Opinion Magazine
Number of visits: 9666145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપ કી કસમ : પત્ની ગુમાવ્યાની નહીં, વિશ્વાસ ગુમાવ્યાની પીડા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 December 2023

રાજ ગોસ્વામી

પતિ-પત્ની વચ્ચે પેદા થતા ખટરાગ પર ફિલ્મ બનાવવી સરળ અને અઘરું બંને છે. સરળ એટલા માટે કે એમાં એક વ્યક્તિને (મોટાભાગે પતિને) દોષિત અથવા દુષ્ટ ચીતરીને દર્શકોની સહાનુભૂતિ એકઠી કરી શકાય છે. અઘરું એટલા માટે કે અંતરંગ સંબંધો ઘણા જટિલ હોય છે અને તેને ક્યારે ય બ્લેક એન્ડ વ્હાઈટમાં વિભાજીત કરીને ન્યાય આપી ન શકાય. મહેશ ભટ્ટ, ગુલઝાર, ઋષિકેશ મુખર્જી, બાસુ ભટ્ટાચાર્ય જેવા નિર્દેશકોએ વૈવાહિક જીવનમાં લાગણીઓ અને વિચારોના ઘર્ષણને તટસ્થ રીતે બહાર લાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ મોટા ભાગના ફિલ્મ સર્જકો એવી ગહેરાઈમાં જતા નથી કારણ કે તેમને માત્ર દર્શકોનું મનોરંજન કરીને બોક્સ ઓફિસ પર પૈસા બનાવવામાં રસ હોય છે.

જે. ઓમ પ્રકાશ આ બીજા વર્ગના સર્જક હતા. સ્વતંત્ર નિર્માતા તરીકે તેમની પહેલી જ ફિલ્મ, “આપ કી કસમ” (1974), વિષયને લાગેવળગે છે ત્યાં સુધી, એક સરેરાસ ફિલ્મ હતી, પરંતુ સંગીતકાર રાહુલ દેવ બર્મન અને ગીતકાર આનંદ બક્ષીએ તેમની શાનદાર સર્જનાત્મકતાની મદદથી ફિલ્મને સુપરહિટ બનાવી દીધી હતી.

આમ પણ, જે. ઓમ પ્રકાશની મોટાભાગની ફિલ્મોમાં એ પુરવાર થયું હતું કે તેઓ સાધારણ વાર્તાઓમાં મધુર સંગીત રચતા હતા. જેમ કે, આઈ મિલાન કી બેલા, આયે દિન બહાર કે, આયા સાવન ઝૂમકે, આંખો આંખો મે, આપ કી કસમ, આક્રમણ, અપનાપન, આશા, આશિક હું બહારો કા, આખિર ક્યોં? અને આસપાસનાં ગીતો બેહદ સુંદર હતાં.

લઘુતાગ્રંથિથી પીડાતા પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તેવા બહુ પાતળા વિષય પર બનેલી ‘આપ કી કસમ’માં, મોટા ભાગની ફિલ્મોમાં બનતું આવ્યું હતું તેમ, સુપરસ્ટાર રાજેશ ખન્ના તો સુપરસ્ટારના રોલમાં હતો, પણ મુમતાઝ પાસેથી જે. ઓમપ્રકાશે દમદાર અભિવ્યકિત કરાવીને સાચે જ ખન્નાને લઘુતાનો અનુભવ કરાવી દીધો હતો.

‘આપ કી કસમ’ તે વખતે ૨૭ વર્ષની મુમતાઝની શ્રેષ્ઠ ફિલ્મ છે અને તેણે ‘કાકા’નો બરાબર મુકાબલો કર્યો હતો. એ રોમેન્ટિક પ્રેયસી તરીકે જેટલી ચુલબુલી અને આકર્ષક હતી, તેટલી જ તે પતિની વાહિયાત શંકાનો ભોગ બનેલી જખ્મી પત્ની તરીકે પ્રેક્ષકોની સહાનુભૂતિ લઇ ગઈ હતી. એ જમાનામાં પત્ની તેના પતિના ગાલ પર તમાચો મારીને ઘરની બહાર નીકળી જાય એવું જે. ઓમપ્રકાશ જ વિચારી શકે.

એ તો દરેક વાર્તામાં છેલ્લે મરી જવાની ‘કાકા’ની જીદના કારણે ‘આપ કી કસમ’માં ય પલડું એના તરફ નમી ગયું. છેલ્લે, ભૂતપૂર્વ પત્નીની દીકરીને લગ્ન મંડપની આગમાંથી બચાવવા જતાં ખુદ સળગી ગયેલો પતિ, જાણે પત્નીની માફી માંગતો હોય તેમ, તેના પગમાં પોતાનો હાથ ફેલાવે છે અને પ્રાણ છોડી દે છે, એ દૃશ્ય કાકાના ચાહકો માટે યાદગાર હતું. બાકી, ફિલ્મનો જો બીજો કોઈ અંત હોય, તો કાકાએ ફરી મુમતાઝ સાથે કામ કરવાનું એ જ રીતે નામ ના લીધુ હોત, જે રીતે તેણે ‘આનંદ’માં પણ છેલ્લે મરી ગયા પછી અમિતાભ સાથે કામ કરવાની તોબા લઇ લીધી હતી.

ફિલ્મમાં ખરી કમાલ આનંદ બક્ષી, આર.ડી. બર્મન અને કિશોર કુમાર-લતાની હતી. ‘કરવટે બદલતે રહે…,’ ‘જય જય શિવ શંકર…’ અને ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ…’ આજે ય પણ એટલાં જ મધુર અને તરોતાજાં લાગે તેવાં ગીત છે. ત્રણેનું શુટિંગ કાશ્મીરમાં થયું હતું. રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રાહુલ દેવ બર્મન ક્રિયેટીવિટીની ત્રિમૂર્તિ જેવા હતા.

એમાં ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ’ ગીત ફિલ્મમાં કલગી સમાન તો છે જ, પણ કિશોર કુમારની કારકિર્દીનું પણ શ્રેષ્ઠ ગીત છે. પંચમ આ ગીતને આનંદ બક્ષીનું સૌથી શ્રેષ્ઠ ગીત ગણાવે છે.

આ ગીત માટે આનંદ બક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મુશ્કિલ સિચ્યુએશન થી … રાજેશ કો શક હોતા હૈ અપની બીવી ઔર દોસ્ત પર … ઔર વો ઘર સે ચલા જાતા હૈ. ચાર-પાંચ મિનિટ કે સોંગ મેં વો જવાન સે બુઢા હો જાતા હૈ, સમય ગુજર જાતા હૈ. અબ, ઇસ પર ગાના લીખના થા. ઇસકી ટ્યુન ગાને કે બાદ બની થી … કઈ દફા લિખા ઔર ફાડ દિયા … લેકિન ફિર આ ગયા.”

અને એ કેવું આવ્યું! જે. ઓમપ્રકાશે આખો સીન કલ્ય્પો હતો. આનંદ બક્ષી અને રાહુલ દેવ બર્મને એનું ગીત તૈયાર કર્યું. કિશોર કુમારે એમાં મોણ નાખ્યું. આખું ગીત નિરાશાજનક અને ફિલોસોફીકલ છે. સાંભળો તો એવું લાગે જાણે બક્ષી, બર્મન અને કિશોર ત્રણે જણા નાયક કમલ ભટનાગરના દિલ-દિમાગની ગહેરાઈમાં ડૂબકી મારીને પાછા આવ્યા હોય. 

ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ

પતઝડ મેં જો ફૂલ મૂરઝા જાતે હૈ

વો બહારો કે આને સે ખિલતે નહીં

કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ

વો હજારો કે આને સે મિલતે નહીં

ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

જિંદગી કે સફરે મેં ….

પંચમ મેજિક નામની વેબસાઈટ પર, સંગીત પ્રેમી હેમંત કુલકર્ણી આ ગીતના જાદુને આ રીતે સમજાવે છે :

આ ગીત માત્ર પત્ની અને મિત્ર ગુમાવ્યાની પીડાનું નથી. તે પત્ની અને મિત્રએ કમલમાંથી ગુમાવેલા વિશ્વાસનું અને તેના પશ્ચાતાપનું ગીત છે. વિશ્વાસ એ કોઈપણ સંબંધની બુનિયાદ છે. આ ગીત એ બુનિયાદ ધરાશાયી થયાની પીડાનું છે.

વિશ્વાસની એ બુનિયાદ કેવી રીતે ખરી પડે છે, તેને ગીતમાં કમલના જીવનના અલગ અલગ તબક્કાઓમાં બતાવાયું હતું. એમાં એ રોડ-રસ્તા-રેલ પર દિશાહીન ભટકે છે અને અલગ અલગ પડાવો પર થઈને વૃદ્ધ થઇ જાય છે. આખું ગીત બેકગ્રાઉન્ડમાં છે, કારણ કે કમલ ભિખારીની જેમ ભટકે છે, એની પાસે શબ્દો નથી, પશ્ચાતાપમાં એનો અવાજ જાણે છીનવાઈ ગયો છે, અને એનો અંતરાત્મા બોલવાનું કામ કરે છે!

કમલ એક ટ્રેનમાં ચઢે છે ત્યારે ગીત શરૂ થાય છે. ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય છે પણ કમલનું કોઈ ડેસ્ટીનેશન આવતું જ નથી. આર.ડી. બર્મને એના સંગીત મારફતે આ દિશાહીનતા અને ઉદેશ્યહીનતાને લાજવાબ રીતે પકડી હતી.

ગીતમાં જે ત્રણ વિરામ છે, ત્યાં આર.ડી. કેવી રીતે સંગીત બદલે છે તે સાંભળજો. પહેલો વિરામ ટ્રેન જ્યારે પાટો બદલીને ટનેલમાં પ્રવેશે છે, ત્યારે આવે છે. એમાં સંગીત એવી રીતે આવે છે, જાણે કમલના જીવનનો પાટો બદલાય છે અને તે અંધારામાં પ્રવેશે છે! (ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ …_)

બીજો વિરામ મંદિરનો ઘંટ વાગે ત્યારે આવે છે. તેમાં કમલની પત્ની સુનિતા (મુમતાઝ) પીળા સલવાર-કમીઝમાં પવનની લહેરખીની જેમ પસાર થાય છે. કમલ એના પસ્તાવામાં ડૂબીને વાસ્તવિકતાથી એટલો દૂર છે કે ઘંટનો અવાજ પણ એનામાં ખલેલ પાડે છે (આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ …).

ત્રીજા વિરામમાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો ફરક બતાવાયો છે. એમાં સંગીતમાં એક પ્રકારની સકારાત્મકતા અને આશા છે, કારણ કે ગમે તે હોય, જીવન ફરી પ્રગટે છે, સમય તો આગળ જ વધે છે, પણ કમલનું જીવન અને સમય સ્થિર છે. 

સુબહા આતી હૈ, શામ જાતી હૈ, 

વક્ત ચલતા હી રહેતા હૈ, રુકતા નહિ 

એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ, 

આદમી ઠીક સે દેખ પાતા નહીં

ઔર પરદે પે મંજર બદલ જાતા હૈ

એક બાર ચલે જાતે હૈ જો સુબહ-ઓ-શામ 

વો…વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ

વો ફિર નહીં આતે, વો ફિર નહિ આતે

આમાં કિશોર કુમારે બે વખત ‘વો’નો ઉચ્ચાર કર્યો હતો. એમ કરીને તેણે કમલની નિરાશા અને બેબસીને એક પ્રકારની નિશ્ચિતતા આપી દીધી હતી; હવે સાચે જ કોઈ પાછું નહીં આવે. 

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કૉઁગ્રેસે સત્તા-માનસિકતા છાંડવી જોઈશે ભા.જ.પે. વ્યાપક માનસિકતા કેળવવી રહેશે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 December 2023

ચૂંટણી પરિણામોના પ્રકાશમાં 

આજે જો મુસ્લિમ મતો વગર નભી જાય છે તો આવતીકાલે દક્ષિણના મતો વગર પણ નભી જવાશેઃ  આ ગણિતમાં પથ્યાપથ્ય વિવેક મુદ્દલ નથી

પ્રકાશ ન. શાહ

તાજેતરમાં ચૂંટણી પરિણામોને કેવી રીતે જોશું વારું ? જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે એને વિશે તો એટલું જ કહેવું બસ થશે કે 2024 માટે એનો પથ પ્રશસ્ત હોવાનું ચોખ્ખું દેખાય છે. કાઁગ્રેસની બેઠકો જેટલી ઓછી જણાય છે, એને મળેલા મત એટલા ઓછા નથી એ સાચું, પણ શું ભા.જ.પ. કે કાઁગ્રેસ, એને આપણી ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ પ્રથામાં આ પ્રકારનો લાભ મળતો જ રહેવાનો.

જ્યાં સુધી કૉઁગ્રેસનો સવાલ છે, એણે તેલંગાણામાં ફતેહ હાંસલ કરી એથી થોડીક મનોવૈજ્ઞાનિક રાહત અનુભવાતી હોય તો પણ વ્યૂહરચના સહિતને મુદ્દે એણે ખાસા પુનર્વિચારની પ્રક્રિયામાં જવું અનિવાર્ય છે : ઇન્ડિયા એલાયન્સની છઠ્ઠી તારીખની બેઠક હવાઈ ગઈ અને કેવળ ગૃહમાં ફ્લોર મેનેજમેન્ટ જેવા મુદ્દામાં સમેટાઈ ગઇ તે કાઁગ્રેસને પક્ષે ગંભીર વિચાર માગી લે છે.

કાઁગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ઇન્ડિયા એલાયન્સના સાથીઓને બાજુએ રાખીને ચાલવાનો વ્યૂહ અજમાવ્યો હતો. આ રાજ્યોમાં મુખ્ય પક્ષ અલબત્ત કૉઁગ્રેસ અને ભા.જ.પ. બે જ છે એ દ્વિપક્ષી તરેહની વાસ્તવિકતા સ્વીકાર્યા પછી પણ કાઁગ્રેસ નાના સાથીઓને સહેજસાજ સમાવી શકી હોત. એક મનોવૈજ્ઞાનિક ઉપચાર તરીકે તે જરૂર ઉપયોગી થયો હોત.

દેખીતી રીતે જ કાઁગ્રેસનું ગણિત એવું હતું કે આપણે આ રાજ્યોમાં સત્તાપક્ષ તરીકે ઉભરીશું એને કારણે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા-સાથીઓ સાથે બેઠક વહેંચણીમાં આપણો હાથ ઉપર રહેશે. પણ જો ધોરણસરના જોડાણની રાજનીતિ કરવી હોય તો આ પ્રકારના ગણિતને ટૂંક નજરી વ્યૂહના ખાનામાં નાખવું પડે. સત્તાપક્ષ તરીકેની જૂની માનસિક્તાની બહાર એ આવશે એવું ઇન્ડિયા એલાયન્સના શરૂઆતના તબક્કામાં લાગતું હતું, પણ –

હવે ત્રીજા અઠવાડિયામાં મળવાની વાત છે ત્યાં સુધીમાં કૉઁગ્રેસ નેતૃત્વ પોતાને પક્ષે અનુકૂલન સારુ બાંધછોડની તૈયારી રાખે એ સલાહભર્યું લેવાશે. બધા સાથીઓનો આગલી ચૂંટણીનો કુલ મતસરવાળો વધારે હોય તો પણ એણે એક એલાયન્સ તરીકે પોતાનું કથનવિધાન (નેરેટિવ) ઉપસાવવું રહેશે, કેમ કે આવી કોઈ પણ ક્વાયત અંકગણિત માત્રથી ચાલતી નથી. એમાં કશુંક રાસાયણિક થવું ઘટે છે એ સાદો નિયમ છે.

આ પરિણામોની ભાત પરથી, થોડા વખત પર જેમ કર્ણાટકમાં તેમ આ વખતે તેલંગાણામાં કૉઁગ્રેસની પ્રતિષ્ઠા થઈ એટલે ચર્ચા ચાલી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ચોક્કસ અંતર છે. આ પહેલીવારનો મુદ્દો નથી. 1977માં હિંદીભાષી ઇલાકામાં કૉઁગ્રેસની સૂપડાંસાફ હાલત સામે દક્ષિણ દેશમાં એણે અસરકારકપણે ફતેહ મેળવી જ હતી.

વડા પ્રધાને આ તરેહની ચર્ચાને નકારી કાઢી છે. તેમ છતાં, આ ચર્ચામાં રહેલ માયનો કાળજે ધરવા જોગ છે. દક્ષિણનાં રાજ્યોમાં ઇંદિરા-અમ્માની કલ્યાણ યોજનાઓની તેમ પ્રાદેશિક પક્ષોની એક સ્વાભાવિક જગ્યા બનેલી હતી. વળી રાજન કેસ જેવા અપવાદો બાદ કરતાં ઉત્તર ભારતમાં નસબંધી તરેહનો જે આતંક પ્રસર્યો હતો તે નહોતો.

વાત માત્ર આટલી જ નથી. ભા.જ.પ.નું આખું વૃત્તાંત મુસ્લિમવિરોધની રાજનીતિ પર (અલબત્ત ‘વિકાસ’ અને ‘સુશાસન’ના વરખ સાથે) ચાલતું રહ્યું છે. દક્ષિણ ભારતમાં કલ્યાણયોજનાઓ ઘણા સમયથી સહજક્રમે સ્થાપિત છે અને અપવાદરૂપ કેન્દ્રો બાદ કરતાં મુસ્લિમવિરોધની તીવ્ર લાગણી નથી જે હિંદુ મતને દૃઢીભૂત કરી શકે.

ભા.જ.પ.ને પક્ષે ધડો લેવાનો મુદ્દો એ છે કે વ્યાપક વલણવિકાસ વગર સ્વીકૃતિનું અંતર કાપ્યું કપાતું નથી. આટલું કહ્યા પછી અને છતાં એક એવી કલ્પના છેક અવાસ્તવિક નથી કે દક્ષિણનાં થોડાં રાજ્યો કે દેશની મુસ્લિમ લઘુમતી વગર પણ બહુમતી મેળવીને રાજ કરી શકાય છે. રાજ મેળવી શકાય અને કેટલોક સમય કરી પણ શકાય, પણ આ રસ્તો મજબૂત રાજ્ય ને મજબૂત ભારત સારુ સરવાળે અપથ્ય હોઈ શકે છે.

કાઁગ્રેસ અને ભા.જ.પ. સહિત વિવિધ પક્ષોની નિયતિ અંગે નાગરિક છેડેથી વિચારવા જોગ મુદ્દાઓમાં અપેક્ષિત પરિપ્રેક્ષ્ય કદાચ એ છે કે બહુમતીરાજ અને લોકરાજ્ય એવાં જુવારાં કેવી રીતે ભાંગે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ડિસેમ્બર 2023

Loading

સાહિત્ય પરિષદમાં ક્રિયાકાંડ થાય તે જ્ઞાની કવિ અખાનું / ગાંધીજીનું અપમાન છે !

રમેશ સવાણી|Opinion - Opinion|6 December 2023

રમેશ સવાણી

પ્રસિદ્ધ મરાઠી કવિ યશવંત મનોહરે, સાહિત્યના એક કાર્યક્રમમાં સરસ્વતીની પૂજા કરવામાં આવેલ તે કારણે સાહિત્ય સન્માન સ્વીકારવાનો જાન્યુઆરી 2021માં ઈન્કાર કર્યો હતો ! તે વિદર્ભ સાહિત્ય સંઘ દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તેમણે કહ્યું હતું કે “દેવીનું ચિત્ર શોષણનું પ્રતીક હતું જે શિક્ષણ અને જ્ઞાન મેળવવા મહિલાઓને તથા શૂદ્રોને રોકતું હતું. હું સાહિત્યના કાર્યક્રમોમાં ધર્મની તરફેણમાં નથી ! એક પુરસ્કાર માટે હું મારા આજીવન વિચારો, મારું લેખન અને મારાં મૂલ્યોને એક બાજુ મૂકી શકું નહીં. એટલે મારે વિનમ્રતાથી અસ્વીકાર કરવો પડ્યો ! મહિલાઓની કેળવણી માટે સાવિત્રીબાઈ ફૂલે અને બીજાં લોકોનું યોગદાન છે, પરંતુ સરસ્વતી દેવીનું આ બાબતે યોગદાન અંગે જણાવો. જો કોઈ મને તર્કથી સંતોષ આપી શકે તો હું મારા આ પગલાં બાબતે વિચારું. દરેક લેખક / કવિ / કલાકાર / રાજનેતા અને મહારાષ્ટ્ર સરકારને અનુરોધ કરીશ કે આવી સાહિત્યિક કે સાર્વજનિક કાર્યક્રમમાં દેવી સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલેની તસ્વીર અને બંધારણની પ્રત રાખવાનું વિચારે !”

મહારાષ્ટ્રના કવિમાં આ ચેતના છે. સાહિત્યના કાર્યક્રમમાં ધર્મને / તેના કર્મકાંડને દૂર રાખવા માટે તે બોલી શકે છે. ગુજરાતમાં સ્થિતિ જુદી છે. જ્ઞાની કવિ અખાનું અપમાન થાય તેવું વર્તન ગુજરાતી સાહિત્યકારોનું હોય છે. તેમની આંગળીઓમાં નંગની વીંટીઓ અને કાંડે લાલ-પીળા દોરા બાંધેલા હોય છે ! લાભ પાંચમે, 18 નવેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદમાં કર્મકાંડ / પૂજાપાઠ યોજાઈ હતી ! 

પરંતુ યશવંત મનોહરની જેમ ગુજરાતી લેખક મંડળે હિમ્મત દાખવી છે ! ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની / ઉપપ્રમુખ પ્રતિભા ઠક્કર / મંત્રી મનહર ઓઝાએ, 5 ડિસેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ / મહામંત્રી તથા અન્ય હોદ્દેદારોને પત્ર લખ્યો છે : “આપ સહુ જાણો છો કે ગુજરાતી લેખક મંડળ લેખકોના હિત, હક અને ગૌરવ માટે કાર્યરત સંસ્થા છે. ગુજરાતી લેખક મંડળ સાહિત્ય પરિષદનું સંસ્થાકીય સભ્યપદ ધરાવે છે અને સંસ્થાના મોટાભાગના સભ્યો પરિષદનું આજીવન સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં પરિષદ ખાતે હોદ્દેદારોની હાજરીમાં પૂજાપાઠ અને ક્રિયાકાંડનો જે કાર્યક્રમ થયો તેથી દુઃખદ આશ્ચર્યથી આ પત્ર લખીએ છીએ.”

“કોઈપણ જાહેર સંસ્થા જે લોકશાહી ઢબે ચાલતી હોય, ખાસ કરીને ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી હોય ત્યાં લોકશાહીનાં પાયાનાં મૂલ્યો જેવાં કે સમાનતા / બંધુતા / બિનસાંપ્રદાયિકતા અગત્યની ભૂમિકા ભજવે છે અને તેમાં પણ આપણાં જેવાં વૈવિધ્યપૂર્ણ ભાષા, ધર્મ અને રીતરિવાજોથી સમૃદ્ધ દેશમાં કોઈ પણ પ્રકારનું એકાંગીપણું, ખાસ કરીને ધર્મને લઈ દર્શાવાય તે સમાજ માટે ઘાતક નીવડે એવું આપણે સહુ કોઈ જાણીએ છીએ. અને એમાં ય આપણે સહુ લેખકો-સર્જકો હોઈએ અને સમાજ સાથે કંઇક નિસ્બત છે એમ માનતા હોઈએ ત્યારે, કોઈ એક ધર્મના ક્રિયાકર્મો સંસ્થામાં થાય તે હરગીઝ ચલાવી ન લેવાય. આ પગલું સમાજના વૈવિધ્યપૂર્ણ વારસામાંથી આવતા આપણા લેખકો-સર્જકોના ગૌરવભંગ સમાન છે. જેને અમે ગુજરાતી લેખક મંડળ તરીકે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.”

“અમને એવું લાગે છે કે એક વાર આવી ગૌરવભંગ સમાન ઘટનાઓ બને તે માટે જવાબદાર નિર્ણય કરનારાઓની જાણ સંસ્થાના સહુ આજીવન સભ્યોને થાય તે જોવાની ફરજ પણ સંસ્થાના હોદ્દેદારોની બને છે.”

“આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ચોક્કસ નીતિ-નિયમો, પરિષદ ઘડે અને તેની જાણકારી ઠરાવ રૂપે તેના મુખપત્ર ‘પરબ’માં પ્રગટ કરે અને સાથે સાથે આગામી ભોપાલ ખાતે યોજાનારા અધિવેશનમાં તે રજૂ થાય એવી અપેક્ષા અમે રાખીએ છીએ.”

“આ આગાઉ મોટાપાયે ગેરકાયદેસર વૃક્ષછેદન પરિષદના પરિસરમાં થયું હતું ત્યારે, કેટલાંક લેખકોના વ્યક્તિગત ઊહાપોહ થયા પછી જ તે અંગે તપાસ સમિતિની રચના થઈ હતી અને દોષિતોને ચૂપચાપ ‘વિનયપૂર્વક’ પરિષદના હોદ્દા પરથી રુખસદ અપાઈ હતી. કાયદાકીય રીતે વૃક્ષછેદન તે ગુનો બને છે અને છતાં ય પૂરવાર થયેલા દોષિતોને ‘સવિનય’ સજા વિના છોડી દેવાયા હતા તે પણ યોગ્ય ન જ હતું. પણ આ ઘટના તો વૃક્ષછેદન કરતાંયે વધુ ગંભીર છે. આ તો પરિષદનાં મૂળિયાં જ નેસ્તનાબૂદ કરવા તરફની પહેલ છે.”

“ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા એનું ગૌરવગાન આપણે સહુ કાયમ કરતાં રહ્યાં છીએ. આ દુર્ઘટનાને લઈ ગાંધીજીને ખાસ એ માટે યાદ કરવા રહ્યા કે, તેઓ જાહેર જીવનમાં આવ્યા બાદ પોતે હિન્દુ છે તેનું ગૌરવ અનેક વાર વ્યક્ત કરતાં હતા, છતાં ક્રિયાકાંડની વાત તો બાજુએ રહી, પણ કોઈ મંદિરના પગથિયાં પણ ચઢ્યા ન હતા, તેની નોંધ આપણે આ ક્ષણે લેવી રહી.”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...873874875876...880890900...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved