Opinion Magazine
Number of visits: 9457868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“મજદૂર કા પસીના સુખને સે પહેલી ઉસકી મજદૂરી મિલ જાની ચાહીએ, જનાબ.”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 August 2023

રાજ ગોસ્વામી

તમે કેટલી વખત તમારા ઈસ્ત્રીવાળાને કહ્યું હશે કે બિલ બે દિવસ પછી લઇ જજે? તમે તમારા ફેરિયાને કેટલી વખત એવું કહ્યું હશે કે પેપરના પૈસા કાલે લઇ જજે? તમે તમારા કેબલવાળાને પણ એવું કહ્યું હશે કે કેબલના પૈસા આવતા બિલમાં સાથે આપીશ. આપણા ઘરે કામ કરવા આવતા કે સેવા પ્રદાન કરવા આવતા માણસોને તેમની મહેનત અને સેવાના પૈસાની ચુકવણીમાં ‘આજે નહીં પણ કાલે’ કરવાની આપણા સૌમાં સહજ વૃતિ હોય છે.

આપણને તેમાં અજુગતું લાગતું નથી. મહેનતના પૈસા ચુકવવામાં આમતેમ થાય એ બહુ મોટી વાત નથી અને કામ કરવાવાળા લોકો પણ લાંબા ગાળાના વ્યવસાયિક સંબંધોની જાળવણી માટે થઈને એ ચલાવી પણ લે છે, પરંતુ કોમ્યુનિસ્ટ વિચારધારામાં આ જ બાબતને મજદૂરોના શોષણ તરીકે જોવાઈ હતી.

આ વાતને, 1983માં આવેલી અમિતાભ બચ્ચનની બહુચર્ચિત ફિલ્મ ‘કૂલી’માં બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી. ‘કૂલી’ ફિલ્મ બચ્ચનના લગભગ ઘાતક કહી શકાય તેવા અકસ્માતના કારણે બહુ ચર્ચામાં રહી હતી. એ બોક્સ ઓફિસ પર સુપરહિટ પણ એટલે જ નીવડી કે અમિતાભ તેના શુટિંગ દરમિયાન જખ્મી થઈને મરતાં-મરતાં બચ્યા હતા.

26 જુલાઈ 1982ના રોજ બેંગલોર યુનિવર્સિટી કેમ્પસમાં, સહ-કલાકાર પુનિત ઇસ્સર સાથેના ફાઈટ-સીનમાં ટેબલનો ખૂણો તેમના પેઢુમાં એવો જબ્બર રીતે વાગ્યો હતો કે છ મહિના સુધી તે સારવાર હેઠળ રહ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અમિતાભ થોડી મિનિટો માટે ‘ક્લિનિકલી ડેડ’ પણ થઇ ગયા હતા. એ દિવસોમાં વડા પ્રધાન(ઇન્દિરા ગાંધી)થી લઈને આમ જનતા સુધી સૌએ તેમના જીવતદાન માટે અનેક પ્રાર્થનાઓ કરી હતી.

છ મહિના પછી, જાન્યુઆરી મહિનાથી, ફિલ્મના નિર્દેશક મનમોહન દેસાઈએ ‘કૂલી’નું શુટિંગ ત્યાંથી જ ફરી શરૂ કર્યું, જેમાં અમિતાભને જીવલેણ અકસ્માત થયો હતો. છ મહિના પછી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે થિયેટરોના પડદા પર એ શોટ સ્થિર કરી દેવામાં આવ્યો હતો જ્યાં હીરોને પેટમાં વાગ્યું હતું. કહેવાની જરૂર નથી કે ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

મૂળ સ્ક્રીપ્ટમાં અમિતાભ બચ્ચન ફિલ્મના વિલેન કાદર ખાનની ગોળીથી મૃત્યુ પામે છે, પરંતુ અકસ્માત પછી દેશના લોકોમાં અમિતાભ માટે એટલી બધી સહાનુભૂતિ હતી કે મનમોહન દેસાઈએ તેનો અંત બદલી નાખ્યો અને હીરોને હાજી અલીની દરગાહમાં અલ્લાહના નામે છાતી પર અનેક ગોળીઓ ઝીલીને જીવી જતો બતાવ્યો હતો. છેલ્લે, ઇકબાલ સાજો થઈને એ જ રીતે રેલવે હોસ્પિટલની બાલ્કનીમાં કૂલીઓ સામે આવે છે જે રીતે અમિતાભ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર ચાહકો સામે આવ્યા હતા.

‘કૂલી’ ફિલ્મની રીલ-લાઈફ અને રીયલ-લાઈફ ભેગી થઇ ગઈ એમાં સિને પ્રેમીઓઓનું સમગ્ર ધ્યાન ફિલ્મના હીરો ઇકબાલ ખાન પર જ રહ્યું, પણ એમાં ફિલ્મની અમુક બારીક વાતો નજર બહાર રહી ગઈ. જેમ કે, ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ વિચારધારાનો હેવી ડોઝ હતો. મનમોહન દેસાઈ મસાલા ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મો બનાવાનો તેમનો મુખ્ય હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો અને પૈસા કમાવાનો હતો.

તેમ છતાં, તેમની ‘કૂલી’માં પૂંજીપતિઓ અને શ્રમજીવીઓ વચ્ચેના સંઘર્ષને માર્મિક રીતે પેશ કરવામાં આવ્યો હતો. અમિતાભે ઘણી ફિલ્મોમાં એન્ગ્રી યંગ મેન અથવા વન-મેન આર્મીની ભૂમિકાઓ કરી છે, પરંતુ મનમોહન દેસાઈએ ‘કૂલી’માં પહેલીવાર તેને વર્કિંગ ક્લાસ હીરો તરીકે રજૂ કર્યો હતો. એક તો એ અનાથ છે. તેની માતા સલમા (વહીદા રહેમાન) સાથે મૂડીવાદી ખલનાયક ઝફર ખાન (કાદર ખાન) અન્યાય કર્યો છે. ઇકબાલ એક રેલવે કૂલીને ત્યાં ઉછરે થાય છે. એ કૂલી તરીકે મોટો થાય છે અને રેલવે પ્લેટફોર્મ પર એક ટ્રેનના આગમન વખતે તેને એ જ નાલાયક ઝફર અને તેના બદતમીઝ દીકરા વિકી(સુરેશ ઓબેરોય)નો ભેટો થાય છે. એ દૃશ્યમાં અમિતાભની પહેલીવાર ‘એન્ટ્રી’ થાય છે.

આ દૃશ્ય બહુ અગત્યનું છે. આ પહેલાં જ દૃશ્યમાં મનમોહન દેસાઈ ફિલ્મની વાર્તાના વર્ગ-વિગ્રહને નાટ્યાત્મક રીતે રજૂ કરે છે. કૂલીઓની જિંદગી કેવી છે તેનો પરિચય અહીથી થાય છે. ઈકબાલ તેમનો નેતા છે. ઝફર અને વિકી પૂંજીપતિઓના પ્રતિનિધિ છે. પ્લેટફોર્મ પર જ બંને વર્ગ વચ્ચે સંઘર્ષ થાય છે. ફિલ્મી બોલચાલની ભાષામાં આપણે જેને ‘નંબરિયાં’ કહે છે તે ટાઈટલ્સની શરૂઆત જ અમિતાભના ‘હડતાળ’ના આહ્વાન સાથે થાય છે.

પૂંજીપતિ બાપ-દીકરો એક કૂલી સાથે ગેરવ્યવહાર કરે છે અને ઇકબાલની આગેવાનીમાં કૂલીઓ પ્લેટફોર્મ પર હડતાળ કરે છે. એ વખતે ઇકબાલ એક યાદગાર સંવાદ બોલે છે; “મજદૂર કા પસીના સુખને સે પહેલી ઉસકી મજદૂરી મિલ જાની ચાહીએ, જનાબ.” અમિતાભના લાર્જર ધેન લાઈફ ચારિત્ર્યનાં કારણે આ સંવાદ બહુ ઓછા લોકોના ધ્યાનમાં રહ્યો હશે, પરંતુ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એમાં સમાયેલો છે.

ફિલ્મના લેખક કાદર ખાને આ સંવાદ લખ્યો હતો. કાદર ખાન અભ્યાસુ લેખક હતા. તેમણે ઇસ્લામિક શાસ્ત્રો અને કોમ્યુનિસ્ટ સાહિત્ય સારું એવું વાંચ્યું હતું. ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ અને સૂફી પરંપરાનાં ઘણાં પ્રતીકોનો ખૂબસુરતીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ કે, હાજી અલીની દરગાહના અંતિમ દૃશ્યમાં ઇકબાલ ‘શાહદા’ (લા ઈલ્લાહા ઇલ્લ લાહ) બોલતાં-બોલતાં ઝફરનો પીછો કરે છે. ઝફરને ધક્કો મારતી વખતે ઇકબાલ ‘તદબીર’ (અલ્લાહુ અકબર) બોલે છે. ઇકબાલના બાવડા પર કૂલીનો બેઝ છે તેમાં ઇસ્લામનો પવિત્ર નંબર 786 છે.

તેવી જ રીતે, ઇકબાલ જ્યારે વિકીના વૈભવી ઘરમાં તોડફોડ કરે છે ત્યારે તેની હાથમાં દાતરડુ અને હથોડો હોય છે. દાતરડુ અને હથોડો રશિયન ક્રાંતિ વખતે શ્રમજીવીઓ અને ખેડૂતોની લડતનું પ્રતીક હતું. ‘મધર ઇન્ડિયા’ નામની સુપરહિટ ફિલ્મ બનાવનારા મહેબૂબ ખાનની ફિલ્મ કંપનીના લોગોમાં દાતરડુ અને હથોડો હતો. એમની ફિલ્મોમાં પડદા પર લોગો ઉભરે ત્યારે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો – “મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ.”

મનમોહન દેસાઈએ એ જ પ્રતીકોનો ઉપયોગ કરીને ‘કૂલી’ ફિલ્મના પોસ્ટર્સમાં દાતરડુ અને હથોડો સાથે અમિતાભનું ચિત્ર મુક્યું હતું. બાકી હોય તેમ, કૂલી તરીકે તેનો લાલ યુનિફોર્મ કોમ્યુનિસ્ટ ક્રાંતિનો પણ રંગ હતો. અમિતાભને અકસ્માત ન થયો હોત અને મનમોહન દેસાઈએ લોકોને રીઝવવા માટે ફિલ્મનો અંત બદલ્યો ન હોત તો, શ્રમજીવી વર્ગના કલ્યાણ માટે શહીદ થઇ જતા નાયકના રૂપમાં ઇકબાલ અમર થઇ ગયો હોત.

મજાની વાત એ છે કે ‘કૂલી’નું નિર્માણ એ જ વખતે થયું હતું જ્યારે મુંબઈમાં સૌથી મોટી મિલ હડતાળ પડી હતી અને બે વર્ષ ચાલી હતી. ક્રાંતિકારી મજદૂર નેતા દત્તા સામંતની આગેવાનીમાં અઢી લાખ મિલ મજદૂરોએ કામ બંધ કરી દીધું હતું, જેના કારણે 8 લાખ લોકોને તેની સીધી અસર પડી હતી. એ હડતાળથી મુંબઈના સામાજિક-રાજકીય સમીકરણો બદલાઈ ગયાં હતાં.

મનમોહન દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે મુંબઈના વી.ટી. સ્ટેશન પર લાલ કૂર્તા, સફેદ ધોતી, બાવડા પર બિલ્લા અને મોઢામાં બીડીવાળા કૂલી જોયા હતા. એ લોકો એક સાથે પ્લેટફોર્મ પર બેસતા અને રાત પડે બધાના પૈસા એક ચાદરમાં ભેગા કરીને સરખા ભાગે પહેંચી દેતા. તેમણે અમિતજીને અમર, અકબરમાં એન્થનીમાં બૂટલેગર અને નસીબમાં વેઈટર બનાવ્યા હતા પણ કૂલીઓને જોયા પછી તેમને ઇકબાલનું પાત્ર સુજ્યું હતું.

એક રસપ્રદ વાત એ છે કે કાદર ખાને ઇકબાલ માટે જે સંવાદ લખ્યો હતો તે વાસ્તવમાં મહોમ્મદ પૈગમ્બરે કહેલી વાત છે. આજથી 1450 વર્ષ પહેલાં, અરબમાં ગુલામો પાસે મજદૂરી કરાવવામાં આવતી હતી ત્યારે, ઇસ્લામનો પૈગામ આપવાનું કામ કરતા હજરત અલીએ લોકોને સલાહ આપી હતી કે, “મજદૂરોની મજદૂરી તેમનો પરસેવો સુકાઈ જાય તે પહેલાં અદા કરી દો.” ઇસ્લામના અભ્યાસુ અને ખુદ પોતે દારુણ ગરીબીમાંથી મોટા થયેલાં કાદર ખાને એ વાતને ઇકબાલના મોઢે મૂકીને તેને અમર બનાવી દીધી હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 30 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અત્યંત મૂલ્યવાન અઢી દાયકા ભારતે વેડફી નાખ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2023

રમેશ ઓઝા

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ લશ્કરી અને આર્થિક એમ બન્ને રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. અમેરિકા અને પશ્ચિમના મૂડીવાદી દેશોએ આપસી લશ્કરી સહયોગ માટે ૧૯૪૯માં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન(NATO)ની સ્થાપના કરી હતી. એમાં ત્રીસ દેશો હતા અને તેનો ઉદ્દેશ સામ્યવાદનો અને સામ્યવાદી દેશોનો મુકાબલો કરવાનો હતો. ૧૯૫૫માં સામ્યવાદી દેશોએ વોરસો સમજૂતી કરીને કલેક્ટીવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની રચના કરી હતી અને તેનો ઉદ્દેશ મૂડીવાદનો અને મૂડીવાદી દેશોનો લશ્કરી અને વૈચારિક મુકાબલો કરવાનો હતો. દેખીતા યુદ્ધ વિના મૂડીવાદી અને સામ્યવાદી દેશોએ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી હતી એટલે એ યુગ શીતયુદ્ધ તરીકે ઓળખાતો હતો. એવા કેટલાક દેશો પણ હતા જે નહોતા મૂડીવાદી કે નહોતા સામ્યવાદી. તેને લશ્કરી હરીફાઈમાં રસ નહોતો અને પોતાની ભૂમિ બન્નેમાંથી કોઈ પણ બ્લોકને વાપરવા દેવા ઇચ્છતા નહોતા. આવા તટસ્થ દેશોએ ૧૯૬૧માં એક બ્લોકની રચના કરી હતી જે નોન એલાઈન્ડ મૂવમેન્ટ તરીકે ઓળખાય છે.

અત્યારે ૭૦ વરસ પછી સ્થિતિ એવી છે કે નાટોના સભ્ય દેશો યુક્રેનને આગળ કરીને રશિયા સામે લડી રહ્યા છે. સામ્યવાદી બ્લોકનું ૧૯૯૧ પછી વિસર્જન કરવામાં આવ્યું છે અને તટસ્થ દેશોના બ્લોકની હવે કોઈ પ્રાસંગિકતા રહી નથી.

આર્થિક રીતે પણ જગત ત્રણ હિસ્સામાં વહેંચાયેલું હતું. મૂડીવાદી શ્રીમંત દેશો પહેલા વિશ્વ તરીકે ઓળખાતા હતા. સામ્યવાદી દેશો બીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા અને ભારત અને ચીન જેવા વિકાસશીલ અને બીજા અવિકસિત ગરીબ દેશો ત્રીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા. આ વર્ગીકરણ અલબત્ત સંદિગ્ધ હતું.

૧૯૯૧ પછી જગતે કરવટ બદલી. સામ્યવાદી દેશોનું બીજું વિશ્વ જગતનાં નક્શામાંથી ગાયબ થઈ ગયું અને બીજા વિશ્વનાં દેશો વિકાસશીલ કે ગરીબ દેશોની પંક્તિમાં મૂકવામાં આવ્યા. રશિયાની ગણતરી અત્યારે વિકાસશીલ દેશ તરીકે થઈ રહી છે. બીજી બાજુ મૂડીવાદી દેશોનો આર્થિક વિકાસનો રથ થંભી ગયો. ત્રીજી તરફ ચીન, ભારત, બ્રાઝિલ જેવા એક સમયે ત્રીજા વિશ્વમાં સ્થાન ધરાવતા હતા એ દેશોનો આર્થિક વિકાસનો દર ઝપાટાભેર વધવા લાગ્યો. અર્થશાસ્ત્રીઓ એમ કહેવા લાગ્યા કે ૨૧મી સદી આ દેશોની હશે. તેની પાસે મોટી વસ્તી (વપરાશકાર) છે અને મોટું માર્કેટ છે. સસ્તા ભાવમાં શ્રમિકો મળે છે એટલે ઉત્પાદન સસ્તું પડે છે અને માટે કોઈ શ્રીમંત દેશ તેનો મુકાબલો કરી શકશે નહીં. ઉત્પાદક અને વપરાશકાર બન્ને એક જગ્યાએ હોય ત્યાં કોઈ શું હરીફાઈ કરી શકવાનું!

વાત બિલકુલ સાચી હતી. ૧૯૮૦ના દાયકામાં કોઈએ કલ્પના નહોતી કરી કે ત્રીજા વિશ્વના દેશો એક દિવસ જગતમાં આર્થિક રીતે સરસાઈ ધરાવશે. પણ એ દેશોની પોતીકી, આપસી, ભૌગોલિક અને એક જ શ્રેણીના હોવા છતાં સામૂહિક સમસ્યાઓ હતી અને છે. અમુક દેશોમાં તાનાશાહી, અમુક દેશોમાં લોકશાહી, અમુક દેશોમાં આંશિક લોકશાહી અને આશિંક તાનાશાહી, અમુક દેશોમાં રાજકીય અસ્થિરતા, અમુક દેશોમાં વાંશિક અને ધાર્મિક વિખવાદ અને અથડામણો, મોટાભાગના દેશોમાં નિર્ણયોને અવરોધનારી નોકરશાહી અને પ્રચંડ ભ્રષ્ટાચાર. ટૂંકમાં ૨૧મી સદી જેના નામે ઉધારવામાં આવી હતી એ ઉપર કહી એવી કેટલીક મર્યાદાઓથી ગ્રસ્ત અને ત્રસ્ત હતા.

૨૧ મી સદી જો આપણી હોય તો આપણે સંગઠિત થવું જોઈએ, આપસી સહકાર વધારવો જોઈએ અને હજુ વધુ જોર મારવું જોઈએ એવો કેટલાક લોકોનો આગ્રહ હતો. આખરે ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વિશ્વની ૨૭ ટકા ભૂમિ, ૪૨ ટકા વસ્તી અને વિશ્વની જી.ડી.પી.માં ૨૮ ટકાનો હિસ્સો ધરાવે છે. આ પાંચ દેશો ગ્રુપ ૨૦ના સભ્યો પણ છે. ૨૦૦૧ની સાલમાં ગોલ્ડન સાચ નામની રેટિંગ એજન્સીના અર્થશાસ્ત્રી જિમ ઓનીલે ૨૧મી સદીના ટાઈગર દેશો વચ્ચે સહયોગની કલ્પના રજૂ કરી હતી અને અંતે BRICKS(બ્રિક્સ)ની રચના કરવામાં આવી હતી. શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એમ ચાર દેશો સાથે કરવામાં આવી હતી અને ૨૦૧૦ની સાલમાં તેમાં દક્ષિણ આફ્રિકાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. BRICK નામનો બ્લોકમાં ફેરવાયો હતો.

૨૧મી સદી બેઠી ત્યારે બ્રિક્સ દેશોમાં સૌથી વધુ અપેક્ષા ભારત અને ચીન પાસેથી હતી. બન્ને વિશાળ વસ્તી અને વિશાળ કદના દેશો. આમાં પશ્ચિમના દેશો અને બહુરાષ્ટ્રીય કંપનીઓની અપેક્ષા ભારત પાસેથી વધુ હતી. મૂડીવાદને માફક આવે એવો ખુલ્લો સમાજ, લોકશાહી દેશ, ભલે લકવાગ્રસ્ત પણ કાયદાનું રાજ, જાગતિક સમજૂતીઓ અને મર્યાદાઓનું પાલન કરે, વગેરે ભારતની જમા બાજુ હતી. સામે ચીનની આબરૂ માથાભારે દેશ તરીકેની કોડીની. ચીન સામે ભારતને ઊભું કરવા જગતનાં શ્રીમંત દેશોએ ઘણી કોશિશ કરી હતી. પણ ઉપર કહ્યું એમ બ્રિક્સના સભ્ય દેશોની પોતપોતાની સમસ્યાઓ હતી અને એમાં ભારતની સમસ્યા ચીનની તુલનામાં જટિલ હતી. ભારત તેનો ઉકેલ નહીં લાવી શક્યું અને ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નિકળી ગયું હતું. આજે ચીન માત્ર આર્થિક રીતે જ નહીં પણ લશ્કરી રીતે પણ જગતમાં એક મહાસત્તા બની ગયું છે. અત્યંત મૂલ્યવાન અઢી દાયકા ભારતે વેડફી નાખ્યા.

શું ભારતની સમસ્યાઓ એટલી બધી જટિલ હતી કે તેને ઉકેલી ન શકાય? ઉકેલી શકાય એમ હતી તો કેમ નહીં ઉકેલાઈ? ચીનની લગોલગ ઊભા રહેવાની તક ભારતે કેમ ગુમાવી !

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2023

Loading

તેઓ સામસામા સ્કોર કરે છે ઊંચનીચમુક્ત સમાજ માર્યો ફરે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 August 2023

રાજ્યમાં ઓ.બી.સી. અનામત

સોલંકીનો ખામ વિક્રમ તોડી નહિ શકનાર પણ 2002થી સળંગ ચૂંટણી જીતનાર મોદીવ્યૂહ મંડલમંદિરના જોડાણ પર વિકાસના વરખનો હતો 

પ્રકાશ ન. શાહ

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત કરી તે સાથે ભા.જ..પ અને કાઁગ્રેસ વચ્ચે રાબેતા મુજબની સામસામી આતશબાજી આપણે જોઈ રહ્યા છીએ. બંને બાજુની વિગતોમાં તારતમ્યને ધોરણે સત્યાંશ હોઈ શકે છે, પણ સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસ અને વર્તમાન સત્તાપક્ષ ભા.જ.પ. બેઉ જે એક મુદ્દે કસુરવાર અને જવાબદાર છે તે એ કે સ્વરાજના આઠ દાયકા લગોલગ છીએ ત્યાં લગી આવી જોગવાઈઓ જરૂરી લાગે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે.

નાત-જાત કોમલિંગ ધરમમજહબ એક્કે ભેદભાવ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એક ઐતિહાસિક નિર્ણય હતો. દલિત અધિકારના લડવૈયા, ક્યારેક આદિવાસ મતાધિકાર બાબતે મોળા વરતાયેલા આંબેડકરે બંધારણ પાઇલટ કરતી વખતે ન તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને મુદ્દે આદિવાસીઓ જોડે ભેદભાવનું વલણ દાખવ્યું હતું, ન તો સવર્ણને એક મત અને દલિતને બે મતની ભાષામાં વાત કરી હતી. ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળા સમસ્ત છતે ભાગલે ધરમમજહબના ભેદ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને પુરસ્કારતી હતી. સમાજમાં ઊંચનીચ અને ભેદભાવ એક વાસ્તવિકતા છે અને સાર્વત્રિક મતાધિકારનો યથાર્હ તથા યથાર્થ ભોગવટો શક્ય બને તે માટે અનામત સહિતની જોગવાઈઓનું ચોક્કસ લૉજિક સ્વીકારાયેલું છે.

પાકિસ્તાનના વિધિવત્ ઠરાવ પૂર્વે મોહમ્મદ અલી ઝીણાએ ઉછાળેલો એક મુદ્દો એ હતો કે ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ અને લેબર બે મુખ્ય પક્ષો છે, અને લિબરલ પક્ષ પણ છે. ત્યાં આજે લેબર તો આવતીકાલે કૉન્ઝર્વેટિવ એમ પલટો અને વિકલ્પ શક્ય છે. પણ હિંદમાં આજે હિંદુઓ ને કાલે મુસ્લિમો એવો સત્તાપલટો ક્યાં શક્ય છે ? અહીં તો હિંદુઓ કાયમી બહુમતી છે, અને મુસ્લિમો કાયમી લઘુમતી છે. વસ્તુતઃ ઝીણાની દલીલ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના લોકશાહી અભિગમ પ્રમાણે ગ્રાહ્ય નહોતી, કેમ કે મતદારે પસંદ કરવાનો છે. તે હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી નથી, ન તો વાણિયા – બ્રાહ્મણ – દલિત પણ છે. મતદારે તો કાર્યક્રમ ને ચારિત્ર્ય આધારિત પસંદગી કરવાની છે.

આવી પસંદગીમાં સુવાણ વાસ્તે કેટલોક સકારાત્મક અગ્રતાવિવેક કેળવવો રહે છે. અનામત તરેહની જોગવાઈઓ આમાંથી આવે છે. આપણને સવર્ણ-અવર્ણ અંતર સમજાતું હોય તો પણ, જેમ કે, કથિત સવર્ણ સમુદાય માંહેલા ઊંચનીચ પકડાતાં નથી. હિંદુ ધર્મમાંથી મુક્તિની લાહ્યમાં મુસ્લિમ તો થતા, પણ તમે બ્રાહ્મણમાંથી થયેલા મુસ્લિમ કે કથિત નીચલી પાયરીએથી આવેલા મુસ્લિમ, એવું જ ખ્રિસ્તીઓમાં પણ – વિનોબાએ આબાદ કહેલું કે જો જાતી હિ નહીં વો જાતિ હૈ.

હું નથી ગાંધીવાદી કે નથી માર્ક્સવાદી એમ કહેતા ઝુઝારુ એટલા જ સ્વાધ્યાય પ્રવણ સમાજવાદી લોહિયા નવા સમાજની દૃષ્ટિએ ‘પિછડોંકી રાજનીતિ’ના સમર્થક હતા. ચરણસિંહના રાજકારણમાં એ મુદ્દો અંશતઃ અલબત્ત ટૂંકનજરી રાહે પણ ઊભર્યો અને જેપી આંદોલનોત્તર માહોલમાં તે બિહારમાં લાલુ અને ઉત્તર પ્રદેશમાં મુલાયમને ફળ્યો.

જો કે, રાષ્ટ્રીય રાજકારણમાં એનો યશ કે જવાબદારી કાઁગ્રેસનીમ્યા મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત સારુ વિશ્વનાથ પ્રતાપ સિંહને નામે જમે બોલે છે.

ગુજરાતમાં તે પૂર્વે બક્ષીપંચ અને સવિશેષ તો માધવસિંહ સોલંકી પ્રણિત ખામ વ્યૂહ પણ આ સંદર્ભમાં સંભારવાં રહે છે. માધવસિંહના ક્ષત્રિય (K), હરિજન (H) આદિવાસી (A) અને મુસ્લિમ (M) એમ ‘ખામ’ સાથે ભા.જ.પે. કરેલી સર્જરી ‘ખાસ’ની હતી, મુસ્લિમને સ્થાને સવર્ણ (S) મૂકીને. એમનો વિક્રમ નહીં તોડી શકનાર પણ 2002થી સળંગ ચૂંટણીઓ જીતનાર મોદીવ્યૂહ મંદિરમંડલના જોડાણ ઉપર વિકાસના વરખનું હતું.

ગાંધીના સત્યાગ્રહી દર્શન, લોહિયાના સપ્તત્રાંતિ દર્શન કે જેપીના સંપૂર્ણ ક્રાંતિ દર્શન સિવાયનાં આ ઝાવાં આને કે તેને ફળે, પણ નાગરિક તો શોધ્યો જડે તો જડે. નેતૃત્વ, નેતૃત્વ, તું ક્યાં છો.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023

Loading

...102030...874875876877...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved