Opinion Magazine
Number of visits: 9457903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામ્પ્રત સમ્પાદનપ્રવૃત્તિ વિશે 

સુમન શાહ|Opinion - Literature|20 August 2023

સુમન શાહ

સામ્પ્રતમાં ચાલી રહેલી સમ્પાદન-પ્રવૃત્તિના સંદર્ભમાં, મને થાય છે, થોડી મુક્તતાથી વાત કરવી જરૂરી છે.

આપણે ત્યાંનાં સમ્પાદનોના પ્રકારો અને તેમાંના કેટલાકના મને થયેલા અનુભવોને આધારે એ વાત કરું તે વાજબી ગણાશે.

મારા એક સર્વોચ્ચ અનુભવની વાત કરું. સમ્પાદકશ્રી એક જમાનામાં મારા મિત્ર તે કહે, સુમન, તારા એ પુસ્તકના એ પ્રકરણનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ. મેં એ પ્રકરણ પર નજર નાખી, મને એ સામાન્ય લાગ્યું. મેં એને જણાવ્યું, અનુવાદ કરી તો શકાય પણ એને અંગ્રેજીના વાચકો માટે મૂકવું મને યોગ્ય નથી લાગતું. તો કહે, તને ગમતા કોઈ બીજા પ્રકરણનો કર. એટલે મને પ્રશ્ન થયો કે આવી છૂટ આપે છે તો સમ્પાદનનો કેન્દ્રવર્તી હેતુ શું હશે -? એને કયા સાહિત્યપરક આશયે આવા લેખો સમ્પાદિત કરવા હશે? એટલે મેં પૂછ્યું. પણ એનો જવાબ આપવાને બદલે એ મને એમ કહેવા લાગ્યો કે – અમેરિકાના ‘રતલેજ’ પ્રકાશને મને આ સમ્પાદનનું કામ સૉંપ્યું છે. હવે, અમેરિકામાં આ નામનાં બે પ્રકાશગૃહો છે, Routledge Hill press અને Routledge Books. એને કયા રતલેજે એ કામ સૉંપ્યું હશે એ પ્રશ્ન પાસે હું થંભી ગયો. મેં કહ્યું, ભલે, મને રતલેજનું ઇન્વિટેશન માોકલી આપજો.

એ વાતને વરસો થઈ ગયાં, આજ સુધી એઓશ્રી મૂક છે. એઓશ્રીને અમુક પ્રશ્નોના જવાબો આપવાનું ભારે પડે છે એમ એઓશ્રી સાથેના એક બીજા પ્રસંગથી દૃઢ થયેલું.

મને નામોમાં રસ નથી પણ કામો પાછળની પદ્ધતિઓમાં છે, ખાસ છે.

સમ્પાદનના એ પ્રકારને હું ઉત્તમ ગણું છું. કેમ કે સમ્પાદકના બોલ પર તમારું જ પ્રકરણ તમે જ અનુવાદ કરીને આપો ને કશી પણ ચોખવટ ન પૂછો, નિમન્ત્રણ તો માગો જ નહીં, માગો તો મૂંગારો મળે ! તમારા કશા જ વાંક વિના તમારા માટે હીણપતભર્યું પણ એમના માટે કેટલું સરળ ! સરળતમ.

સાહિત્યિક સંસ્થાઓ સમ્પાદનો કરાવતી હોય છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ હાથ ધરેલાં સમ્પાદનો માટે મારી બે વસ્તુઓ પસંદ થઈ છે, એક નિબન્ધ અને એક સિદ્ધાન્તલેખ. આ વાતની મને ખબર ન પડત પણ સમ્પાદકો મારા મિત્રોએ તે મને જણાવ્યું. મેં કહ્યું -આ નિબન્ધ તો બહુ પ્રાથમિક દશાનો છે, મને પૂછ્યું હોત તો. મેં કહ્યું – પૂર્વસમ્મતિ? તો કહે – એ કામ તો અકાદમીએ કરવાનું હોય છે. સિદ્ધાન્તલેખોના સમ્પાદકને મેં ક્હ્યું – તેં પસંદ કરેલા મારા એ સિદ્ધાન્તલેખનું પ્રૂફરીડિન્ગ થવું જરૂરી છે. પી.ડી.ઍફ. હશે કે કશીક ટૅક્નિકલ મુશ્કેલીને કારણે એ ન થયું. એટલે મેં કહ્યું કે અકાદમીને કહેજો કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે.

આ બન્ને સમ્પાદનોની વાતને બેએક વર્ષ થઈ ગયાં. નથી અકાદમી તરફથી મને નિમન્ત્રણ અપાયું, નથી પૂર્વસમ્મતિ માગવામાં આવી; બન્ને સમ્પાદનો પ્રકાશિત થયાં કે કેમ તે પણ હું નથી જાણતો. કેમ કે એની જાણ પણ ત્યારે જ થાય જ્યારે જેને ખબર પડી હોય એ બીજો લેખકમિત્ર તમને જણાવે ! સાહિત્ય અકાદમી, દિલ્હીનો મારો આ અનુભવ પણ શ્રેષ્ઠ કોટિનો નથી લાગતો?

અન્ય સંસ્થાઓ પણ સમ્પાદનો કરાવતી હોય છે. ત્યારે પણ લેખકોને આ જાતની તકલીફો વેઠવી પડે છે. એવા એક ઑનલાઇન સમ્પાદનના સમ્પાદકે મારો એક વિવેચનલેખ લીધેલો તેની ખબર મને ત્યારે પડી જ્યારે એ સમ્પાદન જાહેરમાં મુકાયું. મેં સંસ્થાને લખ્યું કે – આ મારો બહુ પહેલાંનો લેખ છે, એ પછી તો આ વિષયમાં મેં ઘણું લખ્યું છે, સમ્પાદકને કહો કે બીજો લેખ લે. એ તો એમણે ન કર્યું અને તેથી સમ્પાદનના એ પ્રકાશિત પુસ્તકમાં મારો લેખ નથી. મારો શો વાંક?

સમ્પાદકને સમ્પાદનના કોઈક વિશિષ્ટ આશયથી સમ્પાદન કરવાની છૂટ છે. આશય જ સમ્પાદનના સાહિત્યિક મૂલ્યનું કેન્દ્રસ્થ કારણ છે. એ આશયમાં બંધ બેસે એવી લેખસામગ્રી માટે સમુચિત ગણી શકાય તેવા જ લેખકોને નિમન્ત્રણ અપાવું જોઈએ.

સમ્પાદન માટે લેખકને અપાતા નિમન્ત્રણમાં એ આશયની સ્પષ્ટતા હોય, તેમાં તેની સમ્મતિ માગવામાં આવી હોય, જણાવાયું હોય કે લગભગ આ સમયે સમ્પાદન પુસ્તક રૂપે પ્રકાશિત થશે, પુસ્તકની નકલ મોકલવામાં આવશે, આટલો પુરસ્કાર આપીશું, અથવા પુરસ્કાર નથી આપી શકતા. તેમછતાં, કોઈક નિમન્ત્રણમાં આટલી ચોખવટો ભલે ન થઈ હોય પણ લેખક કોઈક મુદ્દા વિશે પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વાળવો પડે. આવું નિમન્ત્રણ સમ્પાદક આપે કે સંસ્થા આપે, પણ કોઈપણ સમ્પાદન માટે આવું જ નિમન્ત્રણ જરૂરી છે, અનિવાર્ય છે.

લેખકની એવી સર્વસમ્મતિ પછી જ કામ હાથ ધરાય, તેને બદલે આપણે ત્યાં ઊંધું જોવા મળે છે, ઊંધું એટલે સુધી કે છેક લગી લેખકને જ બાદ રાખવામાં આવે છે. બને કે લેખકને સમ્પાદક વિષયસજ્જ ન લાગ્યો હોય અને એ સમ્મતિ ન પણ આપે. એવી અસમ્મતિને પણ વધાવી લેવી જોઈશે.

કૃતિનાં અન્યો દ્વારા રૂપાન્તરો થાય ત્યારે આ મુશ્કેલીઓ વધશે – જેમ કે વાચિકમ્ વખતે કે કૃતિ પરથી નાટક કે ફિલ્મો બનાવાય ત્યારે. ત્યારે પણ એ રજૂઆતકર્તાઓની સજજ્તાનો પ્રશ્ન થશે – કૃતિને રજૂઆતકર્તા સમ્યક રૂપે પામી શક્યો છે કે કેમ – કૃતિના કર્તાની સૃષ્ટિની જાતભાતથી વાકેફ છે કેમ. આ બધા મુદ્દાઓના સંદર્ભે મૂળ લેખકની સર્વસમ્મતિ માટે પૂર્વસંવાદ અનિવાર્ય છે. આમાં પુરસ્કાર વગેરે બાબતો પણ ઉમેરાશે, કેમ કે રજૂઆત કરનારાઓને ફી અપાતી હોય તો મૂળ લેખકને કેમ નહીં?

વ્યાપક અર્થમાં આ ‘પ્રજ્ઞાપરાધ’ છે. અંગ્રેજીમાં ‘પ્લેજ્યારિઝમ’ કહેવાય છે. પ્લેજ્યારિઝમ એટલે સાહિત્યચોરી. નાના કે મોટા લેખકની સૃષ્ટિમાંથી એ જાણે નહીં એ રીતે કંઈપણ લઈ લેવું તે ચોરી છે. પારકાની સમ્પદાને ચોર્યા પછી પોતાને નામે ચડાવી દેવી એ મહાચોરી છે. કૉપિરાઇટનો કાયદો એટલે તો છે. એ કાયદાનું સૌએ પાલન કરવું જરૂરી છે. પરભાષાના અનુવાદ વખતે તો લિખિત પૂર્વસમ્મતિ અનિવાર્ય છે. એ જ રીતે, સ્વભાષાના પુસ્તકને અન્ય ભાષામાં મૂકતી વખતે પણ મૂળ લેખકની પૂર્વસમ્મતિ અનિવાર્ય છે.

સાહિત્યના અધ્યયનમાં કે પરીક્ષામાં અધ્યેતા કે વિદ્યાર્થી કોઈપણ લેખકનું કંઈપણ અવતરણ રૂપે મૂકી શકે છે, પૂર્વસમ્મતિની જરૂર નથી. પણ ત્યારે એ અવતરણની વીગતો આપવી અનિવાર્ય છે, લેખકનું નામ, પુસ્તકનું નામ, પાનનમ્બર, આવૃત્તિસાલ. અરે ! આ બધું તો અધ્યાપકો વર્ગમાં ભણાવતા જ હશે ને?

આપણે હવે ઇન્ટરનેટ-યુગમાં ૨૧-મી સદીમાં જીવીએ છીએ જેમાં વ્યક્તિ પોતાની અંગત વીગતને ભાગ્યે જ છુપાવી શકે છે. એ સંજોગોમાં, આપણા વ્યવહારો વધુ ને વધુ પારદર્શક હોવા જોઈશે. પારદર્શકતા માટે જરૂરી છે કે વ્યવહારો તર્કપુર:સરના હોય. એ વ્યવહારોની વીગતો જેટલી લિખિત હશે, કરારબદ્ધ, તેટલા એ વ્યવહારો શ્રદ્ધેય લેખાશે. એને ફૅઅર બિઝનેસ ડીલ કહેવાય.

સમ્પાદનો કે પુસ્તકપ્રકાશનો પણ કરારબદ્ધ હોય એવો સદાગ્રહ લેખકોએ તેમ જ પ્રકાશકોએ રાખવો જોઈશે. તો જ એ ફૅઅર ડીલ બનશે. જાણી લો કે ગુજરાતી સિવાયની લગભગ બધી જ ભાષાઓમાં કરાર વિના લેખક કે પ્રકાશક ડગલું યે આગળ નથી ભરતા.

આજકાલ પ્રકાશકો તરફથી એવું જાણવા મળે છે કે સાહિત્યનાં પુસ્તકો વેચાતાં નથી, સાહિત્યનો વેપાર આર્થિક રીતે નફાકારક નથી રહ્યો. આ વાતમાં દમ છે એમ સ્વીકારીએ પછી પ્રશ્ન એ કરવો પડે કે એવાં પુસ્તકો શું કામ કરો છો, ન કરો; અને જો કરો છો તો સરસ કરાર કરો ! લખો ને કે આટલા ટકા જ અથવા ઝીરો રૉયલ્ટી આપી શકાશે. પ્લીઝ, ધ્યાનમાં લો કે આ, ઓછામાં ઓછાં ૪૦ વર્ષથી કશા જ કરાર વિના પુસ્તકો છપાવનાર સુમન શાહ કહે છે !

પણ આપણે ત્યાં કોઈ કોઈ લેખકને પ્રકાશક માટે કરુણા જાગે છે ત્યારે લેખક તરીકેના સ્વમાનને ય બાજુએ મૂકી દે છે અને સામેથી પૈસા આપીને છપાવે છે. આ સહકારી વૃત્તિપ્રવૃત્તિ સારી છે કે કેમ, એ જુદી વાત છે. પણ એ લેખકો પોતાના એ સહકારની વીગતો જાહેર કરશે ખરા? કરશે તો પ્રકાશકો ચલાવી લેશે ખરા? આર્થિક નુક્સાન કે આર્થિક સહકારનો મુદ્દો જ વેપારવિષયક છે, સાહિત્યિક નથી, એટલે વધુ ચર્ચા કરવી વ્યર્થ છે.

વાત એટલી જ છે કે પ્રકાશક કે સમ્પાદક સાહિત્યજગતમાં જરૂરી છે તેમછતાં માત્ર એ જ કારણે લેખકની પુસ્તક વગેરે સામગ્રી એની સમ્મતિ વિના બજારમાં લઈ જવાનો પરવાનો નથી મળી જતો.

હું આશા રાખું કે ગુજરાતી સાહિત્યસમ્પાદનોની તેમ જ પ્રકાશનોની આ દુ:ખદ સ્થિતિનો નાશ થાય અને ગિવ ઍન્ડ ટેકના સ્વસ્થ ડીલની કમર્સિયલ પૅટર્ન પર બધું સરસ ચાલે અને એ રીતે આ વ્યવસાય આધુનાતન ઢબે વિકસ્યો હોય.

યાદ રાખો કે લેખન જ જ્યોતિ છે, પ્રકાશક કે સમ્પાદક એના પ્રકાશને માત્ર પ્રસરાવે છે.

= = =

(08/20/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જૂના કાયદા નાબૂદ કરવાની માંગઃ ફેરફારથી કોને પડશે ફેર? શું ન્યાયતંત્રનો બોજ વધશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 August 2023

આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ નવા ધારા મૂક્યા અને એ સાથે દાવો કર્યો કે દેશમાં ગુનાને લઇને જે ન્યાય અપાય છે તેમાં આ પરિવર્તનથી મોટો ફેરફાર આવશે. ઇન્ડિયન પિનલ કૉડને બદલે ભારતીય ન્યાય સંહિતા, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે ભારતીય સાક્ષ્ય બિલ પસાર કરવાના સૂચન કરાયા છે. ઇન્‍ડિયન પિનલ કૉડ, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ – આ ત્રણેય કાયદા અંગ્રેજોના સમયથી દેશમાં લાગુ છે અને ગૃહ મંત્રી અમિત શાહનો દાવો છે સરકાર બદલાયેલા સમયને ગણતરીમાં લઇને આ પરિવર્તનો કરે છે જેનો ઉદ્દેશ સજા નહીં પણ નાગરિકોના અધિકારોનું રક્ષણ છે. ગુનાને લગતા કાયદાઓમાં જાહેર કરાયેલા પરિવર્તનોને લઇને અનેક ચર્ચાઓ છેડાઈ છે. કાયદાકીય બારીકીમાં વધુ ન પડતાં જરા સમજવાનો પ્રયાસ કરીએ કે આ પરિવર્તનો જ્યારે પણ ખરેખર લાગુ પડશે ત્યારે તેનો કેવો પ્રભાવ પડી શકે છે.

વિશેષજ્ઞોના મતે આતંકવાદ, ભ્રષ્ટાચાર, મૉબ લિન્ચિંગ, લગ્નનું વચન આપીને કરાયેલા બળાત્કારથી માંડીને પાકીટ ચોરીના ગુનાથી માંડીને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવા ગુનાને પણ પિનલ લૉઝ હેઠળ લાવવામાં આવ્યા છે. આ એવા ફેરફાર છે જેનાથી પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાની અણધારી અને બેફામ સત્તા આવશે. MCOCA – મકોકાના કાયદામાં જે ફેરફારો કરવાની વાત થઈ છે તે જોતાં જે કાયદો એક સમયે અમુક જ પ્રકારના ગુનામાં વપરાતો તેનો ઉપયોગ હવે કોઈપણ અધિકારી, કોઇપણ ગુના માટે કરી શકશે. જ્યારે આખા IPCને જ બદલવામાં આવે છે અને મકોકાના કાયદાની જોગવાઈઓ હતી તેનું ફિલ્ટર ન હોવાથી ગમે તે વ્યક્તિ ટાડા, કે પોટામાં જેલભેગી થઇ શકે છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર ડી શિવનંદને, જાણીતા પત્રકાર અને લેખક મનીષ પચૌલીના ‘ક્રાઇમએનાલિટીકલ’ બ્લૉગમાં આ અંગે એક દૃષ્ટાંત આપતા કહ્યું છે કે, “પહેલાં જો ૧૦ ગુના નોંધાતા હતા તો હવે ૨૦૦ ગુના નોંધાશે અને કોર્ટમાં તેની ટ્રાયલ થઇને પરિણામ આવતા વાર લાગશે. નાના ગુના કરનારા અને ઘણીવાર નિર્દોષ સપડાઈ જનારા લોકોને લાંબા સમય સુધી એટલે કે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડે એવી શક્યતાઓ વધી જશે.”

વળી સરકારનો દાવો છે કે રાજદ્રોહને લગતા કાયદાને સરકારે દૂર કર્યો છે-નો દાવો પણ કરાયો છે. પરંતુ ખરેખર તો આ કાયદો નવા ખરડામાં રાજદ્રોહના કાયદાને નવું રૂપ અપાયું છે. જેમ કે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો માટે સજા ફટકારાશે. આ રાજદ્રોહના ગુનાની વિસ્તૃત વ્યાખ્યા છે – રાજદ્રોહનો ગુનો રદ્દ થવો જોઈતો હતો પણ તેને જાળવવામાં આવ્યો છે અને તે પહેલાં કરતાં વધારે મજબૂત કરાયો છે. કોઈપણ વ્યક્તિ કંઇ જાણીજોઈને બોલે અથવા લખે કે સંકેતો બનાવે, કંઇક દેખાડે અથવા ઇ-મેસેજ કરીને દેશમાં અલગાવ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને બળ આપે તો તેને સાત વર્ષની સજા થઇ શકે છે. પહેલાં આ સજા ૩ વર્ષની હતી. રાજદ્રોહ કરતાં પણ કડક એવો આ કાયદો એવી સ્થિતિ ખડી કરે છે કે તમારે છાસ નહીં પણ આઇસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકીને ખાવો પડશે.

વળી આ ખરડામાં મહિલાઓ સામેની જાતીય હિંસાઓ રોકવા માટે કાયદા કડક કરાયા હોવાનો દાવો છે પણ મેરાઇટલ રેઇપ – વૈવાહિક બળાત્કારને ગુનો નથી ઠેરવાયો. સુપ્રીમ કોર્ટમાં મેરાઇટલ રેપનું ક્રિમનલાઇઝેશન – અપરાધીકરણ કરાય એ માટેની પિટિશન્સ પર કામ થઇ રહ્યું છે. વળી સ્પીચ (આપણા બંધારણમાં વાણી સ્વતંત્ર્ય એક અગત્યનું પાસું છે ત્યારે આ નવી રજૂઆત અગત્યની બને છે) એટલે કે વાણીને ગુનો ઠેરવતા ફેરફારો કરાયા છે એમાં રાજદ્રોહ અને અશ્લીલતા સમાવાયા છે. આ સંજોગોમાં કાલે ઊઠીને તમારું બોલાયેલું ક્યારે તમને ગુનેગાર ઠેરવી દેશે તેની કોઈ ગેરંટી નથી રહેતી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, અખબારી સ્વતંત્રતા વગેરે પર તવાઈ આવે એવું પણ બને. વળી ધર્મ અને નિંદાને લગતા કાયદાઓનું વિશ્લેષણ ઝીણવટથી થાય તે જરૂરી છે કારણ કે અત્યારે જે જાહેરાત થઇ છે તેમાં ઘણી બધી ચોખવટો હજી દેખાતી નથી. સ્પષ્ટતા ન હોય ત્યારે કાયદાનો બેફામ ઉપયોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જાતિ કે વંશને આધારે હત્યા થાય અને તેમાં પાંચ કે તેનાથી વધારે લોકોનું ટોળું હોય તો તે ટોળાંનો ભાગ હોય તેવા દરેકને સાત વર્ષની અથવા આજીવન કેદ અથવા મૃત્યુ દંડની જોગવાઈ છે, હવે ધારો કે પચાસ લોકોનું ટોળું હોય તો શું પચાસ જણને આ સજા ફટકારાશે? વળી ફોરેન્સિક અને ડિજિટલ પદ્ધતિઓ અપનાવવાની જે વાત છે તે સાંભળવામાં સારી લાગે છે પણ શું ભારતની ફોરેન્સિક લેબ્ઝ અધધધ કેસિઝ સંભાળી શકે એવી સ્થિતિમાં છે ખરી? નિષ્ણાતો અને સંસાધનો બન્ને સ્તરે ફોરેન્સિક્સને મામલે હજી આપણી સજ્જતા ઓછી છે. આવી ઘણી સ્પષ્ટતાઓ જરૂરી છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે કોઇપણ ગુનાને રાજકીય રંગ આપતાં વાર નથી લાગતી. વળી આપણા દેશમાં સામાજિક પરિબળો પણ ગુનાના સ્વરૂપ અને તેની ગંભીરતા પર અસર કરે છે ત્યારે કાયદા ઘડાય અને અમલમાં મુકાય તે માટે તેનું વિહંગાવલોકન નહીં સૂક્ષ્મ નિરીક્ષણ જરૂરી છે.

અત્યારે તો એમ કહેવું બહુ વહેલું છે કે આ પરિવર્તનો ભારતીય ન્યાય તંત્રની સુરત અને સીરત ધરમૂળથી બદલી નાખશે કે કેમ? કેન્દ્ર સરકારનો દાવો એ છે કે તેઓ દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત અને સરળ બનાવવા માટે આ પરિવર્તન કરવા ઇચ્છે છે. જો કે આવા કોઇપણ બદલાવનો પ્રભાવ ત્યારે જ નાણી શકાય જ્યારે તેની શરૂઆત, ઘડતર અને આગળ જતાં તેના પ્રત્યે કેવો અભિગમ રહે છે તેનું યોગ્ય વિશ્લેષણ થાય. આપણા ન્યાયંત્રના પડકારો આ ફેરફારોને પગલે ઉકેલાઇ જશે એવું અત્યારે કહેવું યોગ્ય નહીં રહે. આમ તો આ ત્રણેય બિલ્સ ત્રણ અલગ અલગ ફોજદારી કાયદા એટલે કે ક્રિમિનલ લૉઝને બદલવાના આશયથી બનાવાયા છે.

આપણો સમાજ બહુસ્તરીય છે અને આર્થિક ભેદ પણ દેખીતા છે. આવી સ્થિતિમાં શેનું અપરાધીકરણ – ક્રિમિનલાઇઝેશન થાય છે તે અંગે સાવચેતી અનિવાર્ય છે. નવા ફોજદારી કાયદાઓમાં જે સુધારાની વાત છે તેમાં સમાનતાનો સિદ્ધાંત અનુસરાય તે જરૂરી છે કારણ કે આપણે ત્યાં અત્યાર સુધી તો ફોજદારી કાયદાઓને કારણે વર્ગ વિભાજન થતું આવ્યું છે. સાધનસંપન્ન લોકો માટે ન્યાય મેળવવું સહેલું રહ્યું છે જ્યારે વંચિતો ન્યાયને મામલે હાંસિયામાં ધકેલાતા આવ્યા છે. નાગરિકો પર લાગુ કરાતા કાયદાઓ પર નાગરિકોને પણ વિશ્વાસ બેસે એ જરૂરી છે. કાયદા અચાનક જ હળવા કે કઠોર બને એટલે લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ આવશે એવું માનવાનું કોઈ કારણ નથી. કાગળ પર લખાયેલો કાયદો અને તેના અમલીકરણની વાસ્તવિકતા વચ્ચેનું અંતર દૂર થાય એ પણ જરૂરી છે. આપણે ત્યાં તંત્રમાં ઘણીવાર એટલા ગાબડાં હોય છે કે તેનું અમલીકરણ પ્રભાવી રીતે કરવું અશક્ય બની જાય છે.

આ પરિવર્તનો અંગે સવાલો થવા માંડ્યા છે, આ જ સમય છે જ્યારે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો જરૂરી પ્રશ્નો કરે. ભારતીય સંદર્ભમાં યોગ્ય સમયે થયેલી દલીલો યોગ્ય સ્રોત સુધી પહોંચશે તો જ કદાચ જે ફેરફારો નવા સૂચનોમાં જરૂરી છે તે થઇ શકશે. આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે.

બાય ધી વેઃ

મોટા ભાગના નિષ્ણાતોના મતે મકૉલેએ તૈયાર કરેલ 160 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની 80 ટકા જેટલી બાબતો નવા સુધારાઓમાં સચવાયેલી છે. ક્યાંક તો માત્ર નવાં નામો છે જ્યારે જોગવાઈઓ જૂની છે. એવો પણ મત છે કે બધું ધરમૂળથી બદલવા કરવા તો જે છે એ સ્થિતિ સુધારી શકાઈ હોત. વળી ખાટલે મોટી ખોડ એ છે કે આ નવા કાયદા જો શિયાળુ સત્રમાં પસાર નહીં થાય તો ભૂલી જવાનું કારણ કે પછી માથે ચૂંટણી હશે અને આ બિલ્સ લૅપ્સ થશે. જો રાજ્યોને ગણતરીમાં લીધા વગર કાયદા પસાર કરવાની વાત આવશે તો વિવાદ થશે જ અને સરકારની દાનત પર પણ સવાલો ઉઠશે. વળી હજી તો બિલની રજૂઆત થઇ છે, તેને સંમતિ મળવી, તેનો કાયદો બનવો વળી દરેક રાજ્યનું તેને પોતાની રીતે બદલવું આ બધી જ કાર્યવાહી કરતાં મહિનાઓ નહીં પણ વર્ષો નીકળી જતાં હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023

Loading

શરદ પવારને એન.ડી.એ.માં લેવા આટલા ધમપછાડા શા માટે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2023

રમેશ ઓઝા

અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવું છે અને બી.જે.પી. તેમને બનાવવા પણ તૈયાર છે, પણ શરત એ છે કે તેઓ તેમના કાકા શરદ પવારને શાસક મોરચામાં લઈ આવે. તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે અને તેમને જો પ્રધાન ન બનવું હોય તો તેમની દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે. જો અજિતદાદા કાકાને ન લાવી શકે તો બી.જે.પી.ને હવે તેમની ખાસ કિંમત નથી. આ એ જ શરદ પવાર છે જેના વિષે અજિત પવારે હજી ત્રણ મહિના પહેલાં કહ્યું હતું કે કાકા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધોએ યુવાનો માટે જગ્યા કરી આપવી જોઈએ.

ગયા અઠવાડિયે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે પૂનામાં એક ઉદ્યોગપતિના ઘરે ગુપ્ત બેઠક યોજાઈ હતી. કાકા-ભત્રીજા અને યજમાન સિવાય કોઈને આની જાણ નહોતી, એટલે સંભવતઃ ગુપ્તતા જળવાઈ રહી હોત, પણ એ વાત બહાર આવી ગઈ. હોબાળો મચ્યો અને પવારના ઈરાદા વિષે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી. શરદ પવારની મથરાવટી મેલી છે. પહેલીવાર મહારાષ્ટ્રમાં કાઁગ્રેસે પવારના ઈરાદા વિષે શંકા કરી અને જાહેરમાં પૂછ્યું કે તેમણે તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જોઈએ.

આ તો શરદ પવાર છે. ભમરડો જ્યાં સુધી જોરમાં ફરતો હોય ત્યાં સુધી ફરવા દે અને પછી જ્યારે ધીમો થવા લાગે ત્યારે ખુલાસો કરે. તેમણે કહ્યું કે તેઓ એન.ડી.એ.માં જોડાવાના નથી કે કેન્દ્રમાં પ્રધાન બનવાના નથી. તેઓ વિરોધ પક્ષોના મોરચામાં જ રહેશે અને ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને પરાસ્ત કરવા પોતાનું યોગદાન આપશે. તેમણે અજિત પવારને કહ્યું હતું કે તેમનું જૂથ શરદ પવારનો ફોટો વાપરવાનું બંધ કરી દે અને જો એમ નહીં કરે તો કાનૂની કારવાઈ કરવામાં આવશે. તેમણે ચૂંટણી પંચને પણ કહી દીધું હતું કે તે શિવસેનાની બાબતમાં બન્યું હતું એમ અજિત પવારને પક્ષ અને પક્ષનું ચૂંટણીચિહ્ન આપી દે તો પણ કોઈ ફરક નથી પડવાનો. એ સિવાય તેમણે ગુરુવારે બીડમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી જે સફળતાપૂર્વક યોજાઈ હતી. દેખીતી વાત છે કે ગુપ્ત બેઠકની વાત પવાર-જૂથે લીક કરી હોવી જોઈએ. અહીં યાદ અપાવી દઉં કે પક્ષમાં બળવો કર્યા પછી, મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા પછી અને પવાર હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપ્યા પછી માત્ર બે જ દિવસમાં એન.સી.પી.ના નેતાઓ સાગમટે શરદ પવારના આશીર્વાદ લેવા યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં પહોંચી ગયા હતા. તેઓ આવી રહ્યા છે તેની તેમણે પવારને જાણ પણ નહોતી કરી.

દસ અજિત પવારને લઈ જાવ, પણ એક શરદ પવાર વિના મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનું રાવણું અધૂરું છે, એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં બી.જે.પી. માટે જીતવું અઘરું છે એ પવાર સાબિત કરી આપવા માગતા હતા અને પૂનાની ગુપ્ત બેઠક દ્વારા તેમણે તે સાબિત કરી આપ્યું. દરેક પક્ષને તોડવાની તમારી પાસે તાકાત છે, મહારાષ્ટ્રમાં બે પક્ષને તમે તોડી ચુક્યા છો, અઢળક પૈસા છે, સ્પીકર, ગવર્નર, ચૂંટણીપંચ, અદાલતો અને મીડિયા તમારા કબજામાં છે અને તમારા માટે કામ કરી રહ્યા છે તો પછી શરદ પવારને એન.ડી.એ.માં લેવા માટે આટલા ધમપછાડા શા માટે કરવામાં આવે છે? શા માટે એક વરસથી મુંબઈ સહિતની પાલિકાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં નથી આવતી? આ ચૂંટણીઓ ગયા વરસે સપ્ટેમ્બરમાં થવી જોઈતી હતી. ચૂંટણીપંચ નમાલું છે એટલે એ કહેવામાં આવશે ત્યારે ચૂંટણી જાહેર કરશે. અને હવે તો ચૂંટણીપંચના સભ્યોની પસંદગી માટેની ત્રણ સભ્યોની સમિતિમાંથી મુખ્ય ન્યાયમૂર્તિને પણ હટાવી દેવાના છે.

મહારાષ્ટ્રમાં રાજકીય અનુકૂળતા પેદા કરવા માટે બે ઓપરેશન કરવામાં આવ્યાં. ગયા વર્ષે શિવસેનામાં ફૂટ પાડવામાં આવી. ગવર્નર, સ્પીકર અને ચૂંટણીપંચની મદદથી ઉદ્ધવ ઠાકરે પાસેથી આખેઆખો પક્ષ છીનવી લેવામાં આવ્યો, બાળ ઠાકરે હયાત નથી એટલે તેમનું નામ અને તસ્વીર વાપરવામાં પણ કોઈ રોકટોક નથી, પણ એ છતાં ય એકનાથ શિંદે અને તેમનું જૂથ કશા કામનાં નથી. કારણ એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની આખી કેડર ઉદ્ધવ ઠાકરેની સેના સાથે છે અને લોકોની સહાનુભૂતિ પણ. જ્યારે ખાતરી થઈ ગઈ કે શિવસેના ફોડવાથી ભા.જ.પ.નો સંઘ કાશીએ પહોંચી શકે એમ નથી ત્યારે બીજું ઓપરેશન રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં કરવામાં આવ્યું. એ ઓપરેશન પણ વાંઝિયું સાબિત થઈ રહ્યું છે. શરદ પવાર ન હોય તો અજિત પવારનો કોઈ વિશેષ ખપ નથી. માટે અજિત પવારને કહેવામાં આવ્યું છે કે તમારું મુખ્ય પ્રધાનપદ પાકું, પણ પહેલાં શરદ પવારને લઈ આવો.

અજિત પવારના ધમપછાડા, એકનાથ શિંદે જૂથની ન ઘરના ન ઘાટના જેવી દયનીય અવસ્થા, ચારે બાજુ ખાતર પાડ્યા પછી પણ ભા.જ.પ.ની ઝોળી ખાલીની ખાલી એવી હાસ્યાસ્પદ સ્થિતિ તરફ શરદ પવાર મહારાષ્ટ્રની પ્રજાનું અને આખા દેશનું ધ્યાન ખેંચવા માગતા હતા. માટે પૂનામાં ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી જે ગુપ્ત નહોતી રહી. પાંચ દિવસ પછી ફેંકવામાં આવેલો ભમરડો ધીમો પડ્યો ત્યારે તેમણે મોઢું ખોલ્યું. ત્યાં સુધીમાં ચર્ચાનો વિષય હમણાં કહ્યા એ ત્રણ મુદ્દા હતા. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નો સંઘ શરદ પવાર વિના અથવા ઉદ્ધવ ઠાકરે વિના કાશીએ પહોંચી શકે એમ નથી. ગમે એટલી ઘરફોડી કરવામાં આવે, ઝોળી ખાલી જ રહેવાની છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકસભાની ચૂંટણીની ચિંતા છે. મહારાષ્ટ્ર કે બીજાં કોઈ પણ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓની ઝાઝી ચિંતા નથી. રાજ્યોને તો પાછળથી પણ ઘરફોડી કરીને કબજે કરી શકાય એમ છે જે રીતે ગોવા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને એ પહેલાં કર્ણાટકને કબજે કરવામાં આવ્યાં હતાં. એમાં પાછું મહારાષ્ટ્ર લોકસભાની ૪૮ બેઠકો ધરાવે છે. આજની રાજકીય વાસ્તવિકતા જોતા ઘણી મોટી સંખ્યા કહેવાય. જો દિલ્હી ગુમાવો તો ઘરફોડીની તક પણ ગુમાવો. આ સિવાય શરદ પવારને જો પટાવવામાં આવે તો વિપક્ષી એકતા અને INDIAના ફુગ્ગામાં પંક્ચર પાડી શકાય.

ઉપર કહ્યું એ બધું વિવેચન સાચું હોય અને તર્કસંગત હોય તો પણ શરદ પવાર વિષે આ દુનિયામાં કોઈ ખાતરીપૂર્વક કાંઈ ન કહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023

Loading

...102030...886887888889...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved