ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને ૧૦.૫૯ ટકા મત અને લોકસભાની ૧૨ બેઠક મળી હતી. એ સમયે દેશમાં કૂલ ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતા હતા, જેમાંથી ૪૪.૮૭ ટકા એટલે કે ૧૦,૫૯,૫૦,૦૮૩ મતદાતાઓએ મતદાન કર્યું હતું. એમાંથી કાઁગ્રેસને ૪,૭૬,૬૫,૯૫૧ મત મળ્યા હતા અને સમાજવાદી પક્ષને ૧,૧૨,૧૬,૭૧૯ મત મળ્યા હતા. કૂલ મતદાનમાં ૧૦.૫૯ ટકા પણ કાઁગ્રેસને જેટલા મત મળ્યા હતા એના લગભગ ચોથા ભાગના. સો મત કાઁગ્રેસને મળ્યા તો ૨૫ મત સમાજવાદી પક્ષને મળ્યા. આ સિવાય આચાર્ય કૃપાલાનીએ પણ કાઁગ્રેસમાંથી અલગ થઈ કિસાન મજદૂર પ્રજા પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો હતો અને તેને ૫.૭૯ ટકા મત, લોકસભાની નવ બેઠકો અને કૂલ ૬૧,૩૫,૯૭૮ મત મળ્યા હતા. આચાર્ય કૃપાલાની ચુસ્ત ગાંધીવાદી હતા, ભારતની આઝાદી વખતે કાઁગ્રેસના પ્રમુખ હતા એટલે વિચારોમાં તેમને પણ ભારતમાં વિકસેલી ભારતની કલ્પના સ્વીકાર્ય હતી. સમાજવાદી પક્ષની માફક કૃપાલાનીનો પક્ષ પણ પ્રગતિશીલ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) વિચાર ધરાવતો હતો. આ બન્ને પક્ષોના મતોનો સરવાળો કરવામાં આવે તો બન્નેને મળીને ૧૬ ટકા મત, લોકસભાની ૨૧ બેઠકો અને કાઁગ્રેસની તુલનામાં લગભગ ૪૦ ટકા મત મળ્યા હતા. મત અને બેઠકના અનુક્રમમાં સમાજવાદી પક્ષ બીજા ક્રમે અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી ત્રીજા ક્રમે હતા.
ભારતીય જનસંઘને પહેલી સામાન્ય ચૂંટણીમાં ૩.૦૬ ટકા મત અને ૩ બેઠકો મળી હતી. કુલ મળીને માત્ર ૩૨,૪૬,૩૬૧ મત મળ્યા હતા અને જો કાઁગ્રેસને મળેલા મતો સાથે તુલના કરવામાં આવે તો આઠ ટકા મત મળ્યા હત્યા. કાઁગ્રેસને સો મત મળ્યા હતા તો જનસંઘને આઠ મત મળ્યા હતા. આ સિવાય હિંદુ કોમવાદી રાજકારણ કરનારા બીજા બે પક્ષ પણ મેદાનમાં હતા. એક હતો કરપાત્રીજી મહારાજનો રામરાજ્ય પરિષદ અને બીજો હિંદુ મહાસભા. રામરાજ્ય પરિષદને ૧.૯૭ ટકા મત અને લોકસભાની ત્રણ બેઠકો મળી હતી. કુલ ૨૦,૯૧,૮૯૮ મત તેને મળ્યા હતા. હિંદુ મહાસભાને ૦.૯૫ ટકા મત અને લોકસભાની ચાર બેઠકો મળી હતી. કુલ મતોમાં હિંદુ મહાસભાનો હિસ્સો ૧૦,૦૩,૦૩૪નો હતો. આનો અર્થ એ થયો કે હિંદુ કોમવાદી રાજકારણ કરનારા ત્રણ પક્ષોને લોકસભાની કુલ ૧૦ બેઠકો અને ૬ ટકા મત મળ્યા હતા. ત્રણેય પક્ષોના કુલ મત ૬૨ લાખ થતા હતા, જે કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ અને સમાજવાદી પક્ષ તેમ જ કિસાન મજદૂર પ્રજા પાર્ટીને મળેલા પોણા બે કરોડ મતથી ક્યાં ય પાછળ હતા. ત્રણ હિન્દુત્વવાદી પક્ષોને જેટલા મત મળ્યા હતા એટલા તો આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પાર્ટીને એકલીને મળ્યા હતા.
હવે આ પરિણામોનું થોડું પૃથક્કરણ કરી જોઈએ. પહેલી સામાન્ય ચૂંટણીમાં દેશને આઝાદી અપાવનારી કાઁગ્રેસ પાર્ટીનો પરાજય થાય એ તો શક્ય જ નહોતું. કાઁગ્રેસને લોકસભાની કુલ ૪૯૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠક અને ૪૪.૯૯ ટકા મત મળ્યા હતા. આટલા મત અને બેઠકો ન મળે તો જ નવાઈ! બીજું હજુ બે વરસ પહેલા કાઁગ્રેસમાંથી બહાર પડેલા સમાજવાદીઓને અને આચાર્ય કૃપાલાનીને કુલ ૧૬ ટકા મત મળ્યા હતા, એ કોઈ હતાશ થવા જેવી વાત નહોતી. કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ સામે સમાજવાદીઓ અને આચાર્ય કૃપાલાની બન્નેને મળીને જે પોણા બે કરોડ મત મળ્યા હતા, એ કોઈ ઓછા તો ન જ કહેવાય. આમ છતાં ય સમાજવાદીઓ હતાશ થઈ ગયા. તેમને એમ હતું કે લોકસભામાં કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ઘણું ઓછું અંતર હશે. અને એ પછી કાઁગ્રેસના વિકલ્પ તરીકે સમાજવાદી પક્ષની બાંધણી કરવાની ડૉ. રામ મનોહર લોહિયાની થિયરીનું બાષ્પીભવન થઈ ગયું.
આ બાજુ ત્રણ હિંદુ કોમવાદી પક્ષોને ઘણાં ઓછા મત મળ્યા હતા અને કાઁગ્રેસની તુલનામાં તો ક્યાં ય પાછળ હતા. કાઁગ્રેસને પોણા પાંચ કરોડ અને હિંદુ કોમવાદી પક્ષોને ૬૨ લાખ. આ ત્રણ પક્ષોમાં મહત્ત્વનો પક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘ હતો અને એ હકીકત બધા જાણતા હતા. એમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભા છોડીને જનસંઘની સ્થાપના કરી એ પછી હિંદુ મહાસભા હજુ વધુ દુર્બળ બની હતી. કરપાત્રીજી મહારાજ રૂઢિચુસ્ત સનાતની હતા એટલે તેમની પહોંચ મર્યાદિત હતી. જનસંઘ લાંબી રેસનો ઘોડો હતો અને લાંબી રેસનો ઘોડો બનવા માટે જે ધીરજ હોવી જોઈએ એ સંઘમાં હતી. કાઁગ્રેસ અને સમાજવાદીઓ કરતાં ઘણાં પાછળ હોવા છતાં તેઓ હતાશ નહોતા થયા. સૌ પહેલા હિંદુ મહાસભા અને રામરાજ્ય પરિષદને સંઘના નેતાઓએ રસ્તામાંથી દૂર કર્યા હતા. અત્યંત સિફતથી સીધા ઘર્ષણ વિના. સંઘની નીતિ છે; સમવિચારી પક્ષોને રસ્તામાંથી દૂર કરવા સંઘર્ષ નહીં કરવાનો, ગળી જવાના. એ પછી નિસ્તેજ સ્વરૂપમાં અવશેષ રહે તો ભલે રહે. હિંદુ મહાસભા અવશેષરૂપે હજુ પણ છે.
પણ સમાજવાદીઓને પરિણામોનું આકલન કરવામાં નિરાશા દેખાઈ, આશા ન દેખાઈ. તેઓ કાઁગ્રેસના દેખીતા વિકલ્પ હતા અને મતદાતાઓએ તેમને વિકલ્પનું સ્થાન પણ આપ્યું હતું. સાવ ધરમૂળથી રીજેક્ટ નહોતા કર્યા. ઊલટું તેમના ધ્યાનમાં એ પણ આવવું જોઈતું હતું કે દેશના ૬૨ મતદાતાઓ ગાંધીજીની હત્યા પછી પણ કોમવાદી વલણ ધરાવે છે. આ સિવાય જેમણે મતદાન નહીં કર્યું હોય તેવા હિંદુ વધારાના. એ સમયે દેશમાં હિંદુઓની વસ્તી ૩૦ કરોડની હતી અને એમાંથી એક કરોડ હિંદુઓ કોમવાદી હોય તો એમાં સાવધાન થવા જેવું હતું. ટૂંકમાં સમાજવાદીઓ પાસે જતે દિવસે કાઁગ્રેસનો વિકલ્પ બનવાનો અવસર હતો અને દેશને હિંદુ કોમવાદથી બચાવવાનું દાયિત્વ હતું, પણ તેઓ તો નિરાશ થઈ ગયા હતા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024