Opinion Magazine
Number of visits: 9457763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 27 : પાણિનિ અને ભર્તૃહરિ વિશે હરારી, મારી ટિપ્પણી સાથે

સુમન શાહ|Opinion - Opinion|30 September 2023

હરારી એમના પુસ્તક “Sapiens: A Brief History of Humankind”-માં પાણિનિ વિશે લખે છે :

“The greatest linguistic achievement in human history was not the invention of writing, but the invention of grammar. The first grammar was written by a Hindu grammarian named Panini, who lived around the 5th century BCE. Panini’s grammar was a masterpiece of logic and precision, and it has remained the standard grammar of Sanskrit for over 2,500 years.

“What makes Panini’s grammar so remarkable is that it is not just a descriptive grammar, but also a generative grammar. That is, Panini’s grammar does not just describe how Sanskrit is spoken, but it also explains how new Sanskrit words and sentences can be created.

“Panini’s grammar is based on a system of rules that can be used to generate any possible Sanskrit word or sentence. These rules are so powerful that they can even be used to generate sentences that have never been spoken before.

“Panini’s grammar is a remarkable example of human creativity and ingenuity. It is a testament to the power of the human mind to understand and systematize the complexity of language.”

આ ફકરાઓનો ગુજરાતીમાં શબ્દશ: અનુવાદ કરવાનું કારણ નથી. પરન્તુ મારે એ જણાવવું છે કે તેઓ કયા મુદ્દાઓને મહત્ત્વ આપે છે : 

૧ :

માનવ-ઇતિહાસમાં તેઓ લેખનને નહીં પરન્તુ વ્યાકરણની શોધને મોટામાં મોટી ભાષાપરક સિદ્ધિ ગણે છે, અને પાણિનિને પહેલા વૈયાકરણ લેખે છે, એમના વ્યાકરણને તર્ક અને ચૉક્કસાઇનો માસ્ટરપીસ લેખે છે : 

૨ : 

પાણિનિનું વ્યાકરણ માત્ર વર્ણનાત્મક નથી પણ સંસૃજનાત્મક છે : 

૩ :

એમનું વ્યાકરણ એવી નિયમાવલિથી ઘડાયું છે કે એને સંભાવ્ય સંસ્કૃત શબ્દ કે વાક્ય, કે અરે, કદી ન ઉચ્ચારાયાં હોય એવાં વાક્યોના સંસૃજન માટે પણ પ્રયોજી શકાય : 

૪ : 

પાણિનિ-રચિત વ્યાકરણ માનવીય સર્જકતા અને મૌલિકતાનું અસાધારણ દૃષ્ટાન્ત છે, ભાષાની સંકુલતાને સમજીને પદ્ધતિમાં બાંધી આપનારી માનવચિત્તશક્તિનો પુરાવો છે. 

હવે, પાણિનિ-રચિત વ્યાકરણને ‘એ.આઈ.’ સાથે મૂકી જોઈએ તો શું જોવા મળે છે? 

પાણિનિ-રચિત વ્યાકરણ નિયમોથી બદ્ધઆબદ્ધ સિસ્ટમ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટિપિકલિ ડેટા-ડ્રિવન છે. એટલે કે, પાણિનિ-રચિત વ્યાકરણ ભાષાની સંરચનાને વર્ણવતી નિયમાવલિ પર ઊભું છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટૅક્સ્ટ-ડેટાના વિશાળ કદના જથ્થાથી માત્રતાલીમ પામ્યું છે.

આ ફર્ક નિર્ણાયક છે : માણસ માટે પાણિનિ-રચિત વ્યાકરણના અર્થો પકડવાનું વધારે સરળ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સને સમજવાનું મુશ્કેલ છે. વધારે નૉંધપાત્ર તો એ છે કે ભાષાની સંકુલતાને પામીને તેને પદ્ધતિમાં બાંધનારી માનવચિત્તશક્તિનો પુરાવો તો બન્નેથી મળે છે !

++

હરારી એમના પુસ્તક “21 Lessons for the 21st Century”-માં જણાવે છે કે – 

પાણિનિ અને ભર્તૃહરિની વિચારસરણીઓ ‘એ.આઈ.’ વિશેની આપણી સમજ માટે પ્રસ્તુત અને ઉપકારક છે. કેમ કે માનવ-બુદ્ધિને પામવા માટે બન્નેની કૃતિઓમાં ભાષાને ગુરુચાવી ગણવામાં આવી છે. 

પાણિનિ-રચિત વ્યાકરણ સંસ્કૃત ભાષામાં બોલવા કે લખવા માટેની નિયમાવલિ જ નથી બલકે ભાષાની ગર્ભિતે રહેલી સંરચનાનું નિરૂપણ છે. ભર્તૃહરિ એક ડગ આગળ ભરે છે અને કહે છે કે ભાષાની એ સંરચના જગતને આપણે જે દૃષ્ટિએ ઘટાવીએ છીએ તેનું માત્ર પ્રતિબિમ્બ નથી પરન્તુ એ સંરચના જેને આપણે વિચાર કહીએ છીએ તેનો પાયો છે.

હરારીએ કહ્યું છે કે ભાષા આપણને માણસ બનાવે છે, એ વડે આપણે વિચારો અને લાગણીઓનું આદાનપ્રદાન કરી શકીએ છીએ, સમ્બન્ધો બાંધીએ છીએ, સંસ્કૃતિનું સર્જન કરીએ છીએ. ભાષા આપણી બુદ્ધિમત્તાનો પાયો પણ છે. એ આપણને તર્ક કરવા દે છે, કોયડાઓના ઉકેલ શોધવામાં અને નૂતન ચીજો શીખવામાં મદદ પણ કરે છે. 

માનવ-બુદ્ધિ વિશેની આપણી સમજની ચાવી છે એવા પોતાના દાવા માટે હરારી ભર્તૃહરિનો હવાલો આપતાં જણાવે છે કે ‘The structure of language and the structure of consciousness are similar’. ભાષાની સંરચના અને ચેતનાની સંરચના સમરૂપ છે. 

મેં શોધી લીધું કે ભર્તૃહરિનું એ વચન સંસ્કૃતમાં મૂળે આમ છે : चित्तं शब्दात्मकं ब्रह्म I એટલે કે શબ્દ અને બ્રહ્મની આવશ્યક પ્રકૃતિ – આત્મકમ્ – ચિત્ત છે.

આ સૂત્ર ભાષા વિશેની ભર્તૃહરિની મીમાંસા “વાક્યપદીય”-માંથી છે. ભર્તૃહરિ દર્શાવે છે કે ભાષા સંક્રમણનું સાધન માત્ર નથી, પણ વાસ્તવિકતાની સંરચનાનું પ્રતિબિમ્બ પણ છે. તેઓ એમ પણ દર્શાવે છે કે ચિત્ત અને ભાષા અવિષ્લેશ્ય છે. તેઓ એટલે લગી કહે છે કે ચિત્ત, ભાષા, અને બ્રહ્મ એકમેવ આન્તરિક વાસ્તવના ઉન્મેષો છે.

चित्तं शब्दात्मकं ब्रह्म વચનનો સાર પકડીએ : ‘એ.આઈ.’-સિસ્ટમ્સ વિશ્વને સમજે તેમ જ તેની સાથે વિનિમય કરે એવા એના સર્જન માટે માણસે સમજવું જોઈશે કે ચેતનાની સંરચના શું છે, અને એ સમજવા માટે સમજવું જોઈશે કે ભાષાની સંરચના શું છે. 

ભર્તૃહરિનું એ વચન સૂચવે છે કે ભાષા પ્રયોજીએ છીએ એથી વિશ્વને જે ઘાટ મળે છે તદનુસાર આપણે વિશ્વને વિચારીએ છીએ અને પામીએ છીએ. આ વચનનો ફિલસૂફી, મનોવિજ્ઞાન તેમ જ ભાષાવિજ્ઞાન પરનો પ્રભાવ જાણવા લાંબી મજલ કાપવી પડે, જે પ્રસ્તુત વાતો માટે અનિવાર્ય નથી.

 = = =

(09/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શારદાબહેન શાહ : આજે 101માં વર્ષે પ્રવેશતાં સ્વાસ્થ્ય અને ઉલ્લાસથી છલકે છે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|29 September 2023

શારદાબહેન શાહ

સમૃદ્ધ ગ્રંથાલય ધરાવતી, અમદાવાદની શ્રી એચ.કે.આર્ટસ કૉલેજનાં પૂર્વ ગ્રંથપાલ શારદાબહેન શાહ આજે – 29 સપ્ટેમ્બરે – સો વર્ષ પૂરાં કરીને એકસો એકમાં પ્રવેશી રહ્યાં છે.

ગઈ કાલે તેમની મુલાકાત લીધી, જે રોમાંચિત કરનારી હતી. તેમનો તરવરાટ અને તેમની તંદુરસ્તી જોઈને મન પુલકિત થઈ ગયું.

શારદાબહેનને કોવિડ થયો નહીં. તેમને કોઈ વ્યાધિ નથી. સાચા અર્થમાં નિરામય છે. પાંચ વર્ષ પહેલાં તેમનાં 95મા વર્ષના જન્મદિવસ નિમિત્તે તેમના વિશે શુભેચ્છા લેખ લખવા માટે જવાનું થયું હતું. એ વખતના તેમનાં સ્વાસ્થ્ય અને ચૈતન્યમાં અત્યારે ભાગ્યે જ કોઈ ફરક છે.

મુલાકાત દરમિયાન શારદાબહેને દોઢેક કલાક નેતરની ખુરશીમાં બેસીને સતત મલકાતા ચહેરે ખુશી ખુશી વાતો કરી, મોટા ભાગનો સમય ખુરશીના ટેકાને અઢેલ્યા વિના બેઠાં. મને મળવાં આવ્યાં તે પણ બિલકુલ સહજ રીતે ચાલતાં, લાકડી નહીં, દિવાલનો ટેકો નહીં.

શારદાબહેનને બહુ તો પંચોતેર-એંશીના કલ્પી શકાય. માજી કે બા જેવાં શબ્દો મનમાં જ ન આવે. ઉજળો વાન, એકવડી દેહાકૃતિ, આંખોમાં ચમક, કપાળે ચાંલ્લો. આછા રાખોડી રંગનો પંજાબી ડ્રેસ, ક્રીમ રંગનો દુપટ્ટો (વર્ષો લગી ગુજરાતી ઢબે સાડલો પહેરતાં).

સાંભળવામાં અને બોલવામાં તકલીફ સોમાં વર્ષે હોઈ શકે એના કરતાં ઓછી. સાંભરણો ય સરખામણીએ ઓછી ખોટકાય.

ઘર મહેલ જેવડું મોટું છે. ‘આ ઘરમાં એક છેડેથી બીજે છેડે બહેનના દિવસમાં ચાળીસેક આંટા તો થતા હશે, લાકડી લેતાં નથી. તંદુરસ્ત દીર્ઘાયુ વારસામાં છે’, તેમના નાના ભાઈ રશ્મિકાન્ત દલાલે કહ્યું. 

રશ્મિકાન્તભાઈ 89 વર્ષના છે,અમદાવાદના ટ્રાફિકમાં કાર ચલાવીને મને ઘરે મૂકવા આવ્યા. ‘તંદુરસ્તીનું રહસ્ય?’ શારદાબહેન : ‘યોગ-પ્રાણાયામ કરું છું.’ સુડોકૂ, રિપીટ સુડોકૂ કરે છે.

પછી તેમણે બિલકુલ સહજતાથી કહ્યું ‘જિંદગીમાં દુ:ખ જોયું જ નથી, બધું સારું જ જોયું છે’, – જિંદગી તરફ જોવાના આવા નજરિયાએ પણ વર્ષોમાં ઉમેરો કર્યો હોય. 

પાંચ વર્ષ પહેલાં પણ એ દૃષ્ટિકોણ આવો જ હતો. 2018ના સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું : ‘તંદુરસ્તી કુદરતી છે. પ્રાણાયામ કરું છું. લાઇફમાં સ્ટ્રેસ, ચિંતા, જવાબદારી નથી આવ્યાં. 

‘મારાં ભાઈ-ભાભી,ભત્રીજા-ભત્રીજીઓએ, આખા પરિવારે મને બહુ જ સાચવી છે. મુશ્કેલીઓ, સંઘર્ષ કે સિદ્ધિનો કોઈ દાવો નથી : મારા વિશે શું લખશો … ખરેખર તો મારા વિશે લખવા જેવું કંઈ છે જ નહીં, સાચ્ચુ કહું છું.’ 

આ સ્પષ્ટતા તેઓ બહુ સરળ રીતે બે વખત કરે છે અને આજે પણ એ જ ભૂમિકા વર્તાય. સાધારણ સંભારણાંને ભવ્ય ભૂતકાળમાં ખપાવવાના જમાનામાં, નિરામય દીર્ઘાયુ દુર્લભ હોય તેવા કાળમાં આવી નિખાલસ સાલસતા મોટો ગુણ ગણાય. 

પાંચેક વર્ષ પહેલાં સુધી ય દર મહિને એક વાર તો શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજમાં આવતાં, બે દાદરાના પચીસેક પગથિયાં સડસડાટ ચઢીને, પહેલાં માળ પરનાં ‘શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય’માં પ્રવેશીને પાંચ-સાત પુસ્તકોનો ઢગલો હાથમાં લઈને બહાર નીકળે.

પુસ્તકો ઘરે દરરોજ મોડી સવારથી સાંજ સુધી એક ટેબલ સામેની ખુરશી પર બેસીને વાંચતાં. ઘરે ‘અખંડ-આનંદ’, ‘કુમાર’, ‘નવચેતન’, ‘નિરીક્ષક’, ‘પરબ’, ‘બુદ્ધિપ્રકાશ’, વાંચતાં, જેના ઉલ્લેખો તેમની સાથેની વાતોમાં મળે. અત્યારે માત્ર સવારે છાપાં વાંચે છે અને ‘યુવાચાર્ય મહાપ્રજ્ઞનાં પુસ્તકો’. મોડી સાંજથી રાત્રે દસ સુધી ટેલિવિઝન જુએ છે. 

શારદાબહેનનાં પિતા લાલભાઈ ગિરધરલાલને અરવિંદ મિલ અને કસ્તૂરભાઈની મિલોમાં કાપડની દલાલી હતી, એનો આર્થિક મતલબ અસલના જમાનાના અમદાવાદીઓને બરાબર સમજાય. ગર્ભશ્રીમંત હોવાનો અણસાર શારદાબહેના શાલીન વેશ-વાણી-વ્યવહારમાં ક્યાં ય નહીં. 

મિલઉદ્યોગના સુવર્ણકાળમાં કાળુપુરની જહાંપનાહની પોળમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર 1923ના દિવસે લાલભાઈ ગિરધરલાલના પરિવારમાં જન્મેલાં શારદાબહેનની વાતમાં પોળોનાં તાણાવાણા ગૂંથાયેલા છે:

‘એ મજાનું અમદાવાદ હતું. એક પોળમાંથી બીજી પોળમાં જવાય. રમતાં રમતાં બધે દોડીએ. ઝાંપાની પોળ, પછી મંદિર, પછી ગુંદીની પોળ, ધનાસુથારની પોળ, ત્યાંથી ખારાકુવાની પોળ … હાજા પટેલની પોળ થઈને ટંકશાળ પહોંચાય …’. રશ્મિકાન્તભાઈ આ યાદોમાં સૂર પૂરાવે.

મનસુખભાઈ શેઠની પોળની જૈન નિશાળમાં ત્રીજી સુધી, ખાડિયાની વનિતા વિશ્રામમાં સાતમી સુધી અને દાણાપીઠની મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી 1942માં મૅટ્રિક સુધી ભણતર. 

ગુજરાત કૉલેજમાં બી.એ.નું પહેલું વર્ષ ‘હિન્દ છોડો’ની ચળવળમાં અટવાયું. આઝાદીના વર્ષમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયાં. 

શિક્ષણ તરફ એકંદર અભિગમ કંઈક આવો હતો : ‘ભણવા ખાતર ભણીએ. રમવામાં બહુ ધ્યાન, હળવા-મળવાનું, ફરવાનું … છઠ્ઠીમાં એક વખત નાપાસ. એમ.એ.માં એક વર્ષ ડ્રૉપ લીધેલો.’ 

બીજી બાજુ આ પણ : ‘મને બધું નવું નવું જાણવાનો બહુ શોખ. એટલે હું ભરતકામ શીખી, ચૌદ વર્ષની હતી ત્યારથી પંચ્યાશી વર્ષ સુધી તો સાડલા ભરતી હતી. સિવણ ને ટાઇપિન્ગના ક્લાસ ભર્યા, 1948માં જર્નાલિઝમના ક્લાસ કર્યા.’ 

દૃષ્ટિસંપન્ન કેળવણીકાર અને એચ.કે. આર્ટસ કૉલેજના સ્થાપક આચાર્ય યશવંતભાઈ શુક્લની પહેલથી ગુજરાત વિદ્યાસભાના પત્રકારત્વના અભ્યાસક્રમમાં ‘ખરો વિકાસ થયો’ એમ શારદાબહેન એક કરતાં વધુ વખત કહે છે.

‘પ્રેમાભાઈ હૉલમાં વીસ-પચીસ જણનો, ક્લબ જેવો ક્લાસ’. બચુભાઈ રાવત, બી.કે. મજમુદાર (બી.કે.) અને સુરેન્દ્ર દેસાઈ પણ વર્ગો લેતા. ઇન્દુલાલ યાજ્ઞિક ‘ભૂખ્યા-તરસ્યા’ ભણાવવા આવી ચડતા. 

પ્રજાબંધુ પ્રેસમાં તાલીમ લેવા જવાનું, એક વખત રિપોર્ટિંગ માટે દિલ્હી અને પ્રવાસ માટે દક્ષિણ ભારત ગયેલાં. અમદાવાદમાં પણ જાતભાતનું રિપોર્ટિંગ કરવા માટે જવું પડતું. 

ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓનો પરિવાર પ્રગતિશીલ, આઠનવ વાગ્યા સુધી છોકરા-છોકરીઓ બહાર ફરી શકતાં. ‘અમારા ઘરમાં છોકરી ને છોકરો એવો ભેદ ન હતો. બંનેને બધુ સરખું મળે.’ 

રશ્મિકાન્તભાઈ ઉમેરે છે : ‘અમદાવાદમાં સ્કુટર ફેરવનારી પહેલવહેલ મહિલા તે અમારાં બહેન સુશીલાબહેન.’ 

‘અમદાવાદની પહેલી ચૂંટણી’માં 1951માં કાળુપુરમાંથી લડનારા ‘બી.કે. માટે કામ કર્યું’. ‘જે કામ સોંપે તે કરવાનું, ઊંડું જ્ઞાન નહીં, પણ લખવાનું, લોકોને ઘરે જવાનું ને એવું બધું કામ હોય …’ 

એ જ વર્ષે ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. થયાં. ‘કોર્સ કરવા ગમે એટલે ગુજરાત વિદ્યાપીઠમાંથી ત્રણ મહિનાનો લાઇબ્રેરિયનનો કોર્સ કર્યો.’ 

શારદાબહેનને ગુજરાત વિદ્યાસભાની પ્રેમાભાઈ હૉલ ખાતેની લાઇબ્રેરીમાં પુસ્તકો નોંધવાં અને ગોઠવવાંનું કામ મળ્યું. યશવંતભાઈને એમનું નામ એમના (યશવંતભાઈના) નાના ભાઈ વિનોદભાઈ શુક્લે સૂચવ્યું. પછી યશવંતભાઈએ શારદાબહેનને ‘રમતિયાળ લાગે છે’ એમ કહીને પણ કામ પર લીધાં.

ત્યાંથી 1958માં મિર્ઝાપુરના શાંતિ સદનમાં નવી સ્થપાયેલી રામાનંદ (અત્યારની એચ.કે.) કૉલેજમાં શારદાબહેનનું કામ શરૂ થયું. 1958-59માં વડોદરાથી વળી પાછો લાઇબ્રેરિયનનો ડિપ્લોમા કર્યો, જો કે તેમાં જવા દેવા યશવંતભાઈ ઓછા રાજી હતા.

છતાં શારદાબહેન વડોદરાથી પાછાં આવ્યાં ત્યારે આચાર્યએ તેમને જ કૉલેજનાં ગ્રંથાલયનું કામ સોંપ્યું, કૉલેજ 1960માં આશ્રમ રોડ પરનાં નવાં મકાનમાં આવી. 

તેના પહેલાં ગ્રંથપાલ બનવાનું ભાગ્ય શારદાબહેનને સાંપડ્યું, જે અઠ્ઠ્યાવીસ વર્ષ સુધી ફળ્યું, 1983માં સાઠ વર્ષની ઉંમરે તે નિવૃત્ત થયાં. 

શ્રી એચ.કે. કૉલેજની ‘વગડા જેવી જગ્યાએ’ આવેલી નવી ઇમારતમાં લાઇબ્રેરીની જગ્યા પાંચ વખત ફેરવી. ગ્રંથાલયમાં ન્યુ ઑર્ડર બુક કંપની અને બાલગોવિંદ પ્રકાશનનાં માણસો પુસ્તકો મૂકી જાય. 

રામુભાઈ પટેલ, દિનકરભાઈ ત્રિવેદી અને નાનકભાઈ મેઘાણી આવે. અધ્યાપકો પુસ્તકો પસંદ કરે. કૉલેજમાં નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ સંભાળનારા રંગકર્મી જશવંત ઠાકરને પણ પુસ્તક પસંદગીમાં કંઈ કહેવાનું હોય. ‘યશવંતભાઈનું સિલેક્શન બહુ સરસ’.

પસંદગીની બાબતમાં મતભેદો થતા નહીં. અલ્પસાધન વિદ્યાર્થી ફંડમાંથી વિદ્યાર્થીઓને પુસ્તકો વહેંચવાનું કામ પણ બહુ ચાલતું. ઘરે કામ લઈને જવું પડતું. એકંદરે બહુ વિદ્યાર્થીઓ પુસ્તકો લેવા આવતા.

કેટલાક વિદ્યાર્થીઓનાં નામ શારદાબહેનને હજુ યાદ છે – હિરુભાઈ (ભટ્ટ), રમેશભાઈ (શાહ), વિદ્યુતભાઈ (જોશી) અને તેમનાં પત્ની જયશ્રી, કુમારપાળ (દેસાઈ), રંજના (હરીશ), નયના (જાની), સુભાષ (બ્રહ્મભટ્ટ), રૂપા (રૂપા મહેતા, તેમનો જન્મદિવસ પણ યોગાનુયોગે ગઈ કાલે જ). 

કેટલીક છોકરીઓને માટે હું પુસ્તકો અલગ કાઢીને રાખું.’ ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરિ સપ્લિમેન્ટ) અને ‘મૉડર્ન રિવ્યૂ’ આવતાં. સામયિકોની ફાઇલો બનતી. કૉલેજના કલાકોમાં રિડીંગ રૂમ ભરાઈ જતો. 

એ સિવાયના કલાકોમાં પણ એક અલગ રૂમ, જેમની પાસે ભણવાની જગ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતો. યશવંતભાઈએ ગ્રંથાલય માટે બે કારકૂન અને બે પટાવાળા આપેલા.  

બી.કે. મજમુદારના વ્યક્તિગત ગ્રંથસંગ્રહને શારદાબહેન તેમના બંગલેથી એચ.કે.ની લાઇબ્રેરીમાં લઈ આવ્યાં. ત્યારબાદ અત્યારનાં નિષ્ઠાવાન ગ્રંથપાલ તોરલબહેને એ સમૃદ્ધ સંગ્રહ માટે અલગ મોટી છાજલી કરાવી.

ગઈ કાલે શારદાબહેન સાથે વાત શરૂ કરી ત્યારે શરૂઆતમાં જ એમનાં મોંમાથી નીકળ્યું : ‘એચ.કે. બહુ યાદ આવે.’ સહુથી મોટો શ્રેય સ્થાપક-આચાર્ય યશવંતભાઈને : ‘વિકાસ યશવંતભાઈને લીધે જ થયો. એ બહુ ડાયનૅમિક હતા.’ 

‘સ્ટાફ પણ બહુ સારો. બધાં અધ્યાપકો હળીમળીને રહે. કોઈ લડે નહીં.’ શારદાબહેનને બધા અધ્યાપકો અને એમનાં પત્નીઓ સાથે ઘરોબો. મધુભાઈ (મધૂસુદન પારેખ), ટેંગશે સાહેબ, દામુભાઈ ગાંધી, દિગીશ મહેતા, તપસ્વી નાંદી … આ નામાવલીમાં એચ.કે.ના ઉજળા ભૂતકાળના પાનાં પલટાતાં રહે. 

એચ.કે.ની લાઇબ્રેરીમાં પુસ્તકોના વર્ગીકરણ માટે રંગનાથન પદ્ધતિ હતી. વડોદરાનાં કોર્સમાં ડ્યુઈ ડેસિમલ પદ્ધતિનું ચલણ. એટલે શારદાબહેનને શરૂઆતમાં મુશ્કેલીઓ પણ પડી. પ્રકાશ વેગડ સાથે રહીને ગ્રંથપાલોનું મંડળ શરૂ કર્યું, જેનું કામ શારદાબહેનના ઘરેથી ચાલતું. 

તેમાં મોહનભાઈ પટેલ, હસમુખ પાઠક, કિરીટ ભાવસાર અને બીજા ગ્રંથાલય વ્યવસાયિકો પણ જોડાતા. પ્રતાપરાય મહેતા સાથે ગ્રાહક સુરક્ષાની સંસ્થાનું પણ થોડુંક જોયેલું. ઇલાબહેન પાઠકની ‘અવાજ’ની લાઇબ્રેરીમાં પણ મદદ કરી હતી.

બીજાં મંડળોની સાથે રહીને અધ્યાપકોની જેમ ગ્રંથપાલોનાં સારાં પગારધોરણો માટેની લડતમાં જોડાયાં. દર અઠવાડિયે બધા ગ્રંથપાલો એચ.કે.માં મળતા.

શારદાબહેન જૂનાગઢ, મોડાસા, શ્રીનગરમાં થયેલાં ગ્રંથપાલોનાં અધિવેશનોમાં પણ ગયાં છે. ‘પેપર પ્રેઝેન્ટ કરતાં ?’ જવાબ : ‘હું તો લાઇબ્રેરી ચલાવતી, લખતાં-વાંચતાં બહુ ન આવડે …’ 

આ એમની કહેવાની રીત ભલે હોય, પણ વાચનનો વારસો દાદા પાસેથી મળેલો. ઘરમાં ‘પ્રજાબંધુ પ્રેસ’નાં ભેટપુસ્તકો આવે, જૈન ધર્મની પુસ્તિકાઓ હોય. રમવા પછીની બીજી પ્રિય પ્રવૃત્તિ વાંચવાની. એમ.જે. લાઇબ્રેરી સાથે ઘરોબો. ‘મમ્મીને વાંચવાનો બહુ શોખ, એમને કૅન્સર હતું, પણ એ બહુ વાંચતાં.’ 

શારદાબહેન ‘કેટલાં ય વર્ષો વધારે તો અંગ્રેજી’ વાંચતાં. ‘ગુજરાતીમાં નવલકથા વધારે ગમે. લાઇફની ફિલોસૉફિ પરનાં પુસ્તકો ગમે. કંઈ નક્કી નહીં. જે ગમે તે વાંચું.’

ગઈ કાલે સવારે સાડા દસથી પોણા બાર સુધી લીધેલી શારદાબહેનની મુલાકાતમાં એચ.કે.ના અર્થશાસ્ત્રના અધ્યાપક રમેશ બી. શાહની પણ વાત નીકળી. પછી બપોરે એકાદ વાગ્યે મારા મોબાઇલમાં જોયું ત્યારે ધ્યાન પડ્યું કે 11.20 વાગ્યે રમેશભાઈનો missed call હતો.

એચ.કે.ના પૂર્વ અધ્યાપકોની નામવળી ચાલી રહી હતી લગભગ તે જ સમયગાળામાં આ missed call હતો. સાંજે શાહ સાહેબના નંબર પર ફોન કર્યો ત્યારે એમના ચિરંજીવી ગૌરાંગભાઈએ કહ્યું : ‘પપ્પા કહેતા હતા કે તમે (સંજય) શારદાબહેનને મળવા જાઓ ત્યારે મારા વતી પણ શુભેચ્છા આપજો.’ 

આ શું – Telepathy? Surrendipity? Probability? કે પછી એચ.કે.ને ચાહનારા તેના ત્રણ કર્મચારીઓની Affinity? 

માનવીના જીવનની વયમર્યાદા અંગેના તાજેતરના સંશોધનો જણાવે છે માણસ 125 વર્ષ સુધી જીવી શકે. એ સંશોધકો આપણા શારદાબહેનને મળ્યા હોવા જોઈએ !

[આભાર : રશ્મિકાન્ત દલાલ, પરીક્ષિત જોગી, તોરલબહેન પટેલ, પાર્થ ત્રિવેદી, ઉર્વીશ કોઠારી]
[આધાર : ‘નવગુજરાત સમય’ અખબારમાં 28 સપ્ટેમ્બર 2018ના દિવસે પ્રસિદ્ધ થયેલો મારો લેખ]
29 સપ્ટેમ્બર 2023
[1,400 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચાલો હરારી પાસે – 26 : ‘એ.આઈ.’-પાવર્ડ સંસ્કૃત સાહિત્ય વિશેનાં અધ્યયનો  

સુમન શાહ|Opinion - Opinion|29 September 2023

[આ લેખ પાણિનિ અને સમગ્ર સંસ્કૃત પરમ્પરાના પ્રેમી મારા મિત્ર સતીશચન્દ્ર જોશીને (Satishachandra Joshi) અર્પણ કરું છું.]

સુમન શાહ

આ અગાઉના લેખમાં મેં આપણી સાહિત્ય-સંસ્થાઓ અને સંસ્થાપતિઓનાં નામ લીધાં એ પછી આ પેજ પર મેં ખાસ્સો મૂંગારો પ્રવર્તતો જોયો. મેં પહેલી વાર મારું એ પેજ આખું કશીક ટાઢને કારણે થીજી ગયેલું અને સૂમસામ જોયું. ટાઢ સંસ્થાઓના ફોટા જોઇને કે સંસ્થાપતિઓનાં નામો જોઇને, તે હજી સમજાયું નથી, એટલે બન્નેથી હતી એમ ગણીને ચાલું છું.

એ મૂંગારાથી અને એ ટાઢથી હું નવાઈ નથી પામ્યો. મારી પાસે ગુજરાતી સાહિત્યજ્ઞાનવિષયક અવસ્થાનો એક હિસાબ છે. એ અવસ્થાએ આપણે શી રીતે પ્હૉંચ્યા અને સંસ્થાઓએ એમાં કેવો કેવો ભાગ ભજવેલો તેનો પ્લસ-માઇનસ સાથેનો એક અપ્રકાશિત ઇતિહાસ છે. એટલે એ મૂંગારો અને એ ટાઢ મને સારી પેઠે સમજાયાં છે.

ઇન્ટેલેક્ચ્યુઅલ ઍમ્બિયન્સ વગરના, બૌદ્ધિક વાતાવરણ વગરના, આપણા આ મન્દપ્રાણ માહોલ વચ્ચે એક ઝળહળતી હકીકત એ જાણો કે વિશ્વની સુખ્યાત યુનિવર્સિટીઓના વિદ્વાનો ‘એ.આઈ.’ અને વેદો, ‘એ.આઈ.’ અને પાણિનિ, ‘એ.આઈ.’ અને ભર્તૃહરિ વિશે શું કહે છે.

તેઓ વેદો, પાણિનિ અને ભર્તૃહરિમાં ‘એ.આઈ.’ પાસે છે એ કૌશલ અને એ શોધપદ્ધતિઓ જુએ છે, વીગતો પણ આપે છે, પ્રસન્ન થાય છે, અને એ ભવ્ય પૂર્વસૂરિઓ વિશે આપણને ગર્વ લેતા કરી મૂકે છે.

તેઓ કહે છે કે પાણિનિ અને ભર્તૃહરિએ લખેલા સંસ્કૃત ભાષાના ગ્રન્થો પણ ‘એ.આઈ.’-ની મદદથી લખાયા છે. ત્યારે તો ‘એ.આઈ.’ ન જ હોય એની એ વિદ્વાનોને જાણ ન હોય એમ તો કેમ બને? એમના કહેવાનું તાત્પર્ય એ છે કે એ ગ્રન્થોમાં ‘એ.આઈ.’ પાસે છે એવું કૌશલ છે, એવી સુવિકસિત શોધપદ્ધતિ છે. સાંભળો : 

વેદો વિશે —

વેદો આપણી પ્રાચીનમાં પ્રાચીન ટૅક્સ્ટ્સ છે.

સુભાષ કાક, ડેવિડ ફ્રાઉલિ, અને માઇકેલ ત્સારિન એ ત્રણ વિદ્વાનોએ જુદા જુદા સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે ‘નારદીય સૂક્ત’-માં સૃષ્ટિના સર્જનને જે રીતે વર્ણવ્યું છે એ રીત ‘બિગ બૅન્ગ’ના આધુનિક સિદ્ધાન્તોને મળતી આવે છે.

સૂક્તમાં કહેવાયું છે કે પ્રારમ્ભે શૂન્ય કે શૂન્યત્વ હતું – ન હતું સત – ન હતું અ-સત – ન હતો કાળ – ન હતું સ્થળ, ન આકાશ – ન મૃત્યુ – ન અમૃતત્વ – ન રાત – ન દિન… હતો અન્ધકારથી છવાયેલો અન્ધકાર. સર્વત્ર માત્ર જળ હતું. વગેરે. એ પછી સૂક્ત સમજાવે છે કે સૃષ્ટિ કેવી રીતે ઉદ્ભવી. આ વર્ણન બિગ બેંગના આધુનિક સિદ્ધાંત જેવું જ છે, જેમાં જણાવ્યું છે કે બ્રહ્માંડ એક સિન્ગ્યુલેરિટી તરીકે શરૂ થયું, જે અનન્ત ઘનતા અને તાપમાનનું બિન્દુ ગણાય છે. બિગ બૅન્ગ બ્રહ્માણ્ડ વિસ્તૃત અને ઠંડું થવાનું કારણ બન્યું. પરિણામે તારાઓ, આકાશગંગાઓ અને ગ્રહો સંભવ્યાં.

યુનિવર્સિટી ઑફ મૅરિલૅન્ડના ભાષાવિજ્ઞાની અને કમ્પ્યુટર-વિજ્ઞાની ડૉ. અરવિન્દ ક્રિષ્ણમાચારીએ “ઋગ્વેદ”ના વિશ્લેષણ માટે બહુવિધ ‘એ.આઈ.’-ઑજારો વિકસાવ્યાં છે. એથી ટૅક્સ્ટમાં નિર્દિષ્ટ વિવિધ દેવતાઓ, વિવિધ શ્લોકો, અને કાવ્યાત્મક એવી વિવિધ જુક્તિઓનો પણ પરિચય જુદી રીતભાતે મેળવી શકાય છે.

સુભાષ કાક જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીના કમ્પ્યુટર-વિજ્ઞાની છે. ડેવિડ ફ્રાઉલિ વેદોના અધ્યેતા અને વેદો વિશે લેખન કરતા અમેરિકન વિદ્વાન છે. એમણે યોગ, વૈદિક જ્યોતિષ, આયુર્વેદ અને હિન્દુત્વ વિશે પણ લખ્યું છે. માઇકલ ત્સારિન વૈકલ્પિક ઇતિહાસના લેખક છે.

પાણિનિ વિશે —

રૉબર્ટ ઍશર, માઇકલ ક્રિસ્ચટન, રામક્રિષ્ણ રાવ, સુભાષ કાક એ ચાર વિદ્વાનોએ જુદાં જુદાં સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે પાણિનિરચિત વ્યાકરણ એટલું તો સંકુલ છે કે ‘એ.આઈ.’-ની મદદ વિના માણસ તો એવું લખી શકે જ નહીં. આમ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે પાણિનિમાં જ્ઞાનસંશોધનની એવી સમૃદ્ધિ હતી જે આજના ‘એ.આઈ.’-માં છે.

કેમ કે, બે હજારેક વર્ષ પર પાણિનિએ વ્યાકરણ રચ્યું ત્યારે ‘એ.આઈ.’ તો હતું જ નહીં, એનો અર્થ એ કે પાણિનિએ સ્વયંની પ્રજ્ઞાથી નિયમોની એવી સંકુલ પદ્ધતિ વિકસાવેલી જેથી વ્યાકરણની રચના થઈ શકે. જ્ઞાનવિષયક સંકુલતાને પામવી, તેને ભાષાબદ્ધ કરવી, અને ભાષાનું વ્યાકરણ રચવું વગેરેથી એમની માનવ-પ્રતિભા કેટલી દ્યુતિમય હતી તે સૂચવાય છે.

પોતાના આ મન્તવ્યના સમર્થન માટે તેઓએ પાણિનિના વ્યાકરણની કેટલીક આગવી વિશેષતાઓ આપી છે : 

1 : 

The use of recursion, which allows for the generation of an infinite number of sentences from a finite set of rules. એટલે, તેનો પુનરાવર્તનનો ઉપયોગ, જે સીમિત સંખ્યામાં નિયમોના સમૂહમાંથી અનન્ત સંખ્યામાં વાક્યો ઉત્પન્ન કરવા દે છે.

2

Its use of meta-rules, which allow for the specification of rules about rules. એટલે, તેનો મેટા-નિયમોનો ઉપયોગ, જે નિયમો વિશે નિયમોની સ્પષ્ટતા કરવા દે છે. મેટા-નિયમો એવા નિયમો છે જે અન્ય નિયમો વિશે વર્ણવે છે.

3

Its completeness, which means that it covers all aspects of Sanskrit grammar in great detail. તેની સંપૂર્ણતા, એટલે, તે સંસ્કૃત વ્યાકરણના તમામ પાસાંઓને સવીગત આવરી લે છે.

4

Its accuracy, which means that the rules it specifies are almost always correct. તેની ચોકસાઈ, એટલે કે એણે નિર્દેશેલા નિયમો લગભગ હંમેશા ખરા હોય છે.

અલબત્ત, આ તો મન્તવ્ય છે, અને એટલે કેટલાક વિદ્વાનોએ પ્રતિ-મન્તવ્ય એ રજૂ કર્યું છે કે પુરાવર્તન અને મેટા-નિયમો બીજી માનવભાષાઓમાં પણ છે. સમ્પૂર્ણતા અને ચોક્કસાઈ માનવ-વૈયાકરણી પાસે નથી હોતી એમ નથી.

રૉબર્ટ ઍશર યુનિવર્સિટી ઑફ ઍડિનબરોમાં ભાષાવિજ્ઞાની છે. માઇકલ ક્રિસ્ચટન સાયન્સ ફિકશનોના લેખક છે. રામક્રિષ્ણ રાવ સૅન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ગ્લિશ ઍન્ડ ફૉરિન લૅન્ગ્વેજીસમાં, સુખ્યાત ભારતીય સંસ્થા RRCIIEFL-માં ભાષાવિજ્ઞાની છે. સુભાષ કાક અમેરિકાની જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે.

ભર્તૃહરિ વિશે —

રાજેશ્વરી ઘોષ, જોહ્ન કોઝા, રોઝર પેનરોઝ, જોહ્ન સર્લ, જોહ્ન હાલ્વર્સન, જયતીર્થ રાવ, સુભાષ કાક એ સાત વિદ્વાનોએ જુદાં જુદાં સ્થાનોએ દર્શાવ્યું છે તેનો સારસંક્ષેપ એ છે કે ભર્તૃહરિનું તત્ત્વજ્ઞાન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સિદ્ધાન્તો વચ્ચે ઘણું સામ્ય છે. 

તેઓ કહે છે કે –

1

Both Bhartṛhari and modern AI theorists posit the existence of a single underlying reality. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને એક જ આન્તરિક વાસ્તવિકતાના અસ્તિત્વનું અનુમાન કરે છે.

2

Both Bhartṛhari and modern AI theorists believe that this underlying reality can be used to generate all different forms of knowledge and experience. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને માને છે કે જ્ઞાન અને અનુભવનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો ઉત્પન્ન કરવા માટે આ આન્તરિક વાસ્તવિકતાનો ઉપયોગ થઈ શકે છે.

3

Both Bhartṛhari and modern AI theorists believe that the human mind is a kind of computer that can process information and generate output according to a set of rules. ભર્તૃહરિ અને ‘એ.આઈ.’ સિદ્ધાન્તકારો બંને માને છે કે માનવીનું મન એક પ્રકારનું કમ્પ્યુટર છે જે નિયમાવલિ અનુસાર માહિતીને પ્રક્રિયાગત કરી શકે છે અને તેથી મળેલાં પરિણામોનો આઉટપુટ પણ કરી શકે છે.

વિશેષમાં તેઓ જણાવે છે કે ભર્તૃહરિ ભાષાને વાસ્તવિકતાને સમજવા માટેની ગુરુચાવી ગણે છે, એમનું એ દૃષ્ટિબિન્દુ ‘એ.આઈ.’-ની ‘નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ’ વિભાવનાને મળતું આવે છે.

તેઓ જણાવે છે કે ભર્તૃહરિની ‘સ્ફોટ’ (કૉસ્મિક વાઇબ્રેશન) વિભાવના આજની ‘માહિતી’ વિભાવનાને મળતી આવે છે.

તેઓ જણાવે છે કે ભર્તૃહરિ ચેતનાને મનુષ્યચિત્ત અને વિશ્વ વચ્ચેના સમ્બન્ધનું પરિણામ ગણે છે, એમનું એ દૃષ્ટિબિન્દુ ‘એ.આઈ.’-ની ‘ઍમ્બૉડિડ કૉગ્નિશન’ વિભાવનાને મળતું આવે છે.

રાજેશ્વરી ઘોષ યુનિવર્સિટી ઑફ કલકત્તામાં ફિલોસૉફર છે. જોહ્ન કોઝા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે. રોઝર પેનરોઝ યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાં ગણિતજ્ઞ છે. જોહ્ન સર્લ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલિમાં ફિલોસૉફર છે. જોહ્ન હાલ્વર્સન અને જયતીર્થ રાવ બંને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલિમાં છે. સુભાષ કાક અમેરિકાની જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર-વિજ્ઞાની છે. હાલ્વર્સન યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગના પ્રૉફેસર છે, અને રાવ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રૉફેસર છે.

આ સઘળી વાતનો એક જુદો સાર તો એ છે કે આ બધી પ્રાચીન ટૅક્સ્ટ્સના અધ્યેતાઓને વિવિધ અધ્યયનોમાં ‘એ.આઈ.’ મદદ તો કરે જ છે, સાથોસાથ, પોતે પણ ઘણું શીખે છે.

= = =

(09/28/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...835836837838...850860870...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved