Opinion Magazine
Number of visits: 9457407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણનો અભાવ એટલે અરાજકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2023

આ 27 પક્ષો માત્ર નહોતા, 27 દાવેદાર હતા, 27 પ્રશ્ન પૂછનાર હતા અને 27 શંકા કરનારા હતા.

ભારતને આઝાદી ત્યાં સુધી મળવાની નહોતી અને ભારતના નેતાઓ હકથી આઝાદીની માગણી કરી શકે એમ નહોતા જ્યાં સુધી આપસી મતભેદનો અંત ન આવે. ભારતના જે તે પક્ષના કેટલાક નેતાઓ પોતે જ અંગ્રેજોને કહેતા હતા કે જો જો હોં અમારી માગણી ન સંતોષાય ત્યાં સુધી આઝાદીની કાઁગ્રેસની માગણી નહીં સ્વીકારતા. અને આમ કહેનારા માત્ર મુસ્લિમ નેતાઓ નહોતા, હિંદુ નેતાઓ પણ હતા. હકીકતમાં હિંદુ અને અન્ય ગૈર મુસ્લિમ નેતાઓની સંખ્યા વધારે હતી. એક માત્ર ગાંધીજી હતા જે એમ કહેતા હતા કે આપણે સંપીને આઝાદી માગવી જોઈએ, આઝાદી મેળવવા સાથે મળીને લડવું જોઈએ અને અંગ્રેજોના ગયા પછી આપસી મતભેદનો અંત લાવવો જોઈએ. આમાં એક ભારતીય હોવાપણાની ગરિમા છે. જેણે તમને ગુલામ બનાવ્યા અને જેની તમે ગુલામી કરી એની પાસે હકની માગણી કરવાની! આમાં વિરોધાભાસ નથી? ઘરની બાબત ઘરમાં ફોડી લેશું, ગુલામ બનાવનારા ન્યાય કરનારા બને એ કેવી રીતે સ્વીકારી શકાય? આમાં એક પ્રજા તરીકે આપણે વામણા લાગીએ છીએ.

મોતીલાલ નેહરુ

પણ ગાંધીજીની વાત કોઈને સ્વીકાર્ય નહોતી. ગાંધી મહાત્મા છે, કાઁગ્રેસ થોડી મહાત્માઓની બનેલી છે. માટે અંગ્રેજો જાય એ પહેલાં સ્પષ્ટતા થઈ જવી જોઈએ. કાઁગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે જો બંધારણના ઢાંચા વિષે સ્પષ્ટતા થઈ જાય તો કદાચ માર્ગમાં જે અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે તેનો અંત આવે અને આગળ વધી શકાય. એના ઉપાય તરીકે ૨૮ પક્ષોની દસ દિવસ લાંબી પરિષદ બોલાવવામાં આવી અને મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી અને તેણે જે અહેવાલ આપ્યો એ નેહરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે.

સમિતિએ ૧૯૨૯માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ૨૨ પ્રકરણો હતાં અને ૮૭ આર્ટીકલ્સ હતા. એમાં નાગરિકોના મૂળભૂત અધિકારો વિષે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ભારતના દરેક નાગરિકને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હશે. એ તેનો મૂળભૂત અધિકાર હશે. ભારતનો દરેક નાગરિક કાયદા સામે સમાન હશે. કોઈ વિશેષ અધિકાર નહીં ધરાવે. ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મસ્વાતંત્ર્ય હશે અને ધર્મપ્રચાર કરવાનો પણ અધિકાર હશે. ભારતના પ્રત્યેક નાગરિકને પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો અધિકાર હશે. અધિકાર નહીં, મૂળભૂત અધિકાર. હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિષે અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે કોઈને અલગ મતદાર ક્ષેત્ર આપવામાં ન આવે, પરંતુ તેની જગ્યાએ પ્રતિનિધિગૃહોમાં જ્યાં મુસલમાન લઘુમતીમાં છે ત્યાં મુસલમાનોને અનામત બેઠકો આપવામાં આવે અને જ્યાં હિંદુ લઘુમતીમાં છે ત્યાં હિંદુઓને અનામત બેઠકો આપવામાં આવે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત ધર્મનિરપેક્ષ દેશ હશે અને રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને ન કોઈ ધર્મનો પક્ષપાત કે વિરોધ કરવામાં આવશે.

અને છેલ્લે એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનું લોકતંત્ર સંસદીય લોકતંત્ર હશે અને તેમાં દરેક પુખ્ત વ્યક્તિને કોઈ પણ પ્રકારની લાયકાતની શર્ત વિના મતદાનનો અધિકાર હશે. અહીં યાદ અપાવવી જોઈએ કે બ્રિટનમાં ૧૯૧૮માં ત્યાની સંસદની ચૂંટણી લડવાનો અધિકાર મળ્યો હતો અને ૧૯૨૮માં સ્ત્રીઓને ભેદભાવ વિના પુરુષની માફક મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો. અમેરિકાએ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર ૧૯૨૦ની સાલમાં આપ્યો હતો. આની સામે નેહરુ સમિતિએ ૧૯૨૮-૨૯માં સૂચવ્યું હતું કે ભારતના પ્રત્યેક નાગરિકને ભેદભાવ વિના મત આપવાનો અધિકાર હશે.

૨૨ પ્રકરણ અને ૮૭ આર્ટીકલ્સમાં જેને બંધારણીય ભારતનો પ્રાણ કહેવાય એ આ હતું. એમ માનવામાં આવ્યું હતું કે ભારતની પ્રત્યેક વ્યક્તિ, પછી તે ગમે તે ઓળખ ધરાવતી હોય તેને જો નાગરિક તરીકેની ઓળખ આપવામાં આવે, કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવે, ભારત એક સેક્યુલર દેશ હોય અને દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવે તો પછી ભેદભાવ કે અન્યાય માટે જગ્યા જ ક્યાં બચે છે? બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ લખનારા આર. કુપ્લેન્ડે તેમના ‘ધ કોન્સ્ટીટ્યુશન પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે નેહરુ સમિતિએ મતભેદોનું નિરાકરણ લાવવાનો નિખાલસ પ્રયત્ન કર્યો હતો. નિખાલસ. પ્રમાણિક અને શુદ્ધ હ્રદયથી.

પણ નિષ્ઠાપૂર્વકના પ્રયાસને અનુકૂળ પ્રતિસાદ નહોતો મળ્યો. મુસ્લિમ લીગે અને વિશેષ કરીને મહમ્મદ અલી ઝીણાએ વાંધાવચકા કાઢ્યા હતા. તેમણે ૧૪ માગણીઓ અલગથી કરી હતી. તેમને મુસલમાનોના વ્યાપક હિતમાં રસ નહોતો, પણ પોતાનું અભિમાન સંતોષવામાં રસ હતો. અઘરી માગણી કરે, કાઁગ્રેસના નેતાઓ લાચાર થઈ જાય, તેમની કાકલુદી કરે, સમજાવે એ તેમને જોઈતું હતું. આવું થવા પણ લાગ્યું એટલે ઝીણા વધારેને વધારે અકારા થવા લાગ્યા. કેટલાક કાઁગ્રેસીઓ પણ આકરા થવા લાગ્યા અને ઓછામાં પૂરું ૧૯૩૭માં વિનાયક દામોદર નજરબંધીથી મુક્ત થઈને હિંદુ મહાસભાના નેતા બનીને મેદાનમાં આવ્યા. એ પછી ઝીણા અને સાવરકર વચ્ચે બે છેડાની જુગલબંધી રચાઈ. આમાં હિંદુ મહાસભાની તો બહુ કાંઈ રાજકીય વગ કે શક્તિ નહોતી, પણ ઝીણા માટે એ પૂરતી હતી. એ પછી જે બન્યું એ સર્વવિદિત ઇતિહાસ છે.

છેલ્લે નેહરુ રિપોર્ટ તૈયાર કરનારા સભ્યોને ન્યાય આપવા ખાતર એટલું નોંધવું જોઈએ કે નેહરુ રિપોર્ટે ભારતના બંધારણનો અને બંધારણીય ભારતનો ઘાટ ઘડી આપ્યો હતો. ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિએ કમરામાં બેસીને ઘડ્યું નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 નવેમ્બર 2023

Loading

સયાજી વૈભવ પુસ્તકાલય : ग्रंथज्योति नमोस्तुते

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 November 2023

પુસ્તક પરિચય : 

 નવસારીની બે યુવતીઓ અને ત્યાંના બે યુવકોએ ‘જિંદગીની પહેલી કમાણી આ પુસ્તકાલયને દાન  સ્વરૂપે અર્પણ કરી’, કેમ કે આ જ્ઞાનકેન્દ્રનો તેમના ઘડતરમાં મોટો ફાળો છે.  

 શિંગચણાની ફેરી કરતા અને વર્ષોથી આ પુસ્તકાલયના સભ્ય  સીતારામ જાવરે  કહે છે : ‘પુસ્તકોએ મને ખૂબ શીખવ્યું છે.’ 

 આ પુસ્તકાલય ‘વાચકો પાસેથી કોઈ પણ ફી કે લવાજમ લેતું નથી’, તે ‘ક્યારે ય બંધ રહેતું નથી, સાપ્તાહિક રજા પાડતું નથી, જાહેર રજાઓ પર તો ખુલ્લું જ હોય. વિદ્યાર્થી વાચકો માટે રાત્રે દસ વાગ્યા સુધી વાચનકક્ષ ખુલ્લો રહે છે.’ 

 ‘હેલ્લો લાઇબ્રેરી : પુસ્તક આપના આંગણે’ નામની વ્યવસ્થા હેઠળ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને દર પંદર દિવસે ઘરે પુસ્તકો પહોંચાડવામાં આવે છે, જેના માટે એક ઇ-બાઇક દાનમાં મળ્યું છે.  

 પુસ્તકાલયના કર્મચારીઓ માટે સંચાલકોની કાયમી સૂચના છે : ‘લાઇબ્રેરીમાં આવતા બાળક સાથે ક્યારે ય ઊંચા અવાજે પણ ન બોલશો. આપના એવા વર્તનથી બાળક હંમેશ માટે લાઇબ્રેરીથી અને પુસ્તકથી વિમુખ થઈ જશે.’ 

 જેમાં મહિલા જ વક્તા હોય તેવું ‘મારું પ્રિય પુસ્તક’ નામનું માસિક વ્યાખ્યાન આ પુસ્તકાલયમાં ચાલે છે, અને ગઈ પા સદીમાં બસો કરતાં વધુ વક્તા આવી ચૂક્યાં છે. 

 આ પુસ્તકાલયનું પોતાનું ગીત છે, જે યુ-ટ્યૂબ પર છે. તેની પહેલી પંક્તિ છે : 

           ‘ એક બગીચો જ્ઞાનનો એવો, પુસ્તકનો જ્યાં ગુંજે કલરવ

           બાળવાચકો જેનો વૈભવ, ગમે મને આ સયાજી વૈભવ.’

નવસારીના શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલયને લગતી ઉપરોક્ત હકીકતો જેવી કેટલી ય હૃદયસ્પર્શી માહિતી સંસ્થાની સવાશતાબ્દી વર્ષના અવસરે પ્રગટ થયેલા ‘જ્ઞાનપીઠ વૈભવી’ પુસ્તકમાં વાંચવા મળે છે.

વળી, બિસમાર પુસ્તકાલયનો કાયાકલ્પ કરી તેને અત્યારના ઉત્તમ સ્થાને પહોંચાડનારા શિલ્પી મહાદેવભાઈ દેસાઈ(1954 -2022)ના ચાર દાયકાના ‘સમર્પણ અને નિષ્ઠા’નું પ્રભાવક ચિત્ર પણ ઘણાં લેખોમાંથી ઉપસે છે.

ગ્રંથાલયના ઇતિહાસને લગતા લેખો પણ છે. રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ((1863-1939) અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંની જાહેર ગ્રંથાલય પદ્ધતિ – Public Library Systemથી બહુ પ્રભાવિત થયા.

દેશના વિકાસમાં જાહેર ગ્રંથાલય નામની સંસ્થાનું મહત્ત્વ બરાબર સમજીને તેમણે વડોદરા રાજ્યમાં ગ્રંથાલય પ્રવૃત્તિ શરૂ કરવામાં પહેલ કરી. તેમણે પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથપાલ વિલિયમ બોર્ડનને વડોદરા નિમંત્રણ આપ્યું. તેમના માર્ગદર્શન અને મોતીભાઈ અમીનની દૃષ્ટિભરી સક્રિયતાથી વડોદરા રાજ્યના તમામ આઠસો ગામોમાં પુસ્તકાલયોની સ્થાપના થઈ.

નવસારીમાં પણ 1898માં પુસ્તકાલય સ્થપાયું તે અત્યારનું સયાજી વૈભવ. સંસ્થાને જમીન તેમ જ ધન મળતાં ગયાં અને કામ વધતું ગયું. ભરતી-ઓટ આવતી ગઈ. નવસારીના વ્યાવસાયિક સ્થપતિ મહાદેવભાઈ દેસાઈ નાગરિક કર્તવ્ય તરીકે પચીસ વર્ષની ઉંમરે મંત્રી તરીકે જોડાયા તે પછી લાઇબ્રેરી  સતત વિકસતી જ રહી.

મહાદેવ દેસાઈ

મહાદેવભાઈના ઉદ્યમ, નિસબત અને સૂઝથી ગ્રંથાલય માત્ર પુસ્તકોથી નહીં પણ નિરંતર વ્યક્તિવિકાસ પ્રેરક પ્રવૃત્તિઓથી પ્રવૃત્તિઓથી સમૃદ્ધ બન્યું. તેમના પ્રદાનને પ્રસ્તુત પુસ્તકમાં ભારતીય ચૂંટણી પંચના કાર્યમાં ટી.એન. સેશનના કે હરિત ક્રાન્તિ ક્ષેત્રે એમ.એસ. સ્વામિનાથન્‌ના પ્રદાન જેટલું સીમાચિહ્નરૂપ ગણવામાં આવ્યું  છે.

રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલય માટેનો પુરસ્કાર મોતીભાઈ અમીનના નામે ન હોત તો તે મહાદેવભાઈ દેસાઈના નામે હોત એમ પણ એક લેખમાં વાંચવા મળે છે.

સંખ્યાબંધ પ્રાસંગિક તસવીરો સાથેની આ દળદાર સ્મરણિકામાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલક મંડળના સભ્યો ઉપરાંત ગ્રંથપાલ તેમ જ  મદદનીશોએ લખ્યું છે.

પુસ્તકાલયને માતૃસંસ્થા માનનારા એક વેળાના બાળસભ્યો, પુસ્તકાલયની  વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શાળાઓના શિક્ષકો-આચાર્યોના અને કેટલાંક સાહિત્યકારોના અનુભવો-સંસ્મરણો પણ પુસ્તકમાં વર્ણવ્યાં છે.

મોટા કદના અને ડબલ કૉલમનું પેઇજ લે આઉટ ધરાવતા પુસ્તકના 265 પાનાંમાંથી સમજાય છે કે સરકારમાં રજિસ્ટર થયેલાં ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને સંખ્યાબંધ પુસ્તકપ્રેમી દાતાઓથી સંવર્ધિત સાર્વજનિક પુસ્તકાલય એકસો પચીસ વર્ષથી ચાલે એટલું જ નહીં, પણ ગયા ચારેક દાયકામાં તો વાચકોના જીવનનો હિસ્સો બની ગયું છે.

‘સ્વજનસમું ગ્રંથાલય’, ‘ચેતનાનું ઘર’ ‘બાળકોના વિકાસની  જનની’, ‘આત્મવિશ્વાસનો પાયો’, ’મુકામ પોસ્ટ લાઇબ્રેરી’, ‘મારું બીજું  ઘર’ જેવા શબ્દોમાં ગ્રંથાલય માટેનો હૃદયભાવ વ્યક્ત થયો છે.

દોઢેક લાખ જેટલાં પુસ્તકો ધરાવતાં ગ્રંથાલયમાં સાઠેક ટકા ગુજરાતી પુસ્તકો ઉપરાંત અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ મોટી સંખ્યામાં છે. પૂનાથી નવસારી આવેલાં માધવીતાઈ કર્વેને નવા ગામે પુસ્તકોની ખોટ સાલી નહીં, મરાઠી ભાષાના દોઢેક હજાર પુસ્તકોએ તેમને સાથ આપ્યો. વયોવૃદ્ધ મર્ઝબાન ગ્યારા ક્યારે ય ન વંચાતા પુસ્તકો ખંખોળીને’ વાંચતા.

સયાજી વૈભવના વાચકોને સવાસો જેટલાં સામયિકો અને સોળ દૈનિકો મળે છે. પોણા બે લાખ જેટલી લોકસંખ્યા ધરાવતા નવસારીના તેર હજાર જેટલા એટલે કે સાતેક ટકા નગરિકો આ નિ:શુલ્ક ગ્રંથાલયનો લાભ લે છે. સંસ્થાનાં સ્વપ્નો છે : ‘નવસારીના દરેક વાચક પુસ્તકાલયના સભ્ય બને’ અને ‘નવસારી આવતી સદીમાં વિશ્વને ચરણે 100 મહાન સ્ત્રી-પુરુષોની ભેટ ધરે’.

લાઇબ્રેરીના સભ્યોમાં અઢી હજાર સ્ત્રીઓ,ચાર હજાર પુરુષો અને સહુથી વધુ તો છ હજારથી વધુ બાળકો છે. શાળામાં જતાં કે શાળા છૂટ્યા બાદ પુસ્તકો લેવા માટે બાળકોની હરોળ લાગી હોય એવું સાંભરણ પુસ્તકમાં નોંધાયું છે. અક્ષરઓળખ થાય તે પહેલાં જ વાચનની શરૂઆત અહીંના ચિત્રપુસ્તકોથી થઈ હોય એવા, અને દેશાવરની સફળતાનો યશ વતનની આ લાઇબ્રેરીમાંથી થયેલાં વાચનને આપનારા વાચકો અહીં છે.

રાજવી ગાયકવાડ પરિવારના આશ્રય પછીના ક્રમે ‘મોટામાં મોટું દાન’ પારેખ પરિવાર તરફથી મળ્યું હોવાથી લાઇબ્રેરીનું સમાંતર નામ નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ છે. લાઇબ્રેરીના ઉપક્રમે જે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ બહોળા પ્રમાણમાં થાય છે તેની માહિતી/સંદર્ભો અનેક લેખોમાં મળે છે.

તેમાંથી કેટલીક છે : શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેકટ, વેકેશન વાચનોત્સવ, સર્જકો સાથે સંવાદ, પુસ્તક-સેતુ, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી સાર્ધ શતાબ્દી, ‘મારું ગમતું પુસ્તક’ નામે માસિક વ્યાખ્યાન, ગ્રંથયાત્રા, પુસ્તક પ્રદર્શન – આ યાદી ઘણી લાંબી થઈ શકે. આ બધામાં ભાગ લેવાથી સંખ્યાબંધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાચન પ્રેમી નાગરિકોનું ઘડતર થતું રહ્યું છે તે પણ પુસ્તકમાં જોવા મળે છે. સયાજી વૈભવ ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત અભિયાનની ગંગોત્રી’ ગણાયું હતું.

રાજ્યના ઉત્તમ પુસ્તકાલય તરીકેનું પાંચ વખત સન્માન મેળવનારા આ પુસ્તકાલયના પ્રદાનની કદર રૂપે સંસ્થાને સરકારી અનુદાન અને વિવિધ પ્રકારની પ્રોત્સાહક સહાય પણ મળતી રહી છે.

કર્મચારીઓ ગ્રંથાલય સાથે ખૂબ લગાવ છે. આ જ પુસ્તકાલયમાં લાઇબ્રેરિયન બનનારાનું બાળપણ લાઇબ્રેરીની બહાર સાયકલ ફેરવવામાં અને અંદર બેસીને બકોર પટેલ વાંચવામાં વીત્યું હોય. અહીંની નોકરીની સમાંતરે ભણીને ગ્રંથાલય વિજ્ઞાનની પદવી મેળવી હોય, શાળા-કૉલેજમાં નોકરી મેળવી હોય એમ પણ આ પુસ્તકમાં નોંધાયું છે.

પુસ્તક આપ-લે  વિભાગના કર્મચારીઓ માટે કેટલાક વાચકો સ્વજન સમા હોય, તેઓ ન દેખાય તો ફોન કરે. સયાજીમાં ન હોય તેવું પુસ્તક શોધવા લાઇબ્રેરિયન વાચકને પોતાના વાહન પર બેસાડીને બીજા ગ્રંથાલયમાં, અને અંતે એક લેખિકાને ઘરે જઈને ય પુસ્તક અપાવીને જ જંપ્યા હોય, એવો મજાનો કિસ્સો પણ વાંચવા મળે છે.

દુનિયામાં જે-તે કાળે શક્તિશાળી કે કલાસંસ્કૃતિ સમૃદ્ધ દેશોનું દૈવત તેની પ્રયોગશાળાઓ અને તેનાં પુસ્તકાલયો હોય છે. જાહેર ગ્રંથાલય – the Public Library – વિભાવના અને સંસ્થા તેનું કાર્યરત રૂપ આપણા દેશમાં ઓછાં પ્રચલિત છે. આ વિશે લખાયેલી સામગ્રી વાંચતા જાહેર ગ્રંથાલયની જે મહત્તા સમજાય છે તેની ઝલક  ‘જ્ઞાનપીઠ વૈભવી’ સ્મરણ-પુસ્તકમાં મળે છે.

આજે પ્રકાશના પર્વે ग्रंथदीपो भव. 

* આભાર : સંધ્યાબહેન ભટ્ટ

______________________________

જ્ઞાનપીઠ  વૈભવી : શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી, 125 વર્ષનાં સંભારણાં, જુલાઈ 2023

પ્રકાશક : શ્રી પ્રશાન્તભાઈ પારેખ, પ્રમુખ, શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, ચીમનાબાઈ રોડ, નવસારી 396 445, ફોન  02637-259523/43  મો. 7435080760, 

પૃ. 265, પ્રાપ્તિસ્થાન અને કિંમત : જણાવેલાં નથી 

12 નવેમ્બર 2023
[980 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દિવાળી 2023: વિકાસ, ધર્મ, વૈશ્વિક ધોરણો આ તમામ પર નજર રાખી કામ કરતી કેન્દ્ર સરકાર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 November 2023

છેલ્લાં નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયાં છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે

ચિરંતના ભટ્ટ

સૌથી પહેલાં તો સૌને દિવાળીની ખોબલે ખોબલે શુભેચ્છાઓ. સારા દિવસે કોઈને વખોડવા નહીં એમ કોઈએ ન શીખવ્યું હોય તો પણ ખબર તો હોવી જ જોઈએ. આ કેમ કહ્યું એનો અંદાજ લેખ પૂરો વાંચી લેશો ત્યાં સુધીમાં તો આવી જ જશે. અત્યારે જે પેઢી તેની ચાળીસ પાર કરી ચૂકી છે, અથવા જે પેઢી પચ્ચીસ પછીના દાયકામાં પ્રવેશી રહી છે તે તમામને માટે દેશમાં પરિવર્તનના માહોલ જોવાનો લાહવો છે. આ ચોક્કસ દાયકાનો ઉલ્લેખ એ માટે કે એક પેઢીને બે-ત્રણ દાયકામાં પ્રવૃત્ત કામગીરીમાં ગતિ ઘટાડવાની છે તો બીજી પેઢીને આગામી બે-ત્રણ દાયકામાં વધુ કાર્યરત થવાનું છે, તેમાં ય ખાસ કરીને વ્યવસાયિક સ્તરે. આપણો દેશ, આખી દુનિયા મોટા પાયે પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે – ક્યાંક ખૂબ જ સારા તો ક્યાંક ખરાબ તો ક્યાંક બહુ જ ખરાબ. ગમે કે ન ગમે આપણે બધા જે પણ થઈ રહ્યું છે તેના મૂક અથવા તો કોઈ ન સાંભળતું હોય એવો બબડાટ કરનારામાં શ્રોતાઓ કે દર્શકો કહો તો એમ – એ સમુદાયમાં ગણાઈએ જ છીએ.  સરકારોની તેજી મંદી અને માર્કેટની પણ તો સાથે યુદ્ધો, આકરા વિશ્લેષણ અને વિરોધીઓના કાવાદાવા, અર્થતંત્રના બદલાવ, પર્યાવરણના બદલાવ આ બધું જ આપણે જીવી રહ્યા છે, આપણી સમાંતર ચાલી આ બધું જ ચાલી રહ્યું છે.

આ બધાની વચ્ચે એક નામ છે નરેન્દ્ર મોદી – આપણા વડા પ્રધાન – એમના શાસનને આવતા વર્ષે દસ વર્ષ પૂરાં થશે અને એમાં બીજા ઉમેરાશે એવું તો લોકો સમ ખાધા વિના ય પૂરી ખાતરીથી કહે છે. આ નામે ગામ ગજવ્યું છે, ગમતું – ન ગમતું, ગળે ઉતરી જાય એવું, ગળે ડચૂરો ભરાય એવું બધું જ કરીને જાણે ‘આર્ટ ઑફ વૉર’વાળા પુસ્તકની ફિલસૂફીથી રાજકારણની શતરંજમાં સતત ધુંઆધાર ચાલ રમતાવનું તેમણે નક્કી જ રાખ્યું છે. અણનમ નરેન્દ્ર મોદીને તેમના આ અભિગમ માટે સલામ તો ભરવી જ રહી.

થોડા વખતે પહેલાં એક હેશટેગ ટ્રેન્ડ થયો જે હતો #9YearsOfGatiAndPragati – ગતિ અને પ્રગતિનાં નવ વર્ષ. છેલ્લા નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયા છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે. જ્યાં ખાનગી સાહસ સાથે ભાગીદારીની જરૂર પડી ત્યાં એમ કરાયું તો જ્યાં કેન્દ્ર સરકારે પોતાની રીતે કામ કરવાનું નક્કી કરેલું ત્યાં એ રીતે કામ કરવામાં આવ્યું. સતત નવું, જે પણ થાય તે વૈશ્વિક ધોરણની ગુણવત્તાને સમાંતર જ હોય એવું કામ કરવામાં મોદી સરકારે પાછળ વળીને નથી જોયું. સાથે ધર્મનું જે પત્તું હંમેશાંથી ભા.જ.પા.ને ફળ્યું છે તે નાના પાયે ખેલવાનું નેવે મૂકીને નક્કર કામગીરી રૂપે કાશી વિશ્વનાથ, કેદારનાથ, સોમનાથ, ચાર ધામ પ્રોજેક્ટ, કાશ્મીરમાં મંદિરોનો પુનરુદ્ધાર, વિદેશોમાં મંદિરોની સ્થાપના બધાંની સાથે અયોધ્યા રામ મંદિરની વિચારને વાસ્તિવકતામાં ફેરવી દેવામાં આવ્યો. 2024ની ચૂંટણીમાં કોઈ કસર છોડવી ન હોય એ રીતે કેન્દ્ર સરકારે કામગીરી ચાલુ રાખી છે. વળી બધાં જ પ્રોજેક્ટ નાના ગાળાના નથી, લાંબા ગાળાના છે અને તે ચાલે પણ લાંબા એ પ્રકારના જ છે – એટલે સઘળું માત્રને માત્ર ચૂંટણી લક્ષી જ છે એમ કહેવું પણ અયોગ્ય રહેશે. કેટલાક એવા પ્રોજેક્ટની ટૂંકમાં વાત કરીએ જેને લઈને લોકોને અપેક્ષાઓ અને આશ્ચર્ય બન્ને રહ્યા છે.

વિકાસ અને ધર્મ સાથે ગર્વ જોડી શકાય એ રીતે કેન્દ્ર સરકારે કામ હાથે લીધા છે.  ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ હશે. હવે ભારતમાં આવી અજાયબી હશે એવી કલ્પના કરવી પણ એક સમયે મુશ્કેલ હતી. આ બ્રિજને એન્જિનિયરિંગ માર્વેલનું લેબલ તો અત્યારથી જ મળી ગયું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેનારા તમામ ત્યાંની સવલતના વખાણ કરતાં થાકતાં નથી. ભલેને ટિકિટ વગેરેના ગોટાળાની વાતો સમાચારમાં ચગે, મુલાકાતીઓને માટે પોતાની સગવડની ઉપર બીજો બધો ઘોંઘાટ જ હોય છે અને એ પણ સત્તાએ બેઠેલાઓ ખૂબ સારી પેઠે જાણે છે. બ્રહ્મપુત્રા નદી પર બનેલો બોગબીલ બ્રિજ એ એશિયાનો બીજો સૌથી લાંબો રેલ – રોડ પ્રોજેક્ટ છે જેને કારણે આસામના ટિન્સુકિઆ અને અરુણાચલ પ્રદેશના નહારલગુન વચ્ચેના પ્રવાસમાં દસ કલાકથી વધુ સમય બચે છે. ૧૦,૦૦૦ ફૂટે આવેલી, નવ કિલોમિટરથી લાંબી અટલ ટનલ મનાલી અને લાહૌલને જોડે છે – આ ટનલને આટલી ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી સિંગલ ટ્યૂબ હાઇવે તરીકે વર્લ્ડ બેંકે નોંધી છે. ટનલના કૂલ 144 પ્રોજેક્ટ્સ છે જે યાત્રાના પ્રવાસમાં જે સમય લાગતો હશે તેમાં મોટો ઘટાડો કરી દેશે.  આ ઉપરાંત કેદારનાથમાં આદિ શંકરાચાર્યનું 12 ફૂટની મૂર્તિ  હોય, મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમા હોય કે પછી 700 કરોડના ખર્ચે બનેલું કાશી વિશ્વનાથ કોરીડૉર હોય નરેન્દ્ર મોદીની સરકારે – એટલે કે મોદીના નેતૃત્વ હેઠળ ભા.જ.પા.ની સરકારે સંસ્કાર, સંસ્કૃતિ, વારસો, વિકાસ, માળખાંકીય સવલતોથી માંડીને બધું જ જાણે ટિક કરી દીધું છે. કશું ય બાકી ન રહી જવું જોઈએ. વળી લોકોની નાડ પારખી લેનારા, લોકોને કેવા નેરેટિવની જરૂર છે એ સમજનારા નરેન્દ્ર મોદીએ નવું સંસદભવન પણ બનાવ્યું તો સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા ઇન્ડિયા ગેટ પર શોભશે એવી જાહેરાત પણ કરી દીધી.

લદાખની ઊંચાઈએ રેલવે ટનલ, અમદાવાદ – મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન્સ, મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ ઉપરાંત અનેક હાઇડ્રોઇલેક્ટ્રિક બંધ, હાઇ સ્પીડ ટ્રેન્સ, પાવર પ્રોજેક્ટ્સ, નદીના નેવિગેશન પ્રોજેક્ટ, સોલાર પાવર હબ્ઝ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ પર સતત આખા દેશમાં ક્યાંકને ક્યાંક કામ ચાલી રહ્યું છે. 12 મોટા બંદરો, 200 નાના બંદરો દેશની 7,500 કિલો મિટરની કોસ્ટલાઈનને સમાંતર વિકસી રહ્યા છે, અને અમુક તો ઑપરેશનલ પણ છે. સાગરમાલા પ્રોજેક્ટ – બંદરોના વિકાસના પ્રોજેક્ટ પાછળનો હેતુ છે વ્યાપારની લોજિસ્ટિક કિંમતો ઓછી કરવી. આ પ્રોજેક્ટ બે-ચાર વર્ષનો નથી, સ્વતંત્ર ભારતને 100 વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં આ બધું પાર પડ્યું હશે.

સરકાર આધુનિક રીતે ગતિશીલતાના માળખા સતત ઉમેરો થાય, તેની ગુણવત્તા સારી હોય તે બનાવવામાં સ્વાસ્થ્ય, સલામતી, આર્થિક અને સામાજિક મૂલ્યો, પર્યાવરણ, સસ્ટેનેબલિટી તમામ સાથે સંતુલન સાચવી લેવાય તેની તકેદારી રાખીને કામ કરી રહી છે.

કુલ 131 એરપોર્ટ્સ, જેમાંથી 29 આંતરરાષ્ટ્રીય, 92 ડૉમેસ્ટિક અને 10 કસ્ટમ એરપોર્ટ્સ અત્યારે કાર્યરત છે અને 21 બીજા ગ્રીન ફિલ્ડ એરપોર્ટને આ વર્ષે  આ વર્ષે જૂન સુધીમાં ઇન-પ્રિન્સિપલ માન્યતા મળી ચૂકી છે. જી.ડી.પી.ના 3.3 ટકા એટલે કે 10 લાખ કરોડ 2023-24ના બજેટમાં માળખાંકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ યોગ્ય પ્રોજેક્ટ્સમાં થાય એ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે તે વર્તાઈ રહ્યું છે.

દિવાળીને ટાણે એ હકીકત બિરદાવવી રહી કે ભારતની પ્રગતિનું રોકેટ સડસડાટ આગળ વધી રહ્યું છે. યોજના અને અમલીકરણની ગતિ વચ્ચે સંતુલન છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની શકલ-સૂરત બદલવા પર એડી ચોટીનું જોર લગાડીને કામ થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્તરે મજબૂત અને મોટી આર્થિક સત્તા તરીકેનું લેબલ 2047માં લાગે એની તૈયારીમાં કેન્દ્ર સરકાર કોઈ કચાશ નથી છોડી રહી અને તેમાં પૂરી સફળતા મળે તેવી શુભેચ્છા સાથે દિવાળીની શુભકામનાઓ.

બાય ધી વેઃ

રેલ અને રસ્તા પર થતા બેફામ અકસ્માત, પર્યાવરણમાં ન ગમે તેવો બદલાવ, રાજકીય સ્તરે ઊહાપોહ, પૂર્વગ્રહો, આક્ષેપો અને બચાવ, સ્મોગ, ટ્રાફિક, મોંઘવારી, ખેડૂતોની જમીનો જવી એવું બધું પણ થાય છે, થશે પણ સરકાર પ્રયત્નશીલ તો છે જ કે સૂકા ભેગું લીલું બળવાના મામલે જરાક તો નિયંત્રણ રખાય, કંઇક તો એવું હોય જેને લઈને દર્દ કે ફરિયાદના પોકારો કોઈ ન નાખે. કશું ય રાતોરાત નથી થતું, રાજકારણ કોઈ સંતના આશ્રમમાં થતી કામગીરીઓથી ન ચાલે એટલે ન ગમતું ગળે ઉતારીને પણ અમુક બાબતો સ્વીકારને આગળ વધવામાં મનમાં દિવાળીનો પ્રકાશ રાખીને, એક સાચા, સારા, કર્તવ્યનિષ્ઠ અને નૈતિક નાગરિક બનીશું તો રાજકારણીઓને પણ વધુ સર્તક રહેવાની ફરજ પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023

Loading

...102030...769770771772...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved