Opinion Magazine
Number of visits: 9665886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મશાસનઃ ધર્મશાસિત દેશોની સ્થિતિ એ વાતની સાબિતી છે કે રાજકારણથી ધર્મને છેટો રાખવામાં ભલાઇ છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 January 2024

ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે ‘રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએ’નું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા

ચિરંતના ભટ્ટ

ઈરાન, સાઉદી અરેબિયા, વેટિકન સિટી, પાકિસ્તાન, માલદિવ્ઝ, મોરેતાનિયા, યમન, અફધાનિસ્તાન, ભુતાન, ઇઝરાયલ અને હેલેનિક રિપબ્લિક એટલે કે ગ્રીસ – આ દસ રાષ્ટ્રો વચ્ચે એક સામ્યતા છે. આ તમામ રાષ્ટ્રોમાં એક અધિકૃત ધર્મને અનુસરવામાં આવે છે અથવા તો તેમના બંધારણમાં ધર્મને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે – અથવા તો કોઇ ચોક્કસ ધર્મને રાષ્ટ્રનો મુખ્ય ધર્મ બનાવવામાં આવ્યો છે. ભુતાન અને ગ્રીસને છોડીને બાકીના બધા દેશોમાં ઇસ્લામ ધર્મને અધિકૃત ધર્મ માનવામાં આવે છે. ભુતાનમાં બૌદ્ધ ધર્મને પ્રાધાન્ય મળેલું છે તો ગ્રીસ – હેલેનિક રિપબ્લિકમાં ખ્રિસ્તી ધર્મને મહત્ત્વ અપાયું છે. આ બધા દેશો ધર્મશાસિત દેશો છે, જેને માટે અંગ્રેજીમાં Theocratic શબ્દ વપરાય છે.  આ રાષ્ટ્રોમાં તેમનો નેતા કોઇ ઈશ્વર કે તેનો સમૂહ હોય અને તે કોઇ દુન્યવી વ્યક્તિ દ્વારા પ્રજા પર શાસન કરતા હોય. આ દુન્યવી વ્યક્તિ એટલે મોટે ભાગે કોઇ ધર્મગુરુ, પાદરી કે પછી મૌલાનાના સ્તરની વ્યક્તિ હોઇ શકે. અહીંની સરકારો ઇશ્વરને માટે વહીવટ કરે, ઇશ્વરની સેવા કરે પ્રજાની નહીં અને માટે જ આવા દેશોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની સજા બહુ જ આકરી હોય છે. એક સમયે ઇજીપ્ત, જાપાન, તિબેટ, ઇઝરાયલ અને ચીન પણ ધર્મશાસિત દેશો હતા. સુદાનમાં પણ ઇસ્લામિક ધર્મ શાસન હતું જે 2019માં માંડ માંડ ચાલે એવી લોકશાહીમાં ફેરવાયું.

આમ જોવા જઇએ તો ઘણા બધા રાષ્ટ્રો માટે ધર્મ તેમની કરોજરજ્જુ સમાન રહ્યો છે પણ ઘણીવાર અમુક રાષ્ટ્રોની કમરતોડ હાલત કરી દેવા પાછળ પણ ધર્મ જ કારણભૂત રહ્યો છે. અમુક રાષ્ટ્રો એટલા કટ્ટર પણ છે જ્યાં બીજા ધર્મનું અનુસરણ કરવા પર પ્રતિબંધ છે અને તેમ કરવું ગેરકાયદે ગણાય છે. વળી રશિયા જેવા દેશોમાં એક કરતાં વધુ રાષ્ટ્રીય ધર્મો છે, હાલમાં રશિયામાં ત્રણ ધર્મને રાષ્ટ્રીય ધર્મ તરીકેની માન્યતા અપાઈ છે. ચીનની વાત કરીએ તો બંધારણમાં ધાર્મિક માન્યતાની સ્વતંત્રતાની વાત છે અને બૌદ્ધ, કેથલિક, પ્રોટેસ્ટન્ટ, દાઓઇઝમ (તાઓઇઝમ) અને ઇસ્લમામ ધર્મને ત્યાં માન્યતા અપાતી હોવા છતાં પણ ચીનની સરકાર ધર્મને લઇને આકરું નિયમન કરે છે.  ચીનમાં જે પણ ધર્મ હોય તેણે ચીની સંસ્કૃતિને સમાંતર રહેવું પડે અને પોતે ચીનને વફાદાર છે તેવી સાબિતી પણ આપવી પડે. ચીનમાં ચર્ચમાંથી ક્રોસ કાઢી લેવાયા છે, મસ્જિદનાં ગુંબજ કે મિનારા તોડી નંખાયા છે જેથી તે ચીનનાં હોય એવા દેખાય. ચીનની સરકારે તો કુરાનની નવી આવૃત્તિ પણ બહાર પાડી છે જેનાથી મુસલમાન ધર્મનું શિક્ષણ નવા સમયના ચીનની સંસ્કૃતિને મેળ ખાતું હોય. ચીને તો વેટિકન સાથે પણ વાટાઘાટો કરી હતી જેની ટીકા કરવામાં આવી હતી. ચીન લોક સંસ્કૃતિને મહત્ત્વ આપે છે તો આ પાંચ મુખ્ય ધર્મ સિવાયના ધર્મને લગતી પ્રવૃત્તિઓને અંધશ્રદ્ધામાં ખપાવે છે. ચીનમાં ધર્મને લઇને ઘણાં બધાં નિયમો છે, જેમ કે 18 વર્ષથી નાની વયનાં બાળકોને બંધારણીય રીતે કોઈપણ ધર્મ તરફના ઝુકાવનો પ્રતિબંધ છે.  બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોની સમસ્યા એવી ખડી થાય કે ત્યાં લોકશાહી સરકાર હોવા છતાં વિરોધ પક્ષોમાં ધાર્મિક કટ્ટરવાદનો ઉદય થઇ રહ્યો છે અને તેઓ શરિયાના કાયદાને લાગુ કરવા મક્કમ છે.

આપણે જે પણ દેશોનો ઉપર ઉલ્લેખ કર્યો તે તમામની સ્થિતિ શું છે તેનો વિસ્તાર કરવાની જરૂર નથી. વિહંગાવલોકન પરથી તારણ કાઢીએ તો એ હકીકત છે કે સરકારની નીતિઓમાં જ્યારે ધર્મનો પ્રભાવ હોય, જ્યારે ધર્મ અને સરકાર હાથમાં હાથ નાખીને કામ કરતાં હોય ત્યારે પ્રજાની વલે થતી હોય છે. ભારત જેવો દેશ જ્યાં અને પ્રકારની અસમાનતાઓ છે એવા આપણા દેશમાં ધર્મ જાહેર સ્વાસ્થ્ય સુધ્ધાં પર અસર કરી શકે છે. યુ.એસ.એ. પણ આપણી માફક લોકશાહી દેશ છે છતાં પણ ગર્ભપાતના મુદ્દે જ્યારે ધાર્મિક સ્તરે ફાંટા પડ્યા ત્યારે આકરી મુશ્કેલી ખડી થઇ હતી. મુસલમાન ધર્મને જ્યાં પ્રાધાન્ય અપાય છે, સર્વોપરી મનાય છે ત્યાં ખતના (ફિમેલ જેનિટલ મ્યુટિલેશન), ખોરાક પર ધર્મનાં નિયંત્રણો, બુરખા પ્રથા જેવી સમસ્યાઓ છે. વળી આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનમાં પોલિયોની રસી મુકવા ગયેલા પર થયેલા હુમલા કે ભારતમાં જેહોવાહના બ્લડ ટ્રાન્સફ્યુઝનની ના પાડવામાં આવી એ પુરતાં મોટા પુરાવા છે એ સાબિત કરવા કે ધર્મ જ્યારે રાજકારણ સાથે ભળે ત્યારે સમાજમાં કેવી પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે – જે સમાજનાં સ્વાસ્થ્ય માટે જ જોખમી બની જાય છે. જો કે એવાં દૃષ્ટાંત પણ છે જ્યાં સાઉદી અરેબિયા જેવા રાષ્ટ્રના જી.ડી.પી.નો સારો એવો હિસ્સો સ્વાસ્થ્ય જેવી બાબતો માટે ખર્ચવામાં આવે છે. પરંતુ મોટાભાગના રાષ્ટ્રો જ્યાં ધર્મને બંધારણનો હિસ્સો બનાવાયો છે ત્યાં સામાજિક, આર્થિક અરાજકતા એક સમાન્ય બાબત બની ચૂકી છે.

યુ.એસ.એ.માં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે અને તે અમુક હદે ઈશ્વર ભીરુ પ્રજા છે એમ કહી શકાય. યુરોપમાં દેખીતી રીતે લોકો કદાચ ધાર્મિક વિધિ વિધાન નથી અનુસરતા પણ વેટિકનનો પ્રભાવ ત્યાં પણ વર્તાય તો છે જ. વળી ટ્રમ્પે એક સમયે ધર્મને લગતા નિવેદનો કરીને વંશવાદના ભડકા કર્યા જ હતા અને આજે પણ ટ્રમ્પનો એ જ અભિગમ છે. રાજકારણીઓ ચૂંટણી ટાણે ધર્મને હુકમનું પાનું ગણે જ છે પછી ભલેને તે વિદેશની વાત હોય કે આપણા ભારત દેશની વાત હોય.

આ આખી કથા કરવાનો સાર એ કે ધર્મને રાજકારણનું કૉકટેલ દેશનો હાલ બેહાલ કરી શકે છે. આપણા દેશનું બંધારણ જ્યારે રચાયું તે પહેલાં આપણે મુઘલો, વલંદાઓ, અંગ્રેજોનાં રાજ જોયાં હતાં. કોઇએ ભારતને પોતાનું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો તો કોઇએ સામ્રાજ્યવાદી વલણથી આપણું શોષણ કર્યું. બંધારણ બન્યું ત્યારે આપણે ત્યાં વિવિધ ધર્મ અનુસરનારા લોકો હોવાથી બિનસાંપ્રદાયિકતા અપનાવવામાં આવી. ધર્મને નહીં પણ ધર્મ અપનાવવાની સ્વતંત્રતા આપણા દેશની ઓળખ છે અને તે એમ જ રહેવું જોઇએ. બંધારણની બિનસાંપ્રદાયિકતાને યથાવત્ રાખવી એ એક નાગરિક તરીકે આપણો પહેલો ધર્મ છે નહીં કે ધર્મને નામે વોટની શતરંજના પ્યાદા બની જવું.

બાય ધી વેઃ

આજે કોઈ રાજકીય પક્ષ પોતાને કોઈ ચોક્કસ ભગવાનનો પક્ષ ગણાવે તો બંધારણની બિનસાંપ્રદાયિકતાનું શું થશે તેનો વિચાર આપણે કરવો રહ્યો. ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએનું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા. દરેક રાજકીય પક્ષના પોતાના સ્વાર્થ હોય છે. કાઁગ્રેસનું અને ભા.જ.પા.નું રામ રાજ્ય ગાંધીજીના રામ રાજ્ય કરતાં અલગ છે. ધર્મ અને રાજનીતિના આ ધસારા પછી આવનારી પેઢીઓ માટે આપણા દેશની ધાર્મિક વિવિધતાની બારીકીઓ સમજવું કદાચ અઘરું થઇ પડે એમ બને. હિંદુ ધર્મ, અને હિંદુ વાદમાં આસમાન જમીનનો તફાવત છે એ યાદ રાખીને આપણી આસ્થાને, આપણા શ્રીરામને વંદન કરીએ પણ તેમને રાજકીય દાવપેચનો ચહેરો ન બનવા દઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2024

Loading

સ્ત્રીના ભીતરના ભાવલોકની સફર

Opinion - Opinion|21 January 2024

પુસ્તક પરિચય

આંખમાં આકાશ’ નામના ત્રીજા લઘુકથા સંગ્રહની એકાવન વાર્તાઓમાં ગુજરાતનાં સનદી અધિકારી રેખાબા સરવૈયા કેટલાક મહત્ત્વના છતાં ભાગ્યે જ ખેડાયેલા વિષયોને સ્પર્શવા માટે ધન્યવાદને પાત્ર છે.

જેમ કે, ‘પીડાની પરકાષ્ઠા’ વાર્તા એક સમુદાયમાં અત્યારે પણ ચાલતી સ્ત્રી-સુન્નત (FGM – female genital mutilation) નામની અમાનુષ બદીની ક્રૂરતા અને ભોગ બનનાર કિશોરીની પીડા માત્ર છસોએક શબ્દોમાં વ્યક્ત વેધક રીતે વ્યક્ત કરે છે.

‘નપુંસક’ વાર્તા સ્ત્રી ઘરની બહાર જાય ત્યારે તેને મૂત્રવિસર્જન માટે વ્યવસ્થાના સાર્વત્રિક અભાવને વાચા આપે છે. આ બંને વિશે ગુજરાતીમાં જૂજ કૃતિઓ મળે છે.

‘વિસર્જન’ વાર્તામાં ધૈવત ધૃતિને અન્ય પુરુષના વીર્યથી કૃત્રિમ ગર્ભાધાનથી માતા બનવા રાજી કરે છે. આખરી વાર્તા ‘સમથિન્ગ સ્પેશ્યલ’માં ખૂબ આધુનિક વિચાર ધરાવતાં દીપ્તિ અને દિવાકરનું વ્યાવસાયિક રીતે સફળ દંપતી વારંવાર એકબીજાથી દૂર રહે છે અને સંતાનપ્રાપ્તિ લંબાવે છે. એક વખત પતિ પરદેશથી પાછો આવે છે ત્યારે પત્ની તેના સાથી કર્મચારી દેબાશિષ સાથે પરિચય કરાવીને તેના થકી ગર્ભવતી હોવાની માહિતી આપે છે.

આ બંનેથી સામે છેડે, ‘પિતૃદોષ’ કથામાં ‘તબીબી તપાસમાં ધણીની ખામી’ હોવા છતાં ‘વારસ અવતરે’ એ માટે સાસરિયાં સ્ત્રીને મધરાતે ભૂવાને ચરણે ધરવાના છે. ‘પણ કાર્યની નિષ્ફળતામાં નિમિત્ત બનવા માટે એ સજ્જ હતી. આજે પ્રથમ જ વાર રજ:સ્વલા હોવાનું એને અનહદ ગૌરવ થયું.’

‘એમના પ્રતાપે જ’ વાર્તામાં તેર વર્ષની વયે પરણાવવામાં આવેલી દીકરી ઝાઝી સમજ આવે તે પહેલાં ગર્ભવતી બને છે. ચોથો-પાંચમો મહિનો જતો હોય ત્યારે પતિ પેટ પર લાત મારીને, બાવડું ઝાલીને ઘરમાંથી કાઢી મૂકે છે. તે સ્મશાનમાં રહે છે, દીકરીને જન્મ આપે છે. ત્યાં જ છોડી દેવાયેલાં એક બાળકને પણ અપનાવે છે અને ‘અનાથ બાળકોનું આશ્રયસ્થાન બનવાનો’ નિશ્ચય કરે છે. મહારાષ્ટ્રના અસાધારણ સમાજસેવક સિંધુતાઈ સકપાળ(1948-2022)ના પૂર્વજીવનનાં આ વીતક રેખાબાએ હૃદયસ્પર્શી રીતે આવરી લીધાં છે.

સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધોથી નિરપેક્ષ સ્વસ્થ સંબંધોને લગતી બે વાર્તાઓ છે. અર્પણાને તેના પિતાના ઇલાજ માટે પોસ્ટ ઑફિસનો તેનો સાથી કર્મચારી આલોક નિર્મળ ભાવે મદદ કરે છે.

‘આ સુખનું નામ શું ?’માં અકસ્માતમાંથી સાજા થઈ રહેલાં ભાસ્કરની, તેની પત્ની ભૂમિની ગેરહાજરીમાં, સાળાવેલી ભાર્ગવી સારસંભાળ લે છે, બંને વચ્ચે એકાંતની પળોમાં પણ અતિસંભવિત શારીરિક સંબંધ બંધાતો નથી, પણ સ્નેહ રહે છે તે વાર્તાના અંતના બે સુંદર ફકરામાં લેખિકાએ વર્ણવ્યું છે.

લગ્નજીવનમાં સ્ત્રીને વેઠવી પડતી શારીરિક અને માનસિક યાતનાઓની ચોટદાર વાર્તાઓ છે. સુખી સાસરામાં તેના દેહને ખૂબ ચાહતા પતિ સાથેના અભિસાર ઉપરાંત નવપરિણિતા ઉત્કટ ભાવજીવનને ઝંખે છે. આખો દિવસ ઘરસંસાર વેંઢારવા ઉપરાંત રાત્રે ‘પથારીમાં પતિને સંતુષ્ટ કરવાનો પત્નીધર્મ’ બજાવતી ગૃહિણીના આંસુથી ‘ઓશીકાં રોજ રાતે ભીંજાય’.

પતિ દ્વારા ઉપેક્ષાથી થાકીને આખરે તેની પ્રેમિકાની જિકર પત્ની કરે છે ત્યારે પતિમાં ‘પિશાચી વૃત્તિ’ પ્રવેશે છે. તે પહેલાં પત્નીને બે લાફા મારીને નીચે પાડી દે છે અને પછી તેના શરીરને કલાકો સુધી કચડે છે.

નીનીને તેના પિતા બહુ ગમતા હોય છે. પણ પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગતી નીની તેની માતાને પિતા પાસે એમ કરગરતા સાંભળે છે કે ‘એનું ભણતર પૂરું થઈ જવા દો પછી હું તમને એમની સાથે રહેવા જતા નહીં રોકું’.

‘ગ્લાસ સિલિંગ’ અને ‘પૅરેસાઈટ કોણ?’ એવાં અંગ્રેજી શીર્ષક ધરાવતી વાર્તાઓમાં ઘરસંસાર તેમ જ પતિની ખૂબ કાળજી લેતી અનુક્રમે નોકરિયાત અને ગૃહિણી પત્નીની ઉપેક્ષાનું વર્ણન છે.

દીકરી વિશેની વાર્તાઓ રસપ્રદ છે. પોતાના સ્વાર્થ ખાતર દીકરીને મોડી પરણાવતો અને ન પરણાવતો બાપ અનુક્રમે ‘આજ્ઞાંકિત’ અને ‘ધૂમાડો’ વાર્તામાં છે. પણ ‘મદદગાર’ વાર્તામાં સાવ જુદો જ પિતા છે. તે ‘કો’કની દીકરીને મનના માનેલા હારે જવામાં’ એક કાળી રાત્રે મદદ કરે છે. કારણ એ છે કે ‘પોતાની દીકરીને મનગમતા પાત્ર હારે પરણાવવાની ઘસીને ના પાડી દેનાર આ બાપ દીકરીને કૂવો પૂરતી નહોતો બચાવી શક્યો’ વાર્તાકળાની રીતે આ સંગ્રહની ખૂબ સુંદર વાર્તા છે.

બીજી બાજુ, મા-દીકરી વચ્ચેના ‘હમરાઝ’, ‘સમજણની ઉંમર’ અને ‘અંત:સ્રોતા’ મનભર સંબંધની વાર્તાઓ છે. પરિવારને અણીના ટાણે મદદ કરતી પરિણિત દીકરીઓ અહીં છે. ‘બૂટની શૂન્યતા’, ‘કૂંચી’ અને ‘ખોવાયેલ છે’ માબાપના ઘડપણ અને સંતાનોની બેવફાઈ વિશે છે.

શહેરની સફાઈ કામદાર રામુડીને કોઠાસૂઝ, ઘરકામવાળી હીરીની ચાલાકી અને ધીખતા તડકામાં રસ્તાકામ કરતી મજૂર સ્ત્રીની પ્રામાણિકતા, મીઠીકાકીની હેતભરી અહેસાનમંદગીની હૃદયસ્પર્શી કથાઓ છે. ‘મૅડમની ખુરશી’માં ઘડીભર બેસી જોવાની લાલચ ન રોકી શકતો ખૂબ ગુણિયલ સેવક કર્મચારી દિલાવર અને સિગ્નલ પર વસ્તુઓ વેચતો છોકરો રાવણા પરની વાર્તાઓ છે.

‘જીવદયા’માં ડ્રાઈવરનું વિશિષ્ટ પાત્ર છે. એ પોતાની કમાણીમાંથી અઠવાડિયામાં એક વાર મરઘીના બચ્ચાને વેચનારા પાસેથી બચ્ચાં ખરીદે છે અને શહેરથી દૂર ખુલ્લામાં છોડી આવે છે.

‘કોડિયાનું કર્તવ્ય’ અને ‘પ્રતિજ્ઞાપત્ર’ વાર્તાઓમાં વહીવટી અધિકારીના કામની છબિઓ ઝીલાઈ છે.

રેખાબાની શૈલી એકંદરે સહજ અને અસરકારક છે. લઘુકથાના સ્વરૂપની સમજ અને તેના માટેનો કસબ તેમની પાસે છે. અલબત્ત કથાતત્ત્વ ક્ષીણ હોય અથવા લાગણીની ઉર્મિલ અભિવ્યક્તિ જ હોય તેવી કૃતિઓ પણ છે. જો કે લેખિકા ‘ભીતરના ભાવલોકની સફર’ કરાવવામાં એકંદરે સફળ રહ્યા છે.

રેખાબાના મનોગતનો આ અંશ મહત્ત્વનો છે : ‘મેં જોયું અનુભવ્યું છે કે આપણા પુરુષપ્રધાન સમાજમાં બાળકનું સૃજન કરી રહેલી સ્ત્રીની જેટલી કાળજી અને સંભાળ લેવામાં આવે છે તેટલી કવિતા લખતી, ચિત્રો દોરતી કે મૂર્તિ ઘડતી સ્ત્રીને એના સર્જન માટે સમય કે સ્વતંત્રતા કે સગવડ આપવાની પ્રથા નથી. સ્ત્રીને જ્યારે પોતાનો સમય પોતાના જ સર્જન માટે વાપરવાની પ્રાથમિકતા કે અધિકાર મળશે ત્યારે અરધું આકાશ તેની કૃતિઓથી છવાઈ જશે તે નક્કી છે.’

‌‌‌‌——————

‘આંખમાં આકાશ’ (2023), રેખાબા સરવૈયા, પ્રકાશક : ગૂર્જર, પાનાં : 14 +114, રૂ. 170/- 

પ્રાપ્તિસ્થાન : ગૂર્જર : 092270 55777, 98252 68759, ગ્રંથવિહાર પુસ્તક ભંડાર : 989897 62263

[750 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2024
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ગાંધીજી રામના નામ દ્વારા પરમ શક્તિની આરાધના કરતા હતા

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|21 January 2024

રમેશ ઓઝા

ઘણા લોકો એમ કહે છે કે જો ગાંધીજીએ રામનો અને હિંદુ ધર્મિક-આધ્યાત્મિક ભાષાનો ઉપયોગ ન કર્યો હોત તો કદાચ તેઓ મુસલમાનો અને દલિતોનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા હોત. હંમેશાં રામના નામનો ઉલ્લેખ કર્યા કરે, સવાર-સાંજ, ભલે સર્વધર્મોની, પણ પ્રાર્થના કરે અને હિંદુ ધાર્મિક-આધ્યાત્મિક પરિભાષામાં બોલે એને કારણે ગાંધીજીને હિંદુ તરીકે ઓળખાવવાની મુસલમાનોને તક મળી હતી અને સનાતની સવર્ણ હિંદુ તરીકે ઓળખાવવાની દલિતોને તક મળી હતી. પહેલી વાત તો એ કે જેઓ ગાંધીજીને હિંદુ અથવા સનાતની સવર્ણ હિંદુ તરીકે ઓળખાવતા હતા તેમને બન્નેને ખબર હતી કે ગાંધીજીનો રામ અને ગાંધીજીનો ધર્મ ક્યાં ય કેટલા ય અર્થમાં વ્યાપક છે. પણ તેમનો ગાંધીજીને કપાળે લેબલ ચોડવામાં રાજકીય સ્વાર્થ હતો એટલે તેઓ જાણતા હોવા છતાં ગાંધીજી પર ધરાર સંકીર્ણ હિંદુ હોવાનું લેબલ ચોંટાડતા હતા. બાકી પંજાબના મુખ્ય પ્રધાન સિકંદર હયાતખાને ગાંધીજીને રસૂલની કક્ષાના પવિત્ર માણસ તરીકે ઓળખાવ્યા હતા, જે પાછળથી મુસ્લિમ લીગમાં જોડાયા હતા અને રાજકીય સ્વાર્થથી પ્રેરાઈને ગાંધીજીની વિરુદ્ધ ગયા હતા.

પણ જે હિંદુ હોવાનો દાવો કરતા હતા એ લોકો ગાંધીજીને હિંદુ માનતા નહોતા એમ તો ન કહેવાય, પણ જેવા હિંદુ હોવા જોઈએ એવા હિંદુ તેમને નહોતા લાગતા. એટલે તો ગાંધીજીના પરમ સ્નેહી મદનમોહન માલવિયા ગોળમેજ પરિષદમાં હિંદુઓનું અલાયદું પ્રતિનિધિત્વ કરવા લંડન ગયા હતા. તમાશો જુઓ : ગોળમેજ પરિષદમાં મહમ્મદ અલી ઝીણા તેમને હિંદુ તરીકે ઓળખાવે, ડૉ. આંબેડકર તેમને સવર્ણ હિંદુ તરીકે ઓળખાવે અને માલવિયજી કહે કે મહાત્માજી હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે, હિંદુઓનું પ્રતિનિધિત્વ તો અમે કરીએ છીએ. શું આ ગૂઢ હતું ગાંધીજીની બાબતમાં?

ગાંધીજીનો હિંદુ અખંડ માનવ હતો. ગાંધીજી કહેતા પણ હતા કે સાચો હિંદુ એ કહેવાય જેમાં માણસાઈ તસુભાર પણ ઓછી ન હોય. તેઓ આ જ વાત મુસલમાનોને અને ખ્રિસ્તીઓને પણ કહેતા. અખંડ માણસાઈ કોઈ પણ સાચા ધાર્મિક મનુષ્યની અંતિમ ઓળખ છે. પણ હિન્દુત્વવાદીઓને માણસાઈથી છલોછલ હિંદુ ખપનો નહોતો. જો માણસાઈ છલોછલ ભરી હોય તો લડવું કેવી રીતે? દ્વેષ કોનો કરવો? કોઈને કેવી રીતે દબાવીને રાખવા? બીજાને ડરેલા જોવાનું જે વિકૃત સુખ છે એ કેવી રીતે મળે? ટૂંકમાં માણસાઈથી છલોછલ હિંદુ તેમને મન ખપનો નહોતો અને ગાંધીજી તો એવા હિન્દુમાં હિંદુ ધર્મની સંપૂર્ણતા જોતા હતા.

ગાંધીજીનો રામ સાથેનો સંબંધ પણ ગૂઢ હતો. બાળપણમાં ગાંધીજી અંધારાથી ડરતા હતા ત્યારે તેમનાં ઘરની સેવિકાએ મોહનને કહ્યું હતું કે રામનું નામ લેવાથી ડર જતો રહે. એ દિવસથી રામ સાથે તેમનો સંબંધ જોડાયો હતો, પણ એ દશરથપુત્ર રામ નહોતા. તેમણે ક્યારે ય રામની આરાધના-પૂજા કરી નહોતી, રામ ભગવાનના કોઈ મંદિરમાં ગયા નહોતા, રામાયણના મિથકોમાં તેમણે રસ લીધો નહોતો અને એ છતાં ય તેઓ દિવસ-રાત રામનું સ્મરણ કરતા હતા. કેટલીક વાર તો કોઈ રસ્તો ન જડે તો આખી રાત રામનામનું સ્મરણ કરે અને યોગ્ય માર્ગ વિષે વિચારે. આમ ગાંધીજીનો રામ અયોધ્યાનો રામ નહોતો, પરંતુ પરમ શક્તિ હતી. રામના નામ દ્વારા તેઓ એ શક્તિની આરાધના કરતા હતા.

ગાંધીજીની બીજી ખોજ નિર્ભયતા અને નિર્વૈરતાની હતી. આધ્યાત્મિકતાનું આ પરમ લક્ષ્ય છે. એટલે તો શરીરથી શક્તિશાળી બનવા તેમણે શેખ મેહતાબની સંગતે માંસાહાર કર્યો હતો. હિંદુઓ શાકાહારી છે એટલે નિર્બળ છે એમ તેમને કહેવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને જ્ઞાન થયું કે ખરી તાકાત તો કાળજામાં છે, શરીરમાં નથી. તેમને એ પણ સમજાયું કે કાળજાની તાકાત સામે કોઈ તાકાત ટકી શકે નહીં. તેનો પરાજય અવશ્યંભાવિ છે. અને આ બાજુ નિર્વૈરતા વિના માણસ અધૂરો છે.

તો વાતનો સાર એ કે ગાંધીજીનો ધર્મ સાથેનો સંબંધ અખંડ માણસાઈ તરફ દોરી જનારો હતો. તેમનો રામ સાથેનો સંબંધ પરમ તત્ત્વ સાથે એકાકાર થવાનો હતો. અને દેખીતી રીતે આવો માણસ ધર્મનું રાજકારણ કરનારાઓને પરવડે નહીં અને તેમની હત્યા કરવામાં આવી. હિન્દુત્વવાદીઓનો રામ સાથેનો સંબંધ આધ્યાત્મિક નથી, રાજકીય છે. મુસ્લિમ લીગના નેતાઓનો ઇસ્લામ સાથેનો સંબંધ આધ્યાત્મિક કે ધાર્મિક નહોતો, રાજકીય હતો. આવું જ અન્યત્ર જગત આખામાં જોવા મળશે, જ્યાં ધર્મનું રાજકારણ કરવામાં આવે છે. તેમને ધર્મ સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો. વિનાયક દામોદર સાવરકર નાસ્તિક હતા અને મહમ્મદ અલી ઝીણાને નમાઝ પઢતા પણ નહોતું આવડતું. જરૂર પણ શું છે જ્યારે ધર્મને નામે લોકોને રડાવી શકાય, ડરાવી શકાય અને ધૂણાવી શકાય.

હિન્દુત્વવાદીઓ સત્તા માટે રામનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે. રામનો એટલા માટે કે અયોધ્યામાં ૧૮૫૫થી બાબરી મસ્જીદ-રામજન્મભૂમિનો વિવાદ ચાલી રહ્યો છે. તેમણે એ વિવાદ પકડી લીધો હતો. આ ઉપરાંત અયોધ્યા ઉત્તર ભારતમાં છે એટલે જેને કાઉ બેલ્ટ કહેવામાં આવે છે ત્યાં કોમવાદની ખેતી આસન છે. દક્ષિણ ભારતમાં કોમવાદની ખેતી અઘરી પડે છે. જો વિવાદનો વારસો અને અનુકૂળતા કૃષ્ણમાં કે શિવમાં નજરે પડ્યાં હોત તો તેનો ઉપયોગ કરત. બાકી રામ તો હાથ લાગેલું એક રાજકીય પ્યાદું છે.

ગાંધીજીનો રામ નિર્ભયતા અને નિર્વૈરતાયુક્ત માણસાઈની ઊંચાઈ સર કરવા માટેની સીડીરૂપ હતો જ્યારે હિન્દુત્વવાદીઓનો રામ પ્રજાને ભયભીત કરીને સત્તાની સીડી ચડવા માટેનો છે. પરમાત્માને સત્તાનું રમકડું બનાવી દેવાયો છે.

હે રામ! … ગાંધીજીનાં મૃત્યુ પૂર્વેનાં છેલ્લા શબ્દો હતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2024

Loading

...102030...821822823824...830840850...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved