જાન્યુઆરીમાં મારે મારા ભાઈ પ્રેમ આહુજા સાથે વાત થઈ ત્યારે તેણે મને કહ્યું હતું કે તે સિલ્વિયા નાણાવટી સાથે લગ્ન કરવા ધારે છે. અલબત્ત, તેનો વર કાવસ નાણાવટી તેને ડાઈવોર્સ આપે તો જ આ શક્ય બને. મામીએ અદાલતને કહ્યું કે મેં આ વાતનો ઉગ્ર રીતે વિરોધ કર્યો અને કહ્યું કે સિલ્વિયાને ત્રણ-ત્રણ બાળકો છે, એમનો તો વિચાર કર! ત્યારે ભાઈએ મને કહ્યું કે સિલ્વિયાએ તો છૂટાછેડા લેવાનું નક્કી કરી જ નાખ્યું છે. મામી આહુજાએ આટલું કહ્યું એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. અને તેની જુબાની અધૂરી રહી. 

બીજે દિવસે તો લોકોનો ધસારો ઘણો વધી ગયો. કોર્ટનું આખું મકાન ચિક્કાર. સાક્ષીઓને કોર્ટ રૂમ સુધી લઈ જવાનું પણ મુશ્કેલ બન્યું. છેવટે જજસાહેબની પરવાનગી લઈને પોલીસ બોલાવીને લોકોને આઘા ખસેડવા પડ્યા. મામી આહુજાની જુબાની આગળ વધી. તેમણે કહ્યું કે અમે જીવનજ્યોત મકાનમાં રહેવા આવ્યાં તે પહેલાં મરીન ડ્રાઈવ પર આવેલા શ્રેયસ નામના મકાનમાં રહેતાં હતાં. ૧૯૫૬ના અરસામાં ઇન્ડિયન નેવીમાં કામ કરતા મિસ્ટર યાજ્ઞિક અને તેમનાં પત્નીએ અમારી ઓળખાણ નાણાવટી કુટુંબ સાથે કરાવી હતી. તે વખતે હું પહેલી વાર સિલ્વિયાને મળી. તેની જુબાની રોકીને ત્રણ સ્ત્રીઓને તેમની સામે ખડી કરવામાં આવી. મામી આહુજાએ તેમાંથી સિલ્વિયાને ઓળખી બતાવી તે પછી જુબાની આગળ વધી ત્યારે મામી આહુજાએ કહ્યું કે એપ્રિલની ૨૭મી તારીખે બપોરે લગભગ પોણા બે વાગે પ્રેમ અને પોતે સાથે જમવા બેઠાં હતાં. પછી બંને પોતપોતાના બેડ રૂમમાં સૂવા ચાલ્યાં ગયાં. બપોરે સવા ચાર વાગે ડોર બેલ વાગી તે પોતે સાંભળેલી એમ મામીએ કહ્યું. નોકરાણીએ બારણું ખોલ્યું. થોડી વાર પછી પ્રેમ આહુજાના બેડ રૂમમાંથી પહેલાં રાડારાડી અને પછી ચીસ સંભળાઈ. બે નોકરોને લઈને હું તરત પ્રેમના બેડ રૂમમાં ગઈ. એ જ વખતે કમાન્ડર નાણાવટી રૂમમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રિવોલ્વર હતી. એ જોઈ મેં પૂછ્યું: ‘આ શું થયું?’ નાણાવટીએ જવાબ આપ્યો નહિ. પછી મેં મારા ભાઈને લોહીલુહાણ હાલતમાં બેડરૂમની ફર્શ પર પડેલો જોયો. તેના શરીર પર માત્ર એક ટુવાલ વીંટાળેલો હતો. મેં પ્રેમ, પ્રેમ, એવી બૂમો પાડી. પણ તેના તરફથી કશો જવાબ મળ્યો નહિ. કારણ તેનું ખૂન થઈ ચૂક્યું હતું.

એ વખતે બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ જજસાહેબને સંબોધીને કહ્યું: ‘માય લોર્ડ. આ સાક્ષીએ જ્યારે કાવસ નાણાવટીને જતાં જોયા ત્યારે તેમના હાથમાં રિવોલ્વર હતી એટલું જ જોયું હતું. આરોપીને પ્રેમ આહુજા પર રિવોલ્વર ચલાવતાં જોયો નહોતો. તેવી જ રીતે તેમણે પોતાના ભાઈને બેડ રૂમમાં ફર્શ પર પડેલો જોયો હતો. તેના પર ગોળીબાર થતો કે તેને ગોળીથી ઘવાતો જોયો નહોતો. એટલે કે મિસ આહુજા એક ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમની જુબાનીને આધારે આરોપીને ખૂની ઠરાવી શકાય નહિ. 

ત્યાર પછીના સાક્ષી હતા સી.ટી. ભણગે, બેલિસ્ટિક એક્સપર્ટ. એ ક્ષેત્રનો બાવીસ વરસનો અનુભવ. પહેલાં તેમણે આરોપી નાણાવટીએ સરન્ડર કરેલી રિવોલ્વર, તેની વપરાયેલી ત્રણ ગોળીઓ અને ન વપરાયેલી ત્રણ ગોળીઓ વિષે વિગતે વાત કરી. તેમણે કહ્યું કે વપરાયેલી ત્રણમાંથી બે ગોળી દબાઈને ચપટી થઈ ગઈ હતી. કોઈ બહુ કઠણ વસ્તુ સાથે ગોળી અથડાય ત્યારે આવું બની શકે. ત્રણે ગોળી પરની નિશાનીઓ સરખાવ્યા પછી કહી શકાય કે એ ત્રણે એક જ રિવોલ્વરમાંથી છોડવામાં આવી હશે.

બચાવ પક્ષના વકીલે રજૂ કરેલું પુસ્તક

સાક્ષીને અટકાવીને બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ પૂછ્યું: મેજર સર ગેરાલ્ડ બુરાડનું Identification of Fire-Arms and Forensic Ballistic નામનું પુસ્તક તો તમે વાંચ્યું જ હશે. ભણગેએ ‘હા’ પાડી. ‘આ વિષય પરનું આ એક ઉત્તમ પુસ્તક છે એ વાત તમે સ્વીકારો છો?’ ભણગે: ‘હા, જી.’ ખંડાલાવાલાએ પુસ્તકમાંથી થોડાં વાક્યો વાંચ્યાં:

“If two persons are struggling for the possession of a loaded revolver, it can easily be fired by accident – because most modern revolvers have what is called double-action as well as ordinary single action.” પછી તેમણે ભણગેને પૂછ્યું: ‘લેખકની આ વાત સાથે તમે સહમત થાવ છો?’ ‘સહમત ન થવા માટે મારી પાસે કોઈ કારણ નથી. એટલે હું સહમત થાઉં છું.’ ખંડાલાવાલાએ જજ મહેતા સામે જોઈને કહ્યું: ‘સરકારી નિષ્ણાતના આ અભિપ્રાયની નોંધ લેવી ઘટે, યોર ઓનર. કમાન્ડર કાવસ નાણાવટી અને મરનાર પ્રેમ આહુજા વચ્ચેની ઝપાઝપી દરમ્યાન રિવોલ્વરમાંથી અકસ્માત ગોળીઓ છૂટી હોય એવો પૂરો સંભવ છે.’

એ જ વખતે અદાલતનો સમય પૂરો થતાં વધુ જુબાની લેવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 જુલાઈ 2025

Loading

‘જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે !’

રમેશ સવાણી|Opinion - Opinion|5 July 2025

4 જુલાઈ 1776ના રોજ, 13 અમેરિકન વસાહતોને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્ર જાહેર કરવામાં આવી હતી. USમાં, 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

4 જુલાઈ 2025ના રોજ અમે Springfield ખાતે, USના 16મા પ્રેસિડન્ટ Abraham Lincoln – અબ્રાહમ લિંકન(12 ફેબ્રુઆરી 1809-15 એપ્રિલ 1865)ના નિવાસસ્થાનની બીજી વખત મુલાકાત લીધી. અગાઉ 2016માં આ સ્થળ જોયું હતું. આ વખતે કેનેડા નિવાસી જગદીશ બારોટ તથા શિકાગોના ડો. દિનેશ ધાનાણી સાથે હતા. શિકાગોથી સ્પ્રિંગફીલ્ડનું અંતર 199 માઇલ છે. સ્પ્રિંગફીલ્ડ એ ઇલિનોઇસ રાજ્યનું પાટનગર પણ છે.

અબ્રાહમ લિંકને USના પ્રમુખ તરીકે 1861 થી 1865 સુધી સેવા આપી હતી. તેમણે અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સનું નેતૃત્વ કર્યું; અમેરિકાના કન્ફેડરેટ સ્ટેટ્સને હરાવ્યા અને ગુલામી નાબૂદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ 1837 થી 1861 સુધી સ્પ્રિંગફીલ્ડમાં રહ્યા હતા. લિંકનનો જન્મ કેન્ટુકીમાં થયો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. 1816માં તેમનો પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી ઇન્ડિયાના રાજ્યમાં સ્થળાંતરિત થયો. બાળપણથી જ પરિવારના હાડમારીભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું. 1830માં તેમનો સમગ્ર પરિવાર ઇન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. લિંકને સૌ પ્રથમવાર ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પ્રથમ પ્રયાસમાં તેઓ પરાજીત થયા. 1834માં ફરીવાર આ બેઠક પરથી ઉમેદવાર બન્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1836માં ઇલિનૉઇસ બેઠકના પ્રતિનિધિ તરીકે તેઓ બીજી વાર ચૂંટાયા. આ દરમિયાન તેઓએ ગુલામી પ્રથાનો વિરોધ કર્યો. 1836માં કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો તેમણે આરંભ કર્યો. ‘ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ’, ‘એફી આફટન કેસ’, ‘સેન્ડબાર કેસ’ જેવા નોંધપાત્ર કેસો જીતી તેમણે શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. 1842માં લિંકનના લગ્ન મેરી ટોડ સાથે થયાં. 1860માં પ્રમુખની ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા. લિંકને લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી.

ઉમાશંકર જોશીએ 15 એપ્રિલ 1965ના રોજ લિંકન વિશે કહ્યું હતું : સમાજજીવનનો રોગ લિંકને બરોબર પારખ્યો હતો. નાનપણમાં ગુલામોની હરરાજીનું એક કારમું દૃશ્ય એમણે જોયેલું. એક નિગ્રો યુવતીને ઘરાકોની આગળ આમથી તેમ ફેરવવામાં આવી રહી હતી. યુવક લિંકનના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો : “If ever I get a chance to hit that thing, I’ll hit it hard – આ વસ્તુ પર પ્રહાર કરવાની કદી મને તક મળશે તો હું એની ઉપર સખ્ત પ્રહાર કરીશ.” લાકડાની નાનકડી ખોલીમાં જિંદગી શરૂ કરીને 1860માં, એકાવન વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રમુખનું પદ પોતે પામ્યા. એમનાં બે સૂત્રો માનવઇતિહાસનાં કંઠાભરણ બનવા સર્જાયાં છે : “In giving freedom to the slave, we assure freedom to the free – ગુલામને સ્વતંત્રતા આપીને, આપણે મુક્તને સ્વતંત્રતાની ખાતરી આપીએ છીએ.” અને એ જ વાત પલટાવીને બીજી રીતે અમર શબ્દોમાં એ મૂકે છે : “As I would not be a slave, so I would not be a master – જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે.”

14 એપ્રિલ 1865ના રોજ અબ્રાહમ લિંકન પરિવાર સાથે નાટક-કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જૉન વિલ્ડ્સ બુથ નામની વ્યક્તિએ અબ્રાહમ લિંકનને ગોળી મારી દીધી. 15 એપ્રિલ 1865ના રોજ તેમનું અવસાન થયું. તેઓ ઇન્ડિયાનામાં મોટા થયા હતા અને વોશિંગ્ટનમાં પ્રમુખ તરીકે રહ્યા, તેમ છતાં તેમને ઇલિનોઇસમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની હત્યાના બે વર્ષ પહેલાં તેમણે લખ્યું હતું : “સ્પ્રિંગફીલ્ડ મારું ઘર છે, અને ત્યાં મારા જીવનભરના મિત્રો છે.” 

લિંકનના નિવાસસ્થાનની વિઝિટ કર્યા બાદ 23 મિનિટની ફિલ્મ Abraham Lincoln: A JOURNEY TO GREATNESS જોઈ. પછી થોડે દૂર Lincoln Tombની મુલાકાત લઈ લિંકનને આદરાંજલિ પાઠવી. 

મનમાં સવાલ થયો : માનવસમાજની સર્વોત્તમ સેવા આપનાર અબ્રાહમ લિંકન / માર્ટિન લ્યૂથર કિંગ / ગાંધીજીની હત્યા કેમ?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...89909192...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved