Opinion Magazine
Number of visits: 9457740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આજુખેલે ‘ :  ભાષા અને જિંદગીનાં સૌંદર્યનું આહ્લાદક સ્વકથન 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 September 2023

પુસ્તક પરિચય

‘… આ વારતા તો મેં દીઠેલાં, માણેલાં જીવનનાં સૌંદર્યોનાં સીધાંસાદાં વર્ણનોની છે. ભાષા, લય, મને મળેલાં લોકો, જીવ-અજીવ પ્રકૃતિની કે મેં દીઠેલાં, અઢળક સૌંદર્યોની મુખ્ય ધારામાં વહેતા રહીને મેદાનમાં ઊતર્યા છીએ એની મોજની છે.’

‘આજુખેલે’ના આરંભે લેખક-ગીતકાર ધ્રુવ ભટ્ટે લખેલા આ શબ્દોની મનભર મોજ તેમના હજ્જારો ચાહકો અઢીસો પાનાં સુધી માણવાના.

હમણાંનાં વર્ષોનાં અત્યંત સુંદર, ઝળાંહળાં કરી દેનારા આ પુસ્તકને નવલકથાકાર  ધ્રુવભાઈએ ‘સ્મૃતિ-નવલ’ કહ્યું છે. તેઓ લખે છે : ‘હા, વાર્તામાં હોય છે તેમ આમાં કલ્પના, રચના, પ્રપંચ બધું છે. સ્મૃતિદોષ પણ છે અને બીજા પાસે સાંભળેલી વાતનાં મેં કરેલાં અર્થઘટનો પણ છે. આવું બધું છે. એટલે મેં આને સ્મૃતિ-નવલ ગણી છે.’

ધ્રુવભાઈએ અહીં જે  કંઈ પણ લખ્યું છે તે વાચકોને ગમી જ જવાનું. સ્ટેશને મળતી ‘પટ્ટાવાળી ચા’થી લઈને આકાશના કે દરિયાના ભવ્યોદાત્ત દર્શન સુધી કંઈ કેટલું ય.

રેવેન્યૂ ખાતાના કર્મચારી અને કવિ પિતાની બદલીવાળી નોકરી નિમિત્તે સૌરાષ્ટ્રના પાલિતાણા – રાજુલા – જાફરાબાદ – ભેસાણ – ઉમરાળા જેવાં ગામ-કસબામાં વીતેલું બાળપણ તેમ જ જેમતેમ ચાલેલું ભણતર, વિદ્યાનગર અને અમદાવાદમાં કૉલેજમાં શિક્ષણ સાથે બહુભાષી આઇ.આઇ.એમ.ની કરિયાણાની દુકાનમાં રોજગારીનું કામ, જાહેરખબર એજન્સી તેમ જ સ્ક્રીનપ્રિન્ટિન્ગ, ગાંધી શતાબ્દી વર્ષમાં મહાત્મા પરનાં રેલ-પ્રદર્શનમાં સહાયક તરીકે કેટલાંક રાજ્યોમાં પ્રવાસ, ઉત્પાદન કંપનીમાં નોકરી, વિવાહ અને દામ્પત્ય, પરિવાર તેમ જ આજુબાજુનાં બાળકો સાથે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાની યાત્રાઓ અને કુદરત-દર્શન, વિદ્યાનગરમાં કમ્પ્યૂટર ટાઇપસેટિંગનું કામ, સમાજકાર્ય કરતી સંસ્થા સાથે જોડાણ – આવી કંઈક અહીં સર્જકે આળેખેલા જીવનચિત્રની રૂપરેખા છે.

‘આ મારી આત્મકથા નથી, આત્મકથા લખવા જેટલી હિંમત કે સચ્ચાઈ મારામાં નથી’ એવું લેખકે શરૂઆતમાં જ કહ્યું છે.

છતાં, અહીં ઉપસતું લેખકનું વ્યક્તિત્વ સહજ, જિંદગીને ચાહનાર, માણસાઈ અને સાચકલાઈથી છલકાતું, સૌંદર્યઘેલું છે.  કંઈક અળવીતરું, અપ્તરંગી અને મનસ્વી પણ છે.

કૉલેજનો ‘ડંગોરો’ પાયખાનામાં સંતાડી દે છે. કૉલેજની પરીક્ષામાં સુપરવાઇઝર બહેને મહેણું મારતાં તત્કાળ ઉત્તરવહી તેમને ભૂંગળું કરીને આપી દે છે, એસ.ટી.માં એક મોભાદાર હમસફરનો નડતો ભારે થેલો ઉપાડીને મૂક્યા બાદ ચાર આની મજૂરી માગે છે.

એક ‘સ્કૂલ’માં વાલીઓને વ્યાખ્યાન આપતા પહેલાં આચાર્ય પાસે એ મોંઘી સ્કૂલની બાળપણ રુંધનાર રીતિનીતિ વિશે અંદાજ આવતા શ્રોતાઓને બાળકોને બીજી નિશાળમાં  બેસાડવાનું કહે છે.

‘ધરમપુરમાં આ ફકીરે ધૂણી ધખાવી છે’ એવો પોતાનો પરિચય સાંભળતા આપણા નાયક પિંડવળ છોડી દે છે, કેમ કે ‘કોઈ સિક્કો મારી આપે તેવું કે ક્યાં ય બાંધે તેવું ક્યારે ય થવા નથી દેવું’.

એકંદરે મુક્ત એવા સદાભાગી બાળપણ અને કિશોરવયની કથાના સંખ્યાબંધ પ્રસંગોમાં પડવા આખડવાના બનાવો, રમતો, રખડપટ્ટી, સાહસો, કાગળકામ, પક્ષીનિરીક્ષણ, શબ્દરમતો, નાટક આવું કેટલું ય છે. સાથે નિર્દોષતા, કુતૂહલ, વિમાસણ, ડર, વિસ્મય, અસ્પષ્ટતા, શંકા, સવાલ, અસંમતિ છે.

ભરપૂર ઇતર વાચન છે. પહેલવહેલી વાર સાહિત્યિક મેળાવડામાં હાજરી આપ્યા બાદ  પગલે લેખકનું વ્યક્તિત્વ, ભાષાકર્મ, વિવેચન જેવી બાબતો અંગે સભાન ક્રિટીકલ થિન્કિન્ગ વિકસવા લાગે છે. તેરમા પ્રકરણમાં લેખક તેની વાત હળવા અને માર્મિક વ્યંગમાં કરે છે.

તેમનો અલગ, સવાલ ઊઠાવતો નજરિયો તથાકથિત સંસ્કાર, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, ઇશ્વરની કલ્પના,પ્રાર્થના, કથા-કીર્તનો-પ્રવચનો, વેદ-ઉપનિષદોના અધ્યાત્મિક અર્થઘટનો જેવી બાબતોમાં પણ જુદાજુદા પ્રસંગોમાં જોવા મળે છે.

ભાષાનું વૈવિધ્ય અને લેખકે વર્ણવેલી ભાષાની મહત્તા આ પુસ્તકનું સહુથી મનભર પાસું છે. લેખક અહીં કેટકેટલી ભાષાઓ-બોલીઓ પ્રકટ કરે છે ! –

સાધારણ કઠિયાવાડી તો ખરી જ, ઉપરાંત સરકેશ્વરના કિનારાના ખારવા, ઘેડવાસી મેરની બોલીઓ પણ ખરી. છ ગામના પાટીદારની ને ચરોતરના ગરીબ ટ્રૅક્ટરવાળાની, ધરમપુરના કુકણા ખેડૂની અને દક્ષિણ ગુજરાતની આદિવાસી કન્યાઓની બોલી, પંજાબી અને મલયાલમ પણ યથાપ્રસંગ ગુજરાતી મુદ્રણમાં પ્રગટી જાય છે.

વળી, ‘પ્રશ્નોરાની ભાષા’ અને બીજાઓની, બોલાતી અને લખાતી, પાઠ્યપુસ્તકની અને વાર્તાઓની ચોપડીઓની, હિંદી ફિલ્મી ગીતોની, ‘અજ્ઞાનીની’, પશુપક્ષીઓની અને ગીતોના અખૂટ ખજાનાની, કાર્યક્રમોના વક્તાઓની ઇત્યાદિ ભાષાઓની વાત લેખક ઊંડી સમજથી પણ  હળવાશભરી રીતથી કરે છે.

લેખકે વ્યક્ત કરેલું ભાષાનું મહાત્મ્ય અત્યંત ઝગજોળી નાખે છે : ભાષાનાં નમણાશ, અનહદ રૂપ, રણકદાર હલક, શબ્દનો શણગાર, ભાષાનું ઋણ, રૂપરૂપના અંબાર સમો લહેકો, માતા એટલે સાદી સરળ વાણી, એનું વ્હાલ, જન્માંતરો સુધી ઝુલાવતો લયનો હિંચકો, શ્રમજીવીઓની નિર્મળ પારદર્શક ભાષાની નાની નાની સેરો.

શબ્દો છીપ જેમ ખિસામાં ભરી લેવાનું મન થાય – આજુખેલે (આ ફેરે આ દાવમાં), પાંદડી (બોટની નાની પ્રતિકૃતિ), સાતરસા (સપ્તર્ષી) વતરણાં (ભણવાને લગતાં સાધનો), અઢારિયું (અઢાર ઇંચની સાયકલ) વડવાંદરો, ગાડાકેડા, ગરકબારી અને આવા કેટલા ય.

બોલીમાં ‘હ’ યુક્ત ‘સ’ ફૉન્ટ(જે અપૂર્વ આશરે જહેમતથી ઊતાર્યા હોવાનું લેખકે ‘અકૂપાર’ના 2011ના પુન:મુદ્રણમાં નોંધ્યું છે)નો ઉપયોગ કરી સાંજે, સારા, સૂળીએ, સમજ જેવા શબ્દો ગૂર્જર પ્રકાશને છાપ્યા છે.

પુસ્તકમાં ભૂતકાળના ફોટા છે અને બાળકોએ દોરેલા ચિત્રો છે. પુસ્તકમાં QR Code છે જેના દ્વારા ચાર ગીતો અને પુસ્તકમાંના ચાર વર્ણનો દૃશ્ય-શ્રાવ્ય રૂપમાં માણી શકાય છે.

ભાષામહાત્મ્યની જેમ લેખકનો સૌંદર્યબોધ પણ અનુભૂતિ અને અભિવ્યક્તિની મૃદુતાથી વારંવાર વ્યક્ત થાય છે. તેઓ લખે છે :

‘સુંદરતા મારે ક્યાં ય ગોતવી નથી પડી. ઝીણાં આવીને ઓસરી જતાં સૌંદર્યો મને અનાયાસ આવીને જગાડી ગયાં છે’ અને ‘સાવ અચાનક પ્રગટતાં નાજુક સૌંદર્યો પર હું હંમેશાં વારી જાઉં છું.’ વળી તે પૂછે છે, ‘કહો જોઈએ, સૌંદર્યોને કોઈ એક જ સ્વરૂપે પ્રગટ થતાં ક્યાંથી આવડવાનું ?’

આખું પુસ્તક અંતર્બાહ્ય, સ્થૂળસૂક્ષ્મ, માણસના અને કુદરતના સતત આવતાં સૌંદર્યસ્થાનોથી છલકાય છે. તેમાં ય જાફરાબાદના દરિયાકિનારા પરના ‘ભાઠોડાંના રહસ્યમય સૌંદર્યલોક’ કે રાતના આકાશના ઝગમગતા ગુંબજનું વર્ણન તો મનને ભરી દે છે.

ધાતુ અને રંગરસાયણોની નિર્માણપ્રક્રિયાને જોતી વખતે લેખક ‘સૌંદર્યોની રમ્યતા અને તેની ભયજનક વિનાશકતાને એક સાથે’ જુએ છે. નજરે દેખાતાં સૌંદર્યોમાં લય દેખાતો થયો એટલે લેખકને દૃશ્યો વધુ સુંદર લાગવા માંડ્યાં. આઇ.આઇ.એમ.નાં કામ દરમિયાન તેના સંકુલમાં થઈ  રહેલાં બાંધકામમાં પાલખ પર ઊભા રહીને કામ કરતાં જનોને જોઈને લેખક નોંધે છે : ‘મજૂરોનાં શરીરો એક લચકભર્યો લય સરજતાં. એક પછી  એક  નમતાં અને ઊભાં  થતાં જતાં મેલાં-ઘેલાં સ્ત્રી-પુરુષોને હું કોઈ  કઠિન શ્રમમય નૃત્ય જોતો હોઉં તેમ જોઈ  રહેતો.’

અલબત્ત,આવા શ્રમમાં ધનિકો દ્વારા થતાં શોષણ પર ટિપ્પણી કરવાનું લેખક ચૂકતા નથી. ત્યાર બાદ તે લખે છે : ‘આ અસુખ થવા છતા, લયનું સૌંદર્ય તો મને આવા પ્રકલ્પોથી માંડીને ખેતી, વણાટ, કે ઘરના, રસોઈના કામોમાં, શેરીએ રમતાં કે શાળાએ જતાં બાળકોમાં બધે જ જડે છે. બ્રહ્માંડના સર્જન સમયે રચાયેલાં લયબદ્ધ આંદોલનો કશું જ લય વગરનું રહેવા કેમ  દેવાનાં?’

ઉત્તમ સૌંદર્યદૃષ્ટિ હોવા છતાં સૌંદર્યની વ્યાપકતાની સામે તો લેખક નામસ્તક છે. જિગર મુરાદાબાદીના એક શેરને ટાંકીને તેઓ લખે છે : ‘જીવનનાં પરમ સૌંદર્યો જ્યાં રચાય છે તે સ્થળનો ઉંબરો વટાવવાનો મારે હજી બાકી જ છે.’

‘આજુખેલે’માં અનુભવો તેમ જ પ્રસંગકથનો અને વર્ણનોનો તો ભંડાર છે. રાજુલાની, ‘કથા લખાય એવી રૂપાળી નદી’ ધાતરવડી અને વીરડા ગાળવાનું કામ, કાગળની કરામતો અને  ખારવાઓના દેવી શિકોતર માતાનો મેળો, સરકેશ્વરના મંદિર પાસે ‘ડાળ’ કહેવાતા કૂવામાંથી પાણી ખેંચવાનું ને કાળુભાર નદીને કાંઠે ઉજાણી, ઘરે બેસાડેલા ઘનશ્યામ મેરાઈની વાત કે બાનું  પાડોશી કંકુબહેન સાથે ઘઉં વીણવાનું કામ, પુસ્તકોની મોહિની અને જૂનાગઢની પુસ્તકોની દુકાનમાં  ખરીદી, પોતાના દીકરાને બકરો ઉપાડી જવાનો બનાવ કે પછી જુદી જુદી નોકરીઓની ખાટી-મીઠી હળવી વાતો – આ યાદી લાંબી થાય. ધ્રુવભાઈ કંઈપણ લખે વાચનીય જ હોય.

પાત્રો ય કેવાં પ્રભાવશાળી : ‘બાને બધી  ખબર હોય જ’ એવું માનવાનું મન થાય તેવા ખૂબ વાંચતાં, એનાથી ય વધુ સમજતા માતા, ભાષાનું અનહદ રૂપ ખીલવનાર રાંભી મેરાણી, દીકરીઓના જાગરણની વારતામાં બત્રીસ પૂતળીઓને જીવંત કરનારા શારદાબા, શાળાના બાળકોને પ્રેમથી પાણી પાતાં ‘ગ્રામ્યમાતા’ ગંગાબા, પંજાબમાં ગાંધીવિચારનું કામ કરતાં દલજિત કૌર અને નાન્ની. નખચિત્રો પણ સરસ ઉપસી આવે છે, જેમ કે, ‘વર્ષાના ઘટાટોપ વાદળ જેવો વાન’ હોય તેવી ભામી બંદૂકવાળા ઇસ્માઇલકાકા, દિલદાર ખારવા, ભાષાનો જુલમ કરનાર શિક્ષક -‘ભૂતકૃદન્ત’, અને બીજા પણ.

પુસ્તકના છેલ્લાં બે પાનાંમાં પોરબંદરથી માંગરોળ સુધીની ઘેડની દરિયાપટ્ટીને કિનારે લેખકને મળેલાં ‘જગતથી જુદી રીતે રહેતાં’ ઉમદા પાત્રો છે : ભાભી માટે જીવ આપી દેનાર શૌર્યવાન દિયર ઝખરો અને તેની પાછળ જીવનાર ધૈર્યવાન ભાભી ઝાંજી, માધવપુર ‘ઘેડમાં સાપથી માણસ કે માણસથી સાપ મરવો ન જોઈએ તેની મથામણમાં જિંદગી આપી દીધી’ તેવો અરુણ, દરગાહ પરના ફકીરને જમાડ્યા પછી જ જમનારો બગસરાના મેર, મધુવનના પંખીઓને ચણ અને પાણી આપ્યા વિના ન જમનાર નાના દુકાનદાર, ઘર છોડીને આવીને દરિયાકાંઠે પોતે જાણે દરિયાને પરણી હોય તેમ આખી જિંદગી એકલાં રહીને વીતાવનાર બહેન.

આ બધા લોકો આવા સારા કેમ એવું લેખકે ઘેડની એક વાડીમાં રહેતાં અને પ્રેમથી જમાડતા એક મેર નારીને પૂછ્યું. જવાબ મળ્યો : ‘ઇ તાં બાપ આંય અમારે અનંતની ઘરની લેરૂં આવે પસી તો ઇ જ હોય ની ?’

(સૌજન્ય : સરલાબહેન ભટ્ટ, કિરીટ દૂધાત)
‌‌‌‌‌‌‌‌‌—‌‌‌‌‌‌‌——————

આજુખેલે : સ્મૃતિ-નવલ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, પહેલી અને બીજી આવૃત્તિ એપ્રિલ 2023, પાનાં 256, રૂ. 320/- 

પ્રાપ્તિસ્થાન : 

– ગૂર્જર સહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ. મો. 9227055777 

–  ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. મો. 9898762263

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

કાયદો નક્કી, પણ ફાયદો નક્કી નહીં !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 September 2023

રવીન્દ્ર પારેખ

ગરમાગરમ ખીચડી થાળીમાં પીરસાઈ હોય, ભૂખ પણ લાગી હોય ને કોઈ ફરમાન કાઢે કે ખીચડી 2029માં ખાવાની છે, તો તેને પુછાયને કે 2029માં જ ખાવાની હોય તો ખીચડી ત્યારે જ બનાવીએ ને, 2024થી બનાવીને 5 વર્ષ વાસી કરવાની જરૂર છે? પણ આવું કોઈ પૂછતું નથી ને ખીચડી વાસી થઈ જશે એવું ભાન પણ ખીચડી બનાવનારને પડતું નથી ! આવું જ મહિલા આરક્ષણ બિલને સંદર્ભે થયું છે. સંસદનું વિશેષ સત્ર સંસદનાં નવાં ભવનમાં બોલવાયું અને મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતે, 2/3 બહુમતીથી પસાર થયું. બીજે દિવસે ગુરુવારે રાજ્યસભામાં એ બિલ સર્વાનુમતે પસાર થયું.

આ પછી બિલ લાગુ કરવાને મામલે જે ચર્ચાઓ ચાલી તેમાં એ બહાર આવ્યું કે આ બિલ વસ્તી ગણતરી અને સીમાંકન પછી લાગુ થશે. સીમાંકન એટલે મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા. પ્રસ્તાવિત બિલનો ભાગ એવો છે કે અનામત આધારિત ફેરફારો, વસ્તી ગણતરી પછી જ લાગુ કરાશે ને વસ્તી ગણતરી ડેટાને આધારે મત વિસ્તારોનું ફરી સીમાંકન કરાશે. જો એ વાત સ્વીકારીએ તો કોરોનાને કારણે 2021ની વસ્તી ગણતરી થઈ નથી ને જો ક્રમિક રીતે થાય તો 2031માં થઈ શકે. 2002માં બંધારણમાં કરેલ ફેરફારો મુજબ મતવિસ્તારની સીમાઓ 2026 સુધી નિશ્ચિત છે. 2026ને અંદાજે દેશની વસ્તી 142 કરોડથી વધુ હશે. એ હિસાબે આજની લોકસભા સીટો પણ 543થી વધીને 753 થાય, એમાં પણ વસ્તી વધુ હોવાને કારણે ઉત્તર ભારતની સીટો વધે ને દક્ષિણ ભારતની સીટોમાં બહુ ફેર ન પડે એમ બને. 2026 પછી વસ્તી ગણતરી 2031માં થઈ શકે ને તે પછી સીમાંકન હાથ પર લેવાય તો તે પૂર્ણ થતાં 2037ની આસપાસનો સમય આવી રહે. વસ્તી ગણતરીના ડેટા પહેલાં સીમાંકન કરી ન શકાય. તે પછી મહિલા અનામત બિલ લાગુ કરવાનું કોને, કેટલું યાદ રહે તે વિચારવાનું રહે. જો આમ થાય તો 2029 પછી પણ, મહિલા અનામત બિલ લાગુ થાય જ એની કોઈ ખાતરી નહીં !

ટૂંકમાં, મહિલા આરક્ષણ બિલની 2024ની ચૂંટણીમાં કોઈ અસર વર્તાય નહીં, એવી પૂરી શક્યતાઓ છે. બિલ તો રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં કાયદો થશે, પણ તે 2024ની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામતનો લાભ નહીં અપાવી શકે. બિલની જોગવાઈ જ એ પ્રકારની છે કે બિલનો પ્રભાવ 2024ની ચૂંટણીમાં નહીં પડે. આજની તારીખે 543 સાંસદોની સામે 33 ટકા લેખે સંસદમાં મહિલાઓની સંખ્યા 181 હોવી જોઈએ, જેની સામે મહિલા સાંસદો 82 છે. જો 2024થી જ મહિલા અનામત બિલ લાગુ થાય તો બીજી સોએક મહિલાઓને અનામત બિલનો લાભ મળે, પણ બિલની જોગવાઇઓ બદલવાનો સરકારને જ રસ નથી, એટલે 2024ની ચૂંટણીમાં મહિલા અનામત બિલ પસાર થયું હોવા છતાં પ્રભાવ વગરનું જ રહેશે.

અહીં પ્રશ્ન એ થાય કે 2024માં લાગુ થવાનું જ ન હતું, તો વિશેષ સત્ર બોલાવીને બંને ગૃહોમાં પસાર કરાવવાની સરકારે ઉતાવળ કેમ કરી? જો ખીચડી વહેલામાં વહેલી 2029માં જ ખાવાની હતી, તો 2024માં રાંધવાની જરૂર હતી? આમ તો 2010માં જ આ બિલ રાજ્યસભામાં પાસ થયું હતું, પણ લોકસભામાં પસાર ન થતાં તે કાયદો બની શક્યું નહીં. એ સંદર્ભે કાઁગ્રેસી નેતા સોનિયા ગાંધીએ યોગ્ય જ પૂછ્યું હતું કે મહિલાઓ 13 વર્ષથી આ બિલની રાહ જોઈ રહી હોય તો હજી તેણે ચાર, છ. આઠ કેટલાં વર્ષ રાહ જોવાની છે? આ બિલ ‘નારી શક્તિ વંદન વિધેયક’ને નામે કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને લાંબી ચર્ચાને અંતે 215 વિરુદ્ધ શૂન્ય મતથી રાજ્યસભામાં પસાર થયું, પણ આટલી હાયવોયનો કોઈ અર્થ રહ્યો નહીં.

એક વાત બહુ સ્પષ્ટ છે કે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું તેને લોકસભામાં બહુમતી અને રાજ્યસભામાં કોઈ વિરોધ વગર પસાર કરવામાં આવ્યું. અગાઉ સ.પા. અને રા.જ.દ. પાર્ટીએ સંસદમાં મહિલા અનામત બિલની કોપી ફાડી નાખી હતી, તેમણે પણ આ વખતે બિલનું સમથન કર્યું ને હવે તે કાયદો ય બનશે, તો તેને લાંબે વાયદે અભરાઈએ ચડાવી દેવાનો કોઈ અર્થ ખરો? જો મહિલા આરક્ષણ બિલ સરકારનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ નથી અને તે મહિલાઓનું હિત જ ઈચ્છે છે, તો તેણે આ ચૂંટણીથી જ બિલને પ્રભાવી બનાવવું જોઈએ. એમ નહીં થાય તો મહિલા આરક્ષણ બિલ, મહિલાને અનામત આપ્યા વગર જ મહિલાઓના મત પડાવવાનો રાજકીય સ્ટન્ટ માત્ર બની રહેશે. એ સ્થિતિમાં મહિલા અનામત બિલ સરકારની વિરુદ્ધમાં જાય એમ બને. એ પછી તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, તીન તલાક બિલ વગેરે પણ ચૂંટણીલક્ષી સ્ટંટ જ ગણાઈ જાય એમ બને.

સાદી વાત એટલી છે કે મહિલા આરક્ષણ બિલ ખાસ સત્રમાં, નવા ભવનમાં લાવવામાં આવ્યું છે ને જેને પ્રયત્ન છતાં અગાઉની સરકારો કાયદો બનાવી શકી નથી. એ યશ ભા.જ.પ.ની સરકારને જ મળ્યો છે ને એ લાભ ખાટતાં પણ તેને નવ વર્ષ લાગ્યાં હોય, તો 2029 સુધી તેનો અમલ જ ન થાય એ સ્થિતિમાંથી બિલને ઉગારી લેવું જોઈએ. એ સ્થિતિ ટાળવા, બિલ જ્યાં ને જેટલું લાગુ કરી શકાય, તાત્કાલિક લાગુ કરવું જોઈએ. પછી જનગણના ને સીમાંકનની સરળતા થાય ત્યારે ભલે, તે નવા ફેરફાર સાથે ફરી લાગુ થાય.

મોટે ભાગે તો વિપક્ષ બિલ મંજૂર કરાવવામાં નડતો હોય છે, જ્યારે આ મામલે વિપક્ષ પૂર્ણપણે ઈચ્છે છે કે બિલ તાત્કાલિક અસરથી લાગુ થાય, તો સરકારે પોતે આ બિલ લાગુ કરવામાં વિલંબ ન જ કરવો જોઈએ. આમ તો વડા પ્રધાન OBCની વાતો કરતા રહે છે, પણ મહિલા અનામત બિલમાં તેની કોઈ વાત નથી તેનું આશ્ચર્ય જ છે. જાતિ છે તેથી અનામત છે કે અનામત છે તેથી જાતિ છે, એ જવા દઇએ તો પણ જાતિ આધારિત વસ્તી ગણતરી સુધી વાત આવી છે એટલે, એટલું ચોક્કસ છે કે નજીકમાં તો જાતિ જવાની નથી ને જાતિ છે તો જાતિગત ભેદભાવ પણ રહેવાના જ છે. ન રહે તો મત માટે પણ રાજકારણીઓ તે રાખવાના છે. મહિલાઓને અન્યાયની નવાઈ નથી. તેને વિષે વાતો તો મોટી મોટી થાય છે, પણ તેનાં શોષણની એક પણ તક શિક્ષિત કે અશિક્ષિત વર્ગ જતી કરતો નથી. એમાં વળી મંજૂર થયેલું બિલ લાગુ ન કરીને, મહિલાઓને અન્યાય કરવામાં, કેન્દ્ર સરકાર જ મોખરે રહે તે ઈચ્છવા જેવું નથી. કાઁગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આગ્રહપૂર્વક ઈચ્છે છે કે મહિલા અનામત બિલ લાગુ કરવામાં વસ્તી ગણતરી કે સીમાંકનની રાહ જોવાની જરૂર નથી. જો વિપક્ષ આ માનતો હોય તો સરકારે બિલ લાગુ કરવાને મામલે પુનર્વિચાર કરવો જ જોઈએ.

નારીશક્તિ વંદન વિધેયક રાજ્યસભામાં ચર્ચા માટે મુકાયું ત્યારે ચર્ચાની શરૂઆત કરતાં, બિલનાં શીર્ષક ‘નારીશક્તિ વંદન વિધેયક’ સંદર્ભે, કાઁગ્રેસી રંજિત રંજને કહ્યું કે નારીને ‘વંદન’ નહીં, પણ સમાનતા જોઈએ છે. સારી વાત એ છે કે વિપક્ષો સહિત રાજ્યસભામાં કોઈએ બિલનો વિરોધ કર્યો નથી, પણ કેટલીક અપેક્ષાઓ જરૂર રહી છે, જેમ કે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું કે ઓ.બી.સી. અને અલ્પસંખ્યક મહિલાઓને તક મળવી જોઈએ. ટ્રિપલ તલાક પર વાતો તો બહુ થઈ, હવે એમને ટિકિટ પણ આપો. એક તરફ વિપક્ષી સાંસદોને તાત્કાલિક બિલ લાગુ કરવાની ઉતાવળ છે, તો ભા.જ.પ.ની મહિલા સાંસદોને એવી કોઈ ઉતાવળ જણાતી નથી, એ તો બિલની ઉજવણીનો આનંદ લેવામાં જ વ્યસ્ત છે. વસ્તી ગણતરી અને સીમાંકનની મર્યાદા લાગવાને કારણે બિલ મંજૂર થવા છતાં, હાલ તુરત તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી, એ તેમની ચિંતાનો વિષય જ નથી.

યુ.એસ.-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ-USISPF-તો પ્રશંસામાં કહે છે કે મહિલા આરક્ષણ આપવાનું ભારતે ઐતિહાસિક પગલું ભર્યું છે, જે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ બંધારણીય રૂપથી સુનિશ્ચિત કરશે. હાલ ભારતમાં 95 કરોડ મતદારોમાંથી લગભગ અડધી મહિલા મતદારો છે, પણ સંસદમાં તેનું પ્રતિનિધિત્વ માંડ 15 ટકા કે રાજય-વિધાનસભાઓમાં 10 ટકા છે. હવે બિલ પસાર થયું છે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ 33 ટકા થઈ જશે. અમેરિકી ફોરમને પણ એવું જ છે કે બિલ તરત જ લાગુ થવાનું છે, પણ હકીકત એ છે કે વસ્તીગણતરી અને સીમાંકનનો મુદ્દો નહીં હટે, તો આ બિલ લાગુ થતાં વર્ષો નીકળી જશે ને તે પછી પણ લાગુ થશે જ એની કોઈ ખાતરી નથી.

એક તરફ મહિલા અનામતની ટકાવારી 33 ટકા કરવાની વાત છે, તો બીજી તરફ કોર્પોરેટર બનેલી મહિલાઓ ઘરમાં તો ઠીક, કોર્પોરેશનમાં પણ સ્વતંત્ર નિર્ણય લેવાની સ્થિતિમાં નથી કે નથી તેમને જે જવાબદારી સોંપાઈ તે અંગેનું પૂરતું જ્ઞાન-ભાન ! કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી બાંકડાઓ જે તે વિસ્તારના મહિલા કોર્પોરેટરો પણ મૂકતાં હોય છે, પણ એ અંગેનાં નિર્ણયો પણ તેમના પતિ લેતા હોય છે. ઘણી મહિલા કોર્પોરેટરો તો એ જવાબદારી પતિની હોય તેમ ફોન સીધો પતિને પકડાવીને છૂટી જતી હોય છે. બધી મહિલાઓ એવી છે એવું નથી, પણ ઘણીખરી મહિલાઓની આ સ્થતિ છે. મહિલા મંત્રીઓ પણ કોઈ રાજકીય કે ખાતાકીય નિર્ણયો લેવાનો હોય તો પતિની અનુમતિની રાહ જોતી હોય એમ બને. આ માનસિક્તામાંથી જો મહિલા કોર્પોરેટરો, વિધાનસભ્યો, સાંસદો છૂટી ના શકતાં હોય, તો મહિલા અનામત બિલનું લોલીપોપ પકડાવીને, સરકારે મહિલાઓના મતની માત્ર ઉઘરાણી કાઢી હોય એવું નથી લાગતું

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 સપ્ટેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—215

દીપક મહેતા|Opinion - Opinion|24 September 2023

જ્યારે આખા મુંબઈની વસતી હતી ૫,૦૦૦ અને વાર્ષિક ઉપજ હતી ૭૦૦ રૂપિયા 

સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.

પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 

વાછા શેઠ : મહેતાજી, તમોને ફરી મળીને ઘન્ની ખુશી ઉપજી.

દી.મ .: હા જી. મને બી આનંદ થયો કે આપ વાતો કરવા માટે બીજી વાર અહીં પધાર્યા. પણ આપના મુંબઈનો બહાર પુસ્તક વિષે વાત કરતાં પહેલાં બીજી એક વાત પૂછવી છે.

વાછા શેઠ : તે પૂછો ની! માલુમ હોસે તો જનાવિસું. 

દી.મ. : આ બનાજી લીમજી અગિયારી એ મુંબઈની પહેલવહેલી અગિયારી એ વાત તો જાણે બરાબર. પણ એ જમાનામાં એ બંધાવનાર બનાજી લીમજી હતા કોણ?

વાછા શેઠ : આય મુંબઈમાં બનાજી ખાનદાનનો પાયો એવણે નાખેલો. તેમનું ખાનદાન મૂળ સુરત પાસેના ભગવાડાંડી નામના ગામનું. ઈ.સ. ૧૬૯૦ના અરસામાં એવન વતન છોડી મુંબઈ આયા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર ખાતામાં નોકરીએ લાગ્યા. પછી બનાજી લીમજી નામની પેઢી શુરુ કીધી અને દેશાવરો સાથે, ખાસ કરીને ચીન સાથે વેપાર શુરુ કીધો. વેપાર માટે બર્માના પેગુ શહેર સુધી જઈ આવેલા.

દી.મ. : આ બર્મા તે આજનું મ્યાનમાર, અને પેગુનું આજનું નામ છે બાગો.

વાછા શેઠ : હોસે, બાવા! પણ અમુને તો અમારા જમાનાનું નામ જ માલુમ હોય ને! પન અમારા સાંભલવામાં આવ્યું ચ કે રસ્તાઓ અને મકાનોનાં નામ બદલ્યા પછી હવે તો તમે લોગ આય દેશનું નામ બી બદલવાના છો! 

દી.મ. : જવા દો ને શેઠ, એ બધી વાત. બનાજી શેઠ વિષે થોડી વાત કરો ને!

વાછા શેઠ : અમારી પારસી પંચાયત એવનની હયાતીમાં શુરુ થઈ હુતી અને બનાજી શેઠ તેના વડા અકાબર, એટલે કે મુખિયા નિમાયા હુતા અને તેથી એવનને ‘દાવર’નો ઈલ્કાબ એનાયત થિયો હૂતો. એંસી વરસની ઉંમરે ૧૭૩૪ના જુલાઈ મહિનાની ૩૦મી તારીખે એવન ખોદાયજીને પ્યારા થઈ ગયા હુતા. 

દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?

વાછા શેઠ : એમાં વલી પૂછવાનું સું? માલુમ હોસે તો જરૂર જવાબ આપીસું.

દી.મ. : આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?

વાછા શેઠ : તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પ્હેલાં એવું જ હુતું. જાત મહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે, તેમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોના ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આપ્યું ‘મુંબઈનો બહાર.’

દી.મ. : પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?

વાછા શેઠ : ના, જી. તેમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિંદુ, અને પારસી ખાનદાનોની મળી તેટલી માહિતી મેં આપી છે.

દી.મ. : આજે તો માગો તે આપે એવા ગુગલદેવાના અમારા પર ચાર હાથ છે. પણ એ જમાનામાં તો એ હતા જ નહિ. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?

વાછા શેઠ : હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈ. એટલે પહેલું કામ કર્યું તે મુંબઈના અખબારોમાં લાંબી લચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.

દી.મ. : હા જી. પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.

વાછા શેઠ : જેવી તમારી મરજી. લો, વાંચો.

દી.મ. : (વાંચે છે) “મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતના હિંદુઓ તથા મુસલમાનો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ, તથા ઈસાઈ કોમના શેઠ શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ, તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહીશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે, અને બીજીની શોધમાં પણ તે મશગુલ રહેલો છે, માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમના નેકીભર્યા કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદથી લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જે કોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.” 

વાછા શેઠ : અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.

દી.મ. : પણ એ કહોને વાછા શેઠ, કે તમારી આ જાહેરાતનો રિસ્પોન્સ કેવો રહ્યો?

વાછા શેઠ : રૂપિયે બે આની બી નહિ. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી : હિંમતે મર્દા તો મદદે ખુદા. પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી … એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો :

ઉજડેલું ફરી વસે, ને મુફલીસ ઘર ધન જાયે,

ગયું જોબન નહિ આવે પાછું, મૂવો ન જીવતો થાયે. 

આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને તેને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જાગાને એક સુંદર બગીચા જેવી બનાવી. 

દી.મ. : વાછા શેઠ! અલગ અલગ ખાનદાનોની વાત કરતાં પહેલાં આપે પુસ્તકમાં મુંબઈના ઇતિહાસ અને વિકાસની આછી ઝલક પણ આપેલી છે. તેની થોડી વાત કરો ને!

વાછા શેઠ : એ વાત કરું એ પહેલાં એક કવિતની થોડી લીટી સંભળાવું :

મુંબઈ છે રળિયામણી, અસલથી સદા હસંતિ,

સઘળી વરણનાં લોકે આવી, કીધી તેમાં વસતી.

એ ધરતીનું પેટ જ મોટું, રહે છે ખીલંત અપાર,

ચોમેરથી આવતાઓને, મળે છે સુખ-સંસાર. 

જુઓ, સમજો. છેક ઈ.સ. ૧૭૧માં ટોલમી નામના મુસાફીરે મુંબઈની વાત કીધી છે. એ જમાનામાં મુંબઈની પેદાસ એક જ હુતી : માછલી. અને વસતી હતી ફક્ત માછીમારોની. એમના સાત ટાપુ ધીરે ધીરે જોડાતા ગયા અને બન્યું આ મુંબઈ. પોર્ટુગીઝ અમલ શુરુ થિયો તે અગાઉ અહીં ફક્ત પાંચ જાતિના લોક વસતા હુતા : માછીમાર કોળીઓ, ભોંગલા ભંડારીઓ, પલસિયા જોશીઓ, પાટાણે (પાઠારે) પ્રભુઓ, અને પાંચકળશી. આ બધા ઈ.સ.ની ૧૪મી સદી પહેલાં અહીં આવી વસ્યા હુતા. તે પછી ઘને વખતે કોંકણથી કેટલાક ઇસ્લામ ધરમ પાળતા લોકો અહીં આવિયા.

કોળી વર-વહુ 

દી.મ. : પોર્ટુગીઝો અને અંગ્રેજો અહીં આવ્યા તે પછી મોટો ફરક કઈ રીતે પડ્યો?

વાછા શેઠ: જુઓ, તમુને એક બાબદ કહું. પોર્ટુગીઝો આવિયા તે પહેલાં મુંબઈમાં મેરાઈ કહેતાં દરજી જોવા મળતા નહિ. કેમ? કારણ એ વેલા અહીંના બધા મરદ અને બૈરાં વટીક સીવ્યા વગરનું કપડું જ શરીરે વીટાલતા. પણ પોર્ટુગીઝો આવિયા તે વારે તેમના સૈનિકો બી આવિયા. તેઓ તો સીવેલાં કપડાં પહેરે. એટલે અહીં ધીમે ધીમે દરજીનો ધંધો ફેલાયો. તેમાં છીપી આત્મારામ બાલાજી તો એ જમાનામાં ઘન્નો મશહુર અને પૈસાવાળો થિયો હૂતો. તે એવો કુશળ કારીગર હૂતો કે અંગ્રેજોના લશ્કરના બધા સૈનિકોના યુનિફોર્મ સીવવાનો ઈજારો કંપની સરકારે એવનને આપિયો હૂતો. પોતાના હાથ નીચે ઘન્ના બધા દરજીને રાખીને તેણે તો જાણે એકુ ફેક્ટરી જ ચલાવી. તેની જાતિમાં તે મોટો શેઠિયો ગણાવા લાગ્યો. મોટી રકમ ખરચીને ભુલેશ્વરમાં સભા મંડપવાળું એક મોત્તું મંદિર બંધાવ્યું અને વારસદારો માટે સારી એવી દોલત મૂકીને ૮૦ વરસની વયે ગુજરી ગયો. પણ પછી વિશ્વનાથ નામના તેના  પોરિયાએ એશોઆરામ અને લંપટપનમાં સઘળો પૈસો ઉડાવી દીધો, અને છેક જ મુફલિસ હાલતમાં ગુજરી ગયો. પેલું તમે લોક કેવ છો ને, ‘દીવા તલે અંધારું’ એવું જ થિયું. 

દી.મ.:  પણ પોર્ટુગીઝો અહીં આવ્યા ત્યારે મુંબઈની હાલત કેવી હતી?

વાછા શેઠ : બિલકુલ મુફલીસ જેવી. એ વખતે આય મુંબઈ એ ઠાણેના એક સરદારની હુકુમત નીચે હૂતી. ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝો આવિયા તે વારે રહેવા માટેની જાગો એ સરદાર પાસે માગી. પેલા સરદારે તે હસીખુશી આપી દીધી. એ વખતે આય મુંબઈમાં ૪૦૦ ખોરડામાં પાંચ હજાર જેટલા લોકો રહેતા હુતા. પોર્ટુગીઝ સરકારે પોતાના કરવેરા ઉઘરાવવાના શુરુ કીધા ત્યારે ઘન્ના વખત સુધી આખા મુંબઈની એકુ વરસની ઊપજ હુતી આજના (એટલે કે વાછા શેઠના) ૭૦૦ રૂપિયા જેટલી! પણ પછી ગોવા, કોંકણ, વગેરે જગોથી આવીને લોક અહીં વસવા લાગ્યા. તે પછી સને ૧૬૪૦માં સુરત જિલ્લાના મોરા સુમારી ગામથી દોરાબજી નાનાભાઈ નામના પારસી પોતાના ગરીબ કબીલા સાથે આવીને મુંબઈમાં વસ્યા. મુંબઈ આવનારા એવન પહેલા પારસી, પહેલા ગુજરાતી. 

દી.મ. : વાછા શેઠ, કહે છે કે અહીં આવીને પોર્ટુગીઝોએ કિલ્લા બી બાંધ્યા.

ડોંગરીના કિલ્લાના અવશેષ

વાછા શેઠ : હા, કારણ ત્યારે ચારે બાજુથી દુશ્મનોની બીક હુતી. દરિયાઈ રસ્તે અને જમીન રસ્તે દુશ્મનો અહીં આવી શકતા. પોર્ટુગીઝોએ પહેલો કિલ્લો બનાવિયો તે ડુંગરી કે ડોંગરીનો કિલ્લો. એની અંદર તેમનું લશ્કર, દારુગોળો, અને બીજો સરંજામ રહેતા. કિલ્લાની આસપાસ બેઠા ઘાટના બંગલા બી બાંધ્યા જેમાં પોર્ટુગીઝ અમલદારો રહેતા હુતા. અને બે પાંદડે સુખી હોય એવા ‘દેશીઓ’ને રહેવા માટે હાલના પાલવા બંદરથી મસ્જિદ બંદર સુધીની જાગો તેમણે મુકરર કીધી. એ વખતે દેશાવર સાથેનો બધો વ્યવહાર લાકડાનાં બારકસો (વહાણો) મારફત થતો. એ વહાણોની મરામત અને દેખભાળ રાખવા સારુ હાલના કોટ વિસ્તારની નજીક ગોદી બનાવી હુતી. વેપારી વહાણો બી આવતાં. તેમની પાસેથી મહેસૂલ ઉઘરાવવા માટે માહિમ તરફ એક માંડવી બી ઊભી કરેલી હુતી. આય પોર્ટુગીઝોએ ૧૩૨ વરસ સુધી આપરી આ મુંબઈ પર રાજ કીધું.

દી.મ. : અને પછી આવ્યા અંગ્રેજો. પણ વાછા શેઠ, એમના વિશેની, અને બીજી ઘણી વાતો આપણે હવે આવતા શનિવારે કરીશું. 

વાછા શેઠ : ભલે, ભલે. ખોદાયજી તમુને સાજાસારા રાખે એ જ દુઆ. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 23 સપ્ટેમ્બર 2023)

Loading

...102030...842843844845...850860870...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved