Opinion Magazine
Number of visits: 9666070
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખભે ચઢવું

મનીષી જાની|Poetry|1 January 2024

કોકના ખભે ચઢીને

ટાવરની ટોચે પહોંચી શકાય છે.

ઊંચે ચઢીને બેઠેલા ઘડિયાળના કાંટે

લટકી શકાય છે.

લટકો ત્યાં સુધી ઘડિયાળના કાંટાઓને 

રોકી શકો છો,

ટોકી શકો છો,

ઘડિયાળના કાંટા પાછા પણ ફેરવી શકો છો.

ઘડિયાળના કાંટા પાછા ફેરવવાના ફોટા પણ પડાવી શકો છો,

ટી.વી. ને ઈન્સ્ટાને યુટ્યુબ પર એનાં વIડિયો

રમતાં મૂકી શકો છો.

તાળીઓ પડાવવાના અવાજ પણ ખરીદી

શકો છો.

પણ ગઈકાલ એ ગઈકાલ છે,

આજ એ આજ છે,

આવતીકાલ એ આવતીકાલ છે.

ગઈકાલની સાથે આજ ટકરાય છે,

અને તણખા સાથે આવતીકાલ પેદા થાય છે.

આજ કરતાં આવતીકાલ જુદી હોય છે.

દરેક આવતીકાલ,

દરેક આવતીકાલ હોય છે.

(31 ડિસેમ્બર 2023)
e.mail : manishijani@gmail.com

Loading

વિપક્ષોને એ ખબર છે કે દેશનો વડાપ્રધાન કોઈ એક જ બને છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 January 2024

રવીન્દ્ર પારેખ

I N D I A- 28 વિપક્ષોનું જોડાણ થયું ત્યારે એમ લાગેલું કે આ બધા એક થઈને ભા.જ.પ.ને પડકારી શકશે ને લોકસભાની 2024ની ચૂંટણીમાં શાસક પક્ષને પરસેવો પડાવશે, પણ અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે 2024ની ચૂંટણી પછી ભા.જ.પ. જ સત્તા પર આવે તો નવાઈ નહીં ! વિપક્ષો I N D I Aને રિપ્રેઝન્ટ કરતાં હોય તો પણ, જે તે પક્ષ પોતાનો કક્કો ખરો કરવાનું ચૂકતો નથી. પેશીની જેમ બધા સાથે તો થાય છે, પણ તેનું આખું સંતરું બનતું નથી. I N D I A નામ રાહુલ ગાંધીએ આપ્યું ત્યારે આવું સૂચક નામ આપવા બદલ ખુશી વ્યાપેલી. એ નામથી એટલું તો થયેલું કે શાસકોને ‘ભારત’ શબ્દ આગળ કરવાનું કારણ મળેલું.

કોણ જાણે કેમ, પણ એક મજબૂત વિપક્ષ તરીકે કાઁગ્રેસને ઊભા થવાનું સૂઝતું નથી. રાહુલ ગાંધી એકંદરે સક્રિય જણાય છે, પણ તે ય ચૂંટણીલક્ષી સામૂહિક પ્રયત્ન તો નથી જ ! ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની થઈ, પણ તે અન્ય વિપક્ષોની યાત્રા પણ બની હોત તો તેની અસર વધુ વ્યાપક હોત. બધા વિપક્ષોએ સાથે મળીને શાસકોને પડકારવાના હોય, તેને બદલે, એ એકબીજાને જ પડકારતા રહેતા હોય એવી સ્થિતિ વધારે છે. રામમંદિર કે 370 નાબૂદી જેવી સફળતા વિપક્ષો પાસે નથી. દેશ ભલે ત્રીજા નંબરની વૈશ્વિક ઈકોનોમી બનવાની ક્ષમતાથી દૂર હોય તો પણ, 80 કરોડ જનતાને મફત અનાજ પહોંચાડવાનું શાસકો ચૂક્યા નથી, તો એ 80 કરોડ પ્રજા સરકારથી એવી નગુણી તો કેવી રીતે થાય, જેણે એનું પેટ પાળ્યું હોય? એ ખરું કે વિપક્ષો પાસે સત્તા નથી, એટલે એ પ્રજાલક્ષી પ્રોજેકટો ન કરી શકે, પણ 28 વિપક્ષો એક છે એવો અવાજ તો ઊભો કરી શકેને ! એવું પણ ખાસ થયું નથી. રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં હવે ન્યાયયાત્રા મણિપુરથી મુંબઈની કરવા માંગે છે. એ યાત્રા પણ રાહુલની કે કાઁગ્રેસની જ હોય એવી હવા છે, તો બાકીના વિપક્ષો એમાં જોડાય તો હવામાન બદલાય એવું, નહીં?

ઘણીવાર તો સવાલ થાય છે કે વિપક્ષો જીતવા માંગે છે કે ભા.જ.પ.ને જિતાડવા માંગે છે? બધા જ વિપક્ષો ભા.જ.પ.ને પછાડવા માંગે છે, પણ પરિણામ એકબીજાને પછાડવામાં આવે છે. એવું એટલે લાગે છે કે બધા સાથે છે, પણ I N D I Aનાં બેનર હેઠળ એક થયેલા જણાતા નથી. એક બાબત તમામ વિપક્ષોએ સમજી લેવાની રહે કે અંગતતા છોડીને વ્યાપકતા તરફ નજર નહીં દોડે તો વિપક્ષો છે ત્યાં જ રહેશે. વિપક્ષોની બેઠકો ભલે થતી રહે, પણ ભા.જ.પ.નો કાંગરો ય ખરે એમ નથી. સાચું તો એ છે કે વિપક્ષો ભા.જ.પ.ને પહોંચી વળે એમ જ નથી. ભા.જ.પ.માં મતભેદો ને વિચિત્રતાઓ નથી એવું નથી, પણ ત્યાં મોદી સિવાય કોઈને આગળ કરવાની કલ્પના પણ નથી, જ્યારે વિપક્ષોમાં બધા જ નેતા થવાની સ્પર્ધામાં છે. નેતા હોય તેની પણ ના નથી ને બધા ટિકિટને લાયક હોય તો પણ, ક્યાંક તો અટકવું પડશેને ! વિપક્ષોની સૌથી મોટી મર્યાદા તેમનામાં સંયમ અને સંપનો અભાવ છે એ છે.

એ દુ:ખદ છે કે દરેક વિપક્ષ ભેગા મળીને કોઈ એક સ્પષ્ટ નીતિ કે વ્યક્તિ જાહેર કરી શકતા નથી ને પોતાની સ્પર્ધા કોની સાથે છે ને પોતે કેટલી સીટ પર લડી ચૂક્યા છે એનો ભૂતકાળ ઉખેળવામાંથી જ ઊંચા નથી આવતા. કાઁગ્રેસ 2024ની ચૂંટણીમાં 291 બેઠક પર એકલે હાથે લડવા માંગે છે ને 85 સીટ પર I N D I Aનો સહયોગ ઈચ્છે છે. દેખીતું છે કે કાઁગ્રેસ સૌથી વધુ સીટો પર એકલે હાથે લડવા માંગે તો બીજા પક્ષોને પણ એવો લોભ હોય જ, તેઓ પણ ઈચ્છે કે કાઁગ્રેસ પોતાને માટે વધુ સીટ છોડે. મમતા બેનર્જી કહે છે કે પશ્ચિમ બંગાળમાં TMCની ટક્કર સીધી ભા.જ.પ. સાથે છે ને TMC રાજ્યમાં એકલી જ લડવા માંગે છે. બીજી તરફ I N D I A દેશમાં બધી સીટો પર સાથે લડવાની વાત કરે છે, પણ સાથે લડવાનું વલણ જણાતું નથી.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ ને પ્રવક્તા સંજય રાઉત કહે છે કે લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 સીટો પર લડતી આવી છે. શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે એવું રાઉત કહે છે, પણ 2019ની ચૂંટણીમાં ભા.જ.પ.ને 23 અને શિવસેનાને 18 સીટ મળી હતી. કેજરીવાલે પંજાબની બધી જ 13 સીટ માંગી છે, પણ કમાલ એ છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં આપને 1 જ સીટ મળી હતી. દિલ્હીની કુલ સાત સીટ છે, પણ 2019માં બધી જ સીટ ભા.જ.પ.ને મળી હતી અને આપ કે કાઁગ્રેસનું તો ખાતું પણ ખૂલ્યું ન હતું. એ જ રીતે મધ્ય પ્રદેશમાં 29માંથી 28 સીટ ભા.જ.પ.ને મળી હતી ને કાઁગ્રેસને સમ ખાવા પૂરતી 1 સીટ મળી હતી, તો ઉત્તર પ્રદેશમાં 80માંથી ભા.જ.પ.ને 62, બ.સ.પા.ને 10, સ.પા.ને 5 અને કાઁગ્રેસને માત્ર એક સીટ મળી હતી ને બિહારમાં 40માંથી 17 ભા.જ.પ.ને, 16 જે.ડી.યુ.ને, લો.જ.પા.ને 6 અને કાઁગ્રેસને 1 સીટ 2019ની લોકસભા ચૂંટણીમાં મળી હતી.

તાત્પર્ય એ છે કે બધે જ ભા.જ.પ. મોખરે હોય તો 28 વિપક્ષો સીટની ખેંચાખેંચ કરે કે સૌથી મોટી પાર્ટીનો દાવો કરે તો તે કેટલે અંશે યોગ્ય છે? કાઁગ્રેસ પોતે મોટી પાર્ટી હોય તો પણ તેનો દેખાવ છેલ્લી ચૂંટણીમાં કંગાળ રહ્યો છે. હકીકત એ છે કે ભા.જ.પ. સામે તમામે તમામ વિપક્ષોનો છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં દેખાવ નબળો રહ્યો છે ને 2024માં ભા.જ.પ.ને ટક્કર આપવી હોય તો તે મુજબની સ્ટ્રેટેજી નક્કી કરવી પડે, પણ એવું કશું જણાતું નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી પણ ભા.જ.પ.ને ટક્કર આપી શકે એવાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો નથી. પાંચમાંથી 3 રાજ્યો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા.જ.પ.નો વિજય થયો છે ને તેલંગાણામાં કાઁગ્રેસ જીતી છે.

આમ ચૂંટણી જીતવાના ઠેકાણાં નથી, પણ વડા પ્રધાન પદ માટે વિપક્ષોની દાવેદારી શરૂ થઈ ગઈ છે. કાઁગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે, જે.ડી.યુ.ના નીતીશકુમાર, બ.સ.પા.નાં માયાવતી, આપના કેજરીવાલ, તૃણમૂલ કાઁગ્રેસનાં મમતા બેનર્જી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનાં નામ આગળ કરાયાં છે. એન.સી.પી.ના શરદ પવાર ભેદી છે ને રહેશે. એ વિપક્ષોની સાથે છે કે એન.ડી.એની. સાથે તે નક્કી નથી, પણ એ તો લાભ હશે ત્યાં જ લોટશે એ નક્કી છે. 2014 અને 2019માં નાલેશીભરી હાર વેઠી હોય છતાં, વિપક્ષોને અહંકારને કારણે આત્મમંથન સૂઝતું નથી તેનું આશ્ચર્ય છે.

થોડા વખત પહેલાં I N D I A ગઠબંધનની મીટિંગમાં મમતાએ વડા પ્રધાનપદના ચહેરા તરીકે ખડગેનું નામ સૂચવ્યું એને આપના ટેકા સહિત બારેક પક્ષોએ ટેકો આપ્યો, પણ બાકીના પક્ષોએ આનાકાની કરી ને વાત આગળ ના વધી. નીતીશ અને શરદ પવાર છણકાયા. ખડગેનું નામ ચાલવું જોઈતું હતું, કારણ તેમની દક્ષિણના રાજ્યોમાં સારી એવી પકડ છે. કમ સે કમ કર્ણાટક અને તેલંગાણામાં કાઁગ્રેસનું ગાડું તો ગબડ્યું જ છે. એ નામ ન હોય તો ભલે, પણ કોઈ એક નામ સર્વ સંમતિથી કે બહુમતીથી એવું નક્કી નથી થઈ શકતું જે આખા I N D I A – ગઠબંધનને પ્રસ્તુત કરી શકે. એને બદલે 28 પક્ષો 28 નામ રજૂ કરવાની બાલિશતા ધરાવે, તો એમને એ નથી ખબર કે દેશનો વડા પ્રધાન તો એક જ હોય છે, 28 નહીં. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં યોગ્ય રીતે જ પુછાયું છે કે INDIA ગઠબંધન માટે સંયોજકનો ચહેરો કયો છે? મોદીની સામે ધરી શકાય એવું નામ કયું છે? એનો જવાબ વિપક્ષો પાસે નથી.

એ જરૂરી નથી કે વડા પ્રધાનપદ માટે કોઈ ચહેરો હોવો જ જોઈએ, પણ આટલા બધાં નામ વિપક્ષો ફોડતાં હોય ને એ બધા જ કૈં વડા પ્રધાન થઈ ન શકે, એ સ્થિતિમાં બધા પક્ષોને આશ્વસ્ત કરી શકે એવું એકાદ નામ તો હોવું જોઈએ, કારણ, ન કરે નારાયણ ને વિપક્ષો સત્તા પર આવ્યા તો આ બધા ચહેરા એટલું બખડજંતર કરશે કે ફરી ચૂંટણીનું બ્યૂગલ વાગે તો આશ્ચર્ય ન થાય. આવી ભાંજગડથી થાય છે એવું કે દેશ આખામાં વિપક્ષો વચ્ચે કેટલી સમજૂતી ને સંપ છે, એ બહાર આવે છે. પ્રજા આ બધું જુએ છે. તે મૂર્ખ નથી. તેને ખબર પડે છે કે વિપક્ષોથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી, એટલે વધારે સાહસ કરવાનું પડતું મૂકીને તે, જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવે છે.

વિપક્ષો એક મત ન થાય ત્યાં સુધી ભા.જ.પ.ને વાંધો આવે એમ નથી. કોઈ ચમત્કાર જ તેને સત્તાથી દૂર રાખે એમ બને. વિપક્ષો કુસંપને કારણે હારે ને ભા.જ.પ. સંપને કારણે જીતે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જાન્યુઆરી 2024

Loading

સત્તાભૂખ્યો શાસક તો એક દિવસ વિદાય લેશે અને સત્તા છોડશે, પણ રાજ્ય ગુમાવ્યા પછી તેને પાછું મેળવવું આસાન નથી હોતું

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2023

રમેશ ઓઝા

જ્યારથી પ્રજાને સત્તામાં ભાગીદાર બનાવવાનું શરૂ થયું છે ત્યારથી પ્રજાને મેનેજ કરવાનું પણ શરૂ થયું છે. લોકોને મેનેજ કરી શકાય, જૂઠ બોલવાથી. લોકોને મેનેજ કરી શકાય, સપનાં બતાવીને. લોકોને મેનેજ કરી શકાય, ભ્રમમાં રાખીને. લોકોને મેનેજ કરી શકાય, શ્રેષ્ઠતાનો કેફ ચડાવીને. લોકોને મેનેજ કરી શકાય, ડરાવીને અને દબાવી રાખી ને. જ્યાં સુધી લોકતંત્ર નહોતું ત્યાં સુધી પ્રજાનો કોઈ રાજકીય ખપ નહોતો. પ્રજા રૈયત હતી અને રાજા જીવાડે એમ જીવતી હતી. રાજા પોતાનાં ધર્મની કે કુળની કે વંશની પ્રજાની તરફેણ કરે તો એ સહજ સમજવામાં આવતું હતું. પરધર્મી કે પરવંશીને એમાં કાંઈ અજુગતું નહોતું લાગતું. રાજા જો વધારે પડતો પક્ષપાતી અને જુલ્મી અથવા ગમાર હોય તો લોકો વધુમાં વધુ નવો રાજા ભલો અને સમજદાર મળે એ માટે પ્રાર્થના કરતા. આનાથી વધુ પ્રજા કાંઈ કરી શકતી નહોતી. પ્રજા એક જગ્યાએ હતી અને સત્તા અને શાસન બીજી જગ્યાએ હતાં. જેમ ઈશ્વર પહોંચની બહાર હતો એમ રાજવી પણ પ્રત્યક્ષ હોવા છતાં પહોંચની બહાર હતો.

પણ પછી આધુનિક યુગમાં લોકશાહી પદ્ધતિ વિકસી જેમાં પ્રજાની સત્તામાં ભાગીદારી હોય, શાસક પ્રજાને જવાબદાર હોય, શાસન પ્રજાલક્ષી હોય, પ્રજા પાસે શાસકને શાસનમાંથી હટાવવાનો અધિકાર હોય અને શાસકે દર બાંધી મુદ્દતે શાસન કરવાની અનુમતિ પ્રજા પાસેથી લેવાની હોય એવી જોગવાઈ કરવામાં આવી. હવે ક્લ્પના કરો કે આ પ્રજા શાસક માટે કેટલી માથાનાં દુઃખવારૂપ લાગતી હશે! માત્ર એક મતની મૂડી ધરાવનાર મુફલીસને લાડ લડાવવાના. વળી આનાથી બચવાનો કોઇ માર્ગ પણ નથી. એમાં જો લોકતંત્ર બંધારણીય ચૂસ્ત હોય તો પ્રજાનાં વધારે નાટક સહન કરવાનાં. જ્યાં લોકતંત્ર નામ માત્ર પણ નથી એવા દેશોએ પણ આજનાં યુગમાં બાંધી મુદ્દતે ચૂંટણી યોજવાનું નાટક કરવું પડે છે. આજે દુનિયામાં બહુ ઓછા દેશો બચ્યા છે જ્યાં બિલકુલ ચૂંટણી ન યોજાતી હોય. રશિયામાં, ચીનમાં અને બીજા તાનાશહી દેશોમાં પણ ચૂંટણી યોજાય છે.

આ બાજુ શાસકો ત્રણ પ્રકારના હોય છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે પણ આ ત્રણ પ્રકારના શાસકો હતા અને આજે લોકશાહી ધરાવતા દેશોમાં પણ આ ત્રણ પ્રકારના શાસકો મળે છે. આ ત્રણ પ્રકારમાં પહેલો પ્રકાર છે; પ્રજાવત્સલ શાસકોનો. લોકશાહી નહોતી ત્યારે પણ પ્રજાવત્સલ રાજવીઓ હતા. તેઓ પ્રજાની મરજીનું ધ્યાન રાખતા અને પ્રજાનાં કલ્યાણને વરેલા હતા. બીજો પ્રકાર હતો અને છે સત્તાનો મોહ અને મદ ધરાવનારા શાસકો. તેમનું ચાલે તો તેઓ ક્યારે ય સત્તા છોડે નહીં, પણ મૃત્યુ સામે તેઓ બિચારા લાચાર હોય છે. આવા લોકો મૃત્યુ પર્યંત સત્તા પર બેસી રહેવા આકાશપાતાળ એક કરતા હોય છે અને માટે કેટલાક શાસકો પોતાને આજીવન શાસક ઘોષિત કરતા હોય છે. રશિયાના વ્લાદિમીર પુતિને પોતાને આજીવન શાસક ઘોષિત કર્યા છે. ત્રીજા પ્રકારના શાસકો એવા હતા અને છે જે એમ માને છે કે પ્રજાએ ચોક્કસ રીતે જ જીવવું જોઈએ. તેમની ખાસ વિચારધારા હોય છે અને પ્રજાએ એ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે. જો શાસકોની ચોક્ક્સ વિચારધારા સ્વીકાર્ય ન હોય એવા નાગરિકોએ ઓરમાયા વર્તનનો સ્વીકાર કરવો જોઈએ.

અત્યારનાં લોકશાહી દેશોમા (અને લોકશાહી નહોતી એ યુગમાં પણ) મર્યાદામાં માનનારા શાસકો એક લક્ષમણરેખા દોરતા હતા. બને ત્યાં સુધી લાંબામાં લાંબો સમય તેઓ શાસન કરવા ઈચ્છતા હોય છે અને એ માટે પ્રજાને સાચાં ખોટાં વચનો આપવાં, સપનાંઓ બતાવવાં, પોતાને અત્યંત લાયક તરીકે પ્રોજેક્ટ કરવા વગેરે માર્ગ તેઓ અપનાવતા હોય છે, પણ એ પછી પણ જો પ્રજા જાકારો આપે તો તેને તેઓ સ્વીકારી લે છે. પ્રજાને રીઝવવાનો એક હદ સુધી પ્રયાસ કરે છે પણ ગમે ભોગે સત્તા નહીં છોડવાની લક્ષમણ રેખા તેઓ ઓળંગતા નથી. પરાજય અને સત્તાત્યાગ તેમને વસમાં જરૂર લાગે છે પણ તેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે છે.

બીજા પ્રકારના સત્તાભૂખ્યા શાસકો લોકતાંત્રિક અને સભ્યતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે સત્તા માટે ભાઇ ભાઈની હત્યા કરતો હતો અને ભવિષ્યમાં સિંહાસન માટે કોઈ દાવો ન કરે એ માટે પરિવારની અંદર બાળકોની હત્યાઓ કરાવામાં આવતી હતી. સત્તાનો નશો તેમની પાસે હિન કૃત્યો કરાવતો હતો. લોકશાહી દેશોમાં સત્તાભૂખ્યા શાસકો પ્રજાને આંજવાની કોશિશ કરીને અને જે ન અંજાય તેને ડરાવી રાખીને સત્તા પર વળગી રહે છે. તેઓ ધીરેધીરે પ્રતિસ્પર્ધીઓને ખતમ કરે છે અને એક દિવસ બંધારણ બદલીને પ્રતિસ્પર્ધીઓને કાયમ માટે સત્તાકીય રાજકરણમાંથી બહાર ફગાવી દે છે. તેમનું બંધારણીય અસ્તિત્વ જ ખતમ કરી નાખવામાં આવે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવામાં આવે. સત્તાભૂખ્યા શાસકોની કેવળ અંગત ભૂખ હોય છે. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેની સત્તાની ભૂખ સંતોષાવાની નથી. એટલું સારું છે કે ઈશ્વર પાસે તેનું કાંઈ ચાલતું નથી એટલે એક દિવસ તે મૃત્યુને ભેટે છે અને પ્રજાનો છૂટકારો થાય છે.

પ્રજાએ ચોક્કસ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એમ માનનારા ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધ્ય નથી હોતી, સાધન હોય છે. બીજા અને ત્રીજા પ્રકારમાં આ મૂળભૂત ફરક છે. બીજા પ્રકારના શાસકો માટે સત્તા જ સર્વસ્વ હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધન હોય છે. સર્વસ્વ તો વિચારધારા હોય છે. હા, એ વાત જૂદી છે કે તેઓ પણ યેનકેન પ્રકારેણ સત્તાને વળગી રહે છે અને સત્તા હાથમાંથી ન જાય એ માટે બધું જ કરી છૂટે છે, પણ એની પાછળનો હેતુ સત્તા કબજે કરવાનો નથી હોતો, રાજ્ય કબજે કરવાનો હોય છે. આ ફરક પણ સમજી લેવા જેવો છે. સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. રાજ્ય કબજે કરવામાં સમય લાગે છે, આ લાંબી પ્રક્રિયા છે અને માટે લાંબો સમય સુધી સત્તામાં રહેવું જરૂરી છે.

રાજ્ય એટલે રાજ્યની નીચેથી લઈને ઉપર સુધીનું સંપૂર્ણ વહીવટીતંત્ર. રાજ્ય એટલે રાજ્યની પ્રત્યેક શાસન સંસ્થાઓ. રાજ્ય એટલે રાજ્ય દ્વારા માન્ય કરવામાં આવેલું શિક્ષણ અને શિક્ષણસંસ્થાઓ. રાજ્ય એટલે રાષ્ટ્રીય સુરક્ષાની અવધારણા, સંરક્ષણ અને સૈન્ય. ટૂંકમાં ચોક્કસ વિચારધારા રાજ્યનો કબજો લે એ માટે સત્તાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બહુમતી પ્રજાને મહાનતાનો અમલ પીવડાવતા રહીને રાજ્ય પર કબજો કરી શકાય છે. આવું સામ્યવાદી દેશોમાં જોવા મળ્યું હતું અને આવું મુસ્લિમ દેશોમાં પણ જોવા મળ્યું હતું. અત્યારે હવે બીજા દેશોને પણ એનો અનુભવ થઈ રહ્યો છે. સત્તાભૂખ્યો શાસક તો એક દિવસ વિદાય લેશે અને સત્તા છોડશે, પણ રાજ્ય ગુમાવ્યા પછી તેને પાછું મેળવવું આસાન નથી હોતું. એમાં સત્તામાં બેઠેલાઓનું લક્ષ સત્તા નથી હોતું, વિચાર હોય છે. લડત લાંબી હોય છે અને અઘરી પણ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 ડિસેમ્બર 2023

Loading

...102030...842843844845...850860870...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved