Opinion Magazine
Number of visits: 9554102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ શતાબ્દી અને ગાંધી જયંતી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 October 2025

પરિપ્રેક્ષ્ય

પ્રકાશ ન. શાહ

દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સદી નોંધાવતો હોય અને તાકડે એ જ દિવસે ગાંધી જયંતી (બીજી ઓક્ટોબર) પણ હોય, શું કહીશું એ જોગાનુજોગ વિશે – કેમ કે ગાંધીજી પરત્વે સંઘનો અભિગમ જ્યારે સમીક્ષાત્મક ન હોય, ત્યારે પણ સલામત અંતરનો તો રહ્યો જ છે. સંઘે એના પ્રાત:સ્મરણમાં ગાંધીજીનું નામ આમેજ કર્યાનું જાણ્યું છે, એમાં વિવેક જરૂર છે. કારોબરેટિવ એવિડન્સ(પુષ્ટિપ્રમાણ)ના અભાવે છતી સાહેદીએ ગાંધીહત્યામાં એની સંડોવણી બાબતે શંકાનો લાભ મળ્યો એ ઇતિહાસવસ્તુ છે. 

બને કે, જે સંડોવણી હોય તે સીધી સંસ્થાકીય ન હોય; પણ તે માંહેલા કે તેની સાથેનાં તત્ત્વોની જરૂર હોય. નેહરુ-સરદારના જે પત્રો સત્તાવાર સુલભ છે એણાં પ્રકાશન્તરે સરદાર તરફથી આવાં ઇંગિત છે. જો કે, સરદારે સીધી જવાબદારી હિંદુ મહાસભાની એક પાંખ પર નાખી છે. પણ આજની તારીખ અને તિથિને આપણે એ ચર્ચામાં ન સરવા દઈએ તે જ ઠીક રહેશે.

આ શતવર્ષી, સીધુ-સપાટ-સરળ બયાન કરવું હોય તો સંઘજાત, સંઘપોષિત, સંઘસમર્થિત પક્ષ દેશમાં શીર્ષ સત્તાસ્થાને હોઈ શકે તેની એક સિદ્ધિનો અવસર અને આનંદ ખસૂસ છે. જ્યાં સુધી વિચારધારાનો સવાલ છે, હિંદુત્વ અગર તો હિંદુ રાષ્ટ્ર એનો મૂળ વિચાર છે. વિચારવ્યૂહની રીતે એ ગાંધીને પણ હિંદુ ઢાંચામાં ઢળેલી છબી તરીકે આગળ કરવાની કોશિશમાં જણાય છે. સંઘપ્રેરિત ફાઉન્ડેશને એક દળદાર ગ્રંથ ગાંધી વિશે ‘હિંદુ પેટ્રિયટ’ જેવા સૂચક શીર્ષક સાથે રમતો પણ મૂક્યો છે. પણ ગાંધી એક એવા હિંદુ હતા જે હિંદુત્વ રાજનીતિને માફક આવી શકતા નહોતા!

સંઘે જનસંઘને આપેલા અને ત્યાંથી ભા.જ.પ.વરિષ્ઠ બનેલા અડવાણીએ અયોધ્યા આંદોલન વખતે ગાંધીજી ધર્મને કેવું મહત્ત્વ આપતા હતા તે આગળ કરી સમર્થન ઉપજાવવાની કે બચાવછત્રીની કોશિશ કરી હતી. પણ મુશ્કેલી એ છે કે, જે સંઘબાગ્ય પ્રતિભાઓને તે કો-ઓપ્ટ કરવા કોશિશ કરે છે, પછી તે ગાંધી હોય, સુભાષ હોય કે સરદાર અગર આંબેડકર કે ભગત સિંહ, કોઈને ય હિંદુરાષ્ટ્રનો ખયાલ સ્વીકાર્ય નથી. 

સરદાર માટે સંઘ બાબતે કૂણા હોવાની છાપછતાં વાસ્તવિકતા એ છે કે, એમને પણ હિંદુ રાષ્ટ્ર ‘એક પાગલ ખયાલ’ લાગતો હતો. સાવરકરનું ‘આઈકોન’ હોવું સરવાળે બેસતું આવતું હોય તો પણ એમાંયે એક સલામત અંતરનો મુદ્દો છે તે છે.

મુદ્દે, જે હિંદુત્વ રાજનીતિને આદ્ય સરસંઘચાલક હેડગોવારને અભિમત હશે, એની પૂંઠે જે કથિત ‘ધર્મ’ ચાલના છે તે તો 1925ની સંઘસ્થાપના પૂર્વે પણ પાછી પડતી રહી છે. 1920માં તિલકના અવસાન સાથે અને ગાંધી છવાઈ રહ્યાની પ્રતીતિ સાથે મુંજે અને હેડગેવાર અરવિંદને મળવા પોંડિચેરી ગયા હતા કે પાછા ફરો અને કૉંગ્રેસનું નેતૃત્વ કરો. અરવિંદે ઇન્કાર કર્યો હતો એની પૂંઠે એમને અભિન્ન યોગસાધનાની અગ્રતા તેમ ધર્મની સાંકડી વ્યાખ્યામાં નહીં સમાતી ભૂમિકા પણ હતી.

1965માં દીનદયાલ ઉપાધ્યાય થકી જનસંઘની ફિલસૂફીની રીતે એકાત્મ માનવ દર્શનની કોશિશ થઈ- એમાં રાષ્ટ્રની ચિતિ તરીકે ‘ધર્મ’નો નિર્દેશ છે. પણ તે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તમતની રીતે, ‘રિલિજિયન’ની રીતે નથી. વ્યાપક અર્થમાં છે. ધર્મને નામે સાવરકર-ગોળવલકરે રાષ્ટ્રની જે લગભગ સેમેટિક વ્યાખ્યા કરી એનાથી આ જુદી ભૂમિકા છે. જનસંઘે જનતા અવતાર પછી ભા.જ.પ. રૂપે પણ એકાત્મ માનવવાદને બંધારણમાં સ્થાન આપ્યું છે. વસ્તુત: દીનદયાલ થકી શરૂ થયેલી અને એમના એકાલમૃત્યુથી અવરુદ્ધ આ પ્રક્રિયા, બને કે, હિંદુત્વ વિચારધારાને બિલકુલ ઉલટાવી પણ નાખે. 

પંચોતેરે પદત્યાગ કરાવી શકાયો કે નહીં એવાં કૌતુકમાં ન પડતાં શતવર્ષીની સિદ્ધિઓ પરત્વ સમાદરપૂર્વક પાયાગત પુનર્વિચારનો આ અવસરપડકાર ખરું જોતાં તો છે. એનાં સેવાકાર્યો કે વિવેકાનંદ સ્મારક પ્રકારની પ્રવૃત્તિ પરત્વે સમાદરપૂર્વ પણ એટલું તો અવશ્ય કહેવું રહે છે. કાશ, સાવરકર, ગોળવલકર, દીનદયાલના વિચારપુંજને સાથે અને સામે મૂકી અંતરખોજપૂર્વકની કોઈ સંગીતિ કે વિમર્શ શક્ય બને!

Editor: nireekshak@gmail.com

Loading

સંઘની વિભાજનકારી વિચારધારા

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|2 October 2025

હેમન્તકુમાર શાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંગઠન તરીકે વિનાયક દામોદર સાવરકર અને તેના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની વિચારધારાને વરેલો છે. આ બંનેની વિચારધારામાં મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :

(૧) હિન્દુત્વ હિંદુ ધર્મથી અલગ છે. હિન્દુત્વમાં હિંદુ ધર્મનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મ માત્ર એક ધાર્મિક સિદ્ધાંત છે જ્યારે હિન્દુત્વ એ સાંસ્કૃતિક, રાજકીય અને રાષ્ટ્રીય ઓળખનો સિદ્ધાંત છે.

(૨) ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના કરવાનું ધ્યેય છે. હિંદુત્વ રાષ્ટ્રીયતાનો આધાર છે. ધર્મસત્તા અને રાજસત્તા બંને એક જ હોય. એટલે કે રાષ્ટ્રની અને રાજ્યની રચનાનો આધાર ધર્મ છે.  

(૩) માત્ર હિંદુઓ જ રાષ્ટ્રના નાગરિકો બની શકે અને તેમને જ બધા અધિકારો હોઈ શકે, બીજા કોઈ ધર્મના લોકોને કોઈ અધિકારો હોઈ શકે નહિ, બીજા ધર્મોના નાગરિકો દ્વિતીય કક્ષાના નાગરિકો બને. જૈન, બૌદ્ધ અને શીખ લોકો હિંદુ છે પણ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી હિંદુ નથી; એટલે તેઓ ‘હિંદુ રાષ્ટ્ર’ના નાગરિકો નથી. આમ, દેશના હાલના નાગરિકોને તે ‘અમે’ અને ‘તમે’માં વહેંચી નાખે છે.

(૪) હિંદુ સમાજનું જીવન જ રાષ્ટ્રજીવન છે. તે જ પૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે તેમ છે.

(૫) જેઓ હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યાની બહાર છે તેઓ માત્ર હિંદુ બનીને એટલે કે હિંદુ સાથે લગ્ન કરીને અથવા ભારતને પુણ્યભૂમિ બનાવીને અર્થાત્ હિંદુ ધર્મ અપનાવીને જ ભારતની નાગરિકતા મેળવી શકે. ભારતીયતાને નામે એક થવું નથી પણ હિંદુ ધર્મને નામે એક થવું છે.

(૬) ‘હિંદુ રાષ્ટ્ર’ માટે દરેક નાગરિકે ફના થવાનું છે; રાષ્ટ્ર પિતૃભૂમિ, છે, માતૃભૂમિ છે, પુણ્યભૂમિ છે અને તેને માટે વ્યક્તિએ બલિદાન આપવાનું છે. વ્યક્તિ મહત્ત્વની નથી, રાષ્ટ્ર મહત્ત્વનું છે. રાષ્ટ્રની ભક્તિ કરો, અને તેના નેતાની ભક્તિ કરો.   

(૭) ‘હિંદુ રાષ્ટ્ર’માં માત્ર હાલના ભારતનો સમાવેશ થતો નથી પણ બીજા અનેક દેશોનો સમાવેશ થાય છે અને તેમને ‘હિંદુ રાષ્ટ્ર’માં સમાવવાના છે.

(૮) દુનિયામાં માત્ર ભારત જ મહાન છે, હિંદુઓ જ મહાન, હિંદુઓ જ સર્વશ્રેષ્ઠ છે. દુનિયાના બીજા બધા લોકો કનિષ્ઠ કક્ષાના છે, તેમની સંસ્કૃતિ નિમ્ન કક્ષાની છે.   

(૯) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓની સમાનતા માટેનાં આંદોલનો અલગતાવાદી સભાનતા ઊભી કરે છે, ઈર્ષા અને સંઘર્ષ ઊભો કરે છે. તેમને વિશેષ રાહતો આપવી એ તેમને ગુલામ બનાવવા બરાબર છે.  

આ મુદ્દાઓને આધારે જોઈએ તો આ વિચારધારામાં –

(૧) સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, માનવ અધિકારો અને વ્યક્તિનું ગૌરવ જેવાં આધુનિક મૂલ્યોનો છેદ ઉડાડવામાં આવે છે. મનુષ્ય રાષ્ટ્ર માટે જ છે એમ કહીને તેમાં મનુષ્યનું બલિદાન માગવામાં આવે છે. વ્યક્તિ એક એકમ તરીકે મહત્ત્વની છે જ નહિ, દેશ જ મહત્ત્વનો છે. એમાં એમ ભૂલી જવામાં આવે છે કે ઐતિહાસિક રીતે મનુષ્યો દેશ બનાવે છે, દેશ મનુષ્યોને બનાવતો નથી.   

(૨) ભારત નામનું રાજ્ય ધર્મનિરપેક્ષ ન બને પણ હિંદુ ધર્મથી લિપ્ત બને તેવી તેમાં ઈચ્છા છે અને તેથી રાજ્યના અસ્તિત્વના સિદ્ધાંત તરીકે ધર્મનિરપેક્ષતાનો તેમાં છેદ ઉડાડવામાં આવે છે.

(૩) લોકશાહીને અત્યાર સુધીમાં શોધવામાં આવેલી એક સારામાં સારી રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવતી નથી. હિંદુ ભૂતકાળ ભવ્ય હતો તેમ કહીને રાજાશાહી શ્રેષ્ઠ રાજકીય પદ્ધતિ હતી તેમ પ્રસ્થાપિત કરવામાં આવે છે. રાજાશાહી એટલે આધુનિક યુગમાં તાનાશાહી.  

(૪) અન્ય ધર્મોના લોકો દ્વિતીય કક્ષાના નાગરિક બને એમ જ્યારે સમજવામાં આવે છે ત્યારે રાજ્ય નામના સંગઠનનો આધાર ધિક્કાર બને છે; લોકો વચ્ચેનો પારસ્પરિક પ્રેમ અને સદ્દભાવ નહિ.

(૫) ‘હિંદુ રાષ્ટ્ર’ની વિચારધારા રાજકીય વિસ્તારવાદી છે. તે અન્ય દેશોને તેની ભૌગોલિક સીમાઓમાં સમાવવા માગે છે, તે એમ કહીને કે ભૂતકાળમાં એટલી સીમાઓ હતી જ. એનો અર્થ એ છે કે અન્ય દેશો જો ‘હિંદુ રાષ્ટ્ર’માં આપમેળે, સ્વેચ્છાએ સામેલ ન થાય તો તેમની સાથે યુદ્ધો કરીને ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે.

(૬) અત્યારે જે ભારત છે તેમાં સદીઓથી બીજા લોકો આવ્યા અને રહ્યા અને તેમણે હાલનું ભારત બનાવવામાં ભજવેલી ભૂમિકાનો સદંતર ઇન્કાર છે. એમ સમજવામાં આવે છે કે એ બધાએ અહીંના લોકો પર ત્રાસ ગુજાર્યો, એટલે હવે એનો બદલો લેવાનો સમય છે. આ બદલો હિંસક પણ હોઈ શકે.

(૭) રાજ્યે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, મહિલાઓ જેવા વંચિત વર્ગોની કાળજી ન રાખવી જોઈએ એમ માનવામાં આવે છે. એટલે કે અસમાનતા અને અન્યાય કુદરતી છે અને રહેશે, માનવસર્જિત નથી એમ સમજવામાં આવ્યું છે.              

(૮) રાષ્ટ્રની ભક્તિ કરવાની છે, તેથી તેના નેતાની પણ ભક્તિ કરવાની છે. નેતા જે કંઈ કરે છે તે રાષ્ટ્ર માટે સારું જ કરે છે એમ સમજવાનું છે અને તેથી તેની સામે કોઈ સવાલ ઉઠાવવાનો નથી. જેઓ રાષ્ટ્રની અને તેના નેતાની ભક્તિ કરતા નથી તે બધા દેશદ્રોહીઓ છે. 

આ રીતે જોતાં એમ લાગે છે કે સંઘ જે વિચારધારાને વરેલો છે તે વ્યક્તિની સ્વતંત્રતાને અને વ્યક્તિઓ વચ્ચે પ્રવર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક અસમાનતાના નિવારણને મહત્ત્વ આપતી નથી, તે વ્યક્તિઓ વચ્ચે ધર્મને આધારે ભેદભાવ ઊભો કરે છે અને ધર્મને આધારે રાષ્ટ્રની રચના કરવા માગે છે કે જે ભારત જેવા દેશ માટે વિભાજનકારી સાબિત થાય છે.

(‘અભિયાન’ સામયિકના તંત્રીશ્રી તરુણ દત્તાણીના નિમંત્રણથી તેમાં પ્રકાશનાર્થે આ લેખ તા. ૨૭-૦૯-૨૦૨૫ના રોજ મોકલવામાં આવ્યો હતો.)

તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જુબિન ગર્ગ, ઈશ્વરનો અવાજ;  ઈશ્ક પે હાં, મિટા દૂં, લૂટા દૂં, મૈં અપની ખુદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 October 2025

રાજ ગોસ્વામી

નવી પેઢીના ફિલ્મ રસિકો જ્યારે અંતાક્ષરી રમતા હોય અને તેમાં તેમના ભાગે ‘ય’ અક્ષર આવે, તો તેમના મોઢે એક જ ગીત આવતું : યા અલી રહમ અલી, યા અલી … યાર પે કુર્બાન હૈ સભી, યા અલી મદદ અલી. હિન્દી સિનેમામાં દર દાયકાઓમાં એક એવું ગીત આવે છે, જે સદાબહાર બની જાય છે. 2006માં આવેલી ‘ગેંગસ્ટર : અ લવ સ્ટોરી’ ફિલ્મનું આ ‘યા અલી’ ગીત એવું જ એક શાનદાર ગીત હતું. 

તેને સ્વર આપનારો અસમિયા ગાયક જુબિન ગર્ગ રાતોરાત ભારતની યુવા પેઢીનો ગમતો સિંગર બની ગયો હતો. 19મી સપ્ટેમ્બરના રોજ, 52 વર્ષીય ગર્ગનું સિંગાપોરમાં અચાનક અવસાન થઇ ગયું.  જુબિન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ માટે સિંગાપોર ગયો હતો. તે સ્વીમિંગ પૂલમાં તરવા ગયો હતો ત્યાં તેને શ્વાસની તકલીફ થઇ હતી. તેને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તેણે શ્વાસ છોડી દીધા હતા.

જુબિન આસામમાં સુપરસ્ટાર હતો. તે એક બહુમુખી કલાકાર હતો અને આસામી ઉપરાંત, હિન્દી અને અન્ય ઘણી ભાષાઓમાં ઉત્તમ ગીતો ગાયાં હતાં. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને તેની ગાયકીના જોરે યુવાનીમાં તે પૂરા દેશમાં મશહૂર થઇ ગયો હતો. તેની લોકપ્રિયતા એ હકીકત પરથી જાણી શકાય છે કે તેના અવસાનથી વડા પ્રધાન મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને અનેક રાજકીય આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો. 

‘ગેંગસ્ટર’ ફિલ્મથી તેને બહુ નામના મળી હતી. મહેશ ભટ્ટ નિર્મિત અને અનુરાગ બસુ નિર્દેશિત ‘ગેંગસ્ટર’ ફિલ્મ તેની કહાની, કિરદાર અને સંગીત એમ ત્રણે બાબતો માટે જાણીતી છે. આ ફિલ્મે બોલીવુડને બે કલાકારોની ભેટ આપી; કંગના રાણાવત અને જુબિન ગર્ગ. 

તે વખતે મુંબઈના ગેંગસ્ટર અબુ સાલેમ અને બોલીવુડ સ્ટાર મોનિકા બેદીની પ્રેમ કહાની બહુ ચર્ચામાં હતી. મોનિકાએ ‘ફિલ્મફેર’ સામાયિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં સાલેમ સાથે વિતાવેલા રોમેન્ટિક સમય, પોર્ટુગલમાં તેની ધરપકડ અને પછી ભારતમાં તેના પ્રત્યાર્પણ અંગે વિસ્તારથી વાતો કરી હતી.

મહેશ ભટ્ટે તેના પરથી એક એવી બાર ડાન્સર સિમરન(કંગના)ની કહાની લખી હતી, જે તેના જીવનમાં મસીહા બનીને આવેલા ડોન દયા (શાઈની આહુઝા) સાથે સંસાર વસાવાનાં સપનાં જુવે છે, પરંતુ દયાનો આપરાધિક ભૂતકાળ તેનો પીછો નથી છોડતો એટલે તે ભાગતો ફરે છે અને સિમરન સિઓલમાં શરણ લે છે.

સિમરન સિઓલમાં શરાબમાં ડૂબી જઈને દિવસો પસાર કરે છે અને અચાનક તેના જીવનમાં આકાશ (ઇમરાન હાશમી) નામનો બાર સિંગર આવે છે. આકાશ સિમરનની સંભાળ લે છે અને ધીમે ધીમે ધીમે તેનું દિલ જીતી લે છે. એ જ વખતે દયા પાછો સિમરનના જીવનમાં આવે છે અને બધું ખેદાનમેદાન કરી નાખે છે. દયા આકાશ સાથે લડાઈ કરે છે એટલું જ નહીં, સિમરન માટે થઈને અપરાધની દુનિયા છોડવા પણ તૈયાર થાય છે. 

પણ બંનેના નસીબમાં બીજું જ લખાયેલું હતું : આકાશ વાસ્તવમાં ભારતીય સુરક્ષા એજન્સીનો એજન્ટ છે અને ઓળખ બદલીને સિમરનના જીવનમાં પ્રવેશ કરે છે જેથી ડોન દયા સુધી પહોંચી શકાય. તેના આ ઓપરેશનના પગલે દયાની ધરપકડ થાય છે. સિમરનને જ્યારે આ નાટકની ખબર પડે છે ત્યારે તે આકાશના ઘરમાં ઘુસીને તેને ગોળી મારે છે. બચાવમાં આકાશ પણ તેને ગોળી મારે છે. આકાશનું મોત થાય છે, જ્યારે સિમરનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અંતે, જે સમયે દયાને ફાંસી પર લટકાવામાં આવે છે, તે જ વખતે સિમરન હોસ્પિટલની છત પરથી કૂદીને જીવ આપી દે છે.

પ્રેમ અને પારિવારિક જીવન માટે તડપતી પણ સંજોગોની મારી વાઘણ બની ગયેલી સિમરનની ભૂમિકામાં કંગનાએ દિલ નીચોવી દીધું હતું. તે નવોદિત એક્ટ્રેસના મોટા ભાગમાં એવોડર્સ જીતી ગઈ હતી. સિમરનની ભૂમિકા માટે ચિત્રાંગદા સિંહનું નામ નક્કી હતું, પરંતુ કોઈ કારણસર તેને એમાં રસ નહોતો રહ્યો એટલે અનુરાગ બસુએ કંગનાને આ ભૂમિકા ઓફર કરી હતી.

જુબિન ગર્ગ સંગીતકાર પ્રીતમની શોધ હતો. ‘યા અલી રહમ અલી’ ગીત એ વખતે આવે છે જ્યારે સિમરન સાથે ભારત જતા રહેવા માટે દયા બનાવટી પાસપોર્ટ લેવા જાય છે અને ત્યાં તેના ક્રાઈમ બોસ ખાન(ગુલશન ગ્રોવર)નો સામનો થાય છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં દરગાહ પર જે યુવાન આ ગીત ગાય છે તે ખુદ જુબિન ગર્ગ જ છે. 

ગર્ગ ત્યારે કંગનાની જેમ જ મુંબઈમાં કામ માટે સંઘર્ષ કરતો હતો. તે પ્રીતમને પણ ત્યારથી ઓળખતો હતો જ્યારથી તે પણ સંગીતના ક્ષેત્રે સંઘર્ષ કરતો હતો. ગર્ગે પ્રીતમ માટે જાહેરખબરો માટે અમુક જિંગલ્સ ગાયાં હતાં. એટલે પ્રીતમ જ્યારે ‘ગેંગસ્ટર’નું સંગીત તૈયાર કરતા હતા, ત્યારે તેમણે આ સૂફી ગીત માટે ગર્ગની પસંદગી કરી હતી. ફિલ્મમાં અન્ય બે ગીતો ‘ભીગી ભીગી’ અને ‘તું હી મેરી શબ હૈ’ પણ એટલાં જ સુંદર અને લોકપ્રિય થયાં હતાં.

ફિલ્મ રોમેન્ટિક થ્રિલર હતી, પરંતુ તેની વાર્તાનો મુખ્ય સાર એ હતો કે અપરાધથી કોઈનું કલ્યાણ થતું નથી. આ ફિલ્મના ત્રણે મુખ્ય પાત્રો, સિમરન, દયા અને આકાશ, તેમના સમય-સંજોગોનાં એવા શિકાર બની ગયા હતા કે અંતે જીવનથી હાથ ધોઈ બેસે છે. મહેશ ભટ્ટે બહુ રસપ્રદ રીતે વાર્તાના તાણાવાણા ગૂંથ્યા હતા અને અનુરાગ બસુએ પૂરી સંવેદના સાથે તેને પડદા પર ઉતારી હતી.

માણસનો અતીત તેને ક્યારે ય છોડતો નથી. જીવન એક ચક્ર છે અને તે પૂરું ફરે છે. જે માણસ, દયા, જીવનથી હાર્યો નહોતો તે એક સ્ત્રીના વિશ્વાસઘાતથી તૂટી ગયો હતો. એક સ્ત્રી, સિમરન, જેણે દયા માટે દુનિયા છોડી દીધી, પરંતુ તેની સાથે ઘર વસાવી શકી નહોતી અને એક વિશ્વાસઘાતી પુરુષ, આકાશનો શિકાર બની હતી. 

આ ફિલ્મ પ્રેમ, વિશ્વાસઘાત અને મુક્તિમાં ગૂંચવાયેલા ત્રણ જીવનની વાર્તા કહે છે. મહેશ ભટ્ટમાં પ્રેમ અને બેવફાઈની વાર્તાઓ ખૂબ જ સુંદર રીતે કહેવાની આવડત છે. અને તેમાં ય સ્ત્રીઓની નજરે તે બંને ભાવને જોવાની તેમની ક્ષમતા એટલી વિશેષ છે કે પુરુષ દર્શકોને પણ એક નવો ભાવનાત્મક દૃષ્ટિકોણ મળે છે. અને કંગના તેની આ પહેલી હિન્દી ફિલ્મમાં અદ્ભુત રીતે આ જવાબદારી નિભાવી હતી.

જુબિન ગર્ગના પેલા ગીતમાં મયૂર પુરીએ ઉચિત રીતે જ લખ્યું હતું :

ઈશ્ક પે હાં, મિટા દૂં, લૂટા દૂં, મૈં અપની ખુદી

યાર પે હાં, લૂટા દૂં, મિટા દૂં, મૈં યે હસ્તી

મહેશ ભટ્ટે કંગનાને શોધવા બદલ અનુરાગ બસુની પ્રશંસા કરતાં એકવાર કહ્યું હતું, “ફિલ્મનો સૌથી મોટો ચમત્કાર કંગના હતી – તે પ્રકૃતિની જંગલી, અદમ્ય શક્તિ જેવી હતી. પહેલી જ ફિલ્મમાં તે ફીનિક્ષ પક્ષીની જેમ ઉભરી હતી અને ગેંગસ્ટરને ઉડવા માટે પાંખો આપી હતી.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 01 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...76777879...90100110...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved