Opinion Magazine
Number of visits: 9456147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી

સોનલ પરીખ|Gandhiana|13 July 2025

‘પહેલા પરિવાર’ એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન–પોસ્ટ્સ.

— રાજમોહન ગાંધી 

રાજમોહન ગાંધી

‘પ્રસ્તુત ગણો કે નહીં, ગાંધી રસ પડે એવા છે અને રહેશે પણ. કઈં નહીં તો એમનામાં જે વિરોધાભાસ રહેલો હતો તે લોકોને આકર્ષતો રહેશે.’ આ શબ્દો મહાત્મા ગાંધીને પૌત્ર રાજમોહન ગાંધીના છે. ગાંધીના એક અમેરિકન મિત્ર ઈ. સ્ટેનલી જોન્સ લખે છે, ‘ગાંધી એકસાથે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, શહેરી ને ગ્રામીણ, ઈસુ ખ્રિસ્તના ભક્ત અને સનાતની, હિન્દુ, સરળ અને મુત્સદી, સ્પષ્ટવક્તા અને વિવેકી, ગંભીર અને રમતિયાળ, નમ્ર અને આગેવાની લેનાર, તીખા અને મીઠા હતા.’ અને ઉમેરે છે, ‘જો કે ગાંધી જે પ્રબળ છાપ છોડે છે તે મીઠાશની નહીં, સામર્થ્યની છે.’ આ ઈ. સ્ટેનલી જોન્સે લખેલું મહાત્મા ગાંધીનું ચરિત્ર ડૉ. માર્ટિન લ્યુથર કિંગની એક પ્રેરણા બન્યું હતું. 

નેવું વર્ષના રાજમોહન ગાંધી ચરિત્રકાર, ઇતિહાસકાર, રાજનેતા અને અમેરિકાની ઈલીનોય યુનિવર્સિટીના સાઉથ ઇન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ સ્ટડીઝના રિસર્ચ પ્રોફેસર છે. મહાત્મા ગાંધીના પૌત્ર હોવા સાથે તેઓ ભારતના છેલ્લા અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ અને મહાવિદ્વાન ચક્રવર્તી રાજગોપાલાચારીના દોહિત્ર પણ છે. નાના અને દાદાના નામનું સંયોજન કરીને જ એમનું નામ રાજમોહન રાખવામાં આવ્યું હતું. 

આજથી દસેક વર્ષ પહેલા, મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં આપેલા એક વ્યાખ્યાનમાં એમણે મહાત્મા ગાંધીની વિરાસત વિષે સરસ વાતો કરી હતી. આજે ફાધર્સ ડેના દિવસે ‘ફાધર ઑફ નેશન’ના વારસાની વાત એમના જ સ્કૉલર પૌત્ર રાજમોહન પાસેથી જાણીએ. 

તેઓ પ્રશ્નો પૂછે છે, ‘ગાંધીની વિરાસત એટલે ચોક્કસ શું? જો તેઓ આઈન્સ્ટાઈન, ગોખલે, ટાગોર, નહેરુ, સરદાર, માર્ટિન લ્યુથર કિંગથી માંડીને બરાક ઓબામા એમને વર્ણવે છે તેવા હોય તો એમનું રાષ્ટ્ર એમની હયાતીમાં ભાગલા અને નરસંહારનો ભોગ શા માટે બન્યું? અને આજે હિંસા, અલગતાવાદ અને ભ્રષ્ટાચારનો શિકાર કેમ છે? જો માણસની પ્રસ્તુતતા કે વિરાસત તે પોતાની પાછળ કેવું વિશ્વ મૂકીને જાય છે તેના પરથી નક્કી થતી હોય તો ભારતની આજની સ્થિતિ જોતાં ગાંધીની પ્રસ્તુતતા કે વિરાસત વિષે શું કહીશું? માણસ તત્કાલીન કે ભાવિ સમસ્યાઓ ઉકેલી શકે તો જ પ્રસ્તુત કહેવાય? કે પછી જિંદગી વધુ સહ્ય અને રસપૂર્ણ બને એવી કેડી ચીંધે તો પ્રસ્તુત કહેવાય? ગાંધીએ ભારતને બતાવ્યું કે નીચા પડ્યા વિના, અપમાનિત થયા વિના સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય – આ રીત દરેક પ્રકારની અન્યાયમુક્તિને લાગુ નથી પડતી?’ 

કોઈ મૃત્યુ પામે તો તેની વિરાસત તેનાં સંતાનો રૂપે દર્શાવાય છે. રાજમોહન કહે છે, ‘મારી પાસે એવો કોઈ ફોટોગ્રાફ નથી જેમાં ગાંધીજીના બધા વંશજો હોય, પણ જો હોત તો પણ એને હું ગાંધીની વિરાસત તરીકે બતાવી શક્યો ન હોત. એમના વંશજો દેખાવડા છે, ગરિમાપૂર્ણ છે, બુદ્ધિમાન છે, જ્યાં પણ રહે છે ત્યાં એમનું કોઈ પ્રદાન છે, તેમ છતાં ગાંધીની વિરાસત તરીકે એમને બતાવી દેવાથી કોઈ અર્થ સરે નહીં. એટલા માટે, કે “પહેલા પરિવાર” એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. વંશવારસાના લાભલાભથી પરિચિત ભારતની પ્રજાએ ગાંધીને ખૂબ માન આપ્યું હતું એનું એક કારણ એ પણ છે કે ગાંધી ક્યારે ય એમના કુટુંબને પહેલું ગણ્યું ન હતું. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. એમના નિકટના સાથીઓ પણ એવું માનતા કે ગાંધીજીને મન એમના પરિવારજનો અને દેશવાસીઓ વચ્ચે કોઈ તફાવત ન હતો. એવું હતું પણ, એવું નહોતું પણ. અમે અને અમારા દાદા એકબીજાને ખૂબ ચાહતા. અમને એકબીજા માટે સમય મળવો અઘરો હતો, પણ એથી તો અમારું પરસ્પર આકર્ષણ વધી જતું. અમારા દાદા આખા દેશના હતા એ અમે સમજતા હતા. 

‘એટલે અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. એમની મુખ્ય વિરાસત બીજે ક્યાંક છે. મને લાગે છે કે ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન-પોસ્ટ્સ.’

એમણે પાંચ નામ લીધાં છે, જેમણે ગાંધી પછી અહિંસાનું શસ્ત્ર વાપર્યું અને જીત મેળવી. આ સાઇન-પોસ્ટ્સ છે ખાન અબ્દુલ ગફરખાન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, દલાઇ લામા અને આંગ સાન સૂ કી. 

1945માં દસેક વર્ષના રાજમોહન ખાન અબ્દુલ ગફારખાનને પહેલી વાર મળ્યા. ભારતની વાયવ્ય સરહદના આ પઠાણ નેતાને બ્રિટિશ સરકારે તેમને 12 વર્ષ અને પાકિસ્તાન સરકારે 15 વર્ષ જેલમાં રાખ્યા હતા. છેલ્લી મુલાકાત રાજભવનમાં થઈ ત્યારે ખાનસાહેબ 97 વર્ષના હતા. જિંદગીભર તેમના મનમાં સ્વતંત્રતા માટે અને પઠાણોને પેઢી દર પેઢી ચાલતા વેરમાંથી મુક્ત કરવા માટે આગ પ્રજળતી રહી. ખાન સાહેબે ઊભા કરેલા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનના રેડ શર્ટ્સ તરીકે ઓળખાતા પઠાણ સૈનિકો અહિંસક હતા. બ્રિટિશ અધિકારીઓ કહેતા, ‘અહિંસક પઠાણ, હિંસક પઠાણ કરતાં વધારે ખતરનાક છે.’ પછી તો કાળનાં વહેણો વહ્યાં. પઠાણો એમના લાડીલા બાદશાહખાન પ્રત્યે કઈંક બેધ્યાન બન્યા; ઈર્ષા, અણસમજ, ગેરસમજનો શિકાર બન્યા. પણ બાદશાહખાનનું મૃત્યુ થયું તે દિવસે આંતરસંઘર્ષથી સળગતા આખા ખૈબરની બંદૂકોએ સ્વયંભૂ મૌન પાળ્યું હતું.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો જન્મ 1929માં. 22 વર્ષની ઉંમરે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. જોન્સનનું ગાંધી પરનું વ્યાખ્યાન સાંભળવા ગયા. અડધેથી જ ઊઠી ગયા અને ગાંધી પરના જે મળ્યા તે બધાં પુસ્તકો ખરીદી લીધાં. ‘જિસસના લવ એપિક્સનું ઊર્ધ્વીકરણ કરી લોકોને શક્તિશાળી સોશ્યલ ફૉર્સ બનાવનાર’ તરીકે એમણે ગાંધીને જોયા અને શ્યામ પ્રજાને અધિકારો અપાવવા ગાંધીપદ્ધતિએ મોટું આંદોલન ચલાવ્યું. 

નેલ્સન મંડેલા એમની 27 વર્ષની કેદ પૂરી કરીને છૂટ્યા બાદ થોડા વખતમાં ભારત આવ્યા હતા. ગાંધીજીના મૃત્યુને 42 વર્ષ પૂરાં થયાં હતા. મંડેલા 72 વર્ષના હતા, રાજમોહન 55ના. ભારત સરકારે મંડેલાને ભારતમાં ફરવા નાનું પ્લેન આપ્યું. એમને સાથ આપવાની જવાબદારી રાજમોહનને આપી. રાજમોહનને મંડેલાની માનવતા, શાલીનતા અને ભારતમાંથી દક્ષિણ આફ્રિકાની ચળવળનું સંચાલન કરવાની કાબેલિયત નિકટથી જોવાની તક મળી. રાષ્ટ્રપતિ વેંકટરામને કહ્યું, ‘શ્રીમાન મંડેલા, આગામી દિવસો તમારા માટે કપરા છે, હું પ્રાર્થના કરીશ.’ ત્યારે મંડેલા સ્મિત કરી કહે, ‘આભાર. પણ પ્રાર્થના મિસ્ટર ડી. ક્લાર્ક માટે પણ કરજો.’ ડી. ક્લાર્ક દક્ષિણ આફ્રિકાના શ્વેત પ્રમુખ હતા, જેમની સરકાર વિરુદ્ધ મંડેલાએ ગાંધીમાર્ગે મોટી લડત ઉપાડી હતી.

દલાઇ લામા તિબેટથી નિર્વાસિત થઈ ભારત આવ્યા ત્યારે 24 વર્ષના હતા. ત્રીસ વર્ષ પછી એમને શાંતિ માટેનું નોબેલ ઈનામ મળ્યું. એમણે કહ્યું, ‘આ ઈનામ હું પરિવર્તન માટે સક્રિય અહિંસાની આધુનિક પરંપરાના સર્જક એવા મહાત્મા ગાંધીને અંજલિ રૂપે સ્વીકારું છું.’ અને બર્મામાં લોકશાહી માટે અનેક જુલમો સહેનાર સૂ કીને 1991માં નોબેલ મળ્યું ત્યારે તેઓ કેદમાં હતાં. નોબેલ સ્વીકારવા જઈ ન શક્યાં, હસ્તલિખિત સંદેશો મોકલ્યો, જેમાં લખેલું કે ‘સ્વતંત્રતાના 49 વર્ષ બાદ પણ બર્મા મિલીટરી શાસન હેઠળ હતું. લોકોની કોઈ ભૂમિકા ન હતી. અમારે ગાંધીએ વર્ણવેલું સ્વરાજ જોઈતું હતું જેમાં લોકો નેતા ચૂંટે અને જો નેતા ખોટી રીતે ચાલે તો એને ઉથલાવી શકવાની ક્ષમતા પણ ધરાવે.’  

ઉપર ઉલ્લેખ કર્યો છે એ પ્રતિભાઓ આજે જીવી રહેલી બેત્રણ પેઢીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન છે, અને એમની પ્રેરણા છે આપણા રાષ્ટ્રપિતા. તેમનો અને તેમના ભવ્ય વારસાનો અહીં તો જરાતરા ઉલ્લેખ જ થઈ શક્યો છે. ફાધર્સ ડેના દિવસે જુઠાણાઓનાં ઘેરાં વાદળો વચ્ચે ઢંકાયેલા એમના સત્ય-સૂર્યને જોવા આંખ ઊંચકીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન  2025

Loading

સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 July 2025

રમેશ ઓઝા

દલાઈ લામા ૯૦ વરસના થયા. જે દેશની લશ્કરી અને આર્થિક હેસિયત ન હોય, જે દેશનો બીજા દેશોને વ્યૂહાત્મક ખપ ન હોય, જે દેશનું નામ પણ લોકોએ ન સાંભળ્યું હોય, જે દેશનો નેતા ૬૫ વરસથી દેશવટો ભોગવતો હોય અને ૬૫ વરસની લાંબી અવધિમાં વિશ્વદેશોએ વચ્ચે પડવું પડે એવો કોઈ બેત ન રચ્યો હોય તો એવા માણસને જગત ભૂલી જતું હોય છે અથવા ઉપેક્ષા કરતું હોય છે. પણ દલાઈ લામા આમાં અપવાદ છે. તેમને જગત સાંભળે છે. તેમને જગત આદર આપે છે. ગાંધીજી પછી તેમણે માણસાઈને એક નવી ઊંચાઈ આપી છે. તેઓ અહિંસક માર્ગે અને વિવેક જાળવી રાખીને ચીન સામે ઊભા છે. સોક્રેટિસની બગાઈની જેમ ચીન દલાઈ લામાથી જેટલું પરેશાન છે એટલું જગતના બીજા કોઈ પણ શક્તિશાળી દેશથી પરેશાન નથી. 

પણ હવે દલાઈ લામા ૯૦ વરસના થયા છે અને તબિયત પણ લથડી છે. સોવિયેત સંઘના પતન પછી તેઓ હંમેશાં કહેતા રહ્યા છે કે તેમની જિંદગી અને ચીની સામ્યવાદી સરમુખત્યારી વચ્ચે કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. કોની રેત પહેલાં ખૂટી જશે અને અંત આવશે એ કહેવું મુશ્કેલ છે. ૨૦૧૦ સુધી આ લખનારને એમ લાગતું હતું કે ચીની સામ્યવાદી સરમુખત્યારીની રેત પહેલાં ખૂટી જશે. દલાઈ લામાને મળવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે મેં તેમને આમ કહ્યું પણ હતું. પણ હવે એમ લાગે છે કે દલાઈ લામા આ સંસારમાંથી પહેલા વિદાય લેશે અને વર્ણસંકર ચીની સામ્યવાદી સરમુખત્યારી ૨૧મી સદીમાં કમ સે કમ ૨૦૫૦ સુધી વર્ચસ ભોગવશે. 

સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે.

વર્તમાન દલાઈ લામા ૧૪માં દલાઈ લામા છે. દલાઈ લામાના અવતારને પસંદ કરવાની એક વિચિત્ર અને અટપટી પ્રક્રિયા છે જેમાં જવાની અહીં જરૂર નથી, પણ એટલું નોંધવું જરૂરી છે કે તિબેટીઓ માટે દલાઈ લામા ધાર્મિક-આધ્યાત્મિક-રાજકીય-સામાજિક એમ દરેક રીતે સર્વોપરી છે. ચીનને આ કઠે છે. ચીન કોઈ આંગળિયાત લામાને દલાઈ લામા તરીકે બેસાડે તો પ્રજા સ્વીકારે નહીં અને જો વર્તમાન દલાઈ લામા તેમના વારસ આપતા જાય તો ચીન ગળી ગયેલા તિબેટને જે રીતે હજમ કરવા માગે છે એ કરી શકે નહીં. સાત દાયકાથી ચીન તિબેટને ગળીને બેઠું છે પણ હજમ કરી શકતું નથી અને તેનો પૂરો શ્રેય દલાઈ લામાને જાય છે. દલાઈ લામા કહે છે કે અમને ચીનનો હિસ્સો બનવા સામે કોઈ વાંધો નથી, ચીન ગળી જાય અને અમારું સાંસ્કૃતિક અસ્તિત્વ મિટાવી દે તેની સામે વાંધો છે. 

ચીન પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી જે રીતે કાશ્મીરીઓ કે સીમાડે વસતી ભારતની બીજી પ્રજાઓ ભારતના વર્તમાન શાસકોને આ પ્રશ્ન પૂછે ત્યારે તેમની પાસે કોઈ જવાબ હોતો નથી. અમને ભારતનો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ અમારી સંસ્કૃતિને શા માટે મીટાવવાનો આગ્રહ રાખો છો? એક દેશ એક સંસ્કૃતિ એ ભ્રમણા છે, વાસ્તવિકતા નથી. દલાઈ લામા આનો વેશ્વિક અવાજ છે અને એટલે એ મહાપુરુષ છે. તિબેટનું કોઈ જાગતિક અસ્તિત્વ નથી, પણ દલાઈ લામા વિરાટ પુરુષ છે. 

એક બાજુ દલાઈ લામાની જીવનસંધ્યા બેઠી છે અને બીજી બાજુ ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ઓપરેશન સિંદૂર ચાર દિવસમાં સંકેલી લેવું પડ્યું એ ચીનના કારણે. માત્ર દક્ષિણ એશિયામાં નહીં, આખા જગતમાં ચીનનો દબદબો છે. હવે જ્યારે દલાઈ લામા નહીં હોય અને મૃત્યુ પૂર્વે તેઓ જો ૧૫માં દલાઈ લામા આપતા જશે તો ચીન કેવું વલણ અપનાવશે અને ભારત શું કરશે? અત્યારે જ ભારત ચીનથી ડરી રહ્યું છે. પૂરી મુદ્દત વડા પ્રધાનપદ ભોગવનારા ભારતના વડા પ્રધાનોમાં નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડા પ્રધાન છે જે ત્રીજી મુદ્દત ચાલતી હોવા છતાં એક પણ વાર દલાઈ લામાને મળ્યા નથી, કારણ કે ચીન ઈચ્છતું નથી. મુલાકાત માગવા છતાં આપવામાં આવી નથી. આમ તો ભડવીર છે, પણ ડરે છે. 

જવાહરલાલ નેહરુએ આવો ડર નહોતો અનુભવ્યો, કારણ કે નૈતિક ભૂમિકામાં વિસંગતી નહોતી. નેહરુ એ જ ફિલસૂફીમાં માનતા હતા જેમાં દલાઈ લામા માને છે. “અમને તમારો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ તમે અમને ગળી જઈને હજમ કરી જાઓ અને અમારા સાંસ્કૃતિક અસ્તિત્વને જ મિટાવી દો એ અમને સ્વીકાર્ય નથી” એવી દલાઈ લામાની ભૂમિકા ભારતનાં વિવિધ પ્રદેશોના દલાઈ લામાઓ ધરાવતા હતા અને નેહરુ તેનો આદર કરતા હતા. આ નેહરુની નબળાઈ નહોતી, દૂરંદેશી હતી. આઝાદી પછી તરત સરદાર પટેલે જવાહરલાલ નેહરુને લખેલા એ પત્રની યાદ વારંવાર આપવામાં આવે છે. સરદારે નેહરુને સલાહ આપી હતી કે ચીનથી સાવધાન રહેવાની જરૂર છે અને તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહે એ ભારતના હિતમાં છે. વાત તો સાચી પણ તિબેટને બફર સ્ટેટ તરીકે કઈ રીતે ટકાવી રાખવું એનો કોઈ ઉપાય સરદારે એ પત્રમાં સૂચવ્યો છે? તમારી સગી આંખે તપાસી લો. કનૈયાલાલ મુનશીએ પણ નેહરુને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો, પણ કોઈ ઉપાય સૂચવ્યો નહોતો. વિકલ્પ વિનાની ચેતવણીનો કશો અર્થ રહેતો નથી. 

જવાહરલાલ નેહરુ જાણતા હતા કે ભારત પાસે પણ એક ડઝન જેટલા તિબેટ છે અને ત્યાંની પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે. ભારત જો જુલમ અને જબરદસ્તીવાળો ચીનનો માર્ગ અપનાવે તો ચીન જ ભારતની સામે તેનો લાભ લે, કારણ કે ભારતનાં તિબેટો (કાશ્મીરથી લીને અરુણાચલ પ્રદેશ સુધીનાં) ચીનની (તિબેટની) સરહદે છે. ભારતનાં વર્તમાન શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે અને તેનો વિરોધ કરનારાઓ સામે કડક હાથે કામ લેવામાં માને છે. ડિટ્ટો ચીનની પોલીસી. ચીને આ જ પોલીસીને અનુસરીને લડાખમાં કેટલાક હિસ્સા પર કબજો કર્યો છે અને અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો છે. ચીને અરુણાચલ પ્રદેશનું નામ બદલી નાખ્યું છે, અરુણાચલ પ્રદેશનાં શહેરો, કસબાઓ અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, ચીનના નકશામાં તેને ભેળવી દીધું છે, અરુણાચલ પ્રદેશની સરહદ સુધી રસ્તાઓ બાંધ્યા છે, અરુણાચલ પ્રદેશની પ્રજાને ચીનનું ભલે ગેરહાજરીવાળું નાગરિકત્વ આપ્યું છે, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સરહદે ભારતના કોમ્યુનિકેશનને બ્લોક કરવા પ્રચંડ શક્તિશાળી જામર લગાડવામાં આવ્યાં છે અને ભારત ચૂપ છે! 

બન્ને તરફના શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે, કડક હાથે કામ લેવામાં માને છે, પણ તાકાતમાં ફરક છે. ચીન ક્યારે ય આટલું હાવી નહોતું થયું જેટલું નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયું છે એનું કારણ આ છે. ચીનને ભારતમાં જેવા શાસકો જોઈતા હતા એવા મળી ગયા છે. માણસાઈ સામે નાગાઈ ગમે એટલી તાકાત હોય તો પણ ઝાંખી પડે પણ નાગાઈ સામે નાગાઈમાં તાકાત જ નિર્ણાયક હોય છે. એમાં વળી જ્યારે દલાઈ લામા નહીં હોય ત્યારે ચીન હજુ વધુ નાગાઈ અપનાવશે. ચીનના બૃહદ્દ તિબેટમાં આખા અરુણાચલ પ્રદેશનો, લડાખનો અને સિક્કિમના કેટલાક પ્રદેશનો સમાવેશ થાય છે. 

ભારત પાસે બે જ વિકલ્પ છે: કાં ચીનને ટક્કર આપે. ચીને ભારતથી ડરવું પડે એવો તાકાતવાન દેશ બનાવવામાં આવે અથવા નેહરુ અને દલાઈ લામાનો માર્ગ અપનાવે. વર્તમાન શાસકોને મનગમતો એવો પહેલો વિકલ્પ અપનાવી શકાય એમ છે, પણ એને માટે હિંદુ-મુસ્લિમની ચૂંટણીકીય સત્તાલક્ષી રમત છોડીને દેશહિતનું શાસન કરવું પડે. સત્તા અલગ ચીજ છે અને શાસન અલગ ચીજ છે. સત્તા માટે પ્રજાને એકબીજા સામે લડાવી શકાય પણ જો શાસન કરવું હોય તો પ્રજાકીય એકતા અને શાંતિ જરૂરી હોય છે. ઇઝરાયેલ અને ચીને નાગાઈ અપનાવી છે, પણ પ્રજાકીય વિભાજન નથી કર્યું. 

કમનસીબે વગર શાસન કર્યે સત્તા ભોગવનારા સત્તાધીશો વચ્ચે વચ્ચે પ્રજાને મળતા રહે છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—297

દીપક મહેતા|Opinion - Opinion|12 July 2025

મિસ આહુજા, તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત ઉપજાવી કાઢી છે! 

પછીના દિવસે અદાલત ફરી મળી, ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહિ, અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં. ખંડાલાવાલાના હાથમાં કાગળોની એક થોકડી હતી. એ બતાવીને તેમણે મામી આહુજાને પૂછ્યું: શું તમને ખબર છે કે ૧૯૫૮-૫૯ દરમ્યાન તમારા ભાઈને ઓછામાં ઓછી ત્રણ પરણેલી સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતો? અને તેમણે એ ત્રણ સ્ત્રીઓને લખેલા આ કાગળો તેનો પુરાવો છે.

બચાવપક્ષના વકીલે આ અંગે વાંધો લેતાં કહ્યું કે આ કહેવાતા પુરાવાને અને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધની વાતને પ્રેમ આહુજાના ખૂન સાથે શી લેવાદેવા છે એ મને સમજાતું નથી. અને એટલે આ પુરાવા રેકર્ડ પર ન લેવા આપને વિનંતી કરું છું, માય લોર્ડ.

ખંડાલાવાલા : લેવાદેવા છે, મારા મિત્ર, ઘણી લેવાદેવા છે. આ પત્રો સાબિત કરી આપે છે કે મરનાર પ્રેમ આહુજા શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો અને પોતાના હવસને સંતોષવા માટે તે જુદી જુદી સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. 

જજ મહેતા : ઓબ્જેક્શન ઓવર રુલ્ડ. મિસ્ટર ખંડાલાવાલા, યુ મે પ્રોસીડ ફર્ધર.

મિસ મામી આહુજા

ખંડાલાવાલા : થેન્ક યુ માય ઓનર. હાં, તો મિસ આહુજા! તમને એ વાતની તો ખબર હશે જ કે મરનાર પ્રેમ આહુજા અવારનવાર યુવાન સ્ત્રીઓને દારુની મિજબાની માટે ઘરે બોલાવતો હતો. અને આવી મિજબાનીઓ મોડી રાત સુધી ચાલતી હતી.

મિસ આહુજા : આ અંગે મને કશી ખબર નથી.

ખંડાલાલાવાલા : તમે અને મરનાર આહુજા એક જ ફ્લેટમાં રહેતાં હતાં અને છતાં તમે કહો છો કે તમને આ વાતની ખબર નથી? 

મિસ આહુજા : હું તેની અંગત વાતોમાં માથું મારતી નહોતી.

ખંડાલાવાલા : (હાથે લખેલા કાગળોનું એક બંડલ બતાવીને) જુદી જુદી સ્ત્રીઓને મરનાર પ્રેમ આહુજાએ લખેલા પ્રેમપત્રોનું એક બંડલ તેમના બેડરૂમના પંચનામા વખતે મળી આવ્યું હતું એ હકીકત તો તમે જાણતા જ હશો.

મિસ આહુજા : ના જી. મને એ અંગે કશી ખબર નથી.

ખંડાલાવાલા : પ્રમિલા, લીઝ, જેન, બેટી, આશા, — આમાંથી કેટલાં નામથી તમે પરિચિત છો?

મિસ આહુજા : એક્કે નહિ. હું તેમને વિષે કશું જ જાણતી નથી. 

ખંડાલાવાલા : તો હું તમને જણાવું. આ બધી સ્ત્રીઓ મરનાર પ્રેમ આહુજાની ‘પ્રેમિકાઓ’ હતી જેને લખેલા પ્રેમપત્રોનું બંડલ તેમના બેડરૂમમાંથી મળી આવ્યું હતું. અને પ્રમિલા ઉર્ફે ‘પામ’ સાથે તો મરનાર આહુજાએ લગ્ન સુધ્ધાં કર્યાં હતાં. 

મિસ આહુજા : મારા ભાઈના લગ્નની વાત ખોટી છે. પામ ઉર્ફે પ્રમિલા અને તેનો પતિ અમારા મિત્રો હતાં અને બન્ને ઘણી વાર અમારે ઘરે આવતાં.  

ખંડાલાવાલા : તમારા ભાઈ પાસે કયા પ્રકારના અને કેટલા દારૂની પરમિટ હતી એની તો તમને ખબર હશે જ.  

(પ્રિય વાચક: અહીં થોડો ખુલાસો જરૂરી છે. આઝાદી પછી ૧૯૪૯માં તે વખતના મુંબઈ રાજ્યમાં ‘બોમ્બે પ્રોહિબિશન એક્ટ ૧૯૪૯’ દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી. શરૂઆતમાં તો સંપૂર્ણ દારૂબંધી હતી. પણ પછી ધીમે ધીમે બહુ મર્યાદિત પ્રમાણમાં દારુ માટેની પરમિટ આપવાનું શરૂ થયું. આવી પરમિટને આધારે કયા પ્રકારનો દારુ કેટલા પ્રમાણમાં ખરીદી શકાય એ પણ નક્કી હતું. પરમિટ વગર કોઈ પણ પ્રકારનો દારુ વેચવો, ખરીદવો, સંઘરવો, પીવો કે પીવડાવવો, એ સજાને પાત્ર ગુનો બનતો. ૧૯૬૩ પછી મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી ધીમે ધીમે હળવી થતી ગઈ. જ્યારે મુંબઈ રાજ્યનું બીજું વારસદાર રાજ્ય, ગુજરાત, હજી ચુસ્તપણે કાનૂની દારૂબંધીને વળગી રહ્યું છે. એટલે કે આ ખટલો ચાલ્યો તે વખતે મુંબઈમાં દારૂબંધી હતી.) 

મિસ અહુજા : ના જી. મને ખબર નથી.

ખંડાલાવાલા : તો હું તમને કહું. પ્રેમ આહુજા પાસે જે પરમિટ હતી તે ફક્ત સાડા છ આઉંસ બ્રાન્ડીની હતી. બીજા કોઈ પણ દારૂની નહોતી. અને તમારા ભાઈના મોત પછી જ્યારે તેમના બેડરૂમની તલાશી લેવામાં આવી ત્યારે એ રૂમમાંથી જુદા જુદા પ્રકારના દારૂની ૨૧ જેટલી બાટલીઓ મળી આવી હતી. 

મિસ આહુજા : બાટલીઓ મળી આવી હતી એની મને ખબર છે, પણ કેટલી અને કયા પ્રકારના દારૂની, એ હું જાણતી નથી. 

ખંડાલાવાલા : મરનાર પ્રેમ આહુજા પાસે દારૂની જે પરમિટ હતી તે તમે જોઈ તો હશે જ.

મિસ આહુજા : મારા ભાઈએ મને કહેલું ખરું કે તેની પાસે દારૂની પરમિટ છે. પણ મેં પોતે એ જોઈ નહોતી. 

ખંડાલાવાલાએ પ્રેમ આહુજાના નામની દારૂની પરમિટ બતાવીને પૂછ્યું : આ પરમિટ પર તમારા ભાઈ અને મરનાર પ્રેમ આહુજાની સહી છે તે તો તમે ઓળખી શકશો ને?

મિસ આહુજા : હા, જી. આ સહી મારા ભાઈની જ છે.  

આ તબક્કે ખંડાલાવાલાને રોકતાં જજ મહેતાએ પૂછ્યું : આ બધી બાબતો અને વિગતોની અહીં ચર્ચા કરવાનું જરૂરી છે ખરું?

ખંડાલાવાલા : હા, નામદાર. મરનાર પ્રેમ આહુજા એક બદચલન, કાયદા કાનૂનનો ભંગ કરનાર, અને શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો એ વાત પુરવાર કરવા માટે આમ કરવું જરૂરી છે.

જજ મહેતા : યુ મે પ્રોસીડ ફર્ધર, મિસ્ટર ખંડાલાવાલા. 

ખંડાલાવાલા : થેન્ક યુ, માય ઓનર. હા, તો તમારા ભાઈને મળવા મિસિસ સિલ્વિયા નાણાવટી અવારનવાર તમારે ઘરે આવતાં એ વાત સાચી છે?

મામી આહુજા : મારા ભાઈને મળવા તેઓ ક્યારેક અમારે ઘરે આવતાં એમ કહેવું વધારે સાચું ગણાશે. 

ખંડાલાવાલા : પણ તમે પોલીસને આપેલા નિવેદનમાં તો એમ કહ્યું હતું કે મિસિસ નાણાવટી તમારા ભાઈને મળવા અવારનવાર તમારા ઘરે આવતાં.

મામી આહુજા : ‘અવારનવાર’ શબ્દનો અર્થ મારા મનમાં ‘ક્યારેક’ એવો હતો.

ખંડાલાવાલા : હકીકત તો એ છે કે તમને મળવાને બહાને સિલ્વિયા નાણાવટી મિસ્ટર આહુજાને મળવા આવતા હતા. 

મામી આહુજા : આ વાત સાચી નથી. 

વધુ ઊલટતપાસમાં મામી આહુજાએ કહ્યું : જાન્યુઆરીમાં હું દિલ્હી ગઈ હતી. ત્યારે પ્રેમ પણ દિલ્હીમાં હતો અને અશોક હોટેલમાં રહેતો હતો. એ વખતે સિલ્વિયા નાણાવટી પ્રેમને મળવા રોજ હોટેલ પર જતી હતી કે નહિ એની મને ખબર નથી. હકીકતમાં કોફી હાઉસમાં હું સિલ્વિયાને અચાનક મળી ત્યાં સુધી મને તો ખબર પણ નહોતી કે તે દિલ્હીમાં છે. મોટર દ્વારા મુંબઈ જવા ૨૫ કે ૨૬ જાન્યુઆરીએ મેં પ્રેમને સમજાવ્યો. ૨૭મી તારીખે મેં સિલ્વિયાને કહ્યું કે તું પણ અમારી સાથે મુંબઈ ચાલ. એ વખતે મને ખબર નહોતી કે પ્રેમે આ અંગે મારા પહેલાં જ તેને નોતરું આપી દીધું છે. 

નવપરિણીત કાવસ અને સિલ્વિયા

ખંડાલાવાલા : તમે સિલ્વિયાને નોતરું આપ્યું તે વખતે તેની અને તમારા ભાઈ વચ્ચેના પ્રેમ-પ્રકરણની તમને ખબર હતી?

મામી આહુજા : જો મને ખબર હોત તો મેં તેને નોતરું આપ્યું જ ન હોત.

ખંડાલાવાલા : તો તમને ક્યારે ખબર પડી?

મામી આહુજા : ૨૯મીની સવારે આગરાની હોટેલમાં નાસ્તો કરતી વખતે પ્રેમે પહેલી વાર એ વિષે કહ્યું. 

ખંડાલાવાલા : એ વખતે બીજું કોઈ હાજર હતું?

મામી આહુજા : ના, જી. 

ખંડાલાવાલા : પછી આ અંગે તમે સિલ્વિયા નાણાવટી સાથે વાત કરેલી?

મામી આહુજા : ના, જી. મુંબઈ આવ્યા પછી પણ નહિ. 

ખંડાલાવાલા : કેમ? સિલ્વિયા સાથે વાત કરવાની તમારા ભાઈએ તમને ના પાડી હતી?

મામી આહુજા : ના, જી. એવું કશું જ તેણે મને કહ્યું નહોતું. પણ મને લાગતું હતું કે પ્રેમ અને સિલ્વિયા લગ્ન કરે તે યોગ્ય નથી.

ખંડાલાવાલા : તો તમે એ અંગે તમારા ભાઈ સાથે વાત જ ન કરી એનું કારણ શું?

મામી આહુજા : બંને ઉમરલાયક હતાં. સાચું-ખોટું શું એ સમજી શકે તેવાં હતાં. એટલે તેમની વાતમાં હું કઈ રીતે વચ્ચે પડી શકું?

ખંડાલાવાલા : શું એ સાચું નથી કે તમે પણ એ બેનાં લગ્નની તરફેણમાં હતાં?

મામી આહુજા : ના, જી. બિલકુલ નહિ. 

ખંડાલાવાલા : બનાવને દિવસે તમે તમારા બેડરૂમમાં સૂઈ ગયાં હતાં?

મામી આહુજા : ના, જી. હું પલંગમાં આડી પડી હતી.

ખંડાલાવાલા : પણ પોલીસને આપેલા નિવેદનમાં તો તમે કહ્યું છે કે ‘હું સૂતેલી હતી.’

મામી આહુજા : એનો અર્થ હું સૂઈ ગઈ હતી એવો નથી, પણ હું પલંગમાં આડી પડી હતી, એવો થાય છે. 

ખંડાલાવાલા : અચ્છા. તો તમે પલંગમાંથી ઊઠવાની તૈયારીમાં હતાં ત્યારે તમે શું સાંભળ્યું હતું? મામી આહુજા : બારીનો કાચ તૂટવાનો અવાજ અને એક ચીસ. 

ખંડાલાવાલા : ઉપરાંત બીજું કાંઈ?

મામી આહુજા : હા. ઝપાઝપીનો અવાજ. 

ખંડાલાવાલા : પોલીસને આપેલા નિવેદનમાં તમે ઝપાઝપીના અવાજનો ઉલ્લેખ નહોતો કર્યો.

મામી આહુજા : કારણ ત્યારે હજી હું આઘાતમાંથી પૂરેપૂરી બહાર આવી નહોતી. 

ખંડાલાવાલા : રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળવા અંગે પણ તમે પોલીસને કશું કહ્યું નહોતું. મામી આહુજા : કારણ એવો અવાજ મેં કોઈ દિવસ સાંભળ્યો નથી એટલે એ કેવો હોય તેની મને ખબર નથી. 

ખંડાલાવાલા : તમે તમારા ભાઈના બેડરૂમમાં પહોચ્યાં ત્યારે સૌથી પહેલાં શું જોયું?

મામી આહુજા : નાણાવટી બારણા પાસે ઊભો હતો, અને લાગતું હતું કે એ બેડરૂમમાંથી બહાર નીકળી રહ્યો છે. તેના હાથમાં રિવોલ્વર હતી. 

ખંડાલાવાલા : એટલે કે તમે નાણાવટીને રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં જોયા નહોતા. માત્ર તેમના હાથમાં રિવોલ્વર હતી એટલું જ જોયું હતું. બરાબર?

મામી અહુજા : ના, જી. મેં પોલીસને નિવેદન નોંધાવ્યું ત્યારે ડોકટરે મને ઘેનનું ઇન્જક્ષન આપ્યું હતું એટલે હું થોડી તંદ્રાવસ્થામાં હતી. એટલે હું બધું ન કહી શકી હોઉં એવું બને.       

ખંડાલાવાલા : શું એ વાત સાચી નથી કે તમને અનિદ્રાનો પ્રોબ્લેમ હોવાથી તમે અવારનવાર સ્લીપિંગ પિલ્સ લો છો.

મામી આહુજા : અવારનવાર નહિ, પણ ક્યારેક મારે તેવી દવા લેવી પડે છે. 

ખંડાલાવાલા : એટલે કે તમે આવી દવા લેવાથી ટેવાયેલાં છો. અને જો એમ હોય તો પોલીસમાં નિવેદન નોંધાવતાં પહેલાં તમે એવી દવા લીધી હોય તો એની એટલી અસર તો ન થાય કે ખરેખર શું બન્યું હતું એ અંગે તમારા મનમાં અસ્પષ્ટતા ઊભી થાય. એટલે એમ માનવને પૂરતું કારણ છે કે તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત પાછળથી ઉપજાવી કાઢી છે. 

રામ જેઠમલાની યુવાન વયે

બચાવ પક્ષના વકીલ : આય ઓબ્જેક્ટ યોર ઓનર. મારા અસીલ પર વિના કારણ ખોટું આળ મૂકાઈ રહ્યું છે.

જજ મહેતા : ઓબ્જેક્શન સસ્ટેન્ડ.

અને એજ વખતે અદાલતનો સમય પૂરો થયો. એટલે નેવીના ઓફિસર યાજ્ઞિકનાં પત્નીની ઊલટતપાસ મુલતવી રાખવામાં આવી.

ચતુર સુજાણ વાચકો મનમાં જરૂર વિચારતા હશે : બચાવ પક્ષના વકીલનું નામ કેમ નથી આપતા,હા, ભાઈ! OK. તેમનું નામ હતું રામ જેઠમલાની. તેમની કારકિર્દીનો આ પહેલ વહેલો ‘હાઈ પ્રોફાઈલ’ કેસ. વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 જુલાઈ 2025 

Loading

...102030...81828384...90100110...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved