Opinion Magazine
Number of visits: 9456022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—306

દીપક મહેતા|Opinion - Opinion|14 September 2025

કમાન્ડર નાણાવટીના કેસ અંગે પંડિત નેહરુએ પાર્લામેન્ટમાં શો ખુલાસો આપ્યો?      

“In exercise of the powers conferred on me by Article 161 of the Constitution of India, I, Shri Prakasha, Governor of Bombay, am pleased hereby to suspend the sentence passed by the High Court of Bombay on Commander K. M. Nanavati …”

બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના જજમેન્ટની નકલ અને વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ પોલીસની જેલને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. એ કાગળના શરૂઆતના શબ્દો ઉપર પ્રમાણે હતા. ભારતના બંધારણની કલમ ૧૬૧ દ્વારા ગવર્નરને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ગવર્નર શ્રીપ્રકાશે બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘સસપેન્ડ’ કર્યો હતો. ક્યાં સુધી? નાણાવટી તરફથી સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી અપીલ દાખલ ન થાય ત્યાં સુધી. અને સાથોસાથ ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ જેલમાં રાખવાનો આદેશ ગવર્નરે આપ્યો હતો.

ગવર્નર શ્રી શ્રીપ્રકાશ

ગવર્નર શ્રીપ્રકાશનો જન્મ ૧૮૯૦ના ઓગસ્ટની ત્રીજીએ, વારાણસીમાં. અવસાન, ૧૯૭૧ના જૂનની ૨૩મી તારીખે. ઉચ્ચ અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. આઝાદી પછી તરત, ૧૯૪૭થી ૧૯૪૯ સુધી, તેઓ પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનરના પદે રહ્યા. ત્યાર બાદ આસામ અને મદ્રાસ રાજ્યોના ગવર્નર બન્યા. ૧૯૫૬માં તે વખતના બોમ્બે સ્ટેટના ગવર્નર બન્યા. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તે પછી તેઓ ૧૯૬૨ સુધી મહારાષ્ટ્રના ગવર્નરપદે રહ્યા.     

બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો જાહેર થયો એ પછી બીજી જ મિનિટથી ઇન્ડિયન નેવીનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. આ અંગે નેવીના વડા નામદાર ગવર્નરને અપીલ કરવા માગે છે એમ સૌથી પહેલાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણને જણાવવામાં આવ્યું. તેમણે તો મંજૂરી આપી, પણ તાકડો એવો થયો કે એ વખતે ગવર્નર મુંબઈમાં નહોતા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. એટલે ગોધરામાં તેમનો સંપર્ક કરીને બધી વિગતો જણાવાઈ અને ગવર્નરે વટહુકમ પર સહીસિક્કા કર્યા. અને કમાન્ડર નાણાવટીની ધરપકડ કરવા આવેલી બોમ્બે પોલીસના હાથમાં આ વટહુકમની નકલ પકડાવી દેવામાં આવી. 

આઈ.એન.એસ. કુન્જાલી

આઈ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલના દરવાજા બહાર લોકોની જબરદસ્ત ભીડ જામી હતી. તેમને આશા હતી એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવાતા નાણાવટીનાં અલપઝલપ ‘દર્શન’ કરવાની. અખબારોના રિપોર્ટર ‘સાચા’ સમાચાર મેળવવા દોડાદોડી કરી રહ્યા હતા અને ફોટોગ્રાફરો કેમેરાનું નિશાન બન્ને જેલોના દરવાજા પર તાકીને ઊભા હતા. પણ મુંબઈ પોલીસ, મુંબઈ સરકાર, અને ઇન્ડિયન નેવીના બધા જ અફસરો મોઢે તાળાં મારીને બેસી ગયા હતા. આ ઘટના અંગે બોલવાનો અધિકાર કેવળ નેવીના રિયર એડમિરલ બી.એસ. સોમણને જ આપવામાં આવ્યો હોવાની જાણ થતાં રિપોર્ટરોએ તેમની ઓફિસ તરફ દોટ મૂકી. પણ પત્રકારોના ઢગલાબંધ સવાલોના જવાબમાં રિયર એડમિરલ સોમણ માત્ર એક જ વાક્ય બોલ્યા : “આ અંગે અત્યારે તમને આપવા માટે મારી પાસે કશી જ માહિતી નથી.”

પંડિત જવાહરલાલ નેહરુ, પાર્લામેન્ટમાં

પણ બીજે દિવસે વિરોધ પક્ષના સભ્યોએ પાર્લામેન્ટમાં ‘દેકારો બોલાવ્યો’ (એ જમાનાનાં છાપાંનો પ્રિય પ્રયોગ) અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પોતે જવાબ આપવા ઊભા થયા. તેમણે જણાવ્યું કે આવું પગલું લેતાં પહેલાં મુંબઈના ગવર્નર દ્વારા કેન્દ્ર સરકારનાં લાગતાંવળગતાં ખાતાંનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. એ ખાતાંએ તે અંગે મને જણાવ્યું હતું અને મારો અભિપ્રાય માગ્યો હતો. મુંબઈ રાજ્યના ગવર્નરને કેન્દ્ર સરકાર દ્વારા જે સલાહ આપવામાં આવી, અને એ સલાહને અનુસરીને ગવર્નરે જે અધ્યાદેશ પર સહી કરી, તે અંગેની પૂરેપૂરી જવાબદારી દેશના વડા પ્રધાન તરીકે હું સ્વીકારું છું. ગવર્નરે જે અધ્યાદેશ બહાર પાડ્યો તે બંધારણની દૃષ્ટિએ પૂરેપૂરો વાજબી છે, તેમાં કશું જ અજુકતું થયું નથી, અને આવો અધ્યાદેશ જારી કરવાથી ન્યાયતંત્રનો કોઈ રીતે અનાદર થયો નથી. આવું પગલું શા માટે ભરવાનું જરૂરી બન્યું હતું એ સમજાવતાં વડા પ્રધાન નેહરુએ જણાવ્યું કે જો થોડા દિવસ માટે પણ કમાન્ડર નાણાવટીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે તો ઇન્ડિયન નેવીના નિયમોને કારણે કમાન્ડર નાણાવટીની નેવીની નોકરી પર ઘણી માઠી અસર થાય. આ અંગે ઇન્ડિયન નેવીના વડા એડમિરલ કટારીએ, અને નહિ કે કમાન્ડર નાણાવટીના કોઈ સંબંધીએ, મુંબઈ રાજ્યના ગવર્નરને દખલ કરવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકાર સાથે વાતચિત કર્યા પછી મુંબઈના ગવર્નરે અધ્યાદેશ પર સહી-સિક્કા કર્યા હતા જેની નકલ બને તેટલી જલદી લાગતાવળગતા સૌને પહોંચાડવામાં આવી હતી. પંડિત નેહરુએ ઉમેર્યું કે મુંબઈના ગવર્નરને જવાબ આપતાં પહેલાં મેં કાયદા પ્રધાન શ્રી અશોક સેન સાથે ચર્ચા કરી હતી. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય ત્યાં સુધી બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને કામચાલાઉ ધોરણે સ્થગિત કરવામાં ભારતના બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. વળી ગવર્નરને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અધ્યાદેશ પર સહી કરતાં પહેલાં તેમણે એ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણ સાથે વાતચીત કરવી. ગવર્નરે આ પ્રમાણે કર્યું હતું અને મુખ્ય પ્રધાને ગવર્નરને આપવામાં આવેલી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. છેવટે પંડિત નેહરુએ કહ્યું કે આ આખા મામલા અંગે ભારત સરકારે અને વડા પ્રધાન તરીકે મેં જે કાંઈ કહ્યું તે મુંબઈ રાજ્યના ગવર્નર અને મુખ્ય પ્રધાનને ‘સલાહ’ આપવાના રાહે, અને નહિ કે આદેશ આપવાના રાહે કહ્યું હતું. અને એ બન્નેએ અમારી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. તેમને જે સલાહ આપવામાં આવી તે ‘અનૌપચારિક’ હતી. અને એટલે એ સલાહને બંધારણની કલમ ૨૫૬ લાગુ પડતી નથી, અને એટલે વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી સભામોકૂફીની દરખાસ્ત દાખલ થઈ શકે તેમ નથી. મુંબઈ રાજ્યના ગવર્નરે અમારી સલાહથી જે અધ્યાદેશ જારી કર્યો તેની પાછળ બોમ્બે હાઈ કોર્ટનો, તેના માનનીય ન્યાયાધીશોનો, કે દેશના ન્યાય તંત્રનો અનાદર કરવાનો હેતુ મુદ્દલ નથી. 

ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ

ગવર્નરના વટહુકમ અંગે વધુ સ્પષ્ટતા કરતાં પંડિત નેહરુએ કહ્યું કે હાઈ કોર્ટના હુકમની અમલબજાવણીને સ્થગિત કરવામાં આવી છે તે માત્ર કમાન્ડર નાણાવટી તરફથી કરવામાં આવનાર અપીલ સુપ્રિમ કોર્ટમાં દાખલ થાય ત્યાં સુધીની મુદ્દત માટે જ છે. એ પછી આ આખા પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટ અથવા બોમ્બે હાઈ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે. 

વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે કમાન્ડર નાણાવટીને વડા પ્રધાન નેહરુ અને તેમના કુટુંબ સાથે અંગત સંબંધો હોવાને કારણે ભારત સરકારે અધ્યાદેશ જારી કરવાની સલાહ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને આપી હતી. આ વાતનો રદિયો આપતાં વડા પ્રધાન નેહરુએ કહ્યું કે હું અંગત રીતે કમાન્ડર નાણાવટીને નહિ જેવું ઓળખું છું. બીજા સિનિયર ઓફિસરોને મળવાનું થાય તેમ હું કમાન્ડર નાણાવટીને પણ મળ્યો છું. તેમના વિશેના જે અહેવાલો મને મળ્યા છે તે ઉપરથી મારા મનમાં એવી છાપ ઊભી થઈ છે કે તેઓ એક કાર્યદક્ષ અને વફાદાર અફસર છે. પણ તેમને મદદરૂપ થવાનો નથી મારો આશય કે નથી એવી કોઈ જરૂર. મેં અને ભારત સરકારે જે કાંઈ કર્યું તેને કદાચ ‘અસાધારણ’ કહી શકાય, પણ કોઈ રીતે ‘અયોગ્ય’ કે ‘અવૈધ’ કહી શકાય એમ નથી. 

વિરોધ પક્ષના સભ્યોને, વડા પ્રધાન નેહરુને, અન્ય પ્રધાનોને તથા અન્ય સભ્યોને સાંભળ્યા પછી સ્પીકરે વિરોધ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી સભા મોકૂફીની દરખાસ્ત ખારીજ કરી હતી. 

પણ પાર્લામેન્ટમાં ચર્ચા થઈ ગઈ એટલે વાત પૂરી થઈ એમ ન માની લેવું. બોમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને કમાન્ડર નાણાવટીને આજીવન કારાવાસની સજા કરી હતી. ઉપરાંત તેમને નેવલ જેલમાંથી કાઢીને આર્થર રોડ જેલમાં ખસેડવા માટે વોરંટ જારી કર્યું હતું. પણ ઇન્ડિયન નેવીના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીનો કબજો બોમ્બે પોલીસને સોંપવાની ના પાડી એટલે ન તો હાઈ કોર્ટે કરેલી સજાની કે ન તો જારી કરેલા વોરંટની અમલબજાવણી થઈ શકી. કોઈ ‘કોમ્પિટન્ટ ઓથોરિટી’એ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘ઓવર રૂલ’ કર્યો ન હતો. પરિણામે  હાઈ કોર્ટનો ચુકાદો અને હાઈ કોર્ટે લીધેલા નિર્ણયો ‘અધ્ધર લટકતા’ રહ્યા હતા. આ સંજોગોમાં હવે શું થઈ શકે એ અંગે બોમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના બંને નામદાર ન્યાયાધીશોએ બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી તેમની સલાહ માગી. પરિણામે સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં નાણાવટી મર્ડર કેસ ફરી પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ પાસે. પણ આ વખતે ડિવિઝન બેંચ પાસે નહિ, પણ ફુલ બેંચ પાસે. 

એ વખતે શું થયું? એ અંગે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 સપ્ટેમ્બર 2025

Loading

રૂપ, કુરૂપ

સુરેશ જાની|Opinion - Opinion|13 September 2025

સરસ મજાનો રસ્તો છે. બન્ને બાજુ અને રસ્તાની વચ્ચે પણ આંખને ઠારી દે તેવી હરિયાળી છવાયેલી છે. રસ્તાની એક બાજુએ શહેરનો જાણીતો પાર્ક છે. સહેજ આગળ જતાં એ રસ્તો શહેરના એક ઠીક ઠીક મોટા તળાવ નજીકથી પસાર થાય છે. મન નાચી ઊઠે તેવો માહોલ છે – કવિ હૃદયમાં કવિતા સ્ફૂરી ઊઠે તેવો.

પણ .. થોડાક જ ફૂટ નીચે શું છે? આખાયે શહેરની ગંદકીને શહેર બહાર ઠાલવતી બાર ફૂટ વ્યાસવાળી ગટરમાં લાખો લોકોએ સૂગથી ત્યજી દીધેલી, ગટર ગંગા વહી રહી છે. એમાં લાખો કીડા અને વંદા મહાલી રહ્યા છે. એ બધું નજરે પડે તો? ત્યાં નજર તો પહોંચે તેમ નથી છતાં એ છે તો ખરી જ.

સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી યોજાઈ છે. ફેશન પરેડની અંદર હરીફાઈ કરતાં હોય તેમ, સભ્ય સમાજનાં સદ્દગ્રહસ્થો અને સન્નારીઓ, ચકાચૌંધ માહોલમાં મહાલી રહ્યાં છે. બાજુના ટેબલ પર મોંઘીદાટ, જાતજાત અને ભાતભાતની, ખુશબૂદાર વાનગીઓની સોડમથી મોંમાં પાણી છૂટી જાય છે.

પણ એ દરેક સભ્ય જણ, પોતાની સાથે ગંદી, ઊબકા આવે તેવી વિષ્ટાથી ભરેલી કોથળી સંતાડીને ફરી રહ્યું છે – તેની ઉપર કદી આપણી નજર પડવાની નથી. પણ એ છે, એ તો હકીકત છે જ.

આછાં વસ્ત્રો પહેરેલી, રૂપરૂપના અંબાર જેવી નૃત્યાંગના સ્ટેજ ઉપર અંગો ઉછાળતી નાચી રહી છે. એના પ્રત્યેક નખરાં થકી પુરુષોની કામૂકતા તો ઉત્તેજિત થાય છે જ; પણ દર્શક સ્ત્રીઓ પણ તેનાં રૂપને ઈર્ષ્યાના ભાવથી નિહાળી રહી છે.

પણ .. એના એ મનોહર, સૌંદર્યથી છલકાતી, ચામડીની એક જ મિલીમિટર નીચે લોહીથી લથબથ માંસ, ભય ઉપજાવે તેવા હાડપિંજરની ઉપર લટકી રહ્યું છે – તેની ઉપર આપણી નજર નથી જ પડવાની. પણ એ છે તે હકીકતનો કોણ ઈન્કાર કરી શકશે? લો, આ વીડિયો જોઈ લો.

એક દેશનેતા મંચ પરથી લાખોની માનવમેદનીને સૂફિયાણી દેશદાઝ અને સેવાના ભેખની આલબેલ પુકારી રહ્યો છે. એની જોમભેર વાણીના પ્રવાહમાં, હકડેઠઠ માનવમેદની વાક્યે વાક્યને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.

પણ એ માંધાતાનું મન તો કલાક પછી, આંતરરાષ્ટ્રીય કમ્પનીના પ્રતિનિધિ પાસેથી કેટલા કરોડની લાંચ મળવાની છે; એના ખયાલોમાં નાચી રહ્યું છે – એની ખબર થોડી જ આમ જનને પડવાની છે? પણ એ મહાપ્રતાપી નેતાના સ્વીસ બેન્કના ખાતામાં એની દસ તો શું, સો પેઢી પણ ભોગવતાં ન ખૂટે તેટલો ભંડાર ભરેલો છે, એ હકીકતનો કોણ ઈન્કાર કરી શકશે?

ગગનચુંબી, વૈભવી ઈમારતો અને મહાલયોથી થોડેક જ દૂર દરેક ક્ષણે, સતત, માનવતા ગંદી ગલીઓમાં, ભૂખી, પ્યાસી દરિદ્રતાનાં બધાં દૂષણોમાં મજબૂરીથી કણસી રહી છે – તે આપણી નજરે કદી પડે છે?

નકારાત્મક દૃષ્ટિ? પાણીથી અડધો ભરેલો પ્યાલો – ખાલી પણ કહી શકાય; અને ભરેલો પણ કહી શકાય. ચમકતા રૂપની પાછળ ગંદી, ગોબરી કુરૂપતા પણ નિહાળી શકાય. જેવી જેની નજર.

પણ સત્ય તો કઠોર છે.

રૂપ અને કુરૂપ.

બન્ને છે, છે ને છે જ.

અહીં કેવી નજર રાખવી ઘટે, તેવી સૂફિયાણી સલાહ આપવાનો ઉદ્દેશ નથી. વાત એ જ કરવાની છે કે, રૂપ, કુરૂપ બન્ને હોવા છતાં – એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તૈયારી આપણે કેળવી શકીએ? જગતના સર્જન કાળથી જ બન્નેનો આવિર્ભાવ થતો રહ્યો છે.

રૂપના પરમાણુ અને કુરૂપના પરમાણુમાં કોઈ તાત્ત્વિક  ભેદ નથી; એટલે કે, એમાં આ સારું અને આ ખરાબ – એવું કશું હોતું નથી. એને સારું અને ખરાબ – એવી વ્યાખ્યાઓ તો આપણે ઊભી કરી છે. એ ત્રાજવાં તો આપણા મને બનાવ્યાં છે. આપણે એને ત્યજવા શક્તિમાન નથી.

કે એવા શક્તિમાન આપણે બની શકીએ તેમ છીએ?

e.mail : surpad2017@gmail.com

Loading

કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 September 2025

ચંદુ મહેરિયા

તેઓ અમેરિકાના પહેલા ભારતીય મૂળના, શ્યામવર્ણી, મહિલા ઉપરાષ્ટ્રપતિ હતાં. તેઓ સાન ફ્રાન્સિસકોના પહેલાં બ્લેક મહિલા ડિસ્ટ્રીક્ટ એટર્ની અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતાં. તેઓ યુ.એસ.એ.ના બીજા અશ્વેત મહિલા સેનેટર હતાં. ૨૦૨૪માં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ ઈલેકશનના મુકાબલામાં આ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું કે આ પદ પર કદાચ હું પહેલી મહિલા હોઈ શકું છું. પરંતુ અંતિમ નહીં હોઉં. હા, વાત છે કમલા હેરિસની. અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટની. અમેરિકાના પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બનવાની જેમનામાં અપાર સંભાવના જોવાતી હતી, તે કમલા હેરિસની તાજેતરની સત્તાના રાજકારણથી નિવૃત્તિની જાહેરાત આંચકો આપનારી છે, તો તેનાં કારણો ચિંતા ઉપજાવનારાં છે.  

સાઠ વરસનાં ભારતીય માતા અને જમૈકીય પિતાના દીકરી કમલા (જન્મ ૨૦.૧૦.૧૯૬૪) કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યાં હતાં. હાવર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આફ્રિકી અમેરિકી કર્મશીલો અને બૌદ્ધિકોની વચ્ચે તેમનો ઉછેર થયો હતો. માતા-પિતાના છૂટા પડ્યા પછી એકલ માતાનાં સંતાન તરીકે પણ તેમનામાં આકાશ જ સીમા છેનો માબાપે રોપેલો વિશ્વાસ જીવંત હતો. એટલે કાયદાના સ્નાતક બનીને કમલા હેરિસે વકીલાતનો આરંભ કર્યો, ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ જુદો માર્ગ અપનાવ્યો. જેણે તેમને વિવાદ અને લોકપ્રિયતા બંને અપાવ્યા હતા. ૨૦૦૪માં એક ક્રિમિનલ ગેંગના સભ્યે પોલીસને ગોળી મારી, મારી નાંખ્યો. આ ઘટનાથી આક્રોશિત લોકોએ હત્યારાને મોતની સજાની માંગ કરી હતી. પરંતુ ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ કમલાએ અદાલતમાં મોતની સજાની પ્રે જ કરી નહીં. તેથી તેમનો વ્યાપક વિરોધ થયો. પરંતુ તેઓ પોતાની વાતને વળગી રહ્યાં. તેઓ સજા કરતાં ગુના રોકવામાં માનતા હતા. ભારે સજાથી ગુના રોકી શકાશે નહીં એટલે ન્યાય વ્યવસ્થામાં સજાને બદલે ગુના ઘટે તેવા ન્યાયિક સુધારાના તે તરફદાર હતાં. 

કમલા હેરિસ

૨૦૧૫માં કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર અને અમેરિકી સેનેટનું સભ્યપદ બે પૈકી એકની પસંદગી કરવાનું આવ્યું ત્યારે કમલાની સહજ પસંદ સેનેટર થવાનું હતું. એમ કરીને રાષ્ટ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા હોવાનું દર્શાવ્યું હતું. સેનેટર બનીને તેમણે રાષ્ટ્રીય મંચની તક ઝડપી જે તેમને અમેરિકાના પ્રેસિડન્ટના ઈલેકશનના ઉમેદવાર સુધી લઈ ગઈ હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ શરૂઆતમાં હત્યા, યૌન ઉત્પીડન, લૂંટ અને ચોરીના કેસો લડ્યાં હતા. નાના અને અહિંસક ગુનાઓની મોટી સજાના તેઓ કાયમ વિરોધી રહ્યાં. 

રાજનેત્રી કમલા હેરિસે હથિયારો પર પ્રતિબંધ, આરોગ્ય સેવાઓમાં સુધારો, યૌન ઉત્પીડન રોકવું, પ્રગતિશીલ કર સુધાર, ડ્રીમર્સને નાગરિકતા જેવાં કાર્યો માટે પ્રયાસો કર્યાં હતાં. જો બાઈડેનના ડેપ્યુટી તરીકે તેમણે મોંઘવારી ઘટાડવા સંબંધી કાયદો ઘડવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. ડોકટરોએ લખેલી દવાઓના ભાવોમાં ઘટાડો અને ઈન્સ્યુલિનની નિર્ધારિત રકમ તેમણે નક્કી કરાવી હતી. પૂર્વે ૨૦૦૭-૦૮માં મોટી અમેરિકન બેંકોને નાણાંકીય સંકટમાં ફસાયેલા લોકોને અપાતી રાહતમાં વધારાની તેમણે ફરજ પાડી હતી. સજા કે દંડ વ્યવસ્થામાં ફેરફાર અર્થાત અપરાધિક ન્યાય પ્રણાલીમાં સુધારો એડવોકેટ કમલાનું ધ્રુવ કાર્ય હતું. તેના પરથી તેઓ ક્યા અમેરિકી નાગરિકોના પક્ષે હશે તે જણાય છે. 

૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં કમલા હેરિસનાં ભાષણો અને વાયદાથી તેમની રાજનીતિ પરખાય છે. ગર્ભપાતના અધિકારનો સ્વીકાર અને એક સમાન પ્રજનન અધિકારો, મકાન અને ખાધ્ય પદાર્થોના ભાવોમાં ઘટાડો, ઉદ્યોગો, મોટી કંપનીઓ અને વાર્ષિક ચાર લાખ ડોલરની આવક ધરાવતા લોકો પરના ટેક્સમાં વૃદ્ધિ અને બાકીના કરદાતાઓ પરનો કર બોજ ઘટાડવો, ગાઝામાં યુદ્ધની સમાપ્તિ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ જારી રાખવી જેવા વચનો તેમણે આપ્યાં હતા કે આ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ કર્યાં હતાં. જો કે આયાત જકાત (ટેરિફ) અંગેના તેમના વિચારો વર્તમાન અમમેરિકી પ્રમુખ જેવા જ હતા. હરીફ ઉમેદવાર ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાનું વચન આપતા હતા, ત્યારે કમલાબહેન એકવીસમી સદી અમેરિકાની હશે, ચીનની નહીં તેમ કહી જરા જુદી રીતે અમેરિકાની મહાનતાનું ગાણું ગાતાં હતાં. પ્રેસિડન્ટ ઈલેકશનમાં હાર પછી તેમણે જંગ જારી રહેવાનું એલાન કર્યું હતું. 

કમલા હેરિસનાં માવતર જ્યારે છૂટા પડ્યાં, ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજ વસ્તુઓના બટવારા માટે કોઈ ઝઘડો થયો નહોતો. પરંતુ મઝિયારાં પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતા હતાં. આવાં માબાપનું સંતાન વાચક અને લેખક ન હોય તો જ નવાઈ! ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને ૨૦૧૯માં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ‘ધ ટ્રુથ વી હોલ્ડ : એન અમેરિકન જર્ની’ હતું. કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે. અમેરિકામાં પ્રવર્તતા રંગભેદના ભયાનક સ્વરૂપ, ન્યાય વ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા-જાણવા આ પુસ્તક ઉપયોગી છે. નાગરિક અધિકાર આંદોલનના દૌરમાં જન્મેલા અને બ્લેક લાઈવ્સ મેટર આંદોલનના ઉદય કાળમાં રાજનીતિમાં રહેલાં કમલા હેરિસની બીજી કિતાબ ૧૦૭ ડેઝ (107 Days) આ મહિને પ્રગટ થવાની છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ૧૦૭ તણાવપૂર્ણ દિવસોની અંદરની વાતો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે.  

રાષ્ટ્રપતિની ચૂંટણીના પરાજય પછી પણ કમલા સક્રિય હતાં અને ડેમોક્રેટને નેત્તૃત્વ આપી રહ્યાં હતાં. ૨૦૨૬ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાના હતાં. આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી. એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટમાં રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધાં છે. કમલા હેરિસે તેનાં કારણો જણાવતાં કહ્યું છે કે મારા મનમાં છેલ્લા છ-આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી. અંતે મને લાગ્યું છે કે હવેથી હું કેલિફોર્નિયાના ગવર્નરના પદથી લઈને કોઈપણ પદ માટે ચૂંટણી નહીં લડું. કારણ? તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે, અને તેઓ લોકશાહી મૂલ્યોનાં રક્ષણ માટે પૂરતાં મજબૂત નથી. દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી. તેમણે આ મુદ્દે ખૂલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિકેટમાં કાપ, અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા, સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરવેરામાં મોટા પાયે ઘટાડો જેવાં પગલાં અમેરિકાને કેમ કનડતાં નથી? જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલા આવી સ્થિતિ કદી જોઈ નથી. અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પશાસન સામેનું આ તહોમતનામુ નથી તો શું છે બીજું? 

કમલા હેરિસની અમેરિકન મીડિયાએ એક સમયે લેડી ઓબામાની છબી ઊભી કરી હતી. તેઓ બરાક ઓબામાનો વારસો આગળ વધારશે એવી વાતોના પ્રત્યુત્તરમાં કમલાબહેને કહ્યું હતું કે મારો ખુદનો વારસો છે. મારે બીજા કોઈના વારસાને આગળ નથી વધારવાનો. તો પછી મજબૂત નેતાની છાપ ધરાવતાં કમલા હેરિસનો સત્તાકારણ ત્યાગનો નિર્ણય કેમ?  હાલ તો આપણે એ વાતે આશ્વસ્ત છીએ કે કમલા હેરિસે રાજનીતિ છોડી છે, જાહેર જીવન નહીં. સત્તાકારણ છોડ્યું છે, લોકકારણ નહીં. તેઓ હવે દેશભરમાં ફરશે. લોકોને મળશે. લોકો પાસે મત નહીં માંગે પણ તેમની વાત સાંભળશે.

રાજનીતિ ત્યાગનું કમલા હેરિસનું પગલું આક્રમક ટ્રમ્પ સામે આત્મસમર્પણ છે કે પછી બે ડગલાં પાછળ હઠી સમય આવ્યે છલાંગ લગાવવાની રણનીતિ છે, તે હાલ કલ્પવું મુશ્કેલ છે. હિલેરી ક્લિન્ટન, કમલા હેરિસ અને મિશેલ ઓબામા અમેરિકાના પહેલા મહિલા પ્રેસિડન્ટ બનવાની પ્રતિભા, ક્ષમતા, સામર્થ્ય અને સંભાવના ધરાવતાં રાજનેત્રીઓ છે. હિલેરી અને હેરિસના પારોઠના પગલાં પછી મિશેલ માટે તક છે?

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...891011...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved