Opinion Magazine
Number of visits: 9457761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપિત મત કરતાં ભિન્ન મત પર હવે ધોંસની નવાઈ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 October 2023

ન્યૂઝક્લિક પર તવાઈ

શાસનનાં શીલ અને શૈલી, અખબારી આઝાદી તેમ જ ધોરણસરનો નાણાંવહેવાર બધું જ અત્યારે વમળમાં છે.

પ્રકાશ ન. શાહ

આ પહેલીવાર તો નથી બન્યું કે ‘ન્યૂઝક્લિક’ પર પોલીસ ધોંસ આવી હોય. મંગળવારની દિલ્હી-મુંબઈ રેડ પછી બુધવારના સમાચાર પ્રમાણે ક્લિક વડા પ્રબીર પુરકાયસ્થ અને આ પોર્ટલના માનવ સંસાધન વડા અમિય ચક્રવર્તી, બેઉ એક અઠવાડિયા માટે પોલીસ રિમાન્ડ હેઠળ લેવાયા છે. 2021ના ફેબ્રુઆરીમાં ઇડી કહેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પ્રબીર પુરકાયસ્થને પૂરા પાંચ દિવસ ઘરબંધ રાખી તપાસ કરી હતી. પણ આર્થિક ગુના સબબ તપાસ કરતી એજન્સી અને આવકવેરા ખાતા તરફથી થયેલી તપાસમાં કશું જ પકડવાલાયક પ્રાપ્ત થયું નહોતું.

કેન્દ્ર સરકાર જે રીતે ઇ.ડી.ને પોતાના રાજકીય હથિયાર તરીકે (અને નહીં કે ગેરરીતિઓની પ્રજાકીય તપાસ એજન્સી તરીકે) વાપરી રહી છે તે ચોક્કસ જ એક ચિંતાજનક બાબત છે. એક બાજુ બુધવારનાં અખબારો ‘ન્યૂઝક્લિક’ પરની કારવાઈના સમાચાર પ્રકાશિત કરી રહ્યાં હતાં તો બીજી બાજુ આ જ છાપાંમાં સુપ્રીમ કોર્ટ ઈ.ડી.ની કાર્યપદ્ધતિ વિશે સખત નારાજગી પ્રગટ કરતી માલૂમ પડી હતી. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કહ્યું હતું કે તમે કોઈ આતંકતંત્ર નથી. તમારી કાર્યપદ્ધતિ પારદર્શક હોવી જોઈએ. તમે કોઈને મનમુરાદ ગિરફ્તાર કરી લો એ ન ચાલે. જે તે કારવાઈ માટે, ખાસ તો કોઈને પકડવા માટે તમારે લેખી કારણ આપવાં જરૂરી છે.

Founder and editor-in-chief of NewsClick, Prabir Purkayastha, is brought to Delhi Police Special Cell in New Delhi [Dinesh Joshi/AP Photo]

ન્યૂઝક્લિક પોર્ટલ સાથે સંકળાયેલા આશરે પચાસ જેટલા લોકો જોડે દિવસભર સઘન પૂછપરછ કરવામાં આવ્યાના હેવાલો છે. ખાસ કરીને આ પોર્ટલ સાથે સંકળાયેલા પત્રકારોને તમે કઈ કઈ બાબતો પર લખો છો એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીનાં (પ્રેરિત-પ્રાયોજિત મનાતાં) હુલ્લડ, સી.એ.એ. સામેનો વિરોધ તેમ જ ખેડૂતોના વિરોધ દેખાવો જેવી બાબતો એમાં મુખ્ય હતી. જે પ્રકારની બાબતો પૂછપરછ માટે અલગ તારવવામાં આવી હતી તે જોતાં સ્પષ્ટ થાય છે કે સરકારી ધોંસ વિરોધમત પરત્વે ચોક્કસ એજન્ડા સાથે કાર્યરત હતી અને છે.

અહીં એ યાદ કરવું લાજિમ થઈ પડશે કે થોડા વખત પર પ્રેસની આઝાદી વિશે વિશ્વ સ્તરે 180 દેશોનો એક સરવે આવ્યો હતો તે પ્રમાણે આપણે છેક નીચલા ક્રમે, એકસો એડસઠમે હતા. છેલ્લે એન.ડી.ટી.વી., અદાણી પ્રકરણથી ફરી એક વાર સાફ સમજાઈ રહ્યું હતું તેમ આપણે ત્યાં સ્વતંત્ર પત્રકારિતા માટેનો અવકાશ ઉત્તરોત્તર સીમિત થતો જાય છે. જો ભિન્નમત કે વિરોધીમત માટે અવકાશ ન હોય – હમણાં ‘ઇન્ડિયા’ પક્ષોએ સંખ્યાબંધ એન્કરોની એકતરફી નીતિ જોઈ જેમ એમનો બહિષ્કાર પોકાર્યો – એવી નોબત વચ્ચે પત્રકારની કારકિર્દી ને કામગીરી કરમાઈ ન જાય તો બીજું શું થાય ?

અહીં વાતનો બંધ વાળતાં પૂર્વે એક ગંભીર મુદ્દો ભલે કંઈક અધકચરો પણ ચર્ચવો રહે છે, અને તે ફોરેન ફન્ડિંગનો છે. અત્યારે ખુલ્લા બજારની સત્તાવાર નીતિ તરીકે આર્થિક વ્યવહાર પહેલાં કરતાં દેશ દેશ વચ્ચે વિશેષ મુક્તતાને ધોરણે ચાલે છે. પરદેશથી આવતાં દાન વગેરે (‘એન.જી.ઓ.’માં કદાચ વિશ્વહિન્દુ પરિષદ એમાં મોખરે પણ હોય) ચોક્કસ કાનૂની જોગવાઈ થકી સરકારી ચેનલમાંથી પસાર થઈ આવતાં હોય છે. આ ચર્ચામાં જવાનો આશય એ છે કે ન્યૂઝક્લિક પર ફોરેન ફન્ડિંગનો ખાસ કરીને ચીની પ્રચારસ્રોતનો, ગંભીર આક્ષેપ છે. પ્રબીર પુરકાયસ્થે પકડાતાં પહેલાં કહ્યું છે કે અમારા પરના આવા આક્ષેપ પહેલીવારનાં નથી. અમે યોગ્ય ફોરમમાં એટલે કે અદાલતમાં એનો જવાબ આપીશું, કેમ કે, આ બાબત સબજ્યુડિસ છે.

પુરકાયસ્થ એક ભુક્તભોગી જોધ્ધા જેવા છે. કટોકટીમાં કુખ્યાત ડી.આઈ.જી. ભીંડરે એમને બીજા કોઈને બદલે પકડી લઈ ક્યાં ય લગી એ ‘બીજા’ તરીકે જ આગળ કરી પોતાની ‘ઇજ્જત’ સાચવી લીધી હતી. આજે ન્યૂઝક્લિકના વડા તરીકે પ્રબીર પુરકાયસ્થ તપાસના દાયરામાં છે ત્યારે અખબારી સ્વાતંત્ર્ય અને ધોરણસરના નાણાં વહેવારના વ્યાપક સંદર્ભમાં કોઈ શેહશરમમાં આવ્યા વગરની ને એટલી જ કિન્નાખોરી વગરની ખરી ને પૂરી તપાસની અપેક્ષા રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023

Loading

વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|5 October 2023

દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના હિન્દુત્વવાદી શાસકોની અને તેમના શાસનની નિંદા કરતા હતા અને એ પણ તાર્કિક રીતે, સભ્યતા જાળવી રાખીને. રમેશ ભીદૂડીની ભાષામાં નહીં. તેમની વચ્ચે બીજી સમાનતા એ છે કે તેઓ દરેક માત્ર ડિજીટલ મીડિયામાં સાંપ્રત પ્રશ્નોનું વિવેચન કરતા હતા. જેને મુખ્ય ધારાના મીડિયા કહેવામાં આવે છે એ અખબાર કે ટી.વી. ન્યુઝ ચેનલ પર નહીં. મુખ્યત્વે યુ ટ્યુબ પર. એકાદ બે અપવાદ છોડીને મુખ્ય ધારાના મીડિયા તો ગોદમાં છે અને અહોરાત્ર જયજયકાર કરે છે તો પછી આવા હાંસિયામાં (માર્જિનમાં) રહીને પત્રકારત્વ કરનારાઓથી ડરવાની શી જરૂર પડી? ક્યાંક કોઈક પરિવર્તન થઈ રહ્યું છે એ વાત નક્કી અને જો ઝીણી નજરે જોશો તો પરિવર્તન નજરે પણ પડશે.

(ડાબેથી) ડી. રઘુનંદન, અભિસાર શર્મા, પ્રબીર પુરકાયસ્થ, સોહૈલ હાશ્મી, ઊર્મિલેશ અને ભાષા સિંહ [D. Raghunandan, Abhisar Sharma, Prabir Purkayastha, Sohail Hashmi, Urmilesh and Bhasha Singh]

મુખ્ય ધારાના મીડિયાની હવે કોઈ પ્રતિષ્ઠા બચી નથી અને એમાં ઇન્ડિયા ગઠબંધને ગોદી એન્કરોના પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ચર્ચામાં ઉપસ્થિત રહીને પોષણ આપવાનું બંધ કર્યું એને કારણે રાતનાં નવ વાગ્યાનાં ડાકલાં મોળાં પડી ગયા છે. ભક્તોને હવે એ ધૂણાવી નથી શકતા. એન્કરો અને ભક્તો અફીણ માટે ઝૂરે છે. અખબારોને અને સામયિકોને કોવીડના લોકડાઉનનો એવો માર પડ્યો છે કે તે હજુ ઊભાં નથી થઈ શક્યાં અને હવે થઈ શકશે એવી કોઈ શક્યતા દેખાતી નથી. તો બન્યું છે એવું કે બુદ્ધિશાળી નાગરિકોએ તો આઠ-નવ વરસ પહેલાં જ મુખ્ય ધારાના ગોદી મીડિયાને રામ રામ કરી દીધા છે અને હવે ભક્તો રાત્રે મોબાઈલ પર ગેમ રમીને વૈકલ્પિક નશો કરે છે. લોકોને ખપ રહ્યો નથી એટલે શાસકોને તેમનામાં કોઈ રસ રહ્યો નથી. આ સ્વાર્થી જગતમાં વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી.

તમે એક વાત નોંધી? ગોદી મીડિયા આવતા મહિનાઓમાં થનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં સંભવિત પરિણામોનાં જે સર્વે આપી રહ્યા છે એમાં કાઁગ્રેસને જીતતી કે બરોબરની ટક્કર આપતી બતાવે છે. આવું આ પહેલાં નહોતું થતું. પશ્ચિમ બંગાળમાં અને કર્ણાટકમાં બી.જે.પી. ભારે બહુમતી સાથે જીતશે એવાં પરિણામો સર્વેના નામે આ લોકોએ આપ્યા હતા. યાદ તો હશે જ. હવે અસ્તિત્વનો સવાલ આવ્યો અને નોધારાં થવા લાગ્યા ત્યારે તટસ્થતાનો દેખાવ કરવા લાગ્યા છે.

જે લોકો પોતાના ચિત્તની સ્વતંત્રતા જળવાઈ રહે એમ ઈચ્છે છે અને કુપ્રચારથી અભડાવા દેવા માગતા નથી તેમની પાસે ઘણા વિકલ્પો છે અને લોકો એવા વિકલ્પો અપનાવવા લાગ્યા છે. ક્યાં સુધી એકને એક ખીલે બંધાઈને એકનો એક નીરેલો ચારો આરોગતા રહેવાનું! પશુને પણ ખીલેથી છૂટીને પગ છૂટા કરવાનું મન થાય છે તો આપણે તો માનવી છીએ. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર તમારી પાસે વિશાળ પસંદગી છે. તમારી અનુકૂળતાએ તમે તે જોઈ કે વાંચી શકો છો. બીજી વાર જોવા કે વાંચવા માગતા હોય તો તેમ પણ કરી શકો છો. કોઈનું ધ્યાન દોરવું હોય તો ક્લીપ કે લેખ ફોરવર્ડ કરી શકાય છે. તથ્યોની ખાતરી કરવી હોય તો પોઝ આપીને એને એ જ સમયે તમે ખાતરી કરી શકો છો. પરિણામે વધુને વધુ સંખ્યામાં લોકો ડિજીટલ મીડિયા તરફ ઢળી રહ્યા છે. લગભગ દરેક અખબાર ડિજીટલ અખબાર કાઢે છે.

જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ નીડર પત્રકાર છે અને વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે. તેમની તેવી પ્રતિષ્ઠા છે એટલે તેમનો દર્શક વર્ગ વધી રહ્યો છે. જેમ કે રવીશ કુમારની યુ ટ્યુબ પર આવતી ન્યુઝ ચેનલના ૭૦ લાખ કરતાં વધુ ગ્રાહક સભ્ય છે. જે સભ્ય નહીં બન્યા હોય એ વધારામાં. કોઈ ગોદી એન્કર આટલી લોકપ્રિયતા ધરાવતો નથી. સોરી, મેં ખોટો શબ્દ વાપર્યો. લોકપ્રિયતા નહીં, શ્રદ્ધેયતા. લોકપ્રિયતા તો એક સમયે ભક્તોની વચ્ચે ગોદીવાળાઓ ધરાવતા હતા. જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ રવીશ કુમાર જેવી શ્રદ્ધેયતા ધરાવે છે અને તેમની ગ્રાહક-સભ્ય સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ગોદી મીડિયાએ શ્રદ્ધેયતા ગુમાવી દીધી છે. સ્થિતિ એવી બની છે કે વડા પ્રધાને યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે.

તો ભારતીય પ્રજા ગોદી મીડિયાથી મુક્ત થઈ રહી છે અને ગોદી મીડિયા પણ ગોદમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો અર્થ એવો નથી કે તેઓ વિરોધમાં બોલતા થઈ જશે, માત્ર જીહજૂરી કરતા બંધ થઈ જશે. જયજયકાર કરવાનું ઓછું કરશે. આ અત્યારે નજરે પડવા માંડેલું પહેલું પરિવર્તન. એક બાજુ લોકોની આંખ ઊઘડી રહી છે, બીજી બાજુ હાલરડાં ગાઈને લોકોની આંખ મીંચાવનારાઓનો પ્રભાવ ઘટી રહ્યો છે અને ત્રીજી બાજુ લોકોની આંખ ઉઘાડનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે.

પરિવર્તનનું બીજું પાસું એ છે કે ડિજીટલ પ્લેટફોર્મ્સ મોકળું મેદાન છે જ્યાં દરેક પોતાને વ્યક્ત કરી શકે છે. ભક્તોને વાત કરતાં આવડતું નથી અને બુદ્ધિશાળીઓ પોતાની વાત અવનવી પણ તાર્કિક રીતે પોતાની વાત કરે છે. ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામસીએ આવા સીધા સાદા  પણ ધીંગી સૂઝબૂઝને પોતાની કુંવારી ભાષામાં જબરદસ્ત રીતે અભિવ્યક્ત કરતા લોકોને ઓર્ગેનિક ઇન્ટેલેક્ચુઅલ્સ તરીકે ઓળખાવ્યા હતા. સ્વાભાવિક અને નૈસર્ગિક. આવા લાખો લોકો છે. પોતાની કલ્પનાના સહિયારા ભારતને બચાવવાનો જ્યારે કેટલાક લોકોએ સંકલ્પ જ કરી લીધો છે ત્યારે કેટલા લોકોની ધરપકડ કરશો?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2023
છબિ સૌજન્ય : “ધ વાયર”

Loading

જૂની મૂડી: ૧ 

દીપક મહેતા|Opinion - Literature|4 October 2023

‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં ‘જૂની મૂડી’ નામની લેખ શ્રેણી સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકથી શરૂ કરી છે. ૧૯મી સદીનાં અજાણ્યાં અથવા આજે બહુ ઓછાં જાણીતાં પુસ્તકોનો તેમાં પરિચય આપવા ધાર્યું છે. અહીં રજૂ કર્યો છે એ શ્રેણીનો પહેલો લેખ :-

(સ્વામી આનંદની ક્ષમાયાચના સાથે)  

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી પહેલી ગુજરાતી નવલકથા 

આપણા દેશની બધી ભાષાઓમાં પહેલવહેલી નવલકથા ૧૮૫૭માં મરાઠીમાં પ્રગટ થઈ: ‘યમુનાપર્યટણ’. તેના લેખક બાબા પદમનજીએ ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો હતો. અને તેઓ વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા. ‘યમુનાપર્યટણ’ દ્વારા તેમણે ખ્રિસ્તી ધર્મનો તેમ જ વિધવા વિવાહનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, બીજું લગ્ન કરતાં પહેલાં નાયિકા યમુનાને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી બતાવી છે. પણ વિધવા પુનર્લગ્નનો કાયદો ૧૮૫૬માં પસાર થયો અને બીજે જ વરસે એક મરાઠી નવલકથામાં તેનો પુરસ્કાર થયો એ વાત નોંધપાત્ર તો ગણાય જ.

ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.

કરસનદાસ મૂળજીના અવસાન પછી તેમને અંજલી આપતાં કાવ્યોનો સંગ્રહ ‘કૃષ્ણવિરહ’ ૧૮૭૬માં પ્રગટ થયો. ૧૮૭૭માં પ્રગટ થયેલા ‘ભવાની કાવ્યસુધા’માં તેમનાં બધાં કાવ્યો સંગૃહિત થયાં છે. તેમણે ૧૯૧૨માં પ્રગટ કરેલ ‘ગૂજરાતી જૂનાં ગીતો’ આપણાં લોકગીતોના સંપાદનનો એક શરૂઆતનો પ્રયાસ છે. તેમણે ‘સોરઠી સોમનાથ’, ‘મીઠા જળની માછલી’, ‘સરદાર ગઢનો સરદાર’, ‘મણીપુરનો મહારાજા’ જેવી નવલકથા લખી છે. અન્ય પુસ્તકોમાં ‘ગુજરાતી ગીતાવલી’, ‘કુંવારી કન્યા’, ‘પ્રધાન અનંતજી અમરચંદનું જીવન’, ‘બાવદીન વિજય’, ‘લાઈટ ઓફ સૌરાષ્ટ્ર’ વગેરેનો સમાવેશ થાય છે.

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી નવલકથા ‘કમળા કુમારી’ની પહેલી આવૃત્તિ ૧૮૮૧માં પ્રગટ થઈ હતી. ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિની ૧૫ પાનાંની પ્રસ્તાવના રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં લખી હતી. તેમાં તેઓ લખે છે :

ભવાનીશંકર નરસિંહરામ કવિ

The author Mr. Bhavanishankar Narasinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.

અલકાપુર નામના રજવાડાના દીવાન વિવેકસાગરને ઘરે મોટી વયે કમળા કુમારીનો જન્મ થયો છે. બાળક ખાતર પત્ની પદ્માવતીના બીજાં લગ્ન કરી લેવાના આગ્રહને તે વશ થયો નથી. પુત્ર અંગેની રૂઢ માન્યતાઓથી તે ઘણો દૂર છે. તેને મન દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી. એટલે કમળા કુમારીનો ઉછેર તે ઘણા લાડકોડપૂર્વક કરે છે. એ જમાનામાં તેને ભણવા માટે સ્કૂલે પણ મોકલે છે. પણ પદ્માવતી જૂનવાણી વિચારની છે. તે બને તેટલી જલ્દીથી દીકરીનાં લગ્ન કરવા માગે છે. છેવટે તેના હઠાગ્રહ આગળ વિવેકસાગરે નમતું જોખવું પડે છે. પાંચ વરસના એક સાવ માયકાંગલા છોકરા સાથે કમળા કુમારીનાં લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. લગ્ન પછી થોડા વખતમાં છોકરો માંદો પડે છે. વિવેકસાગર અને પદ્માવતીના આગ્રહને અવગણીને છોકરાનાં મા-બાપ વૈદ-ભૂવા પાસે સારવાર કરાવે છે. ભૂવો છોકરાને ડામ દે છે, અને બીજા નુસખા પણ અજમાવે છે. મા-બાપ મંદિરોમાં જાય છે, જોશીઓની સલાહ લે છે. પણ કોઈ કારી ફાવતી નથી અને છોકરો મૃત્યુ પામે છે.

માત્ર નવ વરસની ઉંમરે વિધવા બનેલી કમળા કુમારીને નથી તો લગ્ન જીવન એટલે શું એની ખબર, કે નથી તો વૈધવ્ય એટલે શું તેની ખબર. છતાં કેશ-વપન અને ચૂડા-કર્મની વિધિઓ તેણે મૂંગે મોઢે સહન કરી લેવી પડે છે. પણ દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેના મનમાં સ્વાભાવિક આવેગો જાગતા જાય છે. અને પિતાની તેના ભવિષ્ય માટેની ચિંતા વધતી જાય છે. વિદ્યા વર્ધક સભા નામની સંસ્થામાં જુગલ કિશોર નામના યુવકનું વિધવા વિવાહ પરનું ભાષણ સાંભળ્યા પછી વિવેકસાગરનું મન ચકરાવે ચડે છે. જુગલકિશોર પોતે વિધુર હતો અને બીજાં લગ્ન કરવાં તો કોઈ વિધવા સાથે જ કરવાં એવું તેણે નક્કી કર્યું હતું. ધીમે ધીમે કમળા કુમારી અને જુગલ કિશોર નજીક આવતાં જાય છે અને કમળા કુમારીનાં માતા-પિતા બંનેનાં લગ્ન માટે રાજી થાય છે. રાજપરિવાર સહિત આખું રજવાડું એ લગ્નમાં જોડાય છે.

આમ, લેખકે પોતાના જમાનાના સમાજમાં પ્રવર્તતાં રૂઢિ-નિષેધનું આલેખન કર્યું છે તો સાથોસાથ જડ બંધનોમાંથી છૂટવા માટેની દિશા પણ બતાવી છે. વિધવા-વિવાહનો પુરસ્કાર કરતી આપણી પહેલી નવલકથા મુંબઈ-અમદાવાદ જેવા કોઈ શહેરના લેખકે નહિ, પણ લીમડી જેવા એક નાનકડા દેશી રાજ્યમાં વસતા લેખકે લખી એ ઘટના નોંધપાત્ર ગણાય. જો કે ૧૯મી સદીના આપણા ગોવર્ધનરામ સહિતના ઘણા નવલકથાકારોએ દેશી રાજ્યોની ભૂમિને કથાના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરી છે. આ કૃતિ પ્રગટ થયા પછી આપણાં અખબારો અને ‘ચોપાનિયાં’એ તેને સારો આવકાર આપ્યો હતો. રાસ્ત ગોફ્તારે લખ્યું હતું : “મિ. ભવાનીશંકરે હિંદુ ઘર સંસારની સ્થિતિનું ચિત્ર રૂપે પ્રગટ કરેલો ગ્રંથ પહેલેથી છેલ્લે સુધી લખનારના સુધરેલા વિચારો દેખાડે છે. તેમાં હિંદુઓમાં પેઠેલી નઠારી રીતભાતોથી થતાં માઠાં પરિણામો દાખલા દલીલોથી તથા છટાદાર ભાષા વાપરીને દેખાડી આપ્યાં છે.” તો ગુજરાત શાળાપત્રના અવલોકનમાં લખ્યું હતું : “આ એક કલ્પિત વાર્તા છે અને એનો હેતુ વિધવા વિવાહને ઉત્તેજન આપવાનો છે. હાલને સમે, દેશમાં શું થાય છે તેવું નહિ, પણ શું થવું જોઈએ તેનું આ ચિત્ર છે. અને એ રીતે જોતાં આ વાર્તા સારી છે.” તો લેખક પરના અંગત પત્રમાં કવીશ્વર દલપતરામે લખ્યું હતું : “તમારી ‘કમળા કુમારી’ની વાર્તાનું પુસ્તક મેં વાંચી જોયું છે. તમારું ગદ્યનું લખાણ ઘણું સારું છે. એક રસીલી વાર્તાના આકારમાં સુધારાનો બોધ અને વહેમનું ખંડન, તથા દેશી લોકોની ચાલ ચલગતનું ચિત્ર જેવું જોઈએ તેવું, ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે.”

અલબત્ત, ‘કમળા કુમારી’માં જે પ્રશ્નો આલેખાયા છે તેમાંના મોટા ભાગના આજે રહ્યા નથી. વિધવા વિવાહ એ આજનો સળગતો પ્રશ્ન નથી. એટલે આજે તો આ નવલકથા ઐતિહાસિક મૂલ્ય ધરાવતી પણ એક મહત્ત્વની કૃતિ બની રહે છે.

xxx xxx xxx

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; સપ્ટેમ્બર 2023
સૌજન્ય : દીપકભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...826827828829...840850860...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved