Opinion Magazine
Number of visits: 9457872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ

પ્રકાશ શાહ|Opinion - Opinion|9 August 2023

10 ઓગસ્ટ : ઈચ્છારામ દેસાઈની જન્મજયંતી

 

(10 August 1853 – 05 December 1912)

 

પારસી અગ્રયાયીઓથી ઉફરાટે એ ‘ગુજરાતી‘ લઈને આવ્યા ત્યારે (હજુ તો મોહનદાસ ગાંધી આખા અગિયાર વરસના હશે ત્યારે) એમણે ડંકે કી ચોટ કીધું કે ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે 

થાય છે, જરી ચતુરના ચોતરાવાળી કરું. એક ઉદાહરણ આપું છું અને પૂછું છું કે આ કોનું હશે તે કહો :

‘દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના સાદા અને સાધારણ લોકો સમજી શકે એમ હોય ત્યારે જ ખરી ખૂબી માલૂમ પડે છે.’

આ સવાલમાં એવી તે શી ધાડ મારવાની છે, વારુ? તમે કહેશો, બિલકુલ શેરલોક હોમ્સની જેમ, ‘એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન.’ સાદી ભાષાની હિમાયત તો ગાંધીજી જ કરે ને.

ખોટ્ટી વાત. 1880માં (એટલે કે ગાંધીજી હજુ અગિયાર વરસના હશે) ત્યારે આ વાત મૂકનાર હતા ‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી, નામે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ.

જો કે, ઈચ્છારામનો ભાષા વિષયક આગ્રહ ને અભિગમ એક જુદા સંદર્ભમાંયે જોવા જેવો છે. એમની પૂર્વે જે ગુજરાતી પત્રકારત્વ ચાલ્યું એની તપસીલમાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહું કે તે બધા બહુધા પારસી માલિકી અને સંચાલનનાં પત્રો હતાં. બીબાં બાબતે થોડીક પૂર્વ તાલીમ પણ ધરાવતા ઈચ્છારામે ચોખ્ખા ગુજરાતી ઉચ્ચારને ધોરણે પ્રેસને સાધ્યું અને શરૂના એક-બે અંક બહાર આવતે આવતે તો આ પત્ર પારસીશાઈ અશુદ્ધ ગુજરાતીથી ઉફરું ઊડવા લાગ્યું.

પારસી પત્રોની વિશેષતા જો કે એ હતી કે એકલદોકલ અપવાદ સિવાય રાજકીય બાબતોથી અંતર રાખવાના વલણ સામે આ પત્રો સંસાર સુધારા ક્ષેત્રે બુલંદ હોઈ શકતાં હતાં. ઈચ્છારામ રાજકીય બાબતોમાં ધોરણસર કહેવા જેવું કહેતા જ. હકીકતે, 1880માં એમણે મુંબઈથી ‘ગુજરાતી’ શરૂ કર્યું તે પૂર્વે 1878માં સુરતથી ‘સ્વતંત્રતા’ માસિક થોડો વખત ચલાવ્યું હતું. રાજ્યપ્રકરણી કારણોસર એમના પર તવાઈ આવી ત્યારે મુંબઈથી ફીરોજશાહ મહેતા ખાસ કેસ લડવા આવ્યા હતા અને ત્યારથી ઈચ્છારામે એમને રાજકીય ભોમિયા લેખે સ્વીકાર્યા હતા.

‘ગુજરાતી’ પત્રે કબૂલ્યું હતું કે ‘સંસારી સુધારાની પહેલી જરૂર છે તેમ છતાં રાજકીયને અમે ધિક્કારનાર નથી … અને રાજકીય ને સંસારી સંયુક્ત બળથી અમારો કિલ્લો બાંધ‌વા માંગીએ છીએ … અમારે પોલિટિકલમાં બોલવાનું એટલું જ કે રાજા અને પ્રજા વચ્ચે ગેરસમજૂતીનો જે મોટો અખાત પડેલો છે તેને પૂરી નાખવો … નિપુણ રાજકર્તાથી કેવા લોભ થાય છે તે બતાવવાને જરૂર પડે તો અમારી સલાહનો નબળો અવાજ બહાર કાઢવો …’

‘નબળો’ એ પ્રયોગ અહીં મોડરેટ કહેતાં મવાળ કે નરમના અર્થમાં થયો જણાય છે, જે ફીરોજશાહ આદિના રાજકારણને સુસંગત છે. હજુ કાઁગ્રેસની સ્થાપના આડે પાંચ વરસ હતાં ત્યારે, 1880માં ‘ગુજરાતી’ના સ્થાપક તંત્રી આ રીતે વાત કરે છે તે સૂચક છે.

જે બે નવલકથાઓથી ઈચ્છારામ અને આ પત્ર બેઉ ઊંચકાયા, ‘હિંદ અને બ્રિટાનિયા’ તેમ જ ‘ચંદ્રકાન્ત’, તે પૈકી પહેલી હિંદ દેવી બ્રિટાનિયા ને સ્વતંત્રતા દેવી એ ત્રણ પ્રતાપી નારી પાત્રો વચ્ચેના લાંબા સંવાદો રૂપે દેશહિત નામક પુરુષ પાત્ર સમેત વિલસે છે … અને અંતે ‘દિવ્યમૂર્તિ’ રિપનને ભરતખંડનું રાજ્ય સોંપતાં તે (હિંદદેવી) તથા બ્રિટાનિયા બંને સુખી થયાં અને હિંદ-બ્રિટાનિયાની સામ્રાજ્યકીર્તિ અવિચળ રહો એવો હર્ષયુક્ત નાદ સર્વેના અંત:કરણમાંથી ઊઠી ગગનમાં ગાજી રહ્યો.

ઈચ્છારામે જે લેખકવૃંદ જોતર્યુઁ તેમાં 1857માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોનો હિસ્સો ખાસો હતો. આ લેખકોમાં રતિલાલ દુર્ગારામ મહેતા, વૈકુંઠરાય મન્મથનાથરાય મહેતા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સાકરલાલ દુર્ગારામ દેસાઈ, ઈચ્છારામ ભગવાનદાસ, છગનલાલ ઠાકોરદાસ મોદી વ. નામો રતન માર્શલે નોંધ્યાં પણ છે.

એકંદરે ‘ગુજરાતી’ના લેખકમંડળનો દબદબો ને એમની ફરતે રચાયેલ પ્રભામંડળ કેવા હશે એનો અંદાજે અણસાર તો પાછળથી, જ્યોતીન્દ્ર દવે સાથે ‘અમે બધાં’થી સુખ્યાત ધનસુખલાલ મહેતાના ‘અનુભવ’થી જાણવા મળે છે. હજુ કોલેજમાં પહેલાબીજા વરસમાં હશે અને એમણે ‘ગુજરાતી’માં લખેલો લેખ ‘ધનસુખલાલ મહેતા, બી.એ.’ એ લેખકનામથી છપાયો. ધનસુખલાલ ભૂલસુધાર સારુ ગયા તો ઈચ્છારામકાકા ગર્જ્યા : ‘નથિંગ ડુઈંગ!’ ને ઉમેર્યું : ‘અમારો કોઈ લેખક ગ્રેજ્યુએટથી ઓછો હોઈ શકે જ નહીં.’

ધારાવાહી નવલકથાઓ (કેટલીક ‘ચાલુ’ તો કેટલીક હપ્તાવાર) શરૂ શરૂમાં, મુનશીના શબ્દોમાં, હાડપિંજર ને લુગડાં પહેરાવ્યાં જેવી એટલે કે ચીલેચલુ અને વળી જૂનવાણી તરેહની આવતી. પણ ‘ઘનશ્યામ’ નામે એમણે પોતે ‘વેરની વસૂલાત’થી (14 આને કોલમના બાદશાહી ભાવે) પ્રવેશ કીધો એ અલબત્ત એક જુદી જ ઘટના હતી.

લેખકમંડળ અંગે એક વિલક્ષણ ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. ‘બીરબલ’ ઉપનામથી હળવી ને કટાક્ષભરી કોલમ લખાતી. દુરારાધ્ય બ.ક.ઠા. ‘બીરબલ’ને તે અરસાના દસ ગુજરાતી ગદ્યકારો પૈકી એક તરીકે ગણાવતા. દર્શકે સંભાર્યું છે કે એક વાર ગાંધીજીએ એમને પૂછેલું : હજી પેલા ‘બીરબલ’ છે કે? હું એમની ‘ભર કટોરા રંગ’ રસથી વાંચતો. આ ‘બીરબલ’, રતન માર્શલે મસ્તફકીરને ટાંકીને નોંધ્યું છે તેમ એક પારસી ગૃહસ્થ હતા – ખરશેદજી બમનજી ફરામરોજ.

ગમે તેમ પણ, એક તબક્કે, 1910માં એમનું મવાળ રાજકારણ પણ અંગ્રેજ સરકારને રાસ ન આવ્યું અને જામીનગીરી મંગાતાં ઈચ્છારામને લાગ્યું કે મારું પત્રકારજીવન પૂરું થયા બરોબર છે. ‘ગુજરાતી’ પત્ર તો ત્યાર પછી પણ બે વરસ એમના થકી અને તે પછી પુત્રો મારફતે ઠીક ચાલ્યું પણ એનો સમય પૂરો થાય એ અનિવાર્ય હતું. કારણ, એક તો, લાલ-બાલ-પાલ થકી સરજાયેલ ઉદ્દામ માહોલમાં વળી ગાંધીપ્રવેશ સાથે મવાળ રાજકારણના ખરીદાર નહોતા તેમ જ સુધારા બાબતે સનાતની વલણ પણ નવા સમયમાં સ્વીકાર્ય નહોતું.

ચોખ્ખી ભાષા અને રાજકીય ચર્ચાની એણે કંડારેલ કેડી બેલાશક એક પ્રતિમાન હતી અને રહેશે. આ પત્રને નર્મદે ‘ગુજરાતી’ એવું રૂડું નામ આપ્યું હતું, અને ઈચ્છારામ અલબત્ત અગ્રગાયી એવા એક ગુજરાતી તરીકે ચિરકાળ સંભારાશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 ઑગસ્ટ 2023

Loading

મહેકભીના માણસ : ગુલાબભાઈ જાની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|8 August 2023

૨૦૦૩ના સપ્ટેમ્બર માસની ગુલાબી સાંજે ડૉ. નીલેશ રાણાએ લગભગ દોઢસો જેટલા અંગત મિત્રોને એક શુભ અવસરે ભોજન માટે આમંત્રિત કરેલા. પઘારેલા અતિથિ મિત્રો પુસ્તક મેળાનો આનંદ માણી રહ્યા હતા. સુરેશ દલાલ, હું અને મહેશ દવે બેઝમેન્ટના એક ખૂણામાં અલકમલકની વાતો કરતા નિરાંતે ઊભા હતા. બરાબર એ જ વખતે સૂચિબહેન વ્યાસ સાથે એક પૌઢ યુગલ ઉત્સાહ-આનંદ સાથે પુસ્તક મેળામાં પ્રવેશ્યું.

સૂચિ વ્યાસ સાથે આવી પહોંચેલાં યુગલમાંથી ગોળ મટોળ ચહેરાવાળા સોનેરી ફ્રેમમાં નેહ નીતરતી આંખો સાથે હોઠોમાં મલકતા ખાદીઘારી ભાઈએ બે હાથ જોડી સુરેશભાઈને દૂરથી વંદન કરી ટોળામાંથી હળવેકથી રસ્તો કરી, સુરેશ્ભાઈ પાસે આવી ઉત્સાહથી તેમની સાથે હસ્તઘૂનન કરી મારી સાથે ઊમળકાભેર હાથ મિલાવતાં મને કહ્યું, “હું રાજકોટથી આવું છું મારું નામ ગુલાબભાઈ જાની છે.”

અમારી બે-પાંચ મિનિટ અંગત વાતો સાથે હું શું કરું છું? શું લખું છું? વગેરેની વાતો થઈ ગઈ. એટલે સૂચિબહેને ઘડિયાળમાં નજર કરી. ગુલાબભાઈ અને ઉષાબહેન સામે જોયું. ગુલાબભાઈએ મને નમ્રતા સાથે જણાવ્યું, મિત્ર, મારે એક બીજા કાર્યક્રમમાં અત્યારે ખાસ હાજરી આપવી પડે તેમ હોવાથી હમણાં જ અહીંથી નીકળવું પડશે. પણ તમે એક કામ કરો, મને તમારું નામ, સરનામું અને ફોન નંબર એક કાગળમાં લખી આપો જેથી આપણે એકમેકના પરિચયમાં તો ચોક્ક્સ રહીશું.

ટેબલ પર પડેલા એક નેપકિનમાં મેં મારું નામ સરનામું લખતાં મનમાં વિચાર્યું કે આ મહાશય પણ ભારતથી આવતા આપણાં સહિત્યકારો અને સંપાદક મિત્રોની જેમ મને સારું લગાડવા કેવો કોણીએ ગોળ ચોપડી રહ્યા છે? મને કયાં ખબર નથી કે આ મહાશય હમણાં અહીંથી મારી સાથે હાથ મિલાવીને છૂટા પડશે અને મેં લખી આપેલ નામ, સરનામાને કચરાની ટોપલીમાં ફેંકી દેશે!

બરાબર બે મહિના બાદ મને રાજકોટથી ગુલાબભાઈ તરફથી ‘સમુદ્ગાર”ના બે અંક સાથે નૂતન વર્ષાભિનંદનનું કાર્ડ પણ મળ્યું. ડૉ. નીલેશ રાણાના ઘેર તેમની સાથે થયેલ એક નાની અમથી મુલાકાતને ગુલાબભાઈએ અંગત સંબંઘમાં પલટી નાંખી. કદાચ હું તેમને પત્ર લખું કે ન લખું પણ દર ત્રણ મહિને મને તેમના તરફથી ‘સમુદ્ગાર”નો અંક તો મળતો જ રહ્યો છે અને સમયે સમયે ખુશી ખબરનો ઈ-મેઈલ પણ મને મળતો જ રહે છે.

ગુલાબભાઈ જ્યારે સાતમા ઘોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. માતાની છત્રછાયા ગુમાવી દીઘા બાદ ગુલાબભાઈ અને તેમના બે વર્ષના નાનાભાઈને તેમના નાનાનાની પોતાની સાથે જસદણ લઈ ગયા. આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવા છતાં નાનાનાનીએ દીકરીનાં આ બે સંતાનોને લાડકોડથી ઉછેર્યાં. માતાના મૃત્યુ બાદ ગુલાબભાઈમાં કિશોર અવસ્થાથી જ પ્રૌઢતા આવી ગઈ. તેમણે મનોમન નક્કી કરી લીઘું કે ‘જીવનમાં જો કંઈ કરવું હોય તો ઘીરગંભીરતા સાથે મક્ક્મતાથી મારે અભ્યાસ કરવો જોઈએ. જો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી લઈશ તો જીવનમાં બહુ જ ખુશીથી આગળ વઘી શકીશ.” એ વખતે ખોબા જેવડા જસદણ ગામમાં એક નાનું સરખું જનતા પુસ્તકાલય હતું. ગુલાબભાઈ રમવા-ભમવાની એ ઉંમરે રોજ આ પુસ્તકાલયમાં દિવસના બે-ત્રણ કલાક વાંચન પ્રવૃત્તિમાં વિતાવતા હતા. ત્રણ-ચાર વર્ષ જેવા ટૂંકા ગાળામાં ગુલાબભાઈએ પુસ્તકાલયનાં લગભગ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં.

ગુલાબભાઈ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે વખતે યોગાનુયોગે વિનોબાજીની ભૂદાન યાત્રા સૌરાષ્ટ્રમાં યોજાણી હતી. જસદણના ખાદી ભંડારના સંચાલક મનસુખભાઈની સંગાથે તેમને વિનોબાજીને સાંભળવાની તેમ જ જોવાની પહેલી વાર તક મળી. વિનોબાજીના વ્યક્તિત્વ અને ખાદી વિશેના તેમના પ્રેમનો, બાળ ગુલાબભાઈ પર બહુ જ પ્રભાવ પડ્યો. ગુલાબભાઈએ તે જ ઘડીએ આજીવન ખાદી પહેરવાનો મનમાં સંકલ્પ કરી લીઘો.  

મૅટ્રિકમાં પ્રથમ વર્ગમાં પાસ થયેલા ગુલાબભાઈને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા. તેઓ પોતાના નાનાનાનીની આર્થિક પરિસ્થિતિથી પરિચિત હતા. તેઓ હવે તેમને વઘુ બોજારૂપ થવા ઈચ્છતા ન હતા. તેમના એક પરમ મિત્ર ગફુરભાઈ પરમાર સાથે કૉલેજના આગળ અભ્યાસ અર્થે મક્કમ મને જસદણથી રાજકોટ આવી ગયા.

રાજકોટમાં બંને મિત્રો પેટે પાટા બાંઘી નાનાંમોટાં ટ્યૂશનો કરી જીવતરનું ગાડું જેમ તેમ હાંકતા હતા. ઈશ્વરની ઈચ્છાથી બંને મિત્રોને પોતપોતાના સમાજની બોર્ડિગમાં પ્રવેશ મળી ગયો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ગુલાબભાઈ કૉમર્સમાં અભ્યાસ ન કરી શકયા. તેમના તે વખતના આચાર્ય સાહેબનાં સલાહ-સૂચનને કારણે ગુલાબભાઈ કૉમર્સમાંથી આર્ટ્સમાં દાખલ થઈ ગયા.

ગુલાબભાઈ જ્યારે ઘર્મેન્દ્રસિંહ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સહાઘ્યાયી ઉષાબહેન જોશી સાથે અનેક વકતૃત્વ સ્પર્ઘા, ચર્ચામાં ભાગ લેવાનું થયું. એ ગાળામાં પુસ્તકપ્રેમી ગુલાબભાઈ અને ઉષાબહેનના હાથમાં કુલપતિ ક્ઝીન્સનું પુસ્તક “We Together” આવ્યું. આ પુસ્તક બંને જણાંએ બહુ જ રસપૂર્વક સંગાથે વાંચ્યું. આ પુસ્તકના વાચને આ બંને જણને જીવનના સાવ એક નવા જ માર્ગ તરફ દોડતાં કરી દીઘાં. પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયેલાં ઉષાબહેન અને ગુલાબભાઈની આંખમાં એક સંયુકત સ્વપ્ન દેખાવા લાગ્યું. બંનેની ઈચ્છા ભાવિના શિક્ષણ ક્ષેત્રે કંઈક  કરી છૂટવાની ભાવના હોવાથી બંને જણાંએ પવિત્ર લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીઘું.

ગાંઘી વિચારક ગુલાબભાઈએ અને ઉષાબહેને લગ્ન બહુ જ સાદાઈથી કર્યા. આ યુગલે લગ્ન એટલાં સાદાઈથી કર્યાં હતા કે તેમની વાત અત્યારના યુવાનોને માનવામાં ન આવે. લગ્નમાં ન કોઈ માંડવો, ન કોઈ જાનૈયા, ન કોઈ જમણવાર. બસ, ફકત ગુલાબભાઈ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરી લગ્નને સ્થાને, જાનમાં નાનાભાઈને, એક મિત્રને અને તેમના એક હરિજન વિઘાર્થીને સાથે લઈ ઉષાબહેનને પરણવા આવી પહોંચ્યા. ઉષાબહેનના પિતા ડી.પી જોશી સાહેબ સંસ્કૃતના પ્રખર વિદ્ઘાન હતા. તેમને દીકરીના લગ્નની વિઘિ ખુદના હાથે કરી. દીકરીને આશીર્વાદ સાથે વિદાય આપી. સસરાની હાજરીમાં જ ગુલાબભાઈએ અને ઉષાબહેને આજીવન સોનાનાં આભૂષણ ન પહેરવાની પ્રતિજ્ઞા લીઘી.

કૉલેજના અભ્યાસ કાળથી જ ગુલાબભાઈએ મનમાં એક ગાંઠ વાળી હતી કે અભ્યાસ પૂરો થતાં જ, પોતે જે કૉલેજમાં અભ્યાસ કર્યો હતો તે કૉલેજમાં જ અઘ્યાપક તરીકે જોડાઈ જવું. ગુલાબભાઈ એમ.એ., એલએલ.બી. થયા પછી તેમને ઘણા સગાંસંબંઘી તેમ જ મિત્રો તરફથી આઈ.એ.એસ. થવાની સલાહ મળી હતી. ગુલાબભાઈને સરકારી શુષ્ક વહીવટમાં તલભારનો પણ રસ હતો નહીં. તેઓ ઉચ્ચ પગારની એલ.આઈ.સી.ની નોકરી છોડી, રાજકોટની ઘમેન્દ્રસિંહ કૉલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક તરીકે જોડાઈ ગયા.

એ જ ગાળામાં ગુલાબભાઈ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના પરિચયમાં આવ્યા. સ્વામીજીના આગ્રહથી દર રવિવારે થોડાક વિઘાર્થી મિત્રોને ગુલાબભાઈ સ્વામીજીના વ્યાખ્યાનમાં લઇ આવતા. રામકૃષ્ણ આશ્રમ સાથે બંઘાયેલા સંબંઘને કારણે ગુલાબભાઈ બહુ જ ટૂંક સમયમાં રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારઘારામાં રંગાઈ ગયા. આ વિચારઘારામાં તેઓ આટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે મા શારદાદેવીનાં શિષ્યા સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે મંત્રદીક્ષા લીઘી.

૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાતું હતું. ગુલાબભાઈ અને ઉષાબહેન સિસ્ટર નિવેદિતાના જન્મશતાબ્દીની ઉજવણીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ડૂબી ગયાં હતાં. એ જ ગાળામાં સ્વામી આત્મસ્થાનંદે બંને પતિપત્નીને આશ્રમમાં મળવા બોલાવ્યાં. સ્વામીજીએ ગુલાબભાઈ અને ઉષાબહેનના કાનમાં એક વાત નાંખી. “પ્રાઘ્યાપકજી, તમે કૉલેજના ગ્રેજયુએટ માટે તો ઘણું કાર્ય કરી રહ્યા છો, તે મારી દૃષ્ટિએ બહુ જ ઘણું કહેવાય. તમે જે અત્યારે કાર્ય કરી રહ્યાં છો એનાથી વિશેષ જો તમારે કંઈ નવું જ કરવું હોય તો તમે કેળવણી ક્ષેત્રે હજી પણ કંઈક નક્કર કામ કરી શકો તેમ છો, જે કામ સિસ્ટર નિવેદિતાજીએ કર્યું છે. કેળવણી વિકાસ તો બાળમંદિરથી શરૂ થાય છે. બાળમંદિર જ કેળવણીનો પાયો.”

આ વાત ગુલાબભાઈ અને ઉષાબહેનનાં હ્રદય-સોંસરવી ઊતરી ગઈ. સ્વામીજીના આશીર્વાદ માથે ચઢાવી. આ કેળવણી પ્રેમી યુગલે અઘ્યાપક જેવી ઉચ્ચ પગારની નોકરીને ઠેબે મારી. ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતાજીના નામે જ સિસ્ટર નિવેદિતા નામની પ્રથમ શાળાની સ્થાપના રાજકોટમાં કરી. હજી ગઈ કાલે જ જેનાં બીજ રોપાણાં હતાં તે શૈક્ષણિક સંસ્થા આજે એક વટવૃક્ષ તરીકે વિકાસ પામી છે.

માણસ ઘારે તો શું નથી કરી શકતો? એ વાત આપણને આ શિક્ષણ, કેળવણીપ્રેમીના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળે છે. ગુલાબભાઈએ કેળવણી જેવા ક્ષેત્રને ખેડવા જે હિંમતપૂર્વક બાથ ભીડી છે, તે ખરેખર ગુજરાતના તમામ કેળવણી પ્રેમીઓ માટે એક ગૌરવની વાત છે. ગુલાબભાઈ જેવા આદર્શ, આઘુનિક કેળવણીકાર ગુજરાતને પ્રાપ્ત થયા છે તે ગુજરાતનું મારી દૃષ્ટિએ એક સદ્ભાગ્ય છે.

ગુલાબભાઈનું જેવું નામ છે એવું જ એમનું મહેકતું કાર્ય અને જીવન છે. ગુલાબભાઈ બહુ જ સહજ અને સરળ સ્વભાવના મુલાયમ માણસ છે. પોતે ખુદ જે પ્રકાશમાં જીવે છે એ જ પ્રકાશ તેઓ બીજાના જીવનમાં પાથરવા માટે ઉત્સુક છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

અનાથનું એનિમેશન

સુરેશ જાની|Opinion - Opinion|8 August 2023

પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધૂરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી – મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તને ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વનાં ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.

ખેર, એ તો વર્ષો પહેલાંની ભુલાઈ ગયેલી ઘટના હતી. પણ વિધાતાએ તારા લેખ કાંક અવનવા જ લખ્યા હતા. અનાથાશ્રમના બારણેથી વહેલી સવારે તારી સવારી એ આશ્રમની અંદર પહોંચી ગઈ; અને તારા જીવન આશ્રમની શરૂઆત થઈ ગઈ. તને જીવતો રાખવા એ ભલા માણસોએ તને તરત હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. સમયસર મળેલા એ કૃત્રિમ શ્વાસોચ્વાસે તારા હૃદયને ધબકતું રાખ્યું હતું.

માંડ ત્રણ જ મહિના વીત્યા, ન વીત્યા… અને એક ખાનદાન, નિઃસંતાન દંપતીએ તને દત્તક લઈ લીધો. તારાં પુનિત પગલાંથી અને તારા આક્રંદ અને કિલકારીઓથી એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. તારા પાલક માતા પિતાના બધા કુટુમ્બીઓએ પણ તેમના સમાજમાં બાળક દત્તક લેવાના આ પહેલા જ અવસરને ઉમંગભેર વધાવી લીધો. તારા એ નવા ઘરમાં એ સૌએ આપેલી ભેટોથી એ ઘર ચમકી ઊઠ્યું.

સમયને જતાં કાંઈ વાર લાગે છે? ક્યાં છ વર્ષ પસાર થયાં તેની ખબર જ ના પડી. તને નિશાળમાં દાખલ કરવામાં આવ્યો; અને હવે તારા જીવનનાં આકરાં ચઢાણોની બીજી સફર શરૂ થઈ ગઈ.

પૂરા સમય કરતાં વહેલાં થયેલા જન્મ અને જન્મ સમય પહેલાંની ગર્ભ પાડી નાંખવાની કોશિશોને કારણે તારા શરીર અને મગજ પર વિપરિત અસર પડી હતી. શરીરનો નબળો બાંધો; અને જીવનના નવા નવા પાઠો શીખવામાં તને પડતી મુશ્કેલીઓ હવે તને નિશાળમાં નડવા લાગી. માંડ માંડ ઉપર ચઢાવવાના પ્રતાપે, ચાર ધોરણ સુધી તો તું પહોંચી જ ગયો; પણ માધ્યમિક શિક્ષણની કોઈ જાણીતી શાળા તને દાખલ કરવા તૈયાર ન હતી. હવે તને પોતાને પણ તારી નબળાઈઓ સમજાવા લાગી જ હતી ને? તું એ માનસિક તાણનો છુટકારો ઘરની દિવાલો પર આડા અવળા લીટા પાડીને મેળવતો હતો. માબાપ વઢે; તો ચોરી છુપીથી ખૂણે ખાંચરે તારી કલા પર તું ગર્વ લેતો થઈ ગયો.

આગળ અભ્યાસ માટે મ્યુનિસિપલ શાળા સિવાય તારે માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. ત્યાંના શિક્ષકોની બેદરકારી અને શિક્ષણનાં નીચાં ધોરણો તારી નબળાઈઓને વકરાવતા જ રહ્યા. અને એનો પડઘો તારાં ચિત્રોમાં પડતો રહ્યો. તને હમ્મેશ ઘેરા, શોગિયા રંગો જ ગમતા. અને ચિત્રોના વિષયોમાં પણ કોઈ ફૂલ કે ઝાડ નહીં. રાતના ડિબાંગ અંધારાથી ભરેલા આસમાનમાં ચમકતા તારા – એ તારા ચિત્રોનો સૌથી વધારે ગમતીલો વિષય રહેતો.

એટલે જ તો પાંચમા ધોરણમાંથી માંડ માંડ ઉપર ચઢાવતી વખતે વર્ગ શિક્ષકે રિપોર્ટમાં લખ્યું ન હતું,  “ભણવામાં કાચો છે; પણ ચિત્રો સારાં દોરે છે.”

તારાં પાલક માબાપ પણ ક્યાં આર્થિક રીતે બહુ સદ્ધર હતાં? છતાં પેટે પાટા બાંધીને તેમણે છઠ્ઠા ધોરણથી જ તારા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી. આમ ને આમ શામળશાહના વિવાહ વખતના ગાડાની જેમ તારું રગશિયું ગાડું, મેટ્રિકના દરવાજા લગણ તો પહોંચી ગયું.

અને જ્યારે દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું; ત્યારે તું ચાર વિષયમાં નાપાસ થયો હતો; અને એમાંનો એક તો ગુજરાતી ભાષાનો! છ છ માસે લેવાતી બીજી બે પરીક્ષાઓના અંતે અભિમન્યુનો એ કોઠો તેં પાર તો કર્યો; પણ કુલ માર્ક માંડ ૪૫ ટકા આવ્યા હતા!

અને એક સોનેરી સવારે સુબોધભાઈ નામના તારા પિતાના એક સંબંધી તમારે ઘેર મળવા આવ્યા. સ્વાભાવિક રીતે તેમણે તારા પિતા અને તેમના મશિયાઈ ભાઈને પૂછ્યું,” કેમ, અવિનાશ! પરેશનું દસમાનું શું પરિણામ આવ્યું ?”

“શું કહું? માંડ માંડ ધક્કા મારીને પાસ તો થયો છે; પણ શહેરની કોઈ કોલેજમાં એને એડમીશન મળવાનું નથી. આર્ટ્સની કોલેજ માટે પણ બાજુના નાના શહેરમાં એને ભરતી કરાવવો પડશે.”

ઘરના દિવાન ખંડની દિવાલ પર બે ચિત્રો લટકતા હતા. સુબોધે એ ચિત્રો જોઈ પૂછ્યું, “આ ચિત્રો કોણે દોર્યા છે?”

“આ કાળમુખાએ જ તો. એ સિવાય એને બીજું ક્યાં કશું ય આવડે છે? નાનો હતો ત્યારની ભીંતો બગાડવાની એની કુટેવ હજી ગઈ નથી.”

“અવિનાશ! એમ ન કહે. આટલાં સરસ ચિત્રોને તું લીંટા કહે છે? કોઈ પ્રદર્શનમાં મૂકે તો ઈનામ લઈ આવે.”

“ધૂળ અને ઢેફાં! એમ ચિતરામણ ચીતરે કાંઈ પેટ ભરાવાનું છે? આજકાલ મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? મારી નોકરી બંધ થાય પછી, મારી બચતમાંથી જ ઘર ચલાવવું પડશે. એ અક્કરમી થોડો જ કમાઈ લાવવાનો?”

“અવિનાશ! તને ખબર નથી. હવે તો કલાકારોની નવી ટેક્નોલોજીમાં બહુ જરૂર હોય છે. મારે ઘેર એને લઈને આવજે. હું તમને કોમ્યુટર પર ચિત્ર કરવાના સોફ્ટવેર બતાવીશ.”

અને અઠવાડિયા પછી, તમે પપ્પા મમ્મીના હાઉસન જાઉસન સાથે સુબોધભાઈના ઘેર પહોંચી ગયાં. સુબોધે તમને કોમ્પ્યુટર પર ચિત્ર શી રીત બનાવવું એનો સહેજ ખ્યાલ આપ્યો; અને પછી બન્ને મશિયાઈ ભાઈઓ, મમ્મી અને કાકી દિવાન ખંડમાં વાતે વળગ્યા.

થોડી વારે તમે દિવાન ખંડમાં ગયા અને પૂછ્યું,” કાકા, બીજું ચિત્ર દોરવું હોય તો શું કરવાનું?” તારું ચિત્ર જોઈને સુબોધ ભાઈ બોલી ઊઠ્યા, “અલ્યા અવિનાશ! આ જો તારા રાજકુમારની કોમ્પ્યુટર પર પહેલી જ કરામત. હું તને હાથ જોડીને કહું છું કે, પરેશને આર્ટ્સનો ડિપ્લોમા કરાવ અને સાથે સાંજના વખતે કોમ્પ્યુટરના કોર્સમાં દાખલ કરાવી દે.”

આ સાંભળી પરેશ! તમારી આંખો ચમકી ઊઠી ન હતી?

એક અઠવાડિયા પછી, તમારા પપ્પાએ સુબોધભાઈને ફોન કર્યો, “સુબોધ! મેં તપાસ કરી. પરેશને એ ડિપ્લોમા કોર્સમાં એડમીશન તો મળી જાય એમ છે. પણ એના ભવિષ્યનું શું? કોણ આ ચિતારાને નોકરી રાખશે? આપણા બધા સંબંધીઓ પણ આ પ્લાનનો સજ્જડ વિરોધ કરી રહ્યા છે; અને મને કહે છે,’ દીકરાને ખાડામાં નાંખવો છે?’

સુબોધે શું કહ્યું, એ તો તમે સાંભળી ન શક્યા; પણ કપાળ કૂટીને તમારા પપ્પાએ તમને કહ્યું, “લે! આ તારો કાકો તને ચૂલામાં નાંખવાનું કહે છે – તો તું જાણે અને એ. કાલે મારી નોકરી નહીં હોય; ત્યારે ભીખ માંગવાની તાલીમ લેવા પણ એની પાસે જજે.”

અઠવાડિયામાં તો શહેરથી ચાળીસ માઈલ દૂર આવેલી ચિત્રકામની તાલીમ આપતી સંસ્થાના બારણે તમારા પપ્પા તમને મૂકી ગયા.

પરેશ! તમારાં સીધાં અને ઝડપી ચઢાણ હવે શરૂ થયાં. સવારના ચાર વાગે ઊઠવાનું. બપોરના લન્ચના ટિફિન સાથે પપ્પા તમને એસ.ટી. સ્ટેન્ડ પર મૂકી જાય અને તમે બસમાં સવાર થઈ, નવી નિશાળે હાજર. સાંજે આવો જ વળતો ક્રમ. આઠ વાગે નિત્યક્રમ પરવારી ત્રણ કલાક તમારું લેસન ચાલે, છેક બાર વાગે તમે નિંદર ભેળા થાઓ.

પણ હવે તમારી સુકલકડી કાયામાં નવો પ્રાણ ફુંકાવા લાગ્યો હતો. તમારી આંખો કોઈક અજાણી ખુમારીથી ચમકવા લાગી હતી. પદ્ધતિસરની તાલીમથી તમારાં ચિત્રોમાં નવો જ નિખાર આવવા લાગ્યો હતો. ઘેરા, શોગિયલ રંગોનું સ્થાન આશાની ઉષાની સુરખી લેવા લાગી હતી. એમાં તમારો થનગનતો આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો હતો.

અને….એક વર્ષ પછી તમે ઘેર આવીને એક કાગળ તમારા પપ્પાના હાથમાં પકડાવી દીધો હતો. ત્રીસ જણના વર્ગમાં તમારો બીજો ક્રમ આવ્યો હતો; અને વર્ષાન્તે યોજાયેલી ચિત્રકામની હરીફાઈમાં તમારા ચિત્રને પહેલું ઈનામ મળ્યાંનું સર્ટિફિકેટ પણ સાથે સામેલ હતું.

પરેશ! યાદ કરો; પપ્પાએ વહાલથી જીવનમાં પહેલી વાર તમારો ખભો થાબડ્યો; એ તમારે માટે સૌથી મોટું ઈનામ ન હતું?

ચાર વરસની એ આકરી તપસ્યા પછી; તમે ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને ઘેર આવ્યા ત્યારે તમારો જૂનો મિત્ર ત્રીજા વર્ગમાં બી.એ. પાસ થયો હતો; અને બી.કોમ.ના ક્લાસ ભરવા કે એલ.એલ.બી. એની મૂંઝવણમાં હતો. કોઈ નોકરી મળવાની તો કોઈ જ આશા ન હતી.

તમે છાપામાં આવેલી એક જાહેર ખબર પર અવિનાશનું ધ્યાન દોર્યું. શહેરની એક જાણીતી સંસ્થાના, મહિના પછી ભરાનાર પ્રદર્શનમાં સુશોભન કામ માટે ચિતારાઓની જરૂર હતી; અને તમારા જેવા ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. અવિનાશે કમને રજા આપી; જાણે અંદરથી એ વિચારી રહ્યા હતા, “છટ્ટ, ચિતારો!”

જ્યારે એ પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે એના પ્રવેશદ્વાર પર અને અંદરની મોખરાની જગ્યાએ, મનોહર રંગોથી દીપી રહેલાં તમારાં દોરેલાં ચિત્રો અને સજાવટ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરેશ! તમારી વર્ષો જૂની હૈયાની આકાંક્ષાઓ તે દિવસે વિજયનાદના ઢોલ પીટી પીટીને તમારા ઉત્સાહને પ્રજ્વલિત કરી રહી હતી.

પણ આમ છૂટક કામ હમ્મેશ થોડું જ મળે? ફરી પાછા સુબોધભાઈ તમારા ઘેર આવી પહોંચ્યા. એમના હાથમાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં આવેલી, બેન્ગલોરમાં ‘કોમ્પ્યુટર એનિમેશન’નું કામ કરતી એક સંસ્થાની જાહેરખબર હતી. એ લોકો વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા લઈ, તાલીમ આપવાના હતા; અને એમાં સફળ થાય તો કાયમી નોકરીએ રાખવાની આશા આપતા હતા.

અવિનાશ તો કેમ કરીને આવું સાહસ કરવા તૈયાર થાય? પેટે પાટા બાંધીન ઉછેરેલ આ રતન જેવા દીકરાને આટલે દૂર મોકલવાનો? અને એ પણ આટલી મોટી રકમ ખર્ચીને?

સુબોધભાઈ બોલ્યા, “લે! અડધી રકમ હું આપીશ. અને ત્યાં ગયા પછી, પરેશને પાર્ટ ટાઈમ નોકરી પણ કદાચ મળી જાય.”

પરેશ! તમારું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું ન હતું? ‘શહેરથી ચાલીસ માઈલ દૂર જવું એક વાત હતી; અને આ? છેક બેન્ગલોર જવાનું? અને એકલા રહેવાનું? મમ્મી, પપ્પાને પણ ન મળી શકાય.’

તમે જાતે જ નન્નો ભરી દીધો. પણ સુબોધભાઈ? બાબરા ભૂતની પ્રતિકૃતિ જેવા એ કાકા તો થેલીમાંથી બીજી જાહેર ખબરો કાઢીને બતાવવા લાગ્યા. આવી તાલીમ લીધી હોય, તેવા લોકોને નોકરી માટેની એ જાહેર ખબરો હતી. એકેયમાં મહિનાના ૪૦,૦૦૦ રૂપિયાથી ઓછી રકમની ઓફર ન હતી.

અને છેવટે તમારા પપ્પા પીગળ્યા; અને તમે ડરતા દિલ સાથે બેન્ગલોરના સ્ટેશન પર પગ મૂક્યો. અને કેવી હરકતોથી ભરપૂર એ જિંદગી? કમ્પનીની ઓફિસ તો શહેરના મુખ્ય વિસ્તારમાં હતી. એનાથી ઘણે દૂર, એક નાના ફ્લેટમાં સાવ અજાણ્યા પ્રદેશના ચાર સાથીઓ સાથે રહેવાનું. કલાક જતી વખતે અને કલાક પાછા વળતી વખતે બસની ધક્કામુક્કીમાં સફર. ઘેર જઈને મિત્રોની સાથે બનાવેલું, સાવ બેસ્વાદ ભોજન લસલસ કેમે કરી ગળેથી નીચે ઉતારવાનું. એમાંથી જ બચેલી સામગ્રીમાંથી સવારનો નાસ્તો અને બીજા દિવસ માટેનું ઓફિસમાં ખાવાનું લન્ચ. અને રાતે મોડા સુધી હોમવર્ક તો પતાવવાનું જ ને? ક્યાં મમ્મીના હાથની ગરમાગરમ અને વ્હાલથી ભરેલી ગુજરાતી રસોઈ અને ક્યાં આ ચવ્વડ, જાડા રોટલા?

ખેર, ઉજળા ભવિષ્યની એક માત્ર આશા જ થાકથી ઉભરાતી તમારી સુકલકડી કાયાનો એક માત્ર આધાર ન હતી?

એક વર્ષ પછી.

પરેશ! તમે ઉત્સાહથી ઓફિસની બાજુમાં આવેલ એસ.ટી.ડી. કોલ સેન્ટર પરથી પપ્પાને ફોન જોડ્યો, “પપ્પા! મને આજે કમ્પનીએ નોકરીની ઓફર આપી છે. મહિનાના ૫૦,૦૦૦ રૂપિયા પગાર. બધા ટ્રેઈનીઓમાં મારો બીજો નમ્બર આવ્યો. પગાર ઉપરાંત મને બે બેડરૂમના ફ્લેટમાં રહેવાનું ભાડું પણ આપશે. ઘેર કામ કરી શકું એ માટે કમ્પની જ મને લેપટોપ આપવાની છે; અને સેલફોન પણ. તમે અને મમ્મી અહીં મારી સાથે રહેવા ક્યારે આવશો??

પરેશ! એ શુકનિયાળ દિવસના એક મહિના પછી તમે હૈદ્રાબાદના સ્ટેશન પર પપ્પા/મમ્મીના આવવાની રાહ જોઈ રહ્યા છો. કમ્પનીએ આપેલા બે બેડરૂમના ફ્લેટમાં તમે તેમને માટે એક બેડ રૂમ કેવો સજાવી રાખ્યો છે? અને… ‘દિવાલો પર તમે બનાવેલા કોમ્પ્યુટર ગ્રાફિક્સના લેમિનેટેડ પ્રિન્ટ આઉટ જોઈ, મમ્મી ભીંતો પર તમે કરેલા લીટા યાદ કરતી, કેવી મલકાશે?’- એની કલ્પના કરીને તમારા ચહેરા પણ આછી આછી મુસ્કાન રમત રોળિયાં નથી કરી રહી?

ત્યાં જ તમારો સેલફોન રણકી ઊઠે છે. એની ઉપર તમે જ બનાવેલું રંગબેરંગી એનિમેશન કૂદકા અને ભુસકા મારતું તમારા મિત્રના ટેક્સ્ટ સંદેશાની જાણ કરે છે,”પરેશ! તારાં પપ્પા મમ્મી આવી ગયાં?”

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...897898899900...910920930...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved