Opinion Magazine
Number of visits: 9735953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંધળો ન્યાય, સંવેદનહીન ન્યાય!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 March 2026

ચંદુ મહેરિયા

ન્યાય આંધળો કહેવાય છે. ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોય છે. મતલબ કે ન્યાય કોઈ તરફ ઝૂકશે નહીં. તે સૌને સમાન દૃષ્ટિએ જોઈને ન્યાય આપશે. પરંતુ ન્યાય તોળનારા પણ આ જ સમાજમાંથી આવે છે એટલે સમાજમાં રહેલા વિભાજનો અને વિચારોથી તેઓ સાવ પર હોઈ શકે નહીં. તેથી ઘણીવાર ન્યાયાધીશોની ન્યાયમંદિરોની ટિપ્પણીઓ કે ચુકાદા અસંવેદનશીલ હોય તેવું બને છે. જો કે ભારતમાં ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થા છે એટલે ટ્રાયલ કોર્ટની કોઈ ક્ષતિ હાઈકોર્ટ અને હાઈકોર્ટની ક્ષતિ સુપ્રીમ કોર્ટ સુધારી લે છે. તેને કારણે ન્યાયનું પલ્લું બરાબર રહે છે અને અસંવેદનશીલ ચુકાદા ફેરવાય પણ છે. 

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો રદ્દ કર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટની અસંવેદનશીલ ટિપ્પણીઓ સંદર્ભે વધુ પુનરાવર્તન અટકાવવા અદાલતોને દિશાનિર્દેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ – ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટે એક સગીરા પરના કથિત બળાત્કારના પ્રયાસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદામાં પોક્સો અધિનિયમ અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું અસંવેદનશીલ અર્થઘટન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે સગીરાની છાતી પકડવી કે તેના પાયજામાનું નાડું ખેંચવું તે બળાત્કારનો પ્રયાસ ન ગણાય. આ ચુકાદા અને ટિપ્પણી વિરુદ્ધ  દેશભરમાં ભારે વિરોધ થયો હતો. ન્યાયવાંચ્છું લોકોની અંતિમ આશા એવી અદાલતો પરની તેમની શ્રદ્ધા ખતમ થઈ ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો છે અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું વધુ ગંભીરતા અને સંવેદનશીલતાથી અર્થઘટન થવું જોઈતું હતું તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આવા વલણથી મહિલા ગરિમા અને હકના રક્ષણ માટેનો ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ દૃઢ થયો છે. 

ન્યાયાલયોએ મહિલાઓ પરના જાતીય અત્યાચારના ગુનાઓમાં વધુ ગંભીરતાથી અને સંવેદનાથી વિચારવાની જરૂર છે. બળાત્કાર જેવા ગુનામાં અદાલતોએ બેહદ સંવેદનશીલ વર્તાવ કરવાની જરૂર છે. આ પ્રકારના જઘન્ય અપરાધોમાં પીડિતાના મન-મસ્તિષ્ક પર થતી અસરોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અદાલતો તેથી વિપરીત વર્તન કરતી ક્યારેક જોવા મળે છે. એક મહિલા અને તેમની ૧૪ વરસની સગીર દીકરીને આરોપીઓએ જબરદસ્તીથી રોકવાનો, તેમની સાથે અશ્લીલ હરકતો કરવાનો અને પુલિયા નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મહિલા પરના બળાત્કારના પ્રયાસના આ કેસમાં એવી અમાનવીય અને વિચિત્ર ટિપ્પણી કરી હતી કે રાતનો સમય આરોપીઓ માટે આમંત્રણ સમાન હતો. કોઈ રાજકીય નેતા બચ્ચે હૈ ભૂલ હો જાતી હૈ એમ કહે કે હાઈકોર્ટના ન્યાયાધીશ રાત્રિના સમયને બળાત્કાર માટે અનુકૂળ ગણાવે તે કેટલું અમાનવીય છે.

બોમ્બે હાઈકોર્ટના મહિલા જજે પોક્સો કાયદા હેઠળના એક ગુનામાં આરોપીઓને બેકસૂર ઠેરવતા ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તો જ ગુનો બને તેમ કહ્યું હતું. પીડિતા તેના પરિચિતના ઘરે ગઈ તે બળાત્કારનું આમંત્રણ હતું તેમ કહેતાં એક અદાલતના અસન્માનીય ન્યાયાધીશ અટક્યા નહોતા. સમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધો સહજ છે. સાથે ખાવું-પીવું, હરવું-ફરવું કે ઘરે જવું એટલે મહિલા સાથે પુરુષને બળાત્કાર કરવાનો પરવાનો કઈ રીતે હોઈ શકે?  પુરુષમિત્રના બોલાવવા પર તેણે ઘરે જવું તે વિનયભંગનું આમંત્રણ હોઈ ના શકે. સંબંધોમાં નિભાવાતી આ એક ઔપચારિકતા છે. આ સંજોગોમાં પુરુષની બળજબરીને ફરિયાદીએ પોતે જ ઉપાધિ વહોરી છે કે મુસીબતને નિમંત્રણ આપ્યું છે કહીને પુરુષોને નિર્દોષ ઠેરવવાનું અદાલતી વલણ ભારોભાર ટીકાઓને પાત્ર છે. કોઈ મહિલાની છાતી પકડવી કે તેના સલવારનું નાડું ખેંચવું તે બળાત્કારની નિયત સાબિત કરવાનો પર્યાપ્ત પુરાવો નથી કે ચામડીથી ચામડીનો સ્પર્શ થયો નથી એવું અર્થઘટન સંવેદનહીન છે. કોલકાતા હાઈકોર્ટે તો વળી છોકરીઓને તેમની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી. આ પ્રકારના ઘણા ચુકાદા સર્વોચ્ચ અદાલતે પલટ્યા છે અને નીચેની અદાલતોને ફટકાર લગાવી છે.

અદાલતોએ ન્યાય કરતી વખતે તેની સમાજ પર પડનારી અસરો અને ભવિષ્યમાં તેમના ચુકાદાને દાખલારૂપ ગણવાની પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવાની છે. ન્યાયાધીશોએ અદાલતોમાં અને અદાલતોની બહાર પ્રત્યેક શબ્દ જોખી-તોળીને બોલવાનો છે. યૌન ઉત્પીડન સંબંધી મામલાઓમાં તો ખાસ સંવેદનશીલતા અને પીડિતા પર પડનારી ભાવનાત્મક અસરોનો ખ્યાલ રાખવાનો છે. સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતો માટે મહિલા સંબંધી કેસોમાં વધુ સંવેદનશીલતાની જરૂર માટેની ગાઈડ લાઈન તૈયાર કરવા ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને આદેશ કર્યો છે. તેને કારણે થોડી રોક લાગશે જરૂર પણ અદાલતોમાં ન્યાયાધીશોએ અને સમાજમાં આપણે સૌએ પણ વધુ માનવીય અને સંવેદનશીલ વલણ અખત્યાર કરવાની જરૂર છે. 

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ – ૨૦૨૫માં કેટલાક ખાસ માપદંડોને આધારે રાજ્યોની ન્યાય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ કર્યું છે. ન્યાયમ વ્યવસ્થાના ચાર સ્તંભ પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદાકીય સહાયને આધારે જોતાં દક્ષિણ ભારતના રાજ્યો રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે જ્યારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તળિયે છે. દેશના કોઈ રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થિત અને સુચારુ ન્યાય વ્યવસ્થા નથી તેવા નિષ્કર્ષ સાથે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ન્યાયાલયો મોટાભાગના કેસોમાં નાગરિકોને સાચો ન્યાય આપી શકતી નથી એમ જણાવ્યું છે.આ મુદ્દો કદાચ ચર્ચાસ્પદ છે પરંતુ અદાલતોનું સંવેદનહીન વલણ તો છાપરે ચઢીને ગાજ્યું છે તે હકીકત છે. 

ભંવરી દેવી બળાત્કાર કેસમાં રાજસ્થાનની ટ્રાયલ કોર્ટે કથિત ઉપલી જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિની મહિલા પર બળાત્કાર ના જ કરે અને બાપ અને બેટો કે કાકો અને ભત્રીજો એક જ મહિલા પર એક જ સમયે સામૂહિક બળાત્કાર કરે તે સંસ્કાર વિરુદ્ધનું અને એટલે ન માની શ્જકાય તેવું છે એમ જણાવ્યુ જ હતું ને? ચાળીસેક વરસ પૂર્વે ગુજરાતની એક મોટર વાહન ટ્રિબ્યૂનલે દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈના વાહન અકસ્માતના કેસમાં વળતર આપવા મુદ્દે એવી ટીકા કરી હતી કે આ કિશોરના માબાપ ગરીબ ખેતમજૂર છે તેમને બીજા બાળકો પણ છે તેમના માટે મૃતક કિશોર બોજારૂપ હતો. એટલે તેના અકસ્માત મૃત્યુનું તે વળી વળતર હોઈ શકે? આ ટિપ્પણી ન માત્ર સંવેદનહીન છે, અમાનવીય પણ છે. 

કરુણા અને સંવેદના તો માનવ હ્રદયની આંતરિક બાબત છે તેને બાહ્ય પ્રયાસોથી ભરી ન શકાય. તેમ છતાં કાયદાનું સાચું અને માનવીય અર્થઘટન ગુણવતાયુક્ત તાલીમથી રોપી શકાય. સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલ ન્યાયતંત્ર માટેની ગાઈડ લાઈનની પ્રતીક્ષા કરીએ અને તાલીમથી અદાલતોમાં સંવેદના અને કરુણા રોપવાના પ્રયાસો જારી રાખીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચાલો, બધા એક સાથે ઊભા રહો, વંદે માતરમ્‌ આખું ગાઓ જોઈએ!

આશા બૂચ|Opinion - Opinion|12 March 2026

અરે, સાંભળ્યું નહીં? આપણા આચાર્યે હુકમ કર્યો છે. માનવો પડશે, નહીં તો વર્ગની બહાર અથવા શાળાની બહાર ઊભા રાખશે અને આખેઆખું રાષ્ટ્રીય ગીત નહીં આવડી જાય ત્યાં સુધી ઉપલા ધોરણમાં જવા નહીં દે.

કંઈક અંશે આવા જ શબ્દોમાં તાજેતરમાં ભારતના ગૃહ મંત્રાલય તરફથી એક હુકમનામું બહાર પડ્યું છે. દરેક જાહેર કાર્યક્રમમાં ‘વંદે માતરમ્‌’ રાષ્ટ્રીય ગીત પૂરેપૂરું ગાવું જોઈશે અને હાજર રહેલા તમામ લોકોએ એક સાથે ઊભા રહેવું જોઈશે. નહીં તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે કે દેશ નિકાલ કરવામાં આવશે કે નહીં એ સ્પષ્ટતા નથી કરી.

આ પ્રકારના વટહુકમો બહાર પાડનારાઓ અજ્ઞાનથી સભર હોવાને કારણે આવી ભૂલો કરી બેસે તે સમજાય. આપણે ખરી માહિતી મેળવી લઈએ.

બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં આ ગીતની શબ્દ રચના અને સ્વર રચના કરેલી, જે 1882માં તેમણે લખેલી નવલકથા ‘આનંદ મઠ’માં ઉમેરી હતી. અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે ધાર્મિક ભાવના અને દેશભક્તિનો જુસ્સો ધરાવનારા કેટલાક સાધુઓ માટે એ ગેય કાવ્યની રચના કરવામાં આવી હતી. એ ગીતમાં માતૃભૂમિને દેવી માતાના રૂપમાં જોવામાં આવી છે; જેમાં માતાને ભભકાદાર અને મહિમા મંડિત રૂપમાં જોવામાં આવી. સાથે સાથે વિદેશી શાસન દરમિયાન ગરીબી અને દારિદ્ર્યમાં પોતાની કાંતિ ખોઈ બેઠેલી દર્શાવાઈ છે, પરંતુ એ પોતાની મૂળ સમૃદ્ધિમાં પુનઃ સ્થાપિત થશે એવો ભાવ પણ નિરૂપિત હતો. માતૃભૂમિમાં સજીવારોપણ કરવા પાછળનો હેતુ હતો સશસ્ત્ર બળવો કરનારને દમનકારી બ્રિટિશ સામ્રાજ્ય અને બંગાળના નવાબ સામે લડાઈ કરવાની પ્રેરણા મળે. આઝાદી બાદ એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના સંયોગો બદલાતાં તેની પહેલી બે કડી જ ઉપયુક્ત જણાઈ હતી.

1896માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ સંમેલનમાં રવીન્દ્રનાથ ટાગોરે પહેલીવાર જાહેરમાં તેનું ગાન કરેલું. 1905માં નેશનલ કાઁગ્રેસે આ કાવ્ય ભારત માતાનું પ્રશસ્તિ ગાન કરે છે તેથી ભારત દેશનું અભિવાદન કરવા એ ગીતને અપનાવેલું અને 1950માં ભારત જ્યારે પ્રજાસત્તાક રાજ્ય બન્યું ત્યારે ‘જન ગણ મન અધિનાયક’ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ની પ્રથમ બે કડીને રાષ્ટ્રીય ગીત તરીકે બંધારણમાં સ્વીકારવામાં આવ્યું. એ બંને ગીતને પૂરેપૂરા સ્વીકારવાને બદલે જેટલી કડીઓ સમગ્ર દેશને લાગુ પડે તેટલી જ કડીઓ સર્વસંમતિથી લેવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ દેશનું રાષ્ટ્રગીત એક-બે મિનિટથી વધુ લાંબુ હોતું નથી, જેથી એ સહેલાઈથી શીખી શકાય અને બધા લોકો એટલો સમય પૂરેપૂરા સન્માન સાથે તેનું ગાન કરી શકે.

‘વંદે માતરમ્‌’ ગીતની પહેલી બે કડી કોઈ ધર્મ વિશેષને અભિપ્રેત કાર્ય વિના માતૃભૂમિનો અમૂર્ત સંદર્ભમાં ઉલ્લેખ કરે છે; જ્યારે બાકીની ચાર કડીઓમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી જેવી દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના સૂચનથી પ્રથમ બે કડીઓને જ રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવી.

વાયર દ્વારા નિર્ભીક રહીને વિવિધ હસ્તીઓની મુલાકાતો લઈને ભારતની જનતાને હાલની પરિસ્થિતિની સાચી બાજુ દર્શાવનાર કરણ થાપરે વકીલ સંજય હેગડેની ‘વંદે માતરમ્‌’ના મુદ્દા વિષે મુલાકાત લીધી, જેમાં શ્રી હેગડેએ ગૃહમંત્રાલયના વંદે માતરમ્‌ની છ કડીઓ ગાવાની ફરજ પાડવાના હુકમને ‘બંધારણીય ભાંગફોડ’ કરવાના કૃત્ય તરીકે ગણાવી. વધુમાં તેમણે કહ્યું કે કોઈ લોકશાહી દેશનો કાયદો તેના નાગરિકને રાષ્ટ્રીય ગાન કે ખુદ રાષ્ટ્રગીતને પણ ફરજજિયાત ગાવાનો હુકમ ન કરી શકે.

તો વર્તમાન સરકાર એવો હુકમ બહાર પાડે તેનું કારણ શું હોઈ શકે? બે ચાર શક્યતાઓ છે. એક તો કેટલાક શહેરના અને રસ્તાઓનાં નામ બદલવાની સાંકળનો આ એક મણકો હોઈ શકે. ‘હિન્દુત્વ’ની સ્થાપના કરવાની ધગશમાં આ પગલું ઉપયોગી થશે એવી માન્યતા હોઈ શકે. દેશના વહીવટ અને સંચાલનને સુદૃઢ બનાવવા એક પણ કાર્ય હાથ ન લાગતું હોવાને કારણે એક પછી એક તુક્કા (તઘલખી તુક્કા તરીકે ઓળખાય) વહેતા મૂકીને બંધારણને ક્ષત વિક્ષત કરવાનું અભિયાન આદર્યું હોય. ગમે તે કારણ હોય, આ હુકમ તદ્દન ગેર કાનૂની, બંધારણના નિયમોની બહારનો અને તદ્દન બિનજરૂરી છે એ નક્કી.

જો ભારતની પ્રજામાં હીર હોય તો દેવ-દેવીઓમાં શ્રદ્ધા ન ધરાવતા દરેક ધર્મમાં માનનારા સહુએ આ નિયમનો અસહકાર કરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

સોફિયા મુસ્તફા [1922 – 2005]

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|11 March 2026

સોફિયા મુસ્તફા

આ બધું આ રીતે શરૂ થયું, એમ કહેવાય. એક સવારે હું કાર્યપ્રવૃત્ત હતી. મારા પતિને સારુ, સ્ટેનોગ્રાફર તરીકે, કેટલાક કાગળો ટાઈપ કરતી હતી. અરુશા ‘ટાનુ’[TANU – Tanganyika African National Union]ના એક આગેવાન રોબર્ટ ફિલિપ ખબરઅંતર પૂછવા આવ્યા. અરુશા ટાઉન કાઉન્સિલમાં એમની જોડે એક વરસ સેવાઓ આપેલી, તે સાંભરતું હતું. કોઈક કામસર તે મારા પતિ અબ્દુલ્લાને મળવા ઘેર આવેલા. કામ આટોપાયા બાદ વળતા તે ગપસપ માટે ઘડીબેઘડી હું હતી ત્યાં આવ્યા. ‘ગામમાં શું વાવડ છે ?’ એવું હું પૂછી પડી, તેમ મને સાંભરે છે.

‘ઓહ ! સાધારણ. આગામી ચૂંટણીઓ બાબત આવેશભર્યું વાતાવરણ ખડું થાય છે. પોતપોતાના ઉમેદવારી પત્રકો મેળવી સજ્જ થતા લોકો ચોતરફ જોવા મળે છે.’ 

‘ખરેખર ? અત્યારથી ?’

‘હા, ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 08 જુલાઈ છે.’

‘ઘણા લોકો ઉમેદવારી કરી રહેલા છે, રોબર્ટ ?’

‘થોડા ઘણા, મિસિસ મુસ્તફા.’

‘એમ. આ ઉમેદવારો કોણ કોણ છે ?’

‘ઓહ, યુરોપિયન સમાજ માટે તેમ જ આફ્રિકન સમાજ માટે બહુ જ નહીંવત. કદાચ દરેક જૂથ સારુ બે’ક ઉમેદવારો. પરંતુ એશિયાઈ સમાજ માટે ઘણા ઉમેદવારો છે, તેમ સાંભળવા મળે છે.’

અમે બન્ને હસી પડ્યા. અને પછી મેં આમ કહેલું યાદ આવે છે : ‘એશિયાઈઓ માટે આ લાક્ષણિક છે. કોણ કોણ છે તેની ખબર છે કે ?’ 

‘આશરે છએક નામો હોવા જોઈએ, એમ મને લાગે છે.’ અને પછી તેણે એ નામો રજૂ કર્યા.

‘વારુ, અને આ બધું જોતાં કોને મત આપવો, તેનો નિર્ણય કરવાનું અઘરું થવાનું.’

‘તમે કેમ ઊભાં રહેતાં નથી ?’

‘અને પછી મારી જાતને જ મત આપવાનું હું રાખું, એમ?’

અને પછી અમે બન્ને ખડખડાટ હસી પડ્યાં. અને ત્યારે જ અબ્દુલ્લા પોતાની રૂમમાંથી બહાર આવ્યા. ‘તમે કોની મજાક કરતાં હતાં?’ તેમ એ પૂછી પડ્યા.

‘લેજકો [Legco − Legislative Council] માટે મિસિસ મુસ્તફાએ ઉમેદવારી કરવી જોઈએ, તેમ હું સૂચવતો હતો.’

અબ્દુલ્લા હસી પડ્યા, ‘ ભગવાન લેજકોને અને ટૅન્ગાનિકાને આમાંથી બચાવે !’

‘કેટલા મતદારોની નોંધણી થઈ છે ?’ એમણે પૂછ્યું.

‘આશરે 5,300 જેવાક.’

‘આટલા જ ? યુરોપિયન કેટલા ? અને એશિયાઈઓ કેટલા ?’ આશ્ચર્ય વચ્ચે અબ્દુલ્લાએ વળતા પૂછ્યું.

‘મને લાગે છે કે આશરે 490 યુરોપિયનોના અને 1,500 એશિયાઈઓના.’

 ‘એશિયાઈઓના મત, અલબત્ત, આમ વહેંચાઈ જવાના. તમારી બહુમતી હોવાને કારણે તમે આ પ્રકારની મતદાન પદ્ધતિમાં કોઈ પણ યુરોપિયન અને એશિયાઈને ચૂંટી શકવાના. તમે એક હો અને ‘ટાનુ’નું વજન પડતું હોય તો આ શક્ય થઈ શકે. પણ છેવટે મારે તો મારી બોબડી બંધ રાખવી જરૂરી છે.’ અબ્દુલ્લા હસતા હસતા કહેતા હતા.

‘તમે સાચા છો, મિસ્ટર મુસ્તફા.’ રોબર્ટે ટાપસી પૂરી. અને પછી એ સમજાવતા રહ્યા કે તમામ પાંચ પ્રાંતીક વિસ્તારોમાં ‘ટાનુ’ આફ્રિકી ઉમેદવાર ઊભા રાખવાની જ છે. બંધારણમાં નક્કી કરાયું છે તે મુજબ, વળી, યુરોપિયન અને એશિયાઈ ઉમેદવારોની પસંદગી કરીને ‘ટાનુ’ ટેકો પણ આપશે. ‘ટાનુ’ની કાર્યવાહક સમિતિ યુરોપિયન ઉમેદવારોની પસંદગી કરીને મહોર મારશે. જ્યારે ‘એશિયન ઍસોસિયેશન’ જોડે સમજૂતી થયા મુજબ એકબીજાના ઉમેદવારોને ટેકો આપવાનું ‘ટાનુ’એ સ્વીકારેલું છે. અલબત્ત, ‘યુનાઇટેડ ટૅન્ગાનિકા પાર્ટી’ના ઉમેદવારોનો વિરોધ કરશે.

‘આ પ્રાન્તમાં ‘ટાનુ’ના કેટલા સભ્યો હશે ?’ અબ્દુલ્લાએ પડપૂછ કરી.

‘આશરે હજારેક, પરંતુ અમારે ઘણાં ટેકેદારો અને સહાનુભૂતિદર્શકો છે, તેઓ અમારે માટે મતદાન કરશે.’

‘એમ કે ?’ અબ્દુલ્લા બોલ્યા.

•••

થોડા દિવસો બાદ, ફરી રોબર્ટ ઓફિસ પર આવ્યા. અને આ ફેરે તો સીધા મને મળવા જ આવ્યા.

‘મિસિસ મુસ્તફા, તમે શું કહેશો તેની મને ખબર નથી; છતાં, હું તો કહીશ : તમારે કંઈક પગલું ભરવું રહ્યું.’

‘હા, રોબર્ટ, શું કામ છે ? તમારે સારુ હું કંઈ કરી શકું કે ?’

‘હા. ચૂંટણીઓ અંગેની આપણી વાતચીત તમને યાદ જ હશે. હું ગંભીરપણે તમને ઊભા રહેવાનું સૂચવીશ.’

‘ઓહ, ના ના. ખરેખર તમે ગંભીર છો ?’

‘હા. હું ખરેખર છું જ.’

‘એ કેમ બને ? બાપ રે બાપ ! એ વિશે મને કંઈ જ ગતાગમ નથી.’

‘મને ખાતરી છે કે તમે સરસ રીતે ગોઠવાઈ જ જશો. તમે ટાઉન કાઉન્સિલમાં તો હતાં જ. તો પછી લેજકોમાં કેમ નહીં ?’

‘ના’, મેં કહ્યું. ‘લેજિસ્લેચર કાઉન્સિલની સાચી જોડણી પણ હું કરી શકું તેની મને કોઈ ખાતરી નથી. તમે મારા ટાંટિયા તો ખેંચતા નથી ને ?’

‘ના. હું તેમ કરતો જ નથી. હું ગંભીર છું.’

અને હવે હું અચંબામાં પડી. મેં મારું કામ બાજુ પર હડસેલી દીધું. અને મસ્તીમજાકના તોરમાં બેસી પડી. રોબર્ટ પોતાના સૂચન અંગે ગંભીર છે તેની ખાતરી કરવા મેં ફરીવાર પૂછી જોયું.

‘હા, હું, અલબત્ત, ગંભીર છું. તમે સારું કામ આપી શકશો તેની મને ખાતરી છે. અને બીજી બાજુ, અમારો કોયડો ય ઉકેલાયો જાણવો.’

‘રોબર્ટ, તમે મારા માટે આટલો આગ્રહ કેમ રાખો છો ? બીજા જે અનેક ઊભા છે તેમાંથી કોઈને આગળ કરી શકાય.’

‘ના. ગઈ વેળા વાત કરી હતી તે મુજબ, અમારા લોકો વચ્ચે એશિયાઈ ઉમેદવાર અંગેના આ મુદ્દે મતમતાંતર ઊભા થયા છે. અને પક્ષમાં ફાટ પડે તે અમારે નથી જોઈતું.’

અમે થોડોક વખત વાતચીત કરી. અને એમના સૂચન બાબત ગંભીરપણે નિર્ણય કરવાનું કહી રોબર્ટે પણ પછી રજા લીધી.

એના ગયા પછી હું કામમાં ફેર જોતરાઈ. પણ કામમાં મન ચોંટતું જ નહોતું. રોબર્ટે કરેલી વાત અને તેમનું સૂચન મારા પર સવાર થઈને બેઠાં હતાં. …

(‘The Tanganyika Way’ના આરંભનાં પાનાંઓમાંથી આ વિગતમાહિતી સાદર લીધી છે; અને મૂળ અંગ્રેજીના આ ભાવાનુવાદની જવાબદારી મારી છે. – વિ.ક.)

•••

અને, આમ, સોફિયા મુસ્તફાએ, સ્વતંત્ર રીતે વિચારીને લેજકો માટે ઉમેદવારી પત્રક ભરવાનો મનસૂબો કર્યો. નોર્ધન પ્રોવિન્સના એશિયાઈ ઉમેદવાર તરીકે ટૅન્ગાનિકા આફ્રિકન નેશનલ યુનિયને, તેમની ઉમેદવારીને મંજૂર કરી અને પોતાના ટેકાવાળા ત્રણ ઉમેદવારમાંના એક તરીકે બહાલી આપી. આફ્રિકી ઉમેદવારી સોલોમન ઈલ્યૂફો હતા અને યુરોપિયન ઉમેદવાર ડેરેક બ્રાયસન હતા. સોફિયાબહેન ગૃહિણી, સોલોમોન ઈલ્યૂફો શિક્ષક અને ડેરેક બ્રાયસન ખેડૂત. સપ્ટેમ્બર 1958ના રોજ પહેલી ચૂંટણી થઈ અને તેમાં આ ત્રણેય ઉમદેવાર વિજેતા થયાં. સોફિયા મુસ્તફાને કુલ 2,248 મત મળ્યા. જ્યારે અન્ય એશિયાઈ ઉમેદવારોને મળેલા મતની વિગતો આમ છે : હસ્સનઅલી કાસમ વિરાણી (864); મોહમદઅલી શરીફ (672); નરસિંહદાસ મથુરાદાસ મહેતા (660) તેમ જ ધરમપાલ બેહાલ (169).

•••

1958-9 Tanganyika Legislative Council.  There were 10 constituencies. Voters voted for an African, Asian and European candidate in each constituency.  

Front row from right : Shyam Thanki (Southern – Asian – Lindi), Rashid Kawawa (Dar es Salaam – African), Julius Nyerere (Eastern Province – African), Derek Bryceson (Northern – European), Mrs Sofia Mustafa (Northern – Asian – Arusha) wife of Judge Abdulla Mustafa, Lawi Sijaona (Southern Province – African), Lady Chesham (Southern Highlands – European – Iringa) (the only American born MP), George Kahama (West Lake – African), Amir Jamal (Eastern – Asian), John Mwakangale (Southern Highlands)  – African) 

Second Row from right: Abdalla Fundikira (Western Province -African), Unknown, Arjan Singh Bajaj (Southern Highlands – Asian -Iringa), Dr. Leader Stirling, Unknown, C K Patel (South-East Lake – Asian – Mwanza Cotton King), Mahmoud Nasser Rattansey (Western Province-Asian) He later ambassador to Belgium, Paul Bomani (South-East Lake – African), Alnoor Kassum (Central – Asian), Unknown. 

Last row from right: Unknown, Unknown, Barbro Johansson (West Lake, European), Unknown, Solomon Eliufoo (Northern-African), Unknown, Unknown, Unknown Fourth row: Unknown – Not identified: Mwalimu Kihere (Central Province, African), Horace Wellesley Hannah, Central Province, European), Kantilal Jhaveri (Dar es Salaam, Asian), D. F. Heath (Dar es Salaam, European), Graham Thomas Lewis (Eastern Province, European), J. S. Mann (South-East Lake, European), John Keto (Tanga, African), Krishna Beldev (Tanga, Asian), Roderick Donaldson (Tanga, European), N. K. Laxman (West Lake, Asian), John Harvey Baker (Western Province, European), Bertha Akim Kingori (Nominated),  Elifuraha Ndesamburo Urio Marealle  (Nominated)

(Courtesy : “Africana Orientalia” 24 January 2026)

•••

આપણા આ સોફિયા મુસ્તફાએ, પાયાગત, ત્રણ ચોપડીઓનું સર્જન કરેલું છે. આઝાદી સમયના કંઈ કેટલા પ્રસંગો થયા હોય, તે વેળા લેજકોનાં માનદ્દ સભાસદને નાતે, નજીકથી આ ઘટનાઓ જોઈ હોય, અનુભવી હોય તેનું વૃતાન્ત એમણે ‘ધ ટૅન્ગાનિકા વે’માં વિગતે સમજદારીપૂર્વક અને ઝીણવટથી આપ્યું છે. આ વૃતાન્ત 1961ના અરસામાં પ્રગટ થાય છે. અને પછી એમણે બે નવલકથાઓનું સર્જન કર્યું છે. ‘ઈન ધ શેડો ઓવ્ કિરિન્યાગા’ 2002માં પ્રગટ થઈ, જ્યારે ‘બ્રોકન રીડ્સ’ પ્રગટ થઈ એમના અવસાન પછી સન 2005માં. આ ત્રણેય પુસ્તકોની આછી પાતળી વિગતો કંઈક આવી છે :  

‘The Tanganyika Way’  [ટૅન્ગાનિકાને મારગે] : બ્રિટન પાસેથી સ્વતંત્ર બન્યાના સમયગાળા દરમિયાન, સન 1958-1961 વેળા, રાજકીય ઘટનાઓ વિશેની ટિપ્પણીઓ – વિગતો અહીં સમાવી લેવાઈ છે. સોફિયા મુસ્તફા એ ઘટનાઓમાં પૂરેવચ્ચ સામેલ રહ્યાં હોઈ, રાજકીય ઘટનાપરંપરા અંગે પોતાની નિજી ટીકાટિપ્પણઓ ય અહીં જોવા વાંચવા મળે છે. એમણે મોટા પ્રમાણમાં આંતરરાષ્ટૃીય અને રાષ્ટૃીય બાબતોને અહીં સાંકળી છે. ઓછેવત્તે અંશે પોતે જ્યાંત્યાં સંકળાયાં હોય તે બાબતની આછીપાતળી વિગતો અહીં છે. વીસમી સદીના મધ્યે આફ્રિકામાં સંસ્થાનોને આઝાદી અપાયાના આપણે સાક્ષી છીએ. આવી ઐતિહાસિક ઘડીએ સોફિયા મુસ્તફાની રાજકીય કારકિર્દીની પૂર્વભૂમિકા જેમ વાંચવાસમજવા મળે છે તેમ ટૅન્ઝાનિયાના ઘડતરમાં આગેવાનોની પહેલી પેઢીએ જે ઘસારો વેઠ્યો અને જે ભોગ આપ્યો તેની ય દાસ્તાઁ અહીં મળે છે. અલબત્ત, એમાં જુલિયસ ન્યરેરે સરીખા આફ્રિકા ખંડના એક શ્રેષ્ઠ તેમ જ લાડીલા નેતાની વાત કેન્દ્રગામી વણી લેવાઈ છે.

સોફિયા મુસ્તફાની વાત સાથે, એમના જીવન સંગાથે ટૅન્ગાનિકાના આરંભના વરસોની વાત, ગૂંચવાયેલા ડાયસ્પોરાની ઝાંખી તેમ જ સંસ્થાનો અંગે પાછોતરા અનુભવોની વાત એક નારીવાદી આગેવાનની કલમે જાણવી રસપ્રદ બને છે.       

ઈન ધ શેડો ઓવ્‌ કિરિન્યાગા’ [કિરિન્યાગા પર્વતમાળાની છાયામાં] : મુસોલિનીની ઈટાલિયન સેના સામે પ્રતિકાર કરવાને સારુ ઇથિયોપિયાની (એબીસિનિયા) સેનાને સહાયક રહેતા તબીબી જૂથમાં સામેલ થયેલા એશિયાઈ દાક્તર મુસ્સાવીર જોડે ટૂંકમાં સગાઈથી જોડાતી તેર વર્ષની શહેરા મહત્ત્વાકાંક્ષી અને તેજસ્વી છે. બન્નેને આમ તો પસંદગી કરવાની તક મળતી નહોતી. પરંતુ બન્ને જ્યારે મળ્યાં ત્યારે એમની આતુરતા ઓગળી ગઈ અને બન્ને જાણે કે એક બીજાના પ્રેમમાં હોય તેમ લાગતું હતું. બન્નેની સગાઈ જાહેર થઈ અને પછી મુસ્સાવીર ઇથિયોપિયાની સરહદે જવા નીકળી ગયા. અને પછી આ દંપતીને અઘટિત બીનાનો સામનો કરવાનો થાય છે. વસાહતવાદમાં લપેટાયેલા કેન્યાના શરૂઆતના એ દિવસોનું, ખાસ કરીને એશિયન મુસ્લિમ પરિવાર અંગેનું સરસ મજાનું આલેખન અહીં વાંચવા પામીએ છીએ. આ યુવાન ભલી ભોળી શહેરાનું તીવ્ર જીવન કળી ન શકાય તેવી ઘટનાઓમાં અટવાતું રહે છે અને મોટેરાંઓની ચિંતાઓ અને લક્ષ્મણ રેખાઓ દોરતી પરંપરાઓમાં અટવાતું રહે છે તેની મજેદાર વાતો અહીં આલેખાઈ છે. 

‘બ્રોકન રીડ’ [અવિશ્વાસુ જણ] સોફિયા મુસ્તફાની બીજી નવલકથા છે. હિંદના ભાગલાને કારણે શરણાર્થી બનેલાં લેખિકાએ સન 1947 વેળા આ નવલકથા લખવાનો આરંભ કરેલો. પૂર્વ આફ્રિકાના વસવાટના સમયમાં એ લખાતી રહી, અને છેવટે દાયકાઓ બાદ અને વરસો કેડે, કેનેડામાં નિવૃત્ત જીવન ગાળતાં ગાળતાં એમણે એ પૂરી કરી. હિંદ, કેનિયા, ટૅન્ગાનિકા અને કેનેડા માંહેના એમના વિવિધ અનુભવોને ય લેખિકાએ અહીં આમેજ કર્યાં છે. 

ફોઝિયા મુસ્તફાની નોંધ અનુસાર, સોફિયા મુસ્તફાએ ત્રીજી નવલકથા પણ લખી રાખેલી : ‘અમન્ગ કઝીન્સ ઍન્ડ બ્રધર્સ’. આ અપ્રકાશિત સર્જન ક્યારેક પ્રકાશિત થાય તેવો આશાવાદ ફોઝિયા જતાવતાં હતાં.

•••

વારુ, અરુશા મારું જન્મ સ્થળ, વતન. એથી આ દિવસોની કેટલીક ગતિવિધિની સમજ, જાણકારી પણ. આશરે પાંચેક વરસ ભારતમાં ભણતર માટે વસવાટ કરીને સન 1957થી 1962 વચ્ચે પરત અરુશા હતો. યુવાવસ્થાને કારણે જાહેર જીવનની ય સમજદારી હતી. ટૅન્ગાનિકાને આઝાદી મળવાના બૂંગિયા ફૂંકાતા હતા. પૂર્વ આફ્રિકાના વિવિધ દેશોના વડા આગેવાનોની આવનજાવન અરુશામાં રહેતી. ‘ટાનુ’ની ઓફિસ સામેના પટ પર તે વેળા મેદની જામતી. હું ય ક્યારેક તે મેદનીમાં સામેલ થવા જઈ ચડતો. અરુશાના ‘ગામ્ભુ’ વિસ્તારમાં સરકારી દફતરો, હૉસ્પિટલ, પોસ્ટ ઓફિસ, બેન્ક, ઉપરાંત સમાજના ઉચ્ચ વર્ગના તવંગર લોકો માટે આવાસો. આથી સોફિયાબહેનને ક્યારેક ‘ગામ્ભુ’માં જોયાં હોય તેમ સાંભરે છે. 1958ની સાર્વત્રિક ચૂંટણી વેળા એમની સભાઓમાં ય ગયો હોય તે પણ યાદ આવે.

અબ્દુલ્લા અને સોફિયા મુસ્તફા દંપતીને વિધવિધ અભ્યાસના દાયરામાં તપાસવા સમ છે. નવા નક્કોર આઝાદ થયેલા મુલકમાં બન્નેની હાજરી અને કામગીરી સમૂળી તપાસવા જેવી બની છે. અને તેમ કરતાં કરતાં ડાયસ્પોરાની ય ભેગાભેગી મોજણી કરી શકાશે. અબ્દુલ્લા મુસ્તફાની વાત કરીએ તો 1916ના અરસામાં તેમનો જન્મ હોંગ કોંગમાં થયેલો. તેમના માતા ચીની મુસ્લિમ અને પિતા મૂળ જમ્મુના હિન્દવી જમાતી. પિતા સંનદી સેવાને નામ એ દિવસોમાં હોંગ કોંગ નિવાસી હતા. અબ્દુલ્લાએ માધ્યમિક શિક્ષણ હોંગ કોંગમાં લીધું અને પછી લાહોરની પ્રખ્યાત ગવર્નમેન્ટ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો ન કર્યો અને લીલા ચરિયાણની શોધમાં તેમ જ ચોતરફ ફેલાયેલા બ્રિટિશ રાજના માળખાનો લાભ લેવા તેમણે પૂર્વ આફ્રિકાની વાટ પકડી. 1938માં એ નૈરોબીના વસવાટી બને છે. વળી, સાથે સાથે, ઇંગ્લેન્ડની ‘લિકન્સ ઈન’માંથી વકીલાતની સનદ મેળવવાની તનતોડ મહેનત કરી અને વકીલ પદ પણ પામ્યા. ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઑવ્‌ અપીલમાં સાતેક વરસની સેવા આપી, અરુશા અને દારેસલ્લામમાં પણ ન્યાય ખાતામાં ઉચ્ચ પદના અધિકારી રહ્યા. 73 વરસની પાકટ વયે ટૅન્ઝાનિયા કોર્ટ ઑવ્‌ અપીલમાંથી નિવૃત્ત થયા. 

આ દંપતીની બીજી દીકરી ફોઝિયા મુસ્તફાએ ‘ધ ટાંગાનિકા વે’ની બીજી આવૃત્તિ માટે ‘રિ-ઈસ્યૂઇંગ ‘ધ ટૅન્ગાનિકા વે : 1961 – 2009’ નામે પ્રાસ્તવિક આપ્યું છે. તેમાંની વિગત માહિતી મુજબ, અબ્દુલ્લા મુસ્તફાની વયને કારણે તબિયત કાટામાં રહેતી નહોતી, અને તેથી દંપતીએ મોટી દીકરી રેહાનાના પરિવાર જોડે વસવાટ કરવા, 1989 દરમિયાન, કેનેડા સ્થળાંતર કર્યું હતું. કેનેડામાં દંપતી સાસકાટૂન હતાં અને ત્યાંથી કાલગેરી અને છેવટે બ્રેમ્પટન હતાં. ત્યાં જ 2003માં 87 વર્ષની વયે અબ્દુલ્લાનો દેહ પડ્યો.

નૈરોબીથી હિંદ રજા માણવા ગયેલા એક કુશળ કારીગર તરીકે હિંદથી પૂર્વ આફ્રિકા વ્યવસાય અર્થે ગયેલા ‘બટ’ [Butt] પરિવારમાં સોફિયાબહેનનો જન્મ હિન્દના ગુરુદાસપુરમાં સન 1922માં, થયો હતો. અને તેમનો ઉછેર કેનિયાના પાટનગર નૈરોબીમાં થયો હતો. સોફિયા બહેને શિક્ષક બનવાના વિચારે અધિકૃત તાલીમ લીધેલી. દરમિયાન એમણે અરુશા નિવાસી અબ્દુલ્લા મુસ્તફા જોડે ઘરસંસાર માંડ્યો. અબ્દુલ્લા ‘લિકન્સ ઈન’માંથી વકીલાતનું ભણ્યા હતા. એ ગઈ સદીનો ચોથો દાયકો હતો. સોફિયાબહેન શ્વસૂર પક્ષને જોવા મળવા લગ્ન પછી તરત હિંદનો પ્રવાસ ખેડે છે. પણ બીજા વિશ્વયુદ્ધના એ દિવસો હોઈ, તે ત્યાં જ અટવાયાં અને ભારત – પાકિસ્તાનના બટવારામાં અને ભાગલામાં ય સંડોવાઈ ને રહ્યાં. અને તે ઘટનાને અને તેના અનુભવોને ગરથે બાંધી રાખી, 2005માં આપણને ‘બ્રોકન રીડ્સ’ નામે સરસ મજાની નવલકથા દ્વારા ટિપ્પણવાળી વિગતો આપે છે.   

લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અરુશા જિલ્લાના, એક સાંસદ તરીકે ચૂંટાયાં બાદ, 1963 સુધી  ટૅન્ઝાનિયાની સંસદના સભ્ય તરીકે પણ ચૂંટાતાં રહ્યાં. 1964 વેળા એમને સાંસદ તરીકે સરકારે ફેર નિયુક્ત કર્યાં, પરંતુ, 1965માં અબ્દુલ્લા મુસ્તફાની ન્યાયાધીશ તરીકે નિમણૂક થતા, સોફિયા મુસ્તફા સાંસદ પદેથી તેમ જ રાજકારણથી ય નિવૃત્ત થયેલાં. નાનીમોટી માંદગીને કારણે 1989માં અબ્દુલ્લા મુસ્તફા સંતાનો સાથે રહેવા કેનેડાના ઓન્ટારિયો પ્રાન્તના બ્રેમ્પટન [Brampton] નગરમાં સ્થાયી થાય છે. અને એ વસવાટ વેળા 2005ની 1લી સપ્ટેમ્બરે સોફિયા મુસ્તફાનું કેનેડામાં અવસાન થયું. 

આ આરંભના સમયગાળાથી બહુ જ ટૂંકા ગાળામાં ટૅન્ગાનિકા જોડે ઝાન્ઝીબાર સામેલ થતાં મુલક ટૅન્ઝાનિયા તરીકે ઓળખાતો થયો. અને સમાન્તરે દેશની નીતિરીતિ ય બદલાતી ચાલી. આ નવા માળખામાં જૂના જોગીઓને ગોઠવાવું સહેલું ય નહોતું. એની અસર પણ વેઠવાની બનતી ચાલી. આ આખું ચિત્ર સામે રાખીને કોઈ પણ અભ્યાસુને રસ પડે તેવી આ સામગ્રી સામે આવી. વળી, સોફિયા મુસ્તફા ઉપરાંત સર જયંતીલાલ કે. ચાંદેકૃત ‘ઍ નાઇટ ઈન આફ્રિકા’, કાન્તિલાલ ઝવેરી કૃત ‘મારચિંગ વીથ ન્યરેરે’, અલ – નૂર કાસૂમ કૃત ‘ઍન ઇન્ટરનેશનાલિસ્ટ ટૉન્ઝાનિયન’ તેમ જ ઊર્મિલા ઝવેરી કૃત ‘ડેન્સીંગ વીથ ડેસ્ટિની’ને પણ રસિક અભ્યાસુઓએ વાંચનમાં, વિશ્લેષણમાં સામેલ કરવાં જોઈએ. આ યાદી સાથે ઈસા શિવજીને, રૂથ ઈ. મીનાને અને તેમનાં લખાણોને ય સામેલ કરવા રહ્યાં. રાજકારણ, સમાજકારણ, અર્થકારણને તેમ જ સાહિત્ય સર્જન જેવા અનેક મુદ્દે આ અભ્યાસ આપણને નવી દિશા આપી શકે તેમ છે.          

હેરૉ, 11 માર્ચ 2026
E.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...891011...203040...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved