Opinion Magazine
Number of visits: 9553064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૂન્ય …

હિતેશ એસ. રાઠોડ|Poetry|25 September 2025

શૂન્ય છું હું સાવ એકલું-અટૂલું
મને બસ શૂન્ય જ રહેવા દે,
થઈ જા તું કોઈ અંક લાખેણો
મને બસ શૂન્ય જ રહેવા દે,
વહેતું થઈશ જો હું નયનથી
તો નીતરી જઈશ તું યે પછી,
થઈ જા તું નૈનનું કાજલ ઘેરું
મને બસ ખારું અશ્રુ જ રહેવા દે,
શું થયું જો સુગંધ નથી મારી
પમરાટ તારો પણ ક્યાં રહેશે સદા,
થઈ જા તું કોઈ ફૂલ મઘમઘતું,
મને તો બસ કંકુ-ચોખા જ રહેવા દે

સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com

Loading

રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 September 2025

ચંદુ મહેરિયા

અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું પ્રબળ દાવેદાર છે. દેશની નેમ છે કે વૈશ્વિક મંચ પર રમત ક્ષેત્રે તે ઉત્કૃષ્ઠ દેખાવ કરે અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરે. તે માટેના સરકારી પ્રયાસોની દિશામાં એક મહત્ત્વની પહેલ નેશનલ સ્પોર્ટસ પોલિસી ૨૦૨૫ છે. પચીસ વરસો પહેલાંની ૨૦૦૧ની રાષ્ટ્રીય ખેલકૂદ નીતિનું તે સ્થાન લેશે. 

૨૦૨૫ની નવી ખેલકૂદ નીતિ અનેક બાબતોમાં નવીન છે. ખેલો ભારત નીતિ તરીકે ઓળખાવાયેલી નેશનલ સ્પોર્ટસ પોલિસીના પાંચ આધારસ્તંભ છે :  ઉત્કૃષ્ટતા, સામાજિક આર્થિક વિકાસ, લોકભાગીદારી અને રમત તથા શિક્ષણનું એકીકરણ. ભારતને વિશ્વસ્તરે અગ્રણી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પોલિસી પરિવર્તનકારી પહેલ લાગે છે. તેનો ઉદ્દેશ માત્ર રમતવીરો તૈયાર કરવાનો જ નથી, પરંતુ અધિક સશક્ત, સ્વસ્થ અને સક્રિય નાગરિકો તૈયાર કરવાનો છે. તેનું એક લક્ષ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું છે તો ૨૦૪૭માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી વખતે ભારતને વિશ્વના પાંચ અગ્રણી રમત રાષ્ટ્રોમાં સ્થાન અપાવવાનું પણ છે. રમત પરિદૃશ્યને નવો આકાર આપવા તાકતી સ્પોર્ટસ પોલિસી રમતના માધ્યમથી લોકોને સશક્ત બનાવવા સાથે દેશને વૈશ્વિક ખેલ મહાશક્તિ તરીકે સ્થાપવાની ઉમેદ રાખે છે. 

આંતરરાષ્ટ્રીય રમત હરીફાઈઓમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે દેશમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધવા, તેમને ઉત્તમ તાલીમ આપી સ્થાનિકથી વૈશ્વિક રમતો માટે તૈયાર કરવા તે ખેલકૂદ નીતિની પ્રાથમિકતા અને પહેલું પગથિયું છે. આ માટે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં રમતગમતના મૂળભૂત માળખા ઊભા કરાશે. વિશ્વસ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રમતવીરોના ઉત્કૃષ્ટ દેખાવ માટે વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાજિક અને આર્થિક વિકાસ સાથે રમતોને જોડવામાં આવશે. સ્પોર્ટસ ટુરિઝમમાં વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાઓનું આયોજન, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કે સી.એસ.આર.ના માધ્યમથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સહયોગ જેવાં આર્થિક પગલાં તો સામાજિક સમાવેશન થકી સમાજિક વિકાસ સધાશે. આદિવાસી, નબળાવર્ગો, દિવ્યાંગો અને મહિલાઓને રમતક્ષેત્રે આગળ આવવા ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે. દેશી અને પારંપરિક રમતોને ઉત્તેજન આપવામાં આવશે. ખેલકૂદને લોકઆંદોલન બનાવવામાં આવશે. તે માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશો અને સમુદાય આધારિત કાર્યક્રમો કરવામાં આવશે. ૨૦૨૦ની શિક્ષણ નીતિને અનુરૂપ શાલેય પાઠ્યપુસ્તકોમાં રમતગમતને સામેલ કરવામાં આવશે. 

નવી ખેલકૂદ નીતિના અસરકારક અમલ માટે તબક્કાવાર વિચારણા થવી જરૂરી છે. પોલિસીમાં કાયદાકીય માળખા સહ રમતગમતના વહીવટ માટે મજબૂત નિયામક તંત્ર સ્થાપિત કરવાની દરખાસ્ત છે. તે પ્રમાણે સંસદના વર્ષાસત્રમાં નેશનલ સ્પોર્ટસ ગવર્નન્સ બિલ ૨૦૨૫ રજૂ થયું હતું. આ બિલમાં રમતોના વિકાસ અર્થે નેશનલ સ્પોર્ટસ બોર્ડ, નેશનલ સ્પોર્ટસ ઈલેકશન પેનલ અને નેશનલ સ્પોર્ટસ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવાની જોગવાઈ છે. સરકારના વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, નેશનલ સ્પોર્ટસ ફેડરેશન, એથ્લિટ્સ, સ્પોર્ટસ એકસપર્ટ્સ અને લોકો સાથેના પરામર્શથી તૈયાર થયેલી રાષ્ટ્રીય ખેલકૂદ નીતિની સફળતા માટે જરૂરી નાણાકીય જોગવાઈ થવી જોઈએ. ભારત સરકારનું ચાલુ નાણાકીય વરસનું સ્પોર્ટસ બજેટ રૂ. ૩,૭૯૪ કરોડનું છે. તેમાંથી વિપક્ષી રાજ્યોને પણ ન્યાયી ફાળવણી થવી ઘટે. એ જ રીતે મોટા ભાગના રમત સંઘો પર રાજકારણીઓનો કબજો છે. તે દૂર થાય અને ખેલાડીઓની પસંદગીમાં રાજકીય દખલ ન રહે તો જ સારુ પરિણામ મળી શકે.

રમતના ક્ષેત્રે સરકાર અને સમાજનું યોગદાન એકંદરે સંતોષજનક છે. ૧૯૫૧માં ભારતમાં પહેલી એશિયન ગેમ્સનું આયોજન થયું હતુ. ૧૯૫૪માં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સની રચના થઈ હતી. ભારત સરકારનું  યુવા અને રમત મંત્રાલય ૧૯૮૨માં શરૂ થયું હતું. ૨૦૦૦ના વરસમાં તેને પૂર્ણ મંત્રાલય મળ્યું હતું. ૧૯૮૪માં પહેલી ખેલકૂદ નીતિ ઘડાઈ તે પછી ૧૯૯૭ અને ૨૦૦૧માં ઘડાઈ હતી અને હવે ૨૦૨૫માં નવી નીતિ બની છે. ૧૯૮૬માં સ્પોર્ટસ આથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. વૈશ્વિક આર્થિક પ્રવાહોની પણ રમતોને અસર થાય છે. ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને કેબલ ટેલિવિઝનના આગમન પછી રમતોમાં ક્રિકેટ ઉપરાંત બીજી રમતો તરફ લોકોનું ધ્યાન ગયું છે. સરકારના વિવિધ અભિયાનો(ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ, ૨૦૧૪, ખેલો ઇન્ડિયા, ૨૦૧૭ અને  ફિટ ઇન્ડિયા, ૨૦૧૯ )એ પણ લોકોની રમતરૂચિ અને ભાગીદારી વધારી છે.

પ્રાથમિક માધ્યમિક શાળા કક્ષાએથી જ પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તો સફળતાની તક વધુ રહે છે. પરંતુ માતા-પિતા અને શાળાઓ કે એકંદર સમાજ શિક્ષણની તુલનાએ સ્પોર્ટ્સને કેરિયર માનતા નથી. શાળા-કોલેજોમાં પણ રમત કોઈ મુખ્ય નહીં પણ વધારાની પ્રવૃતિ છે. તેને લીધે પાકા ઘડે કાંઠા ચડાવવા અઘરા બને છે. વળી બધાને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જ બનવું છે. બીજી રમતો પ્રત્યે ઝોક ઓછો રહે છે. ભારતના સ્પોર્ટસ માર્કેટમાં ક્રિકેટનો હિસ્સો ૮૭ ટકા છે અને બાકીની સઘળી રમતો ૧૩ ટકામાં આવે છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અન્ય રમતોને પ્રાથમિકતા આપવી બહુ અઘરી છે.

અનેક વિવિધતા અને અસમાનતા ધરાવતા આપણા આ વિશાળ દેશમાં સમાવેશન પણ બહુ મુશ્કેલ બને છે. સમાજના નબળા વર્ગો, પૂર્વોત્તર ભારત, આદિવાસીઓ અને મહિલાઓને સમાવવાની નીતિમાં ઘોષણા છે. પરંતુ તે માટેનો કોટા પર્યાપ્ત છે ખરો? ૨૦૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વાર ૧૧૭ એથલિટ્સ મોકલ્યા હતા. આઝાદી પછીની આ સૌથી મોટી સંખ્યા હતી. પરંતુ એ જ ઓલિમ્પિકમાં અમેરિકાના ૫૯૪, ફ્રાન્સના ૫૭૨, ઓસ્ટ્રેલિયાના ૪૬૦ એથ્લિટ્સ હતા. એટલે ૧૪૦ કરોડની આબાદીના આપણા દેશમાંથી પ્રતિભાઓની ઓળખ, તાલીમ અને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચાડવાની વહીવટી અને રાજકીય ઇચ્છાશક્તિ મહત્ત્વની છે. 

નવી રમત નીતિ દેશમાં રમતો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને તેને વ્યાપક જન આંદોલન બનાવવાનું ધ્યેય રાખે છે. આ માટે દેશમાં સગવડો કેટલી છે તે પણ લાખેણો સવાલ છે. અમદાવાદને ઓલિમ્પિક રમતોનો આયોજન કરવાનું મળે તેનાથી હરેક ભારતીય ગદગદ હશે. પરંતુ અમદાવાદની ૮૫ ટકા શાળાઓ પાસે રમતના મેદાનો જ નથી. તેનું શું? નવી શાળા શરૂ કરવા માટે શાળાના કુલ વિસ્તારનો ૩૦ થી ૪૦ ટકા ભાગ રમતના મેદાનનો હોવો જોઈએ તેવું સરકારી કાયદો કહે છે. પરંતુ કેટલી બધી શાળા-કોલેજો તો શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાલે છે નહીં ? જો શાળા-કોલેજને પૂરતા વર્ગખંડો જ ન હોય તો મેદાનની તો વાત જ ક્યાંથી ભલા? વળી માત્ર ખાનગી કે અનુદાનિત શાળાઓને જ નહીં સરકારી શાળાઓને પણ રમતના મેદાનો નથી. રમતના મેદાનો વિના ક્યાં રમશું? બિહાર સરકારે  રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પોતાનું રમતનું મેદાન હોય તેની યોજના ઘડી છે. બિહારની ૩,૩૮૪ ગ્રામ પંચાયતોમાં રમતના મેદાનોનું કામ પૂરું થયું છે. આ મોડેલ આખા દેશે અપનાવવ જેવું નથી શું? 

ભારતના લોકો રમતોના અઠંગ ચાહકો છે તે વિશે કોઈ બેમત નથી. આપણે આ સ્પોર્ટ્સ લવિંગ ઇન્ડિયાને સ્પોર્ટસ પ્લેઈંગ ઇન્ડિયા બનાવવાનું છે. તે કામ એકલી સરકારનું નથી. સૌનો સહયોગ હશે તો રમતપ્રેમી ભારત રમતું ભારત બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

રમેશ સવાણી|Gandhiana|24 September 2025

રમેશ સવાણી

RSSની ગોડસેવાદી ગેંગ દ્વારા એક લાંબો મેસેજ વાયરલ થયો છે. સ્વાભાવિક છે તેમાં ગાંધીજીની હત્યા કરનાર ગોડસેનું મહિમામંડન હોય. ગાંધીજીની હત્યાનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી તેનાં કારણો અને દલીલો 92 પેજમાં રજૂ કરી હતી. ગોડસેનું કહેવું હતું કે મેં દેશને બચાવવા ગાંધીજીની હત્યા કરી હતી. 

કોઈ પણ હત્યારો (સ્વબચાવ કરેલી હત્યા સિવાય) હત્યા કર્યા બાદ, હત્યાનું જસ્ટિફિકેશ આપે તે રાક્ષસ કરતાં હલકો હોય છે. ગોડસે આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હતો. ગોડસેને સેશન્સ કોર્ટ / હાઇકોર્ટ / સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવી તે સૂચવે છે કે તેણે કરેલ હત્યા માફ થઈ શકે તેમ ન હતી. ગોડસેનું મહિમામંડન કરવું તે ફાંસી આપનાર કોર્ટનું અને ફાંસીની આખરી મંજૂરી આપનાર રાષ્ટ્રપતિનું અપમાન છે.

ગોડસેએ કોર્ટ સમક્ષ જે નિવેદન આપેલ તે આધારે નાટક ભજવાયું છે. ફિલ્મ બની છે. પણ તેમાં સત્ય નથી. ગોડસેનું નિવેદન કેટલું ખોટું અને ભ્રમ ફેલાવનારું હતું તે અંગે વિખ્યાત ઇતિહાસકાર અશોકકુમાર પાંડેયએ પુસ્તક લખ્યું છે :  ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ હેમંતકુમાર શાહે કર્યો છે. આ પુસ્તક દરેકે વાંચવું જોઈએ. 

ગાંધીજીની હત્યા ગોડસેએ શા માટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો, એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા, એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા, એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા, એટલે? આ બધા પ્રશ્નોની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. મોટાભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ આપેલ નિવેદન સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ 216 પેજમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો, પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા. 

માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વિરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા, ગાંધીજી નહીં. ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. વિભાજન માટે જવાબદાર હતા સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા ! ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી / સરદાર / નેહરુ / સુભાષ બોઝ / આંબેડકર / સી. રીજગોપાલાચારી વિરુદ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રૂપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રૂપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે તમામને ગોડસે દુ:શ્મન માનતો હતો ! કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર / ભગતસિંહ / સુભાષ બોઝ / આંબેડકર / વિવેકાનંદનું ચાલાકીપૂર્વક અપહરણ કરી લીધું ! અને ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરૂ કર્યું. હિન્દુ મહાસભા / RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે ! 

માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તૂરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! હિન્દુ કટ્ટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો?

વાયરલ મેસેજમાં કહ્યું છે : “જેમ બ્રિટિશ સરકારે ભગતસિંહ અને ઉધમસિંહને હત્યાના દોષી ઠેરવ્યા પછી ફાંસી આપી હતી, તેવી જ રીતે ભારત સરકારે પણ નાથુરામ ગોડસેને ફાંસી આપી હતી. ત્રણેયના કાર્યો, લાગણીઓ અને જીવન મૂળભૂત રીતે સમાન છે. આ સત્ય છુપાવવું જોઈએ નહીં.” મતલબ કે ગોડસેની ભગતસિંહ અને ઉધમસિંહ સાથે તુલના કરી છે. આ તો ભગતસિંહ અને ઉધમસિંહનું અપમાન છે !

વાયરલ મેસેજમાં ગાંધીજીની હત્યા માટે ‘થેંક્યું, મિસ્ટર ગોડસે‘ કહીને ડો. આંબેડકરને ટાંકીને ભ્રમ ફેલાવ્યો છે કે “કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ગોડસેના વકીલ મારફતે ગોડસેને સંદેશ મોકલેલ કે જો ગોડસે સંમત થાય તો હું ગાંધીજીની અહિંસાનાં નામે ગોડસેની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી દઈ શકું છું.” ત્યારે જેલમાંથી ગોડસેએ ડૉ. આંબેડકરને સંદેશ મોકલેલ કે, “ના હો. મહેરબાની કરીને મારી ઉપર કોઈ દયા કરવામાં ન આવે. હું એ સાબિત કરવા માંગુ છું કે, ગાંધીની અહિંસાને ફાંસી પર લટકાવવામાં આવે છે.” ડો. આંબેડકરના નામે સાવ ઉપજાવી કાઢેલી વાત ફેલાવવી તે ડો. આંબેડકરનું અપમાન છે. દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે 23 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “આવા જૂઠાણાથી ડૉ. આંબેડકરની પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોચાડી છે. બધા જ આંબેડકરવાદીઓની લાગણી દુભાવી છે. શું આપણે માત્ર જોઈ જ રહીશું?” 

24 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...83848586...90100110...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved