Opinion Magazine
Number of visits: 9457886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલબત્તી ગઈ પણ વી.આઈ.પી. કલ્ચર રહ્યું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 August 2023

ચંદુ મહેરિયા

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સલામતી કાફલામાં તેમની મોટરકારની આગળ એક પાઈલોટિંગ મોટરસાઈકલ જ રહેતી હતી. આજે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માનના સલામતી કાફલામાં બેતાળીસ વાહનો હોય છે ! કદાચ એ દેશના કોઈ પણ વી.આઈ.પી.નો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. પણ રહો તેમની પૂર્વેના કાઁગ્રેસ અને અકાલી દળના મુખ્ય મંત્રીઓના સુરક્ષા કાફલા પણ કંઈ સામાન્ય નહોતા. તેમના કાફલામાં અનુક્રમે ઓગણચાલીસ અને તેત્રીસ વાહનો રહેતા હતા ! સલામતીના નામે વી.આઈ.પી. કલ્ચર કેવું ફાટીને ધૂમાડે ગયું છે, તેના આ વિરોધ અને રોષ જન્માવે તેવા દાખલા છે.

પદ, પ્રતિષ્ઠા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમને કેટલીક ખાસ સગવડો કે વિશેષાધિકારો આપવામાં આવે છે તે વી.આઈ.પી. ગણાય. તેમાં રાજનેતાઓ, વહીવટી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ, ન્યાયાધીશો, ફિલ્મીકલાકારો, ક્રિકેટરો, ધાર્મિક નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે.

વી.આઈ.પી.ને મળતી ખાસ સુવિધાઓનો એ હદે દેખાડો અને અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે કે તે વી.આઈ.પી. કલ્ચર નહીં અપસંસ્કૃતિ કહેવાય. તેને માઈબાપ સરકાર સંસ્કૃતિ, વી.આઈ.પી. ફસ્ટ, હીરોગીરી, શક્તિનું પ્રદર્શન, તાકાતનો દેખાડો, સ્ટેટ્સ સિમ્બોલ અને સરકારી સુવિધાભોગી વર્ગ તરીકે પણ ઓળખી શકાય. વૈભવ પ્રત્યે આકર્ષિત અને અચંબિત ભારતીય લોકમાનસ દિલોદિમાગથી તો સાદગી સમર્થક અને પ્રશંસક છે. એટલે વી.આઈ.પી. કલ્ચર પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના વ્યાપક છે.

હજુ હમણાના જ દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌતમ ચૌધરી પુરુષોત્તમ એકસપ્રેસમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ટ્રેન ત્રણ કલાક લેટ ચાલતી હતી. તેથી જજસાહેબે અલ્પાહાર માટે પેન્ટ્રીનો અને પછી પોલીસનો સંપર્ક કર્યો. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આ સંદર્ભે અલ્હાબાદ વડી અદાલતના રજિસ્ટાર (પ્રોટોકોલ) એ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી ફરિયાદ કરી અને જજસાહેબને પડેલ તકલીફ તથા પ્રોટોકોલનો અમલ ના કરવા બદલ જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ અને કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ ગૌરાંગ કંઠના દિલ્હી આવાસે સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીથી ઘરનો બહારનો ગેટ ખૂલ્લો રહી જતાં જજસાહેબનો પાલતુ કૂતરો ક્યાંક જતો રહ્યો. એટલે ન્યાયાધીશ મહોદયે દિલ્હીના પોલીસ કમિશનરને પત્રથી ફરિયાદ કરી કે તેમનો કૂતરો સુરક્ષાકર્મીના બેજવાબદાર વર્તનથી ખોવાઈ ગયો હોઈ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરો.

શાયદ તાજેતરના આવા જ બનાવોને અનુલક્ષીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તમામ હાઈકોર્ટોના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે જજીસ તેમને પ્રોટોકોલ પ્રમાણે જે સુવિધાઓ મળે છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને લોકોના કરતાં તેઓ જુદા કે ઊંચા છે તેવું દેખાડવા તેનો ઉપયોગ ન કરે. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટકોર સમયસરની છે અને જો તેનો અમલ થશે તો તે જજીસને જાહેર આલોચનાથી બચાવશે.

છેક ૨૦૧૩માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વી.આઈ.પી.ઓના વાહનો પરની લાલ લાઈટ દૂર કરવા કાયદામાં સુધારો કરવા અને વી.આઈ.પી.ની યાદી જાહેર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. સરકારને આટલી આસાન બાબતનો અમલ કરતાં ચાર વરસ લાગ્યા હતા. ૨૦૧૭માં ભારત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને લાલ લાઈટ દૂર કરી હતી. સામંતશાહી કે સત્તાનું પ્રતીક લાલ બત્તી જવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ ગયાં અને  વી.આઈ.પી. કલ્ચર નાબૂદ થઈ ગયું એવો માહોલ એ સમયે ઊભો કરવામાં આવ્યો હતો.

પરંતુ વી.આઈ.પી. કલ્ચર તો બીજા અનેક સ્વરૂપે હજુ છે જ. અત્યાધિક સુરક્ષા વ્યવસ્થા, વી.આઈ.પી.ને કારણે રસ્તા પરનો ટ્રાફિક રોકવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ઉદ્દઘાટનો અને શિલાન્યાસોની તકતીઓમાં નામ, સાઈરન, એરપોર્ટ કે રેલવે સ્ટેશનો પર અલગ વી.આઈ.પી. લોન્જ, વિમાનમાં ચઢવામાં પ્રાથમિકતા, અનેક બાબતોમાં વી.આઈ.પી. ક્વોટા જેવા વિશેષાધિકારો હજુ યથાવત છે. કેટલાક તો તેમણે જાતે મેળવી લીધા છે. જેમ કે સરકારી ગાડીમાં બાળકોને શાળાએ મોકલવા કે પત્નીએ શાકબકાલું લેવા જવું, પટાવાળાએ સાહેબ આવે ત્યારે બ્રીફ કેસ લેવા જવું, ડ્રાઈવર ઉંમરમાં મોટા હોય તો ય સાહેબની ગાડીનો દરવાજો તો તેમણે જ ખોલવો, અંગત કામ માટે સરકારી કચેરીના સ્ટાફનો ઉપયોગ કરવો, ઓફિસના પટાવાળાને ઘરકામ માટે રાખવા વગેરે. એટલે આ બધી સગવડોની તુલનામાં વાહનો પરની લાલ લાઈટ દૂર કરવી તો સાવ તુચ્છ લાગે છે.

જો કે કેટલાક વી.આઈ.પી.એ આ વિશેષાધિકારો પર લગામ કસવાના પ્રયાસો કર્યા છે. વર્તમાન સરકારે આખા દેશમાં સાવ સસ્તી એવી સંસદની કેન્ટીનમાં મળતી ખાણીપીણી પરની સબસિડી દૂર કરી છે. વી.પી. સિંઘે તેમના પ્રધાનમંત્રીકાળમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસ વખતે આખી કેબિનેટ એરપોર્ટ પર વિદાય આપવા કે આવકારવા જાય તે બંધ કરાવ્યું હતું. તે પછીના વડા પ્રધાનો પણ તેને અનુસર્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાતે ઓફિસમાં બેલ વગાડી પટાવાળાને બોલાવવાનું બંધ કરી રેલવેના અધિકારીઓને પણ બેલ વગાડવી બંધ કરવા જણાવ્યું છે. અસમના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમાએ તેમની ગાડી રસ્તા પરથી પસાર થાય ત્યારે જરા ય ટ્રાફિક ના રોકવા આદેશ કર્યો છે. તેથી વી.આઈ.પી.ને કારણે જાહેર રસ્તા બંધ કરવાથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. કદાચ આ પ્રયત્નો વી.આઈ.પી. માનસિકતામાં બદલાવ આણી શકશે. જો કે કેટલાક વી.આઈ.પી.એ લાલબત્તીના વિકલ્પે હૂટર અને કેટલાકે સરકારી હોદદ્દો લખેલી ઝંડી લગાવીને પોતે સામાન્ય પ્રજાથી નોખા હોવાનું જણાવવાનું ચાલુ રાખ્યું છે.

વી.આઈ.પી. સંસ્કૃતિ સર્વત્ર વ્યાપેલી છે. નવી દિલ્હીના યમુના તટે રાજઘાટની પાડોશમાં વી.આઈ.પી. સ્મશાન વિકસ્યું છે. ઘણાંને તેમાં મર્યા પછી સ્થાન જોઈએ છે. ભલે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠના ચુકાદામાં મંદિરમાં વિરાજતા ભગવાન સિવાય કોઈ વી.આઈ.પી. નથી તેમ જણાવે પણ મંદિરોમાં વી.આઈ.પી.ના માનપાન એ હદના હોય છે કે તેઓ દર્શનાર્થે પધારે છે ત્યારે આખા મંદિર પરિસરને સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હજયાત્રામાં પણ મોટો વી.આઈ.પી. ક્વોટા હોય છે. કુદરતી કે માનવ સર્જિત આફત વખતે વી.આઈ.પી. અને તેમના કુટુંબને બચાવ અને રાહત પહેલા પહોંચે છે. હોસ્પિટલની સારવારમાં તેમને અગ્રક્રમ મળે છે. એટલે માત્ર લાલ લાઈટ જવાથી વી.આઈ.પી. કલ્ચર જવાનું નથી.

સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને ૨૦૧૫માં વી.આઈ.પી.ની સૂચિ બનાવવી પડી ત્યારે તેમાં પહેલા ૨,૦૦૦ અને પછી ૧૫,૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઓસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરિયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ અને ચીનમાં ૪૨૫ વી.આઈ.પી. છે. પણ મેરા ભારત મહાનમાં આજે આશરે પ લાખ ૮૦ હજાર વી.આઈ.પી. છે ! હવે આ અપસંસ્કૃતિ સામે ના તો ન્યાયતંત્ર સંઘર્ષ કરતું દેખાય છે કે ના તો આમ આદમી. એટલે વી.આઈ.પી.ને તેનો પેધો પડ્યો છે અને બાકીનાને જાણે કે કોઠે પડી ગયું છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 August 2023

દર્શક, મેઘાણીનું તાજવે ફોરતું ને સમસંવેદને દૂઝતું ગાંધીઘટન લઈને આવ્યા. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક મળી રહ્યા

એક સાથે સંભારવા છે આજે બેઉને : 28મી ઓગસ્ટે મેઘાણી જયંતી અને 29મી ઓગસ્ટે દર્શક સ્મૃતિ. આ લખી રહ્યો છું ત્યારે એમ જ સ્મરણ સરી આવે છે કે 2001ના ઓગસ્ટની 29મીએ દર્શક ગયા ત્યારે ભાદરવા સુદ અગિયારસ હતી. મને આ કિસ્સામાં તિથિ સંભારવી ગમે છે, કેમ કે એમાં યથાસ્થિતિનો અસ્વીકાર છે અને પરિવર્તનનો પુરસ્કાર છે.

લગરીક આત્મકથાત્મક ઢબે શરૂઆત કીધી જ છે તો વળી એમ જ આગળ ચાલું. મેઘાણીને પંચોતેર થયા ત્યારે ચોટીલા ડુંગરના પેટાળમાં, નીચે, મોટી સભા ભરાઈ હતી. પાંચેક હજાર માણસ હશે. વાંસોવાંસ, લોકભારતી પરિવાર સમક્ષ દર્શકે ત્રણ મેઘાણી વ્યાખ્યાનો આપ્યા – ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી.’ એ બહાર તો 1972-73માં પડ્યાં હશે, પણ મેં ચાવથી ઘૂંટડે ઘૂંટડે પીધાં પાલનપુર સબ જેલમાં, માર્ચ 1975. મહેન્દ્ર મેઘાણીએ મને જેલમાં એ મોકલી આપેલ. ગુજરાતમાં ભરકટોકટીએ બાબુબાઈ જશભાઈની જનતા મોરચા સરકાર પડી ત્યારે A Suitable Boyની આપહેસિયતથી પહેલા ઘાણમાં પકડાયેલા પૈકી હુંયે હતો અને કવિ ઉપવાસી(ભોગીભાઈ ગાંધી)નો નિત્યસોબતી એટલે ચિત્તમાં રમતી પંક્તિ અલબત્ત એ જ હતી કે ‘નહીં કંઈ ગુમાવવું – ફક્ત શૃંખલાબેડીઓ!’ જેલમાં ‘અધર ધેન એન્ટિસોશિયલ’ અમે ચાર-પાંચ જ જણા હતા. બાકી બધા કાચા કામના કેદીઓ બહુધા, ‘લોકવરણ’ જ કહો ને … અમે કટોકટી સામે લડનારા હતા, પણ સામાન્ય સમાજથી કેટલા કપાયેલ હોઈશું, ન જાણે!

બરાબર આ જ દિવસોમાં ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ એ મેઘાણી વ્યાખ્યાનો હાથમાં આવ્યાં. શો આબાદ મુખડો બાંધ્યો’તો વીર દર્શકવાળાએ! એમણે કહ્યું કે અકેકો શબ્દ તોળી તોળીને બોલનાર ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા એ ચીલેચલુ અર્થમાં તો હોય જ નહીં – શૌર્ય ને વીરરસના પોવાડા કે ‘સિંધુડો.’ રાષ્ટ્રીય જાગૃતિ ને વીરરસની રચનાઓ તો ખાસ્સી હતી, જેમ કે ‘કેસરભીના કંથ હો સીધાવો જી રણવાટ.’ કે પછી, ‘પાર્થને કહો ચડાવે બાણ.’ એટલે ગુજરાતમાં કોઈ રાષ્ટ્રનાં ગીતો ગાનાર કવિઓ તો હતા નહીં અને મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ થયા એવું તો નથી.

દર્શકે બરાબર મુદ્દો ઊંચક્યો : ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા ને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીએ તો – 

‘હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ.’

પોરો રે આવ્યો સંતો પાપનો.

જૂના જમાનામાં ગામડામાં દરબારો હોય અને રૈયત પણ હોય, પણ આર્થિક-સામાજિક એવો વર્ગવિચ્છેદ નહોતો જે ભણેલા અને અભણ વચ્ચે આવ્યો. જે કંઈ તળપદ તેને સારુ એક તુચ્છભાવ ભણેલામાં પેદા થયો. દર્શક આ સંદર્ભમાં રા.વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તા સંભારે છે.

મેઘાણીએ જે માહોલ ઊભો કર્યો એમાં ભણેલા જુવાનિયા પાળિયા, દેરીઓ, જંગલ-પહાડ, પોતાનાં ગામ, ડોશી, મીર, ચારણ બધાં તરફ આદરથી જોવા લાગ્યા. તમે જેની સાથે એકતા કરવા માગતા હો તેની સાથે પરિચય થવો જોઈએ, અને તેને ચાહો તેવો પરિચય થવો જોઈએ.

મેઘાણીના આ તાજવે ફોરતા ગાંધીઘટનમાં દર્શકે ‘છેલ્લો કટોરો’ સરખી સુપ્રતિષ્ઠ ને સર્વસ્વીકૃત રચનાએ નહીં અટકતાં એક જુદી જ રચનાને આગળ કરી છે. પૂર્વે સુંદરજી બેટાઈ સરખા એકાદા સુખદ અપવાદને બાદ કરતાં કોઈએ એના પર આવી ને આટલી નજર નોંધી નથી.

આ રચના તે ‘છેલ્લી સલામ.’ હિંદુઓ ને હરિજનોથી અલગ પાડતા ચુકાદા સામે ગાંધીએ સવર્ણ માનસને પલટાવવા અનશન આદર્યા. એ અનશન અવસરે મેઘાણી લઈને આવ્યા : ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે …’ કવિની સ્વાધીનતા, એનો મિજાજ તો જુઓ :

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે

ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી,

પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે,

એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી!

આખો સમાજ એવો ગેગી ગયો છે કે –

ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,

પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી …

વાત આજની જ નહીં, છેક રામ ને કૃષ્ણના વારાની છે …

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી …

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને

અસુરો કહીને કાઢ્યા વનવાસ જી.

આદિવાસીઓ, દુબળાને માથે વીતાડવામાં શું બાકી રાખી છે?

હસતાં  મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં’!

રખે કોઈ રોકે નયણાં રડીને હો…જી!

રાષ્ટ્રીયતાના વિમર્શ આખાને વીરરસની, ‘ધ અધર’ને વિહારવાની મૂઠમાંથી ઉગારી ગાંધી-રવીન્દ્ર-આંબેડકર પરંપરામાં સમતા સંઘર્ષ અને સમતા સ્નેહનમાં ઢાળવાની આ મેઘાણી પહેલ, શબ્દો જડતા નથી એને માટે. જેલમાં એ વાંચતો હતો, અને બેડી તૂટતી અનુભવતો હતો.

ભવભૂતિએ કહ્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે – ક્યારેક તો, ક્યાંક તો મને કોઈક સમાનધર્મા મળશે. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક લગભગ વાંસોવાંસ મળી રહ્યા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023

Loading

જાતિ ગણનાનું ચંદ્રયાન ક્યારે જમીન ઉતરશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 August 2023

રાજ ગોસ્વામી

ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર અવતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે, અમેરિકામાં જાતિ-વિરોધી કાનૂન માટે ચળવળ ચલાવતા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંલગ્ન સંગઠન, ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઈઝનના અધ્યક્ષ દિલીપ મહસ્કેએ એક ઓનલાઈન સામયિકમાં લખ્યું લખ્યું હતું કે, “ચંદ્રયાન-3ની સાથે દેશ એક ઊંચી ઉડાન ભરી રહ્યો છે ત્યારે, આપણી સામે એક દુઃખદ સવાલ બનેલો છે, અને તે છે ભારતનું ગહેરું જાતીય વિભાજન. એ એક એવી જટિલ આંટીઘૂંટી છે જે સમાજની રૂપરેખાને પ્રભાવિત કરતી રહે છે, પણ જેને હંમેશાં નજરઅંદાજ કરવામાં આવે છે અથવા સહેતુક છુપાવામાં આવે છે.”

મહસ્કેની આ ટિપ્પણીનું કારણ સર્વોચ્ચ અદાલતમાંથી આવેલા એ સમાચાર હતા, જેમાં બેન્ચે બિહારની જાતિ ગણનાનો ડેટા સાર્વજનિક કરવા પર મનાઈ હુકમ આપવાનો ઇન્‌કાર કરી દીધો હતો.

બિહારન લોકોની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિગતવાર આકલન કરવા માટે અને વંચિત સમુદાયોને મદદ કરે તેવી સરકારી નીતિઓ ઘડવાના આશયથી, નીતીશ કુમારની સરકારે ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં જાતિ ગણના શરૂ કરી હતી. આમ તો મે મહિના સુધીમાં પૂરી કવાયત પૂરી થઇ જવાની હતી, પરંતુ તેની સામે આવેલા કાનૂની અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો.

ઓગસ્ટના બીજા સપ્તાહમાં તેનું કામ પૂરું થયું છે અને હવે તેની ડેટા એન્ટ્રીનું કામ ચાલે છે. એ કામ પૂરું થાય તે પછી એ રિપોર્ટને બિહાર વિધાનસભામાં મુકવામાં આવશે અને પછી તેને સાર્વજનિક કરવામાં આવશે. જાતિ ગણનાના નીતિશ કુમારના નિર્ણયને રાજકીય દાવ તરીકે જોવામાં આવે છે અને જાન્યુઆરી મહિનામાં જ જાતિ ગણના પર રોક લગાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજીઓ થઇ હતી, પણ અદાલતે અરજીઓને સાંભળવાની ના પાડી દીધી હતી.

એ પછી, હિતેચ્છુ અરજીકર્તાઓએ એવું કહીને જાતિ ગણનાના રિપોર્ટને સાર્વજનિક કરવા સામે મનાઈ હુકમ માંગ્યો હતો કે તેનાથી નિજતા(પ્રાઈવસી)ના બંધારણીય અધિકારનો ભંગ થાય છે. મંગળવારે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સંજીવ ખન્નાએ એ તર્કને ફગાવી દેતાં પૂછ્યું હતું, “કોઈને તેની જાતિ કે પેટા જાતિ પૂછવાથી તેની નિજતા કેવી રીતે પ્રભાવિત થાય? તમારા પાડોશીઓને તમારી જાતિ ખબર જ હોય છે … તો પછી સર્વેમાં પૂછવામાં આવેલા 17 સવાલોમાંથી કયા સવાલથી નિજતાનું ઉલંઘન થાય છે?”

બિહારની જાતિ ગણનાએ દેશમાં વ્યાપ્ત સામાજિક વિભાજનો, રાજકારણ અને શાસન વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ ઊભી કરી છે. જાતિ ગણનાનાં પરિણામો દૂરગામી છે. તેનાથી નીતિ-વિષયક નિર્ણયો, રાજકીય પ્રતિનિધિત્વ અને જાતિ-આધારિત ભેદભાવ સામેની લડાઈ પર અસર પડવાની છે.

વાસ્તવમાં, જાતિ ગણના અંગ્રેજ સરકારની વિચારસરણી છે. તેની પાછળનો તર્ક એવો હતો કે જો ભારત પર શાસન કરવું હોય તો ધર્મ અને જાતિના આધારે ભાગલા પાડો. બ્રિટિશ સરકારે 1931માં વસ્તી ગણતરી કરાવી. આ વસ્તી ગણતરી વર્ષ 1941માં પણ થવાની હતી. પરંતુ વિશ્વયુદ્ધને કારણે આ શક્ય બન્યું નહીં. સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારે જાતિ ગણતરીની ભલામણ કરી નથી.

બિહારમાં પછાત અને અત્યંત પછાત વર્ગોની વસ્તી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. આ જ કારણથી તમામ રાજકીય પક્ષો આ વોટ બેંકની તૈયારીમાં વ્યસ્ત છે. ભા.જ.પ. લગાતાર વડા પ્રધાન મોદીને પછાત ચહેરા તરીકે ગણાવીને વોટ માંગતી રહી છે, ત્યારે મહાગઠબંધન બિહારમાં જાતિની ગણતરીને મુદ્દો બનાવીને આ વોટ બેંકને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુખ્ય પ્રધાન હોવાથી નીતીશ કુમારે ભલે જાતિ ગણના કરાવી હોય, તેનું અસલી શ્રેય આર.જે.ડી. નેતા અને ડેપ્યુટી સી.એમ. તેજસ્વી યાદવને જાય છે. તેમણે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવનું સપનું પૂરું થયું છે. લાલુ પ્રસાદ શરૂઆતથી જ જાતિ ગણનાની માંગ કરી રહ્યા હતા. 2020ની વિધાનસભા ચૂંટણી બાદ પેટાચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી નીતીશ કુમાર ભા.જ.પ. સાથે હતા. જો.કે બાદમાં નીતીશ આર.જે.ડી. સાથે આવ્યા હતા અને આ નિર્ણય લીધો હતો.

જાતિ ગણનાથી મતોની ગણતરી બદલાઈ જવાની છે. જાતિ ગણનાના સમર્થન અને વિરોધ પાછળ વોટની રાજનીતિ છે. જાતિ ગણનાએ મંડલ-કમંડલનું રાજકારણ ફરીથી જીવતું કર્યું છે. 2024ની ચૂંટણી પહેલાં જાન્યુઆરી મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ભા.જ.પ. હિંદુ ઓળખ પર વોટ માગવાની છે. એટલે બિહારના સત્તાધારી પક્ષોએ ઓ.બી.સી. કાર્ડ એ જ રીતે ઉતાર્યું છે, જે રીતે વડા.પ્રધાન વી.પી. સિંહે (મંડલ કમિશનના નામે) લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ઉતાર્યું હતું. વર્ષ 1990માં લાલુ પ્રસાદે મંડલના બહાને જાતિ ગણતરીની માંગ કરી હતી.

2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે યુ.પી.-બિહાર અને અન્ય રાજ્યોમાં વિરોધ પક્ષો જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશમાં બિહારની જેમ દાવ ખેલ્યો છે. તેમણે જાહેરાત કરી કે પ્રદેશમાં કાઁગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ ગણના કરવામાં આવશે. આમ કરવાથી એ જાણી શકાશે કે કોણ પછાત અને ગરીબ છે, કેટલા લોકો ભૂમિહીન છે અને તેમનો વિકાસ કેવી રીતે કરવો.

ખડગેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કાઁગ્રેસ હવે આ મુદ્દાને પકડીને પોતાની રાજનીતિ આગળ વધારશે. તેને બિહાર અને કર્ણાટકમાં રાજકીય લાભ પણ મળ્યો. હવે મધ્ય પ્રદેશમાં પણ આ જ લાભનું પુનરાવર્તન કરવા માંગે છે. જાતિ ગણનાની આ રમત પાછળનું કારણ ઓ.બી.સી. આરક્ષણ માનવામાં આવે છે કારણ કે તેમાં સમાવિષ્ટ જાતિઓનું કહેવું છે કે વર્તમાન સમયમાં તેમની સંખ્યા વધી છે, પરંતુ અનામતની મર્યાદા વધી નથી. કાઁગ્રેસ પણ ઓ.બી.સી.માં હા પુરાવે છે. કમલનાથે પોતે 27 ટકા અનામત આપવાની વાત કહી છે. કમલનાથ પહેલાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર દ્વારા પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળી શકી ન હતી.

ગુજરાત કાઁગ્રેસ પણ ઓ.બી.સી. કાર્ડનો ઉપયોગ કરી રહી છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણીને લઈને કાઁગ્રેસે મંગળવારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાઁગ્રેસે સ્થાનિક સંસ્થાઓમાં અનામતની જરૂરિયાત સહિત અન્ય પછાત વર્ગોને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે ધરણામાં ભાગ લેવા શાસક ભા.જ.પ.ના વરિષ્ઠ OBC રાજકારણીઓને આમંત્રણ આપ્યું છે.

રાજ્ય કાઁગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટીએ તમામ સમુદાયો, તમામ ધર્મો અને તમામ પક્ષોના રાજકીય નેતાઓને ઓ.બી.સી.ને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. સ્વાભિમાન ધરણાએ જાતિ આધારિત વસ્તી ગણતરી સહિત ચાર માંગણીઓ ઉઠાવી હતી. ચાવડાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતના અમલીકરણ, ઓ.બી.સી. માટે રાજ્યના બજેટના 27 ટકાની ફાળવણી અને સહકારી મંડળીઓમાં અનામત મુજબ બેઠકોની ફાળવણી કરવાની માંગ કરી છે.

વિપક્ષ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે તેની સામે ભા.જ.પ. વિશ્વકર્મા યોજના લાવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે ઓ.બી.સી.ના ઘણા સમુદાયોને નવી શક્તિ આપવા માટે ‘વિશ્વકર્મા યોજના’ આવતા મહિને વિશ્વકર્મા જયંતી(17 સપ્ટેમ્બર)ના અવસર પર શરૂ કરવામાં આવશે.

દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાને રાજકીય હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ યોજના 18 પ્રકારના પરંપરાગત કામદારો માટે છે. સરકાર તેમને માત્ર 5 ટકા વ્યાજના દરે લોન આપશે. આ યોજનાની મદદથી 30 લાખથી વધુ કામદારોને આગળ વધવાની તક મળશે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજનાને મોદી સરકાર માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

ઓ.બી.સી. સમુદાયોના ઉત્થાન માટેના સકારાત્મક કદમનાં 25 વર્ષ પછી પણ મંડલનો વિચાર હજુ એટલો જ પ્રભાશાળી રહ્યો છે. દિલીપ મહસ્કે પેલા લેખમાં લખે છે, “ચંદ્રયાન-3 જેવા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવા માટે ભારત સરકારનો ઉત્સાહ રાષ્ટ્રવ્યાપી જાતિ ગણના કરવાની તેની અનિચ્છાથી વિપરીત છે. ચંદ્રયાન-3 એક તરફ પ્રથમ બ્રહ્માંડ પર વિજય મેળવવાની રાષ્ટ્રની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, જ્યારે જાતિ ગણના સામાજિક અસમાનતાઓનો સામનો કરવાની તેની ઇચ્છા વિશે ગંભીર આત્મનિરીક્ષણની પ્રેરણા આપે છે. એક તરફ આપણે તારાઓ સુધી પહોંચી રહ્યા છીએ, પણ બીજી તરફ જમીન પરના સાથી નાગરિકોના જીવંત અનુભવોને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ.”

લાસ્ટ લાઈન:

“ગાંધી, નહેરુ અને સૌએ સ્થિતિ સુધારવાની કોશિશ કરી હતી. તેમણે ઘણા આર્થિક અને સામાજિક વિભાજનો તોડવાની કોશિશ કરી હતી, પણ જડતા અને વ્યવસ્થા આડે આવી હતી.”

— વી. પી. સિંહ, પૂર્વ વડા પ્રધાન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 27 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...875876877878...890900910...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved