Opinion Magazine
Number of visits: 9457508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક બાર ફિર: ઉપેક્ષાની પીડા, સ્વીકૃતિનું સુખ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 October 2023

રાજ ગોસ્વામી

આજકાલ, સમાજમાં અને પરિવારોમાં એટલું ખુલ્લાપણું અને સાહજિકતા આવી ગઈ છે કોઈ દંભ, શરમ કે પૂર્વગ્રહ વગર સ્ત્રી-પુરુષો અથવા પતિ-પત્નીઓ તેમના સંબંધોની ત્રુટિઓ કે અભાવો અંગે વાત કરી શકે છે. 80ના દાયકામાં એવું નહોતું. સ્ત્રી-પુરુષના સંબંધોને લઈને ભારતીય સમાજ ત્યારે ઘણો રૂઢિચુસ્ત હતો અને એવી કોઈ પણ વાતને “પશ્ચિમની વિકૃતિ” ગણાવીને ઈજ્જતની જાજમ હેઠળ છુપાવી રાખતો હતો.

એવા સમયમાં, પશ્ચિમ(એટલે કે લંડન)નો એક સર્જક એવી ફિલ્મ લઈને આવ્યો, જેની સામાન્ય લોકોએ તો ઠીક, એકંદરે “બગડેલા” કહેવાતા હિન્દી સિનેમા જગતના લોકોએ પણ કલ્પના કરી નહોતી. ફિલ્મનું નામ હતું, 1980માં આવેલી “એક બાર ફિર” (1980) નિર્માતા-દિગ્દર્શક હતા વિનોદ પાંડે. તેમની આ પહેલી જ ફિલ્મ હતી. એક નવા જ પ્રકારના વિષય સાથે તેમણે પોતે તો હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો, સાથે તેમણે ફિલ્મોને એક એવી નવી અભિનેત્રી, દીપ્તિ નવલની ભેટ આપી, જે શબાના આઝમી અને સ્મિતા પાટિલની સમકક્ષ ઊભી રહેવા સક્ષમ હતી.

પત્રકાર ભાવના સોમૈયા એક જગ્યાએ લખે છે, “દીપ્તિ નવલ ન્યૂયોર્કમાં એક ટી.વી. શોની એંકરિંગ કરી રહી હતી, ત્યારે લેખક-નિર્દેશક વિનોદ પાંડેએ તેને જોઈ અને તેમની પ્રથમ ફિલ્મ ‘એક બાર ફિર’માં તેને લેવાનું નક્કી કર્યું. 80નો દાયકો સમાંતર સિનેમા માટે ખીલતો દાયકો હતો અને જે નિર્માતાઓને શબાના આઝમી અને સ્મિતા પાટિલનો સાથ મળતો નહતો, તેમના માટે માટે દીપ્તિ પ્રથમ પસંદગી હતી.”

દીપ્તિના પક્ષે એ સાહસ કહેવાય કે તેની પહેલી જ ફિલ્મ એક એવી સ્ત્રી વિશે હતી, જે પોતાના સુખની તલાશમાં તેના લગ્નને (અને પતિને) ત્યજી દે છે. એ ભૂમિકા માટે દીપ્તિને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ પણ મળ્યો હતો. પહેલી જ ફિલ્મમાં એક બિનપરંપરાગત ભૂમિકામાં દીપ્તિનું એક્ટર તરીકે આગમન પ્રભાવશાળી હતું. તે એક આજ્ઞાકારી પત્નીમાંથી એક મુક્ત સ્ત્રીમાં કેવી રીતે બદલાય છે તે જોવા જેવું છે.

“એક બાર ફિર” કલ્પના (દીપ્તિ) નામની એક મધ્યમ વર્ગની છોકરીની વાર્તા છે, જેનું જીવન બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ સ્ટાર મહેન્દ્ર કુમાર (સુરેશ ઓબેરોય) તરફથી લગ્નની ઓફર આવતાં બદલાઈ જાય છે. ખુશીની મારી તે લગ્ન કરી લે છે, પરંતુ થોડા જ વખતમાં તેને ફિલ્મ સ્ટાર પતિના અને તેની વિવાહિત જીવનની વાસ્તવિકતાઓનો અહેસાસ થવા લાગે છે.

નૈતિક ચરિત્ર અને સ્વચ્છ દિલની કલ્પના ચકાચોંધવાળી દુનિયામાં એક અલગ જ પ્રકારનું જીવન જોઇને આશ્ચર્યચકિત થઈ જાય છે, જેનો તેને લગ્ન કરતી વખતે અંદાજ પણ નહોતો. મધ્યમ વર્ગના પરિવારમાં માણસોની આત્મીયતા વચ્ચે મોટી થયેલી કલ્પના એક સમૃદ્ધ ઘરમાં એકલવાઈ થઇ જાય છે કારણ કે તેનો પતિ તેની ફિલ્મો અને હિરોઈનો સાથે વ્યસ્ત છે.

મહેન્દ્રની ફિલ્મને લઈને અચાનક તે બ્રિટનની મુલાકાત લે છે અને ત્યાં તેને લંડન યુનિવર્સિટીમાં કળાનો અભ્યાસ કરતો વિધાર્થી વિમલ (પ્રદીપ વર્મા) મળે છે. તે કલ્પનાની ખૂબસૂરતી જોઈને તેનો સ્કેચ બનાવવા દેવાની વિનંતી કરે છે અને કલ્પના તેને માન્ય રાખે છે. બંને વારંવાર મળે છે અને એકબીજાને ગમવા લાગે છે. વિમલને મળીને કલ્પનાને એ ખુશીનો અનુભવ થાય છે જેનો તેના જીવનમાં અભાવ છે. મહેન્દ્રની સાથે તેને ઉપેક્ષાની પીડા મળતી હતી, વિમલના સંગાથમાં તેને સ્વીકૃતિનું સુખ મળતું હતું.

મહેન્દ્રને પણ પત્નીના નવા સંબંધની જાણ થાય છે, જેનાથી લગ્નના તાણાવાણા વધુ વિખરાય છે. અંતત: કલ્પના મહેન્દ્ર અને વિમલ વચ્ચે, ફરજ અને ઈચ્છા વચ્ચે ફસાઈ જાય છે. તેને બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. એ સમયે, તે મહેન્દ્રથી અલગ થવાનું અને આનંદમય સંબંધ માટે બાકીનું જીવન વિમલ સાથે પસાર કરવાનું નક્કી કરે છે.

‘એક બાર ફિર’ જીવનમાં આવતા વળાંકો પર આધારિત ફિલ્મ છે. એ એવા પડાવ છે જ્યાં વ્યક્તિને તેના સંબંધોની યોગ્યતાનું પુન:પરીક્ષણ કરવાની જરૂર પડે છે. સૌના જીવનમાં એવા મુકામ આવતા હોય છે, જ્યાં ઘડીક ઊભા રહીને, આગળની સફર કેવી રીતે પૂરી કરવી તેનો વિચાર કરવો પડતો હોય છે. વિનોદ પાંડેએ લગ્નની સફરમાં આવતા વળાંકને પડદા પર દર્શાવીને જોખમ લીધું હતું, પણ એ જોખમ હિન્દી સિનેમામાં નારી-મુક્તિની સફરનું પહેલું વાસ્તવિક પગલું સાબિત થયું હતું.

ત્યાં સુધી હિન્દી ફિલ્મોની સ્ત્રીઓ પુરુષ પ્રધાન સમાજે દોરેલી લક્ષ્મણ રેખાની અંદર રહીને પતિઓની ઈચ્છાઓને માથે ચઢાવતી હતી. “એક બાર ફિર”માં પત્નીની આ પરંપરાગત ભૂમિકાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ પહેલી ફિલ્મ હતી જેમાં એક પત્નીને લગ્ન બહાર જાતીય સંબંધ માટે ન તો કોઈ દોષ ભાવના હતી કે ન તો શરમ.

વિનોદ પાંડે આવી ફિલ્મ બનાવી શક્યા તેનું કારણ એ હતું કે પરંપરાગત હિન્દી ફિલ્મ જગતનો હિસ્સો નહોતા. તે લંડનમાં સફળતાપૂર્વક જાહેરાતની એક એજન્સી ચલાવતા હતા અને બી.બી.સી.માં અંશકાલિક ન્યૂઝ રીડર તરીકે કામ કરતા હતા. એ કામમાં તેમને હિન્દી સિનેમાના કલાકાર-કસબીઓ સાથે બી.બી.સી.માં મળવાનું થતું હતું. એ રીતે તેમને ફિલ્મ નિર્માણમાં રસ જાગ્યો હતો.

પાંડેએ એક ફિલ્મ મેગેઝિનમાં લેખ વાંચ્યો હતો કે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી ડિમ્પલ કાપડિયા ઘરમાં એકલવાઈ થઇ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમ પાંડેએ કહ્યું હતું, “મેં તેના ભૂતકાળના જીવન વિશે વાંચ્યું હતું. તે ચકાચોંધવાળા એવા વાતાવરણમાં રહેતી હતી જ્યાં બધા તેના પતિની આગળ-પાછળ ફરતા હતા. તે પોતે પહેલી જ ફિલ્મ ‘બોબી’થી પ્રખ્યાત થઇ હતી, પણ લગ્ન કરીને ઘરમાં ભરાઈ ગઈ હતી. મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો હતો : એક સંવેદનશીલ વ્યક્તિ જે કવિતા, સાહિત્ય વગેરે વાંચતી હોય, તેની આવા સંજોગોમાં માનસિક સ્થિતિ કેવી હોય? એ એક કાલ્પનિક પ્રશ્ન હતો અને મેં તેના પર એક સ્ક્રિપ્ટ બનાવી હતી.”

પાંડે ઉમેરે છે, “હું મારી જાહેરાત એજન્સીમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો, હું ખૂબ મહેનત કરતો હતો અને મધરાતે બી.બી.સી.ની ઓફિસ શાંત થઇ જાય, પછી કેન્ટીનમાં બેસીને લખતો હતો.” પાંડે ફિલ્મને લંડનમાં જ, લંડનના છોકરા-છોકરીઓને લઈને બનાવવા માંગતાં હતા પણ સરખા કલાકારો ન મળ્યા એટલે મુંબઈ તરફ નજર દોડાવી.”

પાંડે ફારુખ શેખને જાણતા હતા અને તેમના માધ્યમથી જ દીપ્તિ નવલનો પરિચય થયો હતો. ફારુખે કલ્પનાના પાત્ર માટે સ્મિતા પાટિલ અને દીપ્તિનું નામ સૂચવ્યું હતું. ફારૂકે પોતે કામ કરવાની એટલા ના પાડી હતી કે તેણે યશ ચોપરા સાથે (નૂરી ફિલ્મ માટે) લાંબા સમય સુધી કોન્ટ્રકટ કરેલો હતો. સ્મિતા પણ શ્યામ બેનેગલની ફિલ્મમાં કામ કરી રહી હતી એટલે તેણે પણ બહુ રસ ન બતાવ્યો.

દીપ્તિ નવોદિત હતી અને ફિલ્મ માટે ઉત્સાહિત હતી. તેને વાર્તા ગમી ગઈ. પાંડેને પણ કલ્પનાની ભૂમિકામાં આવી જ માધ્યમ વર્ગના પરિવારમાં શોભે તેવી સાધારણ એક્ટરની જ જરૂર હતી. ઘણા સુરેશ ઓબેરોયને અભિનેતા કમલજીત સિંહ પાસેથી ખબર પડી કે વિનોદ પાંડે નામની કોઈ વ્યક્તિ ફિલ્મ બનાવી રહ્યો છે અને તેને શોધી છે. ઓબેરોય પાસે તો પાસપોર્ટ પણ નહોતો અને દોડાદોડી કરીને પાસપોર્ટ કઢાવ્યો હતો. “એક બાર ફિર” પહેલી હિન્દી ફિલ્મ હતી જેને શરૂથી અંત સુધી લંડનમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મથી દીપ્તિ અને ઓબેરોયને કારકિર્દી બની ગઈ હતી.

“એક બાર ફિર”માં એક પરણિત સ્ત્રી પ્રેમ વગરનાં લગ્નનો ત્યાગ કરે છે તે વાત એટલી મક્કમતાથી બતાવવામાં આવી હતી કે તેણે એવી હિન્દી ફિલ્મો માટે રસ્તો તૈયાર કર્યો હતો. પાછળથી રેખા “એક હી ભૂલ”માં (1981), શબાના આઝમી “અર્થ”માં (1982) એવી જ ઉત્કૃષ્ટ ભૂમિકાઓ નિભાવાની હતી. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 18 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પદ્મભૂષણ પંડિત સુખલાલજીનું પોસ્ટલ કવર શો સંદેશ લાવે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 October 2023

એમણે કેવળ પરંપરાગત શાસ્ત્રજ્ઞાનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્રથી માંડી નૃવંશવિદ્યા સહિતનાં નવખેડાણ પણ સેવ્યા અને ધર્મચિંતનને ‘નિવૃત્તિ‘નું ક્ષેત્ર નહીં માનતા નાગરિક પ્રવૃત્તિઓમાંયે રસ લીધો

પ્રકાશ ન. શાહ

સુપ્રતિષ્ઠ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સુવર્ણજયંતી ઉત્સવના શુભ આરંભ રૂપે હમણાં પંડિત સુખલાલજીનું વિશેષ પોસ્ટલ કવર બહાર પડ્યું તે નિશ્ચે જ આ મોસમના સારા સમાચારો પૈકી છે.

પંડિતજી વિશે ને મિશે વિશેષ લખું તે પહેલાં બે પાંચ શબ્દો આ ‘મોસમ’ના બારામાં કહું. ‘ધર્મ’ એ સંજ્ઞા એના અસલ અર્થથી વિખૂટી પડી ગઈ છે, અને લોકો સામસામી રાજનીતિ સહિતનો મિથ્યાવ્યાપાર ‘ધર્મ’ને નામે કરે છે, એવા આ વસમા દિવસો છે.

આ વસમા દિવસોમાં પં. સુખલાલજીનું જીવનકાર્ય ચોક્કસ જ માર્ગદર્શક ને પ્રેરક અનુભવાય એવું છે. નાની ઉંમરે આંખ ખોયા પછી વિદ્યાજ્ઞાનમાં ઊંડા ઊતરવું ને નાનાવિધ શાસ્ત્રો તેમ જ એથીયે અધિક તો વિવિધ દર્શનોના અરણ્યમાં અકુંતોભય વિહરવું તે અલબત્ત એક અસાધારણ વાત હતી અને છે. કાશી-મિથિલાની એમની વિદ્યાસાધના તેમ જ તે પછી ગૂજરાત વિદ્યાપીઠ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ભો.જે. વિદ્યાભવન(ગુજરાત વિદ્યાસભા)માં અધ્યાપનની અનેરી પરંપરા ખિલવવી એ પોતે ખસૂસ એક મોટી વાત છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એ મુક્ત થવાના હતા ત્યારે ઉપકુલપતિ સર્વપલ્લી રાધાક્રિષ્ણને એમને પોતાની પસંદગીના ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવા માટે ખાસ જોગવાઈની ઓફર કરી અને એમણે નકારી હતી. એ પૂર્વ કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્યામાપ્રસાદ મુખરજીએ પણ એમને આશુતોષ મુખરજી ચેર પર પસંદગીનું કામ કરવા સબહુમાન નિમંત્ર્યા હતા, પણ એમણે સાભાર અસ્વીકાર કર્યો હતો.

પંડિત સુખલાલ સંઘવી

આ સાભાર અસ્વીકારનું કારણ કેવળ એટલું ને એટલું જ હતું કે, વતન, ગાંધીભૂમિ ગુજરાત એમને ખેંચતું હતું. અહીં ગુજરાત આગળ ગાંધીભૂમિ એ વિશેષણ મેં સાભિપ્રાય પ્રયોજ્યું છે, કેમ કે, પં. સુખલાલજીની ધર્મદૃષ્ટિએ આપણા સમયમાં એક વિભૂતિ લેખે ગાંધીજીમાં કશુંક ભાળ્યું હતું. સુખલાલજીનું પોતાનું વિભૂતિમત્વ કેવુંક હશે એનો અંદાજે અહેસાસ દર્શકની મનહર-મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના નાયક સત્યકામ પરથી આવશે. કહે છે કે, આ પાત્રનિર્માણનો ધક્કો દર્શકને પંડિતજી પરથી લાગ્યો હતો. સુખલાલ સંઘવી આમ તો નાના શા લીમલી ગામનું ઝાલાવાડનું સંતાન. ઝાલાવાડનું જ ગુજરાત પ્રતિષ્ઠ એવું અન્ય સંતાન તે દલપતરામ. મોટી ઉંમરે દલપતરામે આંખ ખોઈ હતી. પણ અંતર એથી કદાચ વધુ જ ઊઘડ્યું હશે. શું સરસ કહ્યું હતું એમણે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવા નહીં. દર્શકનો સત્યકામ, કેમ કે એને લેખકની કલ્પનાશક્તિ અને ઇતિહાસદૃષ્ટિનો લાભ મળેલો છે, વિશ્વસ્તરે હિટલરી પરિબળો સાથે ધોરણસર કામ પાડી અહીં ખુદ ગાંધીને ઝકઝોરી સહજ ક્રમે વાડીમાં વિરમે છે. પં. સુખલાલજી કેવળ શાસ્ત્રજ્ઞાનમાં ને દર્શનસેવનમાં નહીં ગંઠાતાં માનસશાસ્ત્ર, નૃવંશવિદ્યા જેવા મુકાબલે નવખેડાણોનું પણ સેવે છે અને ધર્મચિતનને ‘નિવૃત્તિ’નું ક્ષેત્ર નહીં માનતાં રચનાત્મક પ્રવૃત્તિઓમાંયે રસ લે છે.

ગાંધીજીને જે રીતે જોવામૂલવ્યા એમણે – પરિચય તો કે’દીનો હતો – કોચરબ આશ્રમના આરંભદિવસોમાં સામે બેસી સાથે સાથે ઘંટી તાણવાનો લહાવો લીધો હતો. હાથમાં મેડલ પેઠે ફરફોલા – ઊઠ્યા હતા. એમણે કહ્યું કે પૂજામાં બેસેલ ગૃહસ્થ એના મહેલમાં આગ લાગ્યાનું જાણતે છતે પૂજામાં અવિચલ રહે છે અને આપણે એને વિદેહી કહીએ છીએ. એક બાપુજી (ગાંધીજી) એવા નીકળ્યા કે એમણે બળતા ઘરમાં આગ ઓલવવામાં દરમિયાન થવાના પોતાનો ધર્મ જોયો, ‘સંસાર શું સરસો રહે ને મંત મારી પાસ, એક આપણાં સમયના વિદેહી છે.’

પંડિતજીના શાસ્ત્રતપ વિશે ન કહેતાં વિવિધ શાસ્ત્રો ને દર્શનો આરપાર એમણે જ વલણ કેળવ્યું ને જેનું પ્રતિપાદન કર્યું તે સારરૂપે કહું તો ‘મિત્તિ મે સવ્વ ભૂએસુ'(સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત)નું હતું. તત્ત્વચિંતનને ધર્મ અને શાસ્ત્રોની શૃંખલામાંથી મુક્ત કરવું અને ક્રિયાકાંડમુક્ત સમન્વયદર્શી ધર્મની અનુમોહતા કરવી એ એમની સહજાવસ્થા હતી.

પ્રર્યુષણ વ્યાખ્યાન માળા એમણે ખીલવી તે વ્યાપક નાગરિકતાની કેળવણીની ધર્મભાવનાથી … કાશ, આ પોસ્ટલ કવરનો ઉપક્રમ એવો પ્રકાશ પાથરી શકે !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023

Loading

ગાંધીજીને પત્ર

વિપુલ કલ્યાણી|Gandhiana, Opinion - Opinion, VK - Ami Ek Jajabar|18 October 2023

હેરૉ

02 ઑક્ટોબર 2023

પ્રાત:સ્મરણીય બાપુ,

સાદર પ્રણામ.

બાપુ, અબીહાલ માનવતાને હંફાવતો સવાલ પ્રદૂષણનો છે, આબોહવાના ફેરફારોના ય અનેકવિધ પડકારોનો છે. અને તેમ છતાં, તમે એ વિશે ઝાઝું કહ્યું જ નથી ! જો કે આ સમજાય છે. તમારા સમયમાં એ આવા આકરા તો નહોતા, નહીં ? તેમ છતાં તમને જરૂરી લાગ્યું ત્યારે અંગૂલિનિર્દેશન કર્યાં જ રાખ્યું છે. પરિસરની વિકૃતિઓનો પડકાર ઝીલવાનો આ સમય છે. જાણું છું, તમારા વખતમાં આવી હાલત નહોતી. ઘણી હળવાશ હતી. અને તેમ છતાં, તમે જ કહેલું ને, ‘The earth has enough resources for our need, but not for our greed’. (જરૂરતમંદોને સારુ આ પૃથ્વી પરે પૂરતી સાધનસામગ્રી છે, પરંતુ લોભને સારુ નથી.) ‘હિન્દ સ્વરાજ’માં, બાપુ, તમે કેટકેટલા ઈશારા કરી આપ્યા છે !

કાઓરી કુરીહારા જપાનથી ગુજરાત ભણવા આવેલાં અને ગૂજરાત વિદ્યાપીઠમાંથી એમણે ગાંધી વિચારમાં અનુપારંગતની પદવી હાંસલ કરેલી. નારાયણભાઈ દેસાઈના વ્યાખ્યાનોને શબ્દદેહ આપી ‘ગાંધીની શક્તિનું મૂળ એકાદશ વ્રત’ નામે મજેદાર પણ અગત્યનું પુસ્તક એમની કનેથી મેળવી શકાયું છે. તે ચોપડીના ઉપસંહારમાં નારાયણભાઈની રજૂઆત છે :

‘આજની અને આવતીકાલની દુનિયાના માણસ, પછી એ ગમે તે ખંડના હોય કે ગમે તે મુલકના, ગમે તે વર્ણના, ધર્મના કે સંપ્રદાયના, એમની સામે ત્રણ પ્રકારના પ્રશ્નો મોં વકાસીને ઊભા છે. એક માણસના પોતાની જાત સાથેના આ પ્રશ્નો. …..

‘ત્રીજા પ્રકારના પ્રશ્નો અંગે તો માણસ નજીકના ભૂતકાળમાં જ સભાન થયો છે. પણ કદાચ એ પ્રશ્નો આ [પેલા] બે કરતાં વધારે ખતરનાક છે. તે છે માણસ જાતના કુદરત સાથેના પ્રશ્નો. જે પ્રકૃતિનો માણસ અવિચ્છિન્ન અંગ છે તે પૃથ્વીને થોડા સૈકાઓથી એ પોતાના શોષણનું હાથવગું સાધન માનતો થઈ ગયો છે. જેને માતા સમજતો હતો તેનો એ ધણી થવા જાય છે. તેના રક્ષણના, પ્રદૂષણના ને મરણના પ્રશ્નો ઉત્પન્ન થયે જ જાય છે. ઝડપથી કપાતાં જંગલો, વેગે આગળ વધતાં રણો, અકરાંતિયા થઈને ખોદી કાઢાતાં ખનિજો, લગભગ તળિયે પહોંચવા આવેલી કેટલી ય જાતની પ્રાકૃતિક સંસાધન અને સંપત્તિ વગેરેને લીધે પૃથ્વી ઉપર, ભૂમિની નીચે અને પૃથ્વીની આસપાસના પર્યાવરણના નવા નવા પ્રશ્નો ડાચાં ફાડીને માણસ સામે ઊભા છે. જેના ઉપાયો જડ્યા નથી તેવી હોનારતો વધતી ને વધતી રહે છે એવી માણસની હરકતો નિરંતર ચાલુ જ છે.’

બાપુ, નારાયણભાઈના મત અનુસાર, આ પ્રશ્નના ઉકેલ સારુ માણસે સજ્જ થવું રહ્યું. પરંતુ, કેમ કરવું ? શું કરવું ? નારાયણભાઈ કહેતા હતા, તમારું જીવન આવી સજ્જતા પૂરી પાડવાના નમૂનારૂપ થઈ શકે. મુખ્યત્વે તમે દીધા એકાદશવ્રતો દ્વારા આવી સજ્જતા સાધી શકાય, એવી દલીલ એ કરતા હતા.

સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ તથા એકાદશવ્રત તમારી સૌથી મોટી દેણ છે, તેમ નારાયણભાઈ દેસાઈ લખે છે. અને તેમાં અધીકાંશે તથ્ય છે.

નારાયણભાઈએ, બાપુ, ‘ગાંધીકથા ગીતો’ આપ્યાં છે, તેમાંનું ‘અગિયાર વ્રતોનું વિવરણ’ ગીતનો આ આદર સંભળાવું કે ?

પાયામાં પૂરે જે વ્રતનિષ્ઠા તેના મંદિરિયે સતની પ્રતિષ્ઠા

વ્રત આધારે એ ચડતી જાય, ષડ્‌રિપુ સાથે લડતો જાય.

નમ્રપણે ચિત્તને સંશોધે તીવ્રપણે નિજને ઉદ્દબોધે. ……… પાયામાં પૂરે.

પહેલું વ્રત છે સત્યનું પાલન

કરણી ને કથનીના ભેદોનું છેદન.

જેવું વિચારે તેવું ઊચરે, જેવું ઊચરે તેવું કરે તે.

મન, વાણી જેના કર્મ સમાન સત્ય-પૂજારી એને જ જાણ.

સત્ય શોધતાં લાધી અહિંસા, અન્યના સત્યની કર ન ઉપેક્ષા

સરજનકારી પ્રેમની શક્તિ, પથ્થર દિલ પિગળાવે એ શક્તિ

ના એ જાણે કદીયે પલાયન, કાયરતાનું કરતી ઉન્મૂલન

ક્રોધ ન કરતી, દ્વેષ ન કરતી, વેરભાવના ના સંઘરતી.

આ એકાદશવ્રતોમાં, બાપુ, તમે પ્રથમ સ્થાન સત્યને આપ્યું છે, અને બીજે સ્થાને અહિંસાને લીધી છે. મૂળ પાંચ વ્રતોનો વિચાર, બાપુ, તમારા જીવનમાં કેવી રીતે વિકસ્યો, ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી પહોંચ્યો એનો ઊંડાણે અભ્યાસ કરવો રહ્યો. નારાયણભાઈ કહે છે તેમ, બાપુ, ‘સત્યની શોધમાંથી નીપજેલું સૌથી પહેલું અને સૌથી અગત્યનું વ્રત, તમારી દૃષ્ટિએ, અહિંસા હતું. … સત્ય જોવામાં પોતાની મર્યાદાની સમજમાંથી અને બીજા પાસે સત્ય હોઈ શકે એવી શક્યતાની માન્યતામાંથી અહિંસાનો વિચાર જન્મ્યો છે.’

બાપુ, તમારા ખુદના જીવનમાંથી અહિંસાના બે પાયાગત પાઠ મળ્યા હોવાનું સમજાય છે. તમારી આત્મકથામાં આના ઉદાહરણો વાંચવા જડે છે : તમને બીડીની પડેલી ખોટને લીધે છેવટે ચોરી કરી હતી અને દેવું ચૂકવવા ભાઈનું સોનાનું કડું કપાવ્યું હતું. વળી, તમારી આત્મકથામાં ‘ધણીપણું’ નામે ચોથું પ્રકરણ છે. તેમાં બીજી ઘટનાની વાત છે. તમે જ ખુદ, બાપુ, લખ્યું છે : ‘એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. … … આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઈએ’માંથી ‘પળાવવું જોઈએ’ એ ઉપર આવ્યો.’ તમે કસ્તૂરબાને આ વાત કહી. પરંતુ બા એવી કેદ સહન કરે એમ હતાં જ નહીં. ટૂંકમાં બાએ આ સૂચનાઓ અમાન્ય રાખી. બાપુ, તમે જ લખો છો કે તમને નવું સત્ય લાધ્યું. કોઈની અજુગતી આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ ! બાપુ, આગળ જતાં આમાંથી જ ‘નીપજ્યો સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિદ્ધાન્ત. અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર’.

આજે, બાપુ, જગતના ચોકમાં ‘હિંદ સ્વરાજ’ને ચરિતાર્થ કરવાનું વિચારાવાનું રહ્યું. આજે મૂડીવાદની પેદાશે અમારે ગ્રાહકવાદ અને બજારને સહેવા પડે છે. ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન’ નામે ખાસું અગત્યનું પુસ્તક આપનાર જાણીતા વિચારક, લેખક અને સર્વોદયી આગેવાન કાન્તિભાઈ શાહના મતે આ વિપરીત પરિસ્થિતિને બુલંદ પડકાર તમારી આ ચોપડીમાં જ છે. તમે, બાપુ, ‘સ્વરાજ’ની વ્યાખ્યા કરેલી : મનુષ્યનું પોતાની ઉપર પોતાનું રાજ. આપણે આપણી જાત ઉપર રાજ ભોગવીએ, એ જ સ્વરાજ. કેમ કે તમે કહેતા હતા તેમ, ‘ભોગવાદ તો માણસને ગુલામ બનાવશે અને ઘણી અદૃશ્ય કેદોમાં માણસને જકડી લેશે.’ એરિક ફ્રોમ, બર્ટૃાન્ડ રસેલ, ઍલ્વિન ટૉફલર, તોલ્સતોય, જ્હોન રસ્કિન, વગેરે સરીખા વિચારકોએ આપણને જાગૃત કર્યા છે; જાગૃત જો થઈ શકીએ તો.

હકીકતે તો બાપુ, જાગતિક સ્તરે જોઈએ તો આ ભોગવાદથી આજે માણસ પીડાતો રહ્યો છે. સન 1945 વેળા જવાહરલાલ નેહરુને ઉદ્દેશીને લખાયેલા એક પત્રમાં તમે જ કહેતા હતા :

‘1909માં ‘હિન્દ સ્વરાજ’માં જે કાંઈ લખ્યું, તેની સત્યતાની પુષ્ટિ મારા અનુભવોથી થઈ છે. તેમાં આસ્થા ધરાવનારો કેવળ હું એક માત્ર જ બાકી રહું, તોયે મને તેનો અફસોસ નહીં થાય. સત્યને હું જેમ જોઉં છું, તે મારા માટે એનું પ્રમાણ છે.

‘આખી દુનિયા તેનાથી વિપરીત દિશામાં જઈ રહી હોય એમ લાગે છે. મને તેનો ભય નથી. કેમ કે પતંગિયો જ્યારે એનો અંત નજીક આવી રહ્યો હોય, ત્યારે દીવાની ચારે તરફ વધુ ને વધુ ચક્કર ચક્કર ઘૂમવા લાગે છે. સંભવ છે, પતંગિયા જેવી આ હાલતમાંથી ભારતને આપણે ઊગારી ન શકીએ. તેમ છતાં ભારત અને તેની મારફત આખાયે વિશ્વને આ નિયતિમાંથી બચાવવાની છેલ્લા શ્વાસ સુધી કોશિશ કર્યે રાખવી એ મારો ધર્મ છે.’

વારુ, બાપુ, આજના અવ્વલ વિચારક પ્રકાશભાઈ ન. શાહ, હાલે, લખતા હતા : ‘વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.’

બીજી પાસ, સૂરતના જાણીતા સાહિત્યકાર – પત્રકાર રવીન્દ્ર પારેખના તાજાતર એક લેખમાંથી નજીવા ફેરફાર સાથે આટલું ઉદ્ધૃત કરીએ :

પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે :-

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

‘તમે ગાંધીજીને જોયા હતા?’

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,

અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો –

‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’

હું હવે કોને કહું કે ‘ના તમે,

એ તો અમે !’

કાવ્યમાં મોટાભાઈએ તમને જોયા હોવાનું કહ્યું, તો નાનો ભાઈ એમને જોવાનું ચૂકી ગયો એ વાતે ઓશિયાળાપણું અનુભવતા કહે છે કે અમે તો ત્યારે એકડો ઘૂંટતા હતા, તો મોટાભાઈ કહે છે કે તમે જ નહીં, અમે ય એકડો જ ઘૂંટતા હતા ! મતલબ કે તમને જોવાનું નસીબ તો ઘણાંને મળ્યું હતું, પણ તમને બધાં સમજ્યા જ હતાં એવું ન હતું. એ બધાં ઉંમરે મોટાં હતાં એટલું જ, બાકી, બાપુ, તમને સમજવામાં તો એ પણ એકડો જ ઘૂંટતા હતા. આજે પણ તમે બધાંને સમજાઈ જ ગયાં છે એવું નથી, તે એટલે પણ કે સત્યનો મહિમા ઘટતો આવે છે ને હિંસાની કોઈને હવે છોછ રહી નથી, જ્યારે તમારે મન તો સત્ય જ ઈશ્વર છે ને નૈતિક કારણોસર પણ તમે હિંસાને સ્વીકારી નથી. એ સ્થિતિમાં અમને સમજાઈ જવાનું સહેલું નથી, એટલે એકડો ઘૂંટનારા પણ હવે તો તમારો એકડો કાઢવાની પેરવીમાં છે. પોતાની લીટી મોટી થાય એમ નથી, એટલે તમારી લીટી નાની કરીને ઘણાં વ્હેંતિયાઓ વિરાટ થવા મથે છે.

વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે તમારું ‘તાવીજ’, બાપુ, યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ. તેમ જ સમગ્ર જગતે પણ. ખરું ને ?

બાપુ, સન 1948માં તમે એક પત્રમાં લખેલું,

“તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

“ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”

આમ જનતાની, ગરીબાઈની વાત, બાપુ, તમે અહીં નથી છેડતા; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરતા હો તેમ વર્તાય છે. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં તમે કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

બાપુ, આ પત્ર ખૂબ લં-બા-ઈ ગયો. તમારો ઝાઝેરો સમય લેવા સારુ મને ક્ષમા આપજો. 

લિ. વિપુલ કલ્યાણીનાં સાદર પ્રણામ.

પાનબીડું :

ગાંધીયુગ આવ્યો અને ગયો એમ ભલે તમે કહો,

હું તો કહું છું કે ગાંધીયુગ આવશે.

                                          − ઉમાશંકર જોશી

[1,540 શબ્દો]
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “પ્રબુદ્ધ જીવન”, ગુજરાતી અંગ્રેજી વર્ષ 11 [કુલ વર્ષ 95] : અંક – 07 : ઑક્ટોબર 2023; પૃ. 06-08

Loading

...102030...800801802803...810820830...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved