Opinion Magazine
Number of visits: 9562580
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|11 December 2023

નીલેશ રૂપાપરા

પ્રેમાળ મિત્ર નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.

સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.

ને સાંજે ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.

1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.

તેમને પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માંની પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં સિગારેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.

તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ. લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં. છૂટથી મસ્તીમજાક કરે ને ખૂલીને હસે.

‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો.

ત્યારે હું તો પત્રકારત્વમાં સાવ નવો. અનુભવ શૂન્ય. પહેલી મુલાકાત નીલેશભાઈ સાથે થઈ ને પહેલા જ દિવસથી તેમણે સિનિયોરિટીના કડપને બદલે પ્રેમાળ મિત્ર તરીકે અપનાવી લીધો. અમારું બેસવાનું ક્યુબિકલ એક જ. પણ તેમને એવું ન થયું કે આ ક્યાં આવી પડ્યો. ઊલટું, જોડાયા પછી તરતના અરસામાં કાર્ટૂન વિશેની મારી કવર સ્ટોરી જોઈને તેમણે કહ્યું, ‘મેડ મેગેઝીન વિશે ખ્યાલ છે?’ મેં ના પાડી, એટલે તેમણે ટેબલના ખાનામાંથી એક અંક કાઢીને મને આપ્યો, રાખી લેવા માટે. ત્યારથી ‘મેડ’ સાથેનું ગાઢ પ્રેમપ્રકરણ શરૂ થયું.

‘અભિયાન’માં તેમની પાસેથી – તેમને જોઈને હું ડેસ્ક કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ. થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની) દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપને ય ક્યાંથી વિચાર્યું હોય.

મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) :  વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે.

તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું, ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને ટી.વી. સીરિયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે.)

અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ – એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું. 

તેમની લેખનક્ષમતા અને ભાષાસજ્જતા વિશે મારા મનમાં બહુ આદર હતો. તે પોતે પણ એ બાબત વિશે સભાન અને સજાગ હતા. 2006-07માં છ મહિના માટે એક એવો સોનેરી યોગ બની આવ્યો, જ્યારે આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી બન્યા, હું ત્યાં રોજ ચાર કલાક ‘ઓપ-એડ’ પેજના કામ માટે જતો હતો અને દીપક સોલિયા ‘આહા જિંદગી’ સામયિકના સંપાદક ઉપરાંત પૂર્તિઓના સંપાદક તરીકે મુંબઈથી અમદાવાદ આવ્યા. તે વખતે અમે કેટલીક પૂર્તિઓ નવેસરથી કરવાનું વિચાર્યું. તેમાં રવિવારની પૂર્તિ માટે અમે નીલેશભાઈ પાસે એક નવલકથા લખાવવાનું નક્કી કર્યું. દીપકને ખબર હતી કે નીલેશભાઈ પાસે કોઈ આઇડિયા છે. તેમની સાથે વાતચીત કર્યા પછી નીલેશભાઈએ નવલકથાનું બેકગ્રાઉન્ડ અને તેનાં બે પ્રકરણ મોકલ્યાં. એ નવલકથા કેવી થશે અથવા કેવી થાય એવું તે ઇચ્છે છે, તેના માટે નીલેશભાઈએ આપેલું વન લાઇનર હતું, ‘અશ્વિની ભટ્ટનો પ્લોટ, મધુ રાયની ભાષા’. 

અખબારી દુનિયામાં ઘણીખરી સારી બાબતોનું થાય છે તેમ, ન આ નવલકથા શરૂ થઈ શકી, ન નવા અંદાજવાળી પૂર્તિઓ. છેવટે, એકાદ દાયકા પછી એ નવલકથા અમે સ્થાપેલા ‘સાર્થક પ્રકાશન’માં ‘છલનાયક’ નામે પ્રગટ થઈ, ત્યારે એક વર્તુળ પૂરું થયાનો આનંદ આવ્યો. ‘સાર્થક જલસો’માં એક વાર તેમણે માતૃભાષા વિશે અને ‘સાર્થક જલસો-18’માં ‘સમકાલીન’ તથા હસમુખ ગાંધી વિશે પ્રેમથી લખી આપ્યું હતું.

રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મીડિયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.

થોડાં વર્ષ પહેલાં એક વાર હું મુંબઈ ગયો ત્યારે દીપક, નીલેશભાઈ અને હું ચહીને અમારા ‘અભિયાન’ સમયના બાર ‘સંધ્યા’માં સંભારણાં ખાતર ગયા હતા. તે પહેલાં અને પછી પણ તેમને ક્યારેક મળવાનું થતું હતું. પરંતુ મારા માટે એ ‘અભિયાન’વાળા નીલેશભાઈ હતા અને તેમના માટે હું એ જ ઉર્વીશ. તેમનો મિત્રપ્રેમ એવો કે મારી હાસ્યવ્યંગ વીડિયોના 100 ભાગ થયા ત્યારે, તે વીડિયોની સામગ્રી તેમની વિચારધારાથી સાવ સામા છેડાની હોવા છતાં, તેમણે લખ્યું કે મિત્રની સેન્ચુરી થાય ત્યારે આનંદ તો થાય જ, ભલે તે સામેની ટીમમાંથી રમતો હોય. તેમની આ બાબત તેમને બીજા ઘણા લોકો કરતાં જુદા અને ઊંચા બનાવતી હતી.

તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.

“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટી.વી.લેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું.) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી … જો કે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું … પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમને ય લખતાં આવડે છે … છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજે ય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય  મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” (19 એપ્રિલ 2018)

‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં … અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું … ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ …’ (12 જુલાઇ, 2023)

નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો … 

*

સૌજન્ય : આ લખાણની તસવીરો સાથેની લિન્કઃ https://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post…

Loading

શિક્ષકો વગર શિક્ષણ આપવામાં ગુજરાત મોખરે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની ફિરાકમાં હોય તેમ તેણે, બને ત્યાં સુધી શિક્ષકો પૂરતી સંખ્યામાં સ્કૂલોને અપાઈ ન જાય તેની કાળજી રાખી છે. શિક્ષક વગર શિક્ષણ આપવાના પ્રયોગમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ નીતિ નવી આવે તો પણ, શિક્ષકો વગર અમલમાં મૂકવામાં સરકારને કોઈ અડચણ આવતી નથી, એનું આશ્ચર્ય છે. સ્કૂલો હોય તો બંધ થાય, વર્ગો હોય તો જર્જરિત હોય, વિદ્યાર્થીઓ નિયમિત આવતા હોય પણ શિક્ષક સમ ખાવા પૂરતો પણ ન હોય, વર્ગો ખુલ્લામાં એકાદ શિક્ષક દ્વારા માંડ લેવાતા હોય, શિક્ષણનાં ઠેકાણાં ન હોય, પણ પરીક્ષાઓ લેવાતી હોય, પાસિંગ માર્કસ આવતા ન હોય, અરે ! પરીક્ષાઓ ન થઈ હોય, તો પણ વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પહોંચ્યા હોય … જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ એટલે ચાલે છે કે શિક્ષણ વિભાગની જીવાદોરી ચાલતી રહે, એના અધિકારીઓનાં પગાર, પેન્શન અટકે નહીં !

એ ખરું કે કેટલાક શિક્ષકો વફાદારીથી નોકરી નથી કરતા, પણ બધા જ બિનવફાદાર છે એવું નથી. જે એવા હોય એમની સામે પગલાં લઈ શકાય, પણ પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય. વળી શિક્ષણ જગતમાં જ વફાદારી ખૂટે છે એવું ક્યાં છે? સરકારી ખાતાઓમાં, ખાનગી સંસ્થાઓમાં પણ કામચોરો નથી એવું કહી શકાશે? એટલે થોડા એવા હોય એટલા માત્રથી શિક્ષકો મૂકવા જ નહીં એ બરાબર નથી ને એમાં વિદ્યાર્થીઓનો શો વાંક છે કે એમણે ઓછા શિક્ષકોથી ચલાવવું પડે?  સાધારણ રીતે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ સેંકડો વિદ્યાર્થીએ પણ એક શિક્ષક ન હોય એવી સ્કૂલો ગુજરાતમાં શોધવી મુશ્કેલ નથી. એક મંત્રીને ત્રીસ સુરક્ષાકર્મીઓ ફાળવવાનો વાંધો નથી આવતો, પણ ત્રીસ વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ફાળવવાનું સરકારને પરવડતું નથી- એવા મતલબના મેસેજમાં તથ્ય છે.

વારુ, શિક્ષકો મળતા નથી એવું નથી. ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારોને કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ કરુણતા છે. જે કાયમી નોકરીની પાત્રતા ધરાવે છે એમને જ્ઞાન સહાયકની કે પ્રવાસી શિક્ષકની કામચલાઉ નોકરીની ઓફર અપાય એ શરમજનક એટલે પણ છે કારણ, કાયમી કરવા માટે તો એમની પરીક્ષાઓ લીધી અને એમાં એ પાસ પણ થયા ને હવે એમને કામચલાઉ નોકરીમાં રાખવાની યોજના કરીને સરકાર, ભાવિ શિક્ષકોનો ભરોસો તોડી રહી છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, છતાં એ જગ્યા ભરવાને બદલે કામચલાઉ નોકરી અપાય છે, તે એટલે કે કાયમી નિમણૂક અપાય તો નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા પડે. એ લાભ આપવાની, પેન્શન વગેરે લાભોની ખાતરી મેળવી ચૂકેલા મંત્રીઓ અને અધિકારીઓની દાનત નથી તે દુખદ છે.

કોઈ કંજૂસ વેપારી પોતાના કારીગરોને ઓછામાં ઓછો લાભ પણ કેવી રીતે ન મળે એની જે રમત કરે, એવા પેંતરા સરકાર કરે છે. ગુજરાતના શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષમાં મંજૂર મહેકમમાં મોટો કાપ મૂકીને 40,000 જગ્યા ઘટાડી દીધી. આ ઘટાડા છતાં 22,721 જગ્યાઓ તો હજી ખાલી જ છે. આ યુક્તિથી 32,000 કાયમી શિક્ષકોની ઘટ, 22 હજાર પર લાવી દેવાઈ છે. આવતે વર્ષે વળી મંજૂર મહેકમ ઘટાડીને કાયમી શિક્ષકોની ઘટ 12 હજાર પર લાવી દેવાય તો નવાઈ નહીં ! 2021-‘22માં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ સરકારના જ અહેવાલ મુજબ 2,44,211નું હતું ને શિક્ષકોની ખાલી જગ્યાં 13,270 હતી. 2023-‘24માં શિક્ષકોનું મહેકમ 2.44 લાખ પરથી 2.04 લાખ પર આવી ગયું. સીધો 40,000નો ઘટાડો. આટલા ઘટાડા છતાં, શિક્ષકોની ખાલી રહેલી જગ્યા તો 22,721ની છે જ ! શિક્ષકોની જગ્યા ઘટાડી દેવા છતાં, ભરતી ન થતી હોવાને કારણે આટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. શિક્ષણ વિભાગે 30થી ઓછા વિદ્યાર્થીઓવાળી સ્કૂલો, નજીકની એકાદ કિલોમીટરના એરિયાની સ્કૂલોમાં મર્જ કરી. એ સ્કૂલના શિક્ષકો પણ નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર થયા, એટલે મંજૂર જગ્યાઓમાં ઘટાડો થયો. એનું પરિણામ એ આવ્યું કે ગામડાંની ઘણી સ્કૂલો બંધ થઈ. આ ખેલ તો છેલ્લાં 6 વર્ષથી ચાલે છે ને ગમ્મત એ છે કે કેરળ સહિતનાં 6 રાજ્યોમાં શિક્ષકોની કાયમી ઘટ જેવી કોઈ સમસ્યા જ નથી. ઘટનો આ આખો ખેલ ગુજરાત સરકારની આગવી નીપજ છે.

વિદ્યાર્થીઓ ઓછા થાય તો શિક્ષકોની સંખ્યા ઘટે એ સમજી શકાય, પણ વિદ્યાર્થીઓ વધતા હોય, તો પણ શિક્ષકો ઘટે એ ચમત્કાર કેવળ ગુજરાત સરકાર જ કરી શકે. સંસદમાં ગયા સોમવારે રજૂ થયેલ રિપોર્ટમાં 2019થી ’22 સુધીમાં સરકારી સ્કૂલોમાં 1.23 કરોડ વિદ્યાર્થીઓ વધ્યા, જ્યારે ખાનગી સ્કૂલોમાં એ ત્રણ વર્ષોમાં 99.37 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા. ગુજરાતની વાત કરીએ તો એ ત્રણ વર્ષો દરમિયાન સરકારી સ્કૂલોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા અને ખાનગી સ્કૂલોમાં 5.53 લાખ વિદ્યાર્થીઓ ઘટયા. આ આંકડાઓ એટલું તો સૂચવે છે કે સરકારી સ્કૂલોમાં છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં વધ્યા છે. જો આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, તેને બદલે ઘટ્યા. 40,000 શિક્ષકો ઘટાડવા છતાં, શિક્ષકોની ખાલી જગ્યા તો 22 હજારથી વધુની રહી જ ! આ આખી કસરત 32 હજાર શિક્ષકોની ઘટ, કાગળ પર 22 હજારની બતાવવા તો નથી થઈને એવો વહેમ પડે. બીજી વાત નોંધવા જેવી એ છે કે આ આંકડા સાચા હોય તો ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દેશમાં અને રાજ્યમાં લાખોની સંખ્યામાં ઘટ્યા છે. સરકારી સ્કૂલો બંધ કરવા છતાં ને ખાનગી સ્કૂલોને ભરપૂર લાઇસન્સ આપવા છતાં, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધ્યા છે અને ખાનગીમાં ઘટ્યા છે તે સૂચક છે. શિક્ષણનું ખાનગીકરણ સરકારને માફક આવતું હોય તો પણ, દેશને અને ગુજરાતને માફક આવ્યું નથી તે સ્વયં સ્પષ્ટ છે. ખરેખર તો સરકારે આ સંકેતોની નોંધ લઈને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવાની રહે.

એટલું છે કે ભાવિ શિક્ષકો અને કાર્યરત સરકારી શિક્ષકો સરકારની ગતિવિધિથી સંતુષ્ટ નથી. અન્ય રાજ્યોમાં કાયમી જગ્યાઓ ખાલી નથી, તો ગુજરાતમાં કાયમી જગ્યા ભરવાને બદલે કામચલાઉનો ચાલતો ખેલ લાંબો ચાલવાનો નથી તે સરકારે સમજી લેવાનું રહે. શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પણ, હવે તો જૂની થવા આવી છે, પણ સરકાર તે તરફ ધ્યાન આપતી નથી. એ માંગ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે 9 ડિસેમ્બરે શિક્ષકોએ વિરોધ પ્રદર્શિત કરવા રાજ્યમાં જુદા જુદા 11 શહેરોમાં એક લાખ શિક્ષકોની પદયાત્રા યોજી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મેગા પદયાત્રાનું આયોજન કર્યું, જેમાં શિક્ષકો સહિત 70થી વધુ સંગઠનો જોડાયાં. આ વિરોધનું મુખ્ય કારણ એ છે કે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા સરકારી શિક્ષકો સહિતના કર્મચારીઓનો ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ થયો નથી. સરકાર સમાવેશ કરવાને મામલે સંમત તો થઈ, પણ તેનો ઠરાવ કરવાની તેને આજ સુધી ફુરસદ મળી નથી. અમદાવાદ, સૂરત, નવસારી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અન્ય વિસ્તારના હજારો શિક્ષકોએ પ્લેકાર્ડ અને બેનર્સ સાથે પદયાત્રાઓ અને મહાપંચાયતો યોજી, જેમાં પેન્શન ઉપરાંત બદલીના નિયમો, શિક્ષકોની કાયમી ભરતી, 4,200 ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નોની વાત મુખ્ય હતી. શિક્ષકોનાં આ આંદોલનની અનિવાર્યતા સામે કોઈ પ્રશ્ન જ નથી, પણ શિક્ષણની ગુણવત્તા અંગેની ચિંતા પણ શિક્ષકોએ કરવાની રહે જ છે. NCERT કે GCERT દ્વારા અભ્યાસક્રમોમાં કે પાઠ્યપુસ્તકોમાં મનસ્વી ફેરફારો સામે પણ શિક્ષકો સજાગ અને સભાન રહે એ અપેક્ષિત છે. શિક્ષકોને સોંપાતી શિક્ષણેતર જવાબદારીઓને લીધે વર્ગશિક્ષણ ખોરંભાય છે તે વાતો પણ આંદોલનનું એક કારણ છે – એવી પ્રતીતિ સરકારને કરાવવાની હજી બાકી છે.

સરકારને કદાચ એમ હશે કે શિક્ષકોનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી લેવામાં આવે તો તેમની જરૂર જ ન રહે, પણ એ ભૂલવા જેવું નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર તો ઇન્ટેલિજન્સનું પરિણામ છે. ઇન્ટેલિજન્સ જ ન હોત તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સપનું ય પડે એમ ન હતું. એકલવ્યે ગુરુ વગર જ્ઞાન મેળવ્યું, પણ પ્રેરણામૂર્તિ તો ગુરુ જ હતા. ટૂંકમાં, શિક્ષણ માટે શિક્ષક અનિવાર્ય છે, એ વાત સરકાર સુધી પહોંચે તે જરૂરી છે. કમનસીબી એ છે કે શિક્ષક, કારકૂની માટે નહીં, પણ શિક્ષણ માટે અનિવાર્ય છે – એ વાત સરકારને સમજાવવી પડે એ હદે શિક્ષણનું ધોવાણ થયું છે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ડિસેમ્બર 2023

Loading

કૉઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2023

રમેશ ઓઝા

ચૂંટણી જાહેર થાય એ પછી કયા પક્ષ માટે, કે ગઠબંધન માટે, કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનું આખું તર્કશાસ્ત્ર જો ચૂંટણીનું પ્રત્યક્ષ પરિણામ ધારવા કરતાં વિપરિત આવે તો એ પછી બદલાઈ જતું હોય છે. આવો અનુભવ ભારતના પત્રકારોને અને રાજકીય નિરિક્ષકોને ૧૯૮૯થી થઈ રહ્યો છે. મંડલ, કમંડલ અને એ બન્નેમાં મધ્યમવર્ગની વગ વિસ્તરી એ પછીથી ચૂંટણીકીય પરિણામો વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ બની ગયું છે. ૧૯૮૯ પહેલાં સર્વે અને એક્ઝીટ પોલ સાચા પડતાં હતાં કારણ કે સમાજ આજ જેટલો સંકુલ નહોતો. લોકોની આકાંક્ષાઓ અને સ્વાર્થને અનુલક્ષીને સમીકરણો બદલાતા રહે છે. માટે ચૂંટણી પહેલા મલ્લીનાથી કરનારા પત્રકારો અને રાજકીય સમીક્ષકોને શીર્ષાસન કરવું પડે છે.

સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે કૉંગ્રેસ ભારે બહુમત સાથે તેલંગાણા મેળવશે, પાતળી બહુમતી સાથે મધ્ય પ્રદેશ મેળવશે, ઠીક ઠીક બહુમતી સાથે છત્તીસગઢ જાળવી રાખશે અને રાજસ્થાનમાં પરાજિત થશે. એ પછી વળી અનુમાન કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કાઁગ્રેસ ભારે મુકાબલો કરી રહી છે અને લડાઇ હિન્દીભાષી પત્રકારોનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીએ તો લડાઇ કાંટે કી હોગી.

પણ એવું બન્યું નહીં. એક માત્ર તેલંગાણા છોડીને કૉંગ્રેસ નિષ્ફળ નીવડી અને બધાં અનુમાનો ખોટાં પડ્યાં. તેલંગણામાં વિદાય લેતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો ભદ્દી રીતે નજરે પડે એવો ઉઘાડો પરિવારવાદ અને ઊપરથી ભ્રષ્ટાચાર એવો હતો કે લોકોની અંદર અભાવ પેદા થયો હતો. સામે બી.જે.પી.એ કાઁગ્રેસને હરાવવા કે.સી.આર.ને નકલી લડાઇ દ્વારા છૂપો ટેકો આપ્યો હતો જેનો લાભ કાઁગ્રેસને મળ્યો હતો. હવે કે.સી.આર.ના બી.જે.પી. અને ઇન્ડિયા એલયાન્સથી સમાન અંતર રાખીને રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કે.સી.આર. પોતે બેમાંથી એક બેઠક પર પરાજિત થાય છે. કે.સી.આર. દેવગોવડાના માર્ગે લોકસભાની ચૂંટણી માટે બી.જે.પી. સાથે સમજૂતી કરશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

રાજસ્થાનમાં કૉંગ્રેસ ભલે જીતે નહીં, પણ જબરદસ્ત લડત આપશે એવા અનુમાનનું કારણ એ હતું કે રાજસ્થાનમાં બી.જે.પી.નાં કદાવર નેતા વસુંધરા રાજે સિંધિયાને બી.જે.પી.ના કેન્દ્રીય નેતૃત્વએ કિનારે કર્યાં હતાં અને તેને કારણે તેઓ નારાજ હતાં. તેઓ અંદરખાનેથી મુખ્ય પ્રધાન ગેહલોતને મદદ કરી રહ્યાં છે એમ માનવામાં આવતું હતું. બીજું કાઁગ્રેસના કેન્દ્રીય નેતાઓએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમજૂતી કરાવી હતી અને તેઓ બન્ને જાહેરમાં તો રામ લક્ષ્મણની માફક બંધુભાવનું પ્રદર્શન કરતા હતા. પણ પરિણામ જોતાં બે ચીજ નજરે પડી રહી છે. વસુંધરા રાજે કાં તો એટલાં નારાજ નહોતાં જેટલાં માનવામાં આવતું હતું અથવા તેમની વગ નરેન્દ્ર મોદીની લોપ્રિયતા અને અમિત શાહની રણનીતિ સામે ઝાંખી પડી છે. બી.જે.પી. કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પરથી આનો જવાબ મળી રહેશે. બીજું રાજસ્થાનની ત્રણ દાયકા જૂની પરંપરા છે કે કોઈ પક્ષને રાજસ્થાનના મતદાતાઓ બીજી મુદ્દત આપતા નથી. એટલે પણ બી.જે.પી.નો વિજય આશ્ચર્યજનક નથી.

મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના પરાજયનું કારણ વધારે પડતો વિજયનો ભરોસો લાગે છે. પ્રારંભથી જ પક્ષ એમ માનીને ચાલતો હતો કે મધ્ય પ્રદેશમાં વિજય નિશ્ચિત છે. કાઁગ્રસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ તો એવી રીતે વર્તતા હતા કે જાણે મુખ્ય પ્રધાનપદની વરમાળા તેમના ગળામાં છે. આ સિવાય ભલે મોડે મોડેથી પણ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું હતું કે મામા ઉર્ફે શિવરાજ સિંહ ચૌહાણ વિના વૈતરણી પાર ઉતરે એમ નથી. બી.જે.પી.એ મામાને રાજી કરીને તેમને સુકાન સોંપી દીધું હતું અને મામાએ નૈયા પાર ઊતારી હતી. પણ વિજય મેળવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે કેમ એ સવાલ છે. જો ન બનાવે તો આશ્ચર્ય નહીં પામતા.

છત્તીસગઢનાં પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. રાજ્યના મુખ્ય પ્રધાનનું શાસન પ્રસંશનીય હતું. ખરું પૂછો તો આજના યુગમાં દાખલારૂપ હતું. ત્યાં બી.જે.પી.નો વિજય થયો છે. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં બી.જે.પી.ને મત આપ્યા છે એ બતાવે છે કે હિન્દુત્વનું રાજકરણ જંગલ સુધી પહોંચ્યું છે.

એકંદરે જોઈએ તો કાઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ. આત્મવિશ્વાસનો દેખાવ અને આત્મવિશ્વાસ પર ભરોસો એ બે જૂદી વસ્તુ છે. બી.જે.પી. આત્મવિશ્વાસનો દેખાવ કરે છે પણ તેનાં પર ભરોસો રાખીને પક્ષ સુસ્ત નથી રહેતો. હાર નજરે પડતી હોવા છતાં છેલ્લા બોલ સુધી પૂરી તાકાત સાથે લડવામાં તે માને છે. કર્ણાટકમાં આ જોવા મળ્યું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં તેણે હારને વિજયમાં ફેરવી દીધી. બી.જે.પી. પાસે આર.એસ.એસ.ની કેડર છે અને કાઁગ્રેસ પાસે ગ્રામીણસ્તરે સંગઠનનો અભાવ છે. કાઁગ્રસે નીચેથી પક્ષબાંધણી કરવી પડે એમ છે.

રહી વાત ૨૦૨૪ની તો ૨૦૨૪ની લડત ઇન્ડિયા એલયન્સ માટે ધારે છે એટલી આસાન નહીં હોય એ આ પરિણામોએ બતાવી આપ્યું છે. વિરોધીઓએ નરેન્દ્ર મોદીની ત્રીજી મુદ્દત માટે મનોમન તૈયારી કરવી રહી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2023

Loading

...102030...826827828829...840850860...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved