ધારી લો કે કાઁગ્રેસના સમયમાં સ્થપાયેલી સરકારની માલિકીની કંપનીની માર્કેટમાં કિંમત ૧૦૦ રૂપિયા છે. જો એને વેચવામાં આવે તો સો રૂપિયા કોઈ પણ આપે. પણ સરકાર એ કંપની કોઈ ભાઈબંધ ઉદ્યોગપતિને ૬૦ રૂપિયામાં વેચે છે. માત્ર ૬૦ રૂપિયા સરકારને ચૂકવવાના અને ઉપરથી સરકારી બેંકો સરકારી કંપની ખરીદવા ૫૦ રૂપિયાનું ધિરાણ આપશે. કમાઈને બેન્કના પૈસા ચૂકવશો અને જો ન કમાઈ શકો કે પછી ચૂકવવાનો ઈરાદો ન હોય તો સરકારી બેંકો છે શેના માટે? ડૂબાડવા માટે. એક દિવસ એ પૈસા પીળે પાને ઉધારી દેવાશે અથવા દેવું માફ કરવામાં આવશે. પણ જે સો રૂપિયાનો સરકારી માલ ૬૦ રૂપિયામાં વેચે છે એ શાસકો આંગળિયાત ઉદ્યોગપતિની સેવા તો નહીં જ કરતા હોય. એને પણ કાંઈક મળે છે. એને શું મળે છે? એને ૨૦ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ મળે છે. હવે કલ્પના કરો કે એ કંપની દસ હજાર કરોડ રૂપિયાની હોઈ શકે, લાખ કરોડની હોઈ શકે અથવા જંગલ, ખાણ, રેલવે, એરપોર્ટ, ખનીજ તેલ, ગેસ, બંદરગાહના કોન્ટ્રેકટ હોઈ શકે અને કાયમી માલિકી પણ હોઈ શકે.
ટૂંકમાં સોનો માલ ૬૦ રૂપિયામાં, પચાસ રૂપિયાની લોન અને વીસ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદવાના અને શાસક પક્ષને આપવાના. સર્વોચ્ચ અદાલતમાં આ ઈલેક્ટોરલ બોન્ડ્સની સૂનાવણી ચાલી રહી છે. ચુકાદા વિષે હું ખાસ આશાવાદી નથી, કારણ કે સર્વોચ્ચ અદાલતે વખતોવખત આપણને નિરાશ કર્યા છે. આનું દેખીતું કારણ એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ બજેટના ભાગરૂપે, મની બીલ તરીકે ૨૦૧૮માં પાછલે બારણેથી દાખલ કરવામાં આવ્યા એ પછી પાંચ વરસે સર્વોચ્ચ અદાલતને તેની સામેની અપીલ સાંભળવા માટે સમય મળ્યો છે. હજુ હમણાં ગયા અઠવાડિયે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંન્દ્રચૂડે મદ્રાસની વડી અદાલતના ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશના વખાણ કર્યા હતા અને ઉદ્દગાર કાઢ્યા હતા કે “થેંક ગોડ, દેશના ન્યાયતંત્રમાં આનંદ વેંકટેશ જેવા ન્યાયમૂર્તિઓ છે. આનંદ વેંકટેશે ભ્રષ્ટાચારના આરોપમાં નિર્દોષ છોડી મૂકવામાં આવેલા ડી.એમ.કે.ના પ્રધાનનો કેસ સામે ચાલીને (સુ મોટો) પાછો ખોલ્યો હતો. પણ આ જ સર્વોચ્ચ અદાલતને દેશના લોકતંત્રનું કાસળ કાઢનારો ઈલેક્ટોરલ બોન્ડ્સનો કેસ સાંભળવા માટે સમય નહોતો, સુ મોટો કેસ દાખલ કરવાની વાત તો દૂર રહી. માટે હું બહુ આશાવાદી નથી. જોઈએ શું ચુકાદો આવે છે.
ઈલેક્ટોરલ બોન્ડ્સની જોગવાઈ લોકતંત્રનું કાસળ કાઢનારી છે એ કઈ રીતે એ જોઈએ :
ભારતનો કોઈ પણ નાગરિક એક હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયાની કિંમતના બોન્ડ્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ખરીદી શકે છે અને તે પોતાની પસંદગીના પક્ષને આપી શકે છે. પણ એમાં કેટલીક ખાસ વાત છે. એક. ઈલેક્ટોરલ બોન્ડ્સ માત્ર અને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ વેચી શકે છે અન્ય કોઈ બેંક નહીં. બે. ખરીદનાર માણસ કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદી શકે છે એની કોઈ ટોચ મર્યાદા નથી. એક એક કરોડના દસ હજાર બોન્ડ્સ પણ ખરીદી શકે છે. ત્રણ. બોન્ડ્સ પર કોઈનું નામ હોતું નથી, એ પ્રત્યક્ષ રૂપિયા સમાન હોય છે. બોન્ડ્સ લઈને જે કોઈ વ્યક્તિ બેંકમાં જાય એને એટલી રકમના પૈસા મળી શકે. ચાર. બોન્ડ્સ નામ વિનાના બેરર ચેક જેવા હોય છે, પણ એના પર જલદી નજરે ન પડે એવો એક કોડ હોય જે રીઝર્વ બેંક જનરેટ કરે છે અને સ્ટેટ બેન્કને આપે છે. પાંચ. ગમાર પણ સમજી શકે એવી વાત છે. ખાસ કોડ દ્વારા કોણે કયા પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ્સ આપ્યા એની શાસકોને ખબર પડી જાય છે. પાછી બોન્ડ્સ વેચનારી એક જ બેંક છે એટલે ચારે બાજુ નજર રાખવાની પણ કડાકૂટ નહીં. સ્ટેટ બેકનો પાળીતો અધિકારી માહિતી આપતો રહે. એ તો દેખીતી વાત છે કે જે વિરોધ પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ્સ આપે એની પછી ખેર ન રહે. અને એ પણ દેખીતી વાત છે કે કોઈ વેપારી આવું જોખમ ન ખેડે!
હકીકતમાં આવી જોગવાઈ લાવવી પણ હતી તો ભારતીય પ્રતિનિધિ ધારામાં સુધારો કરીને લાવવી જોઈતી હતી, પણ સરકારે બજેટનો રસ્તો અપનાવ્યો હતો કે જેથી સંસદમાં ચર્ચા ન થાય અને મની બીલની સાથે પસાર થઈ જાય. જો ચૂંટણીને લગતા કાયદામાં સુધારો કરવો હોય તો ખરડો લાવવો પડે અને એમાં જોગવાઈમાં રાખવામાં આવેલાં છીદ્રો તરફ આંગળી ચિંધાય. સુધારાઓ સૂચવાય. બીજું, પ્રત્યેક બોન્ડ પર યુનિક કોડ શા માટે રાખવામાં આવ્યો છે? સો રૂપિયાની નોટ પર યુનિક નંબર હોય છે, પણ રીઝર્વ બેંક નથી કહી શકતી કે આ ક્ષણે ચોક્કસ નંબરવાળી સો રૂપિયાની નોટ કોની પાસે હશે, પણ સરકાર કહી શકે કે ચોક્કસ કોડ ધરાવતો ઈલેક્ટોરલ બોન્ડ કેટલા રૂપિયાનો છે, કોણે ખરીદ્યો છે અને અત્યારે તે ક્યાં કોની પાસે છે. કારણ કે બેંક એક જ છે.
આખી રમત સંસદીય લોકતંત્રને એકપક્ષીય અને અસંતુલિત કરવાની છે. ભારતમાં ચૂંટણીઓ મોંઘી છે જેને હજુ વધુ મોંઘી બનાવો. એટલી મોંઘી બનાવો કે કોઈ ટકી ન શકે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે બેંગ્લોરમાં વડા પ્રધાનના રોડ શો માટે દેશભરમાંથી સેંકડો ટન ફૂલ મગાવવામાં આવ્યાં હતાં. અત્યારે દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે અને વિરોધ પક્ષોના નેતાઓ લોકો સુધી પહોંચી ન શકે એટલા માટે દેશમાં જેટલાં હેલિકોપ્ટર્સ ઉપલબ્ધ છે એ બધાં બી.જે.પી.એ બે મહિના માટે ભાડે લઈ લીધાં છે. વગર વપરાયાં હેલિકોપ્ટર ઊભાં છે, પણ વિરોધ પક્ષોના નેતાઓને નથી મળતાં. બીજી બાજુ વિરોધ પક્ષોને નિર્ધન બનાવો. સાદી ચૂંટણી લડવા માટે પણ જ્યાં પૈસા ઓછા પડતા હોય ત્યાં મોંઘી ચૂંટણી તેઓ કઈ રીતે લડવાના! વિરોધ પક્ષોને સસલાં બનાવી નાખવાનાં અને પોતે હાથીનું કદ પ્રાપ્ત કરવાનું. સસલાની તાકાત નથી કે તે હાથીને પડકારે. ત્રીજું ભાઈબંધ ઉદ્યોગપતિને સો રૂપિયાનો સરકારી માલ ૬૦ રૂપિયામાં આપો, ઉપરથી ૫૦ રૂપિયાનું ધિરાણ અપાવો તો એ ભાઈ ૨૦ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ રાજીખુશીથી આપશે. અને ચોથું ભાઈબંધ હોવા છતાં ય એ ભાઈ પર યુનિક કોડ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે કે જેથી એ બીજે દોસ્તી બનાવે નહીં કે બીજાનું પડખું સેવે નહીં.
આનું પરિણામ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી છે. બી.જે.પી.એ ચૂંટણીમાં ૨૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ચૂંટણીનાં કુલ ખર્ચમાં બી.જે.પી.એ કરેલો ખર્ચો ૪૫ ટકા કરતાં વધુ હતો. બાકીના ૫૫ ટકામાં તમામ પક્ષો. લોકસભાની પ્રત્યેક બેઠક માટે સરેરાશ ૫૦ કરોડ રૂપિયા બી.જે.પી.એ ખર્ચ્યા હતા. જ્યાં જીતવાની કોઈ આશા નહોતી કે જ્યાં જીત નિશ્ચિત હતી ત્યાં ઓછા પૈસા ખર્ચવામાં આવ્યા હતા અને જ્યાં પડકાર હતો ત્યાં સો કરોડ કરતાં પણ વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. વાચકને કદાચ જાણ હશે કે લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈ મુજબ ઉમેદવાર પર એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની ટોચમર્યાદા છે. પણ આવી કોઈ ટોચમર્યાદા રાજકીય પક્ષ પર નથી એટલે તેનો લાભ ઉઠાવવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં ૨૦૧૯ની ચૂંટણી જેટલી ખર્ચાળ ચૂંટણી ક્યારે ય યોજાઈ નથી. ટૂંકમાં ચૂંટણી નિર્ધન પહોંચી ન શકે એટલી મોંઘી કરો અને વિરોધ પક્ષોનું ધનનું સ્રોત સૂકવી નાખો. ૨૦૨૪ની ચૂંટણી હજુ વધુ મોંઘી હશે. કારણ કે ઈલેક્ટોરલ બોન્ડ્સના ૬૭ ટકા નાણાં બી.જે.પી.ને મળ્યાં છે.
શું સર્વોચ્ચ અદાલતને આ રમતની જાણ નહોતી? ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા ભારતનાં લોકતંત્રને અસંતુલિત કરીને એકપક્ષીય બનાવવામાં આવી રહ્યું છે એની આખા જગતને જાણ છે, જગત આખામાં હજારો લેખો લખાયા છે, સર્વત્ર ઊહાપોહ થઈ રહ્યો છે, લોકતંત્રને બચાવવાનો પોકાર થઈ રહ્યો છે, પણ સર્વોચ્ચ અદાલત પાસે સુ મોટો તો છોડો કરવામાં આવેલી પિટીશન સાંભળવા માટે પણ સમય નહોતો. હવે પાંચ વરસ પછી સુનાવણી થઈ રહી છે.
દેશના મુખ્ય ન્યાયમૂર્તિની જેમ મારે પણ કહેવું છે : થેંક ગોડ આ દેશમાં સર્વોચ્ચ અદાલત છે અને તેમાં ચમરબંધીથી પણ નહીં ડરનારા અને કોઈ આંગળિયાત કુબેરપતિ ન ખરીદી શકે એવા ન્યાયમૂર્તિઓ છે. મારા દુર્ભાગ્યે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો લોકતંત્રને બચાવનારો હશે એની મને ખાતરી નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 નવેમ્બર 2023