Opinion Magazine
Number of visits: 9457882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારી ગાય !

રમેશ સવાણી|Opinion - Short Stories|7 September 2023

[એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. મેં એક લઘુકથા લખી, ‘નિરીક્ષક’ને મોકલી. 26 જુલાઈ,1981 ના અંકમાં પ્રગટ થઈ હતી. પોલીસ સર્વિસમાં જોડાયો તેના 9 વર્ષ પહેલા. ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’માં 3 એપ્રિલ, 1983ના રોજ હિન્દીમાં અને ‘ચાંદની’, હાસ્યાંકમાં 1 એપ્રિલ, 1984 માં પ્રસિદ્ધ થઈ હતી. ચાલો માણીએ.]

અદાલતે સરકારને દોષિત ઠરાવી. ઘટના આમ બનેલી :

એક સરકારી ફાર્મ હતું. તેમાં એક દૂઝણી ગાય હતી. ગાય માટે ઘાસચારો ખૂટી ગયો.

ઉપરી અધિકારીઓને અનેક પત્રો લખ્યા છતાંય જવાબ ન મળ્યો, ત્યારે ફાર્મ સંચાલકે સંબંધિત પ્રધાનને લખ્યું : “ધાસચારા માટે અમુક રકમ મંજૂર કરશો. વરસાદના અભાવે ઘાસચારો ખૂટી ગયો છે…”

પ્રધાનનો જવાબ આવ્યો : “ઘાસચારા માટે આ અગાઉ મોટી રકમ ફાળવી હતી. હવે કંઈ થઈ શકે તેમ નથી. ગાય જેટલું દૂધ આપે છે તે બધું ગાયને પાઈ દેવું અને એ રીતે થોડા દિવસ ચલાવો.”

થોડા દિવસ પછી સંચાલકે ફરીવાર પ્રધાનને પત્ર લખ્યો : “ગાય મરવા પડી છે, ઘાસચારાની સગવડતા તાત્કાલિક કરવા વિનંતી.”

પ્રધાને લખ્યું : “ગાય મરવા પડી છે, મરી તો નથી ગઈને? ખુશ હશો, ખુશ છું.”

છેવટે, સંચાલકે ગાયને ફાર્મમાંથી તગેડી મૂકી અને પ્રધાનને લખી નાંખ્યું કે ગાય મરી ગઈ છે.

એક દિવસ ગાય બાજુના ખેતરમાં ઘૂસી ગઈ અને ખેતરને તારાજ કરી નાંખ્યું. ખેતરના માલિકે ફરિયાદ કરી.

અદાલતે ફરિયાદીને પૂછ્યું : “સરકારી ગાય તો મરી ચૂકી છે. તમારો ઘાસચારો જે ગાય ચરી ગઈ એ સરકારી ગાય હતી-એમ કહેવાનું કોઈ કારણ તમારી પાસે છે?”

“હા, સાહેબ. એ ગાય ખૂબ ઝડપથી ખાતી હતી; અકરાંતિયાની જેમ જ. ઝડપથી અને મોટા પ્રમાણમાં ખાઈ શકે એ સરકારી જ હોય !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધર્મની સ્થાપના અર્થે હવે તો આવેને, કૃષ્ણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 September 2023

રવીન્દ્ર પારેખ

આજે કૃષ્ણાષ્ટમી ! આમ તો દર શ્રાવણ વદ આઠમે આખું જગત કૃષ્ણ જન્મોત્સવ ઊજવે છે. આ ઉત્સવનો અંત નથી. અંત હોત તો અત્યાર સુધીમાં કૃષ્ણ ભુલાઈ ગયા હોત, પણ એવું થયું નથી. એક સંશોધન મુજબ કૃષ્ણનો જન્મ 18/21 જુલાઇ, ઈ.પૂ. 3228ને રોજ થયો હોવાનું કહેવાય છે. આટલી ચોકસાઇ એ સમયની કોઈ વિભૂતિ માટે નથી જણાઈ. કૃષ્ણને લગભગ સાડા પાંચ હજાર વર્ષ થયાં. એની અગાઉ ઘણાં મહાનુભાવો થયા ને પછી પણ થયા, પણ કૃષ્ણ જેટલી પ્રસ્તુતતા કોઇની જણાતી નથી. એ એક જ ભગવાન એવો છે, જે મનુષ્ય પણ એટલો જ છે. રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે, તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. રામ તુંકાર ન ખમે, પણ કૃષ્ણને તુંકારી શકાય. એને શિશુપાલ જેવા પણ 99 ગાળો દઈ શકે ને એ સાંભળી પણ લે, પણ  પછી એ નહીં, સુદર્શન બોલે છે. એ જ કૃષ્ણ ગાંધારીનો શાપ માથે ચડાવે, ત્યારે થાય કે વિશ્વરૂપ દર્શાવનાર કૃષ્ણનો પ્રતિકાર કેમ નથી? જે સુદર્શન શિશુપાલને હણે છે એ સુદર્શન ગાંધારી પર ધસતું નથી. કેમ? એક બે નહીં, સો પુત્રોનો યુદ્ધમાં નાશ થયો હોય એ માતાની અસહ્ય પીડા અભિશાપ નહીં તો શું આશીર્વાદ આપે? કૃષ્ણે એ માતૃપીડા અનુભવી એટલે ગાંધારીનો શાપ માથે ચડાવ્યો. કૃષ્ણ એટલે જ વિરોધાભાસ ! મામાના રાજમાં જ જન્મ કારાગારમાં થાય છે. જન્મતાંની સાથે જ માતૃવિરહ નસીબે આવ્યો. સગી મા પારકી થઈ અને પારકી મા સગીથીયે વિશેષ થઈ. પાલક માતપિતાનો એ રીતે કૃષ્ણે મહિમા કર્યો.

કૃષ્ણનું મેથડ ઇન મેડનેસ જેવું ઘણું છે. લાગે એવું કે મટકી ફોડીને કૃષ્ણ ગોપીઓને પજવે છે, પણ જરા ઊંડે ઊતરીએ તો સમજાય કે ગોકુળનાં દૂધદહીં મથુરા ભરાતાં અટકાવવા મટુકીઓ ફોડી, તે એટલે પણ કે ગોપાલનનો સર્વાંગી વિકાસ ગામમાં જ થાય. આજે ગામમાં દૂધ મળતું નથી ને ડેરીઓમાં દૂધ ભરાય છે એવી સ્થિતિ ન આવે એટલે ગામનું દૂધ ગામમાં રાખવાની કોશિશ કૃષ્ણે કરી. અસુરોનો સંહાર બાળલીલામાં ખપે એવો સહજ બાલ્યકાળ કૃષ્ણનો રહ્યો. ગોપીઓનાં ચીર હર્યાં, તો દ્રૌપદીનાં પૂર્યાં પણ ! રાધાને અપરંપાર પ્રેમ કર્યો ને મથુરા જવાનું થયું તો અનાસક્તિ પણ એટલી જ પ્રગટી. વાંસની વાંસળી કરી, હોઠે રાખી, એટલી નજીક તો રાધા પણ રહી નથી. રાધાના વિરહમાં વાંસળી તોડી, તો એ જ આંગળીએ સુદર્શન પણ ધારણ કર્યું. જે વખતે જે જરૂરી હતું તે વખતે તે જ કૃષ્ણે કર્યું. રુક્મિણી, સત્યભામા જેવી 16,108 રાણીઓ કરી, પણ પ્રેમનો મહિમા વિયોગથી જ શક્ય છે તે રાધાની ધારા મનમાં રાખીને સિદ્ધ કર્યું. કૃષ્ણ કરતાં રાધા આગળ રહી ને જેટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, એટલાં કૃષ્ણ-રુક્મિણીનાં નથી. લગ્ન વગરનો કોઈ સંબંધ મંદિરોમાં આટલો સ્થપાયો હોય એવું આ એક જ ઉદાહરણ જગતમાં છે. એવું જ સખ્ય સુદામા સાથેનું પણ ખરું. સુદામાનું કદાચ એક જ મંદિર પોરબંદરમાં છે. સુદામાની પોટલી ખૂલે છે તે સાથે જ તેનું દારિદ્રય પણ દૂર થતું આવે છે. કૈં ન આપીને કૃષ્ણે સુદામાને બધું જ આપ્યું.

કૃષ્ણ અકળ છે ને સકળ પણ ! ગોકુળ છોડ્યું, રાધા છોડી, મથુરા છોડ્યું, પછી કૃષ્ણ ત્યાં જણાતા નથી. એ આગળ જ ગયા છે, ગયા ત્યાં, ફરી ગયા નથી. એમણે U-TURN લીધો જ નહીં ! ત્રણ વખત વિરાટનાં દર્શન એમણે માટી ખાઈને જશોદાને, વિષ્ટિ વખતે દુર્યોધનને અને ગીતા ઉપદેશતી વખતે અર્જુનને કરાવ્યાં છે. એ સિવાય કૃષ્ણ સામાન્ય મનુષ્યની જેમ જ વર્ત્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાનો આગ્રહ રાખ્યો, એવો આગ્રહ બીજો એક મોહન, યુગો પહેલાં રાખી ચૂક્યો હતો. એકને ગોળી વાગી, એકને તીર, એ સાથે જ યુગો બદલાયા.

પાંડવોની માતા કુન્તા, કૃષ્ણની ફોઇ છે, એટલા ઉલ્લેખ સિવાય કૃષ્ણ, દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધ વખતે, બલરામ સાથે જ દેખાય છે. પાંડવો અહીં બ્રાહ્મણ વેશે છે. મત્સ્યવેધ કરનાર અર્જુનની પણ ઓળખ છતી થઈ નથી. પાંચે ભાઈઓ દ્રૌપદી માટે ઉત્સુક છે એ જાણતા કૃષ્ણ, પાંડવો વચ્ચેનો સંપ જળવાઈ રહે એ માટે, દ્રૌપદીને પાંચે પાંડવોની પત્ની બનાવે છે. બહુપત્નીત્વની સામે બહુપતિત્વનું ઉદાહરણ એ સમયમાં તો ખરું જ, આજે પણ સાહસ જ છે. એ પછી મહાપ્રસ્થાન પર્વને બાદ કરતાં કૃષ્ણ દરેક પર્વમાં પાંડવોનાં શુભચિંતક અને રક્ષક તરીકે મોખરે છે. વનવાસમાં કૃષ્ણ જણાતાં નથી, પણ મનવાસમાં તો તે સઘળે છે. પાંડવોને ખાંડવવન અને ખાંડવપ્રસ્થ અપાવવામાં કૃષ્ણની અહમ ભૂમિકા છે. ભાગવતના કૃષ્ણ કરતાં મહાભારતના કૃષ્ણ વધુ પુખ્ત છે. મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કૃષ્ણે લીધી, પણ ભીષ્મને મારવા રથચક્ર લઈને ભીષ્મની સામે પણ એ જ ધસે છે. કમાલ તો જુઓ કે પોતે શસ્ત્ર ઉઠાવવાથી દૂર રહે છે ને અર્જુન શસ્ત્ર છોડે છે, તો તેને શસ્ત્ર ઉઠાવવા ગીતા ઉપદેશે છે. ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેનાર કર્ણને એ જ કૃષ્ણ દ્રૌપદીની લાલચ પણ આપે છે. કર્ણનાં જન્મનું રહસ્ય ખૂલે છે ને કર્ણ સૌથી મોટો પાંડવ છે એ જાહેર થાય છે તો એને પાંડવોનાં પક્ષમાં આવી જવાનું કહેવાય છે ને કર્ણ એમ કરે તો દ્રૌપદી આપોઆપ જ એની પત્ની બને. એ જુદી વાત છે કે કર્ણ એ લાલચને નકારે છે, પણ કર્ણને ફોસલાવવાનો પ્રયત્ન કૃષ્ણ કરી તો જુએ જ છે.

એ જ કૃષ્ણ યુદ્ધની જે પીડા વેઠે છે, એનો જોટો જડે એમ નથી. દ્રૌપદી યુદ્ધનાં પરિણામ વિષે કૃષ્ણને પૂછે છે કે પાંડવોમાં કોણ કોણ બચશે? તો, કૃષ્ણ પાંચ ભાઈઓ સિવાય કોઈ નહીં બચે એવું કહે છે. દ્રૌપદી પોતાનાં પુત્રો પણ નહીં બચે એ જાણીને અસહ્ય પીડા અનુભવે છે, કૃષ્ણ તો સર્વજ્ઞ છે, એટલે વેઠે પણ સર્વનું જ છે. અભિમન્યુને ચીરતાં શસ્ત્રથી પોતે વીંધાયાનું અનુભવે છે. આ બધું જ જોવાનું આવ્યું પોતાનાં કોઈ જ વાંક વગર ! પોતે તો સારથિ માત્ર હતા, પણ તે અર્જુનનાં જ હતાં એવું ક્યાં હતું? એ તો જગત નિયંતા છે, એ કોઇની પીડાથી કઇ રીતે મુક્ત રહી શકે? કૃષ્ણ પાંડવોને વિજયી બનાવે છે, પણ યાદવોનો સર્વનાશ થતો રોકી શકતા નથી. સાત્યકિ પાંડવોને પક્ષે રહી લડે છે, તો કૃતવર્મા ને ભોજ જેવા કૌરવોને પક્ષે રહી લડે છે. બલરામ તટસ્થ રહે છે. આમ યાદવ કુળ એક જૂથ લાગે છે, પણ અંદરોઅંદરનાં મિથ્યાભિમાન, ખટપટ, આડંબર, વાણીવિલાસને લીધે આખાયે કુળનો સર્વનાશ થાય છે. કોઈ પણ કુળ કે પક્ષની નિયતિ કોઈ પણ કાળમાં આ જ હોય છે. આમાં અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણની પ્રાપ્તિ શી હતી? કુરુક્ષેત્રમાંથી એને તો કૈં જ મળવાનું ન હતું, ન વિજય, ન પરાજય, છતાં અર્જુન સાથેનું મૈત્રીકૃત્ય કૃષ્ણે મન મૂકીને નિભાવ્યું. એમાં યાદવકુળ છિન્નભિન્ન થવાનાં બીજ પણ રોપાયાં ને અંતે કુળ ખતમ થઈને જ રહ્યું. એની પીડાથી છૂટવા વૃક્ષ નીચે વિરામ શોધ્યો તો પારધીનું તીર પગને વીંધતું આવ્યું. પગમાં તીર વાગે તો સાધારણ મનુષ્ય પણ ન મરે, પણ કૃષ્ણ અસાધારણ હતાં એટલે મૃત્યુ સાધારણ સ્વીકાર્યું.

કૃષ્ણ વિષે મને કદી ધરવ થતો નથી. જેટલું જાણું છું એનાથી વધુ જાણવાની ઈચ્છા ઘટતી નથી. આપણે કૃષ્ણને ભગવાન માનીએ છીએ. પણ, મને તો એ એક સાથે વડીલ અને મિત્ર-બંને લાગે છે. એની સાથે ઝઘડી શકાય, આંખોમાં આંખો નાખીને વાત થઈ શકે. આવી છૂટ બીજો કોઈ ભગવાન આપતો નથી. એને વિષે વિચારું છું તો થાય છે કે એ ભગવાન કઇ રીતે છે? સામાન્ય માણસ કરે એવાં વધ, છળકપટ, મજાક-મશ્કરી, તોફાન, શત્રુવટ… જેવું બધું જ કર્યું છે. કૃષ્ણ એટલે જ કર્તવ્ય. પણ કર્તવ્ય એટલે કૃષ્ણ એવું દરેક વખતે નથી. કેવળ કર્મ કરનાર મનુષ્ય ભગવાન નથી, તો કૃષ્ણ કઇ રીતે ભગવાન છે? છે? છે, હજાર વાર છે, કારણ કે એક પણ કપટ એણે પોતાને માટે નથી કર્યું. આપણાં કપટમાં સ્વાર્થ છે, એનાં કપટમાં નથી. એક પણ કપટ અસત્ય કે અધર્મનાં સમર્થનમાં એણે નથી કર્યું, તો એ ભગવાન ન હોય તો શું હોય?

જો કૃષ્ણ ધર્મને પક્ષે સતત રહ્યા હોય, તો આજે ધર્મને પક્ષે ઘણું ખૂટે છે, તો ક્યાં છે એ? કેમ નથી સંભળાતો એ શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય….’ આજે તો સગા બાપ કરતાં દીકરાને મોટી ઉંમરનો બતાવવામાં કોઈને સંકોચ નથી કે ધર્મ કરતાં સંપ્રદાયનો મહિમા વધુ અંકાતો હોય, તો ધર્મનાં રક્ષણ માટે અગાઉ હતી તેથી વધુ જરૂર કૃષ્ણની આજે છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2023

Loading

ભારતીય રાજનીતિનું ન્યૂ નોર્મલ એટલે રાજકારણમાં વંશવાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 September 2023

ચંદુ મહેરિયા

નવમી ઓગસ્ટના હિંદ છોડો ચળવળ દિવસથી ભારતીય જનતા પક્ષે રાજનીતિમાંથી પરિવારવાદ હઠાવવાનું અભિયાન છેડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી દિને લાલકિલ્લાની રાંગેથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજકારણમાં વંશવાદ અને પારિવારિક રાજકીય પક્ષોને લોકતંત્ર સામેનો ખતરો ગણાવ્યા હતા.

ભારતના રાજકારણમાં પરિવારવાદની દીર્ઘ પરંપરા છે. આઝાદી પૂર્વે પિતા મોતીલાલ નહેરુ પછી ભલે સ્વબળે અને ખુદની પ્રતિભાના જોરે પુત્ર જવાહરલાલ નહેરુ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા હતા. પરંતુ પરિવારવાદના આલોચકો છેક ત્યાં તેનાં મૂળિયાં જુએ છે. રાજનીતિમાં પરિવારવાદની ચર્ચા ગાંધી નહેરુ પરિવારના ઉલ્લેખ વિના અને પરિવારવાદને વકરાવવામાં કાઁગ્રેસની અહમ ભૂમિકા વિના થઈ શકતી નથી. જો કે આજે બી.જે.પી. સહિતના અને ડાબેરી પક્ષો સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષો એક યા બીજી રીતે પરિવારવાદના પોષક અને પારિવારિક પક્ષોના સાથી તથા સમર્થક રહ્યા છે.

કોઈ એવી વ્યક્તિ રાજનીતિમાં પ્રવેશે જેના પરિવારનો કોઈ સભ્ય રાજનીતિમાં હોય, પૂર્વે ચૂંટણી જીત્યા હોય કે હાલમાં કોઈ પદ પર હોય, ટૂંકમાં રાજકીય કુટુંબના બ્રેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિનો રાજકારણ પ્રવેશ એટલે વંશવાદ. ભારતમાં પરિવારનો એક સભ્ય મંત્રી હોય કે મોટો નેતા હોય તો તેના ખાનદાનને રાજનીતિ કે સત્તા વારસામાં મળે છે. ગાંધી-નહેરુ કુટુંબ પાંચ પેઢીથી, હરિયાણાનું દેવીલાલ-ચૌટાલા ફેમિલી ચાર પેઢીથી, કર્ણાટકના દેવેગૌડા, મહારાષ્ટ્રના ઠાકરે, પંજાબના બાદલ વગેરે પરિવારોની ત્રીજી પેઢી રાજકારણમાં સક્રિય છે. ઘણા બધા રાજકીય ઘરાનાની બીજી પેઢી પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરી રહી છે !

હવે તો ભારતીય રાજનીતિએ  વંશવાદના ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે કોઈ પક્ષમાં પરિવારને બદલે આખો પક્ષ જ પરિવારનો બનેલો હોય છે. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંઘ યાદવના બૃહદ્દ પરિવારના વીસેક સભ્યો એમ.પી., એમ.એલ.એ થઈ ગયા છે. એટલે ઘણા તેને સમાજવાદીને બદલે પરિવારવાદી પાર્ટી કહે છે. લાલુ પ્રસાદ યાદવની આર.જે.ડી., ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, કરુણાનિધિની દ્ર.મુ.ક., શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચો, શરદ પવારની એન.સી.પી., પ્રકાશસિંઘ બાદલની શિરોમણિ અકાલી દલ અને બીજી એવી ખાનદાની પાર્ટીઓ દેશમાં ડઝનબંધ છે અને નવી બનતી રહે છે.

ભારતની લોકસભામાં રાજકીય પરિવારમાંથી આવતા સભ્યોની સંખ્યા વધતી જાય છે. ૨૦૦૯માં લોકસભાના કુલ સભ્યોમાં ૯.૫ ટકા રાજકીય કુટુંબની પૃષ્ઠભૂ ધરાવતા હતા. જે ૨૦૧૪માં ઘટીને ૮.૬ ટકા થયા હતા, પરંતુ ૨૦૧૯માં તે ત્રણ ગણા વધીને ૩૦ ટકા થયા હતા. વર્તમાન લોકસભાના ૫૪૨માંથી ૧૬૨ સાંસદો રાજકીય ખાનદાનોમાંથી આવે છે. તેમાં કાઁગ્રેસના ૩૧.૧૯ ટકા અને ભા.જ.પ.ના ૨૨.૦૨ ટકા છે. ૨૦૧૯માં સૌથી વધુ ૬૨ ટકા રાજકીય પરિવારના લોકસભા સભ્યો પંજાબમાંથી ચૂંટાયા હતા. તે પછીના ક્રમે બિહાર ૪૩ ટકા, મહારાષ્ટ્ર ૪૨ ટકા, કર્ણાટક ૩૯ ટકા, તમિલનાડુ ૩૭ ટકા, આંધ્ર ૩૬ ટકા, તેલંગણા ૩૫ ટકા, ઓડિશા ૩૩ ટકા અને રાજસ્થાન ૩૨ ટકા છે. દેશના લગભગ બધા જ રાજ્યોમાં રાજકીય વંશવાદ પ્રસરેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિહ ચૌધરી,  કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાના કુટુંબીજનો (પત્ની અને સંતાનો) રાજનીતિમાં વંશવાદના દૃષ્ટાંતો છે.

આઝાદી પછી રાજાઓના રજવાડાની સાથે રાજાશાહી નાબૂદ થઈ હતી અને દેશે લોકતંત્ર તરફ મક્કમ ડગ માંડ્યા છે. પરંતુ રાજકીય વંશવાદરૂપે નવી રાજાશાહી  ઊભી થઈ છે. આમ તો તેઓ લોકશાહી પ્રક્રિયાને અનુસરીને, બાકાયદા ચૂંટણી લડીને, ચૂંટાય છે. પરંતુ લોકોના તેમને ચૂંટવાના અને દિનબદિન રાજનીતિમાં પરિવારવાદમાં વધારો થવાના કારણો શું હોઈ શકે તે વિચારણીય છે. ભારતીયોમાંથી વ્યક્તિપૂજા અને સામંતી માનસિકતા હજુ ગઈ નથી. તેનો લાભ રાજકીય પરિવારોને મળે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી તેની જીતની શક્યતાના આધારે કરે છે. તેમાં પારિવારિક પાર્ટીઓના કુટુંબીજનો અને રાજકીય પરિવારોની પસંદગી થવી સહજ બની જાય છે. રાજકીય પક્ષો જીતની શક્યતાના આધારે મહિલાઓને ઉમેદવારો બનાવવામાં ઉદાસીન રહે છે. પરંતુ પારિવારિક પાર્ટીઓનાં મહિલા ઉમેદવારો તેમાં અપવાદ હોય છે. હાલની લોકસભાના સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ, દ્રવિડ મુનેત્ર કડગમ, અકાલી દળ અને એન.સી.પી.નાં મહિલા સાંસદો રાજકીય પરિવારનાં જ છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોમાં, ભારતીય જનતા પક્ષે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૨૨ ટકા ટિકિટો રાજકીય પરિવારના સભ્યોને આપી હતી તેમાંથી ૨૫ ટકા વિજયી થયા હતા. કાઁગ્રેસે ૩૧ ટકા ટિકિટો રાજકીય ખાનદાનોને આપી હતી. તે પૈકી ૪૪ ટકા ચૂંટાયા હતા. એટલે વિજ્યનું ગણિત અને મતદારોનો ઝૂકાવ પરિવારવાદની વિરુદ્ધમાં જોવા મળ્યો નથી.

રાજનીતિમાં વંશવાદને લોકતંત્ર માટે એટલે ખતરો માનવામાં આવે છે કે તેમના માટે રાષ્ટ્રહિત કરતાં કુટુંબનું હિત મોટું હોય છે. રાજનીતિ તેમના માટે સેવા નહીં પણ વ્યાપાર છે. ભારતમાં આમે ય રાજનીતિ લાભદાયક પારિવારિક વ્યવસાય બની ગયો છે ત્યારે પરિવારવાદી રાજનીતિ અને પારિવારિક પક્ષો લોકતંત્રના હિતમાં નથી. આ પ્રકારનો પરિવારવાદ સમાન તક, યોગ્યતા, ક્ષમતા અને પ્રતિભાને તો હણે છે તે વ્યક્તિપૂજા, ખુશામત અને દરબારી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે. મતદારોનાં દુ:ખ-દર્દ, આકાંક્ષાને સમજે એવા જમીન સાથે જોડાયેલા કાર્યકરોની ઉપેક્ષા થાય અને દરબારી ઉમેદવારો લદાય તો તે પક્ષ અને દેશના હિતમાં નથી. રાજકીય ખાનદાનના ઉમેદવારોને કારણે મતદારો માટે પસંદગી મર્યાદિત બની જાય છે. તો પરિવારના જોરે ફરી ચૂંટાવાની ખાતરી હોઈ આવા પ્રતિનિધિઓ મતવિસ્તારના કામો કરવામાં ઉદાસીન કે અંડર-પરફોર્મર હોય છે. વળી પારિવારિક પક્ષોમાં તો પરિવારનું આધિપત્ય જ નહીં તમામ નિર્ણયોમાં એકાધિકાર હોય છે.

વંશવાદ કે પરિવારવાદ ભારતીયોના ડી.એન.એ.નું અભિન્ન અંગ છે. આપણે ત્યાં ગમે તે પસંદગીમાં વ્યક્તિના ગુણોને બદલે ‘ઘરની વ્યક્તિ પહેલી’નો માપદંડ ચાલે છે. એટલે ના માત્ર રાજકારણમાં ઉદ્યોગ-ધંધા, શિક્ષણ–રોજગાર, સ્પોર્ટ્સ અને ફિલ્મોમાં પણ નેપોટિઝમ કે વંશવાદની બોલબાલા છે. રાજનીતિમાંથી પરિવારવાદ દૂર કરવા માટે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી હોવી ખૂબ જ જરૂરી છે. બહુજન સમાજ પાર્ટી અને શિવસેનાને ચૂંટણી પંચની તાકીદ પછી તેમણે સંગઠનની ઉપરછલ્લી ચૂંટણીઓ યોજી હતી. કાઁગ્રેસમાં વડા પ્રધાન જ પક્ષ પ્રમુખ હોય તેવી વણલખી પરંપરા હતી. ગાંધી-નહેરુ ખાનદાન વડા પ્રધાન પદથી દૂર રહ્યું ત્યારે પણ પક્ષની કમાન તો તેના હાથમાં જ  રહી હતી. રાજકીય પક્ષો માટે રાજનીતિમાં પરિવારવાદ કોઈ સૈદ્ધાંતિક મુદ્દો નથી પણ ચૂંટણી મુદ્દો છે. હાલના કેન્દ્રના સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષના નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સભ્યો રાજનાથ સિંઘ, પીયૂષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર વગેરે પોતે કે તેમના સંતાનો વંશવાદના ઉદાહરણો હોવા છતાં ભા.જ.પ. વંશવાદથી સાવ મુક્ત પાર્ટી હોવાનો દેખાવ કરવામાં સફળ રહે છે તે ભારતીય રાજનીતિની બલિહારી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...866867868869...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved