Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝાંસી કી રાની : સોહરાબ મોદીનું એક ઐતિહાસિક રંગીન સપનું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 April 2024

રાજ ગોસ્વામી

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં, મહિલા સેનાનીઓની વાત આવે ત્યારે, સૌથી પહેલું અને સૌથી ઉપર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ આવે છે. લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તે નાનપણમાં ઘોડેસવારી, હાથી ઉપર સવારી, તલવારબાજી, તીરંદાજી તથા બંદૂકનો ઉપયોગ કરતાં શીખી હતી. તેનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયો, અને તે રીતે તે ઝાંસીની રાણી બની હતી.

1857ના બળવા વખતે, ઝાંસીને બચાવવા માટે લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે જે લડત આપી હતી  તેના અનેક સાહસિક કિસ્સાઓથી ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. ઝાંસીની રાણી અનેક કથાઓ, કવિતાઓ, ગીતો, નાટકો, ટી.વી. સિરિયલો અને ફિલ્મોનો વિષય બની છે.

લક્ષ્મીબાઈની શૌર્ય ગાથા પર પહેલી ફિલ્મ સોહરાબ મોદીની ‘ઝાંસી કી રાની’ હતી, જે 1953માં આવી હતી. આજે મોટા બજેટની, તોતિંગ એક્શન ફિલ્મો જોઇને કોઈને એવું લાગે કે પહેલાં આવી ફિલ્મો બનતી નહીં હોય, પણ સોહરાબ મોદી એક એવા નિર્માતા, નિર્દેશક અને એકટર હતા જે 50ના દાયકામાં, ટાંચા સાધનો અને બજેટ વચ્ચે, લાર્જર ધેન લાઈફ ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા.

મુંબઈમાં પારસી થિયેટરમાં અભિનયથી શરૂઆત કરનાર મોદીએ 1935માં થિયેટરની કળાને લુપ્ત થતી બચાવવા માટે, 1935માં સ્ટેજ કંપની સ્થાપી હતી. તેની પહેલી બંને ફિલ્મો, ખૂન કા ખૂન અને સઈદ-એ-હવસ, શેક્સપીયરના નાટકો, હેમ્લેટ અને કિંગ જોહ્ન, પર આધારિત હતી (ખૂન કા ખૂન સાયરા બાનુનાં માતા નસીમ બાનુની પહેલી ફિલ્મ). 

1936માં, તેમણે મિનરવા મૂવીટોન નામની ફિલ્મ કંપની શરૂ કરી હતી. આ કંપનીની ત્રણ ફિલ્મો, પૂકાર, સિકંદર અને પૃથ્વી વલ્લભ (લેખક; કનૈયાલાલ મુન્શી) ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર જેમાં એલેકઝાન્ડર બન્યા હતા તે ‘સિકંદર’ મોદીની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. 

પંદર વર્ષ સુધી મિનરવા મૂવીટોનના નેજા હેઠળ એક પછી એક નવીનતમ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો આપ્યા પછી, સોહારાબ મોદીએ બદલાતી જતી ફિલ્મ તકનીકની સાથે કદમ મિલાવવા માટે, 1953માં, ભારતને પહેલી ટેકનિકલર ફિલ્મ આપી હતી અને તે હતી ‘ઝાંસી કી રાની.’ ટેકનિકલર એટલે ફિલ્મોને રંગીન બનાવવાની એક એવી પ્રકિયા, જેમાં ફિલ્મને રોકોર્ડ કર્યા પછી કલર સ્ટ્રીપ્સ વડે તેને રંગીન કરવામાં આવે.

તે સમયે ઉપલબ્ધ આ ટેકનિક સૌથી પ્રતિષ્ઠિત તો હતી જ, ખર્ચાળ પણ હતી. તેના ઉપયોગથી, ‘ઝાંસી કી રાની’ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક સાંસ્કૃતિક સીમાચિહ્ન બની ગઈ હતી. અમેરિકાના જગપ્રસિદ્ધ અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે’ તે અંગે લખ્યું હતું, “ભારતમાંથી આવેલું આ શ્રેષ્ઠ પ્રોડક્શન વૈશ્વિક વિતરણ માટે સક્ષમ છે.” ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ત્યારે લખ્યું હતું, “આ ફિલ્મ માત્ર રંગીન ફિલ્મોના નવા યુગની શરૂઆત કરે છે એટલું જ નહીં, ભારતને વિશ્વના શો બિઝનેસના નકશામાં મૂકીને તે આવતીકાલનાં મોશન પિક્ચર્સ માટે પણ માર્ગ મોકળો કરે છે.”

તેની વૈશ્વિક અપીલને વધારવા માટે, સોહરાબ મોદીએ ફિલ્મને બે આવૃત્તિઓમાં રજૂ કરી હતી, એક હિન્દીમાં અને બીજી અંગ્રેજીમાં, જે ‘ધ ટાઇગર એન્ડ ધ ફ્લેમ’ નામથી 1955માં રિલીઝ થઇ હતી. દુર્ભાગ્યે, ‘ઝાંસી કી રાની’ને કલરમાં જોવા માટે માત્ર અંગ્રેજી આવૃત્તિ જ ઉપલબ્ધ છે કારણ કે તેની હિન્દી રંગીન નકલ અસ્તિત્વમાં નથી. ડી.વી.ડી. અને વીડિયો પર માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ જોવા મળે છે. 

તેઓ 1942થી ‘ઝાંસીની રાની’ બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ તેમની પાસે પૈસા કે ટેકનિક નહોતી. સોહરાબ મોદીના પુત્ર મહેલી મોદીએ ‘સ્ક્રોલ’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારા પિતા ઘણાં વર્ષોથી આ ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. એ જમાનામાં તે એક કરોડની આસપાસના ખર્ચે બની હતી. ભારતમાં દરેક લોકોએ આ ફિલ્મ જોઈ હોત તો પણ તેમને ખર્ચો પાછો મળ્યો ના હોત. એનું કારણ ટેકનિકલરની ટેકનિક હતી. એ વખતે હોલિવૂડમાં ગોન વિથ ધ વિન્ડ અને અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ આ ટેકનોલોજીથી બની હતી.”

ફિલ્મ પર 1947માં જ કામ શરૂ થઇ ગયું હતું. અંગ્રેજો ભારત છોડીને ગયા હતા અને લક્ષ્મીબાઈ તેમની સામે જ લડી હતી. એટલે ફિલ્મમાં સચ્ચાઈનો રણકો લાવવા માટે મોદીએ તેમના સહાયકોને ઝાંસી, ગ્વાલિયર, સાગર, કાલપી, ચંદેરી અને મેરઠ સહિત અન્ય સ્થળોની મુલાકાતે મોકલ્યા હતા. ત્યાંના હજારો ફોટા પાડવામાં આવ્યા હતા અને વિગતોની હજારો નોંધ લખવામાં આવી હતી. લક્ષ્મીબાઈના જીવનને અધિકૃત રીતે બતાવવા માટે સિત્તેર જેટલાં ઐતિહાસિક લખાણો વાંચવામાં આવ્યાં હતાં.

18 જાન્યુઆરી, 1951ના રોજ ફિલ્મનું શૂટ શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મના વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કે.એમ. કરિઅપ્પાએ મૂહર્ત શોટ આપ્યો હતો. સોહરાબ મોદીએ શરૂઆતમાં લગભગ 5,000 ફૂટની ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ શૂટ કરી હતી, પરંતુ રંગબેરંગી પોશાક અને લક્ષ્મીબાઈના સમયની ભવ્યતાને જોતાં તેમણે ફિલ્મને ટેકનિકલરમાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મમાં, સોહરાબ મોદીએ એક એવા રાજગુરુની ભૂમિકા કરી હતી, જે ઝાંસી રાજ્યને ઇતિહાસમાં ઉચિત સ્થાન આપવા પ્રયત્નશીલ છે. તેમને એક અકસ્માતમાં મનુ નામની એક નાનકડી છોકરીનો ભેટો થાય છે, જે બહાદુરીપૂર્વક અંગ્રેજ ડ્રાઈવરની સામે થઇ જાય છે. રાજગુરુને મનુમાં એક દિલેર શાસક નજર આવે છે. તે મનુને પોતાની છત્રછાયામાં લે છે અને નવ વર્ષની ઉંમરે તેને, ઝાંસીના સૌથી મોટા શાસક, લગભગ પચાસ વર્ષના ગંગાધર રાવ (મુબારક) સાથે લગ્ન કરાવીને રાણી બનાવે છે. 

મનુ રાજગુરુના શિક્ષણ હેઠળ મોટી થાય છે. તે શારીરિક દાવપેચ અને રાજકીય વહીવટ શીખે છે. મોટી થયેલી મનુ, જેને હવે લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે, એક પુત્રને જન્મ આપે છે જે મૃત્યુ પામે છે. લક્ષ્મીબાઈ અન્ય એક છોકરા, દામોદર રાવને દત્તક લે છે. અંગ્રેજો તેને ઝાંસીના વારસદાર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરે છે. તેનાથી લક્ષ્મીબાઈને અંગ્રેજો સામે શૂરાતન ચઢે છે અને 1857ના બળવા દરમિયાન તે તેમની સામે લડે છે અને અંતે શહીદી વહોરે છે.

લક્ષ્મીની ભૂમિકા તે વખતની જાણીતી એક્ટ્રેસ મેહતાબે કરી હતી. ૩૫ વર્ષની ઉંમરે મહેતાબે ઝાંસી એનાથી અડધી ઉંમરની રાણી લક્ષ્મીબાઈનો રોલ નિભાવ્યો હતો. મહેતાબ સોહરાબ મોદીની પત્ની પણ હતી. તે સુરત પાસેના સચિન શહેરના નવાબ સીદી ઈબ્રાહીમ મોહમ્મદ યાકુત ખાનની દીકરી હતી. તેનું મૂળ નામ નજમા હતું અને મુંબઈ આવીને મહેતાબ બની ગઈ હતી. 

મેહતાબે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સોહરાબ મોદીના પારસી પરિવારને તેમનાં લગ્ન મંજૂર નહોતાં. મેહતાબના આ બીજાં લગ્ન હતાં. અગાઉ, તેના સહ-કલાકાર અશરફ ખાન સાથેનાં લગ્નથી તેને આઠ વર્ષનો પુત્ર ઇસ્માઇલ હતો. મોદી સાથે લગ્ન કરવા માટે તેની શરત હતી કે તેનો પુત્ર ઇસ્માઇલ તેમની સાથે રહેશે. સોહરાબ મોદીથી તેને મેહલી નામનો પુત્ર થયો હતો.

મેહલી પેલા ઇન્ટરવ્યૂમાં કહે છે, ફિલ્મના શુટિંગ દરમિયાન મારી માતા બે વર્ષ સુધી છાવણીઓમાં રહી હતી. એ ઘરે આવે ત્યારે તેના પર લોહીના ડાઘા જોઇને હું ગભરાઈ જતો. 

એક ડોક્યુમેન્ટરીમાં, મોદી કહે છે, “જ્યારે હું શાળામાં હતો, ત્યારે મને ઇતિહાસ ભણવાનો ગમતો નહોતો. હું ફિલ્મ નિર્માણમાં આવ્યો ત્યારે મેં ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને ત્યારે ખબર પડી કે આપણો ઇતિહાસ સમૃદ્ધ છે. મને થયું કે આપણા અતીતને સમજાવવા અને ભવિષ્યની રૂપરેખા બનાવવા માટે લોકોને ઇતિહાસ બતાવવો જોઈએ.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અર્થશાસ્ત્રીઓ સ્થાપિત હિતોને ગમે તેવું સંશોધન કરે છે!

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|14 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ – ૬

રોબર્ટ સ્કિદેલસ્કી

જ્હોન મેનાર્ડ કેઇન્સ તેમના વિખ્યાત પુસ્તક ‘જનરલ થિયરી’માં છેલ્લે એમ લખે છે કે “અર્થશાસ્ત્રીઓ અને રાજકીય ચિંતકોના વિચારો સાચા હોય કે ખોટા હોય, બંને વખતે, સામાન્ય રીતે સમજવામાં આવે છે તેના કરતાં વધુ શક્તિશાળી હોય છે. ખરેખર, જગત ઉપર બીજાઓ બહુ ઓછું શાસન કરે છે ….. મને ખાતરી છે કે સ્થાપિત હિતોની તાકાત વિશે વિચારો પર થતા ધીમા દબાણની તુલનાએ ભારે અતિશયોક્તિ કરવામાં આવે છે.”

કેઇન્સ માત્ર વિચારો અને સ્થાપિત હિતો વચ્ચે ભેદ પાડે છે એવું નથી પણ તેઓ એમ ભારપૂર્વક કહે છે કે આવાં સ્થાપિત હિતો કરતાં વિચારો સ્વતંત્ર હોય છે. કેઇન્સ દ્વારા એનો ઇન્કાર ન થયો હોત કે વિચારો સત્તાનું સ્રોત હોય છે. પરંતુ તેઓ આ હિત વિનાની સત્તાને વધુ નિશ્ચિત રીતે તો સત્તાધિકાર(authority)નું સ્રોત કહે. વર્ગીય હિતોથી અર્થશાસ્ત્ર સ્વતંત્ર છે એને માટે મુખ્ય દલીલ એવી કરવામાં આવે છે કે આર્થિક વિચારો વિદ્વાનોની પેદાશ હોય છે અને બિઝનેસ લોબીની નહિ.

શુદ્ધ સંશોધનને ઘણા લાંબા સમયથી એક સ્વતંત્ર બૌદ્ધિક પ્રયાસ તરીકે માન્યતા મળી છે. તેનું ચિહ્ન છે અ-હિતપણું (disinterestedness) અને તેનો હેતુ છે સત્યની શોધ. વિદ્વાનોનું વિશિષ્ટ હિત એ છે કે તેઓ તેમની તપાસમાં કે પછી તેનાં પરિણામોમાં સીધી રીતે સામેલ ન થાય.

હેમન્તકુમાર શાહ

એક વધુ દલીલ કેઇન્સના સંદર્ભ સાથે એવી પણ થઈ શકે કે અર્થશાસ્ત્રનો એજન્ડા અર્થશાસ્ત્રીઓ દ્વારા નક્કી થાય છે અને સ્થાપિત હિતો દ્વારા નહિ. તેના મુખ્ય વિચારો કોઈ પણ રીતે સત્તાના દાસ હોતા નથી. આપણે દલીલ કરીએ છીએ તે પ્રમાણે આર્થિક સિદ્ધાંત તેની વિભાવનાઓમાં, પદ્ધતિઓમાં અને ભાષામાં સમગ્ર કાળ દરમ્યાન સ્થિરતા જાળવે છે. એ જ વૈચારિક માળખામાં પરિવર્તન (paradigm shift) આવ્યું હોય એવા વિચારને એ લાગુ પાડવાનું મુશ્કેલ બનાવે છે. 

એ વાત સાચી કે આર્થિક સિદ્ધાંત પર પરિસ્થિતિઓનો પ્રભાવ પડતો હોય છે. તેને લીધે જ્હોન હિક્સ (૧૯૦૪-૧૯૮૯) જેને “ધ્યાન કેન્દ્રિતા” કહે છે તે પેદા થાય છે. ૧૯૩૦ના દાયકામાં બેકારીનો જે સતત અનુભવ થયો તેને પરિણામે કેઇન્સની ક્રાંતિ આવી અને ૧૯૭૦ના દાયકામાં ફુગાવાનો અનુભવ થયો એટલે નાણાંવાદ જન્મ્યો. 

આ હકીકતોનું સૈદ્ધાંતિક અર્થઘટન થાય તેને સ્થાપિત હિતો સાથે કંઈ જોડી દઈ શકાય નહિ. પરંતુ આપણે વિચારો સત્તાથી સ્વતંત્ર રીતે જન્મે છે એમ સ્વીકારીએ તો પણ શું તે વિચારોને સ્થાપિત હિતોથી સ્વતંત્ર બનાવે છે ખરા?

જોન રોબિન્સન કહે છે કે, “અર્થશાસ્ત્ર પોતે હંમેશાં થોડુંક દરેક સમયગાળાની શાસક વિચારધારાનું વાહન રહ્યું છે, અને થોડુંક વૈજ્ઞાનિક તપાસની પદ્ધતિ રહ્યું છે.” તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે વિદ્વાનોના કેટલાક વિચારો સ્વીકાર્ય બને છે અને કેટલાકને છેવાડે મૂકી દેવામાં આવે છે. જગત પર વિચારો શાસન કરતા હોઈ શકે છે; પરંતુ તેનો અર્થ એ નથી કે જગત પર માત્ર વિચારો જ શાસન કરે છે. આપણે હજુ પણ એ પ્રશ્ન પૂછવાની જરૂર રહે છે કે શા માટે કેટલાક વિચારોને પગ મળે છે અને કેટલાક વિચારો તૂટી જાય છે.

પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જીવશાસ્ત્ર કરતાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં તેનો જવાબ એ મળે છે કે તે બંને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ગુણવત્તા ધરાવે છે. એને કારણે જ પ્રશિષ્ટ ભૌતિકશાસ્ત્રને બદલે કવોન્ટમ ભૌતિકશાસ્ત્ર આવ્યું. વાસ્તવિકતા બદલાતી નથી, પણ સિદ્ધાંત બદલાય છે કે જે વાસ્તવિકતા વિશેની આપણી સમજ સુધારે છે.

સમાજવિજ્ઞાનોમાં આ બાબત ઘણી ઓછી સાચી છે. પ્રાકૃતિક જગત વિશેના વ્યક્તિના અવલોકનોમાં પ્રાકૃતિક જગત પોતે કશી દખલગીરી કરતું નથી, પણ સામાજિક જગત કરે છે. તેમાં કોઈ પણ બાબતની પરિવર્તનશીલતાનો અભ્યાસ કરવામાં આવે છે કે જે સમાજવિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કરતાં જુદાં પાડે છે. પરિણામે, સમાજવિજ્ઞાનોમાં જે બાબત રજૂ કરવામાં આવે તે સાર્વત્રિક રીતે લાગુ ન પડે. એ માપદંડ એમાં હોય જ નહિ. તેની બાબતોનું ભાગ્યે જ સફળતાપૂર્વક સમર્થન થઈ શકે અથવા તો તેમને ખોટી સાબિત કરી શકાય. એ કદાચ, બહુ ટૂંકા ગાળા માટે કરી શકાય. 

આ બાબત એમ દર્શાવે છે કે ભૌતિકશાસ્ત્રમાં છે તેના કરતાં ઘણા વધુ પ્રમાણમાં અર્થશાસ્ત્રમાં સંશોધનનો પોતાનો એજન્ડા હોય છે. તે આંશિક રીતે બિન-વૈજ્ઞાનિક હિતોનું પ્રતિબિંબ પાડે છે. તેથી એમ પૂછવું પ્રસ્તુત થઈ પડે છે કે : 

(૧) નવા આર્થિક વિચારો જે સંસ્થાઓમાંથી આવે છે તે સંસ્થાઓને પૈસા કોણ આપે છે? 

(૨) મીડિયા વગેરેમાં એ નવા વિચારોને લોકપ્રિય સ્વરૂપે ફેલાવે છે કોણ અને તેના પૈસા ક્યાંથી આવે છે?

(૩) જે સમાજમાં ચર્ચા કરવાની સ્વતંત્રતા છે તે સમાજમાં પણ વિચારો ઉત્પન્ન કોણ કરે છે, ફેલાવે છે કોણ અને તેમને લોકપ્રિય બનાવે છે કોણ અને તેને માટે તેમને કયાં પ્રોત્સાહનો મળે છે? 

આર્થિક સંશોધનો માટેના પૈસા મુખ્યત્વે સરકારો અને ઉદ્યોગપતિઓ આપે છે. દલીલ કરવા ખાતર આપણે એમ ધારી લઈએ કે, સરકાર તો લોકોના ભલામાં જ રસ ધરાવે છે. સરકાર તો લોકોના કલ્યાણમાં વધારો કરવા માટે જ આર્થિક જ્ઞાનના ઉત્પાદન માટે નાણાં આપે છે. તે સીધી રીતે સંશોધનની વિગતોમાં દખલગીરી કરતી નથી એમ પણ ધારી લઈએ. 

પરંતુ ઉદ્યોગપતિઓ માટે આવું કહી શકાય નહિ. ધંધો એ કેઇન્સ કહે છે તેમ વિશિષ્ટ સ્થાપિત હિત છે. અને ઘણુંબધું અર્થશાસ્ત્ર ધંધાદારીઓ દ્વારા નાણાં મેળવે છે. બેંકોના વિશ્લેષકો, નાણાકીય બાબતોના પત્રકારો વગેરે જેવા લોકો તેમાં ભારે પ્રભાવ ધરાવે છે. તેઓ બધા મુક્ત બજારની રૂઢિવાદી વિચારધારાના પ્રચારક હોય છે. અને વિદ્યાજગતના અર્થશાસ્ત્રીઓ પણ કન્સલ્ટન્સીને નામે આકર્ષક ધંધો કરતા હોય છે. અર્થશાસ્ત્રમાં નાણાં પ્રાપ્તિ માટેનું માળખું ઇતિહાસ કે સમાજશાસ્ત્ર જેવું નથી, પણ વધારે તો ઇજનેરી અથવા ઔષધવિદ્યા જેવું છે. 

અર્થશાસ્ત્ર એક માત્ર એવું સમાજવિજ્ઞાન છે કે જેમાં નોબેલ ઇનામ આપવામાં આવે છે. એટલે કે તેને પ્રાકૃતિક વિજ્ઞાનોની સમકક્ષ મૂકી દેવામાં આવ્યું છે. એક વાસ્તવિક વિજ્ઞાન માટે આ અંતિમ કક્ષાની ચડતી કહેવાય. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર માટે નોબેલ ઈનામ આપવામાં આવતું જ નથી. એને માટેના પૈસા સ્વિડનની સેન્ટ્રલ બેંક આપે છે અને તે કંઈ કોઈ તટસ્થ ટેક્નિકલ સંસ્થા નથી. બધી સેન્ટ્રલ બેંકોનું પણ એમ જ છે. એટલે આપણે એમ પૂછી શકીએ કે : આર્થિક સંશોધન માટે નાણાં આપવામાં ઉદ્યોગપતિઓનું કયું હિત સમાયેલું છે?

સ્રોત : 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

૧૯૪૭માં સર સિરિલ જ્હોન રેડક્લિફે ભારતમાં પૂર્વે અને પશ્ચિમે લાઈન ખેંચી અને દેશપ્રેમ પુન:રેખાંકિત થઈ ગયો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2024

રમેશ ઓઝા

દેશ વિષે કોઈ પાયાની જાણકારી ન હોય, કોઈ સમજ ન હોય, જાણવાની કે દેશને સમજવાની તસ્દી પણ લીધી ન હોય, એવા લોકો પણ દેશપ્રેમી બની શકે છે. આવું બની રહ્યું છે એટલે સવાલ થાય કે આમ કેમ બનતું હશે? આ તો એવી વાત થઈ કે બોક્સમાં શું છે એ જાણ્યા વિના અને જાણવાની તસ્દી લીધા વિના બોક્સને પ્રેમ કરે! અને પ્રેમ પણ પાછો કેવો? ઝનૂની. બોક્સ સામે બૂરી નજર પણ કરી છે તો આવી બન્યું. આમ કેમ બનતું હશે?

૧૯૪૭માં સર સિરિલ જ્હોન રેડક્લિફે ભારતમાં પૂર્વે અને પશ્ચિમે લાઈન ખેંચી અને દેશપ્રેમ પુન:રેખાંકિત થઈ ગયો. ૧૯૩૫માં બલુચિસ્તાનમાં આવેલા ક્વેટા નામના શહેરમાં ભૂકંપ થયો ત્યારે હિંદુઓ સહિત આખા દેશના લોકોએ દુ:ખ અનુભવ્યું હતું, મદદ પહોંચાડી હતી, પણ એ જ ક્વેટામાં આજે જો કોઈ દુર્ઘટના બને (અને આઝાદી પછી પાકિસ્તાનમાં ગમખ્વાર ઘટનાઓ બની પણ છે) તો આપણને કોઈ અસર થતી નથી. એમ લાગે છે કે સર રેડક્લિફે માત્ર જમીન પર રેખા નહોતી ખેંચી, માનવીના હૃદય પર પણ રેખા ખેંચી હતી. સમુદ્રમાં ઓટનાં પાણી પાછાં જાય એમ હમદર્દી પણ રેખાની આ બાજુએ આવીને અટકી જાય.

આમ કેમ બનતું હશે? માણસ નકશાને પ્રેમ કરે છે કે દેશને? નકશાની રેખાઓ લાગણીઓને પ્રભાવિત કરે? વિચિત્ર લાગે છે, પણ આવું બની રહ્યું છે. રાષ્ટ્રવાદનાં મુખ્ય બે અંગો છે. એક આંતરિક અને એક બાહ્ય. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજાની ભાષા, ધર્મ અને તેની સંસ્કૃતિ એ આંતરિક અંગો છે અને નકશો, ધ્વજ, રાષ્ટ્રગીત એ તેનાં બાહ્ય અંગો છે. આમાં બાહ્ય કલેવર સાથે પ્રેમ કરવો સહેલો છે. એટલે કેટલાક લોકો ધ્વજ જોઇને અને રાષ્ટ્રગીત સાંભળીને ગળગળા થઈ જતા હોય છે. આવા લોકોની લાગણીઓને અને તેમનાં વર્તનને નકશાઓ પ્રભાવિત કરે છે. હું પણ એક સમયે (૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ની ત્રણ લડાઈ ઉપરાઉપર થઈ હતી અને ત્યારે મારી કિશોરાવસ્થા હતી) રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જોઇને ગદગદિત થતો હતો અને નકશાના દેશને પ્રેમ કરતો હતો, પણ પછી સમજાયું કે હું તો બોક્સના પ્રેમમાં છું, બોક્સની અંદર શું છે એ તો હું જાણતો જ નથી. મેં બોક્સ ઊઘાડવા ‘ભૂમિપુત્ર’, ‘કોડિયું’, ‘વિશ્વમાનવ’, ‘સંસ્કૃતિ’ વગેરે સામયિકો વાંચવાનું શરૂ કર્યું અને બોક્સની અંદરથી જે બહાર આવ્યું એણે મારી આંખ ઊઘાડી. મારો અનુભવ એમ કહે છે કે જો તમે બોક્સ ખોલશો તો તમારી આંખ પણ ખુલશે.

બોક્સમાંથી જે ભારત વિશેના જે સત્યો બહાર આવ્યાં એમાં એક સત્ય એ હતું કે અત્યારે ભારતના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે કે પછી અખંડ ભારતના નકશામાં જે ભારત બતાવવામાં આવે છે કે હજુ આગળ વધીને હિન્દુત્વવાદીઓના નકશામાં જેવડું ભારત બતાવવામાં આવે છે એવડું ભારત ભારતના રાજકીય ઇતિહાસમાં ક્યારે ય (જી હાં, ક્યારે ય) હતું જ નહીં. એનાથી અડધું પણ અસ્તિત્વ નહોતું ધરાવતું. આઝાદી પહેલાનાં અવિભાજિત ભારતની વહીવટી રચના અંગ્રેજોએ કરી હતી અને તેમાં પણ રિયાસતોના પ્રદેશનો તો સમાવેશ નહોતો થતો. તો પછી હિન્દુત્વવાદીઓએ તેમની કલ્પનાના ભારતની રચના આટલી પહોળી શેના આધારે કરી? અંગ્રેજોએ રચેલું અવિભાજિત ભારત તો ખરું જ, પણ તે ઉપરાંત અફઘાનિસ્તાન, નેપાળ, બર્મા અને શ્રીલંકાનો તેમની કલ્પનાના ભારતમાં સમાવેશ થાય છે. જવાબ છે, સાંસ્કૃતિક પ્રભાવ. આટલા પ્રદેશ પર હિંદુઓનો સાંસ્કૃતિક પ્રભાવ છે.

વળી વિદ્વાનોની આંગળી પકડીને શોધખોળ કરી કે આ સંસ્કૃતિ શું છે? જવાબ મળ્યો કે સંસ્કૃતિ એક સતત બદલાતી રહેતી જીવંત ચીજ છે. જેમ શરીરમાં કોશો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે એમ સંસ્કૃતિ પણ જીવંત શરીર જેવી છે. એની કોઈ સીમા નથી અને એ હવામાં ઊડીને એકથી બીજી જગ્યાએ જતી નથી. માનવી દ્વારા તે એકથી બીજી જગ્યાએ પહોંચે છે. અને જો માનવી દ્વારા સંસ્કૃતિ એકથી બીજી જગ્યાએ પહોંચતી હોય તો દેખીતી વાત છે કે માનવી દ્વારા બીજી સંસ્કૃતિઓ આવતી પણ હશે. ભારતમાં આવી પણ હશે. અભ્યાસ કરતાં ખબર પડી જેમ ભારતની સંસ્કૃતિ અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયા સુધી પહોંચી છે તો બીજા દેશોની સંસ્કૃતિ ત્યાંના માનવીઓના ભારત આગમન દ્વારા ભારતમાં આવી છે. અને સંસ્કૃતિનો બીજો એક સ્વભાવ ધ્યાનમાં આવ્યો કે તેને અપનાવતા કે છોડવામાં કોઈ હીચક થતી નથી. તે સહેલાઇથી સામજિક પરિવેશ મુજબ બદલાતી રહે છે. આનો અર્થ એ થયો કે હિંદુ સંસ્કૃતિ જેવી કોઈ ચીજ જ અસ્તિત્વ નથી ધરાવતી, જે સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ એ ભારતીય છે અને તે મિલીજુલી છે.

એક વાર મેં આપણા મહામહોપાધ્યાય કે. કા. શાસ્ત્રી(જેઓ હિન્દુત્વવાદી હતા અને વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત એકમના અધ્યક્ષ હતા)ને પૂછ્યું હતું કે તમે તો વૈષ્ણવ છો, છપ્પનભોગમાં જે ૫૬ મીઠાઈઓ ધરવામાં આવે છે એમાંથી વિદેશથી આવેલી મીઠાઈઓ કેટલી? તેમણ કહ્યું હતું કે અડધા કરતાં વધુ. કઈ મીઠાઈ ક્યાંથી આવી છે એ પણ તેમણે કહ્યું હતું. મ્લેચ્છોએ બનાવેલી મીઠાઈ હવેલી સુધી પહોંચી જાય એનું નામ સંસ્કૃતિ. સંસ્કૃતિને પગ અને પાંખ બન્ને હોય છે અને તેનું કાયમી ઘર પણ હોય છે. કહેવાતી હિંદુ સંસ્કૃતિનું ભારત એ કાયમી નિવાસસ્થાન છે, પણ એ શુદ્ધ રૂપમાં હિંદુ નથી. એણે ખૂબ વિચરણ કર્યું છે, ખૂબ આપ્યું છે અને લીધું છે. હમણાં કહ્યું એમ મ્લેચ્છોની મીઠાઈને હવેલી સુધી પહોંચાડી છે. ટૂંકમાં લેવડદેવડ સંસ્કૃતિઓને સમૃદ્ધ બનાવે છે.

બોક્સ ઊઘાડ્યું તો એ પણ જાણવા મળ્યું કે ભારતમાં જેટલી વિવિધતા છે એટલી જગતના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ ભારતની ભૂમિ છે. એ સમશીતોષ્ણ છે એટલે જીવન આકરું નથી, પરિણામે વિવિધ પ્રજાઓને આકર્ષે છે. હાડમારી કોઈને ગમે? જ્યાં જીવન આસાન હોય ત્યાં માણસ જવાનો છે. આમ હજારો વરસ દરમ્યાન અનેક પ્રજાઓ ભારતમાં આવી છે અને તેણે ભારતીય સંસ્કૃતિની રંગોળી બનાવી છે. એમાં ગણ્યા ગણાય નહીં એટલા રંગો છે. જો સાઈબીરિયન પક્ષી ભારતમાં આવતાં હોય તો પ્રજા ન આવે એવું બને?

અને બોક્સ ઊઘાડયું તો એ પણ જાણવા મળ્યું કે સતત ગ્રહણ કરવાની, સતત બદલાતા રહેવાની ભારતની પ્રજાની ક્ષમતાને કારણે ભારતની સંસ્કૃતિ ટકી રહી છે. ભારતની પ્રજાનું લેવડદેવડનું સાંસ્કૃતિક સંસ્કૃતિનું લચીલાપણું ભારતની સંસ્કૃતિને જીવાડી રાખે છે. ઉર્દૂ કવિ ઇકબાલે કહ્યું છે : કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી. એ કુછ બાત છે લચીલાપણું. જે બરડ હોય એ તૂટે.

જ્યારે મેં બોક્સ ઊઘાડયું અને સાચાં ભારતનાં દર્શન કર્યા એ પછી નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીત દ્વારા હું ગદગદ થતો નથી. આ ત્રણેયનો દેશની પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માટે રાષ્ટ્રવાદ એ રાજકીય ઉપક્રમ છે, સાંસ્કૃતિક નથી. ઉસ્તાદ અમીર ખાંનો રાગ મારવા સાંભળીને આંખમાં ઝળઝળિયાં આવી જાય એ સંસ્કૃતિ અને મુસ્લિમ નામ સાંભળીને અણગમો પેદા થાય એ રાજકારણ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 ઍપ્રિલ 2024

Loading

...102030...761762763764...770780790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved